અનામત અને જ્ઞાતિગત ગણિત : ત્યારે અને અત્યારે
વર્ષ ૧૯૮૧માં ચાર મહિના અને વર્ષ ૧૯૮૫માં પાંચ મહિના, એમ માત્ર પાંચ વર્ષના ગાળામાં કુલ નવ મહિના સુધી અનામત વ્યવસ્થાની સામે ગુજરાતના સવર્ણોએ આંદોલન કર્યું હતું. આ સમય દરમિયાન, ખાસ કરીને દલિતો અને આદિવાસીઓનું સતત અપમાન થતું રહ્યું, તેઓ પર હિંસક હુમલા થયા અને તેઓના બંધારણીય અધિકારોને છીનવી લેવાના પ્રયત્નો થયા. વર્ષ ૧૯૮૫માં બક્ષીપંચ કે અન્ય પછાત વર્ગ માટે વધારવામાં આવેલી ૧૮ ટકા બેઠકો દેશની સર્વોચ્ચ અદાલતના માર્ગદર્શન હેઠળ હતી, તેમ છતાં ગુજરાતની વસ્તીના માત્ર ૨૦ ટકા ધરાવતા સવર્ણોએ ૧૮ ટકાના વધારા સામે કાયદો હાથમાં લીધો અને કમનસીબે એ આંદોલન કોમી દાવાનળમાં તબદીલ થઈ જતાં ગાંધીના ગુજરાતમાં સામાજિક વૈમનસ્યનો મજબૂત પાયો નંખાયો. છેલ્લા એક મહિનાથી રાજ્યની સૌથી પ્રભાવી ગણાતી પાટીદાર જ્ઞાતિ અનામતને અધિકાર માની પોતાને અન્ય પછાતવર્ગમાં ધમપછાડા કરી રહી છે. પાટીદારોના સંખ્યાબળ અને આર્થિક રાજકીય પ્રભાવના પગલે બ્રાહ્મણો સહિત તમામ સવર્ણો અનામત મેળવવા અધીરા બન્યા છે.
અન્ય પછાત વર્ગ એટલે સામાજિક-શૈક્ષણિક પછાતપણું એનો સ્પષ્ટ બંધારણીય અર્થ અને જોગવાઈ હોવા છતાં સવર્ણો તેને ક્યાં તો સમજતા નથી અથવા ના સમજનો ડોળ કરે છે. ત્રણ દાયકા પૂર્વે મેરિટ કે ગુણવત્તાને આગળ ધરી હિન્દુ ધર્મની રૂઢિચુસ્ત જ્ઞાતિવ્યવસ્થાનો ભોગ બનેલા બહુજન સમાજના બંધારણીય અધિકારને છીનવતા અને ‘અનામત હટાઓ, ગુજરાત બચાઓ’ના ગગનભેદી નારા પોકારતા સવર્ણો, આજે પોતાને પછાત માને છે. ૩૦ વર્ષમાં તેઓનું સૂત્ર બદલાયું, ‘અનામત બઢાઓ ગુજરાત બચાઓ’.
ગુજરાતમાં સમાજશિક્ષણ શિક્ષણની મુખ્ય ધારામાં ભાગ્યે જ સામેલ થઈ શક્યું છે. તેને સમાંતર જ્ઞાતિ/ધર્મ શિક્ષણ દિનપ્રતિદિન બળવત્તર બનતું જાય છે. આ સ્થિતિમાં ગુજરાતમાં કોનું સંખ્યાબળ કેટલું છે? તેઓની લાક્ષણિકતાઓ કઈ છે? એ વિષે ગુગલના જમાનામાં પણ ભ્રામક્તા ફેલાયેલી છે તેનું ઉત્તમ ઉદાહરણ પોતાના સંખ્યાબળ વિશેના પાટીદારોના પોકળ દાવાઓ અને અન્યો વિશેનું છીછરું જ્ઞાન કે માહિતી.
આ સંદર્ભમાં વર્તમાન જ્ઞાતિ/ધર્મ વર્ગીકરણને અત્રે સમજીએ.
ગુજરાતમાં જ્ઞાતિ/ધર્મ વસ્તી પ્રમાણ (%)
કહેવાતી ઉપલી જ્ઞાતિઓ ૨૧ %
દલિતો ૦૫ %
આદિવાસી ૧૫ %
અન્ય પછાત વર્ગ (૧૪૬ સમૂહો) ૪૦ %
મુસ્લિમ ૦૯ %
અન્ય લઘુમતિ ધર્મ ૦૩ %
અન્ય હિંદુ જ્ઞાતિઓ તેમ જ સ્થળાંતરીતો ૦૭ %
———
૧૦૦ %
ગુજરાતમાં જ્ઞાતિ/ધર્મના વર્ગીકરણને સમજતાં એ સ્પષ્ટ થાય છે કે અત્યાર સુધી દલિતો, આદિવાસીઓ અને અન્ય પછાતવર્ગના કુલ ૬૦ ટકા ગુજરાતીઓ સામે વીસ ટકા સવર્ણોએ અનામત વિરોધનું રણશિંગુ ફૂક્યું હતું. આજે દૃશ્ય બદલાયું છે. ૬૦ ટકા ગુજરાતીઓને પોતાની અનમાત બચાવવા ૨૦ ટકા પ્રભાવી ગુજરાતીઓ સામે મેