કોઈ લેખકડો જાહેરજીવનના મુદ્દાને સ્પર્શતી વાત કરે, તો એની લેખકીય ગરિમાને બાજુ પર મૂકીને સત્તાધીશો, સમાજના ફૂટી નીકળેલા ‘સંસ્કૃતિિતના રખેવાળો’ તૂટી પડતા હોય છે. બૂકરવિજેતા અરુંધતી રૉયને ડેમના વિસ્થાપિતોમાં રસ પડ્યો, નકસલી બનતાં આદિવાસીઓના જીવનને સમજવામાં રસ પડ્યો. એ રસ એમને ખાનગીકરણના પ્રચંડ વિરોધ સુધી, વૈશ્વિકીકરણના ભ્રામક ખ્યાલો તોડવા સુધી ખેંચી જતાં એમને જેલ થઈ! સોશિયલ મીડિયા પરની ગાળાગાળી તો સ્વાભાવિકપણે થઈ! એવો જ કિસ્સો હમણાં બન્યો છે.
લેખકનું નામ છે હાંસદા સૌવેંદ્ર શેખર. શેખરને ઈ.સ. ૨૦૧૫ સાહિત્ય અકાદમીનો યુવા ગૌરવ પુરસ્કાર મળ્યો છે. એ પુરસ્કાર એમની નવલકથા ‘ધ મિસ્ટિરિયસ ઍલિમેન્ટ ઑફ રુપી બાસ્કે’ માટે મળ્યો હતો. આ સાથે સાહિત્યનાં જાણીતાં ઈનામ ‘હિન્દુ પ્રાઇઝ-૨૦૧૪’, ‘ક્રોસવર્ડ બુક ઍવૉડ્ર્સ-૨૦૧૪’ માટેની યાદીમાં પણ એમનો સમાવેશ થયેલ. ઝારખંડ સરકારમાં, આરોગ્ય વિભાગમાં ડૉક્ટર તરીકે તેઓ પાકુર જિલ્લામાં કાર્યરત હતા.
શેખરે ૧૪મી મે, ૨૦૧૬ના ‘ઇન્ડિયન ઍક્સપ્રેસ’માં પોતાની સર્જક કેફિયત આપતો એક લેખ લખ્યો અને આપણા સાહિત્યની ભાષામાં ‘કૃતિ’ની બહાર ચાલ્યા ગયા! એમણે ઝારખંડની ભા.જ.પ. સરકારની નવી ડોમિસાઇલ નીતિની આકરી ટીકા કરી નાંખી! ઝારખંડની આ નીતિ ભા.જ.પ. સરકારના પહેલા બિનઆદિવાસી મુખ્યમંત્રી રઘુવીરદાસે ઘડી હતી, જાહેર કરી હતી, જે નીતિ અનુસાર ઝારખંડમાં જે લોકો ત્રીસ વર્ષથી રહે છે અને જેણે ઝારખંડમાંથી હાઈસ્કૂલ સુધી શિક્ષણ મેળવ્યું છે, તે બધાને ઝારખંડના આદિવાસીઓને મળતી રોજગાર અને શિક્ષણની સુવિધાઓ (જેમાં અનામત પણ આવી જ જાય..) મળશે! શેખરે કહ્યું કે આ નીતિ આદિવાસી હિતોની વિરુદ્ધ અને બિનઆદિવાસી હિતોની તરફેણ કરે છે. ઉપરાંત શેખરે ઝારખંડને બિહારથી અલગ કરવામાં ભા.જ.પ.ની કઈ કુટિલનીતિ છે, તેની ચર્ચા કરી. લેખના અંતે એમણે કહ્યું કે જે રીતે અગાઉ સરકારી નીતિઓ છોટાનાગપુર અને સંથાલ પરગણાને કાનૂની વાઘા પહેરાવીને ભરખી ગઈ છે, તે ઝારખંડમાં શરૂ થશે. તેથી આદિવાસીઓએ પોતાનાં હિતોની રક્ષા માટે સંઘર્ષ ચાલુ રાખવો પડશે.
શેખરનો આ લેખ સત્તાધીશો માટે તો આકરો ડોઝ હતો જ, પરંતુ સાથોસાથ એમના મળતિયા ઉદ્યોગપતિઓ (ક્રોની-ક્રોનીવાળા) માટે પણ મુશ્કેલીમાં મૂકનાર હતો તેથી શેખરને પાઠ ભણાવવાનું નક્કી થયું, જેના ભાગ રૂપે સાંથાલી લેખક શેખરના વાર્તાસંગ્રહ ‘ધ આદિવાસી વિલ નોટ ડાન્સ’ પર ઝારખંડ સરકારે પ્રતિબંધ લગાવ્યો. ૧૨ ઑગસ્ટ, ૨૦૧૭થી આ પ્રતિબંધ અમલી બન્યો. બીજું, એમને સરકારી નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા. એમનો વાર્તાસંગ્રહ અશ્લીલ છે કહીને સરકારે જ F.I.R. દાખલ કરવા પોલીસખાતાને જણાવ્યું અને જરૂર પડે તો ધરપકડ પણ કરવાનું જણાવવામાં આવ્યું. રાજ્યમાં જેની પાસે પણ આ વાર્તાસંગ્રહની નકલ મળી આવશે, એમને પણ સજા થશે, એવું પરિપત્રમાં જણાવ્યું છે. કોઈ સાહિત્યકૃતિને લઈને આવી સખત કાર્યવાહી ભારતમાં જવલ્લે જ થઈ છે. અશ્લીલતા અને આદિવાસીની અવમાનનાના બહાના હેઠળ આદિવાસી લેખકના જે વાર્તાસંગ્રહને દોષી ઠરાવ્યો છે, તે વાર્તાસંગ્રહ પ્રતિષ્ઠિત પ્રકાશનગૃહ ‘સ્પીકિંગ ટાઇગર’ દ્વારા ઈ.સ. ૨૦૧૫માં પ્રકાશિત થયો હતો.
જો કે જેમ સરકાર અત્યાચાર કરવામાં પાછી નથી પડતી તો સામા પક્ષે પ્રતિરોધ પણ સક્ષમ જ આવ્યો. રોમિલા થાપર, પ્રભાત પટનાયક, ગણેશ દેવી, કે. સચ્ચિદાનંદ, ગીતા હરિહરન વગેરેએ હાંસદા શેખરની અભિવ્યક્તિની આઝાદી સંદર્ભે તત્કાલ વિરોધ કર્યો. હજુ તમિલ લેખક પેરુમલ મુરુગનની ધરપકડની શાહી સુકાઈ નથી, કોર્ટે પેરુમલને નિર્દોષ જાહેર કર્યો એ હકીકતને પણ વધુ દિવસો નથી થયા, છતાં સ્થાપિત હિતો કલાકારોને પીડા આપવામાં પાછીપાની નથી કરતા.
‘ધી આદિવાસી વિલ નોટ ડાન્સ’ વાર્તાસંગ્રહની એ જ શીર્ષકવાળી વાર્તામાં જેની જમીન પડાવીને ખાનગી કંપનીએ પાવરપ્લાન્ટ બનાવ્યો છે એની વાર્તા છે. એના કથાનાયક મંગલે જ્યારે પાવરપ્લાન્ટના ઉદ્ઘાટનમાં રાષ્ટ્રપતિ આવે છે, ત્યારે નૃત્ય પ્રસ્તુત કરવાનું છે. પરંતુ રાષ્ટ્રપતિ સાથે ખનીજખાણના માફિયાઓને એ જ્યારે મંચ પર જુએ છે, તો એનો આક્રોશ ફાટી નીકળે છે. ત્યાં વાર્તા પૂરી થાય છે.
‘‘જોહાર, રાષ્ટ્રપતિબાબુ, હમારા માથા બહુત ઊંચા હો ગયા ઔર હમ બહુત ખુશ હૈ કિ આપ હમારે સંથાલ પરગના આયે હો. હમારે લિયે બહુત ગૌરવ કી બાત યહ હૈ કિ હમેં આપકે સામને નાચને ગાને ઔર અપને ઇલાકે મેં સ્વાગત કરને કો કહા ગયા હૈ …. જબતક હમેં અપના ઘર ઔર જમીન વાપસ નહીં દી જાયેગી હમ ન નાચેંગે, ન ગાયેંગે …’’ (સરૂપ ધ્રુવ સાબરમતીના કિનારે રિવરફ્રંટ પર રહેનારા ત્રણ હજાર કુટુંબો આબેને આવું જ કહી શકે!)
કથાનાયક મંગલની દીર્ઘ એકોક્તિમાં આદિવાસીઓને કેવળ વોટબૅંક કેવી રીતે બનાવી છે તે સહજતાથી વ્યક્ત થયું છે, જેમાંથી પ્રશ્ન ઊભો થાય છે કે વિકાસ ખરો પણ કોના ભોગે અને કોના માટે? સંગ્રહની બીજી વાર્તા ‘ધે ઇટ મીટ’માં ઉચ્ચ અધિકારી હોવા છતાં આદિવાસી પરિવારને કૉલોનીમાં કેવી રીતે ઉપેક્ષા સહન કરવી પડે છે, તે બતાવ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ વાર્તામાં પરિવેશ ગુજરાતનો છે!
‘વસંતી દીદી’ જેવી વાર્તામાં વિધવા આદિવાસીનું જીવન બેહાલ કરવામાં આદિવાસી પરિવાર અને બિનઆદિવાસી પરિવેશ બેઉ છે એવું બતાવતા પણ શેખર ચૂકયા નથી. ‘ગેટિંગ ઇવન’ જેવી વાર્તામાં સંથાલી છોકરીઓનાં ખરીદ-વેચાણમાં આદિવાસી સમાજની ભાગીદારી છે તે એમણે નિર્મમતાથી બતાવ્યું છે. ‘સન્સ’ (દીકરાઓ) વાર્તામાં પણ જેના લોહીમાં ભ્રષ્ટાચાર નથી, એ લોકો સ્થાપિતોના હાથા મધુ કોડા બની રહ્યા છે તે દર્શાવ્યું છે. શેખરની વાર્તાઓમાં સ્ત્રીઓનો સંઘર્ષ વિશેષ વ્યક્ત થયો છે. ‘ડિઝટયર, ડિવાઈનેશન, ડેથ’ વાર્તામાં કારખાનામાં કામ કરતી સુભાષિનીનો નાનો દીકરો ઘેર બીમાર છે. કારખાનેથી નીકળી ચાર જલેબી લઈને ઘેર પહેંચતી સુભાષિનીને મૃત બાળક જ હાથ મળે છે! કારખાનાથી ઘરની યાત્રાવાળી આ વાર્તામાં નાયિકા જે રીતે પરિવેશને સંવેદે છે, તે રસપ્રદ છે.
જે વાર્તા પર ખાસ વાંધો લેવામાં આવ્યો છે તે વાર્તા છે ‘નવેમ્બર ઇઝ ધ મંથ ઑફ માઇગ્રેશન્સ’, જેમાં ભૂખથી પીડાતી નાયિકા પચાસ રૂપિયા માટે રેલવે પોલીસ સામે દેહ ધરી દે છે! એ ‘ખાલી વાટકા જેેવી નિશ્ચેષ્ટ પડી છે.’ પેલો ભોગવીને ચાલ્યો જાય છે. નાયિકા તાલમઈ – ‘કુછ નહીં કહેતી, કુછ નહીં કરતી … વહ સિર્ફ લેટી હૈ’ પચાસ રૂપિયા અને બે બ્રેડપકોડાનો પુરસ્કાર! શું આ વાર્તા રતિપ્રસંગ છે, યૌનાનંદ વાર્તા છે? શું આવી વાર્તા લખવી ગુનો છે?
જે લોકો શેખરને સમજ્યા વિના એનાં પૂતળાં બાળે છે, એ આદિવાસી કાર્યકર્તાઓએ સમજવું જોઈએ કે જેમના હાથમાં ત્રાજવું છે, એવો વાંદરો બે બિલાડીઓને અથડાવીને રોટલો હડપ કરી રહ્યો છે. શેખરનું દમન પ્રતિરોધની સંસ્કૃિતનું દમન છે. અભિવ્યક્તિની આઝાદીનું દમન છે. ભારતીય સર્જકો, કળાસંસ્થાઓ બુદ્ધિજીવીઓ અને લોકશાહી મૂલ્યોમાં શ્રદ્ધા ધરાવતા નાગરિકોએ હાંસદા શેખર માટે જ્યાં હોય, ત્યાંથી અવાજ ઉઠાવવો જોઈએ.
E-mail: bharatmehta864@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2017; પૃ. 10-11