રાફેલ સોદો કેટલો સદોષ છે અને કેટલો નિર્દોષ છે એ તો સમય કહેશે, પણ સર્વોચ્ચ અદાલતનું બીજીવાર નાક કપાયું એ ચિંતા ઉપજાવનારી બાબત છે. પહેલીવાર કેન્દ્ર સરકારે આપેલા બંધ પરબીડિયાએ નાક કાપ્યું હતું. પરબીડિયામાંની વિગતો ચકાસવાની પણ તસદી સર્વોચ્ચ અદાલતે નહોતી લીધી. એમને એમ પરબીડિયામાંની ખોટી વિગતોને આધારે પોપટની જેમ ચુકાદો આપી દીધો હતો. સર્વોચ્ચ અદાલતમાં જૂઠી વિગતો રજૂ કરવા માટે અદાલત ખફા ન થાય એ માટે કેન્દ્ર સરકારે અદાલતને વ્યાકરણના પાઠ ભણાવ્યા હતા અને કહ્યું હતું કે નહીં, નહીં, આ આ રીતે વાંચવું જોઈએ, વગેરે.
બીજીવાર સી.બી.આઈ.ના વડા આલોક વર્માનું ભવિષ્ય નક્કી કરવાના મામલામાં સર્વોચ્ચ અદાલતનું નાક કપાયું છે. વાત એમ છે કે આલોક વર્માએ અરુણ શૌરી, પ્રશાંત ભૂષણ અને યશવંત સિન્હાની રાફેલ સોદાની તપાસ કરવામાં આવે એવી અરજી સી.બી.આઈ.માં દાખલ કરી હતી. એ ઓક્ટોબર મહિનો હતો અને ૩૧મી જાન્યુઆરી ૨૦૧૯ના રોજ આલોક વર્મા નિવૃત્ત થવાના હતા. ચાર મહિના કાઢવાના હતા અને એ ચાર મહિના મોંઘા પડી શકે એમ હતા. કેન્દ્ર સરકારે ગુજરાત કેડરના અધિકારી રાકેશ અસ્થાનાને સી.બી.આઈ.માં ડેપ્યુટી ડાયરેક્ટર અર્થાત્ નબર ટુ તરીકે ધરાર ગોઠવી દીધા હતા કે જેથી આલોક વર્મા નિવૃત્ત થાય તો પાળેલા પોપટને સી.બી.આઈ.ના વડા તરીકે ગોઠવી શકાય. સી.બી.આઈ.ના વડાની નિયુક્તિ વડા પ્રધાન, દેશના મુખ્ય ન્યાયમૂર્તિ અથવા તેમના વતી કોઈ જજ અને વિરોધ પક્ષના નેતા કરતા હોય છે એટલે રાકેશ અસ્થાનાની નિયુક્તિ આસાન નહોતી. રાકેશ અસ્થાના નિષ્કલંક અને પ્રામાણિક અધિકારી છે એવું કેન્દ્રીય દક્ષતા (સેન્ટ્રલ વિજીલન્સ કમિશન) પંચનું પ્રમાણપત્ર સાથે જોડવું હોવું જરૂરી હોય છે. જો અધિકારી નિષ્કલંક હોય અને નંબર ટુ હોય તો અનુભવના આધારે ત્રણ સભ્યોની કોલેજિયમમાં નિયુક્તિ કરાવી લેવી સરળ બને છે.
આ બાજુ સી.બી.આઈ.માં રાકેશ અસ્થાનાની ધરાર કરવામાં આવેલી નિવૃત્તિને આલોક વર્માએ પડકારી હતી. રાકેશ અસ્થાના જ્યારે ગુજરાતમાં હતા ત્યારે ગળે પટ્ટો બાંધેલા શ્વાન હતા એ દિલ્હીમાં કોઈ અજાણી વાત નહોતી. આલોક વર્માએ રાકેશ અસ્થાના સામે તપાસ કરવાનો હુકમ કર્યો. કેન્દ્ર સરકારને સમજાઈ ગયું રાકેશ અસ્થાના ગળણામાંથી ગળાય એમ નથી. તેમનો કલંકિત ઇતિહાસ આડો આવે એમ છે. હવે કરવું શું? શરૂઆતમાં થોડા દિવસ રાકેશ અસ્થાના પોતાનો બચાવ કરતા હતા. એ પછી તેમણે અચાનક આલોક વર્મા સામે ભ્રષ્ટાચારના આરોપ કરવા માંડ્યા. સી.બી.આઈ.માં બે અધિકારીઓ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હોય એવી સ્થિતિ પેદા કરવામાં આવી. એની વચ્ચે છઠ્ઠી ઓક્ટોબરે કેન્દ્રીય દક્ષતા આયુક્ત કે.વી. ચૌધરી રાતના અંધારામાં આલોક વર્માને ઘરે ગયા અને આલોક વર્માને કહેવામાં આવ્યું કે જો તેઓ રાકેશ અસ્થાના સામેના ભ્રષ્ટાચારના આરોપ પાછા ખેંચી લેશે તો અસ્થાના પણ સામે પ્રતિસાદ આપશે અર્થાત્ આલોક વર્મા સામેના આરોપ પાછા ખેંચી લેશે. તેમને એમ પણ કહેવામાં આવ્યું કે ‘બાકીનું બધું ઠીક થઈ જશે, એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી.’ આલોક વર્માએ કેન્દ્રીય દક્ષતા આયુક્તને બે હાથ જોડીને વિદાય કરી દીધા.
હવે? હવે રાકેશ અસ્થાનાને આલોક વર્માની નિવૃત્તિ પછી તેમની જગ્યાએ સી.બી.આઈ.ના વડા તરીકે ગોઠવવા એ મુશ્કેલ કામ હતું. મુશ્કેલ નહીં, અશક્ય હતું અને સામે રાફેલ સોદાની વિગતો એક પછી એક ઉઘાડી પડતી જતી હતી. બીજું આલોક વર્માએ અરુણ શૌરી અને બીજાઓની તપાસ કરવાની માગણી કરતી ફરિયાદ દાખલ કરી દીધી હતી અને આલોક વર્મા પાસે હજુયે સાડા ત્રણ મહિના હતા. ભાંડો ફૂટે એ પહેલા સી.બી.આઈ.માંથી આલોક વર્માને કાઢવા જરૂરી હતું. રાકેશ અસ્થાના આલોક વર્મા સામેની લડાઈ હજુ નીચલા સ્તરે લઈ ગયા. એ શા માટે બન્યું અને કોના નિર્દેશથી બન્યું એ વિશે તર્ક કરવાની જરૂર નથી.
તખતો એવો રચવામાં આવ્યો કે જાણે સી.બી.આઈ.માં બે અધિકારીઓ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હોય અને કેન્દ્ર સરકારે સી.બી.આઈ.ને બચાવવા દરમિયાન કરવી પડે. અર્નબ ગોસ્વામીઓ તો હાથવગા હતા જ. ઓક્ટોબરની ૨૩મી તારીખે કેન્દ્ર સરકારે રાતે બે વાગે હુકમ બહાર પાડીને આલોક વર્મા અને રાકેશ અસ્થાના એમ બન્નેને રજા પર ઉતારી દીધા. આલોક વર્માને શહીદ કરવા માટે હવે રાકેશ અસ્થાનાનો ભોગ લેવો જ પડે એમ હતો અથવા એમ પણ કહી શકો કે આલોક વર્માનો ભોગ લેવા માટે રાકેશ અસ્થાનાને શહીદ કરવા પડે એમ હતા. આમ પણ રાકેશ અસ્થાનાનો હવે કોઈ ખપ રહ્યો નહોતો એટલે તટસ્થતાનો દેખાડો કરવા માટે બન્નેને તગેડી મુકવામાં આવ્યા. આલોક વર્માની જગ્યાએ એમ. નાગેશ્વર રાવની સી.બી.આઈ.ના વચગાળાના વડા તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. આ નાગેશ્વર રાવ પણ અસ્થાના જેવી જ પટ્ટાધારી હોવાની ખ્યાતિ ધરાવે છે.
રાકેશ અસ્થાના સી.બી.આઈ.ના વાડામાં છીંડે ઊભા રાખવામાં આવેલા પટ્ટાધારી હતા અને તેમનો વળતો ઘા પટકથા મુજબનો હતો, પરંતુ આલોક વર્માએ કેન્દ્ર સરકારના આદેશને સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો. હવે સર્વોચ્ચ અદાલતની ભૂમિકા આવી. શું કેન્દ્ર સરકાર આ રીતે સી.બી.આઈ.ના વડાને હટાવી શકે? જેમ નિયુક્તિ કરવાનો અધિકાર વડા પ્રધાન, દેશના મુખ્ય ન્યાયમૂર્તિ અને વિરોધ પક્ષના નેતાના બનેલા કોલેજિયમનો છે એમ હટાવવાનો અધિકાર પણ કોલેજિયમનો છે. સર્વોચ્ચ અદાલતે વચગાળાના ડાયરેક્ટર એમ. નાગેશ્વર રાવને કહ્યું હતું કે જ્યાં સુધી આલોક વર્માને હટાવવાના કેન્દ્ર સરકારના અધિકાર અને ઔચિત્ય વિષે અદાલત નિર્ણય ન કરે ત્યાં સુધી તમારે માત્ર રોજીંદો વહીવટ ચલાવવાનો છે, કોઈ મોટા નિર્ણયો લેવાના નથી.
હવે કેન્દ્ર સરકારની ચિંતા એ હતી કે જો સર્વોચ્ચ અદાલત આલોક વર્માને પુન:સ્થાપિત કરે તો ગોળા સાથે ગોફણ પણ જાય. રાકેશ અસ્થાના પણ ગયા, નાગેશ્વર રાવ પણ ગયા અને વર્મા પાછા આવશે. અરુણ શૌરી અને બીજાઓની દાખલ કરવામાં આવેલી ફરિયાદ તો સી.બી.આઈ.માં પડી જ છે અને નાગેશ્વર રાવના હાથ સર્વોચ્ચ અદાલતે બાંધી લીધા હોવાથી એ ફરિયાદ ફગાવી પણ શકાઈ નથી. મૂળ પટકથા મુજબ તો એમ. નાગેશ્વર રાવે અરુણ શૌરી અને બીજાઓની ફરિયાદ નિરાધાર હોવાનું કહીને ફગાવી દેવાની હતી.
શું કર્યું સર્વોચ્ચ અદાલતે?
બીજીવાર નાક કપાવ્યું એની વાત હવે પછી.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 16 જાન્યુઆરી 2019