Opinion Magazine
Number of visits: 9964518
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મેળમાથા વિના બોલવું વડા પ્રધાન પદની ગરિમા લજવનારું છે

રમેશ ઓઝા|Opinion - Opinion|1 April 2021

વડા પ્રધાને બંગલાદેશમાં બંગલાદેશના વડા પ્રધાનની ઉપસ્થિતિમાં દાવો કર્યો હતો કે તેમણે બંગલાદેશની મુક્તિ માટેના સત્યાગ્રહમાં ભાગ લીધો હતો, એટલું જ નહીં તેને માટે જેલમાં પણ ગયા હતા. આ કથન પછી વડા પ્રધાનની સોશ્યલ મીડિયા પર ઠેકડી ઉડાડવામાં આવી રહી છે. દેશના વડા પ્રધાનની ઠેકડી ઉડતી હોય એ જોઇને દુઃખ કરતાં શરમ વધુ અનુભવાય છે. શા માટે આવી મેળમાથા વિનાની વાતો કરીને તેઓ પોતાની અને દેશની પ્રતિષ્ઠા ઘટાડે છે અને એ પણ વિદેશની ભૂમિમાં? આવું પાછું આ પહેલીવાર નથી બન્યું અનેકવાર બન્યું છે. ગમે તે બોલવું એ તેમની રોકી ન શકાય એવી આદત છે કે પછી તેમની રાજકીય શૈલીનો હિસ્સો છે એવો પણ સવાલ લોકો કરે છે.

બંગલાદેશની મુક્તિ માટે ભારતમાં કોઈ સત્યાગ્રહ શા માટે કરે? કરે તો કોની સામે કરે? ભારત સરકારે પશ્ચિમ પાકિસ્તાનના લશ્કર દ્વારા પૂર્વ પાકિસ્તાનના ગરીબ લાચાર બંગાળી મુસલમાનો ઉપર કરવામાં આવી રહેલા અત્યાચારો રોકવા માટે પહેલ કરવી જોઈએ કે દરમ્યાનગીરી કરવી જોઈએ એવી માગણી સાથે સાહેબે સત્યાગ્રહ કર્યો હતો એવો ખુલાસો પણ આપી શકાય એમ નથી, કારણ કે આવી માગણી કોઈ કરે એ પહેલાં જ ભારત સરકાર પૂર્વ પાકિસ્તાનના મામલામાં સક્રિય હતી. હકીકતમાં ભારત સરકાર અને ભારતીય લશ્કર બંગલાદેશનાં મુક્તિદાતા અને સ્થાપક બન્ને છે. બંગલાદેશ વિષે સેંકડો પુસ્તકો લખાયાં છે જેમાં એક સરખી આ જ વાત કહેવાઈ છે. લેફ્ટનન્ટ જનરલ જે.એફ.આર. જેકબે લખેલી આત્મકથા ‘સરન્ડર એટ ઢાકા: બર્થ ઑફ અ નેશન’માં પણ મુત્સદીપૂર્વક આ જ વાત કહેવાઈ છે. બંગલાદેશ પૂર્વ બંગાળના નાગરિકોએ જીત્યું છે એનાથી વધુ ભારતે તે જીતીને આપ્યું છે. પાકિસ્તાનને આ વાતની ચીડ છે અને તેનું વેર વાળવા પાકિસ્તાન ત્રાસવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. ભારતે કાશ્મીર(૧૯૪૭)નું વેર બંગલાદેશ(૧૯૭૧)માં વાળ્યું હતું અને પાકિસ્તાન તેનું વેર કાશ્મીરમાં વાળવાનો પ્રયાસ કરી રહ્યું છે.

બીજું, નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક છે અને સંઘને મુસલમાનોની મુક્તિમાં રસ હોય એની તમે કલ્પના પણ કરી શકો? ત્રીજું જે સંગઠને ભારતના (ભારતના હિંદુઓને કહો) આઝાદી અપવવા માટે ક્યારે ય કોઈ સત્યાગ્રહ નહોતો કર્યો કે નહોતો સત્યાગ્રહમાં ભાગ લીધો એ બંગલાદેશના મુસલમાનો માટે સત્યાગ્રહ કરે? અને ચોથું, હિન્દુત્વવાદીઓ સત્યાગ્રહને ગાંધી નામના નમાલા માણસનાં નમાલાં સાધન તરીકે ઓળખાવે છે અને પોતાને બહાદુર. તેઓ વળી ક્યારે ગાંધીનો માર્ગ અપનાવવા લાગ્યા? હા, કેટલાક લોકોએ (ખાસ કરીને સમાજવાદીઓએ) ભારતમાંની પાકિસ્તાનની એલચી કચેરી સામે અત્યાચાર રોકવાની માગણી સાથે દેખાવો કર્યા હતા, પણ સંઘે અને જનસંઘે તો દેખાવો પણ નહોતા કર્યા. તેમને મુસલમાનો માટે કોઈ સહાનુભૂતિ જ નથી એ તો જગજાહેર છે. તો પછી વડા પ્રધાને બાવીસ વરસની કાચી ઉમંરે સત્યાગ્રહ કોની સામે કર્યો અને કોના નેતૃત્વમાં કર્યો? જેલમાં ગયા હતા તો જેલનો રેકોર્ડ પણ હશે. કોઈ ભક્ત પાસે કોઈ પ્રમાણ હોય તો જરૂર આપે.

ખેર, એ વાત જવા દઈએ. વડા પ્રધાન જે દિવસે બંગલાદેશમાં હતા એ જ દિવસે એટલે કે ૨૭મી માર્ચે પડોશમાં મ્યાનમારમાં ચૂંટાયેલી સરકાર પાસેથી સત્તા છીનવી લેનારા લશ્કરી સરમુખત્યારોએ લશ્કરી પરેડ યોજી હતી જેમાં ભારતના લશ્કરના એટેચીએ હાજરી આપી હતી. વાચકોને યાદ હશે કે મ્યાનમારમાં પહેલી ફેબ્રુઆરીએ લશ્કરે બળવો કરીને ચૂંટાયેલી સરકાર ઉથલાવી હતી અને ભારતે હજુ સુધી એ ઘટનાની નિંદા કરી નથી. એ પરેડમાં માત્ર સાત દેશોએ હાજરી આપી હતી જેમાં ભારત એક હતું. જે દેશો તેના દરેક અર્થમાં લોકતાંત્રિક છે એવા એક પણ દેશે હાજરી નહોતી આપી. ચીન, રશિયા, પાકિસ્તાન, વિએતનામ જેવા દેશોના પ્રતિનિધિઓની સાથે ભારતના લશ્કરી એટેચી બેઠા હતા. વડા પ્રધાન જ્યારે બંગલાદેશનાં મુસલમાનોની મુક્તિ માટે જેલ જવાનો દાવો કરતા હતા એ જ દિવસે લગભગ એ જ સમયે આઝાદી માટે અથવા સરમુખત્યારશાહીથી મુક્તિ મેળવવા લડનારા બર્મીઝ નાગરિકોએ દેખાવો કર્યા હતા અને લશ્કરે નિર્દોષ નાગરિકો ઉપર ગોળીબાર કર્યો હતો જેમાં ૯૦ જણા માર્યા ગયા હતા. ભારત સરકારે એ ઘટનાની નિંદા કરવાની પણ બાકી છે.

હજુ એક સ્મરણ અપાવી દઉં. ૨૩મી માર્ચે સંયુક્ત રાષ્ટ્રસંસ્થાની નાગરિક અધિકાર પરિષદમાં શ્રીલંકાએ જાફનામાં તમિલો સાથે જે અત્યાચાર કર્યા તેની નિંદા કરતો પ્રસ્તાવ આવ્યો હતો. વાચકોને યાદ હશે કે ૨૦૦૯ની સાલમાં શ્રીલંકાની સરકારે જાફનામાં તમિલો માટે અલગ ભૂમિની માગણી કરનારા તમિલોનો નરસંહાર કર્યો હતો. એમ કહેવાય છે કે વીસથી પચીસ હજાર તમિલોને લશ્કરી જવાનોએ મારી નાખ્યા હતા. નાગરિક અધિકાર પરિષદના ૪૭ સભ્ય દેશોમાંથી બાવીસ દેશોએ નિંદાના પ્રસ્તાવની તરફેણમાં મત આપ્યો હતો, ૧૧ દેશોએ તેની વિરુદ્ધમાં મત આપ્યો હતો અને ૧૪ દેશો મત આપવામાં ગેરહાજર રહ્યા હતા. શ્રીલંકાના હિંદુ તમિલોના નરસંહારની નિંદા કરવાથી બચવા માગનારા દેશોમાં એક દેશ ભારત હતો. ભારતે શ્રીલંકન હિંદુ તમિલોની તરફેણમાં મત નહોતો આપ્યો.

બોલો, બાવીસ વરસની ઉંમરે બંગલાદેશના બંગાળી મુસલમાનોને ન્યાય મળે એ માટે સત્યાગ્રહ કરનારા અને જેલ જનારા નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી મ્યાનમારમાં બર્મીઝ નાગરિકોના અધિકારોનું અને શ્રીલંકામાં તમિલ નાગરિકોના અધિકારોનું દમન કરનારાઓનો વિરોધ તો કરતા નથી, ઊલટું હાજર રહીને કે ગેરહાજર રહીને સમર્થન કરે છે. અહીં જણાવી દેવું જોઈએ કે મ્યાનમારમાં લોકશાહી માટે લડનારાં સુ કીને આગળની કૉંગ્રેસ સરકારે પણ ટેકો નહોતો આપ્યો. એવી જ રીતે શ્રીલંકામાં તમિલો ઉપર અત્યાચાર કરનાર શ્રીલંકાની સરકારની નિંદા કરનારા આ પહેલાના પ્રસ્તાવ વખતે ભારત ગેરહાજર રહ્યું છે. આ લખનારે એ દરેક વખતે કૉંગ્રેસ સરકારની ટીકા કરી હતી. ફરક એ છે કે એ સમયના વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ જ્યાં જાય ત્યાં તમારે માટે મેં શહીદી વહોરી હતી એવા દાવા નહોતા કરતા. લોકો ઠેકડી ત્યારે ઉડાડે જ્યારે દાવો ખોટો પણ હોય અને હજમ થઈ શકે એનાથી મોટો પણ હોય. હસતા હસતા માણસ કોળિયો થુંકતો જાય એવું ન બોલવું જોઈએ.

મ્યાનમારમાં અને શ્રીલંકામાં ભારત મૂલ્યોના પક્ષે ઊભું રહી શકતું નથી એનું કારણ છે ચીન. ચીને ભારત ફરતે ભરડો લીધો છે. ભારત મૂંગું રહે છે અથવા હળવો ટેકો આપે છે તો ચીન આ બે દેશોને અને દક્ષિણ એશિયાના બીજા બધા દેશોને ખુલ્લો ટેકો આપે છે. સરવાળે આમાં ભારત ગોળો અને ગોફણ બન્ને ગુમાવી રહ્યું છે.

દરમ્યાન ઉપર ઉપસ્થિત કરેલા સવાલ વિષે વિચારો. મેળમાથા વિના ગમે તે બોલવું એ તેમની રોકી ન શકાય એવી આદત છે કે પછી તેમની રાજકીય શૈલીનો હિસ્સો છે? વિચારો.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 01 ઍપ્રિલ 2021

Loading

દેખ લો આજ હમકો જી ભર કે, કોઈ આતા નહીં હૈ ફિર મર કે…

રાજ ગોસ્વામી|Opinion - Opinion|1 April 2021

ગયા સોમવારે [22 માર્ચ] ૮૮ વર્ષની ઉંમરે અવસાન પામેલા સાગર સરહદી વ્યવસાયિક હિન્દી ફિલ્મોના જીવ ન હતા. મજબૂરીમાં એ કોમર્સિયલ ફિલ્મોમાં આવેલા. એટલા માટે જ લેખક-સંવાદલેખક તરીકે તેમના નામે આંગળીના વેઢે (૧૫) ફિલ્મો બોલે છે. મૂળ ઉર્દૂ સાહિત્યના માણસ અને પ્રગતિશીલ લેખક મંડળના રંગે રંગાયેલા, એટલે સામાજિક નિસબત તેમની પહેલી પ્રાથમિકતા હતી. મૂળ નામ ગંગા સાગર તલવાર. પાકિસ્તાનના સરહદી વિસ્તાર અબ્બોટ્ટાબાદ (જ્યાં ઓસામા બીન લાદેનનો સંહાર થયો હતો) પાસે બાફ્ફામાં એ જન્મ્યા હતા. તેની યાદમાં તેમણે 'સરહદી' તખ્ખલુસ રાખ્યું હતું. વિભાજનમાં પરિવાર પહેલાં શ્રીનગર અને પછી દિલ્હીમાં સ્થાયી થયો.

તેમના મોટાભાઈએ મુંબઈમાં કપડાંની દુકાન નાખી હતી, એટલે દસમું પાસ કરીને સાગર મુંબઈ ભણવા આવી ગયા. ખાલસા કોલેજમાં એ ગુલઝારને મળ્યા હતા. તેમને ગુલઝારની ઉર્દૂની ઈર્ષ્યા આવી, એટલે ઉર્દૂ અને અંગ્રેજી મજબૂત કરવા માટે બીજા વર્ષે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં જોડાઈ ગયા. એમાંથી એ ગ્રાન્ટ રોડ પ્રગતિશીલ લેખક મંડળના અડ્ડા રેડ ફ્લેગ હોલના સંપર્કમાં આવ્યા, જેમાં ધુરંધર ઉર્દૂ લેખકો રાજીન્દર સિહ બેદી, ઈસ્મત ચુઘતાઈ, કે.એ. અબ્બાસ, સરદાર જાફરી, કૈફી આઝમી વગેરે રહેતા હતા.

ત્યાંથી ગાડી થોડીક પાટે ચઢી, પણ ઉર્દૂ લેખક તરીકે કંઈ કમાવા નહીં પડે, એવું ભાન થતાં તેમણે નાટકો અને ફિલ્મોમાં હાથ અજમાવાનો શરૂ કર્યો. એમાં તેજપાલ હોલમાં એમનું એક નાટક 'મિર્ઝા સાહેબાન' જોવા યશ ચોપરા આવ્યા હતા. યશજીને સરહદીમાં હીર દેખાયું અને કહ્યું કે મારા માટે ફિલ્મ લખશો? એમાંથી બ્લોકબસ્ટર 'કભી કભી' ફિલ્મ આવી. પછી તો તેમણે યશજી માટે 'નૂરી,' 'સિલસિલા' અને 'ચાંદની' લખી હતી.

'કભી કભી' પછી રાતોરાત તેમને બહુ ઓફરો આવી હતી, પણ તેમને જરૂરિયાત જેટલા જ રૂપિયા કમાવા હતા. તેમને ધંધાદારી લેખક બનવું ન હતું. તેમનો મૂળ રસ તો વધુને વધુ વાંચવાનો અને લખવાનો હતો. તેમને વ્યવસાયિક હિન્દી ફિલ્મોની મસાલાથી ભરપૂર વાર્તાઓ પણ માફક આવતી ન હતી.

એક ઇન્ટરવ્યૂમાં સરહદીએ કહ્યું હતું, "પૈસા કમાવા હોય તો મોટા બજેટની ફિલ્મો લખવી પડે, અને મોટા બજેટની ફિલ્મો લખો તો પૂરી ટેલેન્ટ એમાં વપરાઈ જાય. બદનસીબે, હું સ્ટાર સિસ્ટમનો વિરોધી છું. હું તેને એવું મૂડીવાદી ફોર્મ માનું છું, જેમાં શ્વાસ ન લઇ શકાય."

સાગર સરહદીની આ ટૂંકી કહાની કહેવા પાછળનું મૂળ કારણ ૧૯૮૨માં આવેલી 'બાજાર' ફિલ્મ છે. તેમણે નિર્દેશિત કરેલી આ એક માત્ર બહેતરીન ફિલ્મ છે, અને હિન્દી સિનેમામાં આજે પણ સીમાચિન્હ રૂપ છે. સરહદી કેવા બેકગ્રાઉન્ડમાંથી આવતા હતા તે સમજાય, તે પછી તેમણે કેવા સંજોગોમાં અને કેમ 'બાજાર' બનાવી હતી તે સમજાય.

તે વખતના પ્રગતિશીલ લેખકો ચુસ્ત નારીવાદી અને આધુનિક વિચારસરણીવાળા હતા. સરહદી હિન્દી ફિલ્મોની ગુણવત્તાથી બહુ ખુશ ન હતા, એટલે તેમણે તેમની કલમ પર અંકુશ મૂકી રાખ્યો હતો. એવામાં તેમણે સમાચારપત્રમાં એક લેખ વાંચ્યો, જેમાં હૈદરાબાદમાં ગરીબ પરિવારના લોકો પૈસાની લાલચમાં તેમની દીકરીઓને કેવી રીતે પૈસાવાળા આરબોને પરણાવી દે છે તેની વિગતો હતી.

સરહદીનો સામ્યવાદી જીવ કકળી ઉઠ્યો. તેમને આ 'નકલી લગ્ન'માં રસ પડ્યો અને હૈદરાબાદ પહોંચ્યા. ત્યાં પત્રકારોની મદદ લઈને તેમણે લગ્નનું આ બજાર સમજવાની કોશિશ કરી. તેમણે હૈદરાબાદમાં આવાં એક લગ્નમાં મહેમાન બનીને ભાગ પણ લીધો હતો. એમાંથી 'બાજાર' ફિલ્મ આવી હતી. આ ફિલ્મ હૈદરાબાદના મુસ્લિમ પરિવારોમાં ધાર્મિક-સમાજિક 'મુત્તાહ' રિવાજ(ટૂંકા ગાળાનાં લગ્નો)ના નામે નાની-માસુમ છોકરીની તસ્કરીના કૌભાંડને ઉજાગર કરતી હતી. નાની છોકરીઓને દુલ્હન તરીકે ખરીદી લઈને અમુક વર્ષો (અને અમુક બચ્ચાં) પછી તેમને પાછી મોકલી દેવામાં આવે, એ વિષય જ ફિલ્મ માટે કેટલો સાહસિક કહેવાય! સરહદીએ એ સાહસ કર્યું, અને એક સુંદર ફિલ્મ બનાવી, જે આજે પણ ભારતના અમુક પ્રદેશોમાં પ્રાસંગિક છે.

ફિલ્મમાં એવી માસુમ છોકરી શબનમની ભૂમિકા સુપ્રિયા પાઠકે કરી હતી, જે ગરીબ સરજુ(ફારુખ શેખ)ના પ્રેમમાં છે, પણ તેનાં માતા-પિતા દુબઈના પૈસાદાર બુઢ્ઢા ખુસટ સાથે તેનાં લગ્ન નક્કી કરી નાખે છે. આ સોદો અખ્તર હુસેન (ભરત કપૂર) નામનો માણસ કરાવે છે, જેને બદલામાં પૈસા ઉપરાંત નજમા (સ્મિતા પાટિલ) પણ મળવાના હોય છે. નજમા પણ શાયર સલીમ(નસીરુદ્ધીન શાહ)ને ચાહે છે, પરંતુ ગરીબીના કારણે એનો ય પૈસા લઈને લગ્નનો ‘ઘાટ’ ઘડાઈ ગયો હોય છે, અને તે અખ્તર સાથે લિવ-ઇન રિલેશનશિપની તરફેણમાં ઘર છોડીને ભાગી જાય છે.

અખ્તરે તેને ખાતરી આપી હોય છે કે તે ઘર ચલાવવા જેટલા પૈસા ભેગા કરીને તેની સાથે લગ્ન કરશે, અને તેની કોશિશમાં તે શબનમનો સોદો ગોઠવે છે. નજમાને ખબર નથી કે શબનમ સરજુના પ્રેમમાં છે, જે નજમાનો ધર્મનો ભાઈ છે. મતલબ કે નજમા એક એવા ષડ્યંત્રમાં સહભાગી થાય છે, જેમાં તેની ભાવિ ભાભીને વેચવાનો સોદો થાય છે. નજમાને તેની ભૂલ સમજાય છે, ત્યાં સુધી મોડું થઇ ગયું હોય છે.

સરહદીએ 'બાજાર'ની કહાની નજીકના લોકોને સંભળાવી, તો ઇપ્ટા(ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશન)ના લોકોએ પણ ફેંસલો આપી દીધો કે આવી ફિલ્મ એક દિવસ પણ નહીં ચાલે અને તમારો ફ્લેટ પણ વેચાઈ જશે. શરૂઆતમાં થયું પણ એવું. ફિલ્મ વેચાતી ન હતી. લોકો આવે, ફિલ્મ જુવે અને હેન્ડ-શેક કરીને જતા રહે. આગળ જઈને ફિલ્મે સફળતાના નવા ઝંડા એવા રોપ્યા કે તે આખી જિંદગી સાગર સરહદીને પાળતી રહી. (આવું જ 'કભી કભી'માં થયેલું. નિર્માતા ગુલશન રાયે ભવિષ્ય ભાખેલું કે આ ફિલ્મ બે દિવસ પણ નહીં ચાલે અને યશ ચોપરાને સલાહ આપી હતી કે બધા ડાયલોગ કાઢી નાખો અને જાવેદ અખ્તર પાસે નવેસરથી લખાવો.)

‘બાજાર’ અત્યંત સફળ રહી તેનું એક કારણ તો તેની જબરદસ્ત સ્ટારકાસ્ટ, અને બીજું તેનું કર્ણપ્રિય સંગીત. નસીર, સ્મિતા અને ફારુખ શેખ ત્યારે મોટા સ્ટાર હતા, અને નિર્દેશક તરીકે સરહદીની એ પહેલી જ ફિલ્મ હતી. પહેલા આઠ દિવસના શુટિંગ દરમિયાન સ્મિતાને ખાસ મજા આવી ન હતી, અને સરહદીને ખાતરી થઇ ગયેલી કે બાકીના હૈદરાબાદના શુટિંગમાં સ્મિતા નહીં આવે, પણ તેમની રાહત વચ્ચે સ્મિતાએ કહ્યું, ‘તમે બહુ સારા નિર્દેશક છો.’ ફારુખ શેખે પણ સરહદી જે રીતે દ્રશ્યો શૂટ કરતા હતા, તેનાં વખાણ કરેલાં.

એક સીધીસાદી હૈદરાબાદી છોકરીની ભૂમિકા માટે સુપ્રિયા પાઠકનું નામ નસીરુદ્દીને સૂચવ્યું હતું. સરહદી તેને યાદ કરીને કહ્યું હતું, “સુપ્રિયા ગોલ મટોલ સી લડકી થી. મુજે ઐસી હી ચાહીએ થી.” તેમણે સુપ્રિયાને કહ્યું હતું કે મારી પાસે ખાલી ૫૦૦ રૂપિયા છે, અને એનાથી હું હૈદરાબાદમાં શુટિંગ કરવાનો છું. તું તારા પૈસાથી વિમાનમાં ઊડીને આવજે. ફિલ્મ હીટ ગઈ, પછી સરહદીએ ફી રૂપે સુપ્રિયાને ૧૧,૦૦૦ અને સ્મિતાને ૪૦,૦૦૦ ચૂકવ્યા હતા. સ્મિતા પાટિલે ફિલ્મ જોઇને સુપ્રિયાને કહેલું કે આ ફિલ્મમાં તો તું છવાઈ ગઈ છું. સુપ્રિયાને તેના માટે સહાયક શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

‘બાજાર’ આજે પણ તેના શાનદાર સંગીત માટે લોકપ્રિય છે. સંગીતકાર ખૈયામની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મોમાં આ ફિલ્મનો સમાવેશ થાય છે. બધાં ગીતો ગઝલોના સ્વરૂપમાં હતાં; જગજીત કૌરના અવાજમાં મિર્ઝા શૌકની ‘દેખ લો આજ હમ કો જી ભર કે,’ પામેલા ચોપરાના અવાજમાં જગજીત કૌરની ‘ચલે આઓ સૈયાં,’ લતા મંગેશકર અને તલત અઝીઝના અવાજમાં મખદુમ મોયુદ્દીનની ‘ફિર છીડી રાત,’ ભુપિન્દર સિહના અવાજમાં બશર નવાઝની ‘કરોગે યાદ તો’ અને લતા મંગેશકરના અવાજમાં મીર તકી મીરની ‘દિખાઈ દિયે યું’ ઉર્દૂ કવિતાનું અપ્રતિમ સર્જન છે.

સાગર સરહદી કેટલી પ્રમાણિક ફિલ્મ બનાવવા માંગતા હતા તેની સાબિતી એ હકીકત પરથી મળે છે કે ‘દેખ લો આજ હમકો જી ભર કે’ ગઝલને તેમણે લખનૌના શાયર મિર્ઝા શૌકના ૨૦૦ વર્ષ જૂના ગઝલ સંગ્રહ ‘ઝહર-એ-ઈશ્ક’માંથી ખોળી કાઢી હતી. ‘દિખાઈ દિયે યું’ના રચિયતા મીર તકી મીર ૧૮મી સદીમાં મોઘલ સામ્રાજ્યના શાયર હતા. ‘ફિર છીડી રાત’ના સર્જક હૈદરાબાદના મખદુમ મોયુદ્દીન પ્રગતિશીલ લેખક મંડળના માર્કસવાદી શાયર હતા.

ખૈયામે આ ગઝલોને અત્યંત પ્યારથી સંગીતબદ્ધ કરી હતી. ‘બાજાર’ શરૂઆતમાં તો દર્શકોના ધ્યાનમાં ન આવી, પણ ધીમે-ધીમે તેની ખ્યાતિ વધવા લાગી. ૧૮માં અઠવાડિયામાં સરહદી હૈદરાબાદના એક થિયેટરમાં તેને જોવા ગયા હતા. સરહદીએ તેને યાદ કરીને કહ્યું હતું, “દેખ લો આજ હમકો જી ભર કે’ ગીત પડદા પર આવ્યું, તો સ્પેશ્યલ વિભાગમાં બેઠેલી મહિલાઓ ડૂસકાં ભરવા લાગી.” સરહદી સિનેમા હોલની બહાર નીકળી ગયા.

સાગર સરહદી સાથે અલપ-ઝલપ …

‘બાજાર-૨’ આવશે?

પ્રેમમાં પૈસા વચ્ચે આવે એટલે સ્થિતિ બદલાઈ જાય. પૈસા આજે પણ પ્રેમને ખરીદવા માટે સક્ષમ છે. ‘બાજાર-૨’ની વાર્તા આવા જ તાણાવાણાથી રચી રહ્યો છું. એ ફિલ્મ બનશે. રવિ શર્મા તેનું નિર્દેશન કરશે. એ પ્રેમ કહાની છે, અને તેમાં હૈદરાબાદમાં દુલ્હનોને વેચવાના દૂષણની વાત પણ છે. લોકડાઉન ખૂલે તેની અમે રાહ જોઈ રહ્યા છીએ.

‘ચૌસર’ કેમ?

હું માર્કસવાદી છું, અને હું એવું શીખ્યો છું કે જીવવા માટે દુનિયા સારી ન હોય, તેને સારી બનાવવી જોઈએ. જાહેર જીવનમાં ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે મેં ૨૦૦૪માં ‘ચૌસર’ બનાવી હતી. એ વેચાય તો ‘બાજાર-૨’ પર પૈસા લગાવીશ.

રોમેન્ટિક ફિલ્મો લખવાનું ખાસ કોઈ કારણ?

મેં ૨૦ વખત પ્રેમ કર્યો છે. એટલે કે લગ્ન ન કરી શક્યો. ૨૦ વખત પ્રેમની વાતથી લોકોને મજા આવશે, પણ પ્રેમ કરતી વ્યક્તિ બીજી વ્યક્તિને છોડીને જાય તો શું હાલત થાય તે નહીં સમજાય. મેં જે પ્રેમ અને દર્દની વાતો ફિલ્મોમાં કરી છે, તે મેં ખુદ અનુભવી છે.

કોઈ અફસોસ?

ફિલ્મોએ મને નામ અને દામ આપ્યાં. હું આખી દુનિયામાં ફરવાનું મળ્યું, પણ તેણે મારી અંદરનો ઉર્દૂ લેખક મારી નાખ્યો. નહીં તો, મારા નામે ૧૦-૨૦ પુસ્તકો બોલતાં હોત.

(અંતિમ વર્ષોમાં આપેલા ઇન્ટરવ્યુઝમાંથી)

પ્રગટ : ‘બ્લોક બસ્ટર’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 27 માર્ચ 2021

Loading

ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|1 April 2021

હૈયાને દરબાર

સુગમ સંગીત ક્ષેત્રે ગાયનની જુગલબંદી ઓછી જોવા મળે. એમાં ય ગુરુ-શિષ્ય સાથે ગાતા હોય એ દૃશ્ય તો ભાગ્યે જ દેખાય. ફાગણી ફોરમનું એવું જ એક મઘમઘતું ગીત ફાગણના આરંભે સાંભળીને ખૂબ મજા આવી. હોળી-ધુળેટી દરમ્યાન ફાગણનાં ગીતોનો ગુલાલ સર્વત્ર ઊડતો હોય છે. વોટ્સએપ અને ફેસબુક ઉપર આ ગીતો સતત સર્ક્યુલેટ થતાં હોય છે. કવિ મેઘબિંદુએ લખેલું, પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરાંકનમાં પુરુષોત્તમભાઈ અને અમેરિકા સ્થિત એમના શિષ્ય કૃષાનુ મજમુદારે સાથે ગાયેલું ગીત ‘ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ, પછી મલક્યા વિના તે કેમ રહીએ?’ આવી જ રીતે મળ્યું અને મજા પડી ગઈ. પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે તો એ સાંભળ્યું જ હતું, પરંતુ કૃષાનુ સાથેની આ જુગલબંદીની મજા અનોખી હતી.

કૃષાનુ મજમુદાર અમેરિકા સ્થિત સોફ્ટવેર એન્જિનિયર છે, પરંતુ સંગીત જાણે ગળથૂથીમાં મળ્યું છે. માતા માનસીબહેન સારું ગાઈ શકે છે, પિતા હરેનભાઈ સિતાર વગાડે છે. સાડાત્રણ વર્ષની ઉંમરે પહેલી વાર દૂરદર્શન પર ગીત રજૂ કર્યા બાદ વિવિધ ગુરુઓ પાસે એમણે તાલીમ લીધી. મુંબઈમાં જમનાબાઈ સ્કૂલમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના અધ્યક્ષ પરાશર દેસાઈ કૃષાનુના મોટા મામા અને કૃષાનુ એ જ સ્કૂલમાં ભણે એટલે એ કૃષાનુને ઘણું માર્ગદર્શન આપતા. સંગીતકાર રાસબિહારી દેસાઈ, પંડિત વિનાયક વોરા ઈત્યાદિ પાસે તાલીમ લીધા બાદ કૃષાનુએ સુગમ સંગીત સમ્રાટ પુરુષોત્તમ ઉપાધ્યાય પાસે વિશેષ તાલીમ લીધી હતી.

‘હિન્દુ કોટ સ્ત્રી મંડળના એક કાર્યક્રમમાં પુરુષોત્તમભાઈનાં પત્ની ચેલનાબહેને પહેલી વાર મને સાંભળીને પુરુષોત્તમભાઈને મારું નામ સૂચવ્યું હતું કે આ છોકરો ટેલન્ટેડ લાગે છે. એ વખતે અમે મુંબઈમાં અંધેરીમાં રહેતા હતા. મારી કોલેજ ટાઉનમાં હોવાથી પછીથી તો હું પુરુષોત્તમભાઈની અનુકૂળતા મુજબ એમની પાસે સંગીત શીખવા પહોંચી જતો. ગાયનમાં ભાવ અને ઠહેરાવ ખૂબ અગત્યના છે એ હું પુરુષોત્તમભાઈ પાસેથી જ શીખ્યો. અત્યારે અમેરિકામાં મારી જોબમાં વ્યસ્ત છું છતાં સંગીત સાથેનો નાતો બરકરાર છે. સુગમ સંગીત, હિન્દી ફિલ્મ સંગીત, ગઝલ, સૂફી અને નવરાત્રિના ગરબા પણ કરાવું છું. મારી પત્ની દિતિ ખૂબ સરસ ગાય છે એટલે અમે સાથે પણ પ્રોગ્રામો કરીએ છીએ. અમારાં સંતાનોને પણ સંગીતમાં રસ છે. આઠ વર્ષની દીકરી તો અત્યારથી ‘પિચ’ પરફેક્ટ છે. જે સ્કેલ સંભળાવો એ તરત પારખી જાય. દીકરો પણ ગાવાનો શોખીન છે. આમ, પરદેશમાં હોવા છતાં અમે ભારતીય સંસ્કૃતિ સાથે સંપૂર્ણ જોડાયેલાં છીએ,’ કૃષાનુ કહે છે.

૧૯૯૫માં ‘સારેગમ’ શોમાં ભાગ લઈ ચૂકેલા કૃષાનુએ પુરુષોત્તમ ઉપાધ્યાય સાથે અન્ય એક ગીત, ‘મારાં લાલ રે લોચનિયાં…’માં પણ સરસ જુગલબંદી કરી છે. એની રસપ્રદ વાત કૃષાનુનાં માતા માનસીબહેને કરી.

એ કહે છે, ‘કૃષાનુ કોલેજમાં હતો ત્યારે પુરુષોત્તમભાઈનો એક કાર્યક્રમ જુહુના જલારામ ઓડિટોરિયમમાં હતો. કૃષાનુ કોલેજથી થાક્યો-પાક્યો આવ્યો હતો પણ અમારે એ કાર્યક્રમમાં જવું જ હતું એટલે અમને લઈ ગયો. અમે સહેજ મોડાં હતાં તેથી છેક છેલ્લી સીટમાં જઈને બેસી ગયાં. પુરુષોત્તમભાઈની નજર શાર્પ. એમણે કૃષાનુને જોયો, સ્ટેજ પર બોલાવ્યો અને ‘લાલ રે લોચનિયાં …’ ગીતમાં સાથ આપવા કહ્યું. પ્રસન્નકારી રાગ નંદનો સ્પર્શ ધરાવતું, ખાસ્સું અઘરું અને એક-બે વખત જ પુરુષોત્તમભાઈ પાસે સાંભળેલું આ ગીત એ સરસ નિભાવી ગયો. પુરુષોત્તમભાઈ આવી ચેલેન્જ ઘણી વાર આપતા. એટલે ગુરુ-શિષ્યની જુગલબંદીનાં અમારે માટે તો આ બે યાદગાર સંભારણાં છે. લાલ રે લોચનિયાં અને ફાગણનો ફાગ એમ બે ગીતો કૃષાનુને જુગલબંદીમાં ગાવાની તક મળી.’

પુરુષોત્તમભાઈનાં ગીતોની કમાલ એ જ છે. સાંભળવામાં સરળ અને ગાવામાં અઘરાં. છતાં એમણે કૃષાનુ જેવા અનેક શિષ્યો તૈયાર કર્યા છે. પુરુષોત્તમભાઈની ગાયકીની અસર એમના શિષ્યોમાં ય જોવા મળે છે. ગાવાની ક્ષમતા ધરાવતા અનેક નવોદિતોને પુરુષોત્તમભાઈએ તક આપી છે. તેઓ માને છે કે ગુજરાતીઓમાં કળાની પરખ છે. એમના સુધી સારું સાહિત્ય-સંગીત પહોંચવું જોઈએ.

આ તાજગીસભર ગીતના કવિ મેઘજીભાઈ ડોડેચા ‘મેઘબિંદુ’ છે. ‘ફાગણનો ફાગ …’ ગીતના સર્જન વિશે એ કહે છે, ‘પચીસેક વર્ષ પહેલાં હું ચિંતક હરિભાઈ કોઠારીની એક શિબિરમાં વડોદરા ગયો હતો. એપ્રિલની શરૂઆત હતી. સવારનું વાતાવરણ ખૂબ સરસ હતું. મોર-કોયલના ટહુકારા સંભળાતા હતા. પવન તો જાણે આપણને અડકીને જ રોમાંચિત કરતો હોય એવું લાગતું હતું. સવારનો વોક લઈ પાછો ઘરે આવ્યો અને ગીતની પહેલી પંક્તિ સ્ફૂરી; ‘ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ પછી મલક્યા વિના તે કેમ રહીએ …!’ પછી પાંચ-સાત મિનિટમાં આખું ગીત લખાઈ જતાં સંગીતકાર મિત્ર પુરુષોત્તમ ઉપાધ્યાયને તરત ફોન કર્યો અને આ પંક્તિ સંભળાવી. તેઓ બહુ જ ખુશ થઇ ગયા. કહે કે તમે મને નિરાંતે આ ગીત સંભળાવજો. પછી થોડા જ દિવસમાં એમનો સામેથી ફોન આવ્યો કે મેઘજીભાઈ, પેલું ગીત આપો. એ ગીત લઈને હું એમના ઘરે ગયો. એમણે થોડા જ સમયમાં કમ્પોઝ કરી દીધું હતું. ગીત સંભળાવવા એમણે સંગીતકાર દક્ષેશ ધ્રુવને ખાસ ઘરે નિમંત્ર્યા હતા. દક્ષેશભાઈએ મને ફોન કરીને કહ્યું કે કવિ તમે તરી ગયા. પુરુષોત્તમભાઈએ ગીત ઉત્તમ કંપોઝ કરી દીધું છે. ખરેખર એમ જ થયું. આ ગીત પછીથી ઘણું લોકપ્રિય થયું.’

ઉલ્લેખનીય છે કે કવિ મેઘબિંદુનાં, જુદા જુદા સંગીતકારો દ્વારા સ્વરબદ્ધ થયેલાં ગીતોમાંથી ૮૦ જેટલાં ગીતોનું સંકલન એમના ભાઇ મોહનકુમાર ડોડેચાએ તાજેતરમાં જ કર્યું તથા જામનગર સ્થિત લેફ્ટ. ડો. સતીશચંદ્ર વ્યાસની પરિકલ્પનામાં રમેશ જોશીએ એ ગીતોને યુટ્યુબ પર અપલોડ કર્યાં. મિત્ર સતીશચંદ્ર વ્યાસે મેઘબિંદુના ૮૦મા જન્મદિવસે એ ૮૦ ગીતોની પુસ્તિકા તૈયાર કરી અને એનું વિમોચન જામનગર ખાતે ચોથી માર્ચ ૨૦૨૧ના દિવસે જ કર્યું હતું. આ પણ એક સારું કામ થયું. સુગમ સંગીત ડિજિટલ પ્લેટફોર્મ પર સચવાય એ જરૂરી છે. કવિ રમેશ પારેખની જાણીતી રચના ‘ફાગણની ઝાળ ઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું …’ એ ગીત નયનેશ જાનીના સ્વરાંકનમાં કૃષાનુએ સરસ ગાયું છે. ફાગણ મહિનો જ રંગ-રાગ, મોજ-મસ્તીનો છે. કેસૂડાએ ધરતી પર કામણ કર્યાં હોય ત્યારે આપણે ય રંગાઈ જઈએ આ રંગોમાં!

—————— ————–

ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મલક્યા વિના તે કેમ રહીએ
કામણ કીધાં અહીં કેસૂડે એવાં
કે મહેક્યા વિના તે કેમ રહીએ
ફૂલની ફોરમની પકડીને આંગળી
ફરવાને નીકળ્યો પવન
પાન-પાન ડાળ-ડાળ ઝૂમી ઊઠ્યાંને
ઝૂમે છે આખું ઉપવન
કલરવની કેડીએ રમતા પતંગિયાને
પકડ્યા વિના તે કેમ રહીએ…
મઘમઘતી મંજરીની કાયા બદલાઇ
સાંભળીને વેણુ વસંતની
લીલેરા પાન સંગ ગાતા ગુલમહોર
લ્હાણી કરે છે સુગંધની
અરધી ભરાય મારા ઉમંગની હેલ
પછી છલક્યા વિના તે કેમ રહીએ
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મલક્યા વિના તે કેમ રહીએ…!

•   કવિ : મેઘબિંદુ   •   સંગીતકાર : પુરુષોત્તમ ઉપાધ્યાય  

• ગાયક : કૃષાનુ મજમુદાર – પુરુષોત્તમ ઉપાધ્યાય

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 01 ઍપ્રિલ 2021

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=687842

Loading

...102030...2,0632,0642,0652,066...2,0702,0802,090...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved