Opinion Magazine
Number of visits: 10081063
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેવભૂમિમાં સંસ્કૃત ભાષા પડી કચરાટોપલીમાં!

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|10 November 2025

હેમન્તકુમાર શાહ

હું ઉત્તરાખંડના દેહરાદૂન પછીના વસ્તીની દૃષ્ટિએ સૌથી મોટા આશરે સાત લાખની વસ્તી ધરાવતા અને દિલ્હીથી નૈનિતાલ જતાં રસ્તામાં આવતા શહેર હલદ્વાનીના એસ.ટી. બસ સ્ટેન્ડ પર દિલ્હી જતી બસની રાહ જોતો ગઈ કાલે બપોરે બેઠો હતો.

એનો એક માત્ર રૂમ આશરે ૫૦ ફૂટ પહોળો અને ૭૦ ફૂટ લાંબો હશે. આખું બસ સ્ટેશન ૨૦૦ ફૂટ પહોળું અને ૩૦૦ ફૂટ લાંબું હશે. કેટલી બધી બસ ઊભી, આડી અને ત્રાંસી ઊભી હોય અને અંદર આવવા કે બહાર જવા માટે મોટાં મોટાં હોર્ન વગાડતી હોય.

હું જે પ્રતીક્ષાલયમાં બેઠો હતો તેમાં વચ્ચે હોલ અને ત્રણ બાજુ નાનીમોટી ખુલ્લી કે બંધ ઓફિસો હતી. 

ત્યારે મારી નજર પડી એકમાત્ર એવા એક સંસ્કૃત વાક્ય પર કે જે એની દીવાલ પર ચીતરેલું હતું. અહીં એનો ફોટો આપ્યો છે. એ વાક્ય હતું : कचराम् अत्र तत्र न क्षिपेत्। તેનો અર્થ થાય છે કે “કચરો અહીં તહીં ફેંકો નહીં.”

મેં સંસ્કૃતના મારા વિદ્વાન મિત્ર ડો. રવીન્દ્ર ખાંડવાલાને પૂછ્યું તો તેમણે કહ્યું કે કચરો શબ્દ સંસ્કૃત ભાષામાં નથી. તેને માટે સંસ્કૃતમાં શબ્દ છે अवकर. પછી તેમણે કહ્યું કે બોલચાલના વ્યવહારમાં कचराम् શબ્દ લખવામાં આવ્યો છે. એ રીતે સંસ્કૃતમાં અંગ્રેજી કે ગુજરાતીના કે બીજી ભાષાઓના શબ્દો વપરાય ખરા. સરસ. પણ આ લખાવનારને अवकर શબ્દની ખબર હશે? કદાચ એને એમ થયું હશે કે જો अवकर શબ્દ લખવામાં આવશે તો તો આખું કોળું શાકમાં જશે! કોઈને કશી સમજણ જ નહીં પડે. એટલે कचरा શબ્દની પાછળ म् લગાડી દીધો! હિંદુ રાષ્ટ્રના માંધાતાઓને એનાથી સંતોષ થાય! 

આખા પ્રતીક્ષા ખંડમાં આ એક જ વાક્ય સંસ્કૃતમાં લખેલું. રાજ્યના બસ નિગમે એમ ધારી લીધું હશે કે આ વાક્યથી લોકોને આટલું સંસ્કૃત તો આવડી જ જશે. વાક્ય વાંચીએ તો क्षिपेत् એટલે શું એની ખબર તો આપોઆપ જ પડી જ જાય ને!

રાજ્યની ભા.જ.પ.ની સરકારોને લોકોને સંસ્કૃત શીખવવા માત્ર કચરો જ મળ્યો એ જોઈને આશ્ચર્ય થયું. બાકી આખા હલદ્વાની શહેરમાં એના મુખ્ય માર્ગ પર ક્યાં ય સંસ્કૃત દેખાય નહીં, સરકારી કચેરીઓનાં પાટિયાં ઉપર પણ નહીં! લોકોને સંસ્કૃત શીખવવાનો ભા.જ.પ.ની સરકારોનો અભરખો તો જુઓ! 

ઉત્તરા ખંડમાં ૨૦૧૦માં હિન્દીની સાથે સાથે સંસ્કૃતને સત્તાવાર ભાષા જાહેર કરવામાં આવી. પણ ૨૦૧૮માં સંસ્કૃત બોલનારા લોકો આખા રાજ્યમાં લગભગ સવા કરોડની વસ્તીમાં માત્ર ૪૨૨ છે એમ જાણવા મળે છે. ૧૫ વર્ષમાં આટલો વિકાસ તો થયો જ! 

ઉત્તરા ખંડને ત્યાંના લોકો વળી પાછા દેવભૂમિ કહે છે! એ પણ એક જબરી વાત છે. આ પણ હમણાં હમણાં જ વધારે ચલણમાં આવ્યું છે. ત્યાં પ્રસિદ્ધ ચાર ધામ છે એટલે જ એવું હશે. પણ સવાલ એ થાય કે શું ભારતની બાકીની ભૂમિ દાનવભૂમિ છે?

અને દેવભૂમિમાં સંસ્કૃત ભાષાને આવી રીતે માત્ર કચરો નાખવા માટે જ વાપરવાની? હિંદુ રાષ્ટ્ર આવી રીતે જ બને ને!

તા.૧૦-૧૧-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઉંમર

હિતેશ રાઠોડ|Opinion - Opinion|9 November 2025

લઘુકથા

શ્રાવણી સરેવડા શરૂ થાય એ પહેલાના અષાઢના આખરી દિવસો ઓસરી રહ્યા હતા, છતાં બાફ અને ઉકળાટ ઓછા થવાનું નામ લેતા નહોતા. અસહ્ય બફારા વચ્ચે રોજની જેમ અમે સૌ સ્ટાફ મિત્રોએ ઑફિસની પહેલી ચા માટે કેન્ટિન તરફ પ્રયાણ કર્યું. બહુમાળી ઈમારતના ચોથા મજલે આવેલ કેન્ટિનની બહાર બેસવાની જગ્યા ન મળતા રોજિંદી ટેવ મુજબ અમે સૌ પગથિયા પર ઉપર-નીચે આડા-અવળા ગોઠવાઈ ગયા. મારી બાજુમાં એક વૃદ્ધજન બેઠા હતા. સફેદ ટી-શર્ટ અને ઘેરા કાળા રંગના પાટલૂનધારી એ વયોવૃદ્ધ વડીલની ઊંડે ઉતરી ગયેલ આંખોમાં કંઈક અંશે કળી શકાય એવી વેદના તગતગતી હતી, પણ એ વેદનાને વાંચનાર કે એમની આપવીતી સાંભળનાર કદાચ હવે કોઈ એમની પાસે નહોતું! એક સમયે ઘરના મોભી રહ્યા હશે એવા એ વૃદ્ધજન આજે પગથિયા પર અમારી સાથે છતાં સાવ એકલા-અટૂલા નિ:શબ્દ બેઠા હતા. 

ચાની રાહ જોતા અમે સૌ આડી-અવળી વાતોએ વળગ્યા. એટલામાં ચા આવી. અમારી પાસે બેઠેલ એ વૃદ્ધ વ્યક્તિને અમે ચાનો આગ્રહ કર્યો. એમણે સાભાર ઈનકાર કર્યો. વાતોના તડાકા સાથે અમે સૌ ચાની ચુસ્કી મારવા લાગ્યા. કેટલીક આડી-અવળી ચર્ચાઓ અને અલકમલકની વાતો અમારી વચ્ચે થઈ.

દરમિયાન અમારા સ્ટાફમાંનાં એક મહિલા કર્મીએ સહજ ભાવે એ વૃદ્ધ સાથે વાત કરવા પ્રયાસ કર્યો. એ મહિલા કર્મીએ વૃદ્ધને શું પૂછ્યું એ તો ન સંભળાયું પણ જવાબમાં એ વૃદ્ધજનના ત્રૂટક-ત્રૂટક શબ્દોનો મર્મ હું પામી ગયો. એમના કહેવાનો ભાવાર્થ કદાચ એવો હતો કે મારી દીકરી તો મને બહુ સારી રીતે સાચવે છે, પણ …, પણ પછી આગળના શબ્દો એ વડીલના મોંએથી ન નીકળ્યા! એમનાથી આગળ બોલી શકાયું નહીં. કદાચ એ બોલવા માગતા પણ નહોતા. એ વૃદ્ધની ઊંડે ઉતરી ગયેલ આંખોમાં જળજળિયાં આવી ગયાં. ઉંમરને આંબવા આવેલ એ વૃદ્ધજનની આંખના અશ્રુઓએ મને અવાચક બનાવી દીધો. હું એ વડીલની વાતનો મર્મ પામી ગયો. એમની વાત એવી હતી કે દીકરો-વહુ એમને સાચવતા નથી એટલે નાછૂટકે એમણે હવે દીકરીના ઘેર રહેવું પડતું હશે. જીવનના સંધ્યાકાળ અને પાછલી અવસ્થાએ છતે દીકરા-વહુએ દીકરીના ઘરે રહેવું પડે એ બાપને કેટલું વસમું લાગતું હશે, એનો અંદાજ એમના ચહેરાના હાવભાવ પરથી આવી ગયો. એમની આંખોમાં ડોકાતા ઘણા પ્રશ્નોના જવાબ કહ્યા વિના જ અમને મળી ગયા. નાનકડી એવી આ ઘટના સમાજની એક એવી કરુણતા છતી કરી ગઈ, જેનો ઉકેલ કદાચ આપણી સમાજ વ્યવસ્થામાં નથી. એ વૃદ્ધ પણ ક્યારેક યુવાન રહ્યા હશે, ઘરનો મોભ રહ્યા હશે અને કંઈ કેટલાયના જીવનનો સહારો રહ્યા હશે. આજે જીવનની આથમતી સંધ્યાએ જ્યારે એમને સહારાની જરૂર છે ત્યારે એમનો સગો દીકરો પણ એમનો સહારો બનવા રાજી નથી એ પરિસ્થિતિ એ વૃદ્ધજન માટે કેટલી કપરી હશે એ એમના ચહેરા પરથી કળી શકાતું હતું!

e.mail : h79.hitesh@gmail.com 

Loading

મલાલા યુસૂફજઈ : મહાનતાના બોજથી સ્વયં બનવાની સરળતા સુધી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|9 November 2025

રાજ ગોસ્વામી

લગભગ 400 વર્ષ પહેલાં, વિલિયમ શેક્સપિયરે તેમના કોમેડી નાટક ‘ટ્વેલ્થ નાઈટ’માં લખ્યું હતું, ‘અમુક લોકો જન્મથી મહાન હોય છે, અમુક મહાનતા હાંસલ કરે છે, અને અમુક પર મહાનતા થોપવામાં આવે છે.’

શેક્સપિયર રાજાઓ અને ઉમરાવોના જમાનામાં રહેતા હતા, જ્યાં લોકોને પદ-પ્રતિષ્ઠા પેરેન્ટ્સ તરફથી વારસામાં મળતી હતી. અમુક લોકો મહેલમાં જન્મ્યા હોવાથી મહાન હતા, અમુક લોકો ઉત્તમ નેતા બનીને મહાન બનતા હતા અને અમુક લોકો નકામા હોવા છતાં મહાન ગણાઇ જતા હતા. 

આજે રાજા-રજવાડાં નથી પણ મીડિયા છે અને સાર્વજનિક જીવન છે, જે લોકોને મહાન બનાવી દે છે. એનું જીવતું ઉદાહરણ છે પાકિસ્તાનની માનવાધિકાર કાર્યકર મલાલા યુસૂફજઈ. માત્ર 15 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય મીડિયાની ‘ડાર્લિંગ’ બની ગયેલી મલાલાએ તેના એક નવા પુસ્તકમાં એકરાર કર્યો છે કે તેને જે રીતે એક હિરોઈન બનાવી દેવામાં આવી છે તેવી તે અસલમાં છે નહીં.

15 વર્ષની ઉંમરે તાલિબાનોના હુમલામાંથી પોતાનો જીવ બચાવીને અને આ કટ્ટરપંથીઓનાં કુકર્મો પર ડાયરી લખીને મલાલા દુનિયામાં ‘સાહસ’, ‘ત્યાગ’ અને ‘સ્ત્રી શક્તિ’નું પ્રતિક બની ગઈ હતી. તેને નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો, તેને સંયુક્ત રાષ્ટ્રમાં ભાષણ આપવા માટે બોલાવામાં આવી હતી, અને તે શિક્ષણના અધિકાર માટેનો વૈશ્વિક અવાજ બની ગઈ હતી. 

આ બધી ઘટનાઓનું વર્ણન કરતાં, મલાલા તેના નવા સંસ્મરણ ‘ફાઈન્ડિંગ માય વે’માં તેની આ પ્રસિદ્ધ ઈમેજને નકારે છે અને લખે છે, ‘હું ડરતી પણ હતી, હું ભૂલ પણ કરતી હતી, પણ લોકોએ મારી એવી ઈમેજ બનાવી દીધી જાણે હું કોઈ સંત કે દેવી હોઉં. એ લોકોનએ મને એક એવી સદાચારી, કર્તવ્યનિષ્ઠ હિરોઈન બનાવી દીધી હતી, જેને હું પોતે ઓળખતી નહોતી.’

15 વર્ષની ઉંમરે જ્યારે મલાલાને તાલિબાનોએ માથામાં ગોળી મારી હતી કારણ કે તેણે શાળાએ જવાની ગુસ્તાખી કરી હતી, ત્યારે આખી દુનિયાએ તેને ‘સાહસ’ની પ્રતિમા તરીકે જોઈ હતી. તેની એ વાર્તા તેના પ્રથમ પુસ્તક ‘આઇ એમ મલાલા’માં નોંધવામાં આવી છે જેણે શિક્ષણના અધિકાર માટે અવાજ ઉઠાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો.

પરંતુ હવે 28 વર્ષની ઉંમરે એક નવા પુસ્તક મારફતે તે આપણને યાદ અપાવે છે કે તે દુનિયાની કલ્પના પર કબજો જમાવીને બેઠેલી ‘હંમેશાં બહાદુર અને અડગ’ મલાલા નથી. તે કહે છે; ‘જ્યારે પણ લોકો મને મળે છે, ત્યારે તેઓ મને ‘બહાદુર’ અને ‘મજબૂત’ કહે છે. ત્યારે હું અટકીને વિચારું છું – શું હું ખરેખર આ શબ્દોમાં ખરી ઉતરું છું?’

તેના આ સવાલમાં ઊંડું આત્મ-નિરીક્ષણ છે. તે સ્વીકારે છે કે તે દરેક હરહંમેશ આત્મવિશ્વાસી અથવા નિડર નથી હોતી. બીજા દરેક માણસોની જેમ, તેની અંદર પણ ક્યારેક ડર, સંશય અને કમજોરીની ક્ષણો આવે છે. મલાલા ઇચ્છે છે કે લોકો તેની નવી આત્મકથા વાંચીને સમજશે કે ‘હીરો’ બનાવી દેવાયેલા લોકો પણ ક્યારેક અસુરક્ષિત અનુભવ કરે છે, તેમને પણ પોતાને લઈને શંકા થાય છે.

મલાલાના આ શબ્દોનો સાચો અર્થ એ છે કે સાહસનો અર્થ ડરનો અભાવ નહીં, પણ ડર હોવા છતાં આગળ વધતા રહેવાનો થાય છે. મલાલા આ પુસ્તકમાં કહે છે કે તેના જીવનની કહાની હવે 15ની એ છોકરીની નથી રહી જેણે ગોળી ખાધી હતી પણ તે સ્ત્રીની છે જે આજે પણ પોતાને સમજવાના, સ્વીકારવાના અને પોતાનો માર્ગ શોધવાની યાત્રા પર છે. તેનું આ બયાન આપણને એ સમજવામાં મદદ કરે છે કે પ્રેરણાદાયક વ્યક્તિત્વની પાછળ પણ એક એવો સામાન્ય, સંવેદનાપૂર્ણ માણસ છુપાયેલો હોય છે – જે ક્યારેક નબળો પડી શકે છે, પરંતુ તેમ છતાં સત્યના માર્ગ પર ચાલતો રહે છે.

પ્રસિદ્ધ થઇ જવાની આ સમસ્યા છે. સમાજ પછી તેને માણસ તરીકે જોવાનું બંધ કરી દે છે અને પોતાની કલ્પનાનું પ્રતિક બનાવી દે છે. શેક્સપિયરનાં શબ્દોમાં કહીએ તો – મલાલા એક સાધારણ છોકરી હતી, પણ તેના પર મહાનતા લાદવામાં આવી હતી. 

માલાલા હવે 28 વર્ષાની છે. તે લખે છે કે ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાં તેણે પ્રથમ વખત એક એવી ‘સામાન્ય છોકરી’ની જેમ જીવવાની ઇચ્છા કરી હતી, જે મિત્રો બનાવતી હોય, ટેલીવિઝન જોતી હોય, ભૂલો કરતી હોય અને ક્યારેક ક્યારેક ઉદાસ પણ થતી હોય. લોકો તેને ‘મલાલા ધ સિંબલ’ તરીકે ઓળખતા હતા, પરંતુ તે ઇચ્છતી હતી કે તેઓ તેને ‘માલાલા ધ સ્ટૂડન્ટ’ કહે. મલાલાને ઘણી વાર પેનિક એટેક અને પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસનો સામનો કરવો પડ્યો હતો. તેણે થેરાપિ લીધી હતી, લગ્નને લઈને આસમંજસ અનુભવી હતી. આ બધું તેણે પહેલીવાર લખ્યું છે, જેથી લોકોના મનમાંથી ‘મહાન મલાલા’ની ઈમેજ દૂર થાય.

એમાં તો શેક્સપિયરના વિધાનનો બીજો હિસ્સો પણ મલાલા પર લાગુ થાય છે – તેણે મહાનતા હાંસલ કરી છે. મલાલાએ નિડરતાપૂર્વક પોતાનો અવાજ ઉઠાવ્યો છે અને છોકરીઓનાં શિક્ષણની લડાઈ જીતી છે તે વાત પણ એટલી જ સાચી છે, પણ આ નવું પુસ્તક કહે છે કે આ ‘મહાનતા’ માત્ર પ્રેરણા નથી, એક ભાર પણ છે. 

મીડિયા અને સમાજે ‘દેવી-સમાન’ મલાલાની જે ઈમેજ બનાવેલી છે તેમાં એક કિશોરીની માનવીય થકાવટ, ગુસ્સો, અને મૂંઝવણ માટે કોઈ જગ્યા નહોતી. તે લખે છે, ‘હું આ ઈમેજમાં મને ઓળખી શકી નથી. તે મલાલા મારી નથી.’ આ સ્વીકાર માત્ર સાહસિક નથી, પરંતુ મુક્તિનો સૂચક છે. મલાલા કહે છે કે આપણે દુનિયાએ આપેલા લેબલ કરતાં પણ વધુ કૈંક છીએ. 

‘મહાન’ બનવાની પ્રક્રિયામાં ઘણી વાર વ્યક્તિ પોતાની નિજતા ગુમાવી દે છે. મલાલા કોઈ યુદ્ધનો ચહેરો બનવા માંગતી નહોતી, તેને તો કેવળ શાળાએ જવું હતું. પણ જ્યારે તેના પર ગોળી ચાલી, તો તેની વાર્તા તેના હાથમાંથી નીકળી ગઈ અને દુનિયાએ નક્કી કર્યું કે એ કોણ છે અને તેણે શું કરવું જોઈએ. 

આને જ મહાનતા લાદી કહેવાય. શેક્સપિયરનું કથન આજે પણ એટલું જ પ્રાસંગિક છે. મહાનતાનો  અર્થ માત્ર ઊંચાઈ નહીં, ગહેરાઈ પણ થાય છે. મહાન બનવું એટલે માત્ર દુનિયાને બદલવાની તાકાત નથી – તે પોતાને ઓળખવાની, સ્વીકારવાની અને સામાન્ય માણસ બની રહેવાની ક્ષમતા પણ છે. કદાચ સાચી મહાનતા એ જ છે – જ્યારે વ્યક્તિ ‘મહાન’ બનવાને બદલે ‘સ્વયં’ બની રહે છે.

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 08 નવેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...193194195196...200210220...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved