વર્ષ ૨૦૧૭માં દેશનાં પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓનાં પરિણામો પરથી એ સામાન્ય તારણ કાઢી શકાય છે કે આ જનાદેશમાં સત્તાવિરોધી વલણ વ્યાપક રીતે જોવા મળ્યું છે. પાંચમાંથી એકેય રાજ્યમાં સત્તાધારી પક્ષ બહુમતી હાંસલ કરી શક્યો નથી. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષે કૉંગ્રેસ સાથે ગઠબંધન કરવા છતાં સત્તા બચાવી શક્યો નથી. ઉત્તરાખંડમાં સત્તાધારી કૉંગ્રેસનાં સૂપડાં સાફ થઈ ગયાં. પંજાબમાં સત્તાધારી અકાલી દળ-ભાજપ ત્રીજા ક્રમે ધકેલાઈગયો અને વિરોધ પક્ષનો દરજ્જો પણ ન પામ્યો. ગોવામાં સત્તાધારી ભાજપ ભલે સરકાર બનાવવામાં સફળ રહ્યો, પરંતુ પ્રજાએ તો તેને જાકારો જ આપ્યો હતો. મણિપુરમાં સત્તાધારી કૉંગ્રેસ સૌથી મોટો પક્ષ બન્યો, પણ સરકાર બનાવવામાં અસમર્થ રહ્યો. લોકોની અપેક્ષાએ ખરા ઊતરવાની બાબતે તમામ પક્ષોની સરકારો નિષ્ફળ રહી અને જનતાએ જાકારો આપ્યો.
પાંચ રાજ્યોમાંથી રાષ્ટ્રીય રાજકારણની દૃષ્ટિએ ઉત્તરપ્રદેશ સૌથી મહત્ત્વપૂર્ણ રાજ્ય હતું અને એટલે જ તેનાં ચૂંટણી પરિણામોની સૌથી વધારે ચર્ચા થવી સ્વાભાવિક છે. ભાજપે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીઓમાં ઉત્તરપ્રદેશમાં જ્વલંત સફળતા હાંસલ કરી હતી અને આ ચૂંટણી પરિણામોએ પણ બતાવી આપ્યું કે ઉત્તરપ્રદેશ પર ભાજપની પકડ મજબૂત રહી છે. લોકસભાની ચૂંટણી અગાઉ મુઝફ્ફરનગરમાં રમખાણો થયાં એ ઘટના પછી ભાજપે સતત કોમવાદી વલણને અપનાવ્યું, જે ગૌહત્યાની અફવાથી ઇખલાકની હત્યા, લવજેહાદ, કિરાના વગેરેના મુદ્દે સતત ચાલતું રહ્યું અને કોમી ધ્રુવીકરણનો માર્ગ મજબૂત બનતો ગયો. ભાજપે એક પણ બેઠક પર મુસ્લિમ ઉમેદવારને ટિકિટ નહીં આપીને હિંદુવાદી પરિબળોનો વિશ્વાસ બંધાવ્યો અને અધૂરું હતું તે નરેન્દ્ર મોદીએ કબ્રસ્તાન-સ્મશાન અને ઈદની જેમ દિવાળી પર વીજળી આપવાની વાતો કરીને નક્કર સંકેતો આપ્યા. સૌથી અગત્યનું તે મુસ્લિમ વિરોધી હિંદુ એકતા જુદાં જુદાં સ્વરૂપમાં, ખુલ્લેઆમ અને ગુપસુપ વિસ્પરિંગ કેમ્પેઇન દ્વારા સતત ચાલુ રહી. વડાપ્રધાનની દરેક ચૂંટણી રેલી-સભામાં તેમને ‘જયશ્રી રામ’ના નારાથી આવકારવામાં આવ્યા.
બીજી બાજુએ ગરીબ – ‘પછાત’ સમુદાયોનું વિભાજન વધ્યું. યાદવોને બાદ કરી બીજી ઓબીસી જ્ઞાતિઓના (જેઓ ઓબીસીમાં ૯૦ ટકા છે) આગેવાનોને ટિકિટો આપી – માનપાન આપ્યા. તે રીતે બસપાના જાટવ સમુદાય સિવાયના દલિતોને ભાજપે યેનકેન પ્રકારેણ જીતી લીધા. આ વિભાજિત ગરીબો ‘વિકાસ’ના નામે કંઈક મળશે, સ્થિતિ સુધરશે, તે આશાએ ભાજપમાં ગયા. વળી, ઉપલી ગણાતી જ્ઞાતિઓ – બ્રાહ્મણ, ઠાકુર, વાણિયા અને જાટ, જે મોટા ભાગે ભાજપ તરફી હતા, તેઓનું ૨૦૧૪ની લોકસભા ચૂંટણીથી જ ભાજપતરફી કોન્સોલિડેશન થયું. એ ઉપરાંત ભાજપનું બુથસ્થરનું મજબૂત નેટવર્ક-માઇક્રો પ્લાનિંગે પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. સામે પક્ષે સમાજવાદી પાર્ટી યાદવની પાર્ટી તરીકે, એક પરિવારના પક્ષ તરીકે પંકાયેલી હતી તો માયાવતી બંધિયાર અને વ્યક્તિકેન્દ્રી રાજકારણમાં રાચતાં રહ્યાં, જેને કારણે ભાજપની સ્થિતિ વધુ સાનુકૂળ બની. ઉત્તરપ્રદેશમાં કૉંગ્રેસ મજબૂત પરિબળ રહી નથી અને એટલે તેની સાથેના ગઠબંધનનો સપાને પણ કોઈ ખાસ ફાયદો જોવા ન મળ્યો.
ઉત્તરપ્રદેશના લોકોને આકર્ષવા માટે ગુજરાત મૉડલના નામે પણ ભ્રામક પ્રચાર કરાયો. જાણે કે ગુજરાતમાં જે કંઈ ઔદ્યોગીકરણ (વિકાસ) છે, તે નરેન્દ્ર મોદી થકી જ થયું છે. ૨૦૦૧ પહેલાં ગુજરાત ઉત્તરપ્રદેશ જેવું પછાત રાજ્ય હતું. એક જૂઠને વારંવાર બોલવામાં આવે તો લોકો સાચું માનવા લાગે છે. આવા સિદ્ધાંત પર પ્રોપગૅન્ડા કરવા માટે જર્મનીનો ગોબેલ્સ જાણીતો હતો, એટલે આને ‘ગોબેલ્સ ટ્રુથ’ કહે છે, જેને હવે નવા જમાનામાં ‘પોસ્ટ ટ્રુથ’ એવું નામ મળ્યું છે. ભાજપ દ્વારા આવા ભ્રામક પ્રચારની ભરમાર રચવામાં આવી, જેને કારણે મત મેળવી શકાયા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લાં કેટલાક સમયથી તેમની સરકાર ગરીબતરફી હોવાનો પણ ધૂમ પ્રચાર કર્યો છે. હું એવું નહીં કહું કે મોદી સરકાર ગરીબ-વિરોધી છે. સરકાર તરફથી જનધન, મનરેગાને વધારે મહત્ત્વ, ગરીબી રેખા હેઠળના લોકોને એલપીજી વગેરે કામો દ્વારા થોડાક ગરીબોને રાહત મળી છે. એમ તો ઇન્દિરા ગાંધી પણ ગરીબતરફી જ હતાં. ઇન્દિરા જેટલાં ગરીબતરફી હતાં, મોદી પણ એમના જેવા ગરીબતરફી છે. જો કે, તેમના જેટલા નહીં! ઇન્દિરા ગાંધી ગરીબી દૂર કરી શક્યાં નહોતાં, મોદી પણ એવો ચમત્કાર કરી શકશે, એવી આશા રાખવી મૂર્ખતાપૂર્ણ છે. આપણા દેશની જ વાત નથી, દુનિયાની કોઈ પણ લોકશાહી વ્યવસ્થામાં રાજકારણી ખુલ્લેઆમ ગરીબ-વિરોધી ન હોઈ શકે! અલબત્ત, ગરીબોને બે-પાંચ સવલતો આપી દેવી કે સબસિડી-સહાય કરી દેવી, એ ખરું ગરીબતરફી રાજકારણ નથી. મૂળ મુદ્દો રોજગારી આપવાનો છે અને વર્તમાન આર્થિક નીતિ તો જોબલેસ ગ્રોથ તરફ પૂરપાટ વેગે દોડી રહી છે. આગામી સમયમાં બેરોજગારીનો મુદ્દો બહુ ઉગ્ર બનવાનો છે, ત્યારે મોદીની આર્થિકનીતિની ખરી પરીક્ષા થશે.
નરેન્દ્ર મોદી અને તેમની સરકાર મૂળે મૂડીવાદી છે. ભાજપની સરકારે સંઘના સ્વદેશી વગેરે આર્થિક મુદ્દાઓને કોરાણે મૂકી દીધા છે. કૉંગ્રેસ પોતે પણ મૂડીવાદમાં માને છે અને દેખીતી રીતે મોદી પોતાના પૂર્વસૂરિ મનમોહનસિંહ સરકારની જ નીતિ આગળ વધારી રહ્યા છે ત્યારે કૉંગ્રેસ પણ નક્કર વિરોધ કરી શકવાની સ્થિતિમાં નથી. આમ, વિરોધીઓ પાસે પણ ભાજપનો વિરોધ કરવાના મુદ્દાઓ-રણનીતિઓ અને સમજનો વ્યાપક અભાવ જોવા મળે છે.
નરેન્દ્ર મોદી તોગડિયા-સિંઘલ કે સાક્ષી મહારાજ જેવા ફૅનેટિક નથી, છતાં પણ તેમના મનમાં હિંદુરાષ્ટ્રનો ખયાલ ચોક્કસ છે. મોદીનો રાજકીય ઇતિહાસ જોતાં તેમણે પોતાના હિંદુત્વના મામલે રાજકીય સમાધાનો કર્યા નથી. મોદીએ સદભાવના ઉપવાસ કર્યા પણ ટોપી પહેરવાનો ઇન્કાર કરી દીધેલો. મુસ્લિમોની સ્થિતિનો ક્યાસ કાઢવા માટે નિમાયેલી સાચર સમિતિને મળવાનો ઇન્કાર કરી દીધેલો. પોતે હિંદુત્વનું નામ લેવાનું ટાળે છે, છતાં સંકેતો જરૂર આપતાં રહે છે. મોદીની વિચારધારાના વિરોધી હોઈએ તો પણ એટલું તો માનવું રહ્યું કે તે પોતાની વિચારધારા બાબતે પ્રતિબદ્ધ છે અને એ માટે સતત મથ્યા કરે છે. મોદીને સાધારણ રાજકારણી તરીકે નહીં પણ એક મિશનરી તરીકે મૂલવીએ તો જ સાચો અંદાજ બાંધી શકાય. તમે જ વિચારો મોદી હિંદુરાષ્ટ્ર માટેના રાજકારણમાં જેટલા સક્રિય-પ્રતિબદ્ધ છે, એટલો સતત સક્રિય-પ્રતિબદ્ધ કોઈ સેક્યુલર નેતા જોવા મળે છે? રાજકારણીઓની વાત જવા દઈએ તો આપણા નાગરિક સમાજમાં પણ કોમવાદી વિચારધારાના આક્રમણ સામે બિનસાંપ્રદાયિક મૂલ્યોની સાચવણી-પ્રચારપ્રસાર કરવા માટે પ્રતિબદ્ધ લોકો અને સંસ્થાઓ કેટલી? સમતામૂલક સમાજમાં માનનારાઓએ અવાજ ઉઠાવવો જોઈએ, પણ ન આપણી જાહેર સંસ્થાઓ રસ બતાવે છે, ન એનજીઓને પોતાના પ્રોજેક્ટ બહારનું કંઈ કરવાનું મન થાય છે.
રાષ્ટ્રીય રાજકારણમાં નરેન્દ્ર મોદી કે ભાજપનો કોઈ વિકલ્પ નથી. કૉંગ્રેસ વામણી છે અને રાહુલ ગાંધી પ્રત્યે વધારે અપેક્ષા જાગતી નથી. વર્ષ ૨૦૧૯ની ચૂંટણી જીતવા માટે તેમની સામે અત્યાર સુધી તો કોઈ મોટો પડકાર જણાતો નથી, સિવાય કે મોદી સરકાર ફુગાવા પર કાબૂ ન મેળવી શકે, અર્થતંત્ર મૅનેજ ન થઈ શકે અને મોંઘવારી-બેરોજગારી જેવી આર્થિક સમસ્યાઓ વિકરાળ બને તો જનાદેશ મેળવવો મુશ્કેલ પડે!
[દિવ્યેશ વ્યાસ સાથેની વાતચીતના અંશો]
E-mail : ghanshyam.shah2008@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2017; પૃ. 03-04