Opinion Magazine
Number of visits: 9964508
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ દેશને અભણ કરતાં શિક્ષિતોએ વધુ હાનિ પહોંચાડી છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|5 March 2021

એક પરિચિતની દીકરી વિદેશમાં નોકરી શોધી ત્યાં જ સ્થાયી થવા વિચારે છે. વિદેશ જવાનું કારણ શું, તો કે અહીં લાયકાત પ્રમાણે નોકરી મળે એમ નથી ને મળે તો ખાનગીમાં પગાર ઓછો ને મજૂરી વધારે છે. આ ઉપરાંત ઓળખાણ ન હોય તો ઈન્ટરવ્યૂ આપીને અહીં જ આધેડ થઈ જવાય એવી સ્થિતિ છે. ઘણા યુવાનો આ રીતે વિચારે છે ને વર્તે પણ છે. એવા દિવસો આવી રહ્યા છે કે યુવાધન, અહીં ભણીને વિદેશમાં સ્થાયી થઈ જાય. વસતિના પ્રમાણમાં, વિશ્વમાં સૌથી વધુ યુવાનો અત્યારે ભારતમાં છે, એ સાચું હોય તો આ યુવાધનને સાચવવાની તૈયારી સરકારોની જણાતી નથી.

યુવાનો પણ એટલા સુખાળવા છે કે કોઈ પણ રીતે વધુ કમાણી કેવી રીતે થાય એ સિવાય ભાગ્યે જ બીજું વિચારે છે. ઘણા એવા છે જે અહીં ભ્રષ્ટતા આચરીને વિદેશ જવાની સ્થિતિમાં આવ્યા છે ને હવે એમને અહીં ભ્રષ્ટાચાર દેખાય છે. હશે, અત્યારે કોઈ પણ રીતે વધારેને વધારે કમાવું એ જ સૌનું લક્ષ્ય હોય ત્યારે માત્ર યુવાનોને દોષ દેવાનો કોઈ અર્થ નથી.

ગુજરાતનું નવું બજેટ આવી ગયું, એમાં નવી નોકરીઓ લાખોની સંખ્યામાં આપવાની વાત છે જ, બજેટનું એવું છે કે એમાં જૂના વાયદાઓ બહુ પાળવાના હોતા નથી ને નવા વાયદાઓ જૂના થાય ત્યાં તો નવું બજેટ આવી જાય છે, એટલે “નવી ગિલ્લી નવો દાવ” જ યાદ રાખવાનું રહે છે. આ વખતે ગુજરાતે પાંચ વર્ષમાં સરકારી – અર્ધસરકારી ક્ષેત્રે બે લાખને અને ખાનગી ક્ષેત્રે વીસ લાખને નોકરી આપવાની વાત કરી છે, પણ આ તો પ્રધાન છે, વાતો તો કરે જ ને ! જે દેશના નાણા મંત્રી 18 લાખની વાર્ષિક આવકવાળાને લોઅર મિડલ ક્લાસમાં મૂકતા હોય તે દેશની સમૃદ્ધિ અમેરિકાથી ચડિયાતી હોય એમાં નવાઈ નથી. અરે ! અમેરિકા જેવાને 15 લાખ કરોડની લોન ભારત આપતું હોય એ દેશમાં ગરીબો હોય જ કેવી રીતે? એ જુદી વાત છે કે આર્થિક સંકડામણને કારણે વડોદરાનું આખેઆખું કુટુંબ ઝેર પી લે કે કોઈ યુવક કે યુવતી નોકરી ન હોવાને કારણે પાંચમે માળેથી કે પુલ પરથી છલાંગ લગાવી દે. આવી ક્મોતની સંખ્યા વધારે હોય તો પણ વસતિનાં પ્રમાણમાં સત્તાધીશોને તે ઓછી જ લાગવાની.

એકવીસમી સદીનું એક વલણ નોંધવા જેવું છે. એમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું. અભણ કે અલ્પશિક્ષિત મંત્રીને પૂર્ણશિક્ષિત અધિકારીઓ મળ્યા. એને કારણે શિક્ષિત વર્ગ હતાશ હોય એમ બને. મંત્રી ભ્રષ્ટ હોય તો હાથ નીચેનો શિક્ષિત અધિકારી અપવાદરૂપે જ ભ્રષ્ટાચારી ન હોય ને આ રેલો પછી તમામ શિક્ષિત વર્ગોમાં ઊતરે તો આશ્ચર્ય ન થવું જોઈએ.

ઓછું ભણેલો શાળા કે કોલેજ ચલાવે અને એના હાથ નીચે પીએચ.ડી. ઓછા પગારે કૂટાતો હોય તો એનો શિક્ષિત અસંતોષ બીજે માર્ગે ફંટાય ને એ વધારે તીવ્ર અને ભ્રષ્ટ બને એમાં નવાઈ નથી. સરકારી ક્ષેત્રોમાં હરામખોરી અને ખાનગી ક્ષેત્રોમાં શોષણ એ આ સદીનાં વરદાન છે. એમાં કોઈકને કોઈક પ્રકારની ભ્રષ્ટતા વધે તે નક્કી છે. શિક્ષિતોમાં એટલું બન્યું છે કે જો એ લૂંટાઈને કશુંક પામ્યો હશે તો તે લૂંટવામાં બાકી ના રાખે. ડોક્ટરો, વકીલો, એન્જિનિયરો ને એવા બીજા ક્ષેત્રના લોકો જ્યાં તક મળે છે, લૂંટે જ છે. આ બધામાં સારા લોકો પણ છે જ, કોરોનામાં ડોકટરોએ જીવ આપીને સારવાર કરી છે, તો લાશના પૈસા પણ ઉપજાવ્યા છે તે સૌ જાણે છે. એન્જિનિયરિંગની ડિગ્રી આવી તે પહેલાં કેટલી બધી કાળજયી ઇમારતો ભારતમાં બની ! દૂર શું કામ જવું? તાજમહાલનો દાખલો જ પૂરતો છે. એ પછી પણ ઘણી મજબૂત ઇમારતો બની જ છે, પણ હવે એની લાઈફ – આવરદા ભ્રષ્ટાચારે ખાઈ નાખી છે. સુરતની જ વાત કરીએ તો ઘણાં શોપિંગ સેન્ટર્સ કે ફ્લેટ્સ ઉતારી લેવા પડ્યાં છે તો ઘણાં બિસ્માર હાલતમાં પડવાને વાંકે ઊભાં છે. કેટલાં પુલો કે બંધો જોખમો સાથે જ ઊભાં થાય છે, તે ઓછું વીતાડે છે?

કેમિકલ ફેક્ટરીઓ નફો કરતાં જઈને લોકોને માથે જોખમ ઊભું કરે જ છે. કોરોનાનાં નકલી ઈંજેકશનો અસલ કરતાં મોંઘાં વેચાયાં જ છે! ઠેર ઠેર આપણે મોતની વાવણીઓ કરી છે ને એમાંથી અમર્યાદ નફો રળીએ છીએ. નફો ખોટો નથી, પણ બીજાના જીવ પર જોખમ ઊભું કરીને, પૂરી બેશરમીથી માત્ર નફો જ રળીએ એ બરાબર નથી. બધામાં જ સરકારનો વાંક ન કઢાય. પ્રજા તરીકે આપણી ગુનાખોરી પણ ઓછી નથી. એમાં અભણ ઓછો જોખમી છે ને ભણેલો તો દાટ જ વાળતો હોય છે. કેટલાક શિક્ષિતો યુક્તિથી કામ કેમ કઢાવવું તે જાણે છે. શિક્ષણ અહીં મદદે આવે છે. શોષણ સામાની ગરજ કે જરૂરને નામે કોઈ પણ સત્તાધારી કરી શકે, પણ વ્યક્તિ શિક્ષિત હશે તો શોષણ વધુ સૂક્ષ્મ હશે તે ધ્યાને લેવાનું રહે. સામેવાળાને ખબર પણ ન પડે એવું શોષણ હવે શિક્ષણની ચતુરાઈથી શક્ય છે. શિક્ષણથી વ્યક્તિ વધુ સંવેદનશીલ બનવી જોઈતી હતી, પણ તે હવે વધુ સ્વાર્થી બની છે. ઉદારતાનું સ્થાન લોભે લીધું છે. આમ થવાનું કારણ એ છે કે આપણે સાહિત્ય, કળા, સંસ્કારને હાંસિયામાં  ધકેલ્યાં છે ને જેમાંથી વધુને વધુ કમાણી થઈ શકે એનું જ મહત્ત્વ આંકયું છે. એને કારણે સંવેદના, વેદનામાં પરિણમી છે. કોઈના પ્રત્યે સંવેદના થાય એવું વાતાવરણ જ લગભગ નથી. એક માણસને સારી રીતે જીવવા માટે કેટલી સંપત્તિ જોઈએ? એના કરતાં અનેકગણી સંપત્તિ ભેગી કરવામાં જીવવાનું જ ભૂલી જવાય છે. ઘણીવાર તો પાછળ વાપરનારું કોઈ હોતું નથી ને સંપત્તિ ખડકાયેલી જ રહી જાય છે. જરૂર કરતાં ઘણું વધારે હોવા છતાં, વધુને વધુ ભેગું કરવાની વૃત્તિ અનેકનું શોષણ કરાવે છે ને છેવટે રાખ જોવા ય નથી પામતાં. જો કે આવી પરિસ્થિતિમાં પણ સદ્દભાવ અને સ્નેહથી મદદનો હાથ લંબાવનારા છે જ, એ જ તો આશ્વાસન છે, પણ એની ટકાવારી ખૂબ ઓછી છે.

અમદાવાદની એક યુવતીએ સાબરમતીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી. કેમ? તો કે, તેનો પતિ પૈસાની માંગણી કરતો હતો. પરિણીતાના પિતાએ દોઢેક લાખ તો આપ્યા પણ ખરા, પણ માંગવાનું બંધ ન થયું ને દીકરીએ જળસમાધિ લીધી. એવો જ એક કિસ્સો મહિના અગાઉ સુરતમાં બન્યો હતો. પરિણીતા પી.એસ.આઈ. હતી. તે ગુનેગારોને પહોંચી વળે તેમ હતી, પણ સાસરિયાંને માંગતાં રોકી ન શકી. તેણે પણ થાકીને પોતાને ગોળી મારી દીધી. ભિખારીઓ પણ માંગતા થાકતા હોય છે, પણ દીકરીનું સાસરું એટલું ભૂખ્યું હોય છે કે સામે પલ્લે આખી પૃથ્વી મૂકી દો તો પણ સંતોષ ન થાય. એવું નથી કે યુવતીઓ બધી ઉત્તમ જ છે. દહેજના ખોટા કેસો કરીને સાસરિયાંઓને ત્રાસ આપવાના કિસ્સા સામે આવ્યા જ છે, એ છતાં એટલું કહેવાનું થાય જ છે કે દહેજનું દૂષણ ઘટવાને બદલે વધ્યું છે. શિક્ષણના આટલા વ્યાપ છતાં, દહેજ માંગવાની યુવાનોને શરમ લાગતી નથી. એવું નથી કે અભણ કે ગરીબ લોકો જ દહેજ માંગે છે. આવી ભીખ શિક્ષિતો ને અમીરો પણ માંગતા હોય છે.

અમદાવાદની યુવતીનો પતિ ગરીબ નથી, તે રાજસ્થાનનો, દુકાનો ધરાવતો ને ભાડું ખાતો સ્થિતિ સંપન્ન માણસ છે. તેણે માંગણીઓ કરીને પોતાની પરિણીતાને આત્મહત્યા કરવા મજબૂર કરી. સુરતની પી.એસ.આઈ. તો પોતે જ નોકરીમાં હતી, છતાં તેનાં સાસરિયાંઓ ધરાતાં ન હતાં ને પોલીસમાં હોવા છતાં સુરતી દીકરીની પણ ધીરજ ખૂટી ને તેણે સામે છોડવાની ગોળી પોતાના પર છોડી. આ બંને કિસ્સામાં માંગવુ પડે એવી લાચારી કોઈ કુટુંબ ધરાવતું નથી ને છતાં બે પરિણીતાઓ પોતાનો જીવ લેવા લાચાર બને છે. આ નાલેશીભરી ઘટનાઓ છે ને એવી આ એક નથી, ઘણી છે. આ સૌમાં સૌથી વધુ ગુનેગાર એ પતિઓ છે જે હરામનું ભેગું કરવા પરણે છે ને નિર્દોષ છોકરીઓને મોડા વહેલાં મરવા તરફ ધકેલે છે. કોઈ કિસ્સામાં જરૂર હોઈ શકે છે, પણ મોટે ભાગે ઈરાદો તો હરામની કમાણી દ્વારા બેન્ક બેલન્સ વધારવાનો જ હોય છે. આમાં પણ શિક્ષણ ભાગ ભજવે છે. છોકરી ને છોકરો બંને ડોક્ટર હોય તો પણ મૂરતિયાનો માંગવાનો અધિકાર અબાધિત રહે છે. છોકરીનો બાપ માંગી શકતો નથી કે એની દીકરી પણ ડોક્ટર છે ને એને ભણાવવાનું કૈં મફત થયું નથી. નથી કહી શકતો આવું.

એક વાત તમામ સમાજમાં જડમૂળથી સ્થાપિત થવી જોઈએ ને તે એ કે છોકરીનો બાપ નીચું જોવા જન્મેલો નથી. બાપ છોકરાનો હોય કે છોકરીનો તે સમાન સ્તરે છે. બંને બાપ સમાન કક્ષાએ હશે તો જ આ માંગવાનું બંધ થઈ શકશે ને એ છોકરાને શું કહેવું જે પોતે બાપને પૈસે મોટો થયો છે ને જેને પરણીને લાવે છે તેનું ભરણપોષણ પણ એ પોતે કરવા સમર્થ નથી, એટલે દીકરીના બાપને ખંખેરીને પોષાય ને પોરસાય છે. આવા નમૂનાઓનો સાર્વત્રિક બહિષ્કાર થવો જોઈએ. થાય છે શું કે તેને બીજી છોકરી કોરા ચેક જેવી સામેથી આવી મળે છે ને તે તેના અહંકારને આસમાને મૂકી આપે છે. આ સ્થિતિ નહીં સુધરે ત્યાં સુધી દીકરીઓનો ધુમાડો થતો જ રહેવાનો છે ને આંખો ભીની થતી જ …

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 માર્ચ 2021

Loading

લોકો શાસક પાછળ રોકાણ કરે છે ને પછી વસૂલે પણ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|4 March 2021

લીવ ધ કમ્યુનિટી બિહાઈન્ડ. રીઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર ડૉ. રઘુરામ રાજન કહે છે કે રાજ્ય અને બજાર મળીને એટલે કે શાસકો અને વૃકોદરો મળીને પ્રજાસમૂહોને પાછળ ધકેલી રહ્યા છે. શા માટે? કારણ કે વૃકોદરોએ શાસકોના કબજામાં રાજ્યની માલિકીનું જે કાંઈ હતું એ છીનવી લીધું છે અને હવે તેઓ પ્રજાની માલિકીનું જે કાંઈ છે એ છીનવી લેવા માગે છે અને તેમાં તેમને શાસકોની મદદ જોઈએ છે.

હવે જો પ્રજાસમૂહોને પાછળ ધકેલવા હોય તો તે કઈ રીતે ધકેલી શકાય? બીજું કયા પ્રજાસમૂહોને પાછળ ધકેલવાના અને કઈ રીતે?

પ્રજાસમૂહો બે પ્રકારના હોય અથવા બે પ્રકારે રચાય છે. એક ઓળખ આધારિત અને બીજા આર્થિક હિતો ઉપર આધારિત. જ્ઞાતિ, પેટા-જ્ઞાતિ, વંશ, ધર્મ, સંપ્રદાય, પેટા-સંપ્રદાય, પ્રદેશ, ગોળ, ભાષા આધારિત જે સમૂહો રચાય છે, એમાં જોડનારું તત્ત્વ ઓળખ હોય છે. એમાં આર્થિક હિત-સંબંધો અલગ અલગ હોય છે અને કેટલીકવાર તો વિરોધી પણ હોય છે. એક જ ઓળખ ધારાવનાર એક જ સમુદાયની બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ શોષક અને શોષિતનો પણ હોઈ શકે છે. આનાથી ઊલટું આર્થિક હિત-સંબંધો ઉપર આધારિત સમુદાયો ઓળખથી પ્રેરિત નથી હોતા, સમાન હિત દ્વારા પ્રેરિત હોય છે. ઉદ્યોગપતિ, નાના ઉદ્યોગપતિ, ખેડૂત, નાના ખેડૂત, વેપારી, દલાલ, આડતિયા, વણકર, કારીગર, જે તે ક્ષેત્રમાં નોકરી કરતા કર્મચારી, મજૂરો, નોકરી કે રોજગારીની તલાશ કરતા યુવાનો, વિજ્ઞાનીઓ, ટેકનોલોજીસ્ટો, ડોક્ટર કે વકીલ જેવા પ્રોફેશનલો વગેરે. તેઓ એકંદરે સમાન હિત ધરાવતા હોય છે. અહીં એક વાત નોંધી લેવી જોઈએ કે આર્થિક હિતસંબંધો ધરાવતા સમુદાયો પાછા જે તે ઓળખ આધારિત સમુદાયોના સભ્ય તો હોય જ છે અને વૃકોદરો અને શાસકો તેનો ઉપયોગ કરે છે.

વાચકોને યાદ હશે કે દેશમાં જ્યારે આયોજન પંચ અસ્તિત્વ ધરાવતું હતું ત્યારે દેશના સર્વાંગીણ વિકાસમાં ભાગીદારી ધરાવતા સમાન હિતસંબંધો ઉપર આધારિત પ્રત્યેક સમુદાયના અભિપ્રાયો અને સૂચનો મંગાવવામાં આવતા હતા. સમાન આર્થિક હિત ધરાવતા દરેક પ્રજા-સમૂહોના પ્રતિનિધિમંડળો પોતપોતાની માગણીઓ લઈને પંચના સભ્યોને મળતા હતા અને પંચમાં પ્રમાણમાં વ્યાપક હિતસંબંધો આધારિત સમૂહોના પ્રતિનિધિઓને સભ્ય તરીકે પણ લેવામાં આવતા હતા. આયોજન પંચ દરેકને સાંભળ્યા પછી આગલા પાંચ વર્ષ માટેનું આયોજન કરતું હતું. નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન બન્યા પછી પહેલું કામ આયોજનપંચને ખતમ કરવાનું કર્યું હતું. આ યોગાનુયોગ નહોતો. એની પાછળનો ઈરાદો કમ્યુનિટીઓને પાછળ ધકેલી દેવાનો હતો. નાનાનાના આર્થિક હિતસંબંધોના અવાજો રાજ્યને કાને પડવા ન જોઈએ. જો સત્તાવાર રીતે તેની નોંધ લેવાય તો સત્તાવાર રીતે તેનો ઉકેલ પણ શોધવો જોઈએ. માટે ન રહે બાંસ, ન બજે બાંસુરી. લીવ કમ્યુનિટી બિહાઈન્ડ.

ચોક્કસ પ્રકારના આર્થિક હિતસંબંધો ધરાવતા સમુદાયોના અવાજોને અને તેમની માગણીઓને પાછળ ધકેલી દેવાની પહેલી તરકીબ આયોજન પંચ વિખેરી નાખવાની હતી. આ સિવાય સંસદમાં ચર્ચા ટાળવાનો પણ પ્રયાસ કરવામાં આવે છે. પણ જો હજુ એનાથી આગળ વધીને ચોક્કસ સમુદાયોના ગજવા ઉપર જ કાતર મારવી હોય તો? જેમ કે અત્યારે ખેડૂતોના ગજવા ઉપર કાતર મારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમની પાસે જમીન છે અને વૃકોદરો એનો કબજો કરવા માગે છે.

આનો ઉપાય છે ઓળખ આધારિત પ્રજાસમૂહોની ઓળખ જાગૃત કરવી. ઓળખ આધારિત પ્રજા-સમૂહોનો ઉપયોગ હિત આધારિત પ્રજા-સમૂહોની વિરુદ્ધ કરવો. જેમ કે ધર્મનો, દેશપ્રેમનો, રાષ્ટ્રવાદનો એટલો કેફ ચડાવો કે તે કોઈ ખેડૂતનો દીકરો હોવા છતાં ખેડૂતના હિતની વિરુદ્ધ બોલે. નાના વેપારીનો દીકરો પોતે જ નાના વેપારીના હિતની વિરુદ્ધ બોલે. રેલવેનો ત્રીજા વર્ગનો પાસ ખરીદવાની તાકાત ન હોય એ ચતુર્થ વર્ગના કર્મચારીનો દીકરો રેલવેના ખાનગીકરણને ટેકો આપે. ટૂંકમાં હિતસંબંધો આધારિત સમુદાયોના લોકોને ઓળખ આધારિત સમુદાયોમાં ધકેલો એટલે હિતસંબંધો એની મેળે પાછળ ધકેલાઈ જશે. ઓળખનો અને મહાન હોવાનો નશો કરાવો અને સતત નાશામાં રાખો. સતત ડરાવો અને સતત રડાવો. ઓતાર ઊતરવો ન જોઈએ, સતત ધૂણતો રહેવો જોઈએ. ખેડૂતોના અવાજો કાને નહીં પડવા જોઈએ. હિંદુઓના અવાજો કાને પડવા જોઈએ. બ્રાહ્મણોના અવાજો કાને પડવા જોઈએ. દેશપ્રેમીઓના અવાજો કાને પડવા જોઈએ. એ પણ રડનારા અથવા ‘બીજા’ને ગાળો દેનારા.

અને જેના ચોક્કસ સમુદાયના હિત સાથે સીધો સંબંધ જ ન હોય એનું તો પૂછવું જ શું? ખેડૂતોને એલફેલ ગાળો આપનારા આવા લોકો છે. ખેડૂતને એલફેલ ગાળો આપવામાં આવતી હોય અને છતાં ખેડૂતના દીકરાને એનાથી કોઈ ફરક પણ ન પડતો હોય ત્યારે કલ્પના કરો કે એ નશો કેવો હશે! બન્ને હિંદુ છે પણ એક હિંદુ બીજા હિંદુને મા-બહેનની ગાળો આપે છે. બન્ને એક જ રાષ્ટ્રનાં સંતાન છે પણ એક સંતાન બીજા સંતાનને ગાળો આપે છે. તેમને ખબર જ નથી કે તેમના આર્થિક હિતસંબંધોને પાછળ ધકેલવામાં આવી રહ્યા છે.

શાસકો શા માટે વૃકોદરોને મદદ કરે છે અથવા તો કરવી પડે છે? આ સવાલનો જવાબ ફરી એક વાર સમજી લો. એટલા માટે કે તેઓ તેમના આશ્રિત છે. તેઓ તેમને સત્તા સુધી પહોંચાડે છે અને તેઓ તેમને સત્તામાં ટકાવી રાખે છે. અંદાજે દસ હજાર કરોડમાં લડાતી ચૂંટણીઓ અને સરેરાશ પાંચ કરોડનો વિધાનસભ્ય અને દસ કરોડનો સંસદસભ્ય દેશપ્રેમની પેદાશ નથી, માર્કેટની પેદાશ છે. આ સિવાય શાસકની ઈમેજ અને બ્રૅન્ડ વેલ્યુ પણ બનવી જોઈએ જેની પાછળ હજારો કરોડ રૂપિયા ખર્ચવા પડે. જે લોકો શાસકો પાછળ રોકાણ કરે છે તેમને વસૂલ કરતાં પણ આવડે છે. હકીકતમાં આ વણલખી પણ પાકી સમજુતીવાળી ભાગીદારી છે અને એ માત્ર ભારતમાં જ નથી, વૈશ્વિક છે. ચતુષ્કોણ સીધી લીટીમાં ફેરવાઈ ગયો છે અથવા રઘુરામ રાજન કહે છે એમ ત્રીજો સ્તંભ તોડવામાં આવી રહ્યો છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 04 માર્ચ 2021

Loading

મારા આંગણિયે ઊભા રખોપિયા રે, પાન અવસરનાં …

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|4 March 2021

હૈયાને દરબાર

મારા આંગણિયે ઊભા રખોપિયા રે, પાન અવસરનાં
કેળ, શ્રીફળ દાદાજીએ રોપિયા રે, પાન અવસરનાં
મોર કમખે ભરેલા બોલિયા રે, પાન અવસરનાં
ગીત મંગળ સખીયુંએ ઝીલિયાં રે, પાન અવસરનાં
તારલાઓ ચૂંદડીએ ટાંકિયા રે, પાન અવસરનાં
તેજ અતલસ ઘૂંઘટડે ઢાંકિયા રે, પાન અવસરનાં
લાખ મોતીનાં તોરણ બાંધિયાં રે, પાન અવસરનાં
હેત રેડીને કંસાર કાઢિયા રે, પાન અવસરનાં
મૂળ મેલ્યા ને છાંયડા ઝાલિયા રે, પાન અવસરનાં
ઝાડ છોડી ડાળીબેન હાલિયા રે, પાન અવસરનાં

•   કવિ : હર્ષદ ચંદારાણા   •   સંગીતકાર : ઉદય મઝુમદાર

—————-

તાજેતરમાં ૨૧મી ફેબ્રુઆરીએ ‘વિશ્વ માતૃભાષા દિવસ’ ઊજવાયો ત્યારે જેમનાં સંતાનો અંગ્રેજી માધ્યમમાં જ ભણે છે અને જેઓ મિથ્યાભિમાનમાં એવું કહેતાં હોય છે કે, ‘યુ નોવ, અમારાં બાળકો પહેલેથી ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે એટલે એમને ગુજરાતી ના ફાવે’. એમાંના ઘણા લોકોએ એક દિવસ માટે માતૃભાષા બચાવવાનાં બહુ ગાણાં ગાયાં, પરંતુ ભાષા સંવર્ધનનું ખરું કામ તો વિદેશમાં રહેતા કેટલાક ગુજરાતીઓ કરે છે. ગાયિકા ફાલ્ગુની દલાલ જે લગ્ન પછી અમેરિકાના ન્યુ યોર્કમાં સ્થાયી થયાં છે અને ફાલુ શાહ તરીકે જાણીતાં છે, એમની સાથે વાત કરતાં ગુજરાતી ભાષા પ્રત્યેના એમના પ્રેમ વિશે અચંબિત થઈ જવાય એવી વાતો જાણવા મળી.

‘ફાલુ’ઝ બાઝાર’ નામે બાળકો માટે ખાસ તૈયાર કરેલા આલબમ માટે જેમને ગ્રેમી એવોર્ડ્સ નોમિનેશન મળ્યું હતું, એ ફાલ્ગુની મૂળ તો સુપ્રસિદ્ધ ગાયિકા કૌમુદી મુનશીનાં શિષ્યા. ત્રણ વર્ષની ઉંમરે એમણે કૌમુદીબહેન પાસે શીખવાનું શરૂ કર્યું હતું. હવે તો એ અમેરિકામાં વેસ્ટર્ન મ્યુઝિકલ બેન્ડ ચલાવે છે તેમ જ ભારતીય દર્શકો સમક્ષ હિન્દી-ગુજરાતી ગીતો પણ રજૂ કરે છે. ‘છેલાજી રે’, ‘આ મનપાંચમના મેળામાં’ તથા ‘પાન અવસરનાં’ એમનાં ફેવરિટ ગુજરાતી ગીતો છે. ફાલુ કહે છે, ‘મન પાંચમના મેળામાં … હું અહીં અમેરિકામાં ખૂબ ગાઉં છું. મારા પતિ ગૌરવ શાહ વ્યવસાયે ડોક્ટર છે, પરંતુ એ સરસ ગાય છે એટલે ઉદય-રેખાને સ્થાને ફાલુ-ગૌરવ ગીત રજૂ કરીને વાહ વાહ મેળવે છે, પરંતુ ઉદયભાઈ અને રેખાબહેનની કક્ષાએ તો અમે આ ગીતમાં નથી પહોંચી શક્યાં. આ ગીતો અમેરિકન ભારતીયોને ખૂબ પસંદ છે.’

પોતાની સંગીતયાત્રા વિશે ફાલુ કહે છે, ‘મારાં માતા કિશોરી દલાલ કૌમુદીઆન્ટી પાસે સંગીત શીખતાં હતાં. એટલે કૌમુદીબહેનને તો હું ગર્ભમાં હતી ત્યારથી સાંભળતી. મારો જન્મ અને ઉછેર મુંબઈમાં જ. ત્રણ વર્ષની વયે મારી કલા પારખીને મમ્મીએ મને શાસ્ત્રીય સંગીતની ઔપચારિક તાલીમ અપાવવાનું શરૂ કર્યું હતું. કૌમુદીબહેન પાસે સુગમસંગીત, ઠૂમરી, ચૈતી પણ શીખતી. થોડોક સમય પંડિત વિનાયક વોરા પાસે તાલીમ લીધી. ત્યાર પછી એસ.એન.ડી.ટી.માંથી સંગીત સાથે માસ્ટર્સ કર્યું. દરમ્યાન, ઉસ્તાદ સુલતાન ખાન પાસે શાસ્ત્રીય સંગીતની વિશેષ તાલીમ લેવા માંડી. સંગીત પ્રત્યે હું એટલી ગંભીર હતી કે લગભગ દસ વર્ષ સુધી મેં સોળ સોળ કલાક રિયાઝ કર્યો છે. પૂરા રિયાઝ પછી ૧૮મે વર્ષે વ્યાવસાયિક ધોરણે ગાવાનું મેં શરૂ કર્યું.

ભાષાપ્રેમ વિકસવાનું કારણ નિનુ મઝુમદાર અને કૌમુદી મુનશી. એમના ઘરમાં જ હું ઊછરી એવું કહું તો ચાલે. સાહિત્ય અને ભાષા પ્રત્યે બન્ને એટલાં જાગૃત કે અનુસ્વાર ન ગાઉં કે ગાતી વખતે હ્રસ્વ-દીર્ઘ ઇની ભૂલ થાય તો ય ટપારે કે લાંબો ઈ કેમ ગાયો? ગાવામાં મેં ૫૦ ભૂલ તો કરી જ હોય. છતાં એ ધીરજપૂર્વક શીખવે. કૌમુદીબહેનને લીધે જ હું ગુજરાતી લખતાં શીખી ગઈ. પહેલાં તો હું ગીત અંગ્રેજી લિપિમાં લખતી, પછી થયું કે મારી ભાષામાં નહીં લખું તો માતૃભાષા પ્રત્યે પ્રેમ કઈ રીતે જન્મે અને ગીતનો ભાવ કઈ રીતે પકડાય! તેથી ગીતો ગુજરાતીમાં જ લખવાં એમ નક્કી કર્યું. મારી ભાષા મારે માટે જાન છે. તમને આશ્ચર્ય થશે પણ અમેરિકામાં જન્મેલો મારો દીકરો નિષાદ શુદ્ધ ગુજરાતી બોલે છે અને ગુજરાતી ગીતો ગાય છે. હું માનું છું કે ભાષા ગઈ તો કલ્ચર ગયું. એટલે સંસ્કૃતિ અને સંસ્કાર બચાવવા બાળકોને માતૃભાષા શિખવાડવી જ જોઈએ, દુનિયાના કોઈ પણ ખૂણે તમે રહેતા હો તો પણ.’

ફાલુએ તેના દીકરાને ભારતીયના રસોડામાં વણાઈ ગયેલાં મરીમસાલા અને આપણી સંસ્કૃતિને અનુરૂપ સરળ અને આસાનીથી સમજાય એવાં ગીતો લખ્યાં, જે આલબમ ગ્રેમી એવોર્ડ્સ માટે પસંદગી પામ્યું હતું. એ ગીતોની સર્જનકથા રસપ્રદ છે.

‘મારા દીકરાને અમેરિકામાં નાનપણથી જ આઈડેન્ટિટી ક્રાઈસિસ આવી ગઈ હતી. સ્કૂલેથી આવીને એ મને પૂછતો, મમ્મી, બધા ગોરા છે તો હું કેમ બ્રાઉન? આપણી રસોઈ કેમ લાલ-પીળા રંગની? ઘરમાં આપણે કેમ જુદી ભાષા બોલીએ છીએ?’ પોતાની સંસ્કૃતિ માટે દીકરાને પ્રેમ થાય, ભારતીય ઓળખ પ્રત્યે કમ્ફર્ટેબલ થાય એટલે મેં એને સમજાય એવાં ગીતો લખ્યાં, કમ્પોઝ કર્યાં અને શીખવાડ્યાં. સંગીત દ્વારા શીખવાની એને પણ મજા આવતી. ‘ફાલુ’ઝ બાઝાર’ લોકો માટે હતું જ નહીં. મારા બાળકને મારે માતૃભાષા-સંસ્કૃતિથી અવગત કરાવવું હતું, તેથી અંગ્રેજી, હિન્દી, ગુજરાતીના સંયોજનથી મેં બાળગીતો લખ્યાં જેમાં તવેથો, વેલણ અને ચકલાની વાત આવે તથા હળદર-મરચાંની પીળી દાળ પણ પ્રગટ થાય.

અમારા અમેરિકન મ્યુઝિકલ બેન્ડના સભ્યો એક વાર ઘરે આવ્યા ત્યારે મારો દીકરો મેં શિખવાડેલું બાળગીત, યમી યમી, ઈન યોર ટમી, ધિઝ આર ડિફરન્ટ સ્પાઈસીઝ, ડિફરન્ટ કલર્સ એન્ડ ડિફરન્ટ ફ્લેવર્સ … ગાતો હતો. બધાને એ સાંભળીને ખૂબ મજા આવી. એમણે કહ્યું કે આપણે આ ગીતો સ્ટુડિયોમાં રેકોર્ડ કરીએ. રેકોર્ડિંગ કર્યા પછી મારી મેનેજરે ક્યારે આલબમને ગ્રેમી એવોર્ડ કેટેગરીમાં મૂકી દીધું એ મને ખબર જ નહોતી. જ્યારે નોમિનેટ થયું અને અઢળક ફોન આવ્યા ત્યારે મને ખબર પડી. પુષ્કળ આનંદ પણ થયો હતો, કારણ કે વિદેશમાં મારી ભારતીય સંસ્કૃતિને ઓળખ મળી હતી. ઘરમાં અમે ગુજરાતી જ બોલીએ છીએ. અમારી વાતચીતમાં ભૂલમાં અંગ્રેજી શબ્દ આવી જાય તો દીકરો કહે કે, કેમ આપણે અંગ્રેજી થઈ ગયા છીએ? બાળકો બેથી વધુ ભાષા શીખે એના ફાયદા વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલા છે. હમણાં જ મેં એને નિનુદાદાનું ‘રસ જગન ગુફામાં ઝર ઝર ઝરે …’ ગીત શીખવાડ્યું. એમાં જુદા જુદા રસ ધરાવતાં ગીતોનું સંયોજન છે એટલે બાળકને એની લાગણી વ્યક્ત કરતાં શિખવાડવું હોય તો વિવિધ રસનાં ગીતો શિખવાડવાં જોઈએ. મારું આલબમ ‘ફાલુ’ઝ બાઝાર’ એટલે જ પસંદ થયું હતું, કારણ કે સંસ્કૃતિ બચાવવા એક માતાએ કહેલી દિલની વાત એમાં હતી. પરિણામે અમેરિકામાં રહેતા દરેક ઇમિગ્રન્ટને થયું કે આપણે પણ આપણી ભાષા-સંસ્કૃતિને શા માટે છોડવી જોઈએ? એ રીતે ‘ફાલુઝ બાઝાર’ને ઘણા મત મળ્યા હતા.’

મેલોડિયસ અને કેચી અવાજ દ્વારા વૈશ્વિક અપીલ ધરાવતાં ફાલુએ થોડા સમય પહેલાં ‘સમ ડે’ આલબમ બહાર પાડ્યું છે. એમાં શાસ્ત્રીય સ્પર્શ ધરાવતી ઠૂમરી, ‘નદી રે કિનારે …’ની વિડિયોગ્રાફી તથા સ્વરાંકન અદ્ભુત છે. ભારતીય શાસ્ત્રીય સંગીત સાથે અમેરિકન રોક-પોપના સંયોજનથી તેઓ ઈન્ડિ-હિન્દી ગીતો બનાવે છે. સંગીત કેટેગરીમાં ‘વીમેન આઈકન્સ ઓફ ઈન્ડિયા’ એવોર્ડ જીતનાર ફાલુએ ‘અમેરિકન પેચવર્ક ક્વોર્ટેટ’ આલબમ પર કામ કર્યું છે. એ કહે છે, ‘ભૂતપૂર્વ પ્રમુખ ટ્રમ્પની વિચારધારા પરદેશીઓ(ઇમિગ્રન્ટ્સ)ને કાઢવાની હતી, તેથી અમેરિકન લોકગીતોમાં ભારતીય ફ્લેવર ઉમેરીને મેં ગીતો બનાવ્યાં જેનો સાર એ હતો કે વિવિધ દેશોના વૈવિધ્યને લીધે જ અમેરિકા રંગીન બન્યું છે, એની પ્રગતિ થઈ છે. બધા પરદેશીઓ ખરાબ નથી, એટલું જ નહીં એ લોકોની વિવિધ સંસ્કૃતિને લીધે અમેરિકા અનોખું બન્યું છે, એની આગવી ઓળખ પ્રસ્થાપિત થઈ છે. જપાન, આફ્રિકા, અમેરિકા અને હું ભારતીય એમ ચાર દેશોના સંગીતકારોએ ભેગા મળીને આ આલબમ તૈયાર કર્યું. અમે મ્યુઝિકલ ટૂર પણ કરવાનાં હતાં, પરંતુ વૈશ્વિક મહામારીને લીધે એ અટકી ગઈ. ગુજરાતી ગીતો તો જ્યારે તક મળે ત્યારે ગાઉં છું. ‘પાન અવસરનાં’ મારું અતિપ્રિય ગીત છે. અનેક પ્રોગ્રામમાં મેં એ ગીત ગાયું છે.’

આ ગીતના સ્વરકાર ઉદય મઝુમદારે ‘પાન અવસરનાં …’ ગીતના સ્વરાંકન વિશે રસપ્રદ વાત કહી. ‘કવિમિત્ર હર્ષદ ચંદારાણા એક વાર મુંબઈ પધારેલા. એમને એરપોર્ટ પર મૂકવા હું જઈ રહ્યો હતો ત્યારે કારમાં એમણે આ ગીતની બે પંક્તિઓ સંભળાવી. મને બહુ ગમી ગઈ એટલે મેં કહ્યું કે કવિ, આ ગીત પૂરું કરજો. પંક્તિઓ ઉત્તમ આવી છે. એ પછી થોડા જ સમયમાં આપણા સંગીતકાર-ગાયક સુરેશ જોશીનાં અમરેલીમાં લગ્ન યોજાયાં હતાં. હર્ષદ અમરેલી રહે એટલે એ મને ભાવનગર એરપોર્ટ પર લેવા આવવાના હતા. મેં શરત મૂકી કે ‘પાન અવસરનાં …’ ગીત આખું લઈને આવજો. હું તો ભાવનગર પહોંચ્યો તો કવિનો અતો-પતો નહીં. હજુ કંઈ વિચારું એ પહેલાં હર્ષદનો ફોન આવ્યો કે મને આવતાં મોડું થશે તો તમે ભાવનગરના કવિ વિનોદ જોશીને ત્યાં બેસો, હું તમને ત્યાંથી અમરેલી લઈ જઈશ. મને થયું કે કવિ નક્કી પેલી કવિતા પૂરી કરવામાં રોકાઈ ગયા લાગે છે. હું તો ચાલ્યો વિનોદ જોશીને ઘરે, તો ઘરે તો તાળું! છેવટે રિક્ષામાં બેસી ટાઈમ પસાર કર્યો. ત્યારબાદ કવિ ગીત સાથે હાજર થયા અને સુરેશ જોશીનાં લગ્નની આગલી રાતે હર્ષદના ઘરે કોઈ પણ વાદ્યની સહાય વિના કન્યાવિદાયનું આ ગીત સ્વરબદ્ધ થઈ ગયું.’

સંગીતકાર ઉદયભાઈ જાનૈયાઓ સાથે હતા, કન્યા દર્શનાબહેનને પક્ષે તો કદાચ આ ગીત એ વખતે તાજું ગવાઈ પણ ગયું હોત! અલબત્ત, ગીતના શબ્દો હૃદયસ્પર્શી છે. છેલ્લી પંક્તિઓ તો કેવી સુંદર છે;

મૂળ મેલ્યા ને છાંયડા ઝાલિયા રે
પાન અવસરનાં
ઝાડ છોડી ડાળીબેન હાલિયાં રે
પાન અવસરનાં!

મૂળ વાત એ છે કે આપણે આપણાં સંતાનોને ભારતીય ભાષા-સંસ્કૃતિનો વારસો નહીં આપીએ તો એ પછીની પેઢી આપણા સમૃદ્ધ વારસાથી વિમુખ થઈ જશે. હજું ય મોડું નથી થયું. બાળક ભલે અંગ્રેજી માધ્યમમાં ભણે પણ આપણા સંસ્કારથી એને દૂર ન કરવું જોઈએ. આ કોલમનો હેતુ પણ આ જ છે. ગુજરાતી ગીતોને રમતાં કરો, વહેતાં રાખો. જેને માતૃભાષા સરખી આવડે એ દુનિયાની કોઈ પણ ભાષા આસાનીથી શીખી શકે છે.

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”. 04 માર્ચ 2021

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=686131

Loading

...102030...2,0912,0922,0932,094...2,1002,1102,120...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved