ભારત જગતમાં સૌથી ઝડપી આર્થિક વૃદ્ધિ (ઇકોનૉમિક ગ્રોથ) દરે પ્રગતિ કરે છે. યુનાઇટેડ નૅશન્સના અહેવાલ પ્રમાણે ભારતીય અર્થતંત્ર ઈ.સ. ૨૦૧૬માં ૭.૩ ટકાનો અને ઈ.સ. ૨૦૧૭માં ૭.૫ ટકાના દરેક વિકાસ કરશે. ૨૦૧૫માં પણ તેણે ૭.૩ ટકા દરથી વિકાસ કર્યો હતો. ક્રૂડ ઑઈલના ભાવ ૩૦ ડૉલર્સ કે તેનાથી પણ કંઈક નીચે જતા રહ્યા, તેનો ભારતને ફાયદો થયો, કારણ કે ભારતની આયાતમાં સૌથી વધારે મોટી ખર્ચની આઇટમ ઑઇલની છે. અહેવાલ જણાવે છે કે અન્ય દેશો કરતાં ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર (રેલવે, રસ્તા) વીજળી અને પાણીની સવલતો, બંદરો વગેરે) અને શિક્ષણ તથા તબીબી સવલતો પાછળ ઓછો ખર્ચ કરવામાં આવે છે. પછાત અને દુર્ગમ વિસ્તારોમાં લોકોનું જીવનધોરણ સુધારવા પર ભારત સરકારે ધ્યાન આપવાની જરૂર છે. અહીં એ નોંધવું જોઈએ કે ભારતની માથા દીઠ આવક ઈ.સ. ૨૦૧૫માં માત્ર ૧૯૮૮ ડૉલર્સ છે, જ્યારે ચીનની માથા દીઠ આવક ૮૨૦૮ ડૉલર્સ અને અમેરિકાની ૫૫૦૪ ડૉલર્સ છે. (વર્લ્ડબૅંકના આંકડા મુજબ)
થોમસ પીકેટીનો પ્રચંડ પડકાર :
થોમસ પીકેટી ફ્રૅંચ અર્થશાસ્ત્રી છે અને પૅરીસમાં કામ કરે છે. તેમણે અમેરિકન અને યુરોપના અર્થશાસ્ત્રીઓ સામે હુંકાર કરીને કહ્યું કે તમે લોકો આર્થિક વૃદ્ધિદરની કેમ વાત કરો છો? તમને તેનું કેમ વળગણ (ઓબ્સેશન) થઈ ગયું છે? ઈ.સ. ૨૦૧૩માં તેમણે ‘કૅપિટલ ઇન ધ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી’ પુસ્તક ફ્રૅંચ ભાષામાં બહાર પાડ્યું. ઈ.સ. ૨૦૧૪ની આ પુસ્તક અંગ્રેજી ભાષામાં બહાર પાડ્યું. આ પુસ્તકમાં તેમણે આર્થિક વૃદ્ધિદર પર નહીં, પણ સમૃદ્ધ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિની અસમાનતાની સખત નિંદા કરી. તેમણે જણાવ્યું કે આર્થિક અસમાનતા, એટલે કે આવક અને સંપત્તિની અસમાનતા) મૂડીવાદનો એક અનિવાર્ય ભાગ બની ગયો છે. જગતની લોકશાહી સરકારી આર્થિક અસમાનતાને નાથી શકી નથી. તંદુરસ્ત લોકશાહી માટે આટલી મોટી આર્થિક અસમાનતા સ્વીકારી શકાય તેમ નથી. તે જો ચાલુ રહેશે તો લોકશાહીને તોડી નાંખશે. અમેરિકા ગર્જીગર્જીને લોકશાહીની વાતો કરે છે, પરંતુ અમેરિકામાં ૧૯૫૦-૧૯૮૦નાં ત્રીસ વર્ષ દરમિયાન તેની દસ ટકા આવક રળનારાઓ પાસે કુલ રાષ્ટ્રીય આવકનો ૩૦-૩૫ ટકા હિસ્સો હતો. ૧૯૮૦-૨૦૧૦નાં ત્રીસ વર્ષના ગાળામાં તેમનો હિસ્સો ૩૦-૩૫ ટકાથી વધી ૪૫-૫૦ ટકા થઈ ગયો. ફરીથી જાણી લો કે અમેરિકાના દસ ટકા આવક મેળવનારા પાસે અમેરિકાની કુલ આવકનો હિસ્સો ૪૫થી ૫૦ ટાક જેટલો મોટો છે. અમેરિકાના ધનિક લોકો પાસે ગંજાવર મિલકત અને આવક છે. અમેરિકાના મૅનેજરોના પગારો અતિશય ઊંચા છે. તેઓ પોતાના પગારો અને સ્ટૉક ઑપ્શન્સ વધારે જ જાય છે. કારણ કે તેમની કંપનીઓના બોર્ડ ઑફ ડાયરેક્ટર્સ પણ પ્રોફેશનલ મૅનેજરો હોવાથી તેઓ પોતાના સાથી મૅનેજરોનાં મહેનતાણાં પર કોઈ નિયંત્રણ મૂકતા નથી. અમેરિકામાં સામાન્ય કારીગર કે કામદારોના પગારો અને ઉચ્ચ મૅનેજરોના પગારો વચ્ચે હિમાલયની ઊંડી ખીણ અને ટોચ જેટલું અંતર છે. આર્થિક અસમાનતાને લગતો કોયડો માત્ર અર્થકારણને લગતો નથી, પોલિટિકલ ઇકોનૉમીને લગતો પણ છે.
નિયો-લિબરાલિઝમ :
ઈ.સ. ૧૯૮૦થી ઈ.સ. ૨૦૧૦ના ગાળા દરમિયાન અમેરિકામાં આવક અને સંપત્તિની અસમાનતા વધી તેની પાછળ રોનાલ્ડ રેગનનું નિયો-લિબરાલિઝમનું અર્થકારણ છે, જેને ‘રેગનોમિક્સ’ તરીકે ઓળખવામાં આવે છે. રોનાલ્ડ રેગને (૧૯૮૧થી ૧૯૮૯) અને બ્રિટનના તે વખતના વડાપ્રધાન માર્ગારેટ થેચરે (૧૯૭૯-૧૯૯૦) એ સ્ટેગ્ફ્લેશનને (આર્થિક ફુગાવો અને ઊંચી બેકારીનાં પરિબળો) સામે લડવા બજારકેન્દ્રી એવી નિયો-લિબરાલિઝમ અર્થકારણની રચના કરી. મુક્ત બજારો, વિદેશી મૂડીની મુક્ત આવન-જાવન, મુક્ત આયાત-નિકાસ, સરકારી સાહસોને ખાનગી હાથોમાં વેચી દેવાં, મજૂરસંગઠન પર કડક અંકુશો મૂકવા (અનેક જાહેર સેવાઓનું ખાનગીકરણ વગેરે) આ બજારકેન્દ્રી અર્થકારણનાં મુખ્ય અંગો હતા. પરંતુ એ કબૂલ કરવું પડે કે આ બજારવાદી નીતિથી રોનાલ્ડ રેગને અને માર્ગારેટ થેચરે તેમના દેશમાં વ્યાપેલા સ્ટેગ્ફ્લેશનને દૂર કર્યું. તેમણે કહ્યું કે જલદ રોગ માટે જલદ દવા જરૂરી છે. પરંતુ આ દરમિયાન અમેરિકા-યુરોપમાં આર્થિક અસમાનતા વધી. બકરું કાઢતા ઊંટ પેઠું. પીકેટીનું મુખ્ય ધ્યેય અર્થકારણમાં આર્થિક અસમાનતા ઓછી કરવાનું છે. પીકેટી સુધારાવાદી છે. માર્ક્સ જેવા ક્રાંતિકારી નથી. માર્ક્સ મૂડીવાદનો સર્વનાશ ઇચ્છતા હતા. પીકેટી કહે છે કે મૂડીવાદમાં સમાનતાવાદી સુધારા લાવી શકાય છે. તેમને યુરોપને વેલફેર સ્ટેટનું મૉડેલ પસંદ છે. આ મૉડેલમાં મૂડીવાદ અને સમાજવાદનું મિશ્રણ છે. તેમાં રાજ્ય નાગરિકોના સ્વમાનપૂર્વક જીવવાના હક્કની જવાબદારી લે છે. ભારતે છેલ્લા બે દાયકાથી આ કલ્યાણરાજ્યનું મૉડેલ અપનાવ્યું છે, પણ તેનું બજેટ હજુ બધું કલ્યાણ કેન્દ્રી બનાવવું પડશે. મૂડીવાદને સુધારી શકાય છે, તેને તોડી નાખવાની જરૂર નથી. પીકેટ માને છે કે હાલનો મૂડીવાદ ઊણપવાળો છે. તેને સમાનતાવાદી બનાવવો જરૂરી છે, પણ અસમાનતાનો પ્રશ્ન અર્થકારણનો નથી, પોલિટિકલ ઇકોનૉમીનો છે. મૂડીવાદનો હાર્દમાં જ અસમાનતા હોય, તો મૂડીવાદને દૂર કરવો કે સુધારવો (એન્ડ કરવો કે એમેન્ડ કરવો) તે પ્રશ્ન મૂળભૂત છે. માર્ક્સે કહ્યું તેને end કરો. પીકેટી કહે છે તેને amend કરો અને માર્ક્સની વર્ગવિગ્રહની વાતો છોડી દો. દુનિયાના અતિ ધનાઢ્યો પર પ્રોગ્રેસિવ કરવેરા નાંખો અને લોકશાહી સંસ્થાઓનું પુર્નનિર્માણ કરો. જગતની તમામ લોકશાહી સરકારો માટે બળબળતો પ્રશ્ન છે કે તેમણે મૂડીવાદને કેવી રીતે કાબૂમાં રાખવો. મૂડીવાદ અને મુક્તબજારમાં એવું કોઈ ઑટોમિકેનિઝમ (આંતરરચના) નથી કે જે અસમાનતાને ઘટાડે. તેને માટે સરકારે કડક પગલાં લેવા પડ્યાં.
ભારતમાં આર્થિક અસમાનતા અને થોમસ પીકેટી :
ભારતમાં આર્થિક અસમાનતા વધતી જશે તો તેની લોકશાહી તૂટી પડશે પરંતુ ભારતમાં ગરીબી ઘટાડવા પ્રયત્નો થયા છે, પરંતુ ‘ડાયરેક્ટ ઍટેક ઓન નઈ ઇક્વોવિટી’ પર પ્રયત્નો થતા નથી. આવા મહાન અર્થશાસ્ત્રી થોમસ પીકેટીએ ૨૧ જાન્યુઆરી, ૨૦૧૬ના રોજ ભારતમાં આવેલી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં ઉપરનો મુખ્ય મુદ્દો રજૂ કર્યો. ભારતની આર્થિક અસમાનતા પર તેમણે નીચેનાં વિધાનો કર્યાં.
ભારતમાં વધી રહેલી આર્થિક અસમાનતા તેના ઝડપથી થઈ રહેલા આર્થિક વિકાસ માટે સારી બાબત નથી. લાંબા ગાળામાં આર્થિક અસમાનતા ભારતીય અર્થકારણના વિકાસની આડે આવશે. ભારતમાં ભદ્રવર્ગીય સમાજે પશ્ચિમના ભદ્રવર્ગીય સમાજ કરતાં વધુ સારું વર્તન (અસમાનતા દૂર કરવાની દિશામાં) કરવું પડશે. પશ્ચિમ જગતમાં આર્થિક સમાનતા તરફનું વલણ તમને બે વિશ્વયુદ્ધના અને ૧૯૩૦ની ડિપ્રેશનના ભયાનક આંચકા લાગ્યા પછી શરૂ થયું. શું ભારતને પણ હિંસક જબરજસ્ત આંચકાની જરૂર છે? ભારતના જાહેર ક્ષેત્રની સેવાઓ (શિક્ષણ, સ્વાસ્થ્ય, રસ્તા, પાણી-પુરવઠાની અને સિંચાઈની યોજનાઓ વગેરે) પુષ્કળ અપૂરતી છે. ભારતમાં બહુ ઓછા લોકો કરવેરા આપે છે. ભારતના અગ્રવર્ગે વધારે કરો ચૂકવવા જોઈશે અને ખાસ કરીને સ્ત્રીશિક્ષણમાં પુષ્કળ ખર્ચો (મૂડીરોકાણ) કરવો જોઈશે. અસમાનતાને દૂર કરવાનું એક સબળ શસ્ત્ર શિક્ષણ અને જ્ઞાનનો નીચે સુધીનો પ્રચાર અને પ્રસાર છે. ભારતે શિક્ષણ પાછળ હજી પુષ્કળ ખર્ચો કરવાનો રહે છે અને શિક્ષણને સર્વસમાવેશક બનાવવાનું રહે છે. ભારતમાં રાષ્ટ્રીય આવકમાં કરવેરાનો હિસ્સો માત્ર ૧૧ ટકા છે તે ૧૫થી ૨૦ ટકા કરવો જોઈએ. ભારત જો લોકશાહીના માળખામાં અસમાનતાનો પ્રશ્ન દૂર નહીં કરી શકે, તો ભારતમાં લોકશાહી ટકી શકશે નહીં. છેલ્લે પીકેટીએ અસમાનતા અંગે ભારત વિશે તાજેતરમાં અલગ પુસ્તક લખીને ઉપરના જ મુદ્દાઓ પર ભાર મૂક્યો છે.
ઉપસંહાર :
અત્યારે સમસા જગતમાં એવું ચિંતન ચાલી રહ્યું છે, જો તમારે ગરીબી ઘટાડવી હશે, તો આર્થિક વૃદ્ધિદર વધારવો પડશે, જે દરમિયાન અસમાનતા વધશે, પરંતુ ગરીબી ઘટશે. જે ભારતમાં થઈ રહ્યું છે. જો તમે આર્થિક અસમાનતા પર પ્રત્યક્ષ હુમલો કરશો, તો આર્થિક વૃદ્ધિ ઘટશે અને ગરીબી ઝડપથી ઘટશે નહીં, કદાચ વધે પણ ખરી. દરેક દેશે આ અંગે નિર્ણય કરવાનો છે. ભારતે પ્રથમ વિકલ્પ સ્વીકાર્યો છે. જગતમાં આમ સર્વત્ર બની રહ્યું છે.
સેટેલાઈટ, અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2017; પૃ. 05-06