આરોગ્ય રાજ્ય મંત્રીએ રાજ્યસભામાં 20 જુલાઈએ એવો દાવો કર્યો છે કે રાજ્યોમાં કે કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓક્સિજનની અછતને કારણે એક પણ મૃત્યુ નોંધાયું નથી. દેખીતું છે કે વિપક્ષોને એનો વાંધો પડે જ. પ્રજા ભક્તિભાવને કારણે આનો વાંધો ન ઉઠાવે તે સમજી શકાય, પણ તે બરાબર જાણે છે કે તેની આસપાસ એપ્રિલ, 2021માં ઓક્સિજન ન મળવાને કારણે ઘણાં લોકો મોતને ઘાટ ઊતર્યાં છે ને પ્રજા ઓક્સિજન માટે કેવી રઘવાઈ થઈને આમથી તેમ અટવાતી હતી ! સરકાર પોતે પણ જાણે છે કે તે સાચું ચિત્ર પ્રજા સમક્ષ નથી મૂકી રહી. જો કે, તે પૂરેપૂરી ખોટી નથી.
હોસ્પિટલમાં ઓક્સિજનની અછતને કારણે મૃત્યુ થયું હોય તો પણ, ડેથ સર્ટિફિકેટમાં મૃત્યુનાં કારણમાં ઓક્સિજનની અછતને કારણે મૃત્યુ – એમ લખાતું નથી, એનું કારણ આઇ.સી.એમ.આર. (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ)ની ગાઈડલાઇન છે. ગાઈડલાઇનમાં સ્પષ્ટ નિર્દેશ છે કે મૃત્યુનાં કારણમાં ‘હાઇપોક્સિયા’ કે ‘રેસ્પિરેટરી એરેસ્ટ’ એવું લખાય નહીં. એટલે આરોગ્ય રાજ્ય મંત્રી ઓક્સિજનની અછતને કારણે એક પણ મૃત્યુ થયું નથી, એમ જાહેર કરે તે સમજી શકાય પણ, આરોગ્ય રાજ્ય મંત્રી આઇ.સી.એમ.આર.ની ગાઈડલાઇન ન જાણતા હોય એવું તો કેમ માનવું? એમને એ તો ખબર હોય જ કે ગાઈડલાઇન પ્રમાણે મૃત્યુનાં કારણમાં ઓક્સિજનની અછત ડેથ સર્ટિફિકેટમાં તો કોઈ બતાવવાનું જ નથી. એ પણ જવા દઈએ, પણ મંત્રીશ્રી મીડિયામાં આવતા સમાચારો પણ નહીં જાણતા હોય એ કેવું? આંધળાને પણ દેખાય એવી વાત હોય જેમાં આખો દેશ મહામારીને કારણે ઓક્સિજનની અછતથી પીડાયો હોય ને એ ન મળતા અનેક રાજ્યોમાં ઓક્સિજનના અભાવમાં ઢગલો મૃત્યુ થયાં હોય તો સરકાર એવું જ્ઞાન કેવી રીતે કેળવી શકે કે ઓક્સિજનની અછતમાં એક પણ મૃત્યુ થયું નથી? કોરોના હોય છતાં મરનારને બીજા રોગથી મૃત્યુ થયાંનાં પ્રમાણપત્રો અપાતાં હોય તો ઓક્સિજનની અછતને બદલે મૃત્યુનાં કારણો બીજાં અપાય એવું ના બને? પણ, સરકાર છુપાવવું એને જ સત્ય માને છે.
ભારતે જ નહીં, વિશ્વના ઘણા દેશોએ મૃત્યુના આંકડા છુપાવ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ રમતો કરી છે, પણ આખું કોળું દાળમાં જવા દીધું નથી. ભારત એમ કહેતું હોય કે ઓક્સિજનની અછત સર્જાઈ જ નથી, તો ઓક્સિજન રેલવે દ્વારા પહોંચાડવાની જરૂર ઊભી કેમ થઈ કે ઓક્સિજનના પ્લાંટ્સ નાખવાનું કેમ ચાલ્યું ને ત્રીજી વેવના સ્વાગત માટે ઓક્સિજનની અછત ઊભી ન થાય એ માટેની તૈયારીઓ શોખ ખાતર કરવામાં આવી છે, એમ માનવાનું છે? જે સત્ય જગજાહેર હોય તેના પર ઢાંકપિછોડો ન કરાય, પણ સરકાર એ કરી રહી છે અને વિરોધને મામલે સરકાર એવું માને છે કે એ તો વિપક્ષોની સરકારને બદનામ કરવાની ચાલ છે. સરકારે એ ભ્રમમાંથી બહાર આવી જવાની જરૂર છે કે તેનો વિરોધ વિપક્ષ જ કરે છે. કોરોના કે મોંઘવારી વિપક્ષને જ લાગે છે એવું નથી. એ સામાન્ય માણસને પણ લાગે છે ને એને બધું દેખાય છે ને સમજાય પણ છે એટલે સરકાર કહે કે ઓક્સિજનની અછતથી મૃત્યુ થયું જ નથી તો તેને ખબર પડે છે કે સરકાર મૂરખ બનાવે છે. સરકાર કહે કે ભા.જ.પ.ની જ નહીં, પણ વિપક્ષની સરકારે પણ ઓક્સિજનની અછતથી થયેલાં મૃત્યુના આંકડા નોંધ્યા નથી તો એ પણ વિપક્ષી સરકારની ભૂલ જ છે ને આંકડા ન નોંધાય તેથી મૃત્યુ થયાં જ નથી એવું સરકાર ભલે માને, પ્રજા નહીં માને, કારણ, ઓક્સિજનના અભાવમાં મરતાં સ્વજનો સરકારે જોયાં નથી, એ પ્રજાએ જોયાં છે.
મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, તમિલનાડુ, બિહારની સરકારે પણ કેન્દ્ર્નો જ રાગ આલાપતા કહ્યું છે કે તેમનાં રાજ્યમાં પણ ઓક્સિજનના અભાવમાં કોઈનું મૃત્યુ થયું નથી. એમાં દિલ્હીની આપ સરકારનો સૂર જુદો છે. તેનું કહેવું છે કે તેમનાં રાજયમાં ઓક્સિજનની અછતથી મૃત્યુ થયાં જ છે. શિવસેનાના એક સાંસદે તો ત્યાં સુધી કહ્યું કે જેમના સંબંધી ઓક્સિજન ન મળવાને કારણે ગુજરી ગયા હોય એમણે કેન્દ્ર સરકારને કોર્ટમાં લઈ જવી જોઈએ. આ મામલે વિપક્ષોએ સંસદમાં વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવવાની વાત પણ કરી છે. કેન્દ્ર સરકાર ગમે એટલાં નાટક કરીને સત્ય છુપાવવાની કોશિશ કરે, પણ દિલ્હી, ગોવા, કર્ણાટક, આન્ધ્ર પ્રદેશ, હરિયાણા જેવાં રાજ્યોમાં આશરે બસો જેટલી વ્યક્તિઓએ ઓક્સિજનની અછતને કારણે જીવ ગુમાવ્યાનું છાપે ચડેલું જ છે, એ શું કેન્દ્રને દેખાતું નથી કે તેણે જોવું નથી?
ગુજરાતમાં ભા.જ.પ.નું શાસન છે એટલે તેના મુખ્ય મંત્રી કેન્દ્રની આરતી ઉતારે તે સમજી શકાય એવું છે. તેમણે પણ પીપૂડી વગાડી છે કે રાજ્યમાં એક પણ મૃત્યુ ઓક્સિજનના અભાવમાં થયું નથી. સાહેબ આવું અગાઉ પણ બોલી ચૂક્યા છે. ગુજરાત સરકારને ટાઢા પહોરની હાંકવામાં કોઈ પહોંચે એમ નથી. એપ્રિલમાં આખા રાજ્યની ઘાત ચાલતી હતી ત્યારે મુખ્ય મંત્રી એક તરફ ઓક્સિજનનો પૂરતો જથ્થો હોવાનું જણાવતા હતા ને બીજી તરફ બીજેથી ઓક્સિજન મેળવવાની ને ઓક્સિજન પ્લાન્ટ નાખવાની વાત કરતા હતા. અહીં સવાલ એ થાય કે જથ્થો પૂરતો હતો તો પ્લાન્ટ નાખવાની કે બીજેથી મેળવવાની વાત કેમ કરવી પડી? મુખ્ય મંત્રી ભલે કહેતા હોય કે ઓક્સિજનની કમીને કારણે કોઈ મર્યું નથી, પણ બનાસકાંઠામાં ઓક્સિજનનો પુરવઠો અચાનક ખૂટી જતાં 8 લોકો મૃત્યુ પામ્યા હતા એ વાત સિફતથી ભૂલી જવાઈ છે. સાહેબ એ પણ ભૂલી ગયા કે પૂરતી માત્રામાં ઓક્સિજન ના હોવાને કારણે સુરતની બે મોટી હોસ્પિટલો, સ્મીમેર અને સિવિલ, બંધ કરી દેવાઈ હતી. સાહેબને એ યાદ છે કે સુરતના લોકો ઓક્સિજન માટે વલખાં મારતાં હતાં ને હજીરાથી ટનબંધી ઓક્સિજન મધ્ય પ્રદેશ મોકલાયો હતો? ગુજરાત સરકારે જ કબૂલ કર્યું છે કે માર્ચ- એપ્રિલ, 2020માં જ 61,000 ડેથ સર્ટિફિકેટ ઇશ્યૂ થયાં હતાં. ત્યારે તો કોરોનાની શરૂઆત હતી, ને બધાં જ કૈં કોરોનાથી નહીં જ મર્યાં હોય, પણ ત્યારે પણ આંકડા છુપાવવાનું તો ચાલતું જ હતું ને આ કબૂલાત પણ વરસેક પછી થઈ હતી એટલે સાચું ના કહેવું એ રોગ તો કોરોના પહેલાંથી સરકારોને વળગેલો છે, પછી ઓક્સિજનની અછતને મામલે સરકાર સાચું બોલે એવી તો આશા જ કેમ રાખી શકાય? આમ આંખ આડા કાન કરવા જતાં કોઈ વાર કાન આડી આંખ થઈ જશેને તો ખુરશી દેખાતી બંધ થઈ જશે તે ભૂલવા જેવું નથી. એ ખરું કે ખોટું બોલવાથી પક્ષમાં પૂજા થાય, પણ પ્રજામાં તો વગોવણી જ થાય !
એપ્રિલ-મેમાં રોજના સાડાત્રણ લાખ લોકો દેશમાં સંક્રમિત થતા હતા, ત્રણેક હજાર જીવો જતા હતા, ઓક્સિજનની અછતને કારણે બે જ દિવસમાં 50 કોરોના દરદીઓએ જીવ ગુમાવ્યા હતા, દેશ કે રાજ્યમાં કોઈ આરોગ્ય મંત્રી છે કે કેમ તેની ય ખબર પડતી ન હતી, મીડિયા વારંવાર ઓક્સિજનની અછત અંગે ધ્યાન ખેંચતું હતું તે ત્યાં સુધી કે કોર્ટે સરકારને કહેવું પડ્યું કે ગમે તે કરો, પણ ઓક્સિજન લાવો, દિલ્હી કોર્ટે તો તારસ્વરે કહ્યું કે ઓક્સિજન સપ્લાયમાં જે કોઈ અડચણ ઊભી કરશે એને ફાંસી આપી દઇશું ને કેન્દ્ર સરકાર ઓક્સિજન એક્સ્પ્રેસ દોડાવવા કટિબદ્ધ થઈ તે બધું સમુસૂતરું ચાલતું હતું એટલે? કેન્દ્ર ભૂલકણું હોય તો તે પાછલી તારીખનો રેકોર્ડ જોઈ શકે ને તે પ્રમાણે હકીકતની જાણ પ્રજાને કરી શકે. તે એવું બેજવાબદારી ભર્યું વિધાન કરી જ કેવી રીતે શકે કે ઓક્સિજનના અભાવમાં એક પણ મૃત્યુ થયું નથી? ઓક્સિજન વગર લોકો મર્યાં છે ને મર્યાં પછી પણ લાઇનમાં ઊભા રહ્યાં છે કે ગંગામાં ખડકાયાં છે. આ બધું ભૂલી જવાય એવું છે? લોકોએ સ્વજનો ગુમાવ્યાં છે તે સરકારની બે પાંચ લાખની (સ)હાય મળે એટલે? લોકોને પૈસાની જરૂર છે તે આવક ઘટી છે ને મોંઘવારી વધી છે એટલે, તો પણ તેણે સ્વજનની લાશ પર કમાણીની આશા રાખી નથી. લોકોને તો એટલું જ છે કે સરકાર હોય તે હકીકત જણાવે.
પણ, સરકાર એવું કરતી નથી. લોકો કહે છે કે સરકારે સત્ય છુપાવવું જોઈએ? જો નહીં, તો કોના ડરે સરકાર સાચું નથી કહેતી? સાચું કરવા જતાં કોઈ સરકાર ગબડી હોય એવું ધ્યાનમાં નથી ને ખોટું કરવાથી તો ગબડી જ છે ! સિત્તેર વર્ષ શાસન કરવા છતાં જો કૉન્ગ્રેસની સરકાર ના રહી હોય તો ભા.જ.પ.ની સરકારે પણ એ ધ્યાનમાં લેવાનું રહે કે મોડું કે વહેલું ટકે તો સત્ય જ છે. સત્યથી દૂર તે સત્તાની નજીક – એવું લાગતું હોય તો પણ તે સાચું નથી. વધારે શું કહેવું?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 જુલાઈ 2021