“હું ભલે માત્ર 14 વર્ષની હોઉં, મારે શું કરવું છે તેની મને બરાબર ખબર છે, મને ખબર છે કોણ સાચું છે અને કોણ ખોટું. મારી પાસે મારા અભિપ્રાયો, મારા પોતાના વિચારો અને સિદ્ધાંતો છે, અને કદાચ હું ગાંડાઘેલી કિશોરી જેવી લાગું તો પણ, હું એક બાળકને બદલે એક વ્યક્તિ જેવો અહેસાસ કરું છું, હું કોઈપણથી સ્વતંત્ર અનુભવ કરું છું … હું બીજા મોટાભાગના લોકોની જેમ, વ્યર્થ જીવવા નથી ઈચ્છતી. હું એવા લોકોનાં કામમાં આવવા માગું છું અને તેમના જીવનમાં ખુશી લાવવા ઈચ્છું છું, જેઓ મારી આસપાસ રહે છે પણ પણ મને જાણતા નથી. હું મર્યા બાદ પણ જીવવા ઈચ્છું છું.”
એવું જ થયું. 31 માર્ચ 1945ના રોજ તેનું મૃત્યુ થયું, પણ દુનિયાની સ્મૃતિમાં તે જીવતી રહી ગઈ. એ 15 વર્ષ 9 મહિના અને 19 દિવસ જીવી, પણ એટલું ટૂંકું જીવન, તેણે લખ્યું હતું તેમ, વ્યર્થ નહોતું. તેને ખબર હતી કે કોણ સાચું છે અને કોણ ખોટું, તેને ખબર હતી કે તે બાળક નથી, તેને ઈચ્છા હતી કે તે બીજા લોકોના કામમાં આવે. એ બધું જ પુરવાર થયું.
તેના મૃત્યુ પછી, લાલ અને સફેદ ચટાપટાવાળાં કપડાંના કવરમાં બંધ, તેની એક ડાયરી દુનિયા સમક્ષ આવી હતી. એ ડાયરીમાં, એડોલ્ફ હિટલરના નાઝી જર્મનીમાં યહૂદીઓ પર ગુજારવામાં આવેલા અત્યાચાર અને નરસંહારનો દસ્તાવેજ હતો.
એનું નામ એની ફ્રેંક હતું.
જર્મનનીના ફ્રેન્કફર્ટ શહેરમાં એક યહૂદી પરિવારમાં જન્મેલી એનીને, 12 જૂન 1942ના રોજ તેના 13મા જન્મદિવસ પર, તેનાં પેરન્ટ્સે એક ડાયરી ભેટમાં આપી હતી. તેણે આ ડાયરીને તેની બેશકિમતી ચીજ ગણાવી હતી, અને તેનું નામ ‘કિટ્ટી’ રાખ્યું હતું. એનીને મોટા થઈને પત્રકાર અને લેખક થવું હતું. અને તત્કાળ એમાં લખવાનું ચાલુ કર્યું હતું. 12 જૂનના દિવસની પહેલી જ એન્ટ્રીમાં, ‘કિટ્ટી’ને ઉદ્દેશીને એનીએ લખ્યું હતું, “મને આશા છે કે હું મારી તમામ વાતો તને કહી શકીશ, કારણ કે મેં ક્યારે ય કોઈને મારી વાતો કરી નથી અને હું આશા રાખું છું કે તું મારા માટે શાંતિ અને રાહતનો સ્રોત બનીશ.”
તે વખતે એનીની ઉંમર 13 વર્ષની હતી.
૧૯૩૩માં, એડોલ્ફ હિટલર અને તેની નાઝી પાર્ટી જર્મનીમાં સત્તામાં આવી હતી અને ત્યારથી યહૂદીઓ પર જુલમ શરૂ થયો હતો. ૧૯૩૩થી ૧૯૩૯ વચ્ચે ત્રણ લાખ યહૂદીઓ જર્મનીથી પલાયન થઇ ગયા હતા. એમાં એની ફ્રેંકનો પરિવાર પણ હતો. એનીના પિતા ઓટ્ટો ફ્રેંકે નેધરલેંડની રાજધાની એમ્સ્ટર્ડમમાં પનાહ લીધી હતી, અને ફળ-ફૂલોનો વેપાર શરૂ કર્યો હતો. એની ત્યાં મોન્ટેસરી સ્કૂલમાં દાખલ થઇ.
મે 1940માં, હિટલરે નેધરલેંડ પર ચઢાઈ કરી અને યહૂદીઓના ધંધા-રોજગાર પર લગામ કસવાનું શરૂ કર્યું. ઓટ્ટો ફ્રેંકે ત્યારે એક માત્ર ઉત્તમ વિકલ્પ તરીકે અમેરિકા જતા રહેવાનું નક્કી કર્યું, પરંતુ અમેરિકન એમ્બેસી બંધ થઇ જવા અને વિઝાના કાગળો ગુમ થઇ જવા વિવિધ કારણોસર અમેરિકાનો રસ્તો પણ બંધ થઇ ગયો.
1942ના ઉનાળામાં, નેધરલેંડના યહૂદીઓને ખદેડવાનું શરૂ થયું. ક્યાં? હિટલરે યહૂદીઓની ‘સમસ્યા’ના ‘ફાઈનલ સોલ્યુશન’ માટે જર્મની અને નાઝી કબ્જા હેઠળના યુરોપમાં એક હજાર જેટલી બંદી છાવણીઓ ઊભી કરી હતી. યહૂદીઓને વીણી વીણીને તેમાં ભરતી કરી દેવાયા હતા. એક સમયે તેમાં બધા મળીને ૧૬ લાખ ૫૦ હજાર યહૂદીઓ હતા. તેમાંથી 10 લાખ લોકોને મારી નાખવામાં આવ્યા હતા. બાકીના લોકોને, બ્રિટન, અમેરિકા અને સોવિયતનાં મિત્ર દળોએ દ્વિતીય મહાયુદ્ધમાં હિટલરને હરાવીને મુક્ત કરાવ્યા હતા. મહાયુદ્ધનું કારણ નાઝીઓએ કરેલી આ કત્લેઆમ હતી.
તેમને બંદી છાવણીમાં ધકેલી દેવામાં ના આવે એટલા માટે ફ્રેંક પરિવાર ત્રણ માળના ઘરમાં છુપાઈ ગયો. એ મકાન તેમનાં ફળ-ફૂલોના વેપારના કર્મચારીઓનું હતું. જૂના ઘરમાં તેમણે એક ચબરખી છોડી હતી જેના પરથી એવી છાપ પડી કે તેઓ સ્વિત્ઝરલૅન્ડ ગયાં છે. બે વર્ષ પછી, ૧૯૪૪માં, જર્મન પોલીસને ખબર પડી એટલે ત્યાં રહેતાં બધા લોકોને ઉઠાવી ગઈ, અને બંદી છાવણીમાં ધકેલી દીધા. ત્યાં સ્ત્રીઓ, પુરુષો અને બાળકોને અલગ કરી દેવાયાં.
એક વર્ષ પછી, ગંદી અને ઉંદરોથી ભરપૂર છાવણીમાં ટાઈફસનો ચેપી રોગ ફેલાયો. એમાં એની મરી ગઈ. સ્ત્રીઓની છાવણીમાં તેની મા એડિથ ફ્રેંક ભૂખમરામાં મરી ગઈ. પિતા ઓટ્ટો ફ્રેંક ઓશવિચ છાવણીમાં જીવતો બચી ગયો અને યુદ્ધ પછી મુક્ત થઈને એમ્સ્ટર્ડમ આવ્યો. એને ખબર જ ન પડી કે તેના પરિવારનું શું થયું છે.
પેલા ત્રણ માળના ઘરમાં જે સમાન પડી રહ્યો હતો, ત્યાં એનીની પેલી ડાયરી પણ હતી. એનીએ એમાં એ બધું જ લખ્યું હતું કે યહૂદી હોવું એ કેવો અપરાધ હતો અને આટલા દિવસો સુધી તેમણે શું સહન કર્યું હતું. એમાં 1 ઓગસ્ટ ૧૯૪૪ની છેલ્લી એન્ટ્રી હતી. એ પછી તેને પોલીસ ઉઠાવી ગઈ હતી. ૧૯૪૫માં, અન્ય સમાન સાથે પિતાને આ ડાયરી મળી. ખુદ તેને ખબર નહોતી કે એનીએ એ ડાયરીમાં આટલી ચીવટપૂર્વક નાઝીઓના અત્યાચારોને દર્જ કર્યા હતા.
૧૯૪૬માં, એમ્સ્ટર્ડમના એક અખબારમાં આ ડાયરીની વિગતો પ્રગટ થઇ. ૧૯૪૭માં તે અંગ્રેજીમાં આવી અને દુનિયાને ૧૫ વર્ષની એક યહૂદી છોકરીના ઊંડા વિચારો અને સંવેદનાઓનો પરિચય થયો. આજે એ ડાયરી “એની ફ્રેંક : અ ડાયરી ઓફ અ યંગ ગર્લ” નામની દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. તે દુનિયાની ૭૦થી વધુ ભાષાઓમાં અનુવાદિત થઇ છે અને સવા કરોડથી વધુ નકલો વેચાઈ છે. તેના પરથી એક નાટક અને એક ફિલ્મ પણ બની છે.
“ન્યૂયોર્ક ટાઈમ્સ” અખબાર આ ડાયરીમાં રિવ્યુમાં લખે છે, ‘આટલાં વર્ષ જૂની આ ડાયરી આજે પણ હતપ્રભ કરે છે, એટલી જ યાતના આપે છે … આ ડાયરીમાં જીવન પ્રત્યેની તેની લાલસા છે. આજે પણ એ આપણને ભોંકાય છે.’
આ ડાયરીના પ્રકાશનને આ વર્ષે ૭૫ વર્ષ પૂરાં થાય છે. નાઝીઓના અત્યાચારના ભોગ બનેલા અનેક યહૂદીઓ તેમની પીડાને કહાનીઓ અને દસ્તાવેજોમાં છોડી ગયા છે, પરંતુ એમાં ૧૫ વર્ષની એક છોકરીનું આ સૌથી અંગત કહી શકાય તેવું ટ્રેજિક બયાન છે. આ દસ્તાવજે આપણને યાદ અપાવે છે કે જાતિ અથવા ધર્મનાં નામ પર બર્બરતા કરવા માટે માણસો અકલ્પનીય રીતે સક્ષમ છે.
ડાયરીમાં એનીનું એક સૌથી લોકપ્રિય વાક્ય છે, “આ બધું જ હોવા છતાં હું હજુ પણ માનું છું કે લોકો દિલથી બહુ સારા છે.” આ વાક્ય તેની કિશોરવસ્થાના આશાવાદનું પ્રતિક છે. જો કે, પછી તરત તે લખે છે, “વિશ્વ ધીમે ધીમે ઉજ્જડ થવા તરફ જઈ રહ્યું હોય તેમ મને લાગે છે, મને આવનારા તોફાનનો અવાજ સંભળાય છે, જે આપણને સૌને નષ્ટ કરી નાખશે.”
તેને ગંદી-ગોબરી છાવણીમાં મરવાના વાંકે ધકેલી દેવાઈ તેના દસ મહિના પહેલાં એની ફ્રેંકે ડાયરીમાં લખ્યું હતું, “જે થઇ ગયું છે તેને ન થયું કરી ન શકાય, પણ એ તેને ફરીથી થતું અટકાવી શકાય છે.”
પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 07 નવેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર