કોટ બાંધ્યો, ખાઈ ખોદી, પણ ખાઈ ઓળંગવા માટેના પૂલ બાંધવાનું જ ભૂલાઈ ગયું!
આદિત્ય ઉદય સમ અંગ્રેજી રાજ્ય થયું.
ત્રાસ મટ્યો તસ્કરનો સૌએ ખુલ્લાં દ્વાર મૂક્યાં,
ખાય પીએ, સુખે સૂએ, વિચરે સુખારથી.
ઘોર ચોર ઘુવડ તો ઘરમાં ઘલાઈ રહ્યા,
ઘાતક તે ઘાત ભૂલ્યા, ભૂલ્યા રીત રાતની.
ધનહીન, ધનવાન, ધીમે ધીમે ધંધે ધાયા,
ધૈર્ય ધરી, ધાક તજી કપટી કજાતની.
ભાનુ શો ભભકદાર ભાળ્યો અંગરેજ ભૂપ,
ભાળો ભલી ભૂમિ મધ્ય શોભા ભાતભાતની.
આ શબ્દો છે કવિ દલપતરામના. ના, એમાં અંગ્રેજ રાજની ભાટાઈ નથી. પણ એમના જમાનાના સામાન્ય માણસના મનની વાતનો પડઘો છે. આજે આપણને સંસ્થાનવાદ શબ્દ અળખામણો થઈ પડ્યો છે અને એની નિશાનીઓ વીણી વીણીને દૂર કરવા મથીએ છીએ. પણ અંગ્રેજ રાજ આવ્યું તે પહેલાંના કેટલાક દસકાની સામાજિક, આર્થિક, શૈક્ષણિક વગેરે સ્થિતિમાં બધે જે અરાજકતા હતી તેનો આજે આપણને ખ્યાલ ન આવે. અંગ્રેજ સરકારે જે ‘લો એન્ડ ઓર્ડર’ની સ્થાપના કરી તેને લીધે કેટલી મોટી રાહત આમ જનતાને થઈ તેનો અણસારો દલપતરામ, કવિ નર્મદ, નંદશંકર મહેતા, વગેરે એ જમાનાના લેખકોનાં લખાણો પરથી આજે આપણને આવી શકે.
પણ દલપતરામના આ શબ્દો આજે યાદ આવવાનું કારણ? કારણ એ કે ગયા અઠવાડિયાનું લખાણ વાંચ્યા પછી કેટલાક સુજ્ઞ વાચકોએ પૂછ્યું કે મુંબઈના વેપારીઓ કોટ બાંધવા માટે સામે ચાલીને સરકારને એક ટકો ટેક્સ આપવા તૈયાર કેમ થયા હોય? તો એના જવાબમાં દલપતરામના ઉપરના શબ્દો.
મુંબઈના કોટનો નકશો
અને હા, મુંબઈના વેપારીઓ કંપની સરકારને આવો ટેક્સ આપવા એક નહિ, બે વખત સામે ચાલીને તૈયાર થયા હતા. મુંબઈનો કોટ તો જાણે બંધાઈ ગયો. તેમાં ઠેકઠેકાણે તોપ ગોઠવાઈ ગઈ. પણ પછી લશ્કરના જ કેટલાક અફસરોએ કહ્યું કે આ કોટ બાંધવાથી કાંઈ મુંબઈનું ઝાઝું રક્ષણ થઈ શકે તેમ નથી. કેમ વારુ? પહેલું કારણ એ કે કોટની દીવાલો ૧૫થી ૧૮ ઇંચ જેટલી જ જાડી છે. આવી દીવાલમાં ગાબડાં પાડવાનું બહુ અઘરું નથી કારણ કિલ્લાની ત્રણ બાજુએ ખુલ્લી જમીન છે. એ બાજુથી હુમલા કરીને દુ:શ્મન દીવાલોમાં સહેલાથી ગાબડાં પાડી શકે.
તો હવે કરવું શું? કોટની દીવાલ ફરતી ખાઈ ખોદવી જેથી દુ:શ્મન સહેલાઈથી દીવાલ સુધી પહોંચી ન શકે.
કોટના ચર્ચગેટ બહારનો ડ્રોપ બ્રિજ
એટલે ફરી ચાલી લખાપટ્ટી મુંબઈ અને લંડન વચ્ચે. ફરી એ જ જવાબ. ખાઈ ખોદવી હોય તો ખોદો, પણ તમારે પૈસે. અમે એક દોઢિયું પણ નહિ આપીએ. ત્યારે મુંબઈના વેપારીઓએ સરકારને કાગળ લખ્યો તેમાં જણાવ્યું કે આપના રાજમાં અમે ઘણા વખતથી સુખ-શાંતિથી રહીએ છીએ. બધા ભય-ત્રાસ દૂર થઈ ગયા છે એટલે અમારો વેપાર સારો ચાલે છે. અમારી ધાર્મિક બાબતોમાં સરકાર બિલકુલ દખલ કરતી નથી. એટલે ખાઈ ખોદવાના ખર્ચને પહોંચી વળવા માટે અમે બે ટકાનો ટેક્સ સ્વેચ્છાએ આપવા તૈયાર છીએ. મુંબઈનો કોટ ચણાયો તે પછી અમારી અને અમારા વેપારવણજની સલામતી કેટલી વધી છે તે તો અમે જ જાણીએ છીએ. અમને ખાતરી છે કે ખાઈ ખોદવાથી અમારી અને અમારા વેપારવણજની સલામતી વધશે. એટલે ખાઈ ખોદવાના ખર્ચને પહોંચી વળવા માટે અમે અમારી મરજી અને રાજીખુશીથી આ ટેક્સ ભરશું. કુલ ત્રીસ હજાર રૂપિયાની રકમ એકઠી થાય ત્યાં સુધી અમે આ ટેક્સ નિયમિત રીતે ભરશું (૧૭૩૯ના વરસની સરકારી દફતરની નોંધ, પા. ૨૪૮). કવિ દલપતરામની પંક્તિઓ આ જ વાતનો પડઘો નથી પાડતી?
મુંબઈના વેપારીઓની આ દરખાસ્ત ૧૭૯૩ના જૂનની ૨૯મી તારીખે લંડનમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પાસે રજૂ થઈ. તેના પર ખાસ્સી ચર્ચા થઈ. ખાઈ ખોદવાની ખરેખર જરૂર છે કે નહિ, એ ખોદવાનો કુલ ખર્ચ કેટલો આવે, ખાઈ ન ખોદીએ તો દુ:શ્મનના હુમલા વખતે શી દશા થાય, વગેરે. એ જ વરસની છઠ્ઠી જુલાઈએ મળેલી બેઠકમાં મુંબઈના વેપારીઓની દરખાસ્ત સ્વીકારવામાં આવી. પણ ખાઈ ખોદવાનો કુલ ખર્ચ ૮૫ હજાર રૂપિયા જેટલો થવાનો અંદાજ હતો. એટલે મુંબઈના વેપારીઓ પર વધુ એક ટકો ટેક્સ નાખવાનું નક્કી થયું. અગાઉ કિલ્લો બાંધવા પાછળ થયેલો ખર્ચ હજી પૂરેપૂરો ભરપાઈ થયો નહોતો એટલે તે માટેનો એક ટકો ટેક્સ તો ચાલુ જ હતો. એટલે હવે કુલ ટેક્સ બે ટકા થયો. ખાઈ ખોદવાનો ખર્ચ વસૂલ ન થઈ જાય ત્યાં સુધી અ વધારાનો એક ટકો ટેક્સ ચાલુ રાખવાનું પણ ઠરાવાયું. આખા કોટને આઠ વિભાગમાં વહેંચીને કુલ ૬૧ અંગ્રેજોની કમિટીની નિમણૂક કરી તેમને ખાઈના ખોદકામ પર નજર રાખવા જણાવ્યું.
કોટના ચર્ચગેટથી દરિયા તરફ જતો રસ્તો ચર્ચગેટ સ્ટ્રીટ
પણ થોડા વખત પછી વળી એક નવો ફણગો ફૂટ્યો. ખાઈ ખોદવાને માટે કોટની બહારની જમીન હસ્તગત કરવાનું જરૂરી હતું. એ જમીનના માલિકોને જમીન માટે અને તેના ઉપર ઉગેલાં ઝાડ માટે વળતર કઈ રીતે આપવું? અને આવા વળતર માટેની રકમની જોગવાઈ તો અગાઉ કરી જ નહોતી! આવી કોઈ પણ મુશ્કેલી ઊભી થાય એટલે સરકારોનો તો એક જ જવાબ હોય : નીમો સમિતિ. મુંબઈના પ્રતિષ્ઠિત જમીનદાર અલી બાવા ખોતના વડપણ નીચે સમિતિ નિમાઈ. (નોંધ્યું? આ સમિતિનો વડો કોઈ અંગ્રેજ નહિ, એક પ્રતિષ્ઠિત ‘દેશી’ હતો.) આ સમિતિએ અહેવાલ આપ્યો તેમાં જણાવ્યું કે ખાઈ ખોદવા માટે કુલ ૬૨૧ ઝાડ કાપવાં પડે તેમ છે જેને માટે ઝાડ દીઠ ચાર રૂપિયાના બજાર ભાવે કુલ રૂપિયા ૨,૪૮૪ જેટલું વળતર આપવાનું થાય. આ અહેવાલ પર વિચાર કર્યા પછી ડિરેક્ટરોએ ઠરાવ્યું કે રોકડ વળતર આપવાને બદલે જેનાં જેટલાં ઝાડ કપાયાં હોય તેને તેટલાં ઝાડ – જમીન સહિત, કોટ બહારની સરકારી જમીન પર આપવાં! ખાઈ ખોદવાના ખર્ચને પહોંચી વળવા માટે જે એક ટકાનો ટેક્સ નાખેલો તે અંગે પણ વિવાદ ઊભો થયો. મુંબઈના અંગ્રેજ વેપારીઓએ કહ્યું કે આ ટેક્સ માત્ર ‘દેશી’ઓ એ ભરવાનો છે, અમારે નહિ! મામલો પહોંચ્યો લંડન. જવાબ મળ્યો : આ ટેક્સ દરેક વેપારીએ ભરવાનો છે. એમાં દેશી-પરદેશીનો કોઈ ભેદ કરવાનો નથી. (નોંધ્યું? ગોરા વેપારીઓ વિરુદ્ધનો આ નિર્ણય ગોરી સરકારનો હતો.)
મુંબઈના કોટની ત્રણ બાજુ ખાઈ ખોદવાનું કામ પૂરું થયું છે એવો રિપોર્ટ લંડનમાં ૧૭૪૩ના માર્ચની ૧૩મીએ મળ્યો. એ અહેવાલ મુજબ ખાઈ ખોદવાનો કુલ ખર્ચ અઢી લાખ રૂપિયા આવ્યો હતો. ત્યારે મુંબઈ સરકારને આદેશ અપાયો કે આ રકમ પૂરેપૂરી ભરપાઈ ન થાય ત્યાં સુધી એક ટકો ટેક્સ ઉઘરાવવાનું ચાલુ જ રાખવું.
ચાલો, કોટ બંધાઈ ગયો, ખાઈ ખોદાઈ ગઈ. હવે તો બધું સમુંસૂતરું થઈ ગયું ને? ના. હજી એક મુશ્કેલી રહી છે. એ વખતે મુંબઈના ગવર્નરનું રહેઠાણ આ કોટની અંદર આવેલું હતું. અને એ મકાન કોટની દીવાલો કરતાં વધુ ઊંચું હતું. એટલે દરિયા તરફથી કે જમીન તરફથી, દુ:શ્મન બે-ચાર તોપગોળા ફેંકે તો ગવર્નરનું ઘર ખંડિયેર બની જાય! તેવી જ રીતે સરકારી ટંકશાળનું મકાન કોટની દીવાલથી એટલું નજીક હતું કે તોપનો ગોળો દુ:શ્મન સુધી પહોંચતાં પહેલાં તો આ મકાનને ધરાશાયી કરી દે! પણ સૌથી મોટી મુશ્કેલી તો એ હતી કે કોટની બહાર ત્રણે બાજુ રોજ નવાં નવાં મકાનો દેશીઓના વસવાટ માટે આડેધડ બંધાઈ રહ્યાં હતાં. અને ત્યાં વધુ ને વધુ લોકો રહેવા લાગ્યા હતા. એટલે જો દુ:શ્મન જમીન રસ્તે આવે તો કિલ્લા પરથી થતી તોપબાજીમાં સૌથી પહેલાં આ ‘દેશી’ વસતિનો કચ્ચરઘાણ નીકળી જાય!
કોટની બહાર ઠેર ઠેર નાળિયેર, ખજૂર, તાડનાં ઝાડ
પણ સૌથી મોટી મુશ્કેલી તો એ જણાઈ કે બધા શસ્ત્રસરંજામ સાથે ય કોટનું અને શહેરનું રક્ષણ કરવા માટે પૂરતું થાય તેટલું લશ્કર જ મુંબઈમાં નહોતું! અને મોકલી મોકલીને કેટલા ગોરા સૈનિકોને બોમ્બે મોકલી શકાય? અને એવો વધારાનો ખરચ કરવા માટે કંપનીના ડિરેક્ટરો કોઈ હિસાબે તૈયાર થાય નહિ. કરવું શું? કોટ અને ખાઈ બાંધવાના કામમાં સેંકડો કામાઠી (મજૂરો) જોડાયા હતા જે હવે બેકાર બની ગયા હતા. આ લોકોની એક ‘દેશી સેના’ કેમ ઊભી ન કરવી? કોટના કામ સાથે જોડાયેલા સૌ કામાઠી માટે આ યોજના ખુલ્લી મૂકવામાં આવી. આ સેનાના સુબેદારનો માસિક પગાર ૨૦ રૂપિયા, જમાદારનો ૧૩ રૂપિયા, અને સર નાયકનો સાડા આઠ રૂપિયા. અને સૈનિકોનો પગાર? કોટ અને ખાઈના બાંધકામ દરમ્યાન તેમને જે પગાર મળતો હતો તે જ પગાર ચાલુ રાખવો!
આ દરખાસ્ત સ્વીકારાઈ અને મુંબઈમાં પહેલી વાર કંપની સરકારના લશ્કરમાં ‘દેશી’ સૈનિકો દાખલ થયા. આવા કુલ ૬૧૮ સૈનિકોને ૨૩ કંપનીમાં વહેંચવામાં આવ્યા. દરેક કંપનીનો એક દેશી કેપ્ટન. આવા કેપ્ટનમાંના થોડાંક નામ : શેખ મહંમદ, ભગવાન સિંહ, બાપુજી શેલાર, હનુમંત રાવ, જીવણ લુહાર, રામજી નાયક, શિવાજી કદમ. એક વાત નોંધી? આમાં જુદા જુદા પ્રદેશના, જુદા જુદા ધર્મના માણસોનાં નામ જોવા મળે છે. ભારતીય સૈન્યની બિનસાંપ્રદાયિકતાની પરંપરાની શરૂઆત કદાચ અહીંથી થઈ હતી. પ્રદેશની રીતે જોઈએ તો ૬૧૮માંથી ૩૫૩ – એટલે કે અડધાથી વધુ – મરાઠા હતા. ૩૮ આગરી હતા, ૩૫ સીદી હતા, અને આજે થોડી નવાઈ લાગે, પણ ૨૨૨ ગુજરાતી હતા.
સજાગ વાચક જરૂર પૂછશે : કોટ બાંધવા માટે એક ટકો અને ખાઈ ખોદવા માટે એક ટકો ટેક્સ નાખેલો એ પછી બંધ ક્યારે થયો? ક્યારે ય નહિ! કારણ ૧૭૫૮ના જાન્યુઆરીની ૧૩મી તારીખે લંડનમાં બેઠેલા સાહેબોને લાગ્યું કે આ દીવાલો, આ ખાઈ, કોટમાંનો શસ્ત્ર-સરંજામ, ગોરા અને દેશી સૈનિકો, એ બધા પાછળ અધધધ ખરચ થાય છે. એટલે હવે પછી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા પાછો ખેંચવામાં ન આવે ત્યાં સુધી આ બન્ને ટેક્સ ઉઘરાવવાનું મુંબઈ સરકારે ચાલુ રાખવું!
સરકારી કામકાજની રીતરસમ આજે જેવી છે તેવી જ એ વખતે પણ હશે તેમ લાગે છે. જે બે પૂલને જોડવાનું અગાઉથી નક્કી હોય તે બે પૂલ બાંધતી વખતે ઊંચાઈમાં ખાસ્સો છ ફૂટનો ફરક રહી જાય એવું આજના મુંબઈમાં આપણી નજર સામે બને છે. એ વખતે પણ આવું જ કંઈક બનેલું. કોટ ફરતી ખાઈ બાંધી તે દુ:શ્મન સહેલાઈથી કોટની દીવાલ સુધી પહોંચી ન શકે એટલા માટે. પણ લડાઈ ન ચાલતી હોય ત્યારે લોકોએ કોટની અંદર-બહાર સતત આવજા તો કરવી જ પડે ને? અગાઉ હતા તે ત્રણ દરવાજા તો હજી ઊભા જ હતા. પણ નવી ખોદાયેલી ખાઈ રોજેરોજ લોકો ઓળંગે શી રીતે? એટલે મુંબઈ સરકારે તાબડતોબ લંડન અરજ મોકલી કે લાકડાના ત્રણ ‘ડ્રોબ્રીજ’ બનાવીને ત્રણે ગેટ પાસે વહેલામાં વહેલી તકે મૂકવાનું અનિવાર્ય છે. બીજી પણ કેટલીક માગણીઓ મોકલી. જવાબ મળ્યો : ત્રણ ડ્રોબ્રીજની હા, બીજી બધી માગણીઓની ના! મુંબઈથી લંડન અરજી જાય, એનો જવાબ આવે, ત્રણ ડ્રોબ્રીજ તૈયાર થઈને એની જગ્યાએ ગોઠવાય, ત્યાં સુધી લોકોએ ખાઈ કઈ રીતે ઓળંગી હશે એ વિષે કોઈ વાચક પાસે માહિતી હોય તો મોકલવા વિનંતી.
મુંબઈના કોટની વધુ મજેદાર વાતો હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 04 મે 2024)