Opinion Magazine
Number of visits: 10080936
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઈન્ટરનેશનલ ડે ઑફ પીસ – ઓમ શાન્તિ: શાન્તિ: શાન્તિ:

સોનલ પરીખ|Opinion - Opinion|12 November 2025

ઓમ દ્યો: શાન્તિરન્તરિક્ષં શાન્તિ:, 

પૃથ્વી શાન્તિરાપ શાન્તિરોષધય: શાન્તિ: ।

વનસ્પતય: શાન્તિર્વિશ્વે દેવા: શાન્તિર્બ્રહ્મ શાન્તિ:

સર્વ શાન્તિ: શાન્તિરેવ શાન્તિ: સા મા શાન્તિરેધિ ।।

ઓમ શાન્તિ: શાન્તિ: શાન્તિ:

વર્ષ 1981થી દર 21 સપ્ટેમ્બરના દિવસને યુ.એન. ‘ઈન્ટરનેશનલ ડે ઑફ પીસ’ – વિશ્વ શાંતિદિવસ તરીકે ઉજવે છે. શાંતિદિવસ ખાસ ઊજવવો પડે અને તે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે તેના બે અર્થ થાય : એક તો શાંતિનું મહત્ત્વ આપણને સમજાઈ રહ્યું છે અને બીજું, શાંતિનું અસ્તિત્વ ખતરામાં છે. શાંતિનું અસ્તિત્વ જોખમમાં મુકાય એ કોઈને ગમતું નથી અને શાંતિનું મહત્ત્વ બધાંને ખબર છે છતાં આપણો અને શાંતિનો મેળ પડતો નથી કારણ કે આપણને તો શાંતિ માટે ને શાંતિના નામે યુદ્ધો, દાદાગીરી, મારપીટ, ધાંધલધમાલ અને કોલાહલ કરવાની ટેવ પડી છે. 

યાદ આવે છે શાંતિ માટે વિશ્વભરમાં પદયાત્રાઓ કરતા રહેનાર સતીશ કુમાર. એમની આત્મકથાનું નામ છે ‘પાથ વિધાઉટ ડેસ્ટિનેશન’. એમાં એક જગ્યાએ એમણે લખ્યું છે, ‘રસ્તો લાંબો છે. શરીર તૂટી રહ્યું છે – એક પગલું ભરવાનો પણ ઈનકાર કરે છે પણ આત્માને પાંખો ફૂટી છે. મારો પ્રાણ શાંત અનંત આકાશમાં સ્વતંત્ર અને નિર્ભય વિહાર કરે છે.’ 

સતીશ કુમાર

1936માં જન્મેલા સતીશ કુમારે નવ વર્ષની ઉંમરે જૈન સાધુ તરીકે દીક્ષા લઈ બ્રહ્મચર્ય અને અપરિગ્રહવ્રત લીધું હતું. આઠ વર્ષ પછી તેમણે સાધુજીવન છોડ્યું અને વિનોબાજીના આશ્રમમાં જઈને રહ્યા. સ્વાતંત્ર્યસંગ્રામમાં મહાત્મા ગાંધી સાથે કામ કર્યું. 1962માં તેમણે દિલ્હીથી શાંતિ માટે પદયાત્રા શરૂ કરી. દિલ્હીથી ચાલતા ચાલતા તેઓ અણુસત્તાઓના પાટનગર સમાં મોસ્કો, લંડન, પેરિસ અને વૉશિંગ્ટન શહેરમાં ગયા. વિનોબાજીએ કહ્યું હતું તેમ વાહનમાં ન બેસતા, શાકાહાર કરતા અને પાસે પૈસા ન રાખતા. રસ્તામાં આવતાં ગામો, વસ્તીઓ અને લોકોનો જ સંપૂર્ણ આશ્રય. દરેક સ્થળે તેમણે બધાને ભેગા કરી શાંતિ વિશે વાતો કરી. તેમણે જોયું કે લોકો કોઈપણ દેશના હોય, શાંતિ જ ઇચ્છે છે, શાંતિથી જ રહે છે. તો પછી શું છે, કોણ છે જે શાંતિ તોડે છે? ભાંગફોડ કરે છે? હિંસા કરે-કરાવે છે? 8,000 માઈલની યાત્રા દરમ્યાન આ પ્રતીતિ અને આ પ્રશ્ન સતત તેમની સામે આવતા રહ્યાં. આર્મેનિયાની એક ખેડૂત સ્ત્રીએ તેમને પોતે ઊગાડેલી ચાનાં ચાર પેકેટ આપ્યાં, ‘તમે જે ચાર જગ્યાએ જવાના છો ત્યાંના નેતાઓને આ પેકેટ આપજો. ન્યૂક્લિયર મિસાઈલ છોડવાનો નિર્ણય લેતા પહેલાં તેઓ આ પેકેટમાંની ચા પીએ એવી મારી વિનંતી એમને પહોંચાડજો.’ 

પછીથી તેઓ ઇંગ્લૅન્ડમાં થોડાં વર્ષ રહ્યાં. 1991માં તેમણે શુમાકર કૉલેજ શરૂ કરી. આ શુમાકર પણ સમજવા જેવી વ્યક્તિ છે. તેમનું પૂરું નામ ઈ.એફ. શુમાકર. તેઓ જર્મન-બ્રિટિશ અર્થશાસ્ત્રી હતા. તેમણે આધ્યાત્મિકતા, સાદગી, અર્થશાસ્ત્ર અને ઈકૉલૉજીને એકસાથે મૂકતી ‘સ્મૉલ ઈઝ બ્યુટિફૂલ’ મુવમેન્ટ શરૂ કરી હતી અને નાના દેશોને ભોગે પોતાની સુખસગવડોનું માળખું ઊભું કરતા મૂડીવાદનો વિરોધ કર્યો હતો. આ કૉલેજ શરૂ કર્યા બાદ સતીશકુમારે ઇંગ્લૅન્ડ, વેલ્સ, સ્કૉટલૅન્ડ, જાપાન અને તિબેટમાં શાંતિ માટે પદયાત્રા કરવાનું ચાલુ રાખ્યું હતું.  

1901થી નોબેલ કમિટી દર વર્ષે નોબેલ પીસ પ્રાઈઝ આપે છે. મહાત્મા ગાંધીને શાંતિ માટેનું નોબેલ મળ્યું નહોતું તે માટે થોડા થોડા વખતે ચર્ચા થાય છે. ગાંધીઅભ્યાસી ઊર્વીશ કોઠારીએ એમના એક લેખમાં જણાવ્યું છે કે 1915માં ગાંધીજી ભારત આવ્યા ત્યારે પહેલું વિશ્વયુદ્ધ ચાલતું હતું. એટલે 1914થી 1916 સુધી, અને બીજા વિશ્વયુદ્ધ વખતે 1939થી 1943 સુધી, કોઈને શાંતિ માટેનું નોબેલ પ્રાઇઝ અપાયું નહીં. એ સિવાય ગાંધીજીના જીવનકાળ દરમિયાન 1923, 1924, 1928, અને 1932માં પણ નોબેલ પીસ પ્રાઇઝ જાહેર ન થયું. ગાંધીજીને શાંતિનું પ્રાઇઝ ન આપવા બદલ નોબેલ સમિતિએ ખુલાસા કરવા પડ્યા છે અને સમિતિના સભ્યોએ દિલગીરી પણ વ્યક્ત કરી છે. 1948માં ગાંધીજીને નોબેલ આપવા છ જગ્યાએથી ભલામણ થઈ હતી. ચર્ચાવિચારણાઓ પછી એ વખતનું શાંતિ ઈનામ ગાંધીજીના માનમાં કોઈને ન આપવું એવો નિર્ણય થયો હતો! 1989માં દલાઈ લામાને આ પારિતોષિક અપાયું, ત્યારે સમિતિના અધ્યક્ષે કહ્યું હતું કે ‘એક રીતે એ મહાત્મા ગાંધીની સ્મૃતિને અંજલિ છે.’ 

નોબલ પ્રાઇઝની સત્તાવાર વેબસાઇટ પર આ અંગે આખો એક લેખ મૂકવામાં આવ્યો છે. તેનું શીર્ષક છે ‘મહાત્મા ગાંધી, ધ મિસિંગ લૉરેટ’ જીવનભર શાંતિવાદી રહેનાર અને 1915નું સાહિત્ય માટેનું નોબેલ મેળવનાર રહસ્યવાદી ફ્રેંચ સર્જક રોમાં રોલાં મહાત્મા ગાંધીને ‘બીજા ઈસુ ખ્રિસ્ત’ ગણતા. તેમણે આખી વાતનો બંધ વાળ્યો છે, ‘દરેક ઈનામ કરતાં ગાંધીજી અનેકગણા મહાન છે.’

શાંતિની વાત નીકળે ત્યારે યજુર્વેદનો અદ્દભુત શાંતિમંત્ર યાદ આવે : ‘હે પ્રભુ, ત્રણે ભુવનમાં, જલમાં, થલમાં ને ગગનમાં, અંતરિક્ષ, અગ્નિ ને પવનમાં, ઔષધિ, વન ઉપવનમાં, સકલ વિશ્વમાં, રાષ્ટ્ર, નગર, ગ્રામ ને ભવનમાં, જીવમાત્રના તનમનમાં, જગતના કણ-કણમાં શાંતિ હો, શાંતિ હો, શાંતિ હો.’ 

હજારો વર્ષ પહેલા આની રચના થઈ ત્યારે આકાશ અને અંતરિક્ષ જુદાં છે તેનો સ્પષ્ટ ખ્યાલ લોકોને હતો! સકલ વિશ્વના કણેકણમાં શાંતિ હો એવી પ્રાર્થના પોતે જ કેટલી શાંતિમય છે! મૃત્યુ પછી આપણે શાંતિપ્રાર્થના ગાઈએ છીએ તેમાં આત્માને માટે મોક્ષ, સ્વર્ગના સુખ વગેરેની કામના કરવાના સ્થાને કહીએ છીએ, ‘પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.’  

આઈન્સ્ટાઈન કહે છે, ‘શાંતિ બળપૂર્વક લાવી શકાતી નથી. એ સમજપૂર્વક જ લાવી શકાય.’ દલાઈ લામાએ કહ્યું છે, ‘જ્યાં સુધી અંતરમાં શાંતિ નહીં હોય ત્યાં સુધી બહારની શાંતિનો અર્થ નથી.’ મહાત્મા ગાંધી કહે છે, ‘શાંતિનો કોઈ માર્ગ નથી, શાંતિ પોતે જ માર્ગ છે.’ ઓશો કહે છે, ‘સ્વતંત્રતા વિના શાંતિ શક્ય નથી. ભય હોય ત્યાં પણ શાંતિ શક્ય નથી.’ 

ભગવાન બુદ્ધે કહ્યું છે, ‘પોતાને પણ સામેલ ન કરો ત્યાં સુધી કરુણા અધૂરી રહે છે.’ અને શાંતિ માટે ‘ભૂતને ન વળગો, ભવિષ્યમાં ન ખેંચાઓ, વર્તમાન પર એકાગ્ર થાઓ.’  

ગીતા કહે છે, ‘સત્પુરુષો સર્વથા, સર્વદા અને સર્વત્ર નિર્ભય હોય છે. તેમનાં વિચાર, કાર્ય અને સમજમાં સ્થિતપ્રજ્ઞતાનો સહજ પ્રભાવ હોય છે. તેઓ ક્યારે ય, ક્યાં ય પણ, કોઈનાથી પણ, કોઈ પણ રીતે ભય પામતા નથી. તેમનું અંતઃકરણ સદાય શાંત સરોવર જેવું નિર્મળ હોય છે. વાયુરહિત સ્થળમાં મૂકેલ દીવાની જ્યોતની જેમ તેઓની બુદ્ધિ જરા ય કંપ્યા વગર અત્યંત સ્થિરતા ધરી રહે છે.’ આવા સત્પુરુષોના ચિત્તમાં જે વસતી હોય, એનું નામ શાંતિ છે. આપણે મોટેભાગે અશાંતિના અભાવને શાંતિ માની લેવાની ભૂલ કરતા હોઈએ છીએ. 

સંત ફ્રાન્સિસે કહ્યું છે, ‘શાંતિ અને મુક્તિનો માર્ગ એ છે, કે તું તારી ઇચ્છા કરતાં બીજાની ઇચ્છાને વધારે માન આપ, થોડી ચીજોથી સંતુષ્ટ રહે, નાની જગ્યાએ નાનો થઈને રહે અને એવી પ્રાર્થના કર કે ‘મારા દ્વારા પ્રભુએ જે કરવા ધાર્યું હોય તે પૂર્ણ થાય.’ 

જે મનુષ્ય સુખની ઇચ્છા નથી રાખતો અને અસંતોષથી નથી ડરતો તે શાંતિ મેળવે છે. જીવનમાં આવતાં દુ:ખોને સ્વીકારીએ અને વિચારીએ કે એને કારણે આત્મચિંતનનો અવસર મળ્યો, તો કોઈ ફરિયાદ નહીં રહે. એટલે તો કુંતીએ કૃષ્ણ પાસે દુ:ખ માગ્યું હતું. ખ્રિસ્તી સંતો પણ ઈશ્વર પાસે દુ:ખની માગણી કરતા હોય છે. 

અને ‘સર્વે ભવન્તુ સુખિન:, સર્વે સન્તુ નિરામય, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુ:ખ ભાગ્ભવેત’ પછી અને ‘ઓમ સહ નાવવતુ, સહ નૌ ભુનક્તુ, સહ વીર્યં કરવાવહૈ, તેજસ્વીનાવધીતમસ્તુ, મા વિદ્વિષાવહૈ’ પછી કેટલી સુંદર રીતે બોલાય છે ઓમ શાન્તિ: શાન્તિ: શાન્તિ: …ક્રમશ: ધીમો પડતો અવાજ ગુંજારવ થઈને શમી જાય છે, ને પછી અસ્તિત્વમાં જે મૌન ગુંજન રૂપે આકાર લે છે, શાંતિના એ વિશ્વમાં આપણા સહુનો વાસ હો … 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 21 સપ્ટેમ્બર  2025

Loading

નરેન્દ્ર દેવ: ભારતીય સમાજવાદના સિદ્ધાંતકોવિદ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|12 November 2025

ભારતીય સમાજવાદના પ્રણેતા અને પ્રકાંડ પંડિત આચાર્ય નરેન્દ્ર દેવ રાજકારણના ઘોંઘાટમાં ઇતિહાસના પૃષ્ઠોમાં કેમ ખોવાઈ ગયા?

જન્મ : 31-10-1889 • મૃત્યુ : 19-2-1956

તે દિવસે અમદાવાદના આંબાવાડી વિસ્તારમાંથી પસાર થતા આચાર્ય નરેન્દ્ર દેવ નગરનો નામોલ્લેખ સાંભળી કાન સહસા સરવા થઈ ગયા : નરેન્દ્ર દેવ એટલા વહેલા ગયા, 1956માં કે જેમ જે.પી. ને લોહિયા હમણેના દાયકાઓમાં સહજ સંભારાતા રહે છે એવું એમના કિસ્સામાં નથી થતું.

પ્રકાશ ન. શાહ

જો કે, જોગાનુજોગ જ, આંબાવાડી પંથકમાં જ હિંમતલાલ પાર્કમાં બ્રહ્મકુમાર ભટ્ટને ત્યાં નરેન્દ્ર દેવની સરસ તસવીર ગભારા માંહેલી દેવમૂર્તિ પેઠે જોયાનું સાંભરે છે. 1976માં વડોદરા સેન્ટ્રલ જેલમાં અમે સહમિસાબંદી હતા ત્યારે જેમ જે.પી.-લોહિયાની તેમ નરેન્દ્ર દેવનીયે વાત બ્રહ્મકુમાર સાથે નીકળતી. એ સંભારતા કે આ પ્રકાંડ પંડિત, છતે આકરે અસ્થમે, કર્મઠ પણ શૂરાપૂરા હતા. હંમેશ કહેતા, દસ ટકા ઈન્સ્પિરેશન ને નેવું ટકા પરસ્પિરેશન … યાદ રાખો.

31મી ઓક્ટોબરે સરદાર જયંતી છે તો ઇંદિરાજીની પુણ્યસ્મૃતિનોયે એ દિવસ છે. બંનેનાં ખરાંખોટાં બેંડવાજાં હાજરાહજૂર હશે, પણ 31મી ઓક્ટોબર 1889ના દિવસે જન્મેલા નરેન્દ્ર દેવને કોણ સંભારે, ભલા.

જો કે, નવાઈ લાગે પણ મારું પહેલું સ્મરણ 1956-60નાં ગ્રેજ્યુએટ વર્ષોનું છે. પંડિત સુખલાલજી પાસે કવચિત્ કવચિત્ જવાનું બનતું. એક વાર એમનાં બનારસ વર્ષોની વાત નીકળી તો એમાં નરેન્દ્ર દેવનીયે સાંભરણ સરી આવી. એમની ને પંડિતજી વચ્ચેની વાર્તાલાપ બેઠકોમાં જૈન ને બૌદ્ધ દર્શન આસપાસના મુદ્દા પ્રમુખ રહેતા. પણ પંડિતજીની વિદ્યાપ્રીતિ અને નવી દુનિયાની ઝંખનાનો તો છેડો નહીં એટલે એમને માર્ક્સને સમજવાની ઇચ્છા જાગી. નરેન્દ્ર દેવની સલાહ માંગી તો એમણે કહ્યું કે બુખારીનના પુસ્તક ‘એ.બી.સી. ઓફ માર્ક્સિઝમ’થી શરૂ કરો. 1988-89માં નરેન્દ્ર દેવની શતાબ્દી માટે બ્રહ્મકુમાર ભટ્ટ ને રામલાલ પરીખ ઉપરાંત વડોદરાથી સનત મહેતા અને પરાડકર વગેરે વચ્ચે વાત ચાલેલી ત્યારે બે પંડિતો વચ્ચેના સંવાદનો આ ઉલ્લેખ સૌને રસપ્રદ થઈ પડ્યો હતો.

નરેન્દ્ર દેવને કાશી વિદ્યાપીઠનું દાયિત્વ સંભારવાનું આવ્યું ત્યારથી ‘આચાર્ય’ એમની ઓળખનો અભિન્ન ભાગ બની ગયો, જેમ વન્સ અપોન અ ટાઈમ વિદ્યાપીઠ સાથે કૃપાલાનીની ઓળખનુંયે ‘આચાર્ય’ અભિન્ન અંગ બની ગયું, એમ.

1934માં જ્યારે કાઁગ્રેસ સમાજવાદી પક્ષનું પહેલું અધિવેશન પટણામાં મળ્યું ત્યારે એના અધ્યક્ષપદે સૌએ નરેન્દ્ર દેવને બેસાડ્યા હતા. વડા સંગઠક તરીકે ઉભરેલા જયપ્રકાશના સહાયકોમાં એક મહાપંડિત રાહુલ સાંકૃત્યાયન પણ હતા. ગાંધીજીએ વિદ્યાપીઠના પહેલા દસકામાં જ જેમને વિશિષ્ટ અતિથિ તરીકે ચહીને બરક્યા હશે તેમાં નરેન્દ્ર દેવ પણ હતા. આગળ ચાલતાં જ્યારે કાઁગ્રેસ સમાજવાદી પક્ષ ઉભરી આવ્યો ત્યારે સમાજવાદી તરુણો સાથે સંવાદ પૂર્વે શું સાહિત્ય વાંચવું, એની યાદી ગાંધીજીએ નરેન્દ્ર દેવ પાસે માગી હતી તો બીજી બાજુ મહાદેવ દેસાઈને અલાહાબાદ મોકલ્યા હતા – તું ચાર-પાંચ દિવસ જવાહર સાથે રહે અને અલકમલકની વાતોમાં સમાજવાદ વિશેનું એનું મન જાણીને આવ.

બાય ધ વે, 1934માં કાઁગ્રેસ સમાજવાદી પક્ષનું સ્થાપના અધિવેશન મળ્યું ત્યારે જવાહરલાલ જેલમાં હતા અને નરેન્દ્ર દેવે પોતાના સંબોધનમાં ‘અમે નેહરુ બહાર આવે ને ક્યારે દિલની વાતો કરીએ’ એ ભાવથી એમને સંભાર્યા હતા. તે પછી, તરતનાં વરસોમાં, કૃપાલાનીએ સંભાર્યું છે, હું ને સુચેતા મારી મોટી ઉંમરે પરણી રહ્યાં હતાં પણ જવાહરલાલ જેલમાંથી છૂટે અને સામેલ થઈ શકે તે માટે અમે વરસ-દોઢ વરસ ખમી ખાવાનું નક્કી કર્યું હતું.

‘હિંદ છોડો’ ઠરાવની વાંસોવાંશ કાઁગ્રેસ કારોબારી જેલભેગી થઈ ત્યારે નેહરુ, મૌલાના આઝાદ, કૃપાલાની, નરેન્દ્ર દેવ, સરદાર, હરેકૃષ્ણ મહેતાબ સૌ અહમદનગર જેલમાં સાથે હતા. જવાહરલાલે ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’ એ મહાગ્રંથ જેલમાં લખ્યો ત્યારે સંદર્ભસ્રોતોની અછત વચ્ચે મૌલાના આઝાદ ને નરેન્દ્ર દેવની સ્મૃતિસંદૂકમાં ભરેલું કેટલું બધું કામમાં આવ્યું હશે, ન જાણે. જેલમાં હતા અને ઇંદિરાને પુત્રપ્રસવ થયાની ખબર આવી ત્યારે નરેન્દ્ર દેવે બૌદ્ધ પરંપરામાં બુદ્ધનું એક નામ ‘રાજીવલોચન’ સંભાર્યું હતું એ ‘રાજીવ’ નામનું રહસ્ય છે.

સમાજવાદના સિદ્ધાંતકોવિદ તરીકે નરેન્દ્ર દેવ ઉભર્યા, પણ એ નકરી પ્રોફેસરી તાસીરથી ઉફરા ચાલતા હતા. માર્ક્સનું અર્થઘટન, બુદ્ધની નૈતિક પ્રેરણા, ગાંધીનો સત્યાગ્રહ, એવો એક સમન્વિત અભિગમ એમણે વિકસાવ્યો હતો. પરંપરાનું ઉત્તમ કાલવી નવાં વહેણોનું સત્ત્વ આત્મસાત્ કરી આગળ ચાલવું, એમ એ કહેતા. સમાજવાદી આંદોલનમાં જેમ પંચમઢી થીસિસ તેમ એમનો ગયા થીસિસ પણ સુપ્રતિષ્ઠ છે. 

નેહરુ ને પટેલ સ્વરાજ બેસતે રાજ્યબાંધણીમાં ગયા ત્યારે કાઁગ્રેસ પ્રમુખ પદે ગાંધીજીને સૂઝેલાં નામ નરેન્દ્ર દેવ અને જયપ્રકાશનાં હતાં. સ્વરાજ પછી કાઁગ્રેસે જ્યારે પક્ષની અંદર પક્ષ નહીં એવો નિર્ણય લીધો ત્યારે સમાજવાદીઓનું અલગ પક્ષ રૂપે છૂટા પડી ગઠિત થવું સ્વાભાવિક હતું. નરેન્દ્ર દેવ અને કેટલાક સાથીઓ ઉત્તર પ્રદેશ વિધાનસભાના ચુંટાયેલા સભ્ય હતા. એમણે કાઁગ્રેસની ટિકિટ પર ચુંટાયા પછી નવા પક્ષ રૂપે કામ કરવાને ધોરણે ગૃહમાંથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો. જો કે, ફેરચૂંટણીમાં મતદારોએ એમને પાછા ન મોકલ્યા … એક નૈતિક નિર્ણયની આ કદર!

આ તો થોડું ઉપલક-ઉભડક. પણ નરેન્દ્ર દેવ આદિએ પ્રાચીન ભારતીય જ્ઞાન પરંપરા વિશે જે રીતે આધુનિક સંદર્ભમાં વ્યાપક પણે કામ લીધું છે, એ સમજવાની ખાસ તરેહના ‘રાષ્ટ્ર’માનસને સુધબુધ હશે? ન જાને.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 12 નવેમ્બર  2025

Loading

ઓમર યાગી : એક રૂમના ઘરથી નોબેલ પારિતોષિકના મંચ સુધી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|11 November 2025

રાજ ગોસ્વામી

આ વર્ષે ઘોષિત થયેલા નોબેલ પારિતોષિકમાં, પહેલીવાર એક સાઉદી વૈજ્ઞાનિક ઓમર યાગીને કેમેસ્ટ્રીમાં ક્રાંતિકારી શોધ બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. આરબ જગતમાં આ સીમાચિહ્નરૂપ ઘટના છે. તેમણે ધાતુ-કાર્બનિક બંધારણ પર કરેલું સંશોધન તો કમાલનું છે, જેના કારણે નોબેલ પારિતોષિકના મંચ પર પહેલી વાર આરબ વિજ્ઞાનને નામના મળી છે. 

૮ ઑક્ટોબર ૨૦૨૫ના રોજ રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સે ઓમર યાગીને જાપાનના સુસુમુ કિટાગાવા અને ઓસ્ટ્રેલિયાના રિચર્ડ રોબસન સાથે કેમેસ્ટ્રીનો નોબેલ પુરસ્કાર આપ્યો હતો. આ શોધ રેગિસ્તાનની હવામાંથી પાણી કાઢવા સાથે જોડાયેલી છે. તેને મેટલ-ઓર્ગેનિક ફ્રેમવર્ક કહે છે. સાદા શબ્દોમાં કહીએ તો, આ એક એવી ટેકનિક છે વોટર હાર્વેસ્ટિંગને એક નવી જ ઊંચાઈ પર લઇ જશે. આ ટેકનિકની મદદથી હવામાં મોજુદ ભેજને શોષીને તેને પાણીમાં પરિવર્તિત કરી શકાય છે. યાગીએ સાથી વૈજ્ઞાનિકોના સહકારમાં અમેરિકાના એરિઝોના સ્થિત રેગિસ્તાનમાં આવી રીતે હાર્વેસ્ટિંગ કર્યું હતું. 

મહત્ત્વની વાત એ છે કે ઓમર યાગીની યાત્રા જોર્ડનના શહેર અમ્માન સ્થિત એક રૂમના ઘરમાંથી શરૂ થઇ હતી. 1965ની સાલમાં, અમ્માનમાં એક પેલેસ્ટિનિયન શરણાર્થી પરિવારમાં જન્મેલા યાગીની કહાની આશા અને ઉમંગની દાસ્તાન છે. યાગી, 60ના દાયકામાં હિંસામાં ગિરફત પશ્ચિમ એશિયાના જોર્ડનમાં એક ગરીબ ઘરમાં જન્મ્યા હતા. તેમના માતા-પિતા પેલેસ્ટાઇનમાંથી ભાગીને અહીં આવ્યાં હતાં. 

નોબેલ માટે તેમની પસંદગી થઇ, ત્યારે તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, “અમારા ઘરમાં નળમાં પાણી પણ નહોતું આવતું, વીજળી તો દૂરની વાત હતી. મારા પિતા છઠ્ઠા ધોરણ સુધી ભણેલા હતા અને માને ન તો વાંચતાં આવડતું હતું, ન લખતાં.” પછી તેમણે ઉમેર્યું હતું, “જ્યારે મેં હવામાંથી પાણી કાઢે તેવા પદાર્થની શોધ કરી, તો તે મારા બાળપણની તરસનો જવાબ હતો.”

તેમની પાસે માત્ર એક રૂમનું ઘર હતું. એમાં કેટલાંક ઢોર હતાં અને આઠ બાળકો. તેમના પિતા કસાઈ હતા. પિતાને એટલી સમજ હતી કે ગરીબી અને હિંસાના આ માહોલમાં બાળકનું કોઈ ભવિષ્ય નથી. ભવિષ્ય હોય તો તે ભણવામાં છે. આર્થિક મુશ્કેલીઓ હોવા છતાં, પિતાએ ત્યારે યાગીને કહ્યું કે તારે બહાર જઈને ભણવું જોઈએ, જેથી આપણી આગળની પેઢીનું ભવિષ્ય બદલી શકે. આજે, આખા આરબ જગતની પેઢી યાગીના સન્માનથી ગદ્દગદ અને પ્રેરિત છે.

આ માહોલમાં 10 વર્ષની ઉંમરે યાગીનો વિજ્ઞાન સાથે પ્રેમ શરૂ થયો હતો. તે એક દિવસ સ્કૂલની લાઈબ્રેરીમાં પહોંચી ગયા હતા, જે લગભગ બંધ જ રહેતી હતી. અહીં તેમણે એક પુસ્તકમાં પહેલીવાર પરમાણુ રચનાના મોડેલની તસવીર જોઈ હતી. તે જોઇને તેમને અનેક પ્રશ્નો થયા હતા. તેઓ કહે છે, “મને ખબર પડે કે આ પરમાણુ છે તે પહેલાંથી મને તેની સાથે પ્રેમ થઇ ગયો હતો.”

