સામાજિક ન્યાયના વિચારમાં આર્થિક ન્યાયનો સમાવેશ થઈ જાય છે. આર્થિક ન્યાય એટલે દેશના દરેક નાગરિકની મૂળભૂત જરૂરિયાતો પૂરી થાય છે અને સમય જતાં આર્થિક અસમાનતા પણ ઘટે. કોઈ પણ સમાજમાં દરેકને તદ્દન સરખો પગાર કે મહેનતાણું ન આપી શકાય, પરંતુ તેની કુશળતા અને કામની ધગશ (મોટિવેશન) પ્રમાણે તે આપી શકાય. આ માટે કયા રાજકારણની અને અર્થકારણની જરૂર છે, તેનો માનવજાતને હજી પૂર્ણ ખ્યાલ આવ્યો નથી.
જગતનું અર્થકારણ :
ઘણાં માને છે કે, જગતનું અર્થકારણ ખાડે ગયું છે. આ વાતમાં તથ્ય નથી. સમગ્ર જગતનું અર્થકારણ ઈ.સ. ૧૯૬૧થી ૩.૮ ટકાના દરે વિકાસ કરે છે. જગતમાંથી ગરીબી બહુ જ ધીમી ગતિએ વધી નહીં, ઘટી રહી છે … દુકાળમાં ભૂખમરાથી થતાં મરણો તદ્દન ઓછાં થઈ ગયાં છે. જગતમાં શહેરીકરણનો દોર ૫૦ ટકાથી ઉપર ગયો છે. અત્યારે જગત ૫૪ ટકા શહેરી છે. જગતનું કલ્ચર શહેરી થતું જાય છે અને ગ્રામ્ય કલ્ચર શોષાતું જાય છે. જગતમાં અનેક ગરીબ દેશો (મુખ્યત્વે આફ્રિકમાં) હોવા છતાં વ્યક્તિ દીઠ આવક વધતી જાય છે ને છેલ્લે, જગતની વસતી વધતી જાય છે પરંતુ વસતીવધારાનો દર ઘટતો જય છે. વળી, આજનું જગત માહિતી ક્રાંતિમાંથી પસાર થઈ રહ્યું છે અને સમગ્ર જગતમાં મોબાઇલ ટેલિફોન્સ તથા ઈન્ટરનેટ વાપરનરાઓનું પ્રમાણ વધી રહ્યું છે.
થોડાંક વર્ષ બાદ જગતમાં દરેક પુખ્ત વ્યક્તિ પાસે સેલફોન હશે તેવી સંભાવના છે, પરંતુ અત્યારે સૌથી ચિંતાજનક બાબત વિશ્વમાં બની રહી છે. વિશ્વમાં આવક અને સંપત્તિની અસમાનતા વધતી જાય છે એટલે કે ઊંચો આર્થિક વૃદ્ધિદર આર્થિક અસમાનતા ઓછી કરવાને બદલે વધારે છે. જગતના અમુક દેશો અત્યંત ગરીબ છે જેમાં બરુન્ડી, નાઇજર, ઈથોપિયા, નેપાળ, ટાન્ઝાનિયા, બાલી, કેન્યા, સોમાલિયા તથા સહારાના રણની નીચેના આફ્રિકાના દેશોનો સમાવેશ થાય છે. પાકિસ્તાનની માથા દીઠ આવકની સરખામણીમાં ભારતની માથા દીઠ આવક વધુ છે. જગત અત્યારે માંગના અભાવમાં હળવી મંદીમાંથી પસાર થઈ રહ્યું છે, તેમ છતાં જગતમાં સૌથી મોટા દેશોમાં સૌથી ઊંચો આર્થિક વૃદ્ધિદર ૨૦૧૬માં ભારતે ૭.૬ ટકા અને પછી ચીને ૬.૯ ટકા નોંધાવ્યો હતો, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ અૉવ્ અમેરિકાનો માત્ર ૨.૪ ટકા, યુનાઇટેડ કિંગ્ડમનો માત્ર ૨.૩ ટકા, જાપાનનો માત્ર અડધો ટકો અને બ્રાઝિલનો માઇનસ ૪.૭ ટકા અને કલ્યાણ રાજ્યો ગણાતા ડેન્માર્કમાં માત્ર ૧.૨ ટકા, ફીનલેન્ડમાં માત્ર અડધો ટકો, સ્વીડનમાં ૪.૧ ટકા અને સ્વિટઝર્લેન્ડમાં એક ટકાથી પણ ઓછો હતો. ટૂંકમાં, મોટા દેશોના અર્થકારણના વૃદ્ધિદરમાં ભારતનો નંબર-૧નો ડંકો વાગી રહ્યો છે, પરંતુ સામાજિક ન્યાયની (ખાસ કરીને સ્ત્રીઓ અને દલિતોનેે ન્યાય આપવામાં તથા ઇન્ક્લ્યુિઝવ ગ્રોથની તથા રોજગારીની બાબતમાં) તેનો ડંકો બહુ ધીમા અવાજે વાગી રહ્યો છે. પર્સનાલિટી કલ્ટ બાબતમાં બી.જે.પી. પ્રેરિત રાષ્ટ્રવાદના જંગી પ્રચારમાં સામાજિક ન્યાયની માંગણીઓ ક્ષીણ થઈ જાય છે.
ટ્રીકલ ડાઉન :
ભારતમાં ૨૦૦૦ પછી થયેલ આર્થિક વૃદ્ધિદરથી અને અમેરિકાથી પણ ઊંચા આર્થિક વૃદ્ધિદરથી જગત ચક્તિ થઈ ગયું છે, પરંતુ જગતના કેટલાક સમૃદ્ધ દેશોમાં સંપત્તિનું ઝમણ ઉપરથી નીચે થવાને બદલે નીચેથી ઉપર થઈ રહ્યું છે. અત્યારે અર્થશાસ્ત્રની ટ્રીકલ ડાઉન(ઉપરથી નીચે ઝમણ)ની થિયરી ખોટી પડી રહી છે. નીચેથી જે લાભો ઉપર જાય તેને ઝમણને બદલી બીજું કાંઈક નામ (કદાચ પ્રતિઝમણ, કેટ્રીકલઅપ) આપવું પડશે. ટૂંકમાં, જગતમાંથી ભૂખમરો ઓછો થતો જાય છે. ગરીબીરેખા હેઠળ રહેતા લોકોની સંખ્ય ધીમે ધીમે ઘટી રહી છે, જગતના લગભગ ૩.૮ ટકાના આર્થિક વૃદ્ધિદરથી પ્રગતિ કરી રહ્યું છે. જગતના લોકોની સરાસરી આવરદા વધી રહી છે અને સરાસરી શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે. જગતમાં રોગચાળાથી થતાં મરણ ઓછાં થતાં જાય છે.
ધાર્મિક ઝનૂનવાદ :
જગતના રાજકારણમાં જે કાંઈ ચિંતાજનક બની રહ્યું છે, તે ધાર્મિક હિંસાના સાર્વત્રિક બનાવો છે. ઇસ્લામિક આતંકીઓ ઘડિયાળના કાંટા પાછા ફેરવવા માગે છે, જગતને મધ્યયુગ(ફ્યુડઝલ એજ)માં લઈ જવા માગે છે, સ્ત્રીઓના હક્કો કચડી નાખવા માગે છે અને સિક્યુલારિઝમનો વિચાર પણ ખતમ કરવા માંગે છે. પશ્ચિમ જગતના રેનેર્સા, રેફર્મેશન તથા એનલાઇનમેન્ટના વિચારોને ખતમ કરવા માગે છે. આ ધાર્મિક ઝનૂનને ચલાવી લેવાય નહીં. જગતમાં અત્યારે લગભગ (ભારત સહિત) તમામ દેશોમાં જમણેરી રાજકીય વિચારધારા ચાલી રહી છે. અને ડોનાલ્ડ ટ્રમ્પ ઉત્તર કોરિયાનો સંઘર્ષ અને રાષ્ટ્રોનું પ્રદર્શન જગતમાં અણુયુદ્ધ ઊભું કરે તેવો જગતને હવે ભય લાગવા માંડ્યો છે.
જગતની આર્થિક પ્રગતિ હવે જગતના રાજકારણના હાથમાં છે, ધર્મમાં નથી આ અંગે કિશોરીલાલ મશરૂવાળા તેમના સમૂળીક્રાંતિ (૧૮૪૮)માં સારી રીતે જ લખે છે, ‘ઘણાં વર્ષોથી હું કહેતો આવ્યો છું અને મારી માન્યતા વધારે ને વધારે દૃઢ થતી જાય છે કે આજનો એક પણ ધર્મ હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન વગેરે – માનવ સમાજના આ જમાનાના કોયડાઓનો ઉકેલ લાવી શકવા લાયક રહ્યો નથી. બધા નિષ્પ્રાણ થયેલા છે અને કોઈનો ય તેના મૂળ સ્વરૂપમાં ફરીથી જીર્ણોદ્ધાર કરવામાં આવે તો ય આ પ્રશ્નો ઉકેલી શકાય તેમ નથી. અને આ બાબતમાં હિન્દુધર્મ સૌથી વધારે નિષ્પ્રાણ છે અને ભ્રમોનો ઉચ્છેદ કરવા માટે અયોગ્ય છે.’ ટૂંકમાં, શ્રી મશરૂવાળા મુસ્લિમ, હિન્દુ, બૌદ્ધ, ખ્રિસ્તી વગેરે ધર્મોને સામાજિક અને આર્થિક ન્યાય મેળવવા લાયક સમજતા નથી. તેમને મતે સામાજિક અને આર્થિક સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે તમામ ધર્મો તદ્દન ‘ઇરેલેવન્ટ’ છે. ભારતમાં રાષ્ટ્રીય સેવકસંઘે અને ઇસ્લામ જગતનાં અનેક જૂથોએ આની નોંધ લેવા જેવી છે – માનવજાતનો આદર્શો તો લિબર્ટી, ઇક્વાલિટી અને ફોર્ટનિટી(અથવા પર્સુટ ઑફ હેપીનેશ)વાળો સમાજ હોઈ શકે, જે તદ્દન સેક્યુલર છે. આ દુનિયાના કોઈ ધર્મમાં નથી પરંતુ તે ફ્રૅંચક્રાંતિએ ઊભો કર્યો છે.
જગતમાં ધર્મનું અને ગાયનું રાજકારણ નહીં પણ સામાજિક ન્યાયનું રાજકારણ જરૂરી છે અને તે જ જગતના રાજકારણના કેન્દ્રમાં હોવું જોઈએ. જગતની દરેક સરકારે પોતાના દેશમાં લોકશાહીને ‘વાઇડન’ અને ‘ડીપન’ (વિસ્તૃત અને છેક તળિયા સુધીની ઊંડી) કરવાની છે. માત્ર રાજકારણ જ નહીં, પણ સમાજની દરેકે દરેક સંસ્થામાં હોય તે ન્યાયી સમાજની દિશામાં પ્રથમ પગલું છે. ભારતમાં ક્યાં લોકશાહી છે? તેને ફ્યુડલ સિસ્ટમ કહી શકાય. કેમ ? રાજકારણીઓનાં સગાં-વહાલાં પરંપરાગત સત્તા ભોગવે છે, વી.આઈ.પી. રસ્તા પરથી પસાર થાય, ત્યારે કલાકો સુધી રસ્તાઓ બંધ કરવામાં આવે છે. લગ્નમાં શાહી ખર્ચા થાય છે, તેની સામે કોઈ બોલતું નથી, પ્રધાનમંત્રીને તેમના સહકાર્યકરો અને અનુયાયીઓ ‘દેવના દીધેલ’ માની પગે લાગે છે. આ પાર્લામેન્ટમાં અઢળક અપરાધીઓ ઘૂસી ગયા છે, કાયદા અન્ય લોકો માટે છે, અમારે માટે નહીં, તેમ પક્ષના પ્રધાનો અને હોદ્દેદારોની માન્યતા છે. દરેક પક્ષમાં પુષ્કળ ભ્રષ્ટાચાર છે અને તેને પડકારનારને હેરાન કરવામાં આવે છે. સામાજિક અને આર્થિક ન્યાયની બાબતમાં ક્લાસિકલ મૂડીવાદ, બજારવાદી મૂડીવાદ, સમાજવાદ અને ચીનનો અને સોવિયેટ રશિયા તથા ક્યુબાનો સામ્યવાદ તથ ગ્રામકેન્દ્રી અને રેંટિયાથી ઓબસેસ્ડ સર્વોદયવાદ પણ નિષ્ફળ ગયા છે. જગત હવે કોઈ નવી વિચારસરણીની શોધમાં છે, તે રિવોલ્યુશન દ્વારા આવશે કે ઇવોલ્યુશન દ્વાર તેની આપણને ખબર નથી.
અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2017; પૃ. 08-09