Opinion Magazine
Number of visits: 9964357
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અંગ્રેજો વગરનું ભારત અંગ્રેજો પહેલાંનું ભારત ન બની શક્યું

રમેશ ઓઝા|Opinion - Opinion|4 April 2021

૧૯મી સદી આથમતા સુધીમાં એટલું તો નક્કી થઈ ગયું હતું કે અંગ્રેજો વિનાનું ભારત અંગ્રેજો પહેલાનું ભારત નહીં હોય. અંગ્રેજ પહેલાંનાં ભારતમાં એવું કશું જ નહોતું જેને ભારતનો કોઈ સમાજ યાદ કરીકરીને વાગોળતો હોય, સિવાય કે થોડા સનાતની હિંદુઓ અને મૂળભૂતવાદી મુસલમાનો. આ ઉપરાંત બહુજન સમાજ હવે પાછળ જવા દે એમ નહોતો. અંગ્રેજોના કાયદાના રાજના સૌથી મોટો લાભાર્થી બહુજન સમાજ હતો.

પણ તો પછી અંગ્રેજો પછીનું ભારત કેવું હશે અથવા કેવું હોવું જોઈએ? ૧૯૧૫માં ગાંધીજી ભારત પાછા ફર્યા એ પહેલાં આ બાબતે ઘણી ચર્ચા થઈ હતી, પરંતુ એ ચર્ચામાં શરતો, આરોપો, શંકાઓ જેવાં ધીંગાણાંનાં તત્ત્વો વધુ હતાં, સંવાદનાં ઓછાં હતાં. જેમ કે કૉંન્ગ્રેસે ઠરાવ કર્યો હતો અને કૉંન્ગ્રેસના નેતાઓ દાવો કરતા હતા કે કૉંન્ગ્રેસ સવર્ણ હિંદુઓનું સંગઠન નથી, પણ દેશની દરેક પ્રજાનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ મુસલમાનો અને બહુજન સમાજના લોકો તેમના ઉપર ભરોસો કરતા નહોતા. કૉંન્ગ્રેસના નેતાઓએ મુસલમાનોને અને બહુજન સમાજને કૉંન્ગ્રેસની અંદર લેવાની ઈમાનદારીપૂર્વક કોશિશ કરી હતી જેમાં તેમને સફળતા મળી નહોતી.

મુસ્લિમ સમાજની કઠણાઈ એ હતી કે તેમાં કેટલાક મૂળભૂતવાદી નેતાઓ આધુનિક રાજ્યનો સ્વીકાર કરવા જ તૈયાર નહોતા અને તેમને સમાજના એક વર્ગનો ટેકો મળતો હતો અને એ પણ ખાસો મોટો હતો. તેમનું કહેવું એમ હતું કે ઇસ્લામ સ્વયંસંપૂર્ણ ધર્મ છે એટલે મુસલમાનોએ બહારથી કાંઈ શીખવાની કે  અપનાવવાની જરૂર નથી, માત્ર સાચા મુસલમાન બનવાની જરૂર છે. જે મુસ્લિમ નેતાઓ આધુનિકતાની અને આધુનિક રાજ્યની જરૂરત સમજતા હતા તેઓ ડરના માર્યા સ્પષ્ટ ભાષામાં તેની વકીલાત નહોતા કરી શકતા. તેઓ આધુનિક યુગમાં ભારતનાં મુસલમાનોની જરૂરિયાતને કુરાન અને હદીસનો હવાલો આપીને સમજાવવાની કોશિશ કરતા હતા. તેઓ ધર્મને બાજુએ રાખીને આધુનિકતાની વકીલાત નિષ્ઠાપૂર્વક નહોતા કરી શકતા. જ્યાં દલીલ જ ઈમાનદારીપૂર્વકની અસંદિગ્ધ ન હોય ત્યાં આધુનિક મૂલ્યો નિષ્ઠામાં કેવી રીતે પરિવર્તિત થાય? આમ અંગ્રેજોએ આકાર આપેલા આધુનિક રાજ્યને નિષ્ઠાપૂર્વકના બંધારણીય રાજ્યમાં પરિવર્તન કરવામાં મુસલમાનોના પક્ષે આ સમસ્યા હતી.

કૉંન્ગ્રેસ ભારતના દરેક સમાજનું પ્રતિનિધિત્વ કરે છે એમ કૉંન્ગ્રેસના નેતાઓ કહેતા તો હતા પણ એમાં પણ નિષ્ઠાનો અભાવ હતો. જેમ કે લોકમાન્ય તિલક કૉંન્ગ્રેસના વગદાર નેતા તરીકે આગળ આવ્યા એ પહેલાં કૉંન્ગ્રેસના અધિવેશનના સ્થળે અને કૉંન્ગ્રેસના જ મંડપમાં સમાજસુધારા પરિષદ ભરાતી હતી અને તેમાં કૉંન્ગ્રેસના નેતાઓ ભાગ લેતા હતા. લોકમાન્ય તિલકે સમાજસુધારા પરિષદને તગેડી મૂકી, કારણ કે તેમને એમ લાગતું હતું કે સમાજસુધારકોને કારણે જૂનવાણી માનસ ધરાવતા રૂઢિચુસ્ત હિંદુઓનો ટેકો નહીં મળે. તેમણે પ્રાંતીય ધારાસભામાં બહુજન સમાજને પ્રતિનિધિત્વ આપવાનો સવાલ આવ્યો ત્યારે તેનો વિરોધ કરતા કહ્યું હતું કે ત્યાં શું માટલાં ઘડવાનાં છે કે તમે આગ્રહ કરો છો? સ્વરાજ આવવા દો, લાયક થાવ એ પછી તમને પણ મોકો મળશે. દલિતો સાથે ભેદભાવ નહીં કરવાનો પ્રસ્તાવ આવ્યો ત્યારે કેટલાક કૉંગ્રેસીઓએ દલીલ કરી હતી કે આપણે માત્ર જાહેરમાં અસ્પૃશ્યતા પાળવાની નથી, અંગત જીવનમાં પાળો તો વાંધો નથી એ તમારો અધિકાર છે.

આમ કૉંન્ગ્રેસ દરેક કોમનું પ્રતિનિધિત્વ કરે છે એમ કહેવામાં આવતું હતું અને દરેક સમાજને તેમાં સાથે લેવાના પ્રયત્નો પણ કરવામાં આવતા હતા, પરંતુ તેમાં વૈચારિક સ્પષ્ટતા અને મૂલ્યનિષ્ઠાનો અભાવ હતો. આને કારણે મુસલમાનોને હિંદુઓ ઉપર ભરોસો નહોતો અને બહુજન સમાજને સવર્ણ હિંદુઓ ઉપર ભરોસો નહોતો. આને કારણે કૉંન્ગ્રેસ દેશની સૌથી મોટી રાજકીય સંસ્થા હોવા છતાં દેશની દરેક કોમને સ્વીકાર્ય નહોતી. હકીકતમાં વ્યવહારમાં એ માત્ર સવર્ણ હિંદુઓના કબજામાં હતી અને માટે તે તેની સ્થાપના પછી ત્રણ દાયકા સુધી એક પણ રાષ્ટ્રવ્યાપી આંદોલન કરી શકી નહોતી. આસેતુ હિમાલય રાષ્ટ્રીય આદોલન કરવું હોય તો દરેક પ્રજાનો સાથ જોઈએ. માત્ર ભદ્ર વર્ગના જોરે એ શક્ય નહોતું.

એ શક્ય બન્યું ગાંધીજીના આગમન પછી પણ એ માટે ગાંધીજીએ અને ગાંધીજીના નેતૃત્વમાં કૉંન્ગ્રેસે પોતાની વૈચારિક ભૂમિકા સ્પષ્ટ કરવાનું શરૂ કર્યું એ પછી જ. એકલા ગાંધીજીના મહાત્માપણાથી એ શક્ય બનવાનું નહોતું. આધુનિક રાજ્યનાં જે જે તત્ત્વો કે ઘટકો છે એ બધાં ગાંધીજીએ સ્વીકાર્યાં હતાં અને કૉંન્ગ્રેસ પાસે સ્વીકારાવ્યાં હતાં. શું હતાં એ ઘટક તત્ત્વો?

એક. ભારત લોકતાંત્રિક દેશ હશે.

બે. એવો લોકતાંત્રિક દેશ જેમાં કોઈ ભેદભાવ વગર ભારતની દરેક પુખ્ત વયની વ્યક્તિને મતદાનનો અધિકાર હશે.

ત્રણ. ભારતના લોકતંત્રનું મૂળભૂત એકમ નાગરિક હશે અને દેશના પ્રત્યેક નાગરિકનો નાગરિક તરીકેનો દરજ્જો સમાન હશે.

ચાર. નાગરિકોના મૂળભૂત અધિકારોની રક્ષા કરવામાં આવશે.

પાંચ. ભારત સેક્યુલર દેશ હશે જેમાં રાજ્યનો કોઈ ધર્મ નહીં હોય અને રાજ્ય ધર્મના આધારે જે તે પ્રજા વચ્ચે ભેદભાવ નહીં કરે.

છ. ભારતની તમામ પ્રજાના પ્રતિનિધિઓ સાથે બેસીને બંધારણ ઘડશે અને એ લેખિત બંધારણ સ્વતંત્ર ભારતનાં બાયબલ, કુરાન કે ગીતા હશે.

સાત. સર્વોચ્ચ અદાલત ઉપર કહ્યાં એ પ્રાણતત્ત્વોની રક્ષા કરવાનું કામ કરશે.

એવું નહોતું કે ગાંધીજી ભારત આવ્યા અને આધુનિક ભારતીય રાજ્યની ઉપર કહી એ સપ્તપદી તેમણે ભારતીય પ્રજાને આપી અને ભારતની પ્રજાએ એ હસતા હસતા સ્વીકારી લીધી હતી. એને માટે ખૂબ સંવાદ કરવો પડ્યો હતો, લડાઈ-ઝઘડા થયા હતા, ગાંધીજી અને કૉંન્ગ્રેસના ઈરાદાઓ ઉપર શંકા-કુશંકાઓ કરવામાં આવી હતી, આરોપ કરવામાં આવ્યા હતા. ઉપર જે સપ્તપદીનાં સાત પ્રાણતત્ત્વો બતાવ્યાં છે તેને પ્રજાની અંદર સ્વીકાર કરાવવા માટે ગાંધીજીએ હજારો લેખો અને પત્રો લખ્યાં હશે અને ભાષણો કર્યાં હશે. એ માણસે એને સ્વીકૃત કરાવવા માટે ભારતભ્રમણ કર્યું હતું. ત્રણ દાયકામાં આટલી અથાક જહેમત ઇતિહાસમાં બીજા કોઈએ નહીં ઉઠાવી હોય.

એક તો ગાંધીજી મહાત્મા, એમાં જે બોલે એ કરે, વળી એકલા ચાલો રે વાળા કૃતનિશ્ચયી તેમ જ  નિર્ભય અને એમાં અથાક મહેનત ભળી એટલે એનું પરિણામ એ આવ્યું કે ભારતની પ્રજાએ ગાંધીજી અને કૉંન્ગ્રેસની કલ્પનાના ભારતને સ્વીકારવા માંડ્યું. મારાં બા જેવા અલ્પશિક્ષિત અને પરમ ધાર્મિક હિંદુ પણ એમ માનતાં થયેલાં કે માણસ-માણસ વચ્ચે ભેદભાવ કરવો એ ઈશ્વરનો ગુનો છે. ઉપર બેઠેલો માણસ નીચેવાળાની મજબૂરીનો લાભ લઈને શોષણ કરે એ અન્યાય છે. આપણને આપણો ધર્મ જો વહાલો લાગતો હોય અને મહાન લાગતો હોય તો એ જ રાહે બીજાને પણ પોતાનો ધર્મ વહાલો અને મહાન લાગતો હોય તો એ એનો હક છે. આમ ભેદભાવ અને સમાનતા, ન્યાય અને અન્યાય, ધર્મની સર્વોપરિતા અને સર્વધર્મ સમભાવ, હક અથવા અધિકાર વગેરે બાબતે વિવેક કરીને મૂલ્યોના પક્ષે ઊભા રહેવું એમાં માણસાઈ છે અને જીવનની સાર્થકતા છે એ દેશની પ્રજાએ સ્વીકારવા માંડ્યું. રાજ્યશાસ્ત્ર ભણાવ્યા વિના ગાંધીજીના વ્યક્તિત્વના કારણે દેશમાં આધુનિક રાજ્યના સ્વીકાર માટે અનુકૂળ ભૂમિનું ખેડાણ થઈ ગયું. એ પછી કૉંગ્રેસ એક પછી એક સપ્તપદીની તરફેણમાં ઠરાવ કરવા માંડી હતી.

પણ એનો અર્થ એવો નથી કે તેની સામે કોઈ વિરોધ નહોતો.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 04 ઍપ્રિલ 2021

Loading

ચલ મન મુંબઈ નગરી—89

દીપક મહેતા|Opinion - Opinion|3 April 2021

હોડીને દૂર શું? નજીક શું?

લંડનના સાહેબોની ઐસીતૈસી, બાંધો મુંબઈમાં સ્ટીમર

પહેલું બંદર બાંધવા પથરા પરદેશથી આવેલા

છોને છોડે એ ભૂમિના કિનારા
ને શહેરના મિનારા
કે હોડીને દૂર શું? નજીક શું?

ઉમાશંકર જોશીના આ જાણીતા ગીતમાં જેની વાત છે તેવી હોડીઓ અને શઢવાળાં વહાણ મુંબઈ આવતાં જતાં ત્યાં સુધી તો પાલવા બંદર, બોરી બંદર અને તેના જેવાં બીજાં બંદરોથી કામ ચાલી ગયું. માલસામાન અને મુસાફરો બંનેની ચડઉતર આ બંદરો પર થતી. પણ પછી આવ્યો આગબોટ કહેતાં સ્ટીમરનો જમાનો. મુંબઈના વિકાસમાં અસાધારણ ફાળો આપનાર ગવર્નર માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટને લંડનમાં બેઠેલા ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ડિરેક્ટરોને ૧૮૨૩માં ગ્રેટ બ્રિટન અને મુંબઈ વચ્ચે દરિયાઈ ટપાલ સેવા શરૂ કરવાની દરખાસ્ત મોકલી. પણ ડિરેક્ટરોએ દાદ દીધી નહિ. ૧૮૨૬માં ફરી એ જ દરખાસ્ત મોકલી. ફરી નન્નો.

એલ્ફિન્સ્ટન પછી ગવર્નર બન્યા સર જોન માલ્કમ. તેમણે કહ્યું કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કી ઐસી તૈસી. આપણે આપણો ધર્મ સંભાળવો. તેમણે સરકારી બોમ્બે ડોકયાર્ડને કહ્યું કે બાંધો મુંબઈથી સુએઝ જઈ શકે એવી સ્ટીમર. અને એ ડોકયાર્ડમાં બંધાયું એચ.સી.એસ. (ઓનરેબલ કંપનીઝ શીપ) Hugh Lindsay. ૧૮૨૯ના ઓક્ટોબરની ૧૪મી તારીખે લેડી ગવર્નરે તેને તરતું મૂક્યું ત્યારે આ જહાજ મુંબઈમાં બંધાયેલું પહેલવહેલું સ્ટીમશીપ બન્યું. અલબત્ત, જરૂર પડે ત્યારે વાપરી શકાય એટલા માટે તેના પર શઢ પણ બેસાડવામાં આવેલા. ૧૮૩૦ના માર્ચની ૨૦મી તારીખે તેણે સુએઝની પહેલી મુસાફરી શરૂ કરી, અને જહાજ ૨૧ દિવસ અને ૮ કલાક પછી સુએઝ પહોચ્યું. કમાન્ડર જોન એચ. વિલ્સન તેના કેપ્ટન હતા. આ પહેલી મુસાફરીમાં ટપાલ ઉપરાંત થોડા મુસાફરો પણ હતા.

મુંબઈનું બંદર ઈ.સ. ૧૭૫૦માં આવું હતું

આ પહેલવહેલી સ્ટીમર પછી મુંબઈના બારામાં નાની-મોટી સ્ટીમરોની આવ-જા વધતી ગઈ, પણ કોણ જાણે કેમ આ નવા યુગને અનુરૂપ ડોક બાંધવા તરફ કંપની સરકારે ધ્યાન જ ન આપ્યું. ૧૮૫૮માં કંપનીનું રાજ ગયું અને ક્રાઉનનું રાજ થયું. એ પછી પણ છેક ૧૮૭૩માં સરકારે ‘બોમ્બે પોર્ટ ટ્રસ્ટ એક્ટ’ પસાર કર્યો. અત્યાર સુધી જૂદી જૂદી એજન્સીઓના તાબામાં દરિયા કિનારાની અને બીજી જમીન હતી તે બધી આ નવા ટ્રસ્ટની બની. એ એજન્સીઓ જે જૂદાં જૂદાં કામ કરતી તે પણ હવે બોર્ડને સોપાયાં. આ ટ્રસ્ટના કુલ દસ ટ્રસ્ટીઓમાંથી ફક્ત બે જ ‘દેશી’ હતા: નારાયણ વાસુદેવ અને કેશવજી નાયક. કર્નલ જે.એ. બેલાર્ડ તેના પહેલા અધ્યક્ષ બન્યા. તેઓ સરકારી ટંકશાળના પણ વડા હતા. મુંબઈમાં સૌથી પહેલો વેટ ડોક ડેવિડ સાસૂને ૧૮૭૫માં કોલાબા ખાતે બાંધ્યો હતો. નવા સ્થપાયેલા ટ્રસ્ટે ૧૮૭૯માં એ ખરીદી લીધો. પણ સાચા અર્થમાં જેને વેટ ડોક કહી શકાય, જ્યાં મોટી સ્ટીમરો પણ નાંગરી શકે એવા પહેલા ડોકનું બાંધકામ ૧૮૭૫માં શરૂ થયું અને ૧૮૮૦માં પૂરું થયું. એ બાંધવાનો ખર્ચ આવ્યો હતો ૬૭ લાખ રૂપિયા!  તેને માટેના ગ્રેનાઈટ પથ્થર છેક સાઉથ વેલ્સથી મગાવવામાં આવ્યા હતા! તેના જેટલી જ ગુણવત્તાવાળા પથ્થર આ દેશમાં સહેલાઈથી મળતા હોવા છતાં આમ કેમ કરેલું એ સમજવું મુશ્કેલ છે. પનવેલ નદીના કિનારેથી ખોદીને રેતી લવાઈ હતી.

કર્નલ જે.એ. બેલાર્ડ

આ ડોક બાંધવા માટેનું ખોદકામ થઈ રહ્યું હતું ત્યારે દરિયા નીચેની જમીનમાંથી ૩૦૦ જેટલાં અશ્મિભૂત ઝાડ મળી આવેલાં. આનું કારણ એ કે એક જમાનામાં મુંબઈના કિનારા પર ગાઢ જંગલ આવેલું હતું. પણ વખત જતાં કાંઠાની જમીન થોડી ઢળવાને કારણે આખું જંગલ દરિયામાં ડૂબી ગયું હતું. આ નવા બંધાયેલા ડોકનું નામ પાડવામાં આવ્યું પ્રિન્સીસ ડોક (Prince’s Dock) એટલે કે રાજકુમારનો ડોક. પણ વખત જતાં લોકજીભે તેનું નામ થઈ ગયું પ્રિન્સેસ ડોક, રાજકુમારીનો ડોક! આ ડોક બંધાયા પછી બે અઠવાડિયાં સુધી જહાજી કંપનીઓ કોઈક કારણસર તેનો બહિષ્કાર કર્યો હતો. બીજી નાની કંપનીઓએ તે વાપરાવાનું શરૂ કર્યા પછી પણ પી. એન્ડ ઓ. અને બી.આઈ. જેવી બે મોટી કંપનીઓએ બહિષ્કાર ચાલુ રાખ્યો હતો. અને તેમ છતાં આ ડોકના ઉદ્ઘાટન પછીના દોઢેક વરસમાં જ આવતી-જતી સ્ટીમરો માટે આ ડોક અપૂરતો હોવાનું જણાયું હતું. એટલે અ ડોકની બાજુમાં બીજો ડોક બાંધવાનું નક્કી થયું. ૧૮૮૫ના જાન્યુઆરીમાં આ નવા ડોકનું બાંધકામ શરૂ થયું અને ૧૮૮૮ના માર્ચની ૧૨મી તારીખે તેનું ઉદ્ઘાટન થયું. આ નવા ડોકને ગ્રેટ બ્રિટનની મહારાણી વિક્ટોરિયાનું નામ આપવામાં આવ્યું, વિક્ટોરિયા ડોક. અગાઉના મસ્જિદ બંદર અને નિકોલ બંદરને આ નવું બંદર ગળી ગયું! આ બે બંદર બંધાયા પછી તેની ધરખમ આવકને કારણે બોમ્બે પોર્ટ ટ્રસ્ટની આર્થિક સ્થિતિ ખૂબ સદ્ધર થઈ ગઈ હતી.

૧૯મી સદી પૂરી થાય તે પહેલાં મુંબઈનો વેપાર એટલો વધ્યો કે ત્રીજો ડોક બાંધવાની જરૂર જણાઈ. ૧૯૦૫માં હિન્દુસ્તાનની મુલાકાત દરમ્યાન પ્રિન્સ ઓફ વેલ્સે નવેમ્બરમાં ત્રીજા ડોકનો પાયો નાખ્યો હતો. પણ કેટલીક મુશ્કેલીને કારણે ત્રીજા ડોકનું કામ છેક ૧૯૦૭માં શરૂ થયું. કામકાજ ચાલતું હતું તે દરમ્યાન સરકારનાં લશ્કરી જહાજ પણ નાંગરી શકે એ હેતુથી ડોકની પહોળાઈ વધારવાનું સરકારે પોર્ટ ટ્રસ્ટને જણાવ્યું. બીજાં કેટલાંક કારણોને લીધે પણ કામ ધીમું ચાલ્યું. છેવટે ધારેલાં સાત વરસને બદલે નવ વરસમાં કામ પૂરું થયું. ૧૯૧૪માં તેનું કામ પૂરું થયું ત્યારે તેનું નામ પડ્યું એલેક્ઝાન્ડરા ડોક. ૧૯૭૨માં તેનું નામ બદલીને ઇન્દિરા ડોક રાખવામાં આવ્યું. પણ અગાઉના બે ડોકનાં બ્રિટિશ નામ જ આજ સુધી જળવાઈ રહ્યાં છે.

એલેકઝાન્ડરા ડોક

જો કે એક જમાનામાં આ ત્રણ ડોકની જેવી બોલબાલા હતી તેવી આજે હવે નથી રહી. કારણ? હવે વહાણવટામાં ધરખમ ફેરફાર થયા છે. હવે મોટાં મોટાં બલ્ક કેરિયર અને ટેન્કરોનો જમાનો છે. અને આવાં જહાજ આ ત્રણ ડોકમાં નાંગરવાનું શક્ય જ નથી. આવાં જહાજ માટે જે જગ્યા જોઈએ તે નથી આ ત્રણ ડોકમાં કે નથી તેની આસપાસ. એટલે સામી બાજુએ, તળભૂમિ પર, રાયગઢ જિલ્લામાં આ માટેની જરૂરી સગવડો સાથેનું જવાહરલાલ નેહરુ પોર્ટ તૈયાર થયું. ૧૯૮૯માં તે વખતના વડા પ્રધાન રાજીવ ગાંધીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ બધાં પોર્ટ તો માલસામાન – કાર્ગો – માટેનાં. પણ એક જમાનામાં પરદેશ – ખાસ કરીને બ્રિટન – અને હિન્દુસ્તાન વચ્ચેની મુસાફરી માટે પણ સ્ટીમર સિવાય બીજું કોઈ સાધન હતું નહિ. એટલે પેસેન્જર સ્ટીમરો માટે બંધાયું બેલાર્ડ પિયર. મૂળ તો આજના બેલાર્ડ પિયરની પાછળ એક નાનકડી જેટી હતી તે બેલાર્ડ પિયર તરીકે ઓળખાતી. બોમ્બે પોર્ટ ટ્રસ્ટના પહેલા અધ્યક્ષનું નામ તેને અપાયેલું. પછી તેનું વિસ્તરણ કરીને તૈયાર થયું બેલાર્ડ બંદર. થોડા વખત પછી ફરી તેને મોટું કરવું પડ્યું. એક જમાનામાં માત્ર મુંબઈના જ નહિ, આખા દેશના વેપાર-વણજનું કેન્દ્ર હતું આ બેલાર્ડ પિયર. બેલાર્ડ એસ્ટેટ તરીકે ઓળખાતા વિસ્તારમાં ૪૩ મોટાં મકાનો વ્યવસ્થિત યોજના પ્રમાણે બંધાયાં જેમાં આખા દેશની અગ્રગણ્ય વેપારી કંપનીઓની ઓફિસો હતી. આજે તો હવે ઠેકઠેકાણે બિઝનેસ સેન્ટરો ઊભાં થઈ ગયાં છે, પણ એ વખતે આખા એશિયામાં બેલાર્ડ પિયર એ પહેલવહેલું બિઝનેસ સેન્ટર હતું.

બેલાર્ડ પિયર રેલવે સ્ટેશન

એ જમાનામાં દરિયાઈ રસ્તે આવતા મુસાફરો માટે તો આ બેલાર્ડ પિયર એ જ ગેટવે ઓફ ઇન્ડિયા હતું. અહીં મુસ્સાફરો માટે બધી જ સગવડો બે માળના મકાનમાં હતી. તેમાં સેન્ટ્રલ રિસેપ્શન હોલ, કસ્ટમ્સ તપાસણી માટેનો હોલ, રેલવે સ્ટેશન સુધી ફેલાયેલો એક મોટો હોલ, જેવી સગવડો ભોંયતળિયે હતી. ઉપલો માળ પરદેશની ટપાલ માટે અલાયદો રાખ્યો હતો. એ જ માળ પર એક રેસ્ટોરાં ઉપરાંત રાતવાસો કરવા માટેના ઓરડા પણ હતા. મુસાફરો અને તેમના માલસામાનની ચડઉતર બને તેટલા ઓછા સમયમાં થાય તેવી ગોઠવણ હતી. જે મુસાફરો પોતે કસ્ટમ્સની વિધિ કરવા ન માગતા હોય તેમને માટેના કસ્ટમ એજન્ટોની ઓફિસો પણ અહીં હતી. નજીકમાં જ બાંધેલા રેલવે સ્ટેશન પર ચાર પ્લેટફોર્મ હતાં. ટપાલની સ્ટીમર આવવા કે જવાની હોય ત્યારે કલકતા, દિલ્હી, પેશાવર અને દેશના બીજા ભાગોની ટ્રેન સીધી બેલાર્ડ પિયર સ્ટેશન  સુધી આવી જતી. આ ઉપરાંત મુસાફરો માટે સ્ટીમર આવવા કે ઉપડવાના દિવસે જી.આઈ.પી. (આજની સેન્ટ્રલ) રેલ્વેની ઈમ્પીરિયલ ઇન્ડિયન મેલ અને બી.બી.સી.આઈ. (આજની વેસ્ટર્ન) રેલવેની ફ્રન્ટિયર મેલ બેલાર્ડ પિયર સ્ટેશન સુધી આવતી. આ સ્ટીમરોમાં મુસાફરો તો આવ-જા કરતા જ, પણ બ્રિટિશ લશ્કરના સૈનિકો પણ મોટી સંખ્યામાં આવ-જા કરતા. પણ પછી આ બેલાર્ડ પિયરનું મહત્ત્વ સતત ઘટતું ગયું. કારણ, એક તો, હવે વિદેશો સાથેની હવાઈ મુસાફરી શક્ય બની હતી અને એટલે દરિયાઈ મુસાફરો ઘટતા જતા હતા. બીજું, બ્રિટિશ સૈનિકોની આવ-જાનો તો હવે સવાલ જ નહોતો રહ્યો. એક જમાનો એવો પણ આવ્યો કે જ્યારે આખો બેલાર્ડ એસ્ટેટ વિસ્તાર ભૂતિયા મહેલ જેવો લાગતો હતો. પણ છેલ્લાં થોડાં વરસમાં તેમાં ફરી જીવ આવ્યો છે. 

મુંબઈ પોર્ટ ટ્રસ્ટને ૧૯૯૯માં ૧૨૫ વરસ થયાં ત્યારે બહાર પડેલી ટિકિટ

પણ શુ બંદર પર કે શું રસ્તા પર, શું મેદાનમાં કે શું મકાનોની બહાર, ક્યાંક ને ક્યાંક યુનિફોર્મ પહેરેલો એક માણસ જોવા મળશે. મોટે ભાગે હાથમાં દંડૂકો, ક્યારેક રાઈફલ કે રિવોલ્વર પણ ખરી. એ માણસનું આગમન મુંબઈમાં ક્યારે, કઈ રીતે થયું એની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 03 ઍપ્રિલ 2021

Loading

સુરેશ જોષીકૃત અપૂર્વ કાવ્યાસ્વાદો

સુમન શાહ|Opinion - Literature|3 April 2021

= = = = સુરેશભાઈને કહી શકાય કે ગુજરાતને આસ્વાદક કે વિવેચક નામની મધ્યસ્થીની જરૂરત જ ન પડે, અને આનન્દશંકરને કહી શકાય કે વિવેચનની ભૂખ જાગે જ નહીં, એવું સ્વાયત્ત સાહિત્ય, સ્વૈર, સુબોધ, ન-અઘરું, જે વિશેષણ વાપરવું હોય, લખાઈ રહ્યું છે = = = =

સૌ દર્શક-શ્રોતા મિત્રોને નમસ્કાર.

સુજોસાફો – આયોજિત સુરેશ જોષી જન્મશતાબ્દી ઉત્સવનો આ ૧૩-મો ઍપિસોડ ૨૬ માર્ચે રજૂ કરી શકાયો નહીં એ વાતનું દુ:ખ છે. કારણ માત્ર ટૅક્નિકલ હતું.

આપ સૌનું સ્વાગત છે.

આ ઍપિસોડના સહભાગીઓ છે, અજય રાવલ, નરેશ શુક્લ અને પ્રબોધ પણ્ડિત.

‘પણ્ડિત’ કહીને મેં કશી ગફલત નથી કરી. આપણે સૌ જાણીએ છીએ એમ એ, પ્રબોધ પરીખ છે. પણ મને ઉમાશંકરનું એક વચન યાદ આવ્યું. એક સભામાં એમણે મારા સહિતના ત્રણ-ચાર જણ માટે કહેલું : આ પાઘડી વિનાના પણ્ડિતો છે : હું એમના એ વચનનો વિનિયોગ કરીને કહું કે પ્રબોધ પાઘડી વિનાનો પણ્ડિત છે. પાઘડી પ્હૅરે તો પાઘડી જેટલી જ વિદ્વત્તાસૂચક જે ટાલ છે એ ઢંકાઈ જાય; એ કદી પ્હૅરશે જ નહીં, પણ વિદ્વત્તાની વાત સૌએ અંકે કરવી જોઈશે.

અમે વર્ષોથી મિત્રો છીએ. મોડાસામાં પરિષદનું પહેલું જ્ઞાનસત્ર યોજાયું, કદાચ ત્યારથી, કદાચ ૪૫-૪૬ વર્ષ થઈ ગયાં.

અમારા બધા માટે એ માત્ર પ્રબોધ છે પણ આજે હું વચ્ચે વચ્ચે, ‘પ્રબોધભાઈ’ પણ કહીશ. મુમ્બઈની મીઠીબાઈ કૉલેજમાં ફિલૉસૉફીના અધ્યાપક હતા. નિવૃત્તિ પછી મીડિયા ઍન્ડ કૉમ્યુનિકેશન માટેની વ્હીસ્લિન્ગ વૂડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તેઓ હાલ સેવાઓ આપે છે.

ફ્રાન્સની સોરબોન યુનિવર્સિટીથી માંડીને દેશવિદેશનાં અનેક વિદ્યાધામોમાં અધ્યયન-અધ્યાપન તેમ જ વ્યાખ્યાનો માટે ગયા છે.

એક જ શબ્દ પ્રયોજું કે પ્રબોધ પરીખ વિદ્યાવ્યાસંગી જીવ છે.

એમણે મુમ્બઇની જયહિન્દ કૉલેજમાં ફિલૉસૉફી અને ગુજરાતી સાહિત્યનું અને પછી અમેરિકાના ઑકલોહામામાં વળી ફિલૉસૉફીનું અધ્યયન કર્યું છે. મને બરાબર યાદ છે, દાહોદમાં રિલ્કે વિશેના પરિસંવાદમાં ભાગ લેવા પ્રબોધ આવ્યો, સાલ હતી કદાચ ૧૯૮૫, ત્યારે, અમેરિકા જવા-આવવા વપરાય છે એ મસમોટી બૅગ લઈને આવેલો. મેં પૂછેલું – સીધા ઍરપોર્ટથી? તો એણે હસીને ના પાડેલી.

નૉંધપાત્ર વાત એ છે કે પ્રબોધ હસી શકે છે, એ હસતો નિખાલસ નિર્દમ્ભી પણ્ડિત છે.

દલીલ અસરકારક કરે પણ પછી પૂછડું પકડીને બેસી ન રહે, પોતાની ભૂલ કબૂલે, ‘તારી વાત બરાબર છે’ કહીને સંવાદ ચાલુ રાખે.

મૂળે એ સર્જક છે. કેન્દ્રીય સાહિત્ય અકાદમી માટે લાભશંકર ઠાકર પર ફિલ્મ બનાવી છે. સાહિત્યકારને વિશેની ફિલ્મ શું હોઈ શકે તેનો એ એક આદર્શ નમૂનો છે. પ્રબોધે કાવ્યો કર્યાં છે, વાર્તાઓ લખી છે. ‘કારણ વિનાના લોકો’ નામના વિશિષ્ટ વાર્તાસંગ્રહે બહુ મોટી આશા બંધાવેલી, પણ પછી પ્રબોધભાઈએ દિશા બદલી લીધી. મૂળે નડિયાદના છે, હાલ મુમ્બઇ રહે છે.

સરસ વાંચે છે, વિચારે છે, લખે છે, પણ પ્રકાશિત કરે છે બહુ જ ઓછું. મિત્રોની એ વિશેની ફરિયાદ સાંભળે પણ પછી એવાં વ્યાખ્યાનો કરે કે – આપણને થાય, ભલે, જે કરે છે, સરસ કરે છે. ચિત્રો કરે છે, એ ચિત્રો સર્રીયાલિસ્ટ જેવી કશી છાપથી ઓળખાવાય એવાં નથી, એ પ્રબોધિસ્ટ છે. આપણને ગમે, જોઈ રહીએ, એ આકારો, રંગો અને રૂપોને.

 મને એમ કહેવાનું સૂઝે છે કે પ્રબોધ કશી અવ્યાખ્યાયિત પણ અનેક વ્યાખ્યાઓના સાર સમી નિર્નામ કલાસૂઝ ધરાવે છે અને એને કારણે ગુજરાતી સાહિત્ય વિશે જે કંઈ વિચારે છે એ નિરાળું હોય છે. સુરેશશબ્દના સમજુ જણોમાં પ્રબોધ પરીખ છે. એણે ક્યારેક મને કંઈક એવું કહેલું કે ગુજરાતી સાહિત્યમાં ગાંધી એક બિન્દુ છે એમ સુરેશ જોષી એક બિન્દુ છે. મને એમાં ઉમેરવાનું મન થાય છે કે નર્મદ એવું જ એક બિન્દુ છે. એ ત્રણેય બિન્દુથી કેવાંક વર્તુળ રચાયાં એ, આમ તો, જાણીતું છે; એથી એ વિસ્તરણમાં નથી જતો.

પ્રબોધ ધાણીફૂટ અંગ્રેજી બોલે છે પણ હું આશા રાખું કે આજે એ એવું ગુજરાતી બોલશે.

પ્રબોધ, ઑન બીહાફ ઑફ સુજોસાફો, આઈ વૅલકમ યુ …

અજય રાવલ અને નરેશ શુક્લ આ ઉત્સવમાં બીજી વાર જોડાયા છે એનો આનન્દ છે, એમનું સ્વાગત છે. બન્ને મિત્રોથી સૌ ઠીક ઠીક પરિચિત છે તેથી એ વીગતો દોહરાવતો નથી, પણ કહું કે આ ઍપિસોડમાં બન્ને મિત્રોએ પોતાનાં વક્તવ્યો ઉપરાન્તનો અન્ય સહયોગ પણ દાખવ્યો છે. નરેશે આ બ્રૉડકાસ્ટની તમામ વ્યવસ્થા ઉપાડી લીધી. ‘સુરેશ જોષી સાહિત્યવિશ્વ’-માં અને અન્યત્ર જોવા મળેલી અક્ષમ્ય છાપભૂલો અને અધૂરી માહિતી – પુસ્તકની પ્રકાશનસાલ જ નહીં – વગેરે વિશે મને શંકાઓ પડેલી, એનું અજયે ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’ પુસ્તકની મૂળ આવૃત્તિ જોઈને નિવારણ કર્યું. બન્ને મિત્રોનો ખૂબ આભાર.

જાહેર કર્યું છે એ મુજબ, આજના ઍપિસોડનો વિષય છે ''સુરેશ જોષીકૃત ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ'’. ઉપક્રમ એવો રાખ્યો છે કે સૌ પહેલાં અજય, પછી નરેશ અને છેલ્લે પ્રબોધભાઈ સુરેશશબ્દ સાથેના પોતાના અનુબન્ધની વાતો કરશે.

પણ એ મિત્રો કહે એ પહેલાં, મારે જે કહેવું છે એ કહું :

‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’ પુસ્તકની પહેલી આવૃતિમાં ૨૨ આસ્વાદલેખનો છે. આસ્વાદો કહી શકાય, પણ એને આસ્વાદલેખનો કહેવાનું મને ગમે છે. મૂળે ભોગીલાલ ગાંધીના તન્ત્રીપદે ચાલતા સામયિક ‘વિશ્વમાનવ’-માં દર અંકે એક-ના ધોરણે એ પ્રગટ થયેલાં. મને બરાબર યાદ છે, અમે રાહ જોતા અને કલ્પના કરતા કે આવતા અંકે કયા કવિના કયા કાવ્યનો આસ્વાદ આવશે.

સુરેશભાઈએ કહ્યું છે કે ‘કાવ્ય અને એના ભાવક વચ્ચેનું અન્તર વધતું જાય ત્યારે વિવેચકને માથે એ બંને વચ્ચે મધ્યસ્થનું કાર્ય બજાવવાનું આવે’. એમનું નિરીક્ષણ છે કે ‘આપણા જમાનાની રફતાર ભારે તેજ છે. પરિવર્તનોને પૂરાં સમજી લઈએ તે પહેલાં તો જમાનો કેટલો ય આગળ વધી ગયો હોય છે. બાહ્ય પરિસ્થિતિમાં થતાં રહેતાં પરિવર્તનો, એ પરિસ્થિતિ પ્રત્યેના આપણા પ્રતિભાવો પર પડતી એની અસર, યાન્ત્રિકતાના વધતા વર્ચસ્-ને કારણે આપણું કુણ્ઠિત થતું જતું ઊર્મિજીવન – આ બધું પણ કાવ્ય અને ઇતર સર્જનાત્મક પ્રવૃત્તિઓ પ્રત્યેના આપણા વલણ પર અસર પાડે છે’.

આ પુસ્તકનું પહેલવારકું પ્રકાશન ૧૯૬૨માં થયું છે. સુરેશભાઈએ દાખવેલી આ ચિન્તાને ૫૯ વર્ષ થઈ ગયાં. આજે તો, કાવ્ય અને ભાવક વચ્ચેનું અન્તર ખૂબ વધી ગયું છે અને જમાનો તો અનેકશ: અનેકગણો આગળ વધી રહ્યો છે.

લાગે કે આજે આસ્વાદો, માત્રકાવ્ય માટે નહીં પણ વાર્તા કે કોઈ પણ સર્જનાત્મક રચના માટે અનિવાર્ય બન્યા છે. જો કે આસ્વાદકો ઘટી ગયા છે. એ સવાલ પણ પુછાય છે કે સુન્દર અને અનિવાર્યપણે આસ્વાદ્ય હોય એવું લખાય છે ખરું.

કાવ્યવિષયક લેખન આપણે ત્યાં પ્હૅલાં ન્હૉતું એમ નથી. સુરેશભાઈએ ‘મુખબન્ધ’-માં નૉંધ્યું છે કે ‘કાન્તનાં જ કાવ્યો લઈને આનન્દશંકર, બ.ક. ઠાકોર, ડોલરરાય માંકડ, રતિલાલ જાની, મનસુખલાલ ઝવેરી, ભૃગુરાય અંજારિયા વગેરેએ ઝીણવટથી કાવ્યચર્ચા કરી છે.’

સુરેશભાઈએ એને વ્યંગમાં ‘સૂચક ઘટના’ કહી છે. એટલા માટે કે એ પ્રવૃત્તિ માત્રકાન્તનાં કાવ્યો માટે થઈ હતી.

પણ મારે એ કહેવું છે કે સુરેશભાઈએ કરાવેલા આ કાવ્યાસ્વાદો અપૂર્વ છે. એમનાં આ લેખનોએ ‘કાવ્યચર્ચા’ શબ્દને તિલાંજલિ આપી દીધી અને ‘કાવ્યાસ્વાદ’ શબ્દને ચલણી કરી દીધો. એટલે સુધી કે છાપાંવાળાઓએ કાવ્યાસ્વાદની કૉલમો શરૂ કરી. અરે, કાવ્યમાં કશું આસ્વાદ્ય ન હોય તો પણ આસ્વાદ લખાવા માંડ્યા, હજી લખાય છે. પણ મારે નૉંધવું જોઈએ કે નીવડેલા વિવેચકોમાં હૉંશથી અને મોટી સંખ્યામાં કાવ્યાસ્વાદો કરાવનાર કોઈ હોય, તો તે રાધેશ્યામ શર્મા છે.

‘મુખબન્ધ’-માં પ્રારમ્ભે જ સુરેશભાઈએ આનન્દશંકરે પૂછેલા એક પ્રશ્નની યાદ દેવરાવી છે. પ્રશ્ન છે : ‘ગુજરાત વિવેચનનું ભૂખ્યું છે પણ તે કરતાં એ રસપાનનું તરસ્યું હોય તો વધારે સારું નહિ?’ આનન્દશંકરે ‘વિવેચન’ અને ‘રસવિવેચન’  એવો ભેદ કર્યો છે એમ જણાવીને સુરેશભાઈ ‘રસવિવેચન’ શબ્દને ગમાડે છે.

હું એ જ શબ્દને પકડી લઈને આ આસ્વાદલેખનોને રસવિવેચન કહું છું. એને ગુજરાતી વિવેચન-સાહિત્યનો એક આગવો પ્રકાર પણ કહી શકાય. પણ ‘વિવેચન’ સંજ્ઞાને બ્રૅકેટમાં મૂકીને જુદું કહું કે એમનાં આ લેખનો એમના જેવા સમૃદ્ધ સહૃદયે કરેલાં મૂળે તો ભાવનો છે, અને ઉમેરું કે એ ભાવનોથી એમના આ આસ્વાદકાર્યની જમીન બની છે. સાર એવો મળે છે કે જાતે ભાવન કર્યા વિના બીજાને આસ્વાદ ન કરાવી શકાય.

બીજો સાર એ કે એ પ્રકારના આસ્વાદન અને અનુગામી વિવેચન વચ્ચે પાકો સમ્બન્ધ છે. જુઓ ને, સુરેશભાઈને, તેઓ પોતે કહે છે એમ, ‘આ કાવ્યોની ચર્ચાને નિમિત્તે કાવ્યવિવેચનના કેટલાક પાયાના પ્રશ્નો આપોઆપ છેડવા પડ્યા છે’.

એ પ્રશ્નોની થોડીક વાત અજય કરશે.

મને એમ કહેવાનું મન થાય છે કે ભાવન અને આસ્વાદન વિનાનું વિવેચન સર્વસામાન્યપણે તનુતુચ્છ રહી જવાનું – સુક્કું ! સમ્યક્ આસ્વાદન જતે દિવસે એના વિવેચકને વિપથમાર્ગે જતાં રોકવાનું અને એ પ્રકારે વિવેચન-વિદ્યાશાખા લાભાન્વિત થવાની. આસ્વાદનું એટલું મોટું મૂલ્ય છે.

જો કે સુરેશભાઈ પોતાને મહાન સહૃદય નથી ગણતા. એમણે લખ્યું છે કે ‘આ કાર્યને માટે મારાથી વિશેષ અધિકાર ધરાવનાર સહૃદયો છે તે હું જાણું છું. મારા પ્રયત્નને એઓ ક્ષમાદૃષ્ટિથી જોઈને યથાયોગ્ય માર્ગદર્શન આપશે તો હું એમનો ઋણી રહીશ’. આ આસ્વાદકર્મને સુરેશભાઈ યત્કિંચિત્ કર્યાનો નમ્ર પ્રયત્ન ગણે છે. એના મૂળ કારણમાં કાવ્યને માટેની પોતાની પ્રીતિને ગણાવે છે. એમની આ વિશિષ્ટ નમ્રતાની નૉંધ લેવી જોઈશે.

લાગણી ઊર્મિ અભિગ્રહ કે નૈતિક ભાવના વગેરે વસ્તુને નિમિત્તરૂપ ગણીને સર્જક જે સરજે તેનો, કહો કે, સર્જનની પ્રક્રિયાનો, સુરેશભાઈને મન મહિમા છે. એને તેઓ ‘અદ્વિતીય રૂપનિર્માણને માટેનું સર્જનકર્મ’ કહે છે. અને એને જ તેઓ આસ્વાદનો વિષય ગણે છે. 

જણાવે છે કે કવિ વ્યવહારની ભાષામાંથી જ નવા સંકેતો ઊપજી આવે એવો સંદર્ભ રચે છે. એ સંદર્ભની રચના સમજવી અને શબ્દમાંથી પ્રગટતી એ શક્તિનો પરિચય આપવો, એ એમને મન રસાસ્વાદની પ્રવૃત્તિનું અનિવાર્ય અંગ છે; એમાં જ તેઓ કવિ-કર્મનો વિશેષ જુએ છે.

આસ્વાદક પાસે તેઓ માગે છે કે એ જાણે સર્જનપ્રક્રિયાનો સાક્ષી હોય એ રીતે એ પ્રક્રિયાનો પરિચય કરાવે; બતાવે કે વ્યવહારનો અનુભવ કવિની વિશિષ્ટ સર્ગશક્તિથી નવ્ય રૂપ પામ્યો અને કેવો તો રસાસ્વાદની સામગ્રી બની ગયો.

બીજા શબ્દોમાં એમ કહેવાય કે આસ્વાદકે પોતાનું લક્ષ વસ્તુના રૂપાન્તરણની પ્રક્રિયાને વિશે કેન્દ્રિત કરવું જોઈશે. શાસ્ત્ર નહીં પણ સર્જનકર્મ એના ધ્યાનનો વિષય બનવો જોઈશે.