પિતાના સલાહ અને મદદ પર યાગી 15 વર્ષની ઉંમરે અમેરિકા ગયા હતા. પિતા ગમાર હતા પણ દીકરાની ક્ષમતા પારખવાની કોઠાસૂઝ હતી. તે જ યાગીને અમેરિકા લઇ ગઈ હતી. અમેરિકા આવ્યા પછી દુનિયા ખૂલી ગઈ. યાગીમાં વિજ્ઞાનના પ્રેમનું બીજ તો રોપાયેલું હતું, અમેરિકાની શિક્ષણની દુનિયાએ તેમાં ખાતર-પાણી સીંચીને ફૂટવા માટે મજબૂર કરી દીધું.

અમેરિકામાં તે ટ્રોય (ન્યૂયોર્ક) ગયા હતા. ત્યાં તેમણે હડસન વેલી કમ્યુનિટી કોલેજ અને પછી સની અલ્બાનીમાં અભ્યાસ કર્યો હતો. અહીં તે ફાજલ સમયમાં ગ્રોસરીની દુકાનમાં ફર્શ સાફ કરતા હતા અને ભણવાના સમયે લેબમાં અસિસ્ટન્ટ બનીને પ્રયોગશાળામાં કામ કરતા હતા. “મને ક્લાસરૂમ નહીં, લેબ ગમતી હતી, જ્યાં હું ચીજવસ્તુઓ બનાવતો હતો,” તેઓ કહે છે, “મને કેમેસ્ટ્રીમાં પહેલેથી જ રસ હતો. તે વખતે હું એક જ સમયે ત્રણ પ્રોફેસરો સાથે ત્રણ ત્રણ પ્રોજેક્ટ પર કામ કરતો હતો.”  

અહીંથી તેમણે પાછું વળીને જોયું નહોતું. આજે તેમના નામે ડઝનેક ઓનર્સ, પેપર્સ, પુસ્તકો અને એવોર્ડ્સ બોલે છે. તાજેતરમાં, નોબેલ પારિતોષિક જાહેર થયા પછી તેમણે આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, “હું સુંદર ચીજવસ્તુઓ બનાવવા માટે અને બૌદ્ધિક સમસ્યાઓ ઉકેલવા માટે સર્જાયો હતો.”

તેમની આ સફળતાનું શ્રેય યાગી પુસ્તકોને આપે છે. તેઓ યુવાન વિદ્યાર્થીઓને સંદેશ આપતાં કહે છે, “મને છોકરાઓ પૂછતા રહે છે કે કોઈ ચીજમાં કેવી રીતે પેશન આવે? તમે કેમેસ્ટ્રીના પ્રેમમાં કેવી રીતે પડ્યા? ત્યારે હું કહું છું કે તમારી આજુબાજુમાંથી કોઇપણ એક ચીજને પકડો અને તેના વિશે ઊંડું વિચારો કે આ શું છે, કેવી રીતે બન્યું હશે. તમે તેમાં જેટલા ઊંડા ઉતરશો તેમ તેમ તમને તેની રચના અંગેની સુંદર બાબતો સમજાતી જશે. મને એ રીતે કેમેસ્ટ્રીનું આકર્ષણ થયું હતું. મને ખબર નહોતી કે પરમાણુ શું હોય છે. હું તો એમ જ આકર્ષાયો હતો. પછીથી ખબર પડી કે આપણી દુનિયા તેનાથી બનેલી છે. એટલે શરૂઆતમાં કોઈ ભવ્ય યોજનાઓ કરવાની ન હોય, તમને જે કોઈ એક સમસ્યા કે ક્ષેત્રમાં રસ પડે તેમાં ઊંડા ઉતરો.”

૮મી તારીખે, યાગી સાનફ્રાન્સિસ્કોથી બ્રસેલ્સ જઈ રહ્યા હતા, અને ફ્રેન્કફર્ટમાં ફ્લાઈટ બદલવા માટે લગેજને લઈને ચાલવા જતા હતા, ત્યાં જ મોબાઇલ પર સ્વીડનની કોલ આવ્યો હતો અને સમાચાર આપ્યા હતા કે તેમને આ વર્ષનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવી રહ્યું છે. “આવી ક્ષણ માટે કોઈ તૈયાર ન હોય,” તેમણે તે ઘડીને યાદ કરીને કહ્યું હતું, “એ ફીલિંગ અવર્ણનીય પણ જબરદસ્ત ઉત્તેજનાવાળી હતી.”

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 10 નવેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...190191192193...200210220...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved