મુંબઈમાં વિડલાઈ પાડલાઈ ક્યાં આવ્યું, ખબર છે?
ઇતિહાસ રચ્યો બે એરોપ્લેને અહીં ઊતરીને
ગાંધીજીનો એ પ્રખ્યાત ફોટો ક્યાં લેવાયેલો?
શનિવાર, ૧૫ ઓક્ટોબર, ૧૯૩૨. વિલે પાર્લેનો ઘોડ બંદર રોડ વહેલી સવારથી ધમધમતો હતો. કારણ આજે અહીં ઇતિહાસ રચાવાનો હતો. માત્ર વિલે પાર્લે માટે નહિ, માત્ર મુંબઈ શહેર માટે નહિ. આખા દેશના ઇતિહાસમાં આજનો દિવસ સોનેરી અક્ષરે લખાવાનો હતો. ઘોડ બંદર રોડની પશ્ચિમે ૧૯૨૮માં તૈયાર થઈ હતી એક નાનકડી, સાંકડી, કાચી માટીની બનેલી હવાઈ પટ્ટી. એ વખતે નવી શરૂ થયેલી બોમ્બે ફ્લાઈંગ ક્લબ વિમાન કેમ ઉડાડવું તેની તાલીમ ત્યાં આપતી હતી. એટલે ઘણા લાંબા વખત સુધી લોકો એને ‘ફ્લાઈંગ ક્લબ એરોડ્રોમ’ તરીકે ઓળખતા. ૧૯૩૨ સુધીમાં હવાઈ પટ્ટી થોડી સુધરી હતી. નક્કી થયેલા સમયે આકાશમાં જાણે મોટું મગતરું ઊડતું હોય એવું દેખાયું. એ જેમ જેમ પાસે અને નીચે આવતું ગયું તેમ તેમ મોટું ને મોટું લાગવા માંડ્યું. હવાઈ પટ્ટીને છેડે એક ઝૂંપડું હતું. માથે છાપરું, તો કે તાડનાં સૂકાં પાંદડાંનું. એ ઝૂંપડાની બહાર એક પાટિયું લટકતું હતું: Tata Air Services.
અને થોડી વાર પછી મગતરું ધીમે ધીમે વિમાન પટ્ટી પર ઊતર્યું. એ હતું હેવીલેન્ડ નામની કંપનીએ બનાવેલું એક એન્જિનવાળું પુસ મોથ વિમાન. કરાચીથી આ વિમાન વહેલી સવારે ઊપડ્યું હતું, એક રસ્તાને રન-વે બનાવીને. વચમાં અમદાવાદ રોકાઈને તે જુહુ એરપોર્ટ પર ઊતર્યું હતું. તેમાંથી ઊતર્યો એક ૨૮ વરસનો તરવરતો પારસી યુવાન. સાથે લાવ્યો હતો આજના ૨૫ કિલો જેટલી ટપાલ ભરેલા કોથળા. એ યુવાન એટલે જે.આર.ડી. તાતા, આપણા દેશની વિમાન સેવાના જનક. ૧૯૦૪ના જુલાઈની ૨૯મી તારીખે પેરિસમાં જન્મ. પિતા રતનજી દાદાભાઈ તાતા અને માતા હતાં ફ્રેંચ બાનુ નામે સુન્ની. ૧૯૨૯ના ફેબ્રુઆરીની ૧૦મી તારીખે એક ઇન્સટ્રક્ટરની સાથે સાડા ત્રણ કલાક વિમાન ઉડાડ્યા પછી પાઈલટ તરીકેનું લાઈસન્સ મેળવ્યું હતું. ૧૯૨૯માં ફ્રેંચ નાગરિકત્વનો ત્યાગ કરીને જહાંગીરજી હિન્દુસ્તાન આવ્યા અને આ દેશના નાગરિક બન્યા.
જૂહુ એરોડ્રોમ પર ઊતર્યા પછી જે.આર.ડી. તાતા અને સાથીઓ
દેશની પહેલવહેલી વિમાની કંપની તાતા એર સર્વિસિસનાં વિમાનોએ પહેલે જ વરસે ૨,૫૭,૪૯૫ કિલોમિટર જેટલી ઉડાનો ભરી હતી. ૧૫૫ મુસાફરોની હેરફેર કરી હતી અને ૧૦ ટન જેટલી ટપાલને દેશના જુદા જુદા ખૂણે પહોંચાડી હતી. એ જ વરસે તેની સૌથી લાંબા અંતરની વિમાની સેવા કરાચી અને ત્રિવેન્દ્રમ વચ્ચે શરૂ થઈ. તેમં ફક્ત છ મુસાફર બેસી શકતા, અને એ પણ ટપાલના કોથળા પર! બીજો કોઈ દેશ હોત તો આ ઐતિહાસિક પ્રસંગની યાદગીરીમાં વિલે પાર્લેમાં મોટું મ્યુઝિયમ બાંધ્યું હોત. વિમાન નહિ તો તેનું મોડેલ મૂક્યું હોત. પણ … જવા દો. તાતા એર સર્વિસિસની એ ઝૂંપડી ચોક્કસ કયે સ્થળે આવેલી એની ય આજે ખબર નથી. અરે, આ એરોડ્રોમ દેશનું સૌથી પહેલું એરોડ્રોમ છે એવું એકાદ પાટિયું પણ ક્યાં ય લગાડવાની તસ્દી આપણે લીધી નથી.
આજના ભારતનું પહેલવહેલું એરોડ્રોમ જ્યાં આવેલું છે એ વિલે પાર્લેનો પણ જે થોડો ઘણો ઇતિહાસ જળવાયો છે તે ભાતીગળ છે. મૂળ તો સાંતા ક્રુઝ પછીનાં બે ગામડાં. એકનું નામ પાડલે અને બીજાનું નામ ઇડલે. આજે જે ઈર્લાનું નાળું છે તે મૂળ તો હતી નાનકડી નદી. એ આ બે ગામડાંને જૂદાં પાડે. નદીની દક્ષિણે પાડલે, ઉત્તરે ઇડલે. આજે પણ વિલે પાર્લેની હદ નાળાની દક્ષિણે પૂરી થાય છે અને ઉત્તરે ઈર્લાની હદ શરૂ થાય છે જે અંધેરીનો એક ભાગ બની ગયું છે. મૂળ વસ્તી માછીમાર કોળીઓની અને ભંડારી અને આગરી જેવા ખેડૂતોની. તેમાંના મોટા ભાગના ખ્રિસ્તી. આજે પણ વિલે પાર્લે વેસ્ટમાં ખ્રિસ્તી દેવળો અને શિક્ષણ સંસ્થાઓ સારી એવી સંખ્યામાં જોવા મળે છે, અને અમુક વિસ્તાર પણ ખ્રિસ્તી વાડા તરીકે ઓળખાય છે.
મુંબઈમાં પ્લેગની મહામારી ફેલાઈ ત્યારે જેમ તળ મુંબઈથી લોકો સાંતાક્રુઝ રહેવા આવ્યા તેમ પાડલે અને ઈડલે એ બે ગામડાંમાં પણ રહેવા આવ્યા. ૧૯૦૬માં જ્યારે બી.બી.સી.આઈ. રેલવેએ સ્ટેશન બાંધ્યું ત્યારે તેનું નામ હતું ‘વિડલાઈ પાડલાઈ’! પછી વખત જતાં તેમાંથી થયું વિલે પાર્લે. તો બીજા મત પ્રમાણે આ નામ અહીંનાં બે મંદિરો પરથી પડ્યું છે: વિરલેશ્વર અને પાર્લેશ્વર. ખેર, ધીમે ધીમે અહીંની વસ્તીનું સ્વરૂપ બદલાતું ગયું. પશ્ચિમમાં ગુજરાતી વસ્તી વધતી ગઈ અને પૂર્વમાં મરાઠી, મુખ્યત્વે પૂણેકર મરાઠીઓની વસ્તી વધતી ગઈ. જો કે ઘણા વિસ્તારોમાં બંનેની વસ્તી જોડાજોડ પણ રહી. પાર્લા ઇસ્ટમાં સ્ટેશનની સામે એક મહેલ જેવો બંગલો ૧૯૦૪મા બંધાયો, નામ મોર બંગલો. નાનપણમાં ટ્રેનની બારીમાંથી મોર બંગલો ઘણી વાર જોયાનું આ લખનારને યાદ છે. એ બંધાવેલો ગોરધનદાસ ગોકુલદાસ તેજપાલે. બંગલાને માથે હતો રંગબેરંગી કાચની કપચીથી મઢેલો ઘુમ્મટ, અને તેને માથે હતો પિત્તળનો વિશાળકાય મોર. એટલે મોર બંગલો નામ. તેની આસપાસની ઘણી જમીન પણ ગોકુલદાસ તેજપાલ ઘરાણાની. ૧૯૪૨માં વારસદારોએ બંગલો, જમીન-જાયદાદ જૂદા જૂદા લોકોને વેચી દીધાં. છતાં ૧૯૫૭ સુધી, ભલે ભગ્નાવસ્થામાં, પણ મોર બંગલો હયાત હતો. આજે એ જગ્યાએ દીનાનાથ મંગેશકર નાટ્યગૃહ અને મ્યુનિસિપલ માર્કેટ આવેલાં છે. બાકીની કેટલીક જગ્યા પર તેજપાલ સ્કીમની ઇમારતો ઊભી છે.
જૂહુને કિનારે પૌત્ર સાથે ગાંધીજી
તો બીજે છેડે પાર્લા વેસ્ટમાં જૂહુના દરિયા કિનારે આવેલો એક બંગલો અનેક રૂપાંતરો પછી પણ નામ અને મહત્ત્વ જાળવી રહ્યો છે, જાનકી કુટિર. બજાજ કુટુંબે આ બંગલો બંધાવીને જમનાલાલ બજાજનાં પત્નીનું નામ એ બંગલાને આપ્યું. જમનાલાલ બજાજને એ વખતે ઘણા ગાંધીજીનો પાંચમો દીકરો કહેતા. જાનકી દેવી (૧૮૯૩-૧૯૭૯) પણ ગાંધીવાદી રંગે રંગાયેલાં હતાં. ગાંધીજી મુંબઈ આવતા ત્યારે ઘણી વાર આ જાનકી કુટિરમાં ઉતરતા. અહીં હોય ત્યારે નજીકના જૂહુ કિનારે સાંજે જાહેર પ્રાર્થના સભામાં પ્રવચન કરતા. ગાંધીજીનો એક ફોટો ખૂબ જાણીતો છે. દરિયા કિનારે ગાંધીજી લાકડી લઈને ચાલે છે. લાકડીનો એક છેડો તેમના હાથમાં છે, બીજો એક નાનકડા છોકરાના હાથમાં – જાણે ગાંધીજીને દોરીને લઈ જતો ન હોય! આ ફોટાને ઘણી વાર દાંડી કૂચ વખતના ફોટા તરીકે ઓળખાવવામાં આવે છે. પણ હકીકતમાં આ ફોટો જૂહુના દરિયા કિનારે લેવાયો હતો. ૧૯૩૭માં માંદગી પછી આરામ લેવા ગાંધીજી જાનકી કુટિરમાં રહેલા એ વખતનો છે. અને ફોટામાંનો છોકરો એ ગાંધીજીનો પૌત્ર કનુ રામદાસ ગાંધી છે.
પૃથ્વીરાજ કપૂર અને પૃથ્વી થિયેટરના માનમાં ટપાલ ટિકિટ
મોર બંગલાની જગ્યાએ આજે દીનાનાથ ઊભું છે, તો જાનકી કુટિરના પરિસરમાં પૃથ્વી થિયેટર ઊભું છે. દીનાનાથ મરાઠી રંગભૂમિનું કેન્દ્ર, તો પૃથ્વી પરંપરાગત નહિ તેવી રંગભૂમિનું કેન્દ્ર. ‘પૃથ્વી થિયેટર’ એ મૂળ તો ૧૯૪૨માં શરૂ થયેલી પૃથ્વીરાજ કપૂરની નાટક મંડળીનું નામ. પણ એનું કોઈ કાયમી સરનામું નહોતું. નાટકો ભજવવા માટે પૃથ્વીરાજ આખા દેશમાં ફર્યા કરતા. શરૂઆત કરેલી કવિ કાલિદાસના જગવિખ્યાત નાટક શાકુન્તલથી. એ પછી ભજવ્યાં દીવાર, પઠાણ, ગદ્દાર, આહુતિ, કલાકાર, પૈસા, કિસાન જેવાં નાટકો. સાથોસાથ કોઈ ને કોઈ ઉમદા કામ માટે ફંડફાળો પણ ઉઘરાવતા. ખેલ પૂરો થાય ત્યારે પૃથ્વીરાજ પોતે હાથમાં મોટી ચાદર લઈને બારણા પાસે ઊભા રહેતા. કોઈ પાસે પૈસા માગવાના નહિ. જે સ્વેચ્છાએ ઝોળીમાં પડે તે આંખ-માથા પર. પોતે ફિલ્મોમાં જે કમાતા એ આ નાટકો પાછળ ખરચતા. પોતાની નાટક મંડળીને માટે કાયમી જગ્યા હોય એવું સપનું. ૧૯૬૨માં આ જાનકી કુટિર વિસ્તારમાં જમીનનો નાનકડો ટુકડો લીઝ પર મેળવ્યો. ૧૯૭૨માં તેમનું અવસાન થયું અને એ જ વરસે પ્લોટનું લીઝ પણ પૂરું થયું. શશી કપૂર અને જેનિફર કેન્ડલે એ પ્લોટ ખરીદી લીધો. ત્યાં બંધાયેલા પૃથ્વી થિયેટરનું ઉદ્ઘાટન ૧૯૭૮ના નવેમ્બરની પાંચમી તારીખે જી.પી. દેશપાંડેના ઉધ્વસ્ત ધર્મશાળા નાટકના પ્રયોગથી થયું.
જુહુ એરોડ્રોમ પર મગતરા જેવું એરોપ્લેન ઊતર્યું એ ઐતિહાસિક ઘટનાની વાતથી શરૂઆત કરેલી. એ જ જૂહુ એરોડ્રોમ પર એક મહાકાય એરોપ્લેન ભૂલથી ઊતરી ગયેલું એ દુર્ઘટનાથી આજની વાત પૂરી કરીએ. ૧૯૭૨ના સપ્ટેમ્બરની ૨૪મી તારીખ. રવિવારની સવારનો સમય. આપણા બહુ મોટા ગજાના લેખક ગુલાબદાસ બ્રોકર ગ્રાઉન્ડ ફ્લોર પરના ઘરના વરંડામાં કોફી પીવા બેઠા છે. કોફીના કપની બાજુમાં ચાંદીની નાની પ્લેટમાં બે બિસ્કિટ. કોફીનો કપ મોઢે માંડ્યો ન માંડ્યો ને કાનના પડદા ચીરી નાખતી ઘરઘરાટી, સાવ નજીકથી. સામે જોયું. એક વિશાળકાય એરોપ્લેન ગાંડા થયેલા હાથીની જેમ ધસમસતું આવતું હતું. ઘરની બરાબર સામે, ઘોડ બંદર રોડની સામી બાજુએ આવેલા જુહુ એરોડ્રોમના નાનકડા રન વે પર.
જુહૂ એરોડ્રોમ પર ભૂલથી ઊતરેલું વિમાન
મોત હાથવેંતમાં. ‘ભાગો, ભાગો’ એવી બૂમો પાડતા ઘરની અંદર દોડ્યા. પણ બે-ચાર ક્ષણમાં ઘરઘરાટી થંભી ગઈ. રન વે પૂરો થતો હતો ત્યાં પાણીના નિકાલ માટેની નાનકડી ખાઈ હતી. પછી એર પોર્ટની દિવાલ. પછી રસ્તો. પેલા ધસમસતા પ્લેનનું આગલું પૈડું એ ખાઈમાં ફસાઈ ગયું અને ન છૂટકે પ્લેન ઊભું રહી ગયું. જાપાન એર લાઈન્સ, ફ્લાઈટ નંબર ૪૭૨. લંડનથી ઉપડીને ફ્રેંકફર્ટ, રોમ, બૈરુત, તહેરાન, બોમ્બે, બેંગકોક, અને હોંગકોંગ થઈને ટોકિયો જવાનું હતું. ભૂલથી પાઈલટે સાંતા ક્રુઝ એરપોર્ટને બદલે જુહુ એરપોર્ટ પર ઉતારી દીધું. એક પણ જીવ ગયો નહિ, ઘણાને નાની મોટી ઈજાઓ થઈ. એ પ્લેનનો પ્રવાસ ત્યાં જ પૂરો થયો પણ ‘વિડલાઈ પાડલઈ’નો આપણો પ્રવાસ પૂરો નથી થયો.
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 24 જુલાઈ 2021
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx