Opinion Magazine
Number of visits: 9964266
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સમ્યક સાહિત્યની વિભાવના

રતિલાલ રોહિત|Opinion - Literature|16 March 2021

‘હયાતી’(તંત્રી, હરીશ મંગલમ્‌)ના સમ્યક સાહિત્ય વિવેચન વિશેષાંક(સપ્ટેમ્બર-ડિસેમ્બર ૨૦૨૦)માંથી ડૉ. રતિલાલ રોહિતનો આ લેખ અહીં સાભાર ઉધ્ધૃત કર્યો છે. સ્થાપિત, શિષ્ટ અને સરજાતા સાહિત્યને પરંપરાથી ઉફરાટે તપાસવાના એક ઉપક્રમ તરીકે (જેમ વિવેચન તેમ આંદોલન તરીકે) પણ આ વિચારરૂખ સમજવા જોગ છે. અહીં જે ઓજાર-મૂલ્યો નિર્દેશાયાં છે એ ધોરણે સ્થાપિતની જેમ જ દલિત સાહિત્ય સર્જન વિશે પણ નિરીક્ષા ને નુક્તેચીની ઈષ્ટ છે. વયસ્કતાનું ઉખાણું, આખરે તો, હર ધારાએ છોડાવવું રહે છે. બને કે બે અલગ છેડેથી કોઈ નીતર્યા સમ પર ઠરવાનું બની આવે. બને કે સમ પર ઠરવા જેવું લાગે ન લાગે અને નવેસર તપાસદોર વળી દુર્નિવાર બની રહે. સર્જન અને સમીક્ષાની જે રમણા, એને વળી પૂર્ણવિરામ શાં.

— “નિરીક્ષક” તંત્રી

“આપણી પાસે વ્યાપારી કે ધનિક વર્ગમાં રસિકતાની દ્રષ્ટિ હોતી નથી. આ તેમનો દોષ હોતો નથી, ચાતુર્વણ્યનો છે. ચાતુર્વણ્યમાં જે વર્ણભેદ પડેલો છે તેમાં કોણે શું કરવું તેનો ખુલાસો કરેલો છે. બ્રાહ્મણોએ સંસ્કૃતિ અને કળાનું સંવર્ધન કરવું, વૈશ્ય લોકોએ વ્યાપાર કરવો એવા ધાર્મિક સમજણના નિયમોને હોવાને કારણે પ્રત્યેક જણ નક્કી કરેલી દિશા તરફ જુએ છે … આપણી પાસે કળા વિશે અનાસ્થા જોવા મળે છે તેનું કારણ ચાતુર્વણ્યને કારણે હિંદુ ધર્મના લોકોની રસિકતાનું પણ અપહરણ થયું છે.”૧

સાહિત્યસર્જન માનવજીવનની સર્વસમસ્યાઓને તથાગત રીતે ઉજાગર કરીને એક સમ્યક સમાજરચના નિર્માણ કરવામાં પાયાની ભૂમિકા રચી આપનારું હોવું જોઈએ. સર્જનનું કાર્ય જ નવી સમાજરચના દ્વારા માનવતાવાદને વધુને વધુ સુદ્રઢ અને સમ્યક ભાવ-વિચારથી સમૃદ્ધ કરવાનું છે. સાહિત્યને સમ્યક દ્રષ્ટિકોણથી મૂલવવાના કે સર્જવાના પ્રયાસો આજ સુધી આપણે ત્યાં નથી થયા કે અંશતઃ જોવા મળે છે ત્યારે ફરી એક વાર સમ્યક ભાવ-વિચાર દ્વારા સાહિત્યને વધુને વધુ ખેડી શકાય તેવા પ્રયાસો કરવા જોઈએ. ગઈ કાલનું દલિત સાહિત્ય આજનું સમ્યક દિશા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તેમાં કેવા પ્રકારના બદલાવની અપેક્ષા રાખવામાં આવે છે તેનો વિચાર કરવો અતિ આવશ્યક બને છે.

વીસમી સદીના ઉત્તરાર્ધમાં જે નવા પ્રવાહરૂપે સાહિત્યનો ઉદ્‌ભવ થયો તે દલિત સાહિત્યની ભૂમિકા ડૉ. બાબાસાહેબ આંબેડકરની વિચારધારાના પ્રભાવને કારણે ક્રમશઃ વિકસિત અને વધુ દ્રઢ બની છે. દલિત સાહિત્યના વ્યાપક પ્રભાવ અને વિસ્તારને કારણે હિંદુ ધર્મ પ્રણિત અમાનવીય અને ક્રૂર સામાજિક વિષમતા, ઊંચનીચના ભેદભાવ, અંધશ્રદ્ધા, કર્મકાંડ, સ્વર્ગ-નરકની મિથ્યા કલ્પનાઓની અંધકારમય અને દિશાહીન જીવનપદ્ધતિ દ્વારા શોષિત, પીડિત, અને માનવીય અધિકારોથી પૂર્ણપણે વંચિત દાયકામાં માનવ અધિકારોનું આંદોલન શરૂ થયું. મહારાષ્ટ્રમાં મહાડના ચવદાર તળાવ સત્યાગ્રહ, નાસિક કાલારામ મંદિર સત્યાગ્રહ માનવમુક્તિના પ્રવેશદ્વાર સમાન સાબિત થયાં. મહાત્મા જોતિબા ફૂલેની સામાજિક ક્રાંતિનો પ્રભાવ વીસમી સદીમાં વધુને વધુ પ્રગાઢ બનતો ગયો. સામાજિક, ધાર્મિક, આર્થિક વિષમતાની સામે જનઆંદોલનની સાથે સાથે સાહિત્યિક ચળવળનો પણ આરંભ થયો. મહાત્મા  જોતિરાવ ફૂલેના વૈચારિક પ્રભાવને કારણે ઓગણીસમી સદીના ઉત્તરાર્ધથી જ માનવસર્જિત વર્ણ અને જાતિવ્યવસ્થા દ્વારા થતાં અમાનવીય શોષણ વિરુદ્ધ સાહિત્યિક ચળવળનો આરંભ થઈ ચૂક્યો હતો. ઈ.સ. ૧૮૮૫માં પૂના મુકામે કૃષ્ણશાસ્ત્રી રાજવાડેના અધ્યક્ષસ્થાને ભરાયેલ ગ્રંથસંમેલનના ન્યાયમૂર્તિ રાનડેએ આપેલા નિમંત્રણનો સટીક પ્રત્યુત્તર જોતિબા ફૂલેએ આ રીતે આપ્યો હતો જે આજે પણ એટલો જ ઉચિત લાગે છે : જે લોકો દ્વારા સમગ્ર માનવજાતિના માનવ અધિકારો વિશે સાચા અર્થમાં વિચાર કરીને દરેક વ્યક્તિને તેના પોતાના અધિકાર ખુશીથી તેમ જ ખુલ્લા મનથી આપી નથી શકાતા તથા તેમના હાલના વર્તનથી લાગે છે કે, ભવિષ્યમાં પણ તેઓ આપી શકશે નહીં, એવા લોકોએ બોલાવેલી સભાઓ અને એમનાં દ્વારા લખેલાં પુસ્તકોના ભાવાર્થ સાથે અમારાં પુસ્તકો અને સભાઓનો કોઈ મેળ બેસતો નથી. કેમ કે એમના પૂર્વજોએ અમારો બદલો લેવાના ઈરાદાથી અમને દાસ બનાવ્યા અને આ વાત પોતાના જૂઠા ગ્રંથોમાં જાણીબૂઝીને દબાવી દીધી. એના સાક્ષી એમના જૂના ગ્રંથો જ છે. અમારા જેવા શુદ્ર-અતિશુદ્રોને કેવી કેવી આપત્તિઓ તથા તકલીફો સહન કરવી પડે છે એ વાત ઊંટ પર સવાર થઈને ઘેટાં ચરાવનાર ગ્રંથકારો (લેખકો) અને મોટી મોટી સભાઓમાં ભાષણ આપનારાઓને કેવી રીતે સમજાશે? ખરેખર તો આ સાર્વજનિક સભાના આયોજકો આ બધી વાતોથી સારી રીતે પરિચિત છે … સંક્ષેપમાં, એમનો સાથ આપવાથી અમારા શુદ્રાતિશુદ્ર સમાજને કોઈ લાભ થવાનો નથી, એ વિશે અમારે પોતે જ વિચારવું પડશે. જો આ મોટાભાઈ (!) સાચે જ બધાની એકતા ઈચ્છતા હોય તો જરૂરી છે કે તેઓ તમામ માનવજાતિ વચ્ચે અતૂટ ભાઈચારો સ્થાપિત કરવાનો નક્કર ઉપાય શોધે તથા પુસ્તક દ્વારા એ વિચારને પ્રકાશિત કરે. આવા સમયે આંખો બંધ કરવી યોગ્ય નથી.૨ મહાત્મા જ્યોતિરાવ ફૂલેના આ વિચારોથી સ્પષ્ટ થઈ જાય છે કે, કપોળકલ્પિત સાહિત્ય સામાજિક ક્રાંતિનો પર્યાય બની શકતું નથી. સામાજિક વાસ્તવ જ્યાં સુધી સાહિત્યમાં નિરૂપિત ન થાય અને સામાજિક પ્રતિબદ્ધતા જ્યાં સુધી સાહિત્યમાં પ્રગટે નહીં ત્યાં સુધી સાહિત્ય માત્ર મુઠ્ઠીભર સામંતીઓ અને જાગીરદારો બ્રાહ્મણોના મનોરંજનનું સાધન બનીને રહી જશે. સાહિત્ય એ સામાજિક પરિવર્તનનું અત્યંત પ્રભાવક પરિબળ છે, તેના દ્વારા સામાજિક ક્રાંતિ સંભવ છે એમ દ્રઢપણે માનતા જોતિરાવ ફૂલે માનવીય શોષણ કરતી અમાનવીય પરંપરાને મૂળથી નષ્ટ કરવા તત્પર બને છે. સાહિત્ય વિશેની એમની સમજણ એક વિચક્ષણ મર્મી અને પ્રખર સંશોધકની રહી છે. સત્યશોધક સમાજની રચના જ એક ઉત્તમ સંશોધકની ગરજ સારે છે. એક નિષ્ઠાવાન સમાજહિતચિંતક અને ગહન અભ્યાસુ તરીકેની તેમની છબિ સામાજિક પ્રતિબદ્ધતાની દ્યોતક છે. સમ્યક વિચારનો મહિમા આ રીતે તેમના જીવનનો મંત્ર બની ગયો હતો. સાહિત્યનું સમ્યક મૂલ્યાંકન સર્જકની માનસિકતાને ઘડે છે. સર્જકની સમ્યક ભાવના વધુ પાકટ બનતી અનુભવાય છે. સામાજિક વિષમતા સામે ઝીંક ઝિલતાં પાત્રોની ખુમારી અને માનવીય પરિબળોને સર્જક માનવીય સંવેદનાની નજરે જુએ તો જ સકારાત્મક સર્જકતા પ્રગટે છે. એ અર્થમાં સમ્યક સાહિત્યની ચર્ચા અસ્થાને નહીં ગણાય. દલિત સાહિત્યમાં દલિત સમાજની વાસ્તવિક્તાનું ચિત્રણ, વિષમ સામાજિક વ્યવસ્થા, પરંપરાગત વિધિનિષેધો, તમામ કાલ્પનિક શાસ્ત્રો-મહાકાવ્યો દ્વારા સ્થાપિત લાદવામાં આવેલી મનુવાદી વર્ણ-જાતિવ્યવસ્થા સામેનો પ્રતિકાર, વિદ્રોહની અભિવ્યક્તિ જોવા મળી હતી જ્યારે સમ્યક સાહિત્ય દ્વારા નવી સમાજરચનાનો પુરસ્કર, સામાજિક સમાનતા, સ્વતંત્રતા, બંધુત્વભાવાદિની સાથે પ્રજ્ઞા, શીલ અને કરુણા દ્વારા સાહિત્યમાં નૈતિક મૂલ્યોની માવજત કરી સમતામૂલક સમાજરચનાનો આવિષ્કાર કરવાનો દ્રઢ નિર્ધાર સમ્યક વિચારમાં નિહિત છે.

ગુજરાતી સાહિત્યના સંશોધક-વિવેચક જયંત કોઠારીએ પણ ગુજરાતી વિવેચન વિશે શંકા વ્યક્ત કરી છે. ગુજરાતીમાં સાહિત્યતત્ત્વની મીમાંસા વૈજ્ઞાનિક રીતે થતી નથી.૩ ગુજરાતીવિવેચન વિશેનો વિવેચકોનો દ્રષ્ટિકોણ પ્રસ્થાપિત વિચારસરણીને કેન્દ્રમાં રાખીને જ હંમેશા થતો રહ્યો છે. સર્જનની અને વિવેચનની માળખાગત ઓળખ આપવાની અસમતોલ પરંપરા સર્જનને વધુને વધુ રૂઢિવાદી બનાવે છે. સાહિત્યસર્જનની સંકુચિત દ્રષ્ટિને પોષતું વિવેચન પણ તાર્કિક સ્તરની દિશાને વધુ ધૂંધળી બનાવે તે સ્વાભાવિક છે. સર્જનમાં જેમ કોઈ જાતિવર્ગભેદને સમર્થન કરનારી વિચારસરણી કામ કરતી હોય અને તે જ વિચારસરણી જો વિવેચનમાં પણ પ્રવૃત્ત હોય તો વિવેચનની સાર્થકતાનો છેદ ઉડી જાય છે. સર્જનમાં વ્યક્ત થતો વિચાર માનવીય મૂલ્યોની ખેવના કરે છે કે નહીં એનું આકલન કરવાનું કાર્ય વિવેચનનાં કાર્યક્ષેત્રની બહારનું હોઈ શકે. વિવેચનની તર્કવિહીન વિચારણાને કારણે સર્જનની સાચી દિશા હજુ સુધી નક્કી થઈ શકી નથી. સર્જનમાં સમ્યક દ્રષ્ટિનો અભાવ જોવા મળે છે. સાહિત્યકૃતિને ઉત્તમ કહેવા પાછળના વિવેચનના કયા માપદંડો ખપમાં લેવાય છે? શું કોઈ પણ રચના માનવીય ભાવોથી મુક્ત હોઈ શકે ? કૃતિને ઉત્તમ કે શ્રેષ્ઠ કહેવા પાછળ વિવેચકનો કોઈ વ્યક્તિગત વિચારસંદર્ભ તો કામ નથી કરતો ને ! જાતિગત શ્રેષ્ઠતાના પ્રભાવમાંથી ગુજરાતી સર્જન અને વિવેચન હજી સુધી મુક્ત નથી થઈ શક્યું એ હકીકત છે ત્યારે વંચિતોના સાહિત્યની પીઠિકાને કોઈ જાતિ-વર્ગ-વર્ણના વર્તુળમાં વિભાજિત ન કરતાં માનવીય મૂલ્યોનાં કેન્દ્રમાં મૂકીને તપાસવું હિતાવહ છે. અમાનવીય પરંપરાની અપાર યાતનાઓને પાર કરીને પોતાના અસ્તિત્વની આગવી ઓળખ માટે માનવીય મૂલ્યોની પ્રસ્થાપના કળાત્મક અભિનિવેશ સાથે પ્રગટાવતી સામાજિક ન્યાય અને ઉચ્ચ નૈતિક વિચારદ્રષ્ટિ સમ્યક સાહિત્યની આધારશિલા છે.

મરાઠી ભાષાના જાણીતા સાહિત્યકાર મર્ઢેકર સાહિત્યની ઉત્તમ રચનાના માપદંડ શા હોઈ શકે એની ચર્ચા કરતા કહે છેઃ ભારતીય સંવિધાનની પ્રસ્તાવનામાં જે માનવીય મૂલ્યો અને તત્ત્વજ્ઞાન દર્શાવ્યું છે તે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકશાહી, ગણરાજ્ય, સામાજિક-આર્થિક ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, વિશ્વાસ, શ્રદ્ધા અને ઉપાસનાનું સ્વાતંત્ર્ય, દરજ્જા અને તકની સમાનતા, વ્યક્તિની પ્રતિષ્ઠા, રાષ્ટ્રીય એક્તા, એકાત્મકતા અને બંધુતા આ તમામ મૂલ્યો એની ગહન વિચારણા સાથે, તેનું પરિશીલન કરીને, એકરસ થઈને લેખન થયું હોય તેવી કૃતિને ઉત્તમ કળાકૃતિ કહી શકાય એમાં શંકા નથી.૪ સાહિત્યકૃતિની સફળતાનો માપદંડ શો હોઈ શકે તેનો સર્વગ્રાહી પ્રયત્ન અહીં થયો છે. કોઈ પણ વિચારક આ પ્રયાસને નકારી શકે તેમ નથી, સાહિત્યના મૂળ ઉદ્દેશને અહીં ચિહ્નિત કરવામાં આવ્યો છે. એક ઉત્તમ રચનાને મૂલવવા માટે જે લક્ષણોની ચર્ચા કરવામાં આવે છે તે પ્રચલિત કે સ્થાપિત લક્ષણોથી સાવ ભિન્ન છે. કદાચ એટલે જ સાહિત્યનો ઉદ્દેશ હજી સુધી કારગત નિવડ્યો નથી એ એટલું જ સત્ય છે. સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વની ભાવના સામાજિક ધરાતલ પર તૈયાર થયેલી છે. સામાજિક નૈતિક્તાનો આવિર્ભાવ દર્શાવતાં આ માનવીય મૂલ્યો સાહિત્યમાં પાયાની ભૂમિકા પૂરી પાડે છે.

તો, શરણકુમાર લિંબાળે પણ ઉત્તમ કળાકૃતિની વ્યાખ્યા કરતી વખતે પણ આંબેડકરી વિચારને કેન્દ્રમાં રાખે છે. તેઓ કહે છે કળાકારની કળાકૃતિમાંનો વિચાર ભાવકના મનને કેટલું અને કેવી રીતે પ્રભાવિત કરે છે તેના પર કૃતિનું સ્તર નિર્ભર રહે છે. જો દલિત સાહિત્યકૃતિ સુંદર અને પરિણામતઃ સ્તરવાળી સાબિત થશે તો દલિત લેખકોએ તેના પરથી નક્કી કરવું પડશે કે, એની સાહિત્યકૃતિમાં આંબેડકરી વિચારને કેવી રીતે વ્યક્ત કરી શકાય. જે કળાકૃતિ વધુને વધુ ‘દલિત ચેતના’ પ્રકટાવશે તે કળાકૃતિ સર્વશ્રેષ્ઠ ગણાશે.૫ એટલે શરણકુમારના આ વિધાનથી એક બાબત સ્પષ્ટ થાય છે કે, દલિત કળાકૃતિનાં વૈચારિક તત્ત્વો આંબેડકરી દર્શનમાં રહેલાં છે. આંબેડકરી વિચારદર્શન શોષિત, વંચિત, પીડિત માનવી સમુદાયનું સાચુકલું પ્રતિનિધત્વ કરે છે. માનવીય મૂલ્યોને ઉજાગર કરવા માટે આજે અને આવતી કાલે પણ આંબેડકરી વિચારધારા જ સાહિત્ય અને વ્યવહારમાં એકમાત્ર માર્ગ છે. સાહિત્યકૃતિની વૈચારિક પીઠિકામાં માનવીય અધિકારોનું જતન અને સંવર્ધન જરૂરી છે. અમાનવીય વિચારધારાને કદી કોઈ કાળે સાહિત્યકૃતિમાં નિરૂપિત કરી શકાય નહીં. માત્ર વ્યક્તિવાદી, અધ્યાત્મવાદી, ગૂઢવાદી, રહસ્યમય, કાલ્પનિક અને ભ્રામક કથાઓ સામાજિક અને નૈતિક ચેતનાનો નાશ કરે છે. માનવીય મૂલ્યોનું હનન કરે છે. અમાનવીયતા અને સામાજિક ભેદભાવને પ્રોત્સાહન અને દ્રઢ બનાવતી વિચારધારા માનવતાને હણે છે. સાહિત્ય તો ભેદભાવની સીમાઓને લાંઘીને માનવજીવનનાં કલ્યાણ અને ઉદાર ચરિત્રને પ્રગટાવતું હોવું જોઈએ. સામાજિક ન્યાય અને કરુણાના વ્યાપક અને ગહન સ્તરને આંબતું હોવું જોઈએ. આંબેડકરી વિચારને વ્યક્ત કરતી કળાકૃતિ માનવીય સંવેદનાઓની સાથે સાથે માનવીય મૂલ્યોની પ્રમાણભૂતતાને સ્પષ્ટ રીતે ચીંધી આપતી હોવી જોઈએ. વર્ણ-લિંગ-જાતિ-ભેદ વિનાના સમાજની વિભાવના તૈયાર કરવાનું એક માત્ર ધ્યેય આંબેડકરી વિચારનો શંખનાદ છે. આ આંબેડકરી વિચાર એટલે જ સમ્યક દ્રષ્ટિ.

આંબેડકરવાદી સાહિત્ય વિશેની સ્પષ્ટ ભૂમિકા આપનાર મરાઠી ભાષાના કવિ વિવેચક યશવંત મનોહર સમાજ અને સાહિત્યના સંબંધને સ્પષ્ટ કરતાં કહે છે તેમ સમાજ એટલે માણસોના સંબંધોની રચના. અને સાહિત્ય એટલે માત્ર આ સંબંધોનું તટસ્થ વર્ણન જ નહીં પરંતુ આ સંબંધો પર કરેલું ભાષ્ય, તેનાથી જ એક નવું સાહિત્યરૂપ પ્રાપ્ત થાય છે. માણસોના સંબંધોની પુનઃરચના એવું આ ભાષ્યનું રૂપ હોય છે. આ ભાષ્યના અદ્રશ્ય ભાવો માનવીય સંબંધોના અધિક નિરામય રૂપ તરફ ગતિ કરતા હોય છે. આ નિરામયતાને જ સૌંદર્ય કહેવામાં આવે છે. એટલે કે માનવીય સંબંધો પર ભાષ્ય કરનારાં મૂલ્યો સૌંદર્યની નિર્મિતિ કરે છે એમ કહેવું જોઈએ. સાહિત્યકારની મૂલ્યદૃષ્ટિને જ આપણે જીવનદ્રષ્ટિ અને સૌંદર્યદ્રષ્ટિ કહીએ છીએ. સાહિત્યકારની ભાવના, વિચાર, તેનાં જીવનનું આકલન અને મૂલ્યાંકન આ તમામ પરિબળો મૂલ્યો સાથે જોડાયેલાં હોય છે. સાહિત્યકારનો શબ્દ આ મૂલ્યોનું જ પ્રતિનિધિત્વ કરે છે.૬

સાહિત્ય જીવનની અનેક સમસ્યાઓની સાથે સાથે તેનાં મૂલ્યોની ઝીણવટપૂર્વક તપાસ આદરે છે. જીવનનો પ્રવાહ સતત વહેતા રાખવાની સાહિત્યની પ્રક્રિયામાં માનવીય સ્વભાવ અને એ સ્વભાવની પડછે રહેલા માનસિક બદલાવોની પણ ચિકિત્સા કરે છે. એ અર્થમાં સાહિત્ય માનવજીવનની સભ્યતાને, એના મૂળભૂત સ્વરૂપની ઓળખને પ્રગટ કરે છે. સાહિત્યકાર ધર્મના ઓછાયામાં જીવતો હોય ત્યારે તેના સર્જનમાં ધર્મનો તંતુ જોડાયેલો હોય છે. કોઈ એક ધર્મની વિચારણાને વિકસિત કરવાને બદલે ધાર્મિક સંસ્કારોનું પ્રાબલ્ય વધતું જોવા મળે ત્યારે તાર્કિક રીતે તેના વૈચારિક સંદર્ભો મેળવીને અવ્યવહારિક બન્યા વિના માનવીય વિશેષોને પ્રગટ કરવાની આકલનશક્તિ વિવેચક માટે અપરિહાર્ય બને છે. વિવેચન તો માનવજીવનની બદલાતી સ્થિતિઓનું સૂક્ષ્મ મૂલ્યાંકન કરે છે. પ્રતિક્ષણ બદલાતા માનવીય સ્વભાવને તંતોતંત પ્રત્યક્ષ કરી આપવાનું અને મૂળભૂત કારણોની તપાસ આદરવાનું સમર્થ કાર્ય વિવેચનની આદર્શ શરત હોય છે. જો વિવેચન એકપક્ષીય બને તો તે સર્જન માટે પણ અમર્યાદ અને તેથી અતિરેકી બનવાની શક્યતાઓ નકારી શકાય નહીં. આંબેડકરવાદી સાહિત્યનું પોતાનું આગવું વિવેચનશાસ્ત્ર છે. અને તેથી પોતાનું આગવું સૌંદર્યશાસ્ત્ર છે. દલિત સાહિત્યના સૌંદર્યશાસ્ત્રમાં શરણકુમાર લિંબાળે દલિત સાહિત્ય અધ્યાત્મવાદ અને ગૂઢવાદને નકારે છે એ કારણે માનવું પડશે કે, આ સાહિત્યનું સૌંદર્યશાસ્ત્ર અધ્યાત્મવાદી નહીં પરંતુ ભૌતિકવાદી છે૭ એમ કહે છે ત્યારે એટલું તો સ્પષ્ટ છે કે, અહીં વાસ્તવજીવનનો મહિમા અને એને અનુષંગે માનવજીવનમાં વ્યાપ્ત કપોળકલ્પિત, વાયવી સૃષ્ટિનો સદંતર છેદ ઊડે છે. કાળનો આધાર કલ્પના નથી પણ વાસ્તવ છે. વાસ્તવને સમૃદ્ધ કરવાના સર્જકના પ્રયાસો, માનવીય મૂલ્યો જેવાં કે કરુણા, પ્રજ્ઞા, શીલ વગેરે ઉદાત્તતત્ત્વોનું નિરૂપણ સમ્યક સાહિત્યમાં નિહિત છે. ‘અવિદ્યાનો નાશ’ એ સમ્યક દ્રષ્ટિનો અંતિમ ઉદ્દેશ છે. અહીં મિથ્યા-દ્રષ્ટિનો તીવ્ર વિરોધ છે. અવિદ્યાનો અર્થ છે કે, મનુષ્ય દુઃખને જાણી ન શકે, મનુષ્ય દુઃખના નિર્મૂલનના ઉપાયો ન જાણી શકે, મનુષ્ય આ આર્યસત્યને ન જાણી શકે. સમ્યક દ્રષ્ટિનો અર્થ છે કે, મનુષ્ય કર્મકાંડના ક્રિયાકલાપોને વ્યર્થ સમજે. મનુષ્ય શાસ્ત્રોના મિથ્યા વિશ્વાસમાંથી મુક્ત બને. મનુષ્ય મિથ્યા વિશ્વાસથી મુક્ત બને. મનુષ્ય એમ ન માની લે કે કોઈ પણ બાબત પ્રકૃતિના નિયમો વિરુદ્ધ બની શકે છે. સમ્યક દ્રષ્ટિનો મતલબ છે કે, મનુષ્ય એવી તમામ મિથ્યા ધારણાઓથી મુક્ત થાય જે માત્ર માનવીના મનની કલ્પનાઓ જ છે, અને તેનો અનુભવ અને વાસ્તવજીવન સાથ કોઈ સંબંધ નથી. સમ્યક્‌ દ્રષ્ટિનો અર્થ છે કે મનુષ્યનું મન સ્વતંત્ર બને. મનુષ્યના વિચારો સ્વતંત્ર બને.૮ વિવેચન-સંશોધન માટે તર્કપૂર્ણ વિચાર અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો જ આગ્રહ રાખવામાં આવે છે. તર્ક એ વિવેચનની કે સંશોધનની પ્રાથમિક અવસ્થા છે જેના વિના વિવેચન કે સંશોધનના જટિલ વિસ્તારમાં પ્રવેશવું લગભગ અસંભવ બને છે. ‘જેવું સર્જન તેવું વિવેચન’ એમ કહીએ છીએ ત્યારે વિવેચનમાં સમ્યક દ્રષ્ટિનો અભાવ વર્તાઈ આવે છે. માત્ર જન્મ, વંશ, જાતિ કે વર્ણના કારણે પાત્રોને મહાન ચિતરવાના કાલ્પનિક પ્રયાસો અવિરત થતા રહ્યા છે. વર્ણવ્યવસ્થાના ક્રમમાં પાત્રોને જડબેસલાખ મૂકીને તેમની પાસેથી કોઈ ઉત્તમ વિચારની અપેક્ષા રાખવી તે નરી મૂઢતા છે. આવું સર્જકકર્મ અવિદ્યાનું દ્યોતક બની રહે છે. દા.ત. સરસ્વતીચંદ્રનાં પાત્રોની ચર્ચા થઈ શકે. સર્જક પાત્રોમાં પ્રવેશે છે ત્યારે તે પોતાના અંગત ગણા-અણગમાને પણ તેમાં મૂકી આપે છે. ભેદભાવપૂર્ણ વાસ્તવને ઉજાગર કરવામાં કોઈ પક્ષપાતને સ્થાન ન હોવું જોઈએ. સમ્યક વિચાર સાહિત્યસર્જન માટે પ્રેરકબળ સમાન છે. સમાજમાં સામાજિક વિષમતાના અવૈજ્ઞાનિક વિચારને નષ્ટ કરવા માટે સમ્યક દૃષ્ટિ અત્યંત જરૂરી છે. નૈતિક મૂલ્યો હોવા છતાં સામાન્ય ગણાતાં પાત્રની અવહેલના અને અનૈતિક આચરણ હોવા છતાં ઉચ્ચ જાતિ હોવાને કારણે થતી અદૃબ સલામી સર્જકત્વ માટે કલંકરૂપ ઘટના બની રહે છે.

સમ્યક દ્રષ્ટિ નીરક્ષીર વિવેકપૂર્ણ રીતે વિચાર અને આચરણ કરતાં શીખવે છે. તાર્કિક વિચારથી કોઈ પણ ઘટનાને મૂલવવાનો પ્રથમ અને અંતિમ ઉપાય સૂચવે છે. કાર્ય અને કારણના સંબંધથી જ કોઈ પણ ક્રિયાનું આકલન-મૂલ્યાંકન-વિવેચન કરવાનો એક માત્ર ઉદ્દેશ સમ્યક વિવેચનનો છે. ઘટનાના મૂળમાં જઈને તેનાં કારણોની મીમાંસા કરવાની અને તે દ્વારા તથ્યને પ્રગટ કરવાની પ્રક્રિયા એટલે જ સમ્યક દ્રષ્ટિ. સમ્યક દ્રષ્ટિ દ્વારા જ સમ્યક વિચાર પ્રગટી શકે અને સમ્યક વિચાર દ્વારા જ સમ્યક કાર્ય સંભવ બની શકે. આમ સમાનતામૂલક સમાજરચના માટે સમ્યક દ્રષ્ટિમાંથી નિપજતી કરુણા અને સમાન વ્યવહાર દ્વારા ઘટતી સમ્યક કાર્યશૈલી માનવજીવનને ઉર્જિત કરે છે. નૈતિક મૂલ્યોનું પ્રાગટ્ય અને ક્રમશઃ તેના સંવર્ધન માટે સમ્યક દર્શન જ એક માત્ર પર્યાય બની રહે છે ત્યારે સાહિત્ય દ્વારા સમાજને સમાજ દ્વારા સાહિત્યને સમૃદ્ધ કરવાના પ્રયત્નોની સાર્થકતા તો ભેદભાવવિહીન, અવિદ્યાનો નાશ કરતી, વિવેકપૂર્ણ દ્રષ્ટિ દ્વારા જ સંભવી શકે છે.

પૂંજીવાદ-સામંતવાદનો એકાધિકાર ધરાવતી વિચારધારાનું સમ્યક વિચારમાં કોઈ સ્થાન નથી. સમ્યક સાહિત્યની વૈચારિક વિભાવનામાં વૈમનસ્ય કે કોઈ પણ પ્રકારના ભેદભાવને સ્થાન નથી. અને જે સાહિત્યમાત્ર કોઈ એક વર્ગનું જ પ્રતિનિધિત્વ કરતું હોય તે કદી સમ્યક ન બની શકે. સમાજના વિવિધ વર્ગની સામાજિક ચેતનાને પ્રગટ કરવાની અને એને અનુષંગે એ સમાજનાં નૈતિક મૂલ્યોની માવજત કરવાનું કાર્ય સમ્યક વિચાર દ્વારા જ સંભવી શકે છે. સાહિત્ય પણ સમ્યક દ્રષ્ટિથી સમૃદ્ધ બને એવા સર્જનાત્મક પ્રયાસો થાય તો શોષણવિહીન, જાતિવિહીન સમાજરચના તરફ પ્રયાણ કરી શકાય.

શું કોઈ એક કૃતિ એટલા માટે અસ્પૃશ્ય છે કે તેમાં તથાકથિત ઉચ્ચવર્ણીય પાત્રો નથી? થોડાં ઉદાહરણોથી સમજીએ. પન્નાલાલ પટેલ કૃત ‘મળેલા જીવ’ વિશેનો કવિ ન્હાનાલાલનો વિચાર, રા.વિ. પાઠકકૃત ‘ખેમી’ વાર્તા વિશેનો ર.છો. પરીખનો વિચાર કે પછી ન્હાનાલાલ કવિ વિશેનો ઉમાશંકર જોશીનો વિચાર સમ્યક દ્રષ્ટિનો મૂળથી છેદ ઉરાડે છે. જીવી અને ખેમી અને ઝમકુંનાં પાત્રોની અવહેલના એટલા માટે થઈ છે કે જેઓ પોતાને તથાકથિત ઉચ્ચવર્ણના માને છે તેમની નજરમાં આ પાત્રો નિમ્ન જાતિ છે. તો ન્હાનાલાલ કવિ વિશેનો ઉમાશંકર જોશીનો હૃદયોદ્‌ગાર માત્ર સંકુચિત દ્રષ્ટિનો પર્યાય બની રહે છે. જે કવિમાં સમ્યક ભાવ કે વિચારનું કોઈ સ્થાન નથી તેવા કવિશ્રીની દ્રષ્ટિ વિશ્વકવિ (કોસ્મિક વિઝન) વાળી૯ કંઈ રીતે હોઈ શકે? શું માનવજીવનના પાયાના પ્રશ્નો અને માનવહૃદયના સનાતન(?) મંથનોમાં વંચિત સમાજને કોઈ જ સ્થાન નથી? તો, આવી એક વર્ગીય અને સંકુચિત દ્રષ્ટિને વિશ્વદ્રષ્ટિ કેવી રીતે કહેવી? જે દ્રષ્ટિમાં વંચિત સમાજની ઉપેક્ષા થતી હોય! આ સંકુચિત અને જાતિવાદી દ્રષ્ટિ કદી વિશ્વષ્ટિ બની ન શકે. આ અને આવા તો એકાંગી મૂલ્યાંકનનો સાહિત્યની પારદર્શકતા અને માનવીય મૂલ્યોની વિશ્વસનીયતા સામે એક પડકાર બની રહે છે. તમામ ગુણ-દોષને મુક્તપણે ઉજાગર કરતી અને માનવતાવાદી મૂલ્યોનું સંવર્ધન-સર્જન કરતી જ રચના જ સમ્યક સાહિત્ય બની શકે અન્યથા નહીં.

સંદર્ભ સૂચિ :

૧. ભીમરાવ રામજી આંબેડકર ચરિત્ર ખંડ-૯, લેખક ચાંગદેવ ખૈરમોડે, પૃ. ૯૫.

૨. મહાત્મા ફૂલે : સાહિત્ય ઔર વિચાર : સંપાદક હરિ નરકે, પૃ. ૩૦૭

૩. જયંત કોઠારી કાવ્યમાં શબ્દની મીમાંસા કરતી વખતે પોતાની અગાઉ કરેલી ટકોરને પુનઃ યાદ કરતા કહે છે કે : સાહિત્યત્ત્વ વિશેના સર્વમાનવ ચીલાચાલુ અર્ધસત્યોનાં ગોળગોળ અને ઘણીવાર કહેવાતી ઉચ્ચારણોથી આપણે પહુધા સંતુષ્ઠ રહીએ છીએ. અને કોઈવાર આવેશમય પક્ષિલ આત્યંતિક વાદસૂત્રો સાંભળવા મળે છે તો તેથી આપણે અંજાઈ જઈએ છીએ. જુઓ તત્ત્વલક્ષી પારદર્શકતા : સંપાદક રમણ સોની, પ્ર. આ. ૨૦૧૬, પૃ. ૧૫

૪. મરાઠી વાડમચાયા ઇતિહાસ, ખંડ ૭, ભાગ ૧, પૃ. ૧૯

૫. દલિત સાહિત્યનું સૌંદર્યશાસ્ત્ર : ‘હયાતી’ ત્રૈમાસિકનો વિશેષાંક-માર્ચ ૨૦૧૦ પૃ. ૮૩

૬. સાહિત્યની સંસ્કૃતિ અને સંસ્કૃતિનું સાહિત્ય લેખક યશવંત મનોહર, અમૃત મહોત્સવ નિમિત્તે આપેલું વક્તવ્ય, પૃ.૫

૭. દલિત સાહિત્યનું સૌંદર્યશાસ્ત્ર : ‘હયાતી’ ત્રૈમાસિકનો વિશેષાંક-માર્ચ ૨૦૧૦, પૃ. ૮૩

૮. “डॉ. बी.आर. आंबेडकर का नैतिक-दर्शन” लेखक : डॉ. डी.आर. जाटव, प्रकाशक : समता साहित्य सदन, जयपुर, पृ.  ૧૭૬

૯. ન્હાનાલાલ કવિ વિશે ઉમાશંકર જોશી કહે છે : કવિની દ્રષ્ટિ વિશ્વદ્રષ્ટિ (Cosmic Vision) હતી. ગુજરાતને ખૂણે ખૂણે એ રખડ્યા હોઈ, ગુજરાતના પ્રાકૃતિક સૌંદર્યને તો એમની કવિદ્રષ્ટિ ઝડપી લેતી જ, પણ બ્રહ્માંડને ઊંડણમાં લીધા વિના એને ચેન ન પડતું. કૌટુંબિક અને સામાજિક પ્રશ્નો પર તે અવશ્ય મનન અને સૂચન વેરતી. પણ માનવહૃદયનાં સનાતન મંથનો – માનવી જીવનના પાયાના પ્રશ્નો – પર જઈને એ ઠરતી. એ અર્થમાં ન્હાનાલાલને વિશ્વકવિ કહી શકાય. (શ્રેષ્ઠ ઉમાશંકરઃ સંપાદક : નિરંજન ભગત અને બીજા, પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પુનર્મુદ્રણ : જુલાઈ ૨૦૧૦, પૃ. ૩૪૧)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2021; પૃ. 14-16

Loading

કાળી, શ્યામ, સાંવરી, ઘઉંવર્ણી, ગોરી : ચામડીનાં જુદાંજુદાં રંગો

ભદ્રા વડગામા|Opinion - Opinion|16 March 2021

'મેઘનના બાળકનો વાન કેવો હશે?' રાણી એલિઝાબેથના કોઈ કુટુંબીજને પ્રિન્સ હેરીને પ્રશ્ન કર્યો, તેમાં રાજકુટુંબ racist છે એવો આક્ષેપ તેમના પર મૂકવામાં આવ્યો અને મીડિયાને એ વાતને અવનવી રીતે વાગોળવા માટે ભાથું મળી ગયું. પણ આપણી સંસ્કૃતિનાં દ્રષ્ટાંતો જોતાં આપણે ચામડીના રંગને જેટલું મહત્ત્વ આપીએ છીએ તે માટે આપણને કોઈ racist કહેશે તો આપણને ગમશે?

'બેટા, બેબી કોના જેવી છે, રેશ્મા જેવી ગોરી કે તારા જેવી સાંવરી?' જો કોઈ ગુજરાતી દાદીએ પરદેશમાં રહેતા પોતાના પુત્રને આવો પ્રશ્ન કર્યો હોય, તો આપણને એમાં ખાસ કઈં અજુગતું ન લાગે, કે ન આપણે માની લઈએ કે દાદી આવનાર બેબીને વ્હાલ નહીં કરે. તે છતાં ય આપણે જાણીએ છીએ કે આપણા સમાજમાં ગોરાં હોવું એટલે રૂપાળાં હોવું એવી માન્યતા પરંપરાથી ચાલતી આવી છે. 'એ છે કાળી, પણ બહુ નમણી છે.' કેમ જાણે કાળી ચામડીવાળાં લોકો નમણાં ન હોય! વળી એક કહેવત પણ આ વાતને પ્રોત્સાહન આપતી હોય એવું મને લાગે છે. 'સિદ્દી બાઈને સિદકાં વ્હાલાં.' એનો અર્થ એ થાય કે ગમે તેટલું કદરૂપું બાળક હોય, પણ તેની માને તો વ્હાલું જ લાગશે. એટલે એમ જ ને કે સિદ્દી લોકો કાળાં હોવાથી કદરૂપાં હોય અને તેમનાં બાળકો પણ. અને એમાં એવો ભાવ પણ આવે છે કે એ બાળક કદરૂપું હોવાથી અન્ય માતાઓને વ્હાલું નહીં લાગે, ફક્ત એની સિદ્દી માતાને જ.

આફ્રિકામાં વસેલાં ગુજરાતીઓએ ત્યાંનાં કાળાં લોકોને ક્યારે ય સુંદર માન્યાં નથી. એમણે લાકડામાંથી કોતરેલી આફ્રિકન ચહેરાવાળી માનવકૃતિઓને કળાની દ્રષ્ટિએ જોઈ જ નથી. ભાગ્યે જ એવું કોઈ ઘર હશે જ્યાં તમને એવી એકાદ કૃતિ જોવા મળે. એવી માન્યતા પણ હતી કે એવી મૂર્તિઓ સગર્ભા સ્ત્રી જૂએ તો તેનું બાળક કદરૂપું અવતરે. હવેની વાત જુદી છે.

‘ચામડી માટે ગોરો રંગ સારો કે કાળો?” – Sandesh – http://sandesh.com/skin-to-white-color-good-c/ November, 29 2017 લેખમાં એ.એમ. ખાન લખે છે :

“આપણે ત્યાં કોઈક કારણસર ગોરા બનવાની ઘેલછા ખૂબ વ્યાપક છે. અત્યાર સુધી તો મહિલાઓ જ ગોરાં થવાની મહેનત કરતી હતી, હવે મેટ્રોસેક્સ્યુઅલ માનસિકતામાં પુરુષોને પણ ગોરા થવા પ્રેરણા આપવામાં આવે છે. ગોરા થતાં જ યુવતિઓ તમારી ઉપર લટ્ટુ બની જશે એવું દર્શાવતી જાહેરાતો કરવામાં આવે છે. કેટલાંક લોકો અંગ્રેજો દ્વારા આપણામાં જગાવવામાં આવેલી હીન ભાવનાના કારણે ગોરા થવાની ઘેલછા વ્યાપક બની છે એવું માને છે. પરંતુ શ્રીકૃષ્ણના જમાનામાં પણ રાધા ગોરી હોવાથી બાળ શ્રીકૃષ્ણ યશોદા માતાને ફરિયાદ કરતા હોય એવાં ભજનો ગવાય છે, ‘યશોમતિ મૈયા સે બોલે નંદલાલા, રાધા ક્યોં ગોરી, મૈં ક્યું કાલા?’ રાધા અને શ્રીકૃષ્ણના પ્રણયપ્રસંગોમાં પણ રાધા ‘મોરા ગોરા રંગ લઈ લે, મોહે શ્યામ રંગ દઈ દે …!’ કહેતી હોય એવાં ભજનો આપણે ગાઈએ છીએ. અંગ્રેજોના આગમનના સેંકડો વર્ષ અગાઉ પણ કોઈ સુંદરીના રૂપના વખાણ કરવા માટે રૂપરૂપનો અંબાર અને દૂધ જેવો શ્વેત રંગ એવી ઉપમાઓ કહેવાતી હોવાના ઐતિહાસિક ઉલ્લેખ મળે છે. એટલે ગોરા રંગ માટેની ઘેલછા આજકાલની તો ન હોઈ શકે!”

તો પછી બ્રિટનનું રાજવી કુટુંબ racist છે એવું કોઈ મોટી ઉંમરનો ગુજરાતી માનતો હોય તો તે નર્યો દંભ કહેવાય.

e.mail : bv0245@googlemail.com

15 March 2021

Loading

અમૂલ્ય સિક્કાની બે બાજુ : ગાંધીજી અને નહેરુ

સુરેશ શુક્લ|Opinion - Opinion|16 March 2021

ગાંધીજીની ‘આત્મકથા’ તેમની ગૌરવશાળી પ્રતિભાને લીધે વિશ્વમાં ખ્યાતિ પામી છે. આ આત્મકથાનો પ્રધાન સૂર સહજ રીતે વ્યક્ત કરેલી એમની કેટલીક નબળાઈઓ. એ નબળાઈનો ગ્રાફ કોઈ પણ પ્રકારના ક્ષોભ વગર સરળ શૈલીમાં રજૂ કર્યો છે. કિશોરવયે સામાન્ય વાતાવરણમાંથી પણ સત્યના અવલંબન દ્વારા અભ્યુન્નતિના શિખરે એ કેવી રીતે પહોંચ્યા ? તે કથની એટલે કે ‘સત્યના પ્રયોગો’. આ કથાને લાયોનેલ ટ્રિલિંગના શબ્દોમાં જોઈએઃ

‘The impulse to write autobiography may be taken as virtually definitive of psychological changes to which the historians point out. His conception of his private and uniquely interesting individuality, together with his impulse to reveal himself without reluctance.’

‘આત્મકથા’ લખનારને એમની સ્મરણશક્તિ, આત્મખોજ કરતાં શું કહેવું ! શું ન કહેવું ! કારણ કે અહીંયાં કથાનકને અંગત વાત કરવામાં બેસૂરું વાજું નથી વગાડવાનું. પણ કેટલાંક પ્રકરણો દા.ત. ‘પિતાજીનું મૃત્યુ’ અને ‘મારી નામોશી’, ‘નિર્બલ કે બલરામ’ કરેલા ગુનાઓની કબૂલાત કદાચ સેંટ ઑગસ્ટાઇન અને રુસો કરતાં પણ વાચકના મનને અસરકારક છે. ગાંધીજીની આત્મકથાનું સ્વરૂપ વિશ્વની અનેક આત્મકથાઓ કરતાં તદ્દન જુદું જ છે. “મારે આત્મકથાને બહાને ‘સત્ય’ના મેં જે અનેક પ્રયોગો કર્યા છે. તેની કથા લખવી છે.” કર્તાની પારદર્શકતા, રહેણીકરણી ‘સત્યના પ્રયોગો’માં પાને-પાને સ્પષ્ટ જણાય છે. સત્ય વિશેની એમની નિષ્ઠા જ એટલી ગહન છે કે એમને વિના આયાસે લેખનકળાએ જાણે વરમાળા જ પહેરાવી હોય ! સત્યને જ પોતાના આરાધ્યદેવ માનીને ક્યારેક અકથ્ય એવી ઝીણામાં ઝીણી વાતની રજૂઆત કરતાં એમની ‘નિરીક્ષણશક્તિના’ અને યાદશક્તિનો પરચો કરાવે છે. ક્યાં ય કૃત્રિમતાની છાંટ પણ નથી, શૈલીમાં વૈવિધ્ય સચવાયું છે. ક્યારેક સૌરાષ્ટ્રની તળપદી ભાષાનો સૂર સંભળાય છે. એક જ વાક્ય, પણ એ સહજ રીતે કહે છે : “હું શરમાયો, ચેત્યો, હૃદયમાં મિત્રનો ઉપકાર માન્યો. માતાની પાસે લીધેલી પ્રતિજ્ઞા યાદ આવી. હું ભાગ્યો …”

સંયમ જ લેખકના જીવનનું પ્રેરકબળ છે. જીવનમાં ડગલે અને પગલે સંયમનો આગ્રહ છતાં પ્રસન્નતા પર ક્યારે ય વિષાદ ઘેરાતો નથી ….

એમના પૂર્વજોનું ટેકીલાપણું ગાંધીજીમાં હતું. માતા પૂતળીબાઈ ખૂબ જ ધર્મપરાયણ, ભાવિક, વ્રતપરાયણ અને અલૌકિક શક્તિમાં શ્રદ્ધા. ગાંધીજીમાં એ ગુણો હતા. દાઈ પાસેથી જ રામનામનો મહિમા બાળપણમાં શીખ્યા. વિવિધ પરિસ્થિતિનું તેમનું પરિશીલન કહો કે પૃથક્કરણ એ સાચી સમજણ દર્શાવે છે. આ પ્રકારની રજૂઆત કાંઈ એમણે પોતાની અગત્ય બતાવવા નથી લખી. સત્યાગ્રહને આચરણમાં મૂકવા ઉપરાંત નાની-મોટી બાબતમાં એમણે અનેક પ્રકારના અખતરા કર્યા જે ભાગ્યે જ કોઈની આત્મકથામાં વાંચવા મળે. જર્મન લેખક વેલીડેમ વો પોશમેરના મંતવ્ય પ્રમાણેઃ “It was not Gandhi's aim to be politician. His inner revolt against such flagrant injustice, which appeared to him as a sacrilegeon mankind, ceased him to resolve to better lot of his countrymen. In Bombay, he found his first friend and adviser in the Congress leader Gokhale, with whom he had a common aim, that of helping the suffering of masses.'

‘સત્યના પ્રયોગો’ મુખ્યત્વે આત્મનેપદી પ્રકારની રજૂઆત છે, એટલે કે લેખક આંતરમનને સતત ચોકસાઈપૂર્વક રજૂ કરે છે. એ સમયના જીવનની … એ દેશમાં હોય કે પારકા દેશના કડવા અનુભવોની વાત કરવામાં પણ કસર કરી છે, એમણે કોઈ પણ પ્રકારનાં રોદણાં રોયા વિના કે બડાઈ માર્યા વગર જે કાંઈ પણ સહન કર્યું એ વાત કરવામાં પણ એમણે સહજ રીતે હિચકિચાટ અનુભવ્યો એમ લાગે છે. કોઈના પ્રત્યે નફરત કે તિરસ્કાર ક્યારે ય વ્યક્ત કર્યો નથી, એ રીતે આપણા સમયના એક ઋષિમુનિની સિદ્ધિનો પરિચય કરાવે છે.

ગર્ભશ્રીમંત કુટુંબમાં એકનો એક દીકરો હોય, તો માબાપે તેને હથેળીમાં રાખવો પડે, સૌ સ્વજનો અને શુભેચ્છકો તરફથી પણ અનેરો પ્રેમ મળે, વધુ પડતા લાડકોડ પામેલો છોકરો ક્યારેક નાદાનિયત પણ કરે ખરો ! જવાહરલાલ કરતાં એમની બહેનો ખૂબ જ નાની, એટલે તેઓ એકલવાયા જ ઊછર્યા એમ કહેવાય. પૂર્વજો કાશ્મીરના વડવાઓ. સમાજમાં મોભો વધે માટે કાશ્મીરી પહાડી ખીણમાંથી ફળદ્રુપ મેદાનમાં પણ રહેઠાણ નદીકિનારે પસંદ કરેલું એટલે ‘નહેરુ’ કહેવાયા. વડવાઓમાં કૌલ નહેરુ તરીકે ઓળખાયા. મોતીલાલ નેહરુ અને એમના વડીલ બંસીધર નહેરુ અંગ્રેજ સરકારની કચેરીમાં કામ કરતા. એ દિવસોમાં મોતીલાલ નહેરુએ પણ કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરીને આગ્રાની વડી અદાલતમાં વકીલાત શરૂ કરી. થોડા સમયમાં વકીલ તરીકેની ખ્યાતિ મળી. અચાનક એમના ભાઈ નંદલાલનું નિધન થતાં મોટા કુટુંબના બોજો સંભાળવાની જવાબદારી આવી પડી. પણ મોતીલાલ નેહરુની વકીલાતમાં ખૂબ જ સારી કમાણી થતાં કુટુંબની રહેણીકરણી અકથ્ય એવી શાહી ઢબની થઈ. વારંવાર પાર્ટી પ્રોગ્રામ થતાં અને ત્યાં ગોરા લોકો પણ આવતા.

જવાહરલાલને પિતા પ્રત્યે ખૂબ જ માન હતું, કારણ કે તેઓ ખૂબ જ હિંમતવાન અને મહેમાનો સાથેની ચર્ચામાં હંમેશાં ખૂબ જ બુદ્ધિશાળી. વળી, સાચદિલી, નિખાલસતા, નાના પ્રસંગમાં પણ તેમના વર્તનમાં પ્રગટ્યા વગર રહેતી નથી :

કેટલીક વાર હું પડદા પાછળ ડોકિયું કરીને જોતો કે આ મોટા લોકો એકબીજા સાથે શું વાત કરી રહ્યા છે. આમ, ડોકિયું કરતાં જો હું પકડાઈ ગયો તો મને એ લોકો બહાર ખેંચી લઈ જતા અને મારી ભયગ્રસ્ત દશા છતાં પિતાશ્રીના ગોઠણ ઉપર મને ગોઠવતા. આવા એક પ્રસંગે મેં એમને ક્લેરેટ કે એવા બીજા લાલ દારૂ પીતા જોયા. વ્હીસ્કીને હું ઓળખી શકતો. મેં ઘણી વાર મારા પિતાને અને તેમને મિત્રોને એ પીતા જોયેલા. પણ આ નવી ચીજથી બેબાકળો બની ગયો અને મેં ઘરમાં દોડી જઈને માને કહ્યુંઃ ‘મા, જુઓ, તો ખરા, પાપા લોહી પીએ છે !’

સામાન્ય રીતે જવાહર પિતાના કરતાં વધુ સમય માતા પાસે જ વિતાવતા. ઘણી વખત તે પિતાને અમુક વાત કરવાની ટાળતા. જવાહરને મા ઉપરાંત કેટલીક વાત કરવા માટે પિતાશ્રીના મદદનીશ મુનશી મુબારકઅલી હતા. એમના સાંનિધ્યમાં જવાહર કલાકો સુધી એરેબિયન નાઇટ્‌સ જેવી વાતો કરે. ક્યારેક ૧૮૫૭ના જમાનાના રસપ્રદ કિસ્સાઓ તો, ક્યારે રામાયણ-મહાભારતની તેમ જ હિંદુપુરાણોની એ વાર્તાઓ કહેતા. આમ છતાં જવાહરનો ધર્મ વિશેનો ખ્યાલ તદ્દન સામાન્ય રહ્યો. સ્વજનો અને શુભેચ્છકો અનેક ધાર્મિક ક્રિયાઓ વખતે જવાહરને હાજર રાખવા પ્રયત્નો કરતાં. એવા કાર્યક્રમમાં એમને આનંદ આવતો ખરો પણ સવિશેષ રક્ષાબંધન – ભાઈબીજ જેવા તહેવારો સૌની સાથે ઊજવતા.

એકંદરે જવાહરનું બાળપણ ગાંધીજી કરતાં ખૂબ જ સુખશાંતિવાળું, એમણે ક્યારે ય કોઈ બાળમંદિર કે ગામઠી નિશાળનો અનુભવ નહોતો કર્યો. એમને ઘેર જ શિક્ષણ માટે અંગ્રેજ શિક્ષક-શિક્ષિકાની વ્યવસ્થા કરવામાં આવતી. આ રીતે જવાહરને નાનપણથી જ અંગ્રેજો માટે ભાવ રહ્યો. ક્યારે ય પણ એમણે જેલમાં પણ અંગ્રેજો પ્રત્યે કોઈ પણ પ્રકારનો દ્વેષ કે તિરસ્કાર વ્યક્ત કર્યો નથી. બારેક વર્ષની વયે એમને માટે ફર્ડિનન્ડ બ્રુક્સને શિક્ષક તરીકે એમના ઘરમાં રાખવામાં આવ્યા. હકીકતમાં એ ચુસ્ત થિયોસૉફિસ્ટ હતા. એમની ભલામણ શ્રીમતી એની બેસંટે નહેરુના પિતાને કરેલી. આ રીતે બ્રુક્સના માર્ગદર્શનને લીધે નહેરુએ નાનપણથી જ વાંચવાનો શોખ કેળવ્યો. કિશોરોને પસંદ પડે એ પ્રકારનું સાહિત્ય નહેરુએ વાંચ્યું …. ‘ડોન ક્વિકઝોટ’, સ્કોટ, ડિકન્સ, ઠેકરે અને લૂઈ કેરોલ ઉપરાંત વેલ્સ અને માર્કઇનની વાર્તાઓ વાંચી. શેરલોક હોમ્સ અને પ્રિઝનર ઑફ ઝેન્ડા તથા કિપલિંગનાં પુસ્તકો પણ વાંચ્યાં. બ્રુક્સે વિજ્ઞાનની ખૂબીઓ દર્શાવવા એક નાનકડી લૅબોરેટરી ઘરમાં પણ બનાવરાવી. આ ઉપરાંત એક જૈફ વયે પહોંચેલા પંડિત પાસેથી એમને હિંદી અને સંસ્કૃત શીખવવાનો પ્રયત્ન થયેલો પણ એ બાબતમાં નહેરુને સારી ફાવટ ન આવી.

ઈ.સ. ૧૯૦૫માં હેરોની શાળામાં પ્રવેશ મેળવ્યો. પણ ત્યાં એકાદ વર્ષ તેમને પાછળ મૂકવામાં આવ્યા. કારણ કે નહેરુનું લૅટિનનું જ્ઞાન બહુ જ મર્યાદિત હતું. સમય જતાં નહેરુને અભ્યાસમાં સારી પ્રગતિ કરવા બદલ જી.એમ. ટ્રેવેલિયનનું ‘ગેરીબાલ્ડી’નું જીવનચરિત્ર ઇનામમાં મળેલું. ત્યાર બાદ ટ્રિનિટી કૉલેજ, કૅમ્બ્રિજમાં ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશ લીધો. એ વર્ષોમાં ઓસ્કર વાઇલ્ડ, અને વોલ્ટર પેટરની અસર થઈ. સહજ રીતે વિલાસી જીવન ભોગવવાની ઇચ્છા થઈ ત્યારે તે મુક્ત રહ્યા. કૅમ્બ્રિજમાં એમના રાજકીય વિચારો ઘડનાર પુસ્તકોમાં ટાઉનલૅન્ડની ‘એશિયા અને યુરોપ’ ગણાવી શકાય. ઈ.સ. ૧૯૧૨માં નહેરુ બૅરિસ્ટર બન્યા. એ દિવસોમાં હિંદુસ્તાનમાં રાજકારણ સાવ સામાન્ય હતું. મધ્યમવર્ગના લોકોને દેશની પરિસ્થિતિનો જરા પણ ખ્યાલ નહોતો. ઈ.સ. ૧૯૧૨ નાતાલમાં બાંકીપુરની મહાસભામાં પહેલી વખત તેમણે પ્રતિનિધિત્વ કર્યું. હવે વકીલાતની પ્રૅક્ટિસ શરૂ કરી પણ વાતાવરણ અમુક અંશે શુષ્ક લાગ્યું. ઈ.સ. ૧૯૧૫માં ગાંધીજીને નહેરુ પ્રથમ વખત મળ્યા, લખનૌ મહાસભામાં. આ પહેલાં એમણે દક્ષિણ આફ્રિકામાં જે કાંઈ અંગ્રેજનો વિરોધ કર્યો હતો, એ વિષેની તેમને જાણકારી હતી.

ઈ.સ. ૧૯૧૬માં કમલા સાથે નહેરુનાં લગ્ન દિલ્હીમાં વસંતપંચમીને દિવસે થયાં. ગાંધીજીએ એમની આત્મકથામાં કસ્તૂરબા સાથેનાં લગ્નની જે વિગત આપી છે એ પ્રકારની કોઈ વિગત નહેરુએ ‘મારી જીવનકથા’માં આપી નથી. ગાંધીજીએ એમની મનોવિકારની વાત સહજ રીતે આપી છે, એમની સરખામણીમાં નહેરુ ઠાવકાઈપૂર્વક કહે છેઃ ‘અમારી બંને બાજુએ પહાડો ઊભા હતા જેનાં શિખરો ઉપર હિમનો મુકુટ ચળકતો હતો. નાના પ્રપાતો અમારું સ્વાગત કરવાને જાણે અતિમંદ ગતિથી ઊતરી રહ્યા હતા. પવન ઠંડો અને આકરો હતો. પણ દિવસના સૂરજનો મધુર તડકો રહેતો અને હવા એટલી નિર્મળ હતી કે અમે એક સ્થાનેથી બીજા સ્થાન વચ્ચેના અંતર વિષે છેતરાતા અને દૂરનાં સ્થાનોને પાસે માનતા … પ્રકૃતિમંદિરોમાં હું કાંઈક અજબ તૃપ્તિ અનુભવતો અને સ્ફૂર્તિથી અને આહ્‌લાદથી ઊભરાતો.’ આ રીતે અંગત વાત કહેવાનું ટાળે છે.

નહેરુની આત્મકથા એ મહદંશે, હિંદુસ્તાનની રાજકીય પરિસ્થિતિની બાબતમાં એ ‘સત્યાગ્રહની ચળવળ’ જલિયાંવાલા બાગમાં જનરલ ડાયરે કરેલો અત્યાચાર અને સી.એફ. એન્ડ્રુઝના ‘પૂર્ણસ્વરાજ્ય’ વિષેના લેખની ચર્ચા કરે છે. નહેરુ ગાંધીજીને બિરદાવતા કહે છેઃ અમે માનતા કે તેઓ એક મહાન અને અપ્રતિમ મનુષ્ય છે અને તેજસ્વી નેતા છે જે ક્યારેક વિનોદમાં કહેતા :

‘સ્વરાજ્ય આવે ત્યારે એ બધું આપણે નહિ ચાલવા દઈએ.’

નહેરુ એમના સહકાર્યકરો વિષે સહજ રીતે ટીકા કરતાં કહે છે :

“…. અમારા ચુનંદા કાર્યકર્તાઓ …. હું સુધ્ધાં મંચ ઉપર ઊભા રહી નાટક કરતા એમાં સારી પેઠે દંભ હતો અને અમારાં છટાદાર ભાષણોમાં આડંબરનો પાર નહોતો …”

અહિંસા અને શાંત અસહકારની હિમાયત કરતાં ગાંધીજીએ પોતાના તમામ વાક્ચાતુર્ય અને સામશક્તિને ખરચી નાંખી હતી. એમની ભાષા સીધી અને અલંકારરહિત હતી. એમનો અવાજ અને દેખાવ શાંત, સ્વચ્છ અને આવેશરહિત હતો પણ એ બરફના બાહ્ય આચ્છાદનની નીચે આવેશનો ધગધગતો જ્વાળામુખી સળગી રહ્યો હતો.

થોડો સમય નહેરુ અને કમલા જીનિવામાં હવાફેર માટે રહ્યાં. એ વખતે શ્યામજી કૃષ્ણવર્મા પણ એમની પત્ની સાથે આવેલાં. એ દંપતી પાસે ખૂબ જ પૈસો હતો પણ શ્યામજીના હાથે પૈસો છૂટતો નહીં … સામાન્ય રીતે નહેરુ કોઈની પણ ટીકા કરતા નહીં, પણ આ પ્રકારનો અનુભવ એક પાડોશી તરીકેનો સહજ રીતે એમની કથામાં નોંધ્યો છે.

માલવિયાજીને બનારસ હિંદુ યુનિવર્સિટી સ્થાપવામાં સફળતા મળી. તેમની પારદર્શકતા, સાચા દિલની ધગશ તેમનું અસરકારક અને ગંભીર વક્તૃત્વ, નમ્ર સ્વભાવ અને એ મોહનમૂર્તિ હિન્દુ જનતાને પ્રિય થયાં. એમની લાંબા કાળની સેવા અને તેમની વયોવૃદ્ધ અવસ્થાને કારણે તે હિંદી રાજકારણના ભીષ્મપિતામહ છે.

– ઈ.સ. ૧૯૧૯ અને ૧૯૨૬ના વર્ષના અંતમાં સમસ્ત ભારતવર્ષને અરેરાટી ભરી દે એવી કરુણ ઘટનાથી દેશભરમાં શોકની લાગણી ફેલાઈ. કોઈ ધર્મ ઝનૂનીએ સ્વામી શ્રદ્ધાનંદનું ખૂન કરેલું.

મોતીલાલ નહેરુ પુત્રની રાજકારણ પ્રવૃત્તિથી નારાજ હતા, એ અંગે સહજ રીતે જવાહરલાલ કહે છે : “મારા પિતાશ્રીને મારું રાજકારણ બહુ પસંદ નહોતું …. મારી તેઓ ઘણીવાર ટીકા કરતા અને મારી સાથે જરા અક્કડ થઈને પણ બોલતાં પરંતુ એમની મહેરબાની જાળવી રાખવાની ઇચ્છાવાળા કોઈ પણ માણસથી તેમની હાજરીમાં મને ઉતારી પાડવાની હિંમત થાય એમ નહોતું. ધારાસભાના કાર્ય વિષે મારા પિતાનો વિશ્વાસ તદ્દન ઊઠી ગયો હતો અને તેઓ પોતાનો અભિપ્રાય જાહેર કરતા કે હવે એ તલમાં તેલ રહ્યું નથી …!”

નહેરુએ અનેક વર્ષ ભારતની જુદીજુદી જેલમાં વિતાવ્યાં છે. એ અંગેના કાર્યક્રમની વિગત આપી છેઃ “કામ અને કસરતનો નિયમિત કાર્યક્રમ અમે બાંધી લીધો હતો. કસરતને માટે અમે વાડાની દીવાલને લગોલગ દોડતા અનેક ચક્કર લેતા અથવા બબ્બે જણ બળદની માફક જોડાઈ અમારા વાડામાંના કૂવામાંથી મોટો કોસ ખેંચતા અને નાનકડી સરખી એક શાકભાજીની વાડી કરી હતી, તેને પાણી પાતા, થોડું કાંતતા. પણ ટૂંકા દિવસો અને લાંબી રાતમાં વાંચવાનો સમય મળતો હતો. શિયાળાની આ લાંબી રાતે નિરભ્ર આકાશમાં તારા જોવાની મજા આવતી અને અમારી પાસે નભોમંડળના કેટલાક નકશા હતા અને ઘણા ગ્રહો અને નક્ષત્રો ઓળખવા રોજ રાત્રે તેમના નીકળવાની રાહ જોતાં અમે બેસીએ અને તેમને જોઈને પરિચિત મિત્રોને મળતા હોઈએ તેમ આનંદથી વધાવતા.”

પુત્રપ્રેમ-પિતૃપ્રેમ : મોતીલાલના પુત્રપ્રેમને જો કોઈની સાથે સરખાવવો હોય તો તેને જવાહરના પિતાપ્રેમ સાથે જ સરખાવી શકાય. જવાહરે બૅરિસ્ટર બન્યા પછી મહાસભાની પ્રવૃત્તિમાં રુચિ બતાવી અને ત્યાર બાદના પ્રત્યેક આચરણમાંથી પિતાની ક્ષેમકુશળતા માટેની ચિંતાનો આવિષ્કાર થતો રહ્યો. બંને જેલમાં સાથે હતા, ત્યારે પુત્રરત્ને જે ભક્તિભાવથી સેવા કરેલી તેનાથી પ્રભાવિત થઈને મોતીલાલે ગાંધીજીને લખ્યું હતું કે : “જવાહર મારે કઈ વસ્તુની જરૂર છે, તેની સચોટ રીતે કલ્પના કરી શકે છે. એ મારા માટે કોઈ કામ બાકી રાખતો નથી ! આવાં સંતાનો માટે ગૌરવ લઈ શકે એવા ઘણા પિતાઓ હોય એમ ઇચ્છું છું.”

પશ્ચિમના વિચારોથી પ્રભાવિત અને ધર્મ પ્રત્યે અથવા કોઈ સંપ્રદાય વિશે વાત સાંભળવા કે વિચાર પણ ન કરે એવા નહેરુ; બીજી તરફ ભારતીય સંસ્કૃતિ અને દર્શનના પ્રતીકસમા ઈશ્વરમાં અનન્ય શ્રદ્ધા ધરાવનાર, ગીતાના સઘન અભ્યાસી, આધ્યાત્મિકતાને ઓવારે ઊભેલા ગાંધીજી. એ વિષે અનેક લેખકોએ અને નહેરુએ પણ સાચી સમજ કેળવીને સહાનુભૂતિથી વિવરણ નિષ્ઠાપૂર્વક કર્યું છે. ગાંધીજી માટે સાધન અને સાધ્યમાં કોઈ તફાવત નહોતો. નહેરુએ પણ અહિંસા અપનાવી હતી, પણ એમની અખૂટ શ્રદ્ધા શરૂઆતના બે દશકા સુધી ગાંધીજી જેટલી નહોતી. નહેરુની બહેનો અને માતા સ્વરૂપરાણી પર જ્યારે પોલીસનો અમાનુષી પ્રહાર થયો અને આસામ ઉપર પરદેશી હુમલો થયેલો ત્યારે એમની શ્રદ્ધાના પાયા એકદમ ડગી ગયા હતા. ઈ.સ. ૧૯૩૩માં એમને એવી અકળામણ થઈ કે અહિંસાને અપનાવીને ગુલામીમાં ડૂબી રહેવા કરતાં હિંસા દ્વારા હાંસલ કરેલી આઝાદીની વધુ અગત્ય છે એ માન્યતા દૃઢ થવામાં હતી.

ગાંધીજી ચળવળ શરૂ કરવામાં ઢીલ કરે અથવા કોઈક જગ્યાએ થોડી મારામારી થાય અથવા કોઈ કેદી જેલમાં જેલરની સૂચનાની અવગણના કરે તો નહેરુ માટે અસહ્ય બનતું. નહેરુ અકર્મણ્યતાથી અકળાતા. એ ગમે તે પ્રકારે આઝાદી મેળવવા પ્રયત્નો કરવામાં માનતા. ઈ.સ. ૧૯૪૨માં ‘હિંદ છોડો’ની વાતે આંદોલનમાં ગાંધીજીને નહેરુને સમજાવવા માટે મુશ્કેલીનો અનુભવ થયો હતો.

ગાંધીજીના યરવડા જેલના ઉપવાસે જવાહરે ખૂબ જ બેચેની અનુભવેલી. શત્રુઓને સમજાવવાનો આ પ્રકારનો કીમિયો નહેરુને અનુકૂળ નહોતો. ગાંધીજીની તબિયત લથડે અને કાંઈક વિપરીત પરિણામો આવે તો ? એ પ્રકારની શંકાથી નહેરુની બેચેની વધુ રહેતી.

નૈની જેલમાં નહેરુઃ “સાત વર્ષ પછી હું પાછો જેલમાં ગયો, એટલે કે જેલજીવનનાં મારાં સંસ્મરણો કાંક ઝાંખાં થઈ ગયાં.

“૨,૨૦૦થી ૨,૩૦૦ કેદીઓની વસ્તી માટે જેલના મોટા વાડાથી મારો રહેવાનો વાડો અલગ હતો. આખી જેલમાં મારો વાડો અને તેમાં આવેલી બૅરેક ‘જેલ’. એ ‘કુત્તાઘર’ તરીકે ઓળખાતી.

“તારાઓનું નિરીક્ષણ કરવાનું મને ગમતું અને કેટલાંક પ્રસિદ્ધ નક્ષત્રોના સ્થાન પરથી હું સમયની ઠીક-ઠીક અટકળ કરી શકતો. હું જે જગ્યાએ સૂઈ રહેતો. ત્યાંથી બરાબર દીવાલની કોર પરથી ધ્રુવના તારાને ડોકિયું કરતા જોઈ શકતો અને તે હંમેશાં એકના એક સ્થાને જોવા મળતો તેથી મારા જીવને અતિશય સુખ થતું.”

નહેરુજીએ “ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ(૧૯૩૭, ડિસેમ્બર)માં વિજ્ઞાનની સિદ્ધિઓમાં શ્રદ્ધા રાખીને કહ્યું હતું :

'Science alone could solve the problems of hunger and poverty, of insanitation and illiteracy, of superstition and deadening custom and tradition.’

નહેરુ રૂઢ અર્થમાં સંત કે ભક્ત નહોતા પણ એ સાત્ત્વિક પુરુષ હતા. એ પોતે અન્યત્ર કહે છે : “પ્રકૃતિની વિવિધતા અને વિપુલતા અંતરમનને હચમચાવી દેતી. એ આત્માનો સુસંવાદ પણ પેદા કરતી હશે.” એમણે કોઈ ધર્મની આચારસંહિતાઓનો મુખપાઠ કર્યો નહોતો, દીક્ષા કે ટીલાંટપકાંથી તે ખૂબ દૂર રહ્યા હતા. એ માનવતાવાદી અને ઉદારમતવાદી હતા, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણને હંમેશાં એ અગત્ય આપતા રહ્યા. માર્ક્સનો પ્રભાવ અમુક અંશે સ્વીકારેલો પણ એ ભૌતિકવાદી નહોતા, અદ્વૈત વિશેની વેદાંતની ફિલસૂફી તરફ તે આકર્ષાયા હતા. ગીતા અને ઉપનિષદોની વાતમાં રુચિ કેળવી હતી. બાળપણમાં ગૌતમબુદ્ધની કથાઓની અસર એમના ચિત્તમાં પડેલી હતી. બાળકોને હરહંમેશ એ ચાહતા રહ્યા. પ્રેમને છુપાવતા એ ક્યારે ય શીખ્યા નહોતા ! એક વખત કોઈ પ્રશ્નકર્તાએ કમલા અંગે પણ કાંઈ પૂછ્યું છે. નહેરુજીએ નિઃસંકોચ ઉત્તર આપેલો છે. મહાપુરુષોનું ‘નિજ’ સર્વ સાથે એકરૂપ બને છે. અદ્વૈતની ભાષામાં તાત્ત્વિક દૃષ્ટિએ પણ નહેરુ માનતા હતા. કમલાજીનાં અસ્થિની રાખ એમણે જતનપૂર્વક સાચવી હતી. આ રીતે નહેરુજી સર્વાભિમુખ પ્રેમના સ્રોત હતા. સાચે જ ! પૂર્વગ્રહમુક્ત વ્યક્તિ જ આ પ્રકારે સ્તુત્ય વિકાસની પગદંડી રાષ્ટ્રપ્રેમીઓ માટે તૈયાર કરી શકે.

૧૯૪૬માં શિખરપરિષદ પછી ઝીણાએ હિંદુસ્તાનમાં હિંદીઓ નહિ પણ હિંદુઓ અને મુસલમાનો જ રહે છે એવી ઘોષણા કરી એ અંગે કોઈ મહાનુભાવે લખ્યું છે કે, એ એક વાક્યમાં ઝીણાએ હિંદુસ્તાનનાં ચાર હજાર વર્ષના પ્રાચીન ઇતિહાસને ભૂંસી નાંખ્યો છે. ઝીણા અને મુસ્લિમ લીગે સ્વાર્થખાતર બ્રિટિશરોને અકથ્ય એવી રીતે સાથ આપ્યો. કૉંગ્રેસના માર્ગમાં વિઘ્નો ઊભાં કરવાનું કામ કર્યું. ગોળમેજી પરિષદ, ક્રિપ્સ મિશન, લૉર્ડ વેવલ પ્લાન, હિંદુઓ સામે જાતજાતનાં તહોમતો મૂકતો પીરપુરનો અહેવાલ રજૂ કર્યો. અંગ્રેજોના આ પ્રકારના આકરા વલણનું અમલીકરણ કરવા પ્રયત્નો થયા પણ લૉર્ડ માઉંટબેટન વાઇસરૉયે સમજ અને સહાનુભૂતિ બતાવી અને હિંદની જનતા અને એમના નેતા જવાહરનાં દિલ કઈ રીતે જીતી લીધાં એ દર્શાવવાનું માઇકલ બ્રેશર ચૂક્યા નથી.

કોઈ પણ આપવીતી એટલે કે ‘આત્મકથા’ લખનાર વ્યક્તિ જન્મથી કે છેલ્લો શ્વાસ રૂંધાય ત્યાં સુધીની રજૂઆત ન કરી શકે. ‘આત્મકથા’ એ સાહિત્યસ્વરૂપ ખરું પણ એ લખનારની યાદશક્તિ, વ્યક્તિને ભૂતકાળમાં જે કાંઈ નોંધપાત્ર ઘટના પ્રસંગોને ક્રમાનુસાર રજૂ કરવામાં પણ ચોક્કસ પ્રકારની સ્વયંસિદ્ધ મર્યાદા તો રહેવાની. સામાન્ય રીતે વિશ્વમાં પ્રસિદ્ધિ પામેલી ‘આત્મકથા’ની શરૂઆત કિશોર-અવસ્થાનું પહેલું ચરણ હોય. કિશોર-અવસ્થામાં સ્વજનો તરફથી થયેલા આદેશનું કેટલે અંશે પાલન કરેલું અથવા એ સમયે કરેલી આદેશની અવહેલના, કિશોર-અવસ્થામાં વાચન, રમતગમતનો કે સંગીતનો કેળવાયેલો શોખ. એ સમયે ઘર અને બહારની દુનિયામાંથી મળેલા મિત્રોનો જે સંગરંગ લાગે એ પ્રકારની પ્રવૃત્તિમાં વ્યક્તિનું ઘડતર થાય … આ રીતે ‘આત્મકથા’ એ વ્યક્તિના મર્યાદિત વર્ષોના સારા/માઠા પ્રસંગોની રજૂઆત હોય છે, પણ અહં પ્રેમ કે ક્યાં ય આત્મમોહની અકારણ રજૂઆત ન થવી જોઈએ.

ગાંધીજી અને નહેરુની આત્મકથામાં સારો એવો તફાવત છે. ગાંધીજીએ કિશોર-અવસ્થા સામાન્ય કક્ષાનાં છોકરાંઓ વચ્ચે વિતાવી, જ્યારે નહેરુએ તદ્દન સુરક્ષિત શાહી કુટુંબમાં બાળપણ વિતાવ્યું. નોકરચાકરની પણ રખેવાળી એટલે નઠારી સોબતનો કોઈ પણ પ્રકારનો ચેપ લાગે જ નહીં. ગાંધીજીએ શિક્ષણ પબ્લિક સ્કૂલમાં લીધું, જ્યારે નહેરુને ફર્ડીનન્ડ બ્રુક્સ જેવા અંગ્રેજ શિક્ષક પાસે પશ્ચિમી તાલીમ મળી. ગાંધીજીએ ઇંગ્લૅંડ જતાં પહેલાં એક રૂઢિચુસ્ત, ધર્મપરાયણ માતા પૂતળીબાઈ પાસે પ્રતિજ્ઞા લીધી. છતાં એક યા બીજા કારણસર પશ્ચિમના લોકોનું અનુકરણ કરવાની પરોક્ષ રીતે ફરજ પડી. નહેરુને હેરો કૅમ્બ્રિજમાં પ્રવેશ લેવામાં અને એ લંડનના સામાજિક વાતાવરણને અનુકૂળ થવામાં કોઈ તકલીફ નહોતી. નહેરુએ એમની માતા સ્વરૂપરાણી અને પિતાની હૂંફ મેળવ્યાનો ભારપૂર્વક ઉલ્લેખ કર્યો છે. મોહનદાસને કરમચંદ અને માતા પૂતળીબાઈની કેવા પ્રકારની હૂંફ હશે તે વિષેની નોંધ નથી. ગાંધીજીએ કસ્તૂરબાની સાથેના વ્યવહારની વિગત આપવામાં સંકોચ નથી અનુભવ્યો, પણ નહેરુએ કમલાના સ્વાસ્થ્ય વિષેનો સામાન્ય ઉલ્લેખ કર્યો છે. બંને વચ્ચેના સુમેળની કોઈ રસપ્રદ વિગત આપી નથી. ગાંધીજીના જીવનમાં ‘હરિશ્ચંદ્ર’ નાટક અને ‘શ્રવણની પિતૃભક્તિ’ માતાપિતાની સેવા કરવાની પ્રેરણા મળેલી. એ પ્રકારનો થોડો ઉલ્લેખ નહેરુ અને એમના પિતાશ્રી મોતીલાલ જેલમાં સાથે હતા, ત્યારે જે પ્રકારની પિતાની સંભાળ લીધી એ વિષે નોંધ છે. ગાંધીજીને એમના મુંબઈ નિવાસ દરમિયાન રાયચંદભાઈ જેવા ધર્મપરાયણ અને તત્ત્વજ્ઞાનીના સંપર્કની વાત છે. નહેરુને મુબારકઅલી મુનશી અને બ્રુક્સે જે શીખ આપી, વાચનનો શોખ કેળવ્યાની વાત છે. ગાંધીજીને જે મહાનુભાવો પરિચય થયો એમાં મુખ્યત્વે નારાયણ હેમચંદ્ર, રાયચંદભાઈ, બાલાસુંદરમ્‌, ગોખલે, અબ્દુલ્લા શેઠ એ રીતે નહેરુએ પણ મુબારકઅલી મુનશી, બ્રુક્સ, કપુરથલાના પ્રિન્સ પરમજીતસિંગ, શ્રીનિવાસ શાસ્ત્રી, ‘અમૃતબજાર પત્રિકા’ના તંત્રી મોતીલાલ ઘોષ, સાહિત્યકાર ધનગોપાલ મુકર્જી, શ્રી પિલ્લે, રેકે બુકમેન અને કૅપ્ટન માર્ટીન (યરવડા જેલના સુપ્રિન્ટેન્ડન્ટ) વિષે વાત કરી છે.

ગાંધીજીની વિનોદવૃત્તિઃ ગાંધીજીનું જીવન ઘણા જ દેશના જવાબદારીવાળા કાર્યમાં સતત ગૂંથાયેલું હતું. આમ છતાં એ કાર્યભારને વિનોદી સ્વભાવને લીધે સહજ રીતે હળવો કરી શકતા. મહાદેવભાઈની ડાયરીમાં ગાંધીજીના વિનોદ-પ્રસંગો છે. એ પ્રમાણે ‘સત્યના પ્રયોગો’માં પણ તેમના વિનોદી સ્વભાવનો પરિચય થાય છે. એમના હાસ્યરસમાં ક્યારે કોઈને ઉતારી પાડવા માટેનો ડંખીલો કટાક્ષ નહોતો. હકીકતમાં તેમનો વિનોદ પરસ્મૈપદી કરતાં આત્મનેપદી વિશેષ છે.

લંડનમાં અભ્યાસ કરતાં પણ એમને ફ્રાંસની મુલાકાત લેવાની ઇચ્છા થઈ અને એ માટેની પૂર્વતૈયારી કરવાનો પ્રયત્ન કરતાં કહે છે :

‘સભ્યપુરુષને છટાદાર ભાષણ કરતાં આવડવું જોઈએ. મેં નાચ શીખી લેવાનો નિશ્ચય કર્યો. એક વર્ગમાં જોડાયો. એક સત્રના ત્રણેક પાઉંડ ભર્યા. ત્રણેક અઠવાડિયાંમાં છએક પાઠ લીધા હશે. બરોબર તાલસર પગ ન પડે. પિયાનો વાગે પણ તે શું કહી રહેલ છે તે ખબર ન પડે.’ એક, બે, ત્રણ’ ચાલે પણ તેની વચ્ચેનું અંતર તો પેલું વાજું જ બતાવે, તે કંઈ ગમ ન પડે ત્યારે હવે ! આ અનુભવનું યથાર્થ વર્ણન કરવા ગાંધીજી પેલો ખૂબ જ પ્રાચીન જાણીતો ટૂચકો કહે છેઃ ‘હવે તો બાવાજીની બિલાડીવાળું થયું. ઉંદરને દૂર રાખવા સારુ બિલાડી, બિલાડી સારુ ગાય એમ બાવાજીનો પરિવાર વધ્યો તેમ મારો લોભ પણ વધ્યો.’

નહેરુ એમની આત્મકથામાં કહે છેઃ ‘મારામાં વિનોદશક્તિ ન હોત, તો હું આપઘાત કરીને મરી ગયો હોત.’

ખેર ! ‘આત્મકથા’ કલાકૃતિ જેમ વધારે ઉચ્ચ અને વધારે સૂક્ષ્મ તેમ એના અધિકારી સહૃદયો પ્રમાણમાં ઓછા પણ હોય, પણ અધિકારીઓની સંખ્યા પરથી કોઈ કલાકૃતિની સફળતાનો નિર્ણય કરવો વાજબી નથી. લોકપ્રિયતાની દૃષ્ટિએ જ જોઈએ તો કદાચ ‘સત્યના પ્રયોગો’ માંગ વિશ્વમાં રહી છે એટલી ‘મારી જીવનકથા’ની માંગ ન પણ હોય. પણ નહેરુની શૈલી કોઈ એક સારા અંગ્રેજ લેખકની કક્ષામાં અચૂક મૂકી શકાય, એવી ‘પોએટીક’ છે. ગાંધીજી કરતાં શાહી વાતાવરણમાં ઉછરેલા નહેરુ અને એમના કુટુંબના સભ્યોએ બ્રિટિશરોના રાજ્યમાં અકથ્ય એવી યાતના વર્ષો સુધી ભોગવેલી. આ રીતે ‘સત્યના પ્રયોગો’ અને ‘મારી જીવનકથા’ એક સિક્કાની બે બાજુ છે. એક સિક્કાની બંને બાજુનો ચળકાટ સરખો નથી હોતો.

Reference Works:

1. Lionel Trilling : Sincerity and Authenticity (London: Oxford Univ.)

2. Mahatma Gandhi : Jawaharlal Nehru, Signet Press, Calcutta-20 (1949)(

3. Mahatma Gandhi as Germans See Him. Edited by HELMO RAU (Gandhi Centenary Year 1969) Shakuntla Publishing House, Bombay4

4. Jawaharlal Nehru (A Biography) By Frank Moraes Jaico Publishing House, Bombay

5.  મારી જીવનકથાઃ અનુ.મહાદેવ હરિભાઈ દેસાઈ (નવજીવન ત્રીજી આવૃત્તિ, ૧૯૪૭)

6. GANDHI (His Life and Message for the World) BY Louis Fisher (Signet Key Book) January, 1954 

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2021; પૃ. 03-06 

Loading

...102030...2,0792,0802,0812,082...2,0902,1002,110...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved