એક પરિચિતની દીકરી વિદેશમાં નોકરી શોધી ત્યાં જ સ્થાયી થવા વિચારે છે. વિદેશ જવાનું કારણ શું, તો કે અહીં લાયકાત પ્રમાણે નોકરી મળે એમ નથી ને મળે તો ખાનગીમાં પગાર ઓછો ને મજૂરી વધારે છે. આ ઉપરાંત ઓળખાણ ન હોય તો ઈન્ટરવ્યૂ આપીને અહીં જ આધેડ થઈ જવાય એવી સ્થિતિ છે. ઘણા યુવાનો આ રીતે વિચારે છે ને વર્તે પણ છે. એવા દિવસો આવી રહ્યા છે કે યુવાધન, અહીં ભણીને વિદેશમાં સ્થાયી થઈ જાય. વસતિના પ્રમાણમાં, વિશ્વમાં સૌથી વધુ યુવાનો અત્યારે ભારતમાં છે, એ સાચું હોય તો આ યુવાધનને સાચવવાની તૈયારી સરકારોની જણાતી નથી.
યુવાનો પણ એટલા સુખાળવા છે કે કોઈ પણ રીતે વધુ કમાણી કેવી રીતે થાય એ સિવાય ભાગ્યે જ બીજું વિચારે છે. ઘણા એવા છે જે અહીં ભ્રષ્ટતા આચરીને વિદેશ જવાની સ્થિતિમાં આવ્યા છે ને હવે એમને અહીં ભ્રષ્ટાચાર દેખાય છે. હશે, અત્યારે કોઈ પણ રીતે વધારેને વધારે કમાવું એ જ સૌનું લક્ષ્ય હોય ત્યારે માત્ર યુવાનોને દોષ દેવાનો કોઈ અર્થ નથી.
ગુજરાતનું નવું બજેટ આવી ગયું, એમાં નવી નોકરીઓ લાખોની સંખ્યામાં આપવાની વાત છે જ, બજેટનું એવું છે કે એમાં જૂના વાયદાઓ બહુ પાળવાના હોતા નથી ને નવા વાયદાઓ જૂના થાય ત્યાં તો નવું બજેટ આવી જાય છે, એટલે “નવી ગિલ્લી નવો દાવ” જ યાદ રાખવાનું રહે છે. આ વખતે ગુજરાતે પાંચ વર્ષમાં સરકારી – અર્ધસરકારી ક્ષેત્રે બે લાખને અને ખાનગી ક્ષેત્રે વીસ લાખને નોકરી આપવાની વાત કરી છે, પણ આ તો પ્રધાન છે, વાતો તો કરે જ ને ! જે દેશના નાણા મંત્રી 18 લાખની વાર્ષિક આવકવાળાને લોઅર મિડલ ક્લાસમાં મૂકતા હોય તે દેશની સમૃદ્ધિ અમેરિકાથી ચડિયાતી હોય એમાં નવાઈ નથી. અરે ! અમેરિકા જેવાને 15 લાખ કરોડની લોન ભારત આપતું હોય એ દેશમાં ગરીબો હોય જ કેવી રીતે? એ જુદી વાત છે કે આર્થિક સંકડામણને કારણે વડોદરાનું આખેઆખું કુટુંબ ઝેર પી લે કે કોઈ યુવક કે યુવતી નોકરી ન હોવાને કારણે પાંચમે માળેથી કે પુલ પરથી છલાંગ લગાવી દે. આવી ક્મોતની સંખ્યા વધારે હોય તો પણ વસતિનાં પ્રમાણમાં સત્તાધીશોને તે ઓછી જ લાગવાની.
એકવીસમી સદીનું એક વલણ નોંધવા જેવું છે. એમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું. અભણ કે અલ્પશિક્ષિત મંત્રીને પૂર્ણશિક્ષિત અધિકારીઓ મળ્યા. એને કારણે શિક્ષિત વર્ગ હતાશ હોય એમ બને. મંત્રી ભ્રષ્ટ હોય તો હાથ નીચેનો શિક્ષિત અધિકારી અપવાદરૂપે જ ભ્રષ્ટાચારી ન હોય ને આ રેલો પછી તમામ શિક્ષિત વર્ગોમાં ઊતરે તો આશ્ચર્ય ન થવું જોઈએ.
ઓછું ભણેલો શાળા કે કોલેજ ચલાવે અને એના હાથ નીચે પીએચ.ડી. ઓછા પગારે કૂટાતો હોય તો એનો શિક્ષિત અસંતોષ બીજે માર્ગે ફંટાય ને એ વધારે તીવ્ર અને ભ્રષ્ટ બને એમાં નવાઈ નથી. સરકારી ક્ષેત્રોમાં હરામખોરી અને ખાનગી ક્ષેત્રોમાં શોષણ એ આ સદીનાં વરદાન છે. એમાં કોઈકને કોઈક પ્રકારની ભ્રષ્ટતા વધે તે નક્કી છે. શિક્ષિતોમાં એટલું બન્યું છે કે જો એ લૂંટાઈને કશુંક પામ્યો હશે તો તે લૂંટવામાં બાકી ના રાખે. ડોક્ટરો, વકીલો, એન્જિનિયરો ને એવા બીજા ક્ષેત્રના લોકો જ્યાં તક મળે છે, લૂંટે જ છે. આ બધામાં સારા લોકો પણ છે જ, કોરોનામાં ડોકટરોએ જીવ આપીને સારવાર કરી છે, તો લાશના પૈસા પણ ઉપજાવ્યા છે તે સૌ જાણે છે. એન્જિનિયરિંગની ડિગ્રી આવી તે પહેલાં કેટલી બધી કાળજયી ઇમારતો ભારતમાં બની ! દૂર શું કામ જવું? તાજમહાલનો દાખલો જ પૂરતો છે. એ પછી પણ ઘણી મજબૂત ઇમારતો બની જ છે, પણ હવે એની લાઈફ – આવરદા ભ્રષ્ટાચારે ખાઈ નાખી છે. સુરતની જ વાત કરીએ તો ઘણાં શોપિંગ સેન્ટર્સ કે ફ્લેટ્સ ઉતારી લેવા પડ્યાં છે તો ઘણાં બિસ્માર હાલતમાં પડવાને વાંકે ઊભાં છે. કેટલાં પુલો કે બંધો જોખમો સાથે જ ઊભાં થાય છે, તે ઓછું વીતાડે છે?
કેમિકલ ફેક્ટરીઓ નફો કરતાં જઈને લોકોને માથે જોખમ ઊભું કરે જ છે. કોરોનાનાં નકલી ઈંજેકશનો અસલ કરતાં મોંઘાં વેચાયાં જ છે! ઠેર ઠેર આપણે મોતની વાવણીઓ કરી છે ને એમાંથી અમર્યાદ નફો રળીએ છીએ. નફો ખોટો નથી, પણ બીજાના જીવ પર જોખમ ઊભું કરીને, પૂરી બેશરમીથી માત્ર નફો જ રળીએ એ બરાબર નથી. બધામાં જ સરકારનો વાંક ન કઢાય. પ્રજા તરીકે આપણી ગુનાખોરી પણ ઓછી નથી. એમાં અભણ ઓછો જોખમી છે ને ભણેલો તો દાટ જ વાળતો હોય છે. કેટલાક શિક્ષિતો યુક્તિથી કામ કેમ કઢાવવું તે જાણે છે. શિક્ષણ અહીં મદદે આવે છે. શોષણ સામાની ગરજ કે જરૂરને નામે કોઈ પણ સત્તાધારી કરી શકે, પણ વ્યક્તિ શિક્ષિત હશે તો શોષણ વધુ સૂક્ષ્મ હશે તે ધ્યાને લેવાનું રહે. સામેવાળાને ખબર પણ ન પડે એવું શોષણ હવે શિક્ષણની ચતુરાઈથી શક્ય છે. શિક્ષણથી વ્યક્તિ વધુ સંવેદનશીલ બનવી જોઈતી હતી, પણ તે હવે વધુ સ્વાર્થી બની છે. ઉદારતાનું સ્થાન લોભે લીધું છે. આમ થવાનું કારણ એ છે કે આપણે સાહિત્ય, કળા, સંસ્કારને હાંસિયામાં ધકેલ્યાં છે ને જેમાંથી વધુને વધુ કમાણી થઈ શકે એનું જ મહત્ત્વ આંકયું છે. એને કારણે સંવેદના, વેદનામાં પરિણમી છે. કોઈના પ્રત્યે સંવેદના થાય એવું વાતાવરણ જ લગભગ નથી. એક માણસને સારી રીતે જીવવા માટે કેટલી સંપત્તિ જોઈએ? એના કરતાં અનેકગણી સંપત્તિ ભેગી કરવામાં જીવવાનું જ ભૂલી જવાય છે. ઘણીવાર તો પાછળ વાપરનારું કોઈ હોતું નથી ને સંપત્તિ ખડકાયેલી જ રહી જાય છે. જરૂર કરતાં ઘણું વધારે હોવા છતાં, વધુને વધુ ભેગું કરવાની વૃત્તિ અનેકનું શોષણ કરાવે છે ને છેવટે રાખ જોવા ય નથી પામતાં. જો કે આવી પરિસ્થિતિમાં પણ સદ્દભાવ અને સ્નેહથી મદદનો હાથ લંબાવનારા છે જ, એ જ તો આશ્વાસન છે, પણ એની ટકાવારી ખૂબ ઓછી છે.
અમદાવાદની એક યુવતીએ સાબરમતીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી. કેમ? તો કે, તેનો પતિ પૈસાની માંગણી કરતો હતો. પરિણીતાના પિતાએ દોઢેક લાખ તો આપ્યા પણ ખરા, પણ માંગવાનું બંધ ન થયું ને દીકરીએ જળસમાધિ લીધી. એવો જ એક કિસ્સો મહિના અગાઉ સુરતમાં બન્યો હતો. પરિણીતા પી.એસ.આઈ. હતી. તે ગુનેગારોને પહોંચી વળે તેમ હતી, પણ સાસરિયાંને માંગતાં રોકી ન શકી. તેણે પણ થાકીને પોતાને ગોળી મારી દીધી. ભિખારીઓ પણ માંગતા થાકતા હોય છે, પણ દીકરીનું સાસરું એટલું ભૂખ્યું હોય છે કે સામે પલ્લે આખી પૃથ્વી મૂકી દો તો પણ સંતોષ ન થાય. એવું નથી કે યુવતીઓ બધી ઉત્તમ જ છે. દહેજના ખોટા કેસો કરીને સાસરિયાંઓને ત્રાસ આપવાના કિસ્સા સામે આવ્યા જ છે, એ છતાં એટલું કહેવાનું થાય જ છે કે દહેજનું દૂષણ ઘટવાને બદલે વધ્યું છે. શિક્ષણના આટલા વ્યાપ છતાં, દહેજ માંગવાની યુવાનોને શરમ લાગતી નથી. એવું નથી કે અભણ કે ગરીબ લોકો જ દહેજ માંગે છે. આવી ભીખ શિક્ષિતો ને અમીરો પણ માંગતા હોય છે.
અમદાવાદની યુવતીનો પતિ ગરીબ નથી, તે રાજસ્થાનનો, દુકાનો ધરાવતો ને ભાડું ખાતો સ્થિતિ સંપન્ન માણસ છે. તેણે માંગણીઓ કરીને પોતાની પરિણીતાને આત્મહત્યા કરવા મજબૂર કરી. સુરતની પી.એસ.આઈ. તો પોતે જ નોકરીમાં હતી, છતાં તેનાં સાસરિયાંઓ ધરાતાં ન હતાં ને પોલીસમાં હોવા છતાં સુરતી દીકરીની પણ ધીરજ ખૂટી ને તેણે સામે છોડવાની ગોળી પોતાના પર છોડી. આ બંને કિસ્સામાં માંગવુ પડે એવી લાચારી કોઈ કુટુંબ ધરાવતું નથી ને છતાં બે પરિણીતાઓ પોતાનો જીવ લેવા લાચાર બને છે. આ નાલેશીભરી ઘટનાઓ છે ને એવી આ એક નથી, ઘણી છે. આ સૌમાં સૌથી વધુ ગુનેગાર એ પતિઓ છે જે હરામનું ભેગું કરવા પરણે છે ને નિર્દોષ છોકરીઓને મોડા વહેલાં મરવા તરફ ધકેલે છે. કોઈ કિસ્સામાં જરૂર હોઈ શકે છે, પણ મોટે ભાગે ઈરાદો તો હરામની કમાણી દ્વારા બેન્ક બેલન્સ વધારવાનો જ હોય છે. આમાં પણ શિક્ષણ ભાગ ભજવે છે. છોકરી ને છોકરો બંને ડોક્ટર હોય તો પણ મૂરતિયાનો માંગવાનો અધિકાર અબાધિત રહે છે. છોકરીનો બાપ માંગી શકતો નથી કે એની દીકરી પણ ડોક્ટર છે ને એને ભણાવવાનું કૈં મફત થયું નથી. નથી કહી શકતો આવું.
એક વાત તમામ સમાજમાં જડમૂળથી સ્થાપિત થવી જોઈએ ને તે એ કે છોકરીનો બાપ નીચું જોવા જન્મેલો નથી. બાપ છોકરાનો હોય કે છોકરીનો તે સમાન સ્તરે છે. બંને બાપ સમાન કક્ષાએ હશે તો જ આ માંગવાનું બંધ થઈ શકશે ને એ છોકરાને શું કહેવું જે પોતે બાપને પૈસે મોટો થયો છે ને જેને પરણીને લાવે છે તેનું ભરણપોષણ પણ એ પોતે કરવા સમર્થ નથી, એટલે દીકરીના બાપને ખંખેરીને પોષાય ને પોરસાય છે. આવા નમૂનાઓનો સાર્વત્રિક બહિષ્કાર થવો જોઈએ. થાય છે શું કે તેને બીજી છોકરી કોરા ચેક જેવી સામેથી આવી મળે છે ને તે તેના અહંકારને આસમાને મૂકી આપે છે. આ સ્થિતિ નહીં સુધરે ત્યાં સુધી દીકરીઓનો ધુમાડો થતો જ રહેવાનો છે ને આંખો ભીની થતી જ …
0 0 0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 માર્ચ 2021