Opinion Magazine
Number of visits: 9964356
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અંગ્રેજો પહેલાં ભારતમાં વ્યક્તિ સાપેક્ષ રાજ્યતંત્ર હતાં

રમેશ ઓઝા|Opinion - Opinion|7 March 2021

બીજા વિશ્વયુદ્ધ પછી આઝાદ થયેલા અન્ય દેશોની તુલનામાં ભારતનું બંધારણ નિર્વિઘ્ને ઘડાયું એની પાછળ કેટલાંક કારણો હતાં.

પહેલું કારણ એ કે અંગ્રેજો આવ્યા એ પહેલાં ભારતમાં કોઈ અખિલ ભારતીય શાસકીય/વહીવટી વ્યવસ્થા નહોતી. હકીકતમાં અખિલ ભારત નામની કોઈ ચીજ જ ભારતમાં અસ્તિત્વમાં નહોતી. દેશ અનેક રાજ્યો અને અનેક સૂબાઓ વચ્ચે વહેંચાયેલો હતો અને એ દરેક જગ્યાએ અલગ અલગ શાસકીય વ્યવસ્થા હતી. એને વ્યવસ્થા પણ કેમ કહેવાય! વ્યવસ્થાનાં કેન્દ્રમાં હંમેશાં વસ્તુતંત્ર હોય છે જેને વ્યક્તિ અનુસરે છે પછી તે શાસક હોય કે શાસિત. અંગ્રેજો આવ્યા એ પહેલાંનું શાસન આપણે ત્યાં વ્યક્તિકેન્દ્રી અથવા વ્યક્તિસાપેક્ષ હતું પછી તે શાસક હોય કે શાસિત. પેશ્વાઓના રાજમાં બ્રાહ્મણને ઝૂકતું માપ, મુસ્લિમ રાજ હોય તો મુસલમાનોને ઝૂકતું માપ, હિંદુ ક્ષત્રીય રાજવી હોય તો હિંદુઓને ઝૂકતું માપ વગેરે. ટૂંકમાં શાસક કે શાસિત નિરપેક્ષ એક સરખો કાયદો દેશની કોઈ પણ રિયાસતમાં નહોતો. અંગ્રેજો ભારતમાં આવ્યા એ પહેલાં ભારતમાં ન્યાયનું રાજ્ય હતું, રામરાજ્ય હતું એમ જો કોઈ કહેતું હોય તો એ જૂઠાણું છે.

આનું પ્રમાણ જોઈતું હોય તો નજીકના ભૂતકાળનું આપી શકાય એમ છે અને એ પણ એક નહીં, અનેક. અંગ્રેજોએ ભારતમાં એક પછી એક રાજવીઓને પરાજીત કરીને તેમનાં રાજ્યો છીનવી લીધાં હતાં અને બીજાં અનેકને ખાલસા કર્યા હતા. આમ છતાં સાડા પાંચસો કરતાં વધુ રાજ્યો ૧૮૫૭માં વિદ્રોહ થવાને કારણે ટકી ગયાં હતાં. એ દેશી રજવાડાંમાં કાયદો અને વ્યવસ્થાની કેવી સ્થિતિ હતી એ ઘરમાં કોઈ વડીલ હોય તો પૂછી જુઓ. કોઈ વ્યવસ્થા જ નહોતી. જેનું રાજ હોય એ પ્રજા કાયદાની ઉપરવટ કહેવાય એ તો હજુ આપણો ગઈ કાલનો અનુભવ છે. 

તો પહેલું કારણ હતું, શાસકીય વ્યવસ્થાનો અભાવ અર્થાત્ શાસકીય શૂન્યાવકાશ. જ્યાં સ્થાનિક સ્તરે વ્યવસ્થાનો અભાવ હોય ત્યાં અખિલ ભારતીય સ્તરે વ્યવસ્થા હોય એ તો શક્ય જ નહોતું. આને કારણે અંગ્રેજો જ્યારે વ્યાપારી બનીને શાસક થયા ત્યારે તેમને વ્યવસ્થાના અભાવમાં નવી વ્યવસ્થા લાગુ કરવામાં ખાસ કોઈ મુશ્કેલી નહોતી નડી. લોકોના પ્રતિકારનો સામનો કરવાનો ત્યારે આવે જ્યારે તેમની સ્થાપિત થઈ ગયેલી વ્યવસ્થા સાથે ચેડાં કરવામાં આવે. તેમના ઉપર નવી વ્યવસ્થા લાદવામાં આવે. ભારતમાં કોઈ વ્યવસ્થા જ નહોતી એટલે અંગ્રેજો માટે નવી અખિલ ભારતીય શાસન વ્યવસ્થા લાગુ કરવામાં મુશ્કેલી નહોતી નડી.

