૧ જૂન, ૨૦૨૧ અને ૧૬ જૂન બન્ને અંકોમાં ‘શબવાહિની ગંગા’ વિષે લગભગ બધા જ લેખ વાંચ્યા. ૧૬ જૂનના અંક પહેલા જ મારા મિત્ર ડંકેશભાઈ ઓઝાએ કવિતા મને મોકલી આપી હતી. આ વિશે મારે થોડુંક કહેવાનું છે, તે હું જણાવું છું.
ગંગાજી બધા ભારતીય માટે પૂજ્ય છે, અને દેશ માટે ઘણી જ ઉપયોગી છે. દરેક ભારતીયને ગંગાજીનાં દર્શન કરવાની હોંશ હોય છે. મારે સારે નસીબે મને મારી નોકરી દરમિયાન જુદે જુદે ઠેકાણે જવાનું થતું હોવાથી મને ગંગાદર્શનનો લાભ શરૂઆતથી અને સહેલાઈથી મળતો રહેતો.
સન ૧૯૫૭માં જ્યારે મારે તાલીમ અર્થે પંદર દિવસ કોલકાતા જવાનું થયું, ત્યારે પહેલી વખત ગંગાજીનાં દર્શન પામ્યો. તે સમય દરમિયાન લગભગ આઠ વખત ગંગાકિનારે જઈ શક્યો હાવરાબ્રિજથી કાલીઘાટ સુધી કિનારે ફરવાનું પણ બન્યું. એક વખત પ્રિન્સેપઘાટ ઉપર બેઠો હતો, ત્યાં એકાએક એક શબ તરતું, વહી જતું જોયું. મને થયું કે કોઈએ ગંગાજીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હશે.
ત્યાર બાદ, થોડેથોડે સમયે હરદ્વાર, કાનપુર, અલાહાબાદ, બનારસ, પટણા, વગેરે જગ્યાયે પણ ગંગાજીના દર્શનનો લાભ મળ્યો હતો. ૧૯૬૭માં હું કાનપુર ૧૫ દિવસ માટે ગયો હતો. ત્યાંનો એક પ્રસંગ મનમાં ઘર કરી બેઠો છે. કાનપુરમાં હું આર્મી કેન્ટોનમેન્ટના ગેસ્ટહાઉસમાં ઊતરેલો. ગામની લગભગ બહાર ગંગાજીથી માંડ બે ફર્લાંગ દૂર હતું. કિનારે, કાંઠોઘાટ શાંત અને બેઠકોની સગવડવાળો હતો. પહેલી વખતે દર્શન માટે ગયો, ત્યારે ગેસ્ટહાઉસનો મૅનેજર, જે કાનપુરનો જ રહેવાસી હતો, તે ભોમિયા તરીકે મારી સાથે આવ્યો હતો. અમે બન્ને કિનારે વાતો કરતા બેઠા હતા ને દસ મિનિટમાં હું શું જોઉં છું? પહેલા એક શબ નદીમાં વહેતું જતું હતું. ત્યાર બાદ બીજી પાંચ મિનિટમાં એક સાથે બીજાં બે શબ વહી જતાં દેખાયાં. પછી થોડી મિનિટમાં બીજું એક શબ આમ જ વહેતું ચાલ્યું. મને સખત આંચકો લાગ્યો. મારાથી બોલી જવાયું, “યે સબ ક્યા હો રહા હૈ?” મારા સાથીએ મડદા તરફ જોઈને કહ્યું ‘ઇસમેં કૌનસી નઈ બાતી હૈ? યે તો રોજ હોતા રહેતા હૈ”. હું અડધી મિનિટ અચંબામાં એની તરફ જોઈ રહ્યો, ત્યારે એણે કહ્યું, ગંગા-પ્રદેશ ગંગાજીની આજુબાજુ રહેતા ખૂબ ગરીબ લોકોને સ્મશાનના પાંચ-દસ રૂપિયા ખર્ચ પોસાતો નથી ત્યારે એ લોકો શબને ગંગાજીમાં વિસર્જિત કરે છે. ગંગાજીમાં એમને માટે શબ-વિસર્જનનું એક સાધન છે, આશરો છે.” પછીના ચોવીસ કલાક સુધી આની અસર મારા ઉપર રહી. પછી તો બીજી ચાર વખત મેં ગંગાકિનારેથી એક-બે શબ વહી જતાં જોયાં. આવું જ દૃશ્ય મેં અલહાબાદ, બનારસ, પટણા ખાતે પણ જોયું.
ભારતમાં અતિ ગરીબ પ્રજા જે ગંગાજી પાસે રહે છે તેમને માટે ગંગાજી આમ એક સાધન છે, એવો ખ્યાલ આપણને આવતો જ નથી. ભારત જ્યારે આઝાદ થયું, ત્યારે ૩૦ કરોડની વસ્તીમાં લગભગ ૬૫.૧ (ટકા) એટલે કે ૧૯ કરોડ લોકો ગરીબી રેખાની નીચે જીવતા હતા, આ “ગરીબી રેખા” એટલે શું? કૅલેરી-બેલેરીની વાત છોડીને આની સીધીસાદી, બધાને સમજાય એવી વાત કરીએ. વ્યક્તિ, કુટુંબ જ એટલું કમાતું ન હોય કે બે ટંક જમી શકે, એટલે કે કમાણી એટલી જ કે બીજી ટંક જમવાનું પોસાય નહીં, એટલે રોજ સાંજે ખાધાપીધા વગર ભૂખે પેટે જ સૂઈ જવું પડે તે ગરીબી રેખાની નીચે ગણાય.
આઝાદી પછી ૧૯૯૧ સુધીમાં ઘણી બધી પંચવર્ષીય યોજનાઓ થઈ, પ્રોજેક્ટો અને લોકકલ્યાણની યોજનાઓ અમલી થઈ. ‘ગરીબી હટાવો’ના નારા બધા જ રાજકીય પક્ષોએ અપનાવ્યા અને વચનો આપ્યાં. પરિણામ શું આવ્યું? ૧૯૯૧માં ભારતની વસતી ૧૦૦ (સો) કરોડે પહોંચી, એમાંથી ૨૮% (અઠ્યાવીસ ટકા) લોકો ‘ગરીબી રેખા નીચે’ જીવતા હતા. ૬૫% ટકામાંથી આપણે ૨૮% ટકા લાવી શક્યા એ સિદ્ધિ(?)નાં બણગાં ફૂંકાયાં પ્રગતિ થઈ, પણ ‘ભૂખ્યા સૂતા’ મનુષ્યોની વસ્તી આપણા દેશમાં ૧૯ કરોડથી વધી ૨૮ કરોડ થઈ ગઈ. ટકાવારીમાં પ્રગતિ થઈ, પણ ટકાને ભૂખ્યા સૂવું પડતું નથી ૨૮ કરોડ દારુણ ગરીબીવાળી વસ્તીએ ભૂખેપેટે સૂવું પડે છે. આ કઈ જાતની પ્રગતિ? ત્યારે પછી ૨૦૧૫-૧૬ના અંદાજિત આંકડા મુજબ વસ્તી ૧૨૦ કરોડ પહોંચી અને ગરીબીરેખા નીચે રહેતા લોકોની સંખ્યા ૨૩ ટકા એટલે કે ૨૭ કરોડ રહી. ૨૭ કરોડ લોકો ભૂખે પેટે સૂવા ગયા.
આપણે ત્યાં અત્યંત જમણેથી માંડીને અત્યંત ડાબેરી પક્ષો, પાર્ટીઓ, સંગઠનો આ પ્રશ્ન બાબતમાં બૂમાબૂમ કરે છે, પણ કોઈ ઠોસ કાર્યક્રમ આ પ્રશ્નને ઉકેલવા અમલમાં મૂકતાં નથી. આપણો મધ્યમવર્ગ (અને ઉપલો વર્ગ પણ) કે જે ખાધે-પીધે અને પૈસટકે સુખી છે, તેને આ ભીષણ ગરીબીની વાત કે ચર્ચા પ્રત્યે સખત અણગમો છે. યા તો આની ચર્ચા કરતા જ નથી, ટાળે છે. અથવા તો ચર્ચા થાય તો આડે માર્ગે દોરી જાય છે, બધા જ પક્ષો, પાર્ટીઓ સત્તામાં હોય, ત્યારે ફક્ત પોતાની છબી સારી રહે કે સુધરે એટલું (મને કમને) કરતાં હોય એવો દેખાવ કરે છે. ઉપલા અને મધ્યમવર્ગને તો ભારતની આ ભીષણ ગરીબી પ્રત્યે ‘આંખઆડા કાન’ કરવાનું સદી ગયું છે.
કોરોનાના ભયંકર રોગચાળામાં ખૂબ મોત થયાં. એમાં ખૂબ ગરીબ લોકો કે જે દવાદારૂ હૉસ્પિટલ વગેરેના ખર્ચા વેઠી શકે એવા હતા, તે પ્રમાણમાં વધુ મર્યા. સ્મશાનમાં દેહની અંતિમક્રિયાનો ખર્ચ રૂ. ૨૦૦થી રૂ. ૫૦૦ સુધી પહોંચી ગયો. આટલો મોટો ખર્ચ ગરીબ કુટુંબને ક્યાંથી પરવડે? એટલે એ ગરીબ કુટુંબો માટે (કે જે ગંગા કિનારે તે આસપાસ રહેતા હોય) ગંગાજી જ શબવિસર્જનનું સાધન રહ્યું છે. જેમ મૃત્યુ વધારે તેમ ગંગાજીના વહેતા મૂકેલા શબની સંખ્યા પણ વધારે.
આમ, ગંગાજી ભારત માટે ઘણી બધી રીતે ઉપયોગી અને આશીર્વાદરૂપ છે. પણ જ્યાં સુધી આપણે આ દારુણ, ભીષણ ગરીબી ઓછી નહીં કરીએ (નાબૂદીની તો વાત જ શી કરવી) ત્યાં સુધી ગંગાજી ‘શબવાહિની’ છે અને ‘શબવાહિની’ રહેશે.
ઇ-મેઇલ : mohinidesai1937@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 09