Opinion Magazine
Number of visits: 9842844
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પન્ના કી તમન્ના હૈ કી હીરા મુજે મિલ જાયે …  અપની જગહ સે કૈસે પરબત હિલ જાયે?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|18 September 2025

રાજ ગોસ્વામી

આનંદની ફિલ્મોની અનેક વિશેષતાઓમાંથી એક તેનું ગીત-સંગીત હતું. તેમની સદાબહાર લોકપ્રિયતામાં તેમની ફિલ્મોનાં ગીતોનું મોટું યોગદાન છે. આમ પણ, હિન્દી સિનેમામાં રોમેન્ટિક હીરોનું અસલી હથિયાર ગીતો જ હોય છે. ગીતોના આધારે જ તે હિરોઈન અને સિનેરસિકોને આકર્ષી શકે છે. દેવ સા’બ બંને મોરચે સફળ રહ્યા હતા. પોતે બનાવેલી તો ખરી જ, બીજાં બેનરોની ફિલ્મોમાં પણ તે તેના સંગીતમાં અંગત રસ લેતા હતા. તેમને ખબર હતી કે તેમના ચાહકો ઉત્તમ સંગીત સાંભળવા માટે થિયેટરમાં આવે છે. દેવ સા’બ એટલું તો પાક્કું કરતા હતા કે લોકો ગીતોમાં નિરાશ ન થાય. એટલા માટે તેમની અમુક નબળી ફિલ્મોમાં પણ ઉત્કૃષ્ઠ સંગીત હતું.

જેમ કે, 1973માં આવેલી તેમની રોમેન્ટિક ફિલ્મ ‘હીરા-પન્ના’નો કમાણીની દૃષ્ટિએ ધબડકો થયો હતો, પરંતુ દેવ આનંદના લાડકા કિશોર કુમાર અને રાહુલ દેવ બર્મને એમાં ચાર ખુબસૂરત ગીતો આપ્યાં હતાં અને એમાં ય ટાઈટલ ગીત ‘પન્ના કી તમન્ના હૈ કે હીરા મુજે મિલ જાયે, ચાહે મેરી જાન જાયે, ચાહે મેરા દિલ જાયે’ તો આજ દિન સુધી લોકપ્રિય છે. 

આર.ડી. બર્મને અનેક શાનદાર ગીતો આપ્યાં છે અને અમુક તો ચાર્ટબસ્ટર છે. એમાં ‘પન્ના કી તમન્ના’ અલગ જ પ્રકારનું સ્થાન ધરાવે છે. પંચમનાં બાકી તાબડતોબ હિટ ગીતોની સરખામણીમાં, ‘પન્ના કી તમન્ના’એ ધીમી ગતિના સમાચારની જેમ શ્રોતાઓના કાનમાં જગ્યા કરી હતી.

જે વર્ષે આ ફિલ્મ આવી, તે બ્લોકબસ્ટર સંગીતનું વર્ષ હતું. 1973ની સૌથી સફળ અને ટોચની દસ ફિલ્મોનાં ગીતો યાદગાર હતાં. એક તરફ લક્ષ્મીકાંત-પ્યારેલાલની પહેલીવહેલી આર.કે. ફિલ્મ ‘બોબી’ હતી, તો બીજી તરફ તેમની જ ‘દાગ’ પણ હતી. ‘યાદોં કી બારાત મેં’ આર.ડી.એ ધૂમ મચાવી હતી, તો ‘કહાની કિસ્મત કી’માં કલ્યાણજી-આણંદજીની ધમાલ હતી. ‘ઝીલ કે ઉસ પાર’ અને ‘આ ગલે લગ જા’માં પણ આર.ડી. છવાયેલા હતા.

‘હીરા-પન્ના’ એ બધાની વચ્ચે આવી હતી. તે વર્ષે દેવ આનંદની પાંચ ફિલ્મો આવી હતી; શરીફ બદમાશ, હીરા પન્ના, બનારસી બાબુ, છુપા રૂસ્તમ અને જોશીલે. ટોપ ટેનમાં એક પણ નહોતી. બે જ વર્ષ પહેલાં તેમણે ગેમ્બલર, તેરે મેરે સપને અને હરે રામા હરે કૃષ્ણ જેવી સંગીતમય હિટ ફિલ્મો આપી હતી. ‘હીરા પન્ના’ પાસેથી તેમને વિશેષ ઉમ્મીદ હતી કારણ કે નિર્માતા પણ તે હતા અને નિર્દેશક પણ.

કહેવાય છે કે પંચમ ત્યારે માનસિક રીતે હતાશાના દોરમાંથી પસાર થઇ રહ્યા હતા. આગલા વર્ષે તે તેમની પત્ની રિટા પટેલથી અલગ થયા હતા અને હોટેલમાં રહેવા જતા રહ્યા હતા. દેવ સા’બે તેમની સાથે ત્રણ કલાક વાતચીત કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. તેનું પરિણામ એ આવ્યું કે આર.ડી.એ ચાર સુમધુર ગીતો આપ્યાં; પન્ના કી તમન્ના, બહુત દૂર મુજે ચલે જાના હૈ, એક પહેલી હૈ તું અને મૈં તસ્વીર ઉતરતા હૂં. ચારેમાં કિશોર કુમાર અને ત્રણમાં લતાજી અને આશાજીનો સંગાથ.

‘હીરા-પન્ના’નો ધબકડો થવા પાછળ એક કારણ ઝીનત અમાન મનાય છે. 1972માં ‘હરે રામા હરે કૃષ્ણા’ ફિલ્મથી ઝીનત રાતોરાત સ્ટાર બની ગઈ હતી. એમાં તેણે દેવ આનંદની બગડેલી બહેનનો કિરદાર કર્યો હતો. ફિલ્મ એટલી મોટી હિટ થઇ કે ઝીનતના દરવાજા પર બહેનના કિરદારોનો ઢગલો થઇ ગયો. તેના ‘ગુરુ’ દેવ આનંદે તેને ચેતવી હતી કે આ નિર્માતાઓ તને કાયમ માટે બહેન બનાવી દેશે. અને એટલે જ તેમણે ઝીનતને રોમેન્ટિક કિરદારમાં લેવા માટે ‘હીરા-પન્ના’ બનાવી હતી. પરંતુ દર્શકોના મનમાં હજુ પણ બંને ભાઈ-બહેન તરીકે જ છવાયેલાં હતાં એટલે ફિલ્મ બહુ ન ચાલી.

બહારહાલ, આર.ડી.એ શ્રોતાઓને નિરાશ ન કર્યા. વિશેષ કરીને ‘પન્ના કી તમન્ના’ એક જાદુઈ ગીત છે. તમે પહેલીવાર સાંભળો તો ઝટ તેનો જાદુ ન અનુભવાય, પણ જેમ જેમ સાંભળતા જાવ તેમ તેમ તે તમારી શ્રવણેન્દ્રિય પર સિક્કો જમાવતું જાય. આર.ડી.ની એક આદત હતી કે તેઓ ઘણીવાર તેમને ગમતી ધૂન તૈયાર કરીને આપતા હતા. આ ગીતમાં પણ દેવ આનંદને ધૂન એટલી પસંદ આવી ગઈ હતી કે પછી આનંદ બક્ષીને તેમાં શબ્દો પુરાવાનું કહ્યું હતું.

તેનું ફિલ્માંકન પણ સુંદર છે. વાસ્તવમાં તે રોડ-સોંગ છે. દેવ આનંદ તેમાં આખી દુનિયામાં ભટકતા ફોટોગ્રાફર(હીરા)ના કિરદારમાં છે. તેમના બે જ શોખ છે; ફોટોગ્રાફી અને એર હોસ્ટેસ રીમા(રાખી)ને પ્રેમ. એક અકસ્માતમાં રીમાનું અવસાન થાય છે. તે પછી હીરા ફોટોગ્રાફીમાં વ્યસ્ત થઇ જાય છે. એક દિવસ, રાજા સાહેબ (રહેમાન) સાથે ફોટો સેશન દરમિયાન પન્ના (ઝીનત) નામની છોકરી તેમનો એક હીરો ચોરીને હીરાની કારમાં છુપાવી દે છે. પાછળથી હીરાના આઘાત વચ્ચે ખબર પડે છે કે પન્ના તો રીમાની જ બહેન છે.

રસ્તામાં આ ગીત આવે છે. તેમાં બંને અર્થ છે; પન્ના કારમાં છુપાવેલો પાછો લેવાની કોશિશ કરે છે અને ગાય છે ‘પન્ના કી તમન્ના હૈ કી હીરા મુજે મિલ જાયે, ચાહે મેરી જાન જાયે, ચાહે મેરા દિલ જાયે.’ બીજી તરફ હીરા એવું સમજે છે કે પન્ના તેને પટાવવાની કોશિશ કરી રહી છે અને જવાબમાં કહે છે, ‘હીરા તો પહેલે હી કિસી ઔર કા હો ચૂકા, કિસી કી, મદભરી, આંખો મેં ખો ચૂકા.’

એટલા માટે જ કિશોર અને લતાએ અલગ મૂડમાં આ ગીત ગાયું હતું. લતાના અવાજમાં મસ્તી હતી. તેમાં લતાજી જે રીતે ‘હાયે ઓઓઓ તા રા રા રૂ આ આ’ ગાય છે એ તો એક અલગ જ દુનિયામાં લઇ જાય છે. અને કિશોરના અવાજમાં ગંભીરતા હતી. બક્ષી સા’બે એમાં સરસ ભાવ વ્યક્ત કર્યા હતા. પન્ના પેલાનો કેડો નથી મુકતી ત્યારે હીરા કહે છે;

અપની જગહ સે કૈસે પરબત હિલ જાયે

ચાહે મેરી જાન જાયે ચાહે મેરા દિલ જાયે

કિશોર કુમારે જે રીતે આ લાઈનો ગાઈ હતી, માશાલ્લા!

ગીતમાં દેવ અને ઝીનત ખુબસૂરત દેખતાં હતાં. કર્ણાટકના કોલાર પાસે રસ્તામાં તેનું શૂટિંગ થયું હતું. રમેશ સિપ્પીને આ ગીત પરથી શોલેના રામગઢનું લોકેશન મળ્યું હતું. તેમાં દેવ આનંદ પીળા રંગની બ્રિટિશ વોક્સહોલ વિક્ટર કાર ચલાવે છે. હીરા ફોટોગ્રાફર છે એટલે કારની આખી બોડી પર અલગ અલગ દેશોનાં શહેરનાં નામ ચિતારાવેલાં છે. હાથમાં હાસેબ્લાડ કેમરા હતો. ચન્દ્રના ફોટા પાડવા માટે આ કેમેરા ત્યારે પ્રખ્યાત હતો.

ઝીનતે એમાં ગુલાબી ટ્રાઉઝર પર બ્લેક ટોપ, ગુલાબી હેટ અને ગળામાં ગુલાબી સ્કાર્ફ પહેર્યો હતો. દેવ સા’બે તેમના ટ્રેડમાર્ક ઓલીવ ગ્રીન જેકેટ નીચે હલ્કા ભૂરા રંગનું ડોટેડ શર્ટ – ટ્રાઉઝર અને માથે ગુલાબી હેટ પહેરી હતી.

ઝીનતને આ ગીત માટે બહુ ઉત્સાહ હતો, કારણ કે તે પહેલીવાર દેવ સા’બની રોમેન્ટિક પાર્ટનર હતી. તેનું નામ ફિલ્મના ટાઈટલમાં અને ગીતમાં પણ હતું. ફિલ્મની પબ્લિસિટીમાં ઝીનતનાં જ ફોટાને મોટા કરવામાં આવ્યા હતા. તે વખતે તે સ્ટાર બની ચુકી હતી. દેવ આનંદનું આ ફેવરિટ ગીત હતું, અને તેમણે તેમની આત્મકથા ‘રોમાન્સિંગ વિથ લાઈફ’માં પણ તેનો ઉલ્લેખ કર્યો છે. આજે પણ અનેક સંગીતકારો તેમના કોન્સર્ટમાં આ ગીત અચૂક વગાડે છે. સમય મળે તો કાને ઈયર ફોન લગાવીને યુટ્યુબ કે સ્પોટીફાય પર સંભાળજો. આર.ડી.નો જાદુ કેવો હતો તે સમજાઈ જશે.

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 17 સપ્ટેમ્બર 25)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|17 September 2025

ચંદુ મહેરિયા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વરસના આરંભ પૂર્વે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બૌદ્ધિક વિમર્શ બેઠક યોજાઈ હતી. તેમાં સર સંઘચાલક મોહન ભાગવતે કહ્યું હતું કે મંદિર, સ્મશાન અને પાણીની બાબતમાં  હિંદુઓ વચ્ચે કોઈ ભેદ ન હોવો જોઈએ. અર્થાત હિંદુઓ મંદિર, સ્મશાન અને પીવાનાં પાણીમાં દલિતો સાથે કોઈ આભડછેટ પાળતા હોવા જોઈએ નહીં. સ્વતંત્રતાના પંચોતેર વરસ પછી અને હિંદુઓના સર્વોચ્ચ સાંસ્કૃતિક સંગઠન આર.એસ.એસ.ની સ્થાપનાના શતાબ્દી વરસે પણ હજુ દલિતો માટે અલગ સ્મશાનો છે, પીવાનાં પાણી અને મંદિરોમાં ભેદભાવ પળાય છે તેની આ સ્વીકૃતિ છે. 

દલિતોમાં દલિત કહો કે મહા દલિત એવા ડોમ(દલિતોની એક પેટા જ્ઞાતિ)ની આમ તો દેશના પંદરેક રાજ્યોમાં વસ્તી છે. ભારતની જડ જ્ઞાતિ પ્રથાએ અન્ય દલિતોની જેમ તેમના માથે પણ કેટલાંક કામો થોપ્યા છે. એટલે ઢોલ વગાડવા, સફાઈ કરવી, ઝાડુ-ટોપલા-ટોપલી અને વાંસની જુદી જુદી ચીજો બનાવવી અને વેચવી જેવાં કામો તો એ કરે છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર મોક્ષ નગરી વારાણસીના ડોમ મૃતદેહના અગ્નિ સંસ્કારનું કામ કરે છે. શિવજીના શાપરૂપી વરદાનથી બંધાયેલા વારાણસીના ડોમ વિશે કહેવાય છે કે જો ડોમના લાકડાની ચેહ અને તેના હસ્તે મુખાગ્નિનો અગ્નિ મળે તો મૃતકને મોક્ષ મળે છે. આ હિંદુ માન્યતા અને પરંપરા નિભાવતા ડોમ મસાણ અને મોક્ષની મોકાણ વચ્ચે જિંદગી બસર કરે છે.

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ૪.૧૩ કરોડ દલિતો છે. જે રાજ્યની કુલ વસ્તીના ૨૦.૭ ટકા છે. યુ.પી.ની દલિત વસ્તીમાં ડોમ ૦.૩ ટકા (૧,૧૦,૩૫૩) જ છે. તેમાં વારાણસીમાં તો માત્ર ૪,૦૦૦ જ ડોમ છે. વારાણસીમાં ગંગાના છ થી આઠ કિલોમીટરના કિનારે લગભગ ૮૮ ઘાટ છે. તેમાં એક નવો નમો ઘાટ પણ છે. પરંતુ મણિકર્ણિકા અને હરિશ્ચંદ્ર એ બે ઘાટ પર શબના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. ડોમ અહીં શબના અંતિમ સંસ્કારની તમામ કામગીરી બજાવે છે. ડોમ રાજા કહેવાતા ડોમ આગેવાન મૃતકનાં સગાંને ચેહના લાકડા વેચે છે અને અગ્નિદાહની અગ્નિ આપે છે. એટલે ડોમ રાજાની અગ્નિ અને મણિકાર્ણિકા ઘાટ મૃતકને મોક્ષ પ્રદાન કરે છે તેવી માન્યતા પ્રવર્તે છે. 

ડોમનું શબ દહનનું કામ આસાન નથી. ગંગાના સ્મશાન ઘાટે બારે મહિના, ચોવીસે કલાક અને બધી જ ઋતુઓમાં શબ દહનનું કામ ચાલતું રહે છે. વારાણસીના અઢી હજાર ડોમ પુરુષો વારાફરતી આ કામ કરે છે. મૃતદેહ આવે ત્યારે તેના માટે ઘાટ પરના ચબૂતરા પર ચેહ તૈયાર કરવાથી માંડીને તે બળીને ખાખ ન થઈ જાય ત્યાં સુધી તેમાં અગ્નિ પેટાવતા રહેવું પડે છે. કોઈ પણ મોસમમાં અગ્નિ સન્મુખ રહ્યા કરવું બહુ મુશ્કેલ છે. આ કામ માટે તેમને બહુ મોટી રકમ મળતી નથી. એક અગ્નિ સંસ્કારના અઢીસો રૂપિયા મળે છે. કહેવાય છે કે રોજની ૮૦ થી ૧૦૦ અને વરસે ૩૦,૦૦૦ લાશોના દાહસંસ્કાર અહીં થાય છે પરંતુ કોઈ એક વ્યક્તિને જ આ બધી રકમ મળતી નથી. ઘણાં ડોમ પરિવાર તેના પર નભે છે. 

પ્રાચીન નગરીનું ગૌરવ ધરાવતી કાશી, વારાણસી કે બનારસ વિશે તો ઘણું લખાયું છે, પરંતુ તેના ડોમ વિશે ખાસ કશું લખાયું નથી. એ મહેણું પત્રકાર રાધિકા અયંગરના દસ્તાવેજી મૂલ્ય ધરાવતા પુસ્તક ‘ફાયર ઓન ધ ગંગાજ : લાઈફ અમંગ ધ ડેડ ઈન બનારસે’ (Fire on the Ganges : Life Among the Dead in Banaras) ભાંગ્યું છે. સતત આઠ વરસોની મહેનત પછી લખાયેલા આ પુસ્તકે ડોમના રોજિંદા જીવનની વાસ્તવિકતાને સમાજ સમક્ષ ઉજાગર કરી છે. આ પુસ્તકમાં ડોમના જીવનની દયનીય સ્થિતિ, જટિલ વાસ્તવિકતાઓ અને મહિલા તથા બાળકોની હાલતને જરા ય જજમેન્ટલ બન્યા વિના લેખિકાએ આલેખી છે. કથિત ઉચ્ચ જ્ઞાતિઓના સામાજિક માપદંડોને ફગાવીને શિક્ષણ, કૌશલ્ય અને વૈકલ્પિક ધંધા-રોજગારના માધ્યમે નવો માર્ગ પસંદ કરેલ વ્યક્તિઓ (ભોલા, કોમલ, ડોલી અને લક્ષ્ય)ના સંઘર્ષો અને આકાંક્ષાઓનું ચિત્રણ  લેખિકાએ કર્યું છે. 

સોળ હિંદુ સંસ્કારોમાંના અંતિમ સોળમા સંસ્કારમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા અને એટલે પૂજનીય હોવા જોઈતા ડોમ કેવા ઉપેક્ષિત છે તે બનારસની આધ્યાત્મિક ભવ્યતાના આલેખન છતાં ઓઝલ રહી શકતું નથી. હિંદુ મૃતકના મુક્તિદાતા ડોમ ખુદ અનેક જંજીરોથી જકડાયેલા છે. આભડછેટ, ગરીબી, નિરક્ષરતા, વૈકલ્પિક રોજીનો અભાવ અને સતત આગની વચ્ચે રહેવું જાણે કે તેમની નિયતિ બની ગઈ છે. તેમનાં બાળકો પણ આ જ વાતાવરણમાં જીવે છે. મહિલાઓ ઘરનો ચૂલો ફૂંકે છે. બાળકો ઘાટ પર શબ પરથી ઉતરેલા કફન ભેગા કરી મૂળ દુકાનદારોને ઓછા દામે વેચી આવે છે. ઘણા ડોમના ઘરનો ચૂલો સવાર સાંજ ઘાટ પરના અડધા બળેલા લાકડાથી સળગે છે. ક્યારેક આ લાકડા પર લાશના માંસના લોચા પણ ચોંટેલા હોય છે. ‘મણિકર્ણિકા ઘાટ, વારાણસી: એ લેન્ડસ્કેપ ઓફ ડેથ’માં અમિતા સિન્હાના જણાવ્યા મુજબ એક શબના અંતિમ સંસ્કારથી ૨.૭ કિલો રાખ નીકળે છે. ઘણા ડોમ આ રાખને કાણાવાળા વાસણથી ગાળે છે, ખંગાળે છે. એવી આશાએ કે  કદાચ તે રાખમાંથી મૃતદેહ પરનું કોઈ કિંમતી ઘરેણું મળી જાય!

