Opinion Magazine
Number of visits: 9964223
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શ્રીમંત ખેડૂતો, વૈશ્વિક કાવતરાં, સ્થાનિક મૂર્ખતા

પી. સાંઈનાથ|Opinion - Opinion|29 March 2021

દિલ્હીની સરહદો પર વિરોધ કરી રહેલા ખેડૂતોને વિખેરવાના પ્રયાસો નિષ્ફળ જતાં, સ્થાનિક દમનને ન્યાયી ઠેરવવાવાળી આંતરરાષ્ટ્રીય ષડયંત્ર વિશેની માન્યતાઓનો રાફડો ફાટ્યો છે. તો હવે પછીના સમયમાં આ માન્યતાઓ આ પૃથ્વીની બહારના પરિબળોનો હાથ પણ આમાં જોશે કે શું?

લાખો માણસોને માટે પાણી અને વીજળીનો પુરવઠો કાપી નાખવો જેથી કરીને તેમને સ્વાસ્થ્યનાં ભયાનક જોખમોનો સામનો કરવો પડે, પોલીસ અને અર્ધલશ્કરી દળો દ્વારા અવરોધો મૂકીને તેમને એક વિસ્તારમાં બાંધી રાખવા અને તે પણ અત્યંત જોખમકારક, સ્વાસ્થ્ય માટે હાનિકારક પરિસ્થિતિઓમાં, પત્રકારો માટે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો સુધી પહોંચવું લગભગ અશક્ય બનાવી દેવું, એક એવા સમુદાયને સજા કરવી કે જે પાછલા બે મહિનામાં પોતાના ૨૦૦ સભ્યોને ગુમાવી ચૂક્યો છે, મોટા ભાગના હાઈપોથર્મિયાને કારણે મૃત્યુ પામ્યા છે. વિશ્વના બીજા કોઈ ઠેકાણે આને બર્બરતા તેમ જ માનવાધિકાર અને ગૌરવ પરનો હુમલો ગણવામાં આવશે.

પરંતુ આપણે, આપણી સરકાર, અને ચુનંદા શાસકો બીજી ઘણી વધારે ગંભીર ચિંતામાં ઘેરાયેલાં છીએ. જેમ કે રીહાન્ના અને ગ્રેટા થનબર્ગ જેવા ખતરનાક વૈશ્વિક આતંકવાદીઓના વિશ્વના મહાન રાષ્ટ્રને બદનામ કરવાના અને અપમાનિત કરવાના કાવતરાને કેવી રીતે તોડવું.

કલ્પનાની દ્રષ્ટિએ આ ગાંડી રમૂજ હશે, પરંતુ હકીકતની દ્રષ્ટિએ આ માત્ર ગાંડપણ છે.

આ બધું આઘાતજનક ભલે હોય, આશ્ચર્યજનક ન હોવું જોઈએ. ‘ઓછામાં ઓછી સરકાર, મહત્તમ શાસન’ના સૂત્રને સ્વીકારી લેનારાઓએ પણ હવે સમજી લીધું હોવું જોઈએ. હકીકતમાં વાત મહત્તમ સ્નાયુબળવાળી સરકાર અને  મહત્તમ બિહામણા શાસનની છે. ચિંતાની વાત હોય તો એ કે  આમ સામાન્ય રીતે સ્પષ્ટવક્તા થતા ઘણા લોકોનું એક ઈરાદાપૂર્વકનું મૌન, જે લોકો આમ તો ક્યારે ય સત્તાની તરફેણમાં ઊભા થઇ જવાનું, કે આવા તમામ કાયદાઓની વાહવાહી કરવાનું ચૂકતા નથી. તમને લાગે કે તેઓ આ રોજિંદા લોકશાહી પર થતા આ પ્રહારોની નિંદા કરશે.

કેન્દ્રીય મંત્રીમંડળના દરેક સદસ્યને જાણ છે કે હાલમાં ચાલી રહેલા ખેડૂતોના વિરોધ પ્રદર્શનના નિરાકરણના રસ્તામાં વચ્ચોવચ કોણ આડું આવે છે.

તેઓ જાણે છે કે ત્રણ કાયદાઓ અંગે ક્યારે ય પણ ખેડૂતો સાથે કોઈ સલાહ-મશવરા કરવામાં આવ્યા નહોતા – જો કે ખેડૂતો જ્યારથી એમને ખબર પડી કે આવા વટહુકમો જાહેર કરાયા છે  ત્યારથી વાટાઘાટ માટેની માંગણી કરી રહ્યા હતા.

કૃષિ એ બંધારણ મુજબ રાજ્ય સરકારના લિસ્ટમાં આવતો વિષય હોવા છતાં રાજ્યો સાથે પણ આ ત્રણ કાયદાઓ ઘડવાના સંદર્ભમાં કોઈ સલાહ-મસલત કરવામાં આવી નહોતી. નહોતી કરવામાં આવી ચર્ચા વિરોધપક્ષો સાથે, ન તો લોકસભામાં.

ભા.જ.પ.ના નેતાઓ અને કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો જાણે છે કે ત્યાં કોઈ સલાહ-મંત્રણા કરવામાં આવી નહોતી – કારણ કે તેઓની સલાહ ક્યારે ય લેવામાં આવતી જ નથી. ન તો આ કે ના મોટા ભાગના કોઈ બીજા કોઈ પણ નિર્ણાયક મુદ્દાઓ પર. એમનું કામ છે માત્ર સમુદ્રના મોજાંને તેમના નેતાના આદેશ મુજબ પાછા વાળવાનું.

અત્યાર સુધી મોજાં દરબારીઓ કરતાં વધારે સારું કામ કરતાં હોય તેવું લાગે છે. ઉત્તર પ્રદેશમાં મોટું વિરોધ પ્રદર્શન. આજે પશ્ચિમ ઉત્તર પ્રદેશના રાકેશ ટિકૈત સરકારે એમને મહાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે હતા તેથી કઈંક વધુ પ્રભાવી ખેડૂત નેતા છે. ૨૫મી જાન્યુઆરીએ મહારાષ્ટ્રમાં ખૂબ મોટા પાયા પર ખેડૂતોનું વિરોધ પ્રદર્શન થયું. રાજસ્થાન, કર્ણાટક — જેમાં ટ્રેક્ટર રેલીને બેંગ્લોરમાં પ્રવેશતા રોકવામાં આવી, – આંધ્રપ્રદેશ, અને બીજી ઘણી જગ્યાએ પ્રદર્શનો થયાં. હરિયાણામાં, સરકાર એવા રાજ્યમાં કાર્ય કરવા માટે સંઘર્ષ કરે છે કે જ્યાં મુખ્ય મંત્રી જાહેર સભાઓમાં ભાગ લેવા અસમર્થ હોય એમ લાગે છે.

પંજાબમાં, લગભગ દરેક ઘર આંદોલનકારીઓ સાથે સહાનુભૂતિમાં છે – ઘણા લોકો આંદોલનમાં જોડાવા માટે ઉત્સુક છે, કેટલાક પહેલેથી જ જોડાયેલા છે. ૧૪મી ફેબ્રુઆરીએ યોજાનારી શહેરની સ્થાનિક ચૂંટણીમાં ઊભા રહેવા માટે ઉમેદવારો શોધતાં ભા.જ.પ.ને નાકે દમ આવી ગયો. જે કોઈ – જૂના વિશ્વાસુ – છે તે તેમની પોતાની પાર્ટીનું નિશાન વાપરતાં વિચાર કરે છે. દરમિયાનમાં રાજ્યમાં યુવાનોની એક આખેઆખી પેઢી એમનાથી વિખૂટી થઇ ગઈ છે, જેની ભવિષ્ય પર ઘણી ગંભીર અસર થાય એમ છે.

આ સરકારની આ એક આશ્ચર્યજનક સિદ્ધિ છે કે તેણે સમાજના એવા વિશાળ અને અસંભવિત વર્ગો કે જે પરંપરાગત રીતે એકબીજાના વિરોધી રહ્યા છે જેવા કે ખેડૂતો અને વચેટિયાઓ(કમિશન એજન્ટો)ને એક તરફ સંગઠિત કરીને મૂક્યાં છે. તે ઉપરાંત, એમણે  શીખ, હિન્દુ, મુસ્લિમ, જાટ અને બિન-જાટ, તેમ જ ખાપ અને  ખાન માર્કેટની ભીડને પણ એકજૂથ કરી આપી છે … કેવું અસરકારક!

પરંતુ હવે જે અવાજો શાંત થઇ ગયા છે એમણે જ બે મહિના આપણને ખાતરી આપવામાં  વિતાવ્યા કે આ બઘી વાત માત્ર પંજાબ અને હરિયાણાને લાગુ પડે છે. બીજા કોઈને આની અસર થઇ જ નથી. એટલે આ વાત જ મહત્ત્વની નથી.

રમૂજની વાત છે. છેલ્લે એક ઉચ્ચતમ અદાલતે નહિ નીમેલી એવી સમિતિના ઠરાવ મુજબ પંજાબ અને હરિયાણા બંને અખંડ ભારતનો હિસ્સો હતાં. એટલે તમે તો એમ જ માનો ને કે ત્યાં જે કંઈ પણ થાય એની સાથે આપણે નિસબત જરૂર હોય.

પેલા એક સમયના સ્પષ્ટ અવાજોએ આપણને કહેલું — અને હજુ કહે છે થોડા ધીમા સ્વરે — કે આ  બધા પૈસાવાળા ખેડૂતો છે જે સુધારાઓનો વિરોધ કરે છે.

ખૂબ સુંદર. એન.એસ.એસ.ના છેલ્લા સર્વે મુજબ પંજાબના ખેડૂત કુટુંબની સરેરાશ માસિક આવક રૂ. ૧૮,૦૫૯ છે. ખેડૂત કુટુંબના સભ્યોની સરેરાશ સંખ્યા ૫.૨૪ છે. અને તેથી માસિક માથાદીઠ આવક લગભગ રૂ. ૩,૪૫૦ છે. જે સંગઠિત ક્ષેત્રના સૌથી ઓછું વેતન મેળવતા કર્મચારીના પગાર કરતાં પણ ઓછું છે.

આહા! કેટલી સંપત્તિ. આપણને તો આમાંથી અડધી ય જાણ નહોતી. સરખામણી કરો હરિયાણાની તો સરેરાશ માસિક આવકની રકમ થાય છે (ખેડૂત કુટુંબ દીઠ ૯.૯ વ્યક્તિઓ) રૂ. ૧૪,૪૩૪ અને માથાદીઠ આશરે રૂ. ૨,૪૫૦. આ અગાધ આંકડા ચોક્કસ એમને અન્ય ભારતીય ખેડૂતોની સરખામણીમાં આગળ રાખે છે. જેમ કે, ગુજરાતના ખેડૂતો જેમની આવક ખેડૂત કુટુંબદીઠ સરેરાશ માસિક છે રૂ. ૭,૯૨૬. ખેડૂત કુટુંબમાં સભ્યોની સંખ્યા સરેરાશ ૫.૨ મુજબ માસિક માથાદીઠ આવક રૂ. ૧,૫૨૪ થાય છે.

ભારતમાં ખેડૂત કુટુંબોની સરેરાશ માસિક આવક છે રૂ. ૬,૪૨૬ (માથાદીઠ આશરે રૂ. ૧,૩૦૦). અને આ તમામ સરેરાશ માસિક આંકડાઓમાં આવકના બધા સ્રોતની ગણના કરાઈ છે. જે આવક માત્ર ખેતીથી જ નહીં, પશુધન, બિનખેતીનો વ્યવસાય અને વેતન અને પગારથી પણ થાય છે.

રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ ૭૦ ‘ભારતનાં કૃષિ કુટુંબોની પરિસ્થિતિના મુખ્ય સૂચક’(૨૦૧૩)માં જણાવ્યા મુજબની આ ભારતીય ખેડૂતની સ્થિતિ છે. એ પણ યાદ રહે કે આ ખેડૂતોની આવક આગામી ૧૨ મહિનામાં – ૨૦૨૨ સુધીમાં બમણી કરવાનો વાયદો સરકારે કરેલો છે. આ કામ આમે ય અઘરું છે ને એમાં વળી વધારે હેરાન કરે છે રિહાના અને થનબર્ગ્સની વિક્ષેપજનક દખલઅંદાજી.

અરે, આ દિલ્હીની સરહદ પરના શ્રીમંત ખેડૂતો, જે ૨ ડિગ્રી સેલ્સિયસ અથવા તેથી ઓછા તાપમાનમાં ધાતુની ટ્રોલીમાં સૂએ છે, ૫ થી ૬ ડિગ્રી ટાઢમાં ખુલ્લામાં સ્નાન કરે છે – તેમણે તો ભારતીય શ્રીમંત વર્ગ માટે મારી સરાહનામાં વધારો કર્યો છે. એ વર્ગ આપણે ધાર્યાં કરતાં ઘણો મહેનતુ નીકળ્યો.

તે દરમિયાન, સુપ્રીમ કોર્ટ દ્વારા ખેડૂતો સાથે વાત કરવા નિમાયેલી કમિટી અંદરોઅંદર જ સુસંગત રીતે વાત કરવામાં અસમર્થ જણાઈ રહી છે – તેના ચાર સભ્યોમાંથી એક સભ્યએ તો કમિટીની પહેલી બેઠક પહેલાં જ પદ છોડ્યું છે. અને વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો સાથેની વાતનો પ્રશ્ન છે, એની તો શરૂઆત પણ નથી થઇ.

૧૨ માર્ચે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિએ એને આદેશ મુજબ ફાળવવામાં આવેલા બે મહિના (કૃષિ માટેના નિર્ણાયક જંતુ પરાગ રજકોના મહત્તમ જીવનકાળ જેટલો સમય) પૂરા કરી દીધા હશે. ત્યાર બાદ સમિતિ પાસે તેઓએ જેમની સાથે વાત ના કરી હોય એવા લોકોની લાંબી સૂચિ હશે અને એનાથી ય લાંબી સૂચિ હશે એવા લોકોની જેમણે તેમની સાથે વાત કરવાની મનાઈ કરી દીધી. અને કદાચ એક ટૂંકી સૂચિ એવા લોકોની ય હશે જેમની સાથે એમને ક્યારે ય વાત કરવા જેવી જ નહોતી.

વિરોધ કરી રહેલા ખેડૂતોને પજવવાના અને ધમકાવવાના તમામ પ્રયત્નો એમની વધતી જતી સંખ્યાને રોકી શક્યા નથી. એમને બદનામ કરવાના તમામ પ્રયત્નો એ સત્તાના કેદી એવા મીડિયા માટે આકર્ષણરૂપ બન્યા છે — પણ મેદાનમાં પરિસ્થિતિ કંઈ ઊલટી જ જોવા મળે છે. સૌથી વધુ ખતરનાક વસ્તુ તો એ છે કે આ બધાથી આ સરકારના વધતા જતા ઘાતકી, ક્રૂર, અને સરમુખત્યારશાહી વલણમાં જરા ય ફેર પાડવાનો નથી.

ભારતમાં ખેડૂત કુટુંબોની સરેરાશ માસિક આવક છે રૂ. ૬,૪૨૬ (માથાદીઠ આશરે રૂ. ૧,૩૦૦). અને આ તમામ સરેરાશ માસિક આંકડાઓમાં આવકના બધા સ્રોતની ગણના કરાઈ છે. જે આવક માત્ર ખેતીથી જ નહીં, પશુધન, બિનખેતીનો વ્યવસાય અને વેતન અને પગારથી પણ થાય છે.

કોર્પોરેટ મીડિયામાં ઘણા જાણે છે, અને ભા.જ.પા.માં ઘણા એનાથી વધુ સારી રીતે જાણે છે કે આ વિવાદમાં જો પાર ના કરી શકાય એવો કોઈ અવરોધ હોય તો એ નથી નીતિ, કે નથી શ્રીમંત કોર્પોરેશનને આપેલાં વચનો (એ વચનો પાળવાના દિવસો પણ આવશે), કે નથી એ પેલા કાયદાઓની પવિત્રતા (જે સરકારના પોતાના જણાવ્યા પ્રમાણે ઘણા સુધારા માંગે છે), પરંતુ એ છે વ્યક્તિગત અહંકાર. ફક્ત એ કે રાજા કોઈ દિવસ કંઈ ભૂલ ના કરે. અને ભૂલને સ્વીકારવી અને એથી ય ખરાબ એને સુધારવી —  એવો તો વિચાર પણ ના થાય. પછી ભલે દેશનો દરેક ખેડૂત વિમુખ થઇ જાય; નેતા ખોટો ના હોઈ શકે, નેતા ભોંઠો ના પડી શકે. મોટા દૈનિકોના એક પણ સંપાદકીયમાં કોઈને આ વિષે હરફ સુધ્ધાં ઉચ્ચારતાં મેં જોયાં નથી, જો કે સૌ જાણે છે કે સચ્ચાઈ શું છે.

આ ગડબડીમાં અહંકાર કેટલો મહત્ત્વપૂર્ણ છે? વિચાર કરો ઇન્ટરનેટ શટડાઉન પર રિધમ એન્ડ  બ્લૂઝના ગાયક દ્વારા કરવામાં આવેલ સીધાસાદા ટિ્‌વટઃ આપણે આ બાબતે કેમ ચૂપ છીએ? ને મળેલા પ્રતિભાવ વિષે. જ્યારે આને લગતો વિવાદ ‘અરે-રિહાન્ના-કરતાં-વધુ-ફોલોઅર્સ-તો-ટ્‌વીટર-પર-મોદી-પાસે-છે’ પર ઊતરી આવે ત્યારે સમજવાનું કે આપણે હારી ગયા. ખરેખર તો આપણે ત્યારે જ હારી ગયા જ્યારે વિદેશ મંત્રાલયે કામિકેઝ જેવા આત્મઘાતી હુમલાનું નેતૃત્વ આતંકવાદ વિરોધી વીરતાની વાતો કરીને કર્યું. જેનાથી પ્રેરાઈને દેશભક્ત સેલિબ્રિટીઓનું હયદળ પોતાનો સાયબર હુમલો કરવા નીકળી પડ્યું. (વિનાશની ડિજિટલ ખાઈએ કૂદ્યા, ટિ્‌વટો ગરજ્યાં, વરસ્યાં, વણથંભ્યા વધતાં અંધારા સામે, સેંકડો કુલીન સવારો કૂદ્યા).

‘આપણે આ બાબતે કેમ ચૂપ છીએ’ એમ કહી આશ્ચર્ય વર્તાવતા મૂળ વાંધાજનક ટિ્‌વટમાં, કોઈ સ્પષ્ટ વલણ નહોતું, ના કોઈની તરફેણ કરાઈ હતી – આઇ.એમ.એફ.ના મુખ્ય અર્થશાસ્ત્રી અને સંદેશાવ્યવહારના નિયામકનાં નિવેદનો, જેમાં તેમણે બંને કૃષિ કાયદાઓની જાહેર પ્રશંસા કરી છે  (’સાવધાની રાખવાના ઉપાયો’ વિષે ’ચેતવણીઓ ઉમેરીને — જેમ નિકોટિન વેચતા ફેરિયાઓ સંપૂર્ણ  પ્રામાણિકતા સાથે કાનૂની ચેતવણી તેમના સિગારેટ પેક પર છાપે એમ) કરતાં એ ટ્‌વીટ ઘણું વિપરીત હતું.

ના હોં, આ આર એન્ડ બી કલાકાર અને ૧૮ વરસની કલાઇમેટ એક્ટિવિસ્ટ ખરેખર ખતરનાક છે, અને એમની સાથે સખત હાથે અને કોઈ દયાભાવ વિના વર્તવું રહ્યું. દિલ્હી પોલીસ એમાં કાર્યરત છે એ આશ્વાસનરૂપ છે. અને જો એમને આનાથી આગળ વધીને આમાં કોઈ પૃથ્વી બહારની કોઈ દુનિયાનું ષડયંત્ર મળી આવે — આજે વૈશ્વિક તો કાલે આ વાર્તાનું કોઈ ઈતર વૈશ્વિક પાસું મળી આવે – તો હું તેમની ઠેકડી કરવાવાળાઓમાં નહીં હોઉં. આજકાલ ઈન્ટરનેટ પર વહેતું થયેલું મને ખૂબ ગમતું વાક્ય કહે છે એમઃ “આ પૃથ્વી સિવાય પણ બીજી કોઈ દુનિયાનું અસ્તિત્વ છે એનો જો તમને પુરાવો જોઈતો હોય તો એ છે કે તેઓએ અમને એકલા છોડી દીધા છે.”             

અનુવાદક – પ્રતિષ્ઠા પંડ્યા

[આ લેખ પ્રથમ વખત ’ધ વાયર’ માં પ્રકાશિત થયો હતો.]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2021; પૃ. 07-08

Loading

ઇંગ્લેન્ડના લોકો એ જાણતા હતા કે દૂર દેશમાં ધંધો કઈ રીતે કરવો

રમેશ ઓઝા|Opinion - Opinion|28 March 2021

ઈ.સ. ૧૬૬૮ની સાલમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ મુંબઈમાં પોતાના કાયદાઓ દ્વારા શાસન કરવા માંડ્યું, ન્યાય તોળવા માંડ્યો અને પોતાના લશ્કર દ્વારા પોતાની સુરક્ષાની જોગવાઈ કરી લીધી, એની સામે જ્યારે કોઈ વિરોધ નહીં થયો ત્યારે અંગ્રેજોની હિંમત વધવા માંડી. ઊલટું જેમ જેમ તેઓ પોતાની ઢબનું શાસનતંત્ર લાગુ કરતા હતા તેમ તેમ પ્રજાનો આવકાર મળવા માંડ્યો. પ્રજા કાયદાના રાજ માટે ભૂખી હતી અને ભારતમાં તેનો અભાવ હતો. બીજું અંગ્રેજોએ એટલું સમજી લીધું હતું કે નાત-જાત અને ધર્મ દ્વારા વિભાજીત દેશમાં કોઈ એક કોમની તરફેણ કરવામાં જોખમ છે. માટે અંગ્રેજો દેશી પ્રજાને ખોટો ઇતિહાસ શીખવાડીને આપસમાં લડાવતા હતા, પરંતુ રાજકાજમાં કોઈનો પક્ષપાત નહોતા કરતા.

ત્રીજું, અંગ્રેજોને એ પણ સમજાઈ ગયું હતું કે ઇંગ્લેંડથી આટલા દૂરના દેશમાં ધંધો કરવો હોય કે શાસન, સ્થાનિક લોકોની કર્મચારી તરીકે ભરતી કર્યા વિના ચાલે એમ નથી. હજારોની સંખ્યામાં અંગ્રેજોને ઇંગ્લેંડથી લાવવા એ શક્ય નહોતું અને એ મોંઘું પણ પડે. અંગ્રેજોને જાણ હતી કે અમુક પ્રકારનાં કામ બ્રાહ્મણો, કાયસ્થો અને બીજા સવર્ણો કરવાનાં નથી, એટલે કોઈ પણ પ્રકારના વિરોધ વિના કંપની સરકારે હજારોની સંખ્યામાં બહુજન સમાજના લોકોને લશ્કરમાં અને કંપનીના ત્રીજા અને ચોથા વર્ગના વહીવટીતંત્રમાં દાખલ કર્યા હતા. આને કારણે ભારતના બહુજન સમાજની અંગ્રેજો માટેની વફાદારી વધતી ગઈ હતી. તેમની અંદર શિક્ષિતોની પેઢી અસ્તિત્વમાં આવી હતી અને તેઓ અંગ્રેજ રાજની ખુલ્લી તરફેણ કરતા હતા. અંગ્રેજો પાસે બ્રાહ્મણ અને અન્ય સવર્ણો માટે પણ તેમને ગમે એવી નોકરીઓ હતી અને તેઓ પણ અંગ્રેજ રાજથી ખુશ હતા.

ટૂંકમાં ભારતની પ્રજાને ઉપરથી નીચે સુધીની સમગ્રતા ધરાવનારું કાયદાનું રાજ મળ્યું, એ પણ પક્ષપાત વગરનું રાજ મળ્યું, બહોળી વસ્તી ધરાવતા બહુજન સમાજને નોકરીઓ મળી અને ગ્રામીણ ભારતમાંના સામાજિક શોષણથી તેમને મુક્તિ મળી અને બ્રાહ્મણો અને સવર્ણોને પણ તેમને જેવી જોઈએ તેવી નોકરીઓ મળી, ત્યાં અંગ્રેજો દ્વારા દાખલ કરવામાં આવતા અંગ્રેજ ઢબના વહીવટીતંત્રનો વિરોધ કોણ કરે? થોડા સનાતની બ્રાહ્મણો હતા જે મલેચ્છ અને મનુસ્મૃતિનો ચીપિયો પછાડતા હતા, પરંતુ તેમને કોઈ સાંભળતું નહોતું. જ્યારે નવો ઉઘાડ નજરે પડતો હોય ત્યારે બ્રાહ્મણોની સર્વોપરિતાવાળા મેરા પ્રાચીન ભારત મહાનના અંધારા કૂવામાં કોણ પડે? મોટા ભાગના બ્રાહ્મણોએ પણ સનાતનીઓને સાંભળવાનું છોડી દીધું હતું, કારણ કે તેમને ભવિષ્ય નજરે પડતું હતું. માત્ર મૂળભૂતવાદી મુસલમાનોને સાંભળનારા મુસલમાનો મોટી સંખ્યામાં મળી રહ્યા એ આ દેશનું દુર્ભાગ્ય હતું. તેમણે અંગ્રેજ શાસન અને તેના બ્રિટિશ ઢાંચાને નકારવાનો પ્રયાસ કર્યો હતો. આને કારણે અંગ્રેજો હંમેશાં મુસલમાનોને શંકાની નજરે જોતા હતા.

આગળ કહ્યું એમ અંગ્રેજોએ ભારતની પ્રજા માટે પહેલો કાયદો ૧૬૬૮ની સાલમાં મુંબઈ માટે ઘડ્યો હતો અને છેલ્લો કાયદો ૧૯૩૫ની સાલમાં સમગ્ર ભારત માટે ઘડ્યો હતો જે આગળ જતા ભારતના બંધારણનો પાયો બનવાનો હતો. આ બેની વચ્ચે અંગ્રેજોએ નાનામોટા સેંકડો કાયદાઓ ઘડ્યા હતા અને ચાર્ટરો અને ડિક્લેરેશનો જાહેર કર્યા હતા. એવી એક પણ ઘટના મારા જોવામાં નથી આવી કે પ્રજાકીય વિરોધને કારણે અંગ્રેજોએ કોઈ કાયદાને કે કોઈ જાહેરનામાને પાછા ખેંચવા પડ્યા હોય. માત્ર ૧૮૫૭ના વિદ્રોહને કારણે તેમણે સામાજિક સુધારા લાદનારા કાયદાઓ ઘડવાનું બંધ કરી દીધું હતું.

આનું પરિણામ એ આવ્યું કે ૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યારે ભારતીય પ્રજાની એકંદર સંમતિ તેમ જ સ્વીકૃતિ સાથે વહીવટી અને કાયદાકીય ભારત અસ્તિત્વમાં આવી ચૂક્યાં હતાં, માત્ર તેને બંધારણીય અને ભારતીય આકાર આપવાનો બાકી હતો. અહીં માત્ર શબ્દ વાપર્યો છે એનો અર્થ એવો નથી કે એ કામ સાવ સહેલું હતું. એ વાત ખરી કે અંગ્રેજોએ વહીવટી અને કાયદાકીય ભારતની રચના કરી આપીને ઘણી અનુકૂળતા પેદા કરી આપી હતી, પરંતુ એ છતાં ય અઘરો રસ્તો તો કાપવો જ પડે એમ હતો. અહીં સવાલ ઉપસ્થિત થવો જોઈએ કે વહીવટી અને કાયદાકીય ભારત અને બંધારણીય ભારતીય ભારતમાં શો ફરક? આ અત્યંત મહત્ત્વનો સવાલ છે અને તેનો બારીક ભેદ સમજવો પડે એમ છે.

જેમ કે શાસન કરતી વખતે ભારતની પ્રજા વચ્ચે ભેદભાવ કરવામાં નહીં આવે એવું અંગ્રેજોએ જે વલણ અપનાવ્યું હતું એ અંગ્રેજોની જરૂરિયાત હતી અને જરૂરિયાત આધારિત નીતિ હતી, એ તેમની મૂલ્યનિષ્ઠા નહોતી. જો એમ હોત તો તેમણે પોતાને ત્યાંની અંગ્રેજ પ્રજા અને ભારતમાંની ભારતીય પ્રજા વચ્ચે ભેદ ન કર્યો હોત, પણ એવો ભેદ તો કરવામાં આવતો હતો એ આપણે જાણીએ છીએ. તેઓ ભારતીય પ્રજા વચ્ચે ભેદભાવ નહોતા કરતા કારણ કે એ તેમની જરૂરિયાત હતી. અંગ્રેજ રાજ જળવાઈ રહે એમાં જેમનો સ્વાર્થ હતો અથવા જે લોકો અંગ્રેજ રાજથી મોહાંધ હતા તેવા લોકોને ગાંધીજીએ કહ્યું હતું કે અંગ્રેજોને કહો કે તેમણે જે નીતિ અપનાવી છે એને નિષ્ઠામાં બદલે. બીજી ગોળમેજ પરિષદમાં પણ ગાંધીજીએ બ્રિટિશ વડા પ્રધાનને કહ્યું હતું કે તમે તમારી નીતિને નિષ્ઠામાં બદલશો ત્યારે અમે કબૂલ કરીશું કે તમે અવલ્લ દરજ્જાની પ્રજા છો. 

આ બાજુ ભારતીય પ્રજાએ અંગ્રેજોની જે નીતિ અપનાવી હતી એ પણ તેમને માફક આવતી હતી માટે સ્વીકારી હતી, તેમની પણ તેમાં કોઈ મૂલ્યનિષ્ઠા નહોતી. જો મોકો મળે તો તેઓ પણ સમાનતાની જગ્યાએ પોતાની સર્વોપરિતા લાદવા માગતા હતા. આ સિવાય ગુલામ પ્રજાને તેને માફક આવે એવી નીતિ દ્વારા રાજી રાખી શકાય પણ સ્વાધીન પ્રજાને તો કોઈ પણ નીતિ આત્મસાત કરાવવી પડે. બે ગુલામ માલિકનો સમાનતાવાળો વહેવાર જોઇને હરખાશે પણ બે સ્વતંત્ર માણસ ત્યાં સુધી સમાનતાને નહીં સ્વીકારે જ્યાં સુધી સમાનતા તેની નિષ્ઠા નહીં બને. તેને તે આત્મસાત નહીં કરે.

તો સવાલ એ હતો કે અંગ્રેજોએ શાસનની જે નીતિ અપનાવી હતી અને જે નીતિનો ભારતીય પ્રજાએ મહદ્દ અંશે સ્વીકાર કર્યો હતો તેને નિષ્ઠામાં બદલવાની હતી. આ નીતિને જો નિષ્ઠામાં બદલવામાં આવે તો જ વહીવટી અને કાયદાકીય ભારત અને બંધારણીય ભારતીય ભારતમાં પરિવર્તિત થાય. આ કામ સહેલું નહોતું. અંગ્રેજોએ દેહયષ્ટિ રચી આપી હતી જેમાં નિષ્ઠાનાં પ્રાણ પૂરવાના હતા. મંદિરોમાં મૂર્તિસ્થાપનાને પ્રાણપ્રતિષ્ઠા તરીકે ઓળખવામાં આવે છે એમ. પ્રાણની પ્રતિષ્ઠા કરવાની હતી.

આ કામ બંધારણસભામાં થયું હતું, પરંતુ એની પહેલાં જ એની શરૂઆત થઈ ગઈ હતી અને એનો ઘણો મોટો શ્રેય ગાંધીજીને જાય છે. ભારતનું બંધારણ બંધારણસભામાં ઘડાયું એના પાંચ દાયકા પહેલા બંધારણ ઘડવાનું કામ શરૂ થઈ ગયું હતું.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 28 માર્ચ 2021

Loading

હોલી ઇસ હોલીડે

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|28 March 2021

ભગવાન વિષ્ણુએ નૃસિંહ અવતાર લેવો હતો એટલે તેમણે હિરણ્યકશ્યપુનો જન્મ કરાવ્યો. નામ પણ કેવું? જીભના લોચા વળી જાય એવું. તેને પાછો અસુર બનાવ્યો. હવે આજે તો અસુર રહ્યા નથી એટલે શ્વસુરથી જ સંતોષ માનવો પડે એ સ્થિતિ છે. હવે એચ. કશ્યપુને રાક્ષસ બનાવો તો પ્રહ્લાદને ભક્ત જ બનાવવો પડે. તે બનાવ્યો. શું છે કે એ વખતમાં કોઈને બહુ કામ રહેતું જ નહીં. ભગવાને પણ શેષશૈયા પર પડી રહેવાનું હતું, ચાર ચાર હાથો સાથે. તે પણ બધા જ શંખ, ચક્ર, ગદા, પદ્મથી એંગેજ! સૂતાં સૂતાં હાથમાં આ બધું પકડી રાખવાનું ફાવે પણ કેમ, ભગવાન જાણે! સાલી, ખંજવાળ આવે તો ખંજવાળવા કોઈ હાથ પણ ફાજલ નહીં. માણસ બોર થાય ને પછી ઢોર થાય તો, આ તો ભગવાન વિષ્ણુ! એ બોર થાય ને આદમખોર થાય એમાં નવાઈ નથી. એમને મન થયું કે આ વખતે નર અને સિંહનું કોમ્બિનેશન કરી જોઈએ. અર્ધનારીશ્વર જો શક્ય હોય તો નર ને સિંહનું, નૃસિંહ કેમ ન થાય? ટૂંકમાં, ભગવાને તો નક્કી કરી જ લીધું હતું કે આ વખતે તો યુનિક અવતાર જ લેવો.

વેલ, હિરણ્યકશ્યપુને રાજા બનાવ્યો. હવે રાજા હોય ને જુલમ ન કરે એવું તો બને જ કેમ? આજે મંત્રીઓ મંતરે છે તેનાં મૂળ રાજામહારાજાઓમાં પડેલાં છે. વારુ, પ્રજા ત્રાસ ગુજારવા માટે જ હોય છે તે કંઈ આજનું નથી. એ તો પરાપૂર્વથી ચાલી આવે છે. આજની જેમ ત્યારે પણ પ્રજા કૈં કરી શકતી નો'તી ને ત્યારે તો ચૂંટણી પણ નો'તી કે પાંચ વર્ષે રાજાને ઉથલાવી દેવાય. એટલે ચુમાઈને બેસી રહેવા સિવાય પ્રજા પાસે કોઈ વિકલ્પ જ નો’તો.

બીજું શું હતું કે એચ. કશ્યપુને વરદાન હતું કે તેને કોઈ માણસ કે પશુ મારી નહીં શકે. એટલે જ નરમાં સિંહને પ્લસ કરી એચ. કશ્યપુને નરસિંહ ભગવાને માઈનસ કરવો પડ્યો. એચ. કશ્યપુને માઈનસ એટલે કરવો પડ્યો કારણ એ રાજા તરીકે ફાટીને ધૂમાડે  ગયો હતો.

જેમ આજે  બાળકો એક ચિત્તે મોબાઈલમાં વ્યસ્ત રહે છે તેમ પ્રહ્લાદ ભગવાનની ભક્તિમાં મસ્ત રહતો હતો. ફાધર એચ. ક્શ્યપુને એ પસંદ નો’તું. તે તો કહે, 'આયેમ યોર ફાધર! હું જ ઈશ્વર છું. કોઈ કામ ન કરવું હોય ને ભક્તિ જ કરવી હોય તો મારી કર!'

પણ આજની જેમ જ છોકરાં ત્યારે પણ અવળચંડાં હતાં જ, ફાધરનું બહુ માને નહીં! એટલે બધા ફાધરની જેમ એચ. કશ્યપુનું ભેજું પણ બહુ ફાટ્યું. છોકરાને સમજાવી જોયો, પણ માને તો છોકરો શાનો? છેવટે એચ. કશ્યપુએ પોત પ્રકાશ્યું. પ્રહલાદને પહાડ પરથી ગબડાવ્યો, પણ તેને કૈં થયું નહીં. છેને કમાલ! આપણા જેવા પહાડ પરથી ગબડે તો હાડકાં સલામત રહે કે? આપણાં હાડકાં જોડતાં જોડતાં હાડવૈદના હાડકાં છૂટા પડી જાય એવું બને.

પ્રહ્લાદ બચી ગયો કારણ કે તે ભગવાનનું નામ લેતો હતો ને બાપનું તો નામ પણ લેતો ન હતો. દેખીતું છે કે ફાધર આગબબુલા થઈ જ જાય. તે વિચાર્યા કરતો હતો કે પ્રહ્લાદને ભણાવ્યા વગર જ પાઠ કેમ ભણાવવો? ત્યાં તેને સ્ટ્રાઈક થયું કે હોલિકાની હેલ્પ લીધી હોય તો!

શું છે કે હોલિકાને એવો વહેમ હતો કે તેને અગ્નિ પણ બાળી નહીં શકે. એચ. કશ્યપુએ તેને કહ્યું, ’આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ભક્ત પ્રહ્લાદ! કુછ ભી કર કે ઇસ કુત્તેકી બોટી બોટી કરકે કુત્તેકો ખિલા દો!’

‘સોરી, ભૈયા. મેં વેજીટેરિયન હું. જો કે,તમારી મુશ્કેલીનો એક ઉપાય છે.’ હોલિકા બોલી.

‘બોલો, બહેના, જલદી બોલો!’

‘હું અગ્નિથી બળું તેમ નથી. પ્રહ્લાદને ખોળામાં લઈને બેસું ને ફરતે અગ્નિ પ્રગટાવવામાં આવે તો હું બચી જઈશ અને પ્રહ્લાદ …’

હોલિકા વેમ્પ જેવું લુચ્ચું હસી. એચ. કશ્યપુએ પણ મૂછે તાવ દીધો.

પ્રહ્લાદને પટાવીને હોલિકાએ પૂછ્યું,’તું મારા ખોળામાં બેસીશ ને, દીકરા?’

‘સોરી, ફોઈ! તમારો પ્લાન મારો ધૂમાડો કરવાનો છે તે હું જાણું છું, પણ છોટા બચ્ચા જાનકે હમકો ના સમઝાના રે …!’

હિરણ્યકશ્યપુને આ વાતની ખબર પડી તો એનું તો ફટકી જ ગયું, ’તેરી ઇતની હિંમત કે બાપ કો ના બોલે? મોટો ભગવાનનો ભગત છે તો ડરે છે કેમ?’

‘ફાધર, ઝેરનાં પારખાં ન હોય!’ પ્રહ્લાદે સંયમથી કહ્યું.

‘હાળા, પોચકીદાસ! ફાટે છે એમ કહેને!’

‘તો તમે બેસોને! છે હિંમત?’

એચ. કશ્યપુ થથરી ગયો. અગ્નિનો સ્વભાવ જ બાળવાનો છે તો કોઈ પણ બચે કઈ રીતે? તેને બહુ જ આશ્ચર્ય થયું કે એક ક્પૂતના ઘરમાં આ સપૂત પાક્યો કઈ રીતે? પ્રહ્લાદને ઘણી લાલચ અપાઈ. રાજપાટ આપવાનું પણ કહ્યું. તો એણે વિવેકથી કહ્યું, ’તમારા પછી તો એ બધું મારું જ છેને! આઈ વિલ વેઇટ!’

પ્રહ્લાદ ના માન્યો તે ના જ માન્યો. એચ. કશ્ય્પુને એટલી ખબર હતી કે પ્રહ્લાદ બહુ મસ્તીથી ઊંઘે છે એટલે તેણે નક્કી કર્યું કે છોકરો ઊંઘતો હોય ત્યારે હોલિકાએ તેને લઈને અગ્નિમાં બેસવું. એમ જ થયું. અગ્નિ પ્રગટ્યો ને હોલિકા ચીખવા માંડી, ’બચાવો, બચાવો.’ પણ તેનું સાંભળે કોણ? છોકરાંઓ તો ઢોલ નગારાં વગાડવામાં એટલા તલ્લીન હતાં કે હોલિકાની ચીસો કોઈને સંભળાઈ જ નહીં. તેની રાખ થઈ ગઈ ને પ્રહ્લાદ ફાયરપ્રૂફ શૂટ પહેરીને સૂઈ ગયેલો એટલે બચી ગયો.

એ દિવસથી હોળીની શરૂઆત થઈ. પ્રહ્લાદ બચી ગયો એટલે ભક્તોએ બીજે દિવસે રંગોત્સવ મનાવ્યો જયારે હોલિકા બળી મરી તેની પીડામાં અસુરોએ ધૂળ ઉરાડી એટલે તે ધૂળેટી ગણાઈ. આપણે અક્કલના ઇસ્કોતરાઓ તહેવારનું નામ રંગોત્સવ નથી રાખતા, પણ ધૂળેટી રાખીએ છીએ તે પણ સૂચક છે.

એક વાર હોલિકા સળગાવી એટલાથી પત્યું નહીં. પછી તો આપણે ગામેગામ ને નગરેનગર હોળી પ્રગટાવી. હવે તો આખા દેશમાં હોળી કરીએ છીએ. બહારથી હવે હોળી અંદર આવી છે. જો હોળી રોજ જ ઘરમાં થતી હોય તો બહાર કરવાની જરૂર ખરી? એક લલ્લુ બોલ્યો, ’મેં મન્કી બાત બોલું?’

‘મન્કી બાત? મતલબ વાંદરાની વાત?’

‘અરે! મન્કી બાત નહીં, મનકી બાત!’

‘બોલ!’ મેં કહ્યું.

‘મારા ઘરમાં તો ક્યારે ય હોળી થતી જ નથી.’

’તું પરણેલો છે?’

એ કહે,’ના.’

‘તો, તો હોળી ન જ થાયને!’મેં કહ્યું, ’એકવાર મારે ઘરે આવ તો બતાવું કે હોળી કેવી રીતે પ્રગટે છે ને હોળીનું નાળિયેર કોણ, કેવી રીતે બને છે?’

‘તમારા ઘરમાં હું જોવા નહીં આવું. હું જાતે જ જોઇશ કે ઘરમાં હોળી કેવી રીતે થાય છે!’ બોલતો એ ગયો.

હવે એને કેમ સમજાવું કે લગ્નમાં ને હોળીમાં અગ્નિ કોમન છે એટલે ભડકો તો થવાનો જ! ઠીક ત્યારે, સૌને હોળીની શુભેચ્છાઓ!

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...2,0692,0702,0712,072...2,0802,0902,100...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved