રસીને રસ્તે મતભેદ, મૂંઝવણ કે મોકાણ
નવવર્ષના પ્રથમ દિવસે મળેલી CDSCO(કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠનની)ની વિષય નિષ્ણાત સમિતિની બેઠકમાં ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા ડૉ. વી.જી. સોમાણીના નેતૃત્વ હેઠળ ભારતમાં કોરોના વાઇરસ વિરુદ્ધની પ્રથમ રસીને મંજૂરી આપવામાં આવી. નામે કોવિશીલ્ડ (વૈજ્ઞાનિક નામ : Chdox 1 n Cov 19). (ઑક્સફર્ડ યુનિવર્સિટી અને ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકા દ્વારા સંયુક્તપણે વિક્સાવેલ આ રસીનું ભારતમાં ઉત્પાદન કરવાના હક અને જવાબદારી સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા પાસે છે.) મંજૂરી પૂરેપૂરી નથી, મર્યાદિત અને શરતી છે. ૧૮ વર્ષથી ઉપરનાં વ્યક્તિઓને બે ઈન્જેક્શન ૪થી ૬ અઠવાડિયાના અંતરે આપી શકાશે. દરેક ડોઝ 0.5 ml.નો હશે. 5 x 1010ની માત્રામાં વિષાણુઓ હશે. વાઈરલ વેક્ટર પ્રકારની આ રસીનાં પ્રાયોગિક પરીક્ષણોના ત્રીજા તબક્કાના વચગાળાનાં પરિણામો સલામતી અને અસરકારકતાની દૃષ્ટિએ સંતોષજનક હતા જેનાં ચાલુ પરીક્ષણોમાંથી મળતી રહેતી માહિતી દેશમાં આંકડા નિયત સમયે CDSCOને આપતા રહેવાની શરતે પ્રથમ વખત આ પ્રકારની તકનિક ધરાવતી રસીને ભારત કે વિશ્વમાં મંજૂરી મળી છે.
પરંતુ આ રસી પાછળના વિજ્ઞાનને છેલ્લાં ૧૦ વર્ષથી મઠારવામાં આવી રહ્યું છે. ૨૦૧૧-૧૨માં કોરોનાના પિતરાઈ એવા MERS વિષાણુનો રોગચાળો મધ્યપૂર્વના દેશોમાં ફેલાયો હતો ત્યારેથી ઓક્સફર્ડની જેનર સંસ્થામાં આ જાતની રસીને વિકસાવવાના પ્રયત્નો ચાલુ થયા હતા જેનાં ફળ હવે ૨૦૨૦-૨૧માં પાક્યાં છે. એપ્રિલ મહિનાથી ચાલુ થયેલ પરીક્ષણના પહેલા બે તબક્કામાં ૧,૦૦૦થી વધુ અને ત્રીજા તબક્કામાં ૨૩,૦૦૦થી વધુ સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. અને સાત-આઠ મહિનાની સઘન તપાસ બાદ આ રસી સલામત અને ૭૦% અસરકારક માલૂમ પડી છે. આ પરિણામો પણ હજી મધ્યાહ્ન વિરામ સમયનાં છે અને પૂર્ણ પરિણામો એક વર્ષના અંતે મળશે. અમેરિકી કંપનીઓ ફાઈઝર અને મોડર્નાની mRNA આધારિત રસીઓની ૯૫% અસરકારક્તા સામે આ રસી પહેલી નજરે જરી નબળી જણાય. પરંતુ પરીક્ષણો દરમિયાન ટેસ્ટ કરવામાં ફેરને કારણે બંને વચ્ચે સીધી સરખામણી યોગ્ય નથી. પરીક્ષણો દરમિયાન રસી લીધેલ એક પણ વ્યક્તિને તીવ્ર કોવિડ થયો નહોતો. નિયત કરેલા ધોરણ મુજબ ૫૦%થી વધુ અસરકારકતા ધરાવતી આ રસીને મળેલી મંજૂરી ભારત જ નહીં સમગ્ર વિશ્વ માટે શુભંકર સમાચાર છે. રસીની કિંમત અને સંગ્રહમાં પ્રમાણમાં સરળતાને કારણે વિશ્વમાં સૌથી વધુ લોકો કદાચ આ જ રસી લેશે ત્યારે ભારતીય કંપનીએ રોગચાળાની શરૂઆતમાં ઉઠાવેલ જોખમના મીઠાં ફળ ભારતીય જનતાને હવે મળશે તે સરાહનીય છે.
હવે વાત બીજી રસીની કરીએ. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકની કોવાક્સિન (વૈજ્ઞાનિક નામ – BBV152). ICMR હેઠળની અગ્રતમ લેબોરેટરી NIV નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી-પૂણે સાથેની ભાગીદારીમાં વિકસાવેલ આ રસી નિષ્ક્રિય કરેલ પૂર્ણ વિષાણુ (Inactivated whole virion) પ્રકારની છે. આ તકનિક લગભગ ૧૫૦ વર્ષ જૂની છે પરંતુ આ પ્રકારની રસીઓ ઘણા રોગો સામે સમયની એરણ પર ખરી ઊતરી છે. ૧-૧-૨૧ના રોજ CDSCOએ ભારત બાયોટેકને ઉદ્બોધતાં નોંધ્યું છે આ રસીએ પહેલા અને બીજા તબક્કાનાં પરીક્ષણોમાં તથા પ્રાણીજન્ય પરીક્ષણોમાં સારી સલામતી અને રોગપ્રતિકારકજન્યતા (immunogenicity) બતાવી છે. પરંતુ ત્રીજા તબક્કાનાં પરીક્ષણો હજી બાકી છે. કંપનીએ ત્રીજા તબક્કા માટે બાકી સ્વયંસેવકોની ભરતી તરત કરી વહેલી તકે વચગાળાનાં પરિણામોની સમીક્ષા કરવી જોઈએ. અહીં નોંધનીય છે કે આ રસી માટે ત્રીજા તબક્કાનાં પરીક્ષણો નવેમ્બર મહિનામાં જ શરૂ થયા હતાં. (પ્રથમ બે તબક્કામાં આશરે ૧,૨૫૦ વ્યક્તિઓ પર થયેલ પરીક્ષણો બાદ રસીની સલામતી સંતોષકારક માલૂમ પડી હતી). બીજા દિવસે આ રસી માટે CDSCOએ પુનઃ બેઠક બોલાવી હતી અને અગમ્ય ઢબે DGCIની આગેવાની હેઠળ નિષ્ણાત સમિતિએ આ રસીને પણ મર્યાદિત અને શરતી મંજૂરી આપી, અસરકારકતાના આંકડાની ગેરહાજરી છતાં. શરતી મંજૂરી આપતાં નોંધ કરવામાં આવી છે : આ કટોકટીકાળની મંજૂરી પુષ્કળ સાવચેતી રાખીને, ક્લિનિકલ ટ્રાયલની રીતે અને વધુ વિકલ્પો મળી રહે એ હેતુથી આપવામાં આવી છે. આ પ્રકારની મંજૂરી કોઈ દવા કે રસી માટે આ પહેલાં ભારતમાં આપવામાં આવી નથી. મંજૂરી બાદ AIIMSના નિયામક ડૉ. રણદીપ ગુલેરિયા, ICMRના નિયામક ડૉ. બલરામ ભાર્ગવ તથા દેશના સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન દ્વારા રસીના બચાવમાં નિવેદનો આવ્યાં. તો બીજી તરફ CMC વેલ્લોરના પ્રોફેસર અને ચેપી રોગોના નિષ્ણાત ડૉ. ગગનદીપ કાંગ દ્વારા CDSCOના આ પગલાંની ભારે ટીકા કરવામાં આવી.
NIV અને ભારત બાયોટેક પ્રતિષ્ઠિત સંસ્થાઓ છે. તેમના દ્વારા બનાવેલ અનેક રસી વિશ્વસ્તરે માન્યતા ધરાવે છે. જે વિજ્ઞાનનો આધાર લઈને તેમણે રસી વિકસાવી છે તે તકનિક તેની કાર્યદક્ષતા પુરવાર કરી ચૂકી છે. તેમ છતાં, ત્રીજા તબક્કાનાં પરીક્ષણોની ગેરહાજરીમાં રસીને મંજૂરી આપવી અનુચિત જ નહીં, આઘાતજનક પણ છે. રસીની તરફેણ કરતાં ડૉ. હર્ષવર્ધને નિવેદન કર્યું કે UKની નવી પ્રજાતિ વિરુદ્ધ આ રસી સારું કામ આપી શકશે એવી સંભાવના છે. અલ્યા ભાઈ, જ્યારે મૂળ વાઇરસ સામે જ રોગપ્રતિકારકતા કેટલી છે. એ ખબર નથી તો આવાં તારણો કેમનાં કાઢી શકાય. તબીબી વિજ્ઞાન માત્ર સૂચિત સિદ્ધાંત કે તર્કના આધારે ન ચાલે. કારણ કે આ કોઈ પૂર્ણ શાસ્ત્ર નથી, વિકસતું વિજ્ઞાન છે. અભૂતપૂર્વ પ્રગતિ છતાં આ જ્ઞાન અપૂર્ણ છે, ઘણાં તથ્યો/હકીકતો હજી અસાધ્ય છે. આથી જ જ્યારે કોઈ નવી દવા કે રસીને મંજૂરી આપવામાં આવે ત્યારે આવી અપૂરતી માહિતીને આધારે લગાવેલ કેવળ તર્કથી આગળ વધીને પ્રયોગમૂલક આંકડા એક્ઠા કરવાં તબક્કાવાર તબીબી પરીક્ષણો કરવામાં આવે છે, અને તો જ આ શાસ્ત્રના પાયાગત ખ્યાલ. “Primium Non Nocere (first do no harm) મુજબ સૌથી મહત્ત્વનું એ છે કે કોઈને હાનિ ન થાય”નું પાલન થઈ શકે. એક ભારતીય તરીકે અને વિજ્ઞાનના સાધક તરીકે એવી આશા જરૂર હોય કે આ સ્વદેશી રસી વિશ્વની શ્રેષ્ઠ રસીઓને ટક્કર આપે. પરંતુ જ્યાં સુધી આ વાત પરીક્ષણો દ્વારા સાબિત ન કરી શકાય ત્યાં સુધી આ રસીને મંજૂરી આપવી અનુચિત જ નહીં, અનૈતિક પણ કહી શકાય – તે પણ એવા સંજોગોમાં જ્યારે વૈકલ્પિક રસી કે જેની અસરકારકતા અને સલામતી સાબિત થયેલ છે તે ઉપલબ્ધ છે.
રસી-બનાવટ એ તબીબી વિજ્ઞાન માટે નવપ્રયોગ, સંશોધન અને વિકાસ(innovation, research & development)નો વિષય છે; પરંતુ રસીકરણ એ લોકસ્વાસ્થ્યની બાબત છે જેનો પાયો રસીની સલામતી અને અસરકારકતામાં જનવિશ્વાસ ઊભો કરવામાં રહેલો છે. રાષ્ટ્રવાદની લાય કે આત્મનિર્ભરતાની ઉતાવળ જો આ જનવિશ્વાસને હાનિ પહોંચાડતાં હોય તો મને એ બેમાંથી એક પણ સ્વીકાર્ય નથી.
જાન્યુઆરી ૧૦, ૨૦૨૧, નવી દિલ્હી
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2021; પૃ. 01-02