આ લેખનોમાં સુરેશભાઈએ એ બધું કરી દાખવ્યું છે. પણ કવિતા વિશેના લેખનને તેઓ સાહસ ગણે છે. કવિતાની રચનાને પણ સાહસ ગણે છે. અને જણાવે છે કે સમકાલીનોની કવિતા વિશે લખવું એ તો દુ:સાહસ જ ગણાય.

પોતે એવું દુ:સાહસ શા માટે કર્યું એની એમણે કેફિયત આપી છે. ‘કેફિયત’ શબ્દ એમણે પ્રયોજ્યો છે.

એમાં એમણે કેવાં કેવાં વલણ અને આશય રાખ્યાં છે, એ જાણવું જરૂરી છે :

કાવ્યાસ્વાદને અપ્રસ્તુત એવા અનેક પ્રશ્નોની તદ્વિદો વડે થતી વિદ્વત્તાપૂર્ણ ચર્ચાઓને નકારી છે. કેમ કે, એમનું મન્તવ્ય છે કે એથી કાવ્યને તો કશો લાભ થાય જ નહીં. બને કે પૃથક્જન કાવ્યથી દૂર રહી જાય; એ વિદ્વાનોની પરિભાષા પોતે જ વાડ બની રહે; દુર્બોધતાની ફરિયાદ થવા લાગે; કવિ પણ પોતાના અલગારીપણાને ખુમારીથી માણતો થઈ જાય.

બીજું, એમને કાવ્યના ગદ્યાન્વય નથી કરવા, કેમ કે એથી તો કાવ્યનો અર્થ જ મળે. તેઓ લખે છે કે ‘વાચકને કાવ્યમાં અનિવાર્યતયા રહેલી, નિહારિકાના જેવી, સમૃદ્ધ અસ્પષ્ટતા કે સન્દિગ્ધતાના સમ્પર્કમાં મૂકી દેવો ને એ રીતે એની કલ્પનાને વ્યાપારશીલ બનાવી કાવ્યના મર્મ સુધી આપમેળે પહોંચવા અગ્રસર કરવો એ વલણ મેં રાખ્યું છે’.

ત્રીજું, એઓ કહે છે એમ, એમણે કર્તાને નહીં પણ કૃતિને લક્ષમાં રાખી છે. કાવ્યને વિશેની કોઈ નિશ્ચિત વિભાવનાને સમ્પ્રજ્ઞાતપણે મનમાં નથી રાખી. કેમ કે એમનો ઝોક આસ્વાદનતરફી છે, નહીં કે મૂલ્યાંકનતરફી.

ચૉથું એમણે એ દર્શાવ્યું છે કે કવિ આપણી ભાષાની ગુંજાયશને કેવી રીતે વધારતો રહ્યો છે.

એમણે એ બધું પણ બતાવવું છે કે કાવ્યબાની કેવીક ઘડાઈ છે, છન્દવિનિયોગ માટે કેવા કેવા પ્રયત્ન થયા છે, અલંકારરચનાની દૃષ્ટિમાં કેવુંક પરિવર્તન આવ્યું છે, કાવ્યત્વ કેટલી માત્રામાં સિદ્ધ થયું છે …

વગેરે વાનાંની વાતો બન્ને મિત્રો વીગતે કરવાના જ છે.

ટૂંકમાં, મનમાં એમણે આસ્વાદનું આ જાતનું એક આગવું રૂપ રાખીને આ લેખનો કર્યાં છે. સરવાળે તો, તેઓ ઇચ્છે છે કે વાચક પોતાની કલ્પનાને વ્યાપારવતી બનાવે અને કાવ્યના મર્મ સુધી આપમેળે પ્હૉંચવાને અગ્રસર થાય.

એમણે પોતાના આ કાર્યને ‘પ્રયત્ન’-થી વધારે નથી કથ્યું. અન્યાય થયો એમ લાગ્યું હોય તેઓની એમણે ક્ષમા યાચી છે. એમની એ નમ્રતાની પણ નૉંધ લેવી જોઈશે.

આ પુસ્તકનું મૂલ્યાંકન કરનારે એમના આ આસ્વાદોની તે તે કાવ્યોને સામે રાખીને સમીક્ષા કરવી જોઈશે. એમનાં આ બધાં વલણો અને આશયો સિદ્ધ થયાં છે કે કેમ તેની પણ તપાસ કરવી જોઈશે. એવા સાધાર મૂલ્યાંકન વિના પુનર્મૂલ્યાંકન કરનારાઓ જે કહેશે તે ઘણે ભાગે યદ્વાતદ્વા હશે એમ માનવાને કારણ રહે છે. એમ હું માનું છું અને ચૉક્કસ માનું છું. કેમ કે સમીક્ષાત્મક મૂલ્યાંકન વિના, અને એને સમજ્યા વિના, કદી કોઈપણ બાબતનું પુનર્મૂલ્યાંકન થાય નહીં, કરાય નહીં.

આનન્દશંકરના એ વચનને દોહરાવીને હું એ કહેવા માગું છું કે આજે ગુજરાત વિવેચનનું ભૂખ્યું છે, રસપાનનું તરસ્યું પણ છે. પરન્તુ રસવિવેચન લગભગ નથી કેમ કે રસાસ્વાદ માગે એવું ખન્તીલું ભાવન પણ હવે ભાગ્યે જ જોવા મળે છે. રચનાપ્રક્રિયાને અનુસરતા કવિ-કર્મલક્ષી વિવેચન લગી કોઈને જવલ્લે જ પ્હૉંચવું હોય છે. પરિભાષાનો પ્રશ્ન જ નથી. પરિભાષાના જાણતલો જ ઘટી ગયા છે. એટલે, શાસ્ત્રીય પરિભાષા પ્રયોજાવાને લીધે આસ્વાદકાર્યને હાનિ થાય એ ભય પણ અસ્થાને છે. દુર્બોધતાની ફરિયાદ પણ ક્યાં છે? ઘણાં બધાંને ઘણુંબધું સુબોધ લાગે છે, કેમ કે સુબોધ ઘણું લખાય છે.

સુરેશભાઈને કહી શકાય કે ગુજરાતને આસ્વાદક કે વિવેચક નામની મધ્યસ્થીની જરૂરત જ ન પડે, અને આનન્દશંકરને કહી શકાય કે વિવેચનની ભૂખ જાગે જ નહીં, એવું સ્વાયત્ત સાહિત્ય, સ્વૈર, સુબોધ, ન-અઘરું, જે વિશેષણ વાપરવું હોય, લખાઈ રહ્યું છે.

આ પરિસ્થતિ દુ:ખદ છે કે કેમ એ પ્રશ્ન છે અને એ ગમ્ભીર પ્રશ્ન છે.

= = =

(April 3, 2021: USA)

(સુજોસાફો – આયોજિત સુરેશ જોષી જન્મશતાબ્દી ઉત્સવના ૧૩-મા ઍપિસોડમાં આપેલું વક્તવ્ય)

Loading

...102030...2,0612,0622,0632,064...2,0702,0802,090...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved