ગયા નવેમ્બરમાં કરવામાં આવેલી નોટબંધીને લોકો ભૂલી ગયા હતા. જૂની નોટોનું સ્થાન મહદંશે નવી નોટોએ લઈ લીધું હતું અને આર્થિક વ્યવહારો રાબેતા મુજબના થઈ ગયા હતા. એવામાં ઘણા વિલંબ પછી ઑગસ્ટમાં રિઝર્વ બૅંકે ચલણમાંથી પાછી આવેલી રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટોની વિગતો જાહેર કરી. તેમાં એવું માલૂમ પડ્યું કે એ નોટોની ૯૯ ટકા જેટલી નોટો લોકોએ બૅંકોમાં જમા કરાવી દીધી છે. જે રૂ. ૧૬,૦૦૦ કરોડ જેટલી નોટો પાછી નથી ફરી તેમાંથી રૂ. ૮૦૦૦ કરોડની નોટો જિલ્લા સહકારી બૅંકો પાસે પડેલી છે અને કૅટલીક નેપાળની કેન્દ્રિય બૅંક પાસે છે. નોટબંધી જાહેર કરવામાં આવી ત્યારે જે ત્રણ ઉદ્દેશોથી પ્રેરાઈને તે કરવામાં આવી હોવાનું રાષ્ટ્રને જણાવવામાં આવ્યું હતું, તે બાબતમાં સરકારને ભોંઠા પડવાનું થયું છે, એવું રિઝર્વ બૅંકે જાહેર કરેલા આંકડાઓમાંથી ફલિત થયું. નોટબંધીની જાહેરાત કરવામાં આવી, ત્યારે વડાપ્રધાનશ્રીએ જે ત્રણ ઉદ્દેશો વર્ણવ્યા હતા તે આ પ્રમાણે હતા : એક, લોકો પાસે રહેલાં કાળા નાણાંનો નાશ કરવો. બીજું, આતંકવાદીઓ પાસે રહેલાં નાણાંને નિરર્થક બનાવી મૂકવાં અને એ માર્ગે ઇશાન ભારત તથા જમ્મુ અને કાશ્મિરમાં ચાલતી આતંકવાદી પ્રવૃત્તિને ડામી દેવી. ત્રીજું, પાકિસ્તાન દ્વારા ભારતમાં જે નકલી નોટો ઘુસાડવામાં આવી છે, તેને ચલણમાંથી દૂર કરવી. આ ઉદ્દેશોને નજર સમક્ષ રાખીને નોટબંધીને ‘સર્જિકલ સ્ટ્રાઇક’ કહેવામાં આવી હતી.
ઉપર્યુક્ત ઉદ્દેશોની બાબતમાં સરકારી કહી શકાય એવી રજૂઆતો નોંધવા જેવી છે. સર્વોચ્ચ અદાલતમાં એટર્ની જનરલ મુકુલ રોહતગીએ એવો દાવો કર્યો હતો કે રૂ. ચારથી પાંચ લાખ કરોડ ઇશાન ભારત અને જમ્મુ-કાશ્મિરમાં આતંકવાદીઓમાં ફરે છે, તે પાછા નહીં ફરે. નાણાખાતાના એક અધિકારીના દાવા પ્રમાણે કાળાં નાણાં રૂપે રહેલાં રૂ. ત્રણ લાખ કરોડ પાછા નહીં ફરે. ચલણમાં ફરતી નકલી નોટો વિશે સરકારી રાહે કોઈ આંકડો જાહેર કરવામાં આવ્યો નહોતો, પણ સરકારની ધારણા પ્રમાણે એ આંકડો ખોટો હોવો જોઈએ, અન્યથા સરકારે તેને નોટબંધીના એક ઉદ્દેશ તરીકે રજૂ ન કર્યો હોત. રિઝર્વ બૅંકે પ્રગટ કરેલા આંકડા પ્રમાણે ૨૦૧૬-૧૭માં રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની જે નકલી નોટો તેની પાસે આવી હતી, તેનું મૂલ્ય ફક્ત રૂ. ૪૧ કરોડનું હતું. નોટબંધી વિના પણ નકલી નોટો ઓછીવત્તી સંખ્યામાં પડકાતી રહેતી હોય છે. મતલબ કે ઘુસાડવામાં આવેલી નકલી નોટોનું પ્રમાણ નગણ્ય હતું.
નોટબંધીનો આ અનુભવ એક ગંભીર પ્રશ્ન ઊભો કરે છે. લોકો પાસે ત્રણ લાખ કરોડથી અધિક કાળું નાણું રોકડ નાણાંના રૂપે છે, આતંકવાદીઓ પાસે ચારથી પાંચ લાખ કરોડ જેવી જંગી રકમ છે અને દેશના ચલણમાં પાકિસ્તાન આદિ દેશોએ દેશના અર્થતંત્રને અસ્થિર કરી મૂકે એટલા મોટા પ્રમાણમાં નકલી નોટો ઘુસાડી છે, એવા તારણ પર સરકાર કયા આધારે પહોંચી હતી? લાખ્ખો લોકોની આવક અને રોજગારી, ભલે થોડા મહિનાઓ માટે, છિનવાઈ જાય એવું જલદ પગલું આવા કપોળકલ્પિત આંકડાઓના આધાર પર સરકાર ભરી શકે?
નોટબંધી એના મૂળ પ્રગટ ઉદ્દેશો હાંસલ કરવાની દૃષ્ટિએ એક નિષ્ફળ પગલું પુરવાર થઈ છે, એ વિશે વ્યાપક સંમતિ પ્રવર્તે છે. એ પગલાની કૃષિ અને નાના ઉદ્યોગો વગેરે અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા લોકોએ મોટી કિંમત ચૂકવી છે, એ વિશે પણ વ્યાપક સંમતિ પ્રવર્તે છે. આ એવો વર્ગ છે જેનો કાળાંનાણાંના સર્જનમાં કોઈ ફાળો નથી, આ વર્ગે આતંકવાદીઓને નાણાં પૂરાં પાડ્યાં નથી કે નકલી નોટો ઘુસાડવામાં તેમણે કશી સહાય કરી નથી. આમ છતાં નોટબંધી કરીને સરકારે સમાજના આ નિર્દોષ નબળા વર્ગોને દંડી નાખ્યા. નોટબંધીની સહુથી વધુ માઠી અસર, જ્યાં મોટા ભાગના વ્યવહારો રોકડ નાણાં દ્વારા થાય છે એ અર્થતંત્રના અસંગઠિત વિભાગ પર પડશે એ સ્પષ્ટ હતું. નોટબંધીનો નિર્ણય કરનારાઓને એનો ખ્યાલ કેમ ન આવ્યો? નબળા વર્ગોને પડનારી હાડમારીનું તેમને મન કશું મૂલ્ય નહોતું?
આની સાથે બીજી બે કિંમત ઉમેરવાની છે : એક, દેશની જી.ડી.પી.માં થયેલો ઘટાડો. એ કેટલો ગણવો તે એક મતભેદનો મુદ્દો છે. ૨૦૧૬-૧૭ના નાણાકીય વર્ષના પ્રથમ ત્રૈમાસિક ગાળા (એપ્રિલ-જૂન ’૧૬)માં જી.ડી.પી.નો વૃદ્ધિદર ૭.૯ ટકા હતો, જે ક્રમશઃ ઘટીને ચોથા ત્રૈમાસિક ગાળા (જાન્યુઆરી-માર્ચ, ’૧૭)માં ૬.૧ ટકા થયો અને ૨૦૧૭’-૧૮ના નાણાકીય વર્ષના પ્રથમ ત્રૈમાસિક ગાળામાં ઘટીને ૫.૭ ટકા થયો. આમ નોટબંધીની અગાઉથી જ જી.ડી.પી.નો વૃદ્ધિદર ઘટવો શરૂ થયો હોવાથી નોટબંધી પછી ઘટેલા જી.ડી.પી.ના વૃદ્ધિદરમાં નોટબંધીનો ફાળો કેટલો તે નક્કી કરવાનું વિવાદાસ્પદ બને તે સહજ છે. પણ જી.ડી.પી.નો વૃદ્ધિદર ઘટી રહ્યો હોવાના સંકેત સાંપડ્યા છતાં નોટબંધીનું પગલું ભરવામાં આવ્યું, તે પ્રશ્નો ઊભા કરનારી ઘટના છે; નોટબંધીનો નિર્ણય કરનારા શું એવી ધારણા પર ચાલ્યા હતા કે નોટબંધીની કોઈ અસર જી.ડી.પી. પર થશે નહીં? અથવા થશે તો તે કેવળ માર્જિનલ હશે? વધારે અગત્યનો પ્રશ્ન આ છે : સમગ્ર અર્થતંત્રને ડહોળી નાખવાની ક્ષમતા ધરાવતા આ પગલાની સંભવિત અસરો અંગે અર્થશાસ્ત્રીઓ સાથે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો કે અર્થશાસ્ત્રીઓને બાજુ પર રાખવામાં આવ્યા હતા?
બીજી જે કિંમત ચૂકવવાની થઈ છે તે સ્પષ્ટ અને નિર્વિવાદ છે. રિઝર્વ બૅંકની કમાણીમાંથી સરકારને રૂ. ૫૮,૦૦૦ કરોડ મળશે, એમ ૨૦૧૭-૧૮ના વર્ષ માટેના અંદાજપત્રમાં દર્શાવવામાં આવ્યું હતું, પણ રિઝર્વ બૅંક પાસેથી સરકારને રૂ. ૩૦,૬૫૯ કરોડ જ મળ્યા. ગયા વર્ષે સરકારને રિઝર્વ બૅંક પાસેથી રૂ. ૬૫,૮૭૬ કરોડ મળ્યા હતા. નોટબંધીને કારણે રિઝર્વ બૅંકની આવક ૧૭ ટકા ઘટી અને તેના ખર્ચમાં ૧૦૮ ટકાનો વધારો થયો, જે મુખ્યત્વે નવી નોટો છાપવાના ખર્ચને કારણે થયો હતો. ટૂંકમાં, લોકોએ અને અર્થતંત્રમાં બીજા એજન્ટોએ નોટબંધીના રૂપમાં કાળાં નાણાં પર કરવામાં આવેલી નિષ્ફળ ‘સર્જિકલ સ્ટ્રાઇક’ની મોટી કિંમત ચૂકવી છે. એની સામે દેશને લાંબા ગાળામાં લાભ થશે, એવું આશ્વાસન આપવામાં આવી રહ્યું છે. અલબત્ત, લાંબા ગાળામાં કયા અને કેટલા લાભો થશે એનો કશો ફોડ પાડવામાં આવતો નથી, તેમ ગાળો કેટલાં વર્ષનો છે એ પણ સ્પષ્ટ કરવામાં આવતું નથી. પણ બે વાતોનો ઉલ્લેખ વારંવાર કરવામાં આવે છે ડિજિટલાઇઝેશન અને આવકવેરાનાં રિટર્ન ભરનારાઓની સંખ્યામાં વધારો, એને નોટબંધીના લાંબા ગાળાના લાભો તરીકે જોવાના છે.
પ્રથમ ડિજિટલાઇઝેશનની ચર્ચા કરીએ. એને આપણે રોકડવિહીન (કૅશલેશ) વ્યવહારો કહીશું. તેમાં ચેકથી થતી ચુકવણી ડૅબિટકાર્ડ, ક્રૅડિટકાર્ડ, મોબાઇલ બૅંકિંગ, મોબાઇલ વૉલેટ જેવાં અનેક માધ્યમો દ્વારા થતી ચુકવણીઓનો સમાવેશ થાય છે. આર્થિક અને ટૅક્નોલૉજીના વિકાસ સાથે સહજ રીતે રોકડ નાણાંનો ઉપયોગ ઘટાડવાનું અને ચુકવણી કરવા માટેનાં અન્ય સાધનોનો ઉપયોગ વધારવાનું વલણ લોકોમાં કેળવાતું હોય છે. ભારતનો જ દાખલો લઈએ. ભારતમાં ૨૦૧૧’-૧૨થી ૨૦૧૫-’૧૬નાં ચાર વર્ષોમાં ક્રૅડિટકાર્ડથી મદદથી થતા સોદાઓના પ્રમાણમાં ૧૪૬ ટકાનો, ડેબિટ કાર્ડની થતા સોદાઓમાં ૭૧ ટકાનો, મોબાઇલ બૅંકિંગ દ્વારા થતા સોદાઓમાં ૧૪૨૧ ટકાનો અને મોબાઇલ વૉલેટથી થતા સોદાઓમાં ૧૦૪૧ ટકાનો વધારો થયો હતો. રિઝર્વ બૅંકના આંકડા પ્રમાણે નવેમ્બર ’૧૫માં ડેબિટકાર્ડની સંખ્યા ૬૨.૩૭ કરોડ હતી, જે વધીને સપ્ટેમ્બર ’૧૬માં ૮૬.૭૩ કરોડ થઈ હતી.
આ વિકાસને સમગ્ર અર્થતંત્રના સંદર્ભમાં રજૂ કરીએ. ભારતમાં રોકડ નાણાંનો ઉપયોગ કર્યા વિના થયેલા સોદાઓનું પ્રમાણ મૂલ્યની દૃષ્ટિએ ૨૦૦૮માં આઠ ટકા હતા, જે વધીને ૨૦૧૫માં ૨૨ ટકા થયું હતું. આમ, રોકડવિહીન સોદાઓનું પ્રમાણ આપમેળે વધી રહ્યું હતું. નોટબંધી પહેલાં મૂકવામાં આવેલા અંદાજ પ્રમાણે ૨૦૨૫માં દેશમાં રોકડવિહીન સોદાઓનું પ્રમાણ ૫૯ ટકા પર પહોંચવાનું હતું. આની તુલનામાં ૨૦૧૫માં ચીનમાં ૫૩ ટકા, બ્રાઝિલમાં ૫૬ ટકા અને જર્મની તથા અમેરિકામાં એ પ્રમાણ ૭૬ ટકા હતું. આમ, નોટબંધીના ધક્કા વિના પણ ભારત, એના વિકાસની કક્ષાના પ્રમાણમાં વધારે ઝડપથી રોકડવિહીન થઈ જ રહ્યું હતું. પણ હવે રોકડવિહીન થતા સોદાઓના પ્રમાણમાં જે વધારો થશે, તેને સરકાર નોટબંધીના ખાતામાં જમા લેશે અને પોતાની પીઠ થાબડશે.
દેશમાં ચલણનું પ્રમાણ જી.ડી.પી.ના ટકા રૂપે ઓછું થાય તે એક મોટી સિદ્ધિ હોય એવા અભિનિવેશથી વડાપ્રધાનશ્રીએ તેમના એક પ્રવચનમાં જાહેરાત કરી હતી : દેશમાં ચલણનું પ્રમાણ ૧૨ ટકાથી ઘટીને નવ ટકા થઈ ગયું છે. (એને નોટબંધીની સફળતા ગણવાની છે.) આની તુલનામાં યુરોઝોનમાં ચલણનું પ્રમાણ જી.ડી.પી.ના ૧૦.૩ ટકા અને જાપાનમાં ૧૮ ટકા જેટલું છે. આનો અર્થ શું એવો છે કે ભારત યુરોઝોન અને જાપાનની તુલનામાં કોઈક દૃષ્ટિએ વધારે વિકસિત થઈ ગયું છે?
સરકારના આર્થિક સલાહકારોની ટીમ દ્વારા દર વર્ષે પ્રગટ કરવામાં આવતા ‘ઇકોનૉમિક સર્વે’માં ડિજિટલાઇઝેશન અંગે કરવામાં આવેલાં અવલોકનો આના સંદર્ભમાં નોંધવા જેવાં છેઃ ‘ડિજિટલાઇઝેશન કોઈ રામબાણ ઔષધ નથી અને રોકડ નાણાં બધી રીતે ખરાબ નથી. ચુકવણીનાં આ બંને સ્વરૂપોના લાભ અને ખર્ચ વચ્ચે રાજ્યે પોતાની નીતિ દ્વારા સમતુલા સાધવાની છે. બીજું, ડિજિટલાઇઝેશન તરફ ગતિ ક્રમિક હોવી જોઈએ, જેઓ ડિજિટલસેવાથી વંચિત છે, એમને ધ્યાનમાં રાખવાના છે; લોકોની પસંદગીનો આદર કરો, તેમના પર તમારી પસંદગી લાદો નહીં.’ આ શાણપણભરેલી સલાહનો સૂચિતાર્થ સ્પષ્ટ છે : ચુકવણીની બાબતમાં પ્રજાને ઝડપથી ડિજિટલ બનાવી દેવાનું પસંદ કરવા યોગ્ય નથી, એના માટે નોટબંધી જેવું જલદ પગલું ભરવાનો તો પ્રશ્ન જ નથી. સ્વીડનમાં ૮૦ ટકા સોદા ડિજિટલ ચુકવણીથી થાય છે. એ સરકારની નીતિનું પરિણામ નથી, સહજ રીતે સધાયેલા વિકાસનું પરિણામ છે.
નોટબંધીની લાભદાયી અસરના બીજા નિર્દેશક તરીકે આવકવેરો ભરનારાઓની સંખ્યામાં થયેલા વધારાને ટાંકવામાં આવે છે. ઑગસ્ટની પાંચમીએ રિટર્ન ભરવાની મુદત પૂરી થતી હતી. સાતમી ઑગસ્ટે તો જેટલીએ આવકવેરાનાં ભરાયેલાં રિટર્નનો આંકડા જાહેર કરી દીધોઃ ૨.૮૩ કરોડ રિટર્ન ભરાયાં છે, જે આંકડો ગયા વર્ષે ૨.૨૭ કરોડ હતો. આમ, નોટબંધીના પરિણામે ૫૬ લાખ રિટર્ન (લગભગ ૨૫ ટકા) વધારે ભરાયાં એ સફળતા એમને ઉપસાવવી હતી. મતલબ કે આવકવેરાની કરચોરી કરનારાઓ મોટા પ્રમાણમાં વેરાના સાણસામાં આવી ગયા છે.
પરંતુુ આવકવેરો ભરનારાઓની સંખ્યાની બાબતમાં ભારે ગૂંચવાડો પ્રવર્તે છે. ૨૮ એપ્રિલ ’૧૭ના રોજ જેટલીએ આપેલા આંકડા પ્રમાણે દેશમાં વ્યક્તિઓ, નહીં નોંધાયેલી નાની કંપનીઓ અને રજિસ્ટર્ડ કંપનીઓ મળીને આવકવેરો ભરનારની કુલ સંખ્યા ૩.૫૮ કરોડ હતી. આની તુલનામાં આવકવેરો ભરનારાની કુલ સંખ્યા ૨૦૦૨માં રૂ. ૧૭ કરોડ અને ૨૦૧૨માં રૂ. ૨૪ કરોડ હતી. આંકડા સાચા માનીએ, તો એમ કહી શકાય કે ૨૦૦૨થી ૨૦૧૬નાં ૧૪ વર્ષ દરમિયાન આવકવેરો ભરનારાઓની સંખ્યામાં માત્ર ૪૧ લાખનો વધારો થયો હતો. એની સરખામણીમાં નોટબંધી પછી આવકવેરાનાં રિટર્ન ભરનારાઓની સંખ્યામાં ૫૬ લાખનો વધારો થયો! કરપાલન(tax-compliance)માં કેટલો મોટો સુધારો થયો!
જેટલીએ ૨૮મી એપ્રિલે આવકવેરો ભરનારાઓનો આંકડો આપ્યો, તેના બે-ત્રણ દિવસમાં સીધા વેરાના બૉર્ડના અધ્યક્ષ સુશીલચંદ્રની રિમાર્ક સમાચાર રૂપે પ્રગટ થઈ હતી. તેમને એમ કહેતા ટાંકવામાં આવ્યા હતા કે ‘દેશમાં ત્રણ-ચાર કરોડ લોકો જ આવકવેરો ભરે છે એ એક કપોળકલ્પિત વાત (મિથ) છે. આજે એ સંખ્યા ૬.૨૬ કરોડની છે.’ આનો અર્થ એવો થાય કે ખુદ નાણાપ્રધાને પણ આવકવેરો ભરનારાઓનો કપોળકલ્પિત આંકડો રજૂ કર્યો હતો. ટૂંકમાં, આવકવેરો ભરનારાઓનો સાચા આંકડો કેટલો છે એ જ એક પ્રશ્ન છે, તેથી આવકવેરો ભરનારાઓની સંખ્યા ખરેખર કેટલી વધી તે નક્કી કરવાનું મુશ્કેલ બને છે.
આવકવેરાનાં રિટર્ન ભરનારાઓની સંખ્યામાં જે વધારો થયો છે, તેનું થોડું વિશ્લેષણ કરવા જેવું છે. આવકવેરનાં રિટર્ન ભરનારાઓની સંખ્યામાં જે ૫૬ લાખનો વધારો થયો છે, તેમાંથી ૬૯.૪૨ ટકાએ તેમની આવક રૂ. પાંચ લાખથી ઓછી દર્શાવી છે. નવા નોંધાયેલા કરદાતાઓની સરેરાશ આવક રૂ. ૨.૭ લાખ છે. વ્યક્તિગત આવક માટેની આવકવેરાની મુક્તિમર્યાદા રૂ. ૨.૫ લાખની છે, તેથી કરપાલન વધ્યું હોવા છતાં વ્યક્તિઓ પરના આવકવેરાની આવકમાં નજીકના ભવિષ્યમાં કોઈ મોટા વધારાની અપેક્ષા રાખવાની નથી. ફક્ત ૪૫,૪૩૦ વ્યક્તિઓએ રૂ. એક કરોડથી વધારે આવક દર્શાવી છે. તેથી નોટબંધીને કારણે વધેલા કરપાલનથી કાળાંનાણાના સર્જકો વેરાની જાળમાં આવી ગયા છે અને કાળાનાણાં પર જનોઈવઢ ઘા થયો છે, એવો દાવો કરી શકાય તેમ નથી.
રોકડવિહીન વ્યવહારોમાં થતા વધારાને અને કરપાલનને લાંબા ગાળાના લાભના સ્રોત રૂપે કેમ જોવામાં આવે છે, તે હવે સમજીએ રોડકવિહીન વ્યવહારો વધવાથી, કરચોરીમાં થનાર ઘટાડાથી અને આવકવેરાના પાલનમાં વધારો થવાથી સરકારને મળતી વેરાની આવકમાં વધારો થશે. તેને પરિણામે સરકારની વિકાસલક્ષી ખર્ચ કરવાની ક્ષમતા વધશે; એનાથી જી.ડી.પી.નો વૃદ્ધિદર વધશે, એટલે કે દેશનો વિકાસ ઝડપી બનશે. આમાં બે ધારણાઓ રહેલી છે : એક કરની આવક વધવાની સાથે સરકારના બિનઉત્પાદક કહી શકાય એવા ખર્ચમાં વધારો થશે નહીં, એટલે કે વધેલી કરની આવકમાંથી બચત કરીને સરકાર વિકાસલક્ષી ખર્ચમાં વધારો કરી શકશે. બીજું, વિકાસલક્ષી ખર્ચ બુલેટટ્રેન જેવા વિકાસના પ્રસિદ્ધમૂલ્ય કે પ્રતિષ્ઠામૂલ્ય ધરાવતા પ્રકલ્પો પાછળ નહીં ખર્ચાય. બીજા શબ્દોમાં મૂકીએ, તો ખાનગી રાહે થતા ખર્ચની તુલનામાં રાજ્ય વધારે ઉત્પાદક રીતે પ્રજા પાસેથી આવેલાં નાણાં ખર્ચશે.
લાંબા ગાળાનો આ લાભ બધી રીતે અનિશ્ચિત હોવાથી લાંબા ગાળાની બાબતમાં ૨૦મી સદીના ઇંગ્લૅન્ડના પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી કેઇન્સનું જાણીતું વાક્ય ટાંકીએ (મોટે ભાગે એ વાક્યનો ઉત્તરાર્ધ જ ટાંકવામાં આવતો હોય છે)ઃ “The long run is misleading guide to current affairs. In the long run we are all dead.”
આનો મતલબ આપણા સંદર્ભમાં સ્પષ્ટ છે : લાંબા ગાળાની લાભની ગણતરીએ ટૂંકા ગાળામાં જેની મોટી કિંમત સમાજે ચૂકવવાની થાય એવાં પગલાં ભરવામાં શાણપણ નથી. પણ કોઈ પણ દેશના રાજકર્તાઓને અર્થશાસ્ત્રીઓ માફક આવતા નથી. અર્થશાસ્ત્રીઓ સરકારનાં નીતિવિષયક પગલાંના લાભ અને ખર્ચની તુલના દેશના, એટલે પ્રજાના સંદર્ભમાં કરે છે અને એકંદરે ખર્ચની તુલનામાં લાભ વધારે જણાતો હોય, તો જ પ્રસ્તુત પગલાને ટેકો આપે છે. બીજી બાજુ દેશહિતની વાતો કરતા રાજકર્તાઓ તેને પોતાના લાભ-ખર્ચની રીતે જુએ છે. દેશને, એટલે પ્રજાના વિવિધ વર્ગોને જે ખર્ચ ભોગવવાનું થાય, તે તેમની નિસબતનો વિષય નથી હોતો.
પાલડી, અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2017; પૃ. 03-05