શિવનગરી વારાણસીના ડોમની વાસ્તવિકતા દિલને ઝકઝોરી નાંખે તેવી છે. ટાઢ, તડકો કે વરસાદ તો તે વેઠે છે, પરંતુ હંમેશાં મૃત્યુની સમીપે રહેવાનું હોઈ તે જીવનના સુખને દારુ કે ગાંજાના વ્યસનથી માણે છે. ડોમ બાળકો શિક્ષણથી મુક્ત જ રહે છે. જે થોડા ભણવા જાય છે તેમને શાળામાં અલગ નહીં તો આઘા બેસાડાય છે. દલિતો, ગરીબો, આદિવાસીઓ, શ્રમિકોના સંતાનોના ભણતર સામે શોષકો સવાલ કરે છે કે જો તે ભણશે તો અમારાં વૈતરાં કોણ કરશે? મરેલાં ઢોર કોણ ખેંચશે? ખેતી કોણ કરશે? તેમ બનારસના ડોમ બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવવા માંગતા વિદેશીને સંભળાવાય છે કે તો પછી અમારા શબ કોણ સળગાવશે?  બિનદલિતોનું  આ વલણ તો જાણે સમજ્યા. દલિત ચિંતક તુલસી રામ તેમની આત્મકથા “મણિકર્ણિકા”ના પહેલા જ પૃષ્ઠ પર લખે છે, “મણિકર્ણિકા ઘાટ પર સદિયોંસે  જલતી ચિતાએં કભી નહીં બુઝીં. અત: મૃત્યુ કા કારોબાર યહાં ચૌબીસોં ઘંટે ચલતા રહતા હૈ. સહી અર્થો મેં મૃત્યુ બનારસ કા બહુત બડા ઉદ્યોગ હૈ. અનગિનત પંડો કી જીવિકા મૃત્યુ પર આધારિત હૈ. સબસે જ્યાદા કમાઈ ઉસ ડોમ પરિવાર કી હોતી હૈ, જિસસે હર મુર્દા માલિક ચિતા સજાને કે લિએ લકડી ખરીદતા હૈ” (પૃષ્ઠ-૯) 

વારાણસીના ડોમને પણ આ કામ કોઠે પડી ગયું છે. શિવનું વરદાન તેમને મળેલું છે અને તેથી તેઓ મોક્ષદાતા છે તેવા ગુમાનમાં કે ભગવાને સોંપેલી ફરજ કંઈ થોડી છોડાય તેવી માન્યતાવશ તેઓ બીજું કશું વિચારતા નથી. મણિકર્ણિકા ઘાટ પર પણ કામની વહેંચણીના નામે ઉચ્ચનીચ જેવી વ્યવસ્થા છે. સૌથી ઉપર ડોમ રાજા, પછી તેના નાયબો અને છેલ્લે લાશો સળગાવનારા છે. એટલે આ કામમાં જે સૌથી મુશ્કેલ કામ કરે છે તે સૌથી વધુ ગરીબ અને ઉપેક્ષિત ડોમ છે. 

પરંતુ પરિવર્તનના સંસારના નિયમથી ડોમ પણ અછૂતા રહી શક્યા નથી. મુખ્યત્વે પુરુષપ્રધાન આ કામમાં જમુનાદેવી જેવાં વિધવા ડોમ મહિલાએ ઝંપલાવ્યું છે. રાધિકા અયંગરે લખ્યું છે તેમ વારાણસીના એક ડોમ યુવાને આ કામને તિલાંજલી આપીને શહેરમાં સરકારી નોકરી શોધી છે. તે તેની ત્રણ ભત્રીજીઓને સાથે ભણાવવા લઈ ગયો છે તે આવતીકાલની ઉજળી આશાની એંધાણી છે. ડોમ રાજા જગદીશ ચૌધરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના લોકસભા ચૂંટણીના પ્રસ્તાવક બનાવ્યા કે તેમને મરણોપરાંત પદમશ્રીથી નવાજ્યા તેનું પ્રતીકાત્મક તો પ્રતીકાત્મક, ઘણું મૂલ્ય છે. આવા નાના-મોટા ફેરફારો ડોમનું દળદર ફેડે અને સઘળા હિંદુઓ માટે પાણી, મંદિર અને સ્મશાનના ભેદ ન હોવા જોઈએ તેવી સંઘ સુપ્રીમોની અરજ  આહ્વવાન બને તો કેવું સારું. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

એકલતાની કમાણી

આશા વીરેંદ્ર|Opinion - Short Stories|17 September 2025

પંજાબના ખૂણામાં આવેલું, આજે પણ પછાત રહી ગયેલું એવું ચાંદપુર ગામ. જુવાનિયાઓ ચરસ-ગાંજો પીવામાં દિવસો વિતાવે એવા ગામનો બલવીર બેરિસ્ટર બની ગયો એ સૌ કોઈ માટે નવાઈની વાત હતી. મા-બાપુ તો ખેતી અને ઢોર-ઢાંખરમાંથી ઊંચાં જ ન આવતાં. છોકરો નિશાળે જાય છે કે નહીં એવી ચિંતા કરવાનો એમની પાસે વખત જ ક્યાં હતો!

નાનો સુખબીર ખેતરમાં મદદ કરતો એટલે એ એમને સ્વાભાવિક રીતે જ ડાહ્યો દીકરો લાગતો. બલવીર ઊંધું ઘાલીને ચોપડીઓ વાંચ્યા કરતો એ બેઉને જરા ય પસંદ નહોતું. પણ એ જ બલવીર બેરિસ્ટર બનીને, કોટ પહેરીને શહેરની કોર્ટમાં જતો અને ચપરાસીથી માંડીને વકીલો એને સલામ ભરતા એ સાંભળીને ગર્વથી એમની છાતી ફૂલતી.

મા મહોલ્લાની સ્ત્રીઓને ભેગી કરીને કહેતી, “મારે બલવીરાને બોત બડી હવેલી બનાઈ હૈ, પતો હૈ? ચાર પહિયોં વાલી ગડ્ડીમેં ઘુમતા હૈ.”

આગળ ભણવા માટે બલવીરને રૂપિયાની ખૂબ જરૂર હતી ત્યારે અભ્યાસનું મહત્ત્વ ન જાણતા હોવા છતાં બંને મામાઓએ એને મદદ કરેલી. આજે સુખ-સાહ્યબી વચ્ચે પણ બલવીર એ ભૂલ્યો નહોતો. આમ પણ એનો સ્વભાવ બધાને મદદરૂપ થવાનો. સાજે-માંદે કોઈપણ ગામડેથી આવ્યું હોય તો બલવીરની હવેલીના દરવાજા હંમેશાં ખુલ્લા જ રહેતા. એની પત્ની જસપ્રીત પણ અત્યંત મિલનસાર સ્વભાવની.

મામાનો ફોન આવ્યો કે, પંદરેક દિવસથી કુલદીપનો તાવ ઊતરતો નથી. આ સાંભળીને બલવીરે તરત જ મામા, મામી અને કુલદીપને અહીં લાવવાની તથા ડૉક્ટરને બતાવવાની અને રહેવાની – બધી જ વ્યવસ્થા તાબડતોબ કરી દીધી. બધું કરવા છતાં એ અંદરથી અનુભવતો હતો કે, એ લોકો છૂટથી એની સાથે વાત-ચીત નહોતાં કરતાં. જેમનો ખોળો ખૂંદીને એ મોટો થયો હતો એ મામા હવે એની સાથે ‘જી, હાંજી’ કરીને વાત કરતા.

સવારે કોર્ટમાં જતાં પહેલાં એ કુલદીપના ઓરડામાં જતો ત્યારે ન ઇચ્છવા છતાં એનાથી કંઈ ને કંઈ સલાહ અપાઈ જતી.

“મામી, કુલદીપની આટલાં નજીક બેસશો તો તમે પણ માંદાં પડી જશો. સામે ખુરશી છે એની પર જ બેસવાનું.” “મામા, અડધા કલાક પહેલાં કાપેલું સફરજન તમે કુલદીપને ખવડાવો છો એ બરાબર નથી. એની પર માખી બેઠી હોય. હંમેશાં સમારીને તરત જ ખવડાવવાનું.”

મામીને કહેવાનું મન થાય કે, માંદો દીકરો બાજુમાં બેસવાનું કહે તો કઈ મા પોતે માંદી પડશે એવી ચિંતા કરે? મામાના મનમાં આવે કે, ભાણેજને કહે કે, દીકરા, અમે તો ગામડામાં આમ જ ખાવા-પીવા ટેવાયેલાં છીએ, પણ એ નીચી મૂંડી કરીને સાંભળી લેતા. બધા સાથે પ્રેમ અને લાગણીથી વર્તવા છતાં સૌને એની હાજરીનો, એના બેરિસ્ટર હોવાનો ભાર લાગતો અને કોઈ એની નજીક ન આવી શકતું એ બલવીર સમજતો અને પોતાની જાતને વધુ ને વધુ એકલવાયી અનુભવતો.

તે દિવસે એણે કોર્ટમાંથી આવીને ઘરમાં પગ મૂક્યો ત્યારે ખુલ્લા દરવાજામાંથી એ ક્યારે પ્રવેશ્યો એ કોઈને ખબર નહોતી. વરંડામાં બેસીને જસપ્રીત અચાનક ગામથી આવેલાં પોતાનાં નણંદ અને દિયરને કહી રહી હતી, “આજે તો મેં આપણને બધાંને ભાવતું બેંગનનું ભરતું બનાવ્યું છે. તમારા ભાઈને તો બેંગનની વાસથી જ સૂગ ચઢે એટલે ખાવાનું મન થાય તો ય મારાથી બનાવાય જ નહીં. આપણે બધાં રસોડામાં જમીશું ને એમની થાળી પીરસીને હું રૂમમાં મોકલી દઈશ.”

“પણ ભાભી, જમતી વખતે હસી-મજાક કરતાં જમીએ તો કેવી મજા આવે? મોટાભાઈને આમ એકલા જમવાનું થોડું ગમે?”

“અરે, દીદી, હસવાની ક્યાં વાત કરો છો? હવે અમારાં બે વચ્ચે તો ખપ પૂરતી જ વાત થાય.”

બલવીર ચૂપચાપ રૂમમાં કોટ ઉતારવા ચાલ્યો ગયો. એને જોઈને સૌના હસતા ચહેરા પર અચાનક ગંભીરતા ઊતરી આવી. બેને ઊભાં થઈને એની નજીક જવાનો પ્રયત્ન કર્યો પણ પછી દૂરથી જ કહ્યું, “વીરજી, તમને મારા હાથની ફિરની બહુ ભાવે છે ને, તે ખાસ લાવી છું.”

સુખબીરે જાણે વિવેક ખાતર પૂછ્યું, “મોટાભાઈ, તબિયત સારી છે ને? કેમ સુકાઈ ગયા છો?”

“ના,ના, સારું છે. ગામમાં બધાં કેમ છે?”

“બધાં મજામાં.”

બસ, ત્યાં વાતનો અંત આવી ગયો. આગળ શું બોલવું એ સમજ ન પડતાં નણંદ-ભોજાઈ જમવાની તૈયારી કરવા લાગ્યાં. સુખબીર વિચારવા લાગ્યો, હવે મોટાભાઈની દુનિયા બદલાઈ ગઈ છે. એમની દેશ-વિદેશની અને રાજકરણની વાતમાં મારી જેવાને કંઈ ગતાગમ પડે નહીં. એમની સાથે બોલું તો શું બોલું? એ જ વખતે બલવીરના મનમાં વિચારોનો વંટોળ ઊઠ્યો હતો, ‘મને કોણે બધાંથી જુદો પાડ્યો? મારા ભણતરે, મારા સ્વભાવે કે મારી શ્રીમંતાઈએ?’

બલવીર અને જસપ્રીત બંને ઘણા સમયથી માને બોલાવતાં હતાં.

આખરે આજે મા આવી હતી. જસપ્રીતે કહ્યું, “મા, તમારો દીકરો તમને કેટલું યાદ કરતો હતો! આજે તો તમે બંને એક રૂમમાં સૂજો ને પેટ ભરીને વાતો કરજો.” બલવીરના ચહેરા પર માને જોઈને ખુશી છવાઈ ગઈ.

“મા, મજામાં છે ને?”

દોડીને દીકરાને ગળે વળગાડવા જતી મા અચકાઈને ઊભી રહી ગઈ. ‘મારા મેલા-ઘેલા હાથથી એનાં કપડાં પર ડાઘ પડી જશે તો?’ એણે દુપટ્ટાથી હાથ લૂછ્યા ને પછી બલવીરને ગળે લગાડવા ગઈ પણ એને દીકરાની ઊંચાઈ વધી ગયેલી લાગી, એણે ભેટવાનો પ્રયત્ન તો કર્યો પણ એના હાથોમાં પહેલાં જેવી ઉષ્મા નહોતી એવું એને પોતાને જ લાગ્યું.

રાત્રે બલવીરે કહ્યું, “મા, માથું બહુ દુ:ખે છે, દાબી આપ ને!”

ખાટલામાં એની બાજુમાં બેઠેલી માને એનું માથું પોતાના ખોળામાં લેવાની તીવ્ર ઇચ્છા થઈ પણ પછી થયું કે, ‘એને નહીં ગમે તો?’

ધીમેથી માથું દબાવતી માને બલવીરે કહ્યું, “મા, પહેલાં કેવું જોરમાં દબાવતી હતી? આજે કેમ તારા હાથમાં જોર નથી?”

એ ન જુએ એમ દુપટ્ટાથી આંખો લૂછતાં માએ કહ્યું, “બધું કંઈ પહેલાં જેવું હંમેશાં થોડું રહે? એ તો બદલાયા કરે.”

બલવીર સમજી ગયો કે, બેરિસ્ટરીએ એને એકલતાની ભેટ આપી છે. એને કારણે બીજા બધાથી તો ઠીક, એ માથી પણ દૂર ચાલ્યો ગયો છે.

(કુલવંત સીંઘ વીર્કની પંજાબી વાર્તાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 મે 2025; પૃ. 24  

Loading

...102030...191192193194...200210220...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved