હૈયાને દરબાર
મારા આંગણિયે ઊભા રખોપિયા રે, પાન અવસરનાં
કેળ, શ્રીફળ દાદાજીએ રોપિયા રે, પાન અવસરનાં
મોર કમખે ભરેલા બોલિયા રે, પાન અવસરનાં
ગીત મંગળ સખીયુંએ ઝીલિયાં રે, પાન અવસરનાં
તારલાઓ ચૂંદડીએ ટાંકિયા રે, પાન અવસરનાં
તેજ અતલસ ઘૂંઘટડે ઢાંકિયા રે, પાન અવસરનાં
લાખ મોતીનાં તોરણ બાંધિયાં રે, પાન અવસરનાં
હેત રેડીને કંસાર કાઢિયા રે, પાન અવસરનાં
મૂળ મેલ્યા ને છાંયડા ઝાલિયા રે, પાન અવસરનાં
ઝાડ છોડી ડાળીબેન હાલિયા રે, પાન અવસરનાં
• કવિ : હર્ષદ ચંદારાણા • સંગીતકાર : ઉદય મઝુમદાર
—————-
તાજેતરમાં ૨૧મી ફેબ્રુઆરીએ ‘વિશ્વ માતૃભાષા દિવસ’ ઊજવાયો ત્યારે જેમનાં સંતાનો અંગ્રેજી માધ્યમમાં જ ભણે છે અને જેઓ મિથ્યાભિમાનમાં એવું કહેતાં હોય છે કે, ‘યુ નોવ, અમારાં બાળકો પહેલેથી ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે એટલે એમને ગુજરાતી ના ફાવે’. એમાંના ઘણા લોકોએ એક દિવસ માટે માતૃભાષા બચાવવાનાં બહુ ગાણાં ગાયાં, પરંતુ ભાષા સંવર્ધનનું ખરું કામ તો વિદેશમાં રહેતા કેટલાક ગુજરાતીઓ કરે છે. ગાયિકા ફાલ્ગુની દલાલ જે લગ્ન પછી અમેરિકાના ન્યુ યોર્કમાં સ્થાયી થયાં છે અને ફાલુ શાહ તરીકે જાણીતાં છે, એમની સાથે વાત કરતાં ગુજરાતી ભાષા પ્રત્યેના એમના પ્રેમ વિશે અચંબિત થઈ જવાય એવી વાતો જાણવા મળી.
‘ફાલુ’ઝ બાઝાર’ નામે બાળકો માટે ખાસ તૈયાર કરેલા આલબમ માટે જેમને ગ્રેમી એવોર્ડ્સ નોમિનેશન મળ્યું હતું, એ ફાલ્ગુની મૂળ તો સુપ્રસિદ્ધ ગાયિકા કૌમુદી મુનશીનાં શિષ્યા. ત્રણ વર્ષની ઉંમરે એમણે કૌમુદીબહેન પાસે શીખવાનું શરૂ કર્યું હતું. હવે તો એ અમેરિકામાં વેસ્ટર્ન મ્યુઝિકલ બેન્ડ ચલાવે છે તેમ જ ભારતીય દર્શકો સમક્ષ હિન્દી-ગુજરાતી ગીતો પણ રજૂ કરે છે. ‘છેલાજી રે’, ‘આ મનપાંચમના મેળામાં’ તથા ‘પાન અવસરનાં’ એમનાં ફેવરિટ ગુજરાતી ગીતો છે. ફાલુ કહે છે, ‘મન પાંચમના મેળામાં … હું અહીં અમેરિકામાં ખૂબ ગાઉં છું. મારા પતિ ગૌરવ શાહ વ્યવસાયે ડોક્ટર છે, પરંતુ એ સરસ ગાય છે એટલે ઉદય-રેખાને સ્થાને ફાલુ-ગૌરવ ગીત રજૂ કરીને વાહ વાહ મેળવે છે, પરંતુ ઉદયભાઈ અને રેખાબહેનની કક્ષાએ તો અમે આ ગીતમાં નથી પહોંચી શક્યાં. આ ગીતો અમેરિકન ભારતીયોને ખૂબ પસંદ છે.’
પોતાની સંગીતયાત્રા વિશે ફાલુ કહે છે, ‘મારાં માતા કિશોરી દલાલ કૌમુદીઆન્ટી પાસે સંગીત શીખતાં હતાં. એટલે કૌમુદીબહેનને તો હું ગર્ભમાં હતી ત્યારથી સાંભળતી. મારો જન્મ અને ઉછેર મુંબઈમાં જ. ત્રણ વર્ષની વયે મારી કલા પારખીને મમ્મીએ મને શાસ્ત્રીય સંગીતની ઔપચારિક તાલીમ અપાવવાનું શરૂ કર્યું હતું. કૌમુદીબહેન પાસે સુગમસંગીત, ઠૂમરી, ચૈતી પણ શીખતી. થોડોક સમય પંડિત વિનાયક વોરા પાસે તાલીમ લીધી. ત્યાર પછી એસ.એન.ડી.ટી.માંથી સંગીત સાથે માસ્ટર્સ કર્યું. દરમ્યાન, ઉસ્તાદ સુલતાન ખાન પાસે શાસ્ત્રીય સંગીતની વિશેષ તાલીમ લેવા માંડી. સંગીત પ્રત્યે હું એટલી ગંભીર હતી કે લગભગ દસ વર્ષ સુધી મેં સોળ સોળ કલાક રિયાઝ કર્યો છે. પૂરા રિયાઝ પછી ૧૮મે વર્ષે વ્યાવસાયિક ધોરણે ગાવાનું મેં શરૂ કર્યું.
ભાષાપ્રેમ વિકસવાનું કારણ નિનુ મઝુમદાર અને કૌમુદી મુનશી. એમના ઘરમાં જ હું ઊછરી એવું કહું તો ચાલે. સાહિત્ય અને ભાષા પ્રત્યે બન્ને એટલાં જાગૃત કે અનુસ્વાર ન ગાઉં કે ગાતી વખતે હ્રસ્વ-દીર્ઘ ઇની ભૂલ થાય તો ય ટપારે કે લાંબો ઈ કેમ ગાયો? ગાવામાં મેં ૫૦ ભૂલ તો કરી જ હોય. છતાં એ ધીરજપૂર્વક શીખવે. કૌમુદીબહેનને લીધે જ હું ગુજરાતી લખતાં શીખી ગઈ. પહેલાં તો હું ગીત અંગ્રેજી લિપિમાં લખતી, પછી થયું કે મારી ભાષામાં નહીં લખું તો માતૃભાષા પ્રત્યે પ્રેમ કઈ રીતે જન્મે અને ગીતનો ભાવ કઈ રીતે પકડાય! તેથી ગીતો ગુજરાતીમાં જ લખવાં એમ નક્કી કર્યું. મારી ભાષા મારે માટે જાન છે. તમને આશ્ચર્ય થશે પણ અમેરિકામાં જન્મેલો મારો દીકરો નિષાદ શુદ્ધ ગુજરાતી બોલે છે અને ગુજરાતી ગીતો ગાય છે. હું માનું છું કે ભાષા ગઈ તો કલ્ચર ગયું. એટલે સંસ્કૃતિ અને સંસ્કાર બચાવવા બાળકોને માતૃભાષા શિખવાડવી જ જોઈએ, દુનિયાના કોઈ પણ ખૂણે તમે રહેતા હો તો પણ.’
ફાલુએ તેના દીકરાને ભારતીયના રસોડામાં વણાઈ ગયેલાં મરીમસાલા અને આપણી સંસ્કૃતિને અનુરૂપ સરળ અને આસાનીથી સમજાય એવાં ગીતો લખ્યાં, જે આલબમ ગ્રેમી એવોર્ડ્સ માટે પસંદગી પામ્યું હતું. એ ગીતોની સર્જનકથા રસપ્રદ છે.
‘મારા દીકરાને અમેરિકામાં નાનપણથી જ આઈડેન્ટિટી ક્રાઈસિસ આવી ગઈ હતી. સ્કૂલેથી આવીને એ મને પૂછતો, મમ્મી, બધા ગોરા છે તો હું કેમ બ્રાઉન? આપણી રસોઈ કેમ લાલ-પીળા રંગની? ઘરમાં આપણે કેમ જુદી ભાષા બોલીએ છીએ?’ પોતાની સંસ્કૃતિ માટે દીકરાને પ્રેમ થાય, ભારતીય ઓળખ પ્રત્યે કમ્ફર્ટેબલ થાય એટલે મેં એને સમજાય એવાં ગીતો લખ્યાં, કમ્પોઝ કર્યાં અને શીખવાડ્યાં. સંગીત દ્વારા શીખવાની એને પણ મજા આવતી. ‘ફાલુ’ઝ બાઝાર’ લોકો માટે હતું જ નહીં. મારા બાળકને મારે માતૃભાષા-સંસ્કૃતિથી અવગત કરાવવું હતું, તેથી અંગ્રેજી, હિન્દી, ગુજરાતીના સંયોજનથી મેં બાળગીતો લખ્યાં જેમાં તવેથો, વેલણ અને ચકલાની વાત આવે તથા હળદર-મરચાંની પીળી દાળ પણ પ્રગટ થાય.
અમારા અમેરિકન મ્યુઝિકલ બેન્ડના સભ્યો એક વાર ઘરે આવ્યા ત્યારે મારો દીકરો મેં શિખવાડેલું બાળગીત, યમી યમી, ઈન યોર ટમી, ધિઝ આર ડિફરન્ટ સ્પાઈસીઝ, ડિફરન્ટ કલર્સ એન્ડ ડિફરન્ટ ફ્લેવર્સ … ગાતો હતો. બધાને એ સાંભળીને ખૂબ મજા આવી. એમણે કહ્યું કે આપણે આ ગીતો સ્ટુડિયોમાં રેકોર્ડ કરીએ. રેકોર્ડિંગ કર્યા પછી મારી મેનેજરે ક્યારે આલબમને ગ્રેમી એવોર્ડ કેટેગરીમાં મૂકી દીધું એ મને ખબર જ નહોતી. જ્યારે નોમિનેટ થયું અને અઢળક ફોન આવ્યા ત્યારે મને ખબર પડી. પુષ્કળ આનંદ પણ થયો હતો, કારણ કે વિદેશમાં મારી ભારતીય સંસ્કૃતિને ઓળખ મળી હતી. ઘરમાં અમે ગુજરાતી જ બોલીએ છીએ. અમારી વાતચીતમાં ભૂલમાં અંગ્રેજી શબ્દ આવી જાય તો દીકરો કહે કે, કેમ આપણે અંગ્રેજી થઈ ગયા છીએ? બાળકો બેથી વધુ ભાષા શીખે એના ફાયદા વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલા છે. હમણાં જ મેં એને નિનુદાદાનું ‘રસ જગન ગુફામાં ઝર ઝર ઝરે …’ ગીત શીખવાડ્યું. એમાં જુદા જુદા રસ ધરાવતાં ગીતોનું સંયોજન છે એટલે બાળકને એની લાગણી વ્યક્ત કરતાં શિખવાડવું હોય તો વિવિધ રસનાં ગીતો શિખવાડવાં જોઈએ. મારું આલબમ ‘ફાલુ’ઝ બાઝાર’ એટલે જ પસંદ થયું હતું, કારણ કે સંસ્કૃતિ બચાવવા એક માતાએ કહેલી દિલની વાત એમાં હતી. પરિણામે અમેરિકામાં રહેતા દરેક ઇમિગ્રન્ટને થયું કે આપણે પણ આપણી ભાષા-સંસ્કૃતિને શા માટે છોડવી જોઈએ? એ રીતે ‘ફાલુઝ બાઝાર’ને ઘણા મત મળ્યા હતા.’
મેલોડિયસ અને કેચી અવાજ દ્વારા વૈશ્વિક અપીલ ધરાવતાં ફાલુએ થોડા સમય પહેલાં ‘સમ ડે’ આલબમ બહાર પાડ્યું છે. એમાં શાસ્ત્રીય સ્પર્શ ધરાવતી ઠૂમરી, ‘નદી રે કિનારે …’ની વિડિયોગ્રાફી તથા સ્વરાંકન અદ્ભુત છે. ભારતીય શાસ્ત્રીય સંગીત સાથે અમેરિકન રોક-પોપના સંયોજનથી તેઓ ઈન્ડિ-હિન્દી ગીતો બનાવે છે. સંગીત કેટેગરીમાં ‘વીમેન આઈકન્સ ઓફ ઈન્ડિયા’ એવોર્ડ જીતનાર ફાલુએ ‘અમેરિકન પેચવર્ક ક્વોર્ટેટ’ આલબમ પર કામ કર્યું છે. એ કહે છે, ‘ભૂતપૂર્વ પ્રમુખ ટ્રમ્પની વિચારધારા પરદેશીઓ(ઇમિગ્રન્ટ્સ)ને કાઢવાની હતી, તેથી અમેરિકન લોકગીતોમાં ભારતીય ફ્લેવર ઉમેરીને મેં ગીતો બનાવ્યાં જેનો સાર એ હતો કે વિવિધ દેશોના વૈવિધ્યને લીધે જ અમેરિકા રંગીન બન્યું છે, એની પ્રગતિ થઈ છે. બધા પરદેશીઓ ખરાબ નથી, એટલું જ નહીં એ લોકોની વિવિધ સંસ્કૃતિને લીધે અમેરિકા અનોખું બન્યું છે, એની આગવી ઓળખ પ્રસ્થાપિત થઈ છે. જપાન, આફ્રિકા, અમેરિકા અને હું ભારતીય એમ ચાર દેશોના સંગીતકારોએ ભેગા મળીને આ આલબમ તૈયાર કર્યું. અમે મ્યુઝિકલ ટૂર પણ કરવાનાં હતાં, પરંતુ વૈશ્વિક મહામારીને લીધે એ અટકી ગઈ. ગુજરાતી ગીતો તો જ્યારે તક મળે ત્યારે ગાઉં છું. ‘પાન અવસરનાં’ મારું અતિપ્રિય ગીત છે. અનેક પ્રોગ્રામમાં મેં એ ગીત ગાયું છે.’
આ ગીતના સ્વરકાર ઉદય મઝુમદારે ‘પાન અવસરનાં …’ ગીતના સ્વરાંકન વિશે રસપ્રદ વાત કહી. ‘કવિમિત્ર હર્ષદ ચંદારાણા એક વાર મુંબઈ પધારેલા. એમને એરપોર્ટ પર મૂકવા હું જઈ રહ્યો હતો ત્યારે કારમાં એમણે આ ગીતની બે પંક્તિઓ સંભળાવી. મને બહુ ગમી ગઈ એટલે મેં કહ્યું કે કવિ, આ ગીત પૂરું કરજો. પંક્તિઓ ઉત્તમ આવી છે. એ પછી થોડા જ સમયમાં આપણા સંગીતકાર-ગાયક સુરેશ જોશીનાં અમરેલીમાં લગ્ન યોજાયાં હતાં. હર્ષદ અમરેલી રહે એટલે એ મને ભાવનગર એરપોર્ટ પર લેવા આવવાના હતા. મેં શરત મૂકી કે ‘પાન અવસરનાં …’ ગીત આખું લઈને આવજો. હું તો ભાવનગર પહોંચ્યો તો કવિનો અતો-પતો નહીં. હજુ કંઈ વિચારું એ પહેલાં હર્ષદનો ફોન આવ્યો કે મને આવતાં મોડું થશે તો તમે ભાવનગરના કવિ વિનોદ જોશીને ત્યાં બેસો, હું તમને ત્યાંથી અમરેલી લઈ જઈશ. મને થયું કે કવિ નક્કી પેલી કવિતા પૂરી કરવામાં રોકાઈ ગયા લાગે છે. હું તો ચાલ્યો વિનોદ જોશીને ઘરે, તો ઘરે તો તાળું! છેવટે રિક્ષામાં બેસી ટાઈમ પસાર કર્યો. ત્યારબાદ કવિ ગીત સાથે હાજર થયા અને સુરેશ જોશીનાં લગ્નની આગલી રાતે હર્ષદના ઘરે કોઈ પણ વાદ્યની સહાય વિના કન્યાવિદાયનું આ ગીત સ્વરબદ્ધ થઈ ગયું.’
સંગીતકાર ઉદયભાઈ જાનૈયાઓ સાથે હતા, કન્યા દર્શનાબહેનને પક્ષે તો કદાચ આ ગીત એ વખતે તાજું ગવાઈ પણ ગયું હોત! અલબત્ત, ગીતના શબ્દો હૃદયસ્પર્શી છે. છેલ્લી પંક્તિઓ તો કેવી સુંદર છે;
મૂળ મેલ્યા ને છાંયડા ઝાલિયા રે
પાન અવસરનાં
ઝાડ છોડી ડાળીબેન હાલિયાં રે
પાન અવસરનાં!
મૂળ વાત એ છે કે આપણે આપણાં સંતાનોને ભારતીય ભાષા-સંસ્કૃતિનો વારસો નહીં આપીએ તો એ પછીની પેઢી આપણા સમૃદ્ધ વારસાથી વિમુખ થઈ જશે. હજું ય મોડું નથી થયું. બાળક ભલે અંગ્રેજી માધ્યમમાં ભણે પણ આપણા સંસ્કારથી એને દૂર ન કરવું જોઈએ. આ કોલમનો હેતુ પણ આ જ છે. ગુજરાતી ગીતોને રમતાં કરો, વહેતાં રાખો. જેને માતૃભાષા સરખી આવડે એ દુનિયાની કોઈ પણ ભાષા આસાનીથી શીખી શકે છે.
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”. 04 માર્ચ 2021
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=686131