બીજું કારણ એ કે ભારતમાં જે શાસનવ્યવસ્થા હતી એ રાજકીય નહોતી પણ સામાજિક હતી અને તેના કેન્દ્રમાં ગામડું હતું. લોકો ગ્રામીણ સ્તરે, જ્ઞાતિઓની પંચાયતો દ્વારા સામાજિક રીતરિવાજોથી શાસિત હતા. રાજકીય વ્યવસ્થાની તુલનામાં સામાજિક વ્યવસ્થા પ્રમાણમાં વધારે વસ્તુકેન્દ્રી હતી. વિધવાના પુનર્લગ્ન ન થવા જોઈએ એવો જો જ્ઞાતિનો કાયદો હોય તો પછી એ વિધવા શાહુકારની હોય કે ગરીબની એનાથી કોઈ ફરક નહોતો પડતો. બન્ને માટે એક જ કાયદો હતો. અથવા કન્યા રજસ્વલા થાય એ પહેલાં લગ્ન થવાં જોઈએ (બાળવિવાહ) એવો જો કાયદો હોય તો એમાં વ્યક્તિની પ્રતિષ્ઠા કે વગ જોઇને અપવાદ કરવામાં નહોતો આવતો. આવા તો અનેક રીતરિવાજ હતા જે લોકો પાળતા હતા, પળાવવામાં આવતા હતા અને જો કોઈ તેનો ભંગ કરે તો સજા કરવામાં આવતી હતી.

તો કહેવાનું તાત્પર્ય એ કે ભારતમાં જે શાસકીય વ્યવસ્થા હતી એ સામાજિક હતી અને ગ્રામીણસ્તરની હતી. સમગ્ર રાજ્યને આવરી લેતી હોય એવી કોઈ રાજકીય વ્યવસ્થા જ નહોતી. જે રાજકીય વ્યવસ્થા હતી એ વ્યક્તિસાપેક્ષ હતી અને માટે તેને ‘વ્યવસ્થા’ ન કહી શકાય જ્યારે સામાજિક વ્યવસ્થા વ્યક્તિનિરપેક્ષ હતી અને માટે તે એક ‘વ્યવસ્થા’ હતી. આને કારણે હમણાં કહ્યું એમ અંગ્રેજોને નવી રાજકીય વ્યવસ્થા દાખલ કરવામાં લોકોના પ્રતિકારનો સામનો નહોતો કરવો પડ્યો પણ, સામાજિક વ્યવસ્થા સાથે ચેડાં કરવામાં લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. ૧૮૫૭ના વિદ્રોહ પાછળનું મુખ્ય કારણ રાજકીય હતું એનાં કરતાં સામાજિક વધારે હતું. ૧૮૫૭ના વિદ્રોહ પછી અંગ્રેજોએ સામાજિક કુરિવાજો ઉપર પ્રતિબંધ મૂકવાનું બંધ કરી દીધું હતું. જો ૧૮૫૭ની ઘટના ન બની હોત તો શરીર ઉપરનાં ગુમડાં સમાન બાકી રહેલાં રજવાડાંઓ ખતમ થઈ ગયાં હોત અને અન્યાયકારી સામાજિક વ્યવસ્થાનો ઢાંચો પણ ઠીકઠીક પ્રમાણમાં તૂટી ગયો હોત.

અહીં ગાંધીજી અને ડૉ. આંબેડકર વચ્ચેના મતભેદની નોંધ લેવી જોઈએ. ગાંધીજી ગ્રામસ્વરાજની હિમાયત કરતા હતા એ જોઇને આંબેડકરને ડર લાગતો હતો. એ ઠીક છે કે ગામડું સ્વાયત્ત હોવું જોઈએ, ગામડું આત્મનિર્ભર હોવું જોઈએ, ગામડાંની પ્રજાએ શહેરી સુખ-સુવિધાઓની પાછળ નહીં દોડવું જોઈએ અને શહેરી સુખ-સુવિધાઓ ગામડાંના શોષણ પર આધારિત ન હોવી જોઈએ વગેરે બધું જ સ્વીકાર્ય; પણ એમાં સ્ત્રીઓનું અને નીચલી પ્રજાનું શોષણ થાય છે એનું શું? વ્યવસ્થાના કેન્દ્રમાં માનવ હોવો જોઈએ કે ગામડું? વ્યવસ્થાના  કેન્દ્રમાં ન્યાય હોવો જોઈએ કે કહેવાતી આત્મનિર્ભરતા અને સ્વાયત્તતા? આદર્શ વ્યવસ્થા ન્યાયઆધારિત ન હોય તો એને આદર્શ કેમ કહી શકાય!

ડૉ. આંબેડકરને ડર હતો કે દેશમાં અને કૉન્ગ્રેસ ઉપર ગાંધીજીનો પ્રભાવ જોતા આઝાદ ભારતના બંધારણમાં ગામડાંને જો શાસકીય સ્વાયત્તતા આપવામાં આવશે તો દલિતોનું શું થશે? સ્ત્રીઓનું શું થશે? બીજા નીચલા વરણનું શું થશે? માટે તેમણે દલિતોને સલાહ આપી હતી કે તેમણે ગામડાં છોડીને શહેરોમાં સ્થળાંતરિત થવું જોઈએ. શહેરોમાં તમે રાજકીય કાયદાઓ દ્વારા શાસિત થશો, પણ જો ગામડાંમાં રહેશો તો તમને સામાજિક કાયદાઓ દ્વારા શાસિત કરવામાં આવશે; જેમાં ન્યાય નહીં હોય, સમાનતા નહીં હોય અને ધા નાખવા માટે (અપીલ કરવા માટે) કોઈ જગ્યા નહીં હોય.

જેમ રાજકીય-શાસકીય વ્યવસ્થા વિકસાવવામાં અંગ્રેજોને ડર નહોતો લાગ્યો પણ સામાજિક વ્યવસ્થાને હાથ લગાડતા અંગ્રેજોના હાથ દાઝ્યા હતા એમ ડૉ. આંબેડકરને પણ ગામડાંની સ્વાયત્તતાનો ડર લાગતો હતો, રાજકીય બાબતે તેઓ લગભગ નિશ્ચિત હતા. તેઓ સામાજિક રીતરિવાજોને માણસાઈના ત્રાજવે તોળીને તેને શાસકીય સ્વરૂપ આપવા માગતા હતા. અહીં ગાંધીજીને ન્યાય આપવા માટે એટલું કહેવું જોઈએ કે ગાંધીજીએ અન્યાયી સામાજિક રીતરિવાજોનો બચાવ નહોતો કર્યો અને તે સ્વાયત્ત આત્મનિર્ભર ગામડાંમાં એ જળવાઈ રહે એમ ક્યારેય નહોતું કહ્યું.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 07 માર્ચ 2021

Loading

આ મુશ્કેલ સમયમાં (55)

સુમન શાહ|Opinion - Opinion|7 March 2021

‘ડોનેટ બુક્સ’ એવું મેં પહેલી વાર સાંભળ્યું – પુસ્તકોનું દાન કરો.

સારું લાગ્યું. એક રીતે જોતાં, એ વિદ્યાદાન છે, પુણ્યનું કામ કહેવાય. વાંચવાની તીવ્ર ઈચ્છા હોય, પણ પુસ્તક ખરીદવાની પ્હૉંચ ન હોય, નજીકમાં પુસ્તકાલય ન હોય, એ વ્યક્તિને પુસ્તકનું કોઈ દાન કરે, એથી રૂડું શું?

અમદાવાદમાં મહિનાના અમુક દિવસે પુસ્તકની ‘પરબ’ મંડાય છે. આમ્સ્ટર્ડામમાં લોકો પોતાના ઘરના ઓટલે પુસ્તકો મૂકી દે છે – જેને જે ગમે, ફ્રીમાં લઈ જઈ શકે છે. અમેરિકામાં કેટલીક લાઈબ્રેરીઓ અમુક પુસ્તકો નાખી દેવાના ભાવે વેચે છે. કશું મફતમાં આપવું એ દેશને નથી ગમતું.

એટલે, ‘ડોનેટ બુક્સ’ પ્રયોગ ગમ્યો. પણ પછી થોડીક અકળામણ થઈ. હું માલિયાને ૧૦ પુસ્તકોનું દાન કરું. એ ૧૦નું દાન માલિયો પોતાને ત્યાંનાં ૧૦ ઉમેરીને આલિયાને કરે. અને એ ૨૦નું દાન આલિયો પોતાનાં ૧૦ ઉમેરીને કોઈ ટૉમ ડિક કે હૅરિને કરે … એમ દાન-પ્રવાહ વિસ્તરતો ચાલ્યા કરે.  દાનવીરોને સંતોષ થાય.

એ બધું, માનો કે બરાબર છે, પણ એ બધાં પુસ્તકો છેલ્લે કોની પાસે જાય? પસ્તીવાળા પાસે; સાવ છેલ્લે, પેપરમિલમાં ! કાગળ પર છપાયેલું ભાવજગત અને જ્ઞાનજગત કાયમ માટે ખતમ થઈ જાય. કાગળના કૂચાભેગો એનો ય કૂચો !

એક કહેવત છે – ‘બાઈ બાઈ ચાળણી કિસ કે ઘેર’. આ કહેવત મારી બા અવારનવાર વાપરતી. (‘બાઈ બાઈ ચાળણી’ નામની એક રમત પણ છે). એ જમાનામાં અડોશપડોશમાં વાટકી-વ્હૅવાર તો ખરો જ પણ ચીજવસ્તુઓની આપ-લેનો વ્યવહાર પણ બહુ ચાલતો. રમીબેનને ત્યાં સૂપડું ભાંગી ગયું હોય ને તાત્કાલિક જરૂર પડી હોય તો શમીબેનને ત્યાં જઈને માગી શકે. શમીબેનને ત્યાં ચાળણી જડતી ન હોય અને ચાળ્યા વિના ચાલે એવું ન હોય તો એ રમીબેનને ત્યાં જઈને માગી શકે. બને એવું કે એ પછી એ જ ચાળણી ભીખીબેન લઈ ગયાં હોય ને ભીખીબેન પાસેથી એ જ ચાળણી જીવકોરબા લઈ ગયાં હોય ને પછી પણ કોઈ બીજાં બેન કે બીજાં બા …

આ બધી બાઈઓ વચ્ચે ફરતી થઈ ગયેલી એ ચાળણી બિચારી છેલ્લે કિસ કે ઘેર, એની ખબર ન પડે. 

કોઈ વાતે જવાબદાર ન હોઈએ બલકે સરળ હોઈએ ને હળવાશ ને સલુકાઈથી, થાય એ થવા દઈએ એથી વિમાસણ થાય પણ રમૂજ પણ થાય – એ બધું આ કહેવતથી સૂચવાય છે.

પુસ્તકદાન વિશે, એવું બને કે – બાઈ બાઈ ચૉપડી કિસ કે ઘેર … મારે એક વાર એવું બનેલું. મારું “સુરેશ જોષીથી સુરેશ જોષી” પુસ્તક મેં એક વિદ્વાનને દાન કરેલું ન જ કહેવાય, મારે કહેવું જોઈએ કે મેં ભેટ આપેલું. પણ એ એમણે કોઈ બીજાને આપ્યું હશે અથવા બીજો વાંચવા લઈ ગયો હશે ને એ બીજાએ કોઈ ત્રીજાને આપ્યું હશે અથવા એ ત્રીજો વાંચવા લઈ ગયો હશે. છેલ્લે એ પુસ્તક એક જાહેર લાઈબ્રેરીમાં પ્હૉંચી ગયેલું. પહેલી આવૃત્તિની એ વિરલ નકલ હતી. મને એ વાતની ખબર ન પડત પણ મને એ જ આવૃત્તિની ખાસ જરૂર પડેલી. ઘરમાં એની નકલ હતી નહીં. મેં મારા વિદ્યાર્થીમિત્રને કહેલું કે લાઈબ્રેરીમાં જા ને લઈ આવ. એ લાવ્યો ને મેં જોયું તો એ એ જ નકલ હતી જે મેં પેલા વિદ્વાનને ભેટ કરેલી ! પુસ્તકના પહેલા કોરા પાને વિદ્વાનશ્રીનું શુભ નામ ને ‘સપ્રેમ’ લખીને મેં કરેલી ‘સુમન શાહ’ સહી, નીચે તારીખ, બરાબર એમ જ હતાં !

મને સારું લાગેલું – જાણે સાંજ પડતાં ગાય ધણીને ત્યાં પાછી આવી ! પણ બીજી જ પળે સારું નહીં લાગેલું, ખાવાનું ભાવેલું નહીં. મને વ્હૅમ પડેલો કે એમણે વાંચ્યું જ નહીં હોય; લાઇબ્રેરીમાં જાતે જ પધરાવી આવ્યા હશે!

કોઇએ મને શર્ટ ભેટમાં આપ્યું હોય, હું એને પ્હૅરી બતાવું – મને અને એને, બન્નેને, કેટલું સારું લાગે ! પણ એ શર્ટ હું પ્હૅરું જ નહીં ને કોઈ બીજાને આપી દઉં તો? તો તો એ બેવફાઈ કહેવાય, પેલાની મશ્કરી ! મને થયેલું, વિદ્વત્તા આવી બેશરમ શી રીતે હોઈ શકે.

કહેવાય છે – સુપાત્રે દાન. દાન મેળવનારને પાતા કહેવાય. પાતા સુપાત્ર હોવો જોઈએ. પણ પાતા એમ છે કે કેમ તેની ખાતરી કર્યા વિના તમે ‘ડોનેટ બુક્સ’ સુવચનને વરીને દાન પર દાન કર્યા કરો, એનો અર્થ શું? એ જ કે વધી પડેલાં કે અણગમતાં કે બિનજરૂરી પુસ્તકો તમે બીજાને વળગાડ્યાં, તમારે ત્યાં સાફસૂફી કરી !

સુપાત્ર પાતાથી કે વિદ્વાનથી જો પુસ્તક ફાટી ગયું હોય કે ખોવાઈ ગયું હોય તો નકલ ખરીદીને પણ પાછું આપી જાય છે – નવું પૂઠું ચડાવીને. પણ ગુણિયલ પાતા કે વિદ્વાન તો એ છે જે વાંચીને પુસ્તકને પોતાના મન-હૃદયમાં વસાવી લે છે. મન-હૃદયમાં વસાવીએ તે પુસ્તક, બાકી તો, છાપેલા ને બાંધેલા કાગળ !

પુસ્તક જાંગડથી પણ અપાતાં હોય છે. અજમાવી જોવાનું. મુમ્બઈવાળા મારા મિત્ર મહેન્દ્રભાઈ થૅલો ભરીને આવે ને હું પસંદ કરું એટલાં મૂકી જાય. બીજી વાર આવે ત્યારે મેં અજમાવી જોયેલાં પુસ્તકોનો હિસાબ થાય. ડોનેટ; પણ બેટર એ કહેવાશે – ગિવ અ ટ્રાય. ડોનેટ; પણ બેટર એ કહેવાશે – બાય બુક્સ. પોતાના પૈસે ખરીદો. ડોનેટ; પણ બેટર એ કહેવાશે – ગિફ્ટ બુક્સ. ભેટમાં આપો. બૉરો બુક્સ. ઉછીપાછી કરો. લૅન્ડ બુક્સ. ઉધારી કરો. એમ પણ કહેવાયું છે – સ્ટીલ બુક્સ. ચોરીચપાટી કરો.

પણ બેસ્ટ તો એ જ કહેવાશે – રીડ બુક્સ. જ્યારે જ્યાંથી મળે, બસ વાંચો, વંચાય એટલું વાંચો, વારંવાર વાંચો. બુકસ આર મેડ ટુ રીડ.

દુનિયાના મહાન સાહિત્યકારોએ પોતાના પુરોગામી મહાન સાહિત્યકારોને વાંચ્યા હોય છે. અત્યારે મને દૃષ્ટાન્ત યાદ આવે છે, દૉસ્તોએવસ્કીનું. એમની સૃષ્ટિ દર્શાવે છે કે એમણે શેકસ્પીયરને ઝીલ્યા છે, પચાવ્યા છે. અરે, એમણે પોતા માટે શેક્સપીયરનો સ્કૅચ કરેલો ! એ દૉસ્તોએવસ્કીને વર્જિનિયા વૂલ્ફે વાંચ્યા છે. વર્જિનિયાની સૃષ્ટિને ઍલન જિન્સબર્ગથી માંડીને બૅકેટ કે માર્ક્વેઝ જેવા મહાન સાહિત્યકારોએ પચાવી છે. મહાકવિ વાલ્મીકિને તુલસીદાસે તેમ જ રવીન્દ્રનાથે માત્ર વાંચ્યા નથી, હૃદયસ્થ કર્યા છે, ચિત્તસાત્ કર્યા છે. અને રવીન્દ્રનાથને તો કેટલા બધા સાહિત્યકારોએ …

હું હમેશાં મારા વિદ્યાર્થીઓને કહેતો, ઘાસફૂસ જેવા લેખકોને ન વાંચો, ન-છૂટકે વાંચવા પડ્યા હોય, તરત ભૂલી જાઓ. નીવડેલા મહાનને જ વાંચો. મહાન પુરોગામીઓ પાસેથી હમેશાં ઘણું શીખી શકાય છે.

Picture Courtesy: 123RF

જો કે મારો પ્રિય કવિ રુમિ એટલે લગી કહે છે કે દોસ્ત, વાંચીને તું શીખી શકીશ ખરો, પણ સમજી નહીં શકે. પુસ્તકને સમજવા પ્રેમ જોઈશે. વાત સાચી છે, પ્રેમથી વાંચીએ છીએ તો જ પમાય છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રી જ્યારે એમ કહે છે કે કાવ્ય કાન્તાની જેમ ઉપદેશ આપે છે, ત્યારે એ એમ પણ સૂચવે છે કે વાચકે કાન્તની જેમ કાન્તાને કાન ધરવો જોઈશે. કાવ્યને રસથી સાંભળવું જોઈશે. સાચું છે, જડભરતની જેમ ઉતાવળે ઉતાવળે પતાવી જાય એ કેમ ચાલે?

કાન્તા એટલે પ્રિયા, કાન્ત એટલે પ્રિયતમ. પ્રિયતમ પ્રિયાને કે પ્રિયા પ્રિયતમને વાંચી બતાવે અને  બન્ને વ્હાલથી એકમેકને સમજાવે, ભલે ને સૂતાં સૂતાં, એ સુખદાયી ઘટના આ મુશ્કેલ સમયમાં પણ સહજ છે – જો દાનત હોય તો.

= = =

(March 6, 2021: USA)

Loading

બુરખા સંસ્કૃતિ

પ્રવીણકાન્ત શાસ્ત્રી|Opinion - Opinion|6 March 2021

“આપ, આપ જોશી સાહેબને?”

મૉલને બાંકડે પત્ની મંજુલાબહેન સાથે સજળ નેત્રે બેઠેલા વૃદ્ધ અરુણભાઈ જોશીને જોતાં દીપકે પૂછ્યું, “આપ જોશી સાહેબને?”

“ભાઈ, સાહેબ મટી ગયાને તો વર્ષો વીતી ગયાં. અત્યારે તો હું માત્ર અરુણ જોશી જ. પણ આપ કોણ.”

“હું દીપક શાહ. સાહેબ હું હાઈ સ્કૂલમાં ચાર વર્ષ આપની પાસે જ મેથ્સ ભણ્યો છું. હું બોસ્ટનમાં રહું છું અને અહીં કોન્ફરન્સમાં આવ્યો છું. આપ ક્યારે અમેરિકા આવ્યા?” દીપકે એમની બાજુમાં બેસતા પૂછ્યું.

“સાહેબ, આપ કંઈક અસ્વસ્થ જણાવ છો. કંઈ તકલીફ તો નથી ને?”

અરુણભાઈની ભીની આંખો રૂમાલથી લુછાઈ ગઈ. અરુણભાઈને બદલે મંજુલાબહેને જવાબ વાળ્યો.

“દીપકભાઈ, અમને અહીં આવ્યાને તો ઘણાં વર્ષો થઈ ગયાં. ભગવાનની દયાથી સુખી છીએ. એમને પણ તક્લીફ તો કંઈ નથી પણ એમને એમના સ્વભાવનું દુઃખ છે.”

“આપને હું માસી કહું તો વાંધો નથી ને? માસી, ચાલો આપણે સામેના ફૂડમાર્ટમાં બેસીને નાસ્તો કરતાં વાતો કરીએ. ચાલો, સાહેબ.”

“ભાઈ, અમે તો મૉલની સામેના કોમ્પ્લેક્ષમાં જ રહીએ છીએ. પગ છૂટા કરવા રોજ મૉલમાં આવીને બેસીએ છીએ. ચાલો, આપણે ઘરે જ ચા નાસ્તો કરીએ.” મંજુલાબહેન સરળતાથી અજાણ્યાને પણ પોતાના બનાવી દેવાની આવડતવાળાં હતાં.

અરુણભાઈના હાથ નીચે ઘણા વિદ્યાર્થીઓ ભણી ગયા હતા. વિદ્યાર્થીઓને શિક્ષકો યાદ રહે. શિક્ષકોને બધા જ વિદ્યાર્થી યાદ રહે એ શક્ય નથી હોતું. અરુણભાઈએ સ્મૃતિ જાગૃત કરવા પ્રયાસ કર્યો અને ખ્યાલ આવ્યો. દીપક શાહ, એડવોકેટ મનોહર શાહનો પુત્ર હતો. જેને ત્યાં એ બે વર્ષ ટ્યૂશન આપવા જતા હતા. હા બરાબર, એ જ દીપક. પણ એ હવે ટીનેજર દીપક નહોતો. એણે પણ પચાસ દાયકા પૂરા કર્યા હતા. અરુણભાઈએ માયાળુ આગ્રહ કર્યો. “ચાલો, દીપકભાઈ, ઘરે બેસીને જૂની વાતો યાદ કરીએ.”

મંજુલાબહેને બનાવેલાં ચા નાસ્તાને ન્યાય આપતા ખબર અંતરની ઔપચારિક વાતો ચાલતી રહી.

“સાહેબ, સાંભળ્યું હતું કે આપ સ્કૂલની નોકરી છોડીને કોઈ કંપનીમા જોડાયા હતા, ખરું ને!”

“હા, કંપનીમાં જોડાયો. મારો નાનો સાવકો ભાઈ સ્કૂલમાં ભણતો હતો. મારે માટે સાવકો ન હતો. મારા લગ્ન થયા અને અમેરિકા આવવાની તક મળી. લાયકાત કરતાં સફળતા પણ સારી મળી. હવે તો નિવૃત્ત જીવનનો આનંદ માણીએ છીએ.”

“સાહેબ, મેં જ્યારે આપને દૂરથી જોયા ત્યારે મને લાગ્યું કે કોઈ વયસ્ક દંપતી મુશ્કેલીમાં લાગે છે. પાસે આવ્યો ત્યારે જ ખબર પડી કે આપ છો. આપની આંખોમાંથી ગંગા જમુના વહેતી હતી.”

 …. અને જોશી સાહેબે ફરી આંખો સાફ કરી.

‘દીપકભાઈ, વાતમાં કઈ ખાસ દમ નથી. એમનું મન હવે આળું થઈ ગયું છે. નાની નાની વાતમાં સંવેદનશીલ થઈને રડવા માંડે છે. એમણે એના ‘નાના ભાઈને સ્પોન્સર કર્યા હતા. એ અહીં અમેરિકા આવી ગયા તે ખબર પણ અમને ખૂબ મોડી પડી. સીધા એના દીકરાને ત્યાં જ ગયા હતા. મારા ભત્રીજાને પણ અમે જ સ્પોન્સર કર્યો હતો. એ અહીં આવ્યો. એકાદ વર્ષ અમારી સાથે રહ્યો. અને એક દિવસ અચાનક થોડા કાગળો લઈને અમારી પાસે આવ્યો. કહે કે કાકા, આજે ક્લોઝીંગ છે. બાર હજાર ખૂટે છે. ચેક લખી આપોને! ક્યારે, ક્યાં, કેવું ઘર લીધું તેની છેલ્લે સુધી જાણ પણ ન કરી. નાનાભાઈ માટે પણ સ્પોન્સર થયા હતા. તમે તો જાણો છો કે જ્યારે સ્પોન્સર થઈએ એટલે આપણી બધી જ આર્થિક વાતો સગાંવ્હાલાં જાણતાં થઈ જાય. આપણી સાથે રહે એટલે અહીંના તાળાં-કૂચી વગરના ઘરના ખૂણા ખાંચરાથી માહિતગાર થઈ જાય. એ જ સ્વજનો, જ્યારે પોતાની વાતો, ઈરાદાપૂર્વક છુપાવે અથવા તો પાનાની રમત હોય તેમ છેક છેલ્લી ઘડીએ પાનું ખોલે ત્યારે મન દુઃખ થાય.’

‘હવે ભાઈને દીકરાઓ સાથે ફાવતું નથી. ગઈ કાલે ફોન આવ્યો. ઇન્ડિયા પાછા જવું છે. દીકરો ટિકિટના પૈસા આપવામાં ગાળિયા કાઢે છે.  કહે કે કાકા પાસે માંગો.’

‘તમારા સાહેબ બધા સાથે ખુલ્લા મને વાત કરે છે. જ્યારે બધા કહેવાતા સ્વજનો સ્વાર્થ પૂરતો જ સંબંધ રાખે છે. સામાન્ય ગણાતી વાતો સાહજિક રીતે જણાવવામાં પણ મનચોરી રાખે છે. પણ તમારા સાહેબ સમજતા નથી. એમને એવી અપેક્ષા છે કે સ્વજનોની વાત ગામ જાણે તે પહેલાં એમની જણાવવી જોઈએ. લો કરો વાત. તમારા સાહેબને સમજાવો કે દુનિયા બદલાઈ ગઈ છે. આજે અમારી પાસે અમારું કોઈ નથી એવો ખોટો બળાપો કરવાનો કોઈ જ અર્થ નથી.’

‘આજે ભત્રીજો ક્યાં નોકરી-ધંધો કરે છે તે પણ અમને ખબર નથી.  બસ, સવારે જ ભાઈને ચેક મોકલી આપ્યો. લખ્યું હતું પાછો જા, ભઈલા. તો જ સુખી થશે.’

‘ભત્રીજા આવતા પહેલાં અમે નાના કોન્ડોમાં સુખથી રહેતા હતાં. પરિવાર સાથે આવતા ભત્રીજાથી કોન્ડોમાં ન રહેવાય. નિયમો ના પાડે : એટલે હરખાઈને આ મોટું ઘર લીધું. આજે ત્રણ વર્ષથી વેચવા પ્રયત્ન કરીએ છીએ પણ વેચાતું નથી એટલે પણ તમારા સાહેબને ડિપ્રેશન લાગ્યા કરે છે.  દીપકભાઈ, તમારા સાહેબને કંઈ સમજાવો ને’

“માસી, આપના પોતાના કંઈ સંતાન?”

“હા છે ને! એક દીકરી છે. એ કેલિફોર્નિયામાં છે. સુખી છે. ભત્રીજાના અમેરિકા આવ્યા પછી દીકરી જમાઈએ પણ અમારી સાથેનો સંપર્ક મર્યાદિત કરી દીધો છે. અમારા જમાઈને ખાસ અમારા ભત્રીજા સાથે ફાવતું નથી. દૂર છે. ટોળું ઊભું કરવું હોય તો ઘણાં છે.  વાસ્તવમાં અમારું કોઈ જ નથી.”

અરુણભાઈ કશું બોલતા ન હતા. માસી અરુણભાઈની વ્યથા અર્થ વગરની છે એમ માનતાં હોવા છતાં દીપક શાહ આગળ મન મોકળું કરતાં હતાં. જે રીતે ટ્રેઈનના સહપ્રવાસી સાથે વાત કરતા હોય તેમ દીપક શાહ સાથે વાતો કરતાં હતાં; કારણ કે દીપક શાહ માત્ર ભૂતકાળના પચિરિત વ્યક્તિ હતા. આજના જીવન સાથે કે એમને પોતાના સંબંધીઓ સાથે કોઈ જ સંબંધ ન હતો. હવે ફરીથી દીપક શાહ ક્યારે મળશે તે પણ નિશ્ચિત ન હતું. પતિની મનોદશાની વાત કરીને પોતાના મનનો ભાર હલકો કર્યો. માસી હળવાં થઈ ગયાં. અરુણભાઈ પોતાનો પરિતાપ વ્યક્ત ન કરી શક્યા. ગળતા રહ્યા, અંદર અંદર ઘૂંટાતા રહ્યા. માનસિક પરિતાપમાં પિસાતા રહ્યા.

“સાહેબ, માસીની વાત સાચી છે. આપને જે દુઃખ છે તે અપેક્ષાઓનું દુઃખ છે. તમે પચાસ વર્ષ પહેલાની ઇન્ડિયાની સંસ્કૃતિમાં જીવો છો. તમારા સમયમાં પોળોના ઘરોના દરવાજા-બારણાં બારી ખુલ્લા રહેતા હતા. બહારથી ઘરનું વાસ્તવિક જીવન બધાથી જોઈ શકાતું હતું. આજે સમય બદલાઈ ગયો છે. બારણા બારીને જાળી અને પડદા લાગી ગયા છે. પડદો ખસેડીને છાનામાના બીજાનું જીવન જાણવું છે અને પોતાની ગુપ્તતા સાચવવી છે. આ થઈ ગૃહજીવનની વાત. સ્વજન સાથે મન હૃદય પર પણ પડદા લાગી ગયા છે. ‘ડોન્ટ આસ્ક ડોન્ટ ટેલ’ કલ્ચર આવી ગયું છે. હું આને બુરખા સંસ્કૃતિ કહું છું. આંખ આડેની જાળીમાંથી જગતને જોવું પણ બુરખામાં પોતાની નગ્નતા સંતાડી રાખવી. સાહેબ, આપ તો વડીલ છો. આપને હું શીખામણ ન આપી શકું. હું તો આપને જમાનાનો વાસ્તવિક ચિતાર જ આપું છું.”

“હું વકીલાતના ધંધામાં છું. આપની માનસિક વેદના સમજી શકું છું. ઘણાના જીવતર જાણ્યા છે. હું પોતે પણ એમાંથી અલિપ્ત નથી. સાહેબ, હું પણ સત્તાવનનો થયો. માત્ર એક સંતાન, દીકરો. લગ્ન થયા. મારી પત્નીની મરજી વિરુદ્ધ મેં એને એનું પોતાનું મકાન કરી આપ્યું. માત્ર એક જ વર્ષમાં અમને જાણ કર્યા વગર નજીકનું ઘર વેચી દીધું. બીજા સ્ટેટમાં મુવ થઈ જવાના આગલા દિવસે મળવા આવ્યો ત્યારે ખબર પડી.”

“અમારી વચ્ચે કોઈ તકરાર કે અણબનાવ નથી. માત્ર આ આજની જીવનશૈલી છે. ભલે. એ લોકો સુખી છે. મારી પત્ની બે વર્ષ પહેલાં જ ગુજરી ગઈ. ત્રણ દિવસ એ આવી ગયો. વહુથી આવી શકાયું નહીં. ચોથે દિવસે ઘરમાં હું એકલો. મને મનમાં એમ કે દીકરો વહુ મને કહેશે કે ડેડી, તમારી અહીંની પ્રેકટિશ બીજા લોયરને વેચીને મારી સાથે આવી જાવ. એકલા રહીને શું કરશો? પણ માનસિક અપેક્ષા અધૂરી જ રહી. દીકરો પણ લોયર છે. અરે થોડા દિવસ એમની સાથે રહેવા માટે વિવેક પણ ન કર્યો. માસી, આપ તો આપના ભત્રીજાની વાત કરો પણ મારી તો પોતાના ઉછેરેલા દીકરાની વાત છે."

“પહેલા તો ખૂબ જ દુઃખ થયું. હવે થોડો નફ્ફટ થઈ ગયો છું. દીકરા પાસે કોઈ અપેક્ષા નથી. દીકરા-વહુ સાથે કોઈ પૂર્વગ્રહ નથી. ભગવાન અને આપના જેવા વડીલોના આશિષથી ધંધો સારો ચાલે છે. સુખી છું. મેં મારા જીવનને કુટુંબના નાના વર્તુળમાં બાંધી નથી રાખ્યું. જુદી જુદી ક્લબમાં મેમ્બર થયો છું. દીકરો જાણે છે કે હું સુખી છું. મેં માનસિક પરિતાપો પર હાસ્યનો બુરખો પહેરાવી દીધો છે.”

“સાહેબ, હું જોઈ શકું છું કે આજીવન પુરુષાર્થ પછી આપના જીવન માટે જે હશે તે પૂરતું હશે. આપ કહેવાતા સ્વજનોની આંધળી માયાથી મુક્ત થઈ જાવ. આપોઆપ એમના તરફની આપની અપેક્ષાઓ દૂર થઈ જશે. જૂના સંબંધોના ખાબોચિયામા જીવવા કરતાં હંગામી, પણ વહેતા સંબધ વધુ સ્વચ્છ હોય તે મારા જાત અનુભવથી શીખ્યો છું. સાહેબ, ચિંતા છોડો. મંદીના દિવસો પૂરા થયા છે. રિયલ એસ્ટેટ માર્કેટ પણ સુધરતું જાય છે. થોડા સમયમાં ઘર પણ વેચાશે. મારી આજે રાતની ફ્લાઈટ છે. હું નીકળી જઈશ. આ મારો કાર્ડ છે. તમે મને તમારી અનુકૂળતા પ્રમાણે ફોન કરજો. હું આવીને તમને લઈ જઈશ. આપને બોસ્ટનની ફ્રેશ એરની જરૂર છે.”

દીપક શાહ, એક સમયના વિદ્યાર્થીએ ગુરુને આજનું બુરખાશાત્ર સમજાવ્યું, ચરણ સ્પર્શ કરી વિદાય લીધી.

સૌજન્ય : પ્રવીણકાન્તભાઈ શાસ્ત્રીની ફેઇસબૂક દિવાલેથી સાદર; 03 માર્ચ 2021

Loading

...102030...2,0892,0902,0912,092...2,1002,1102,120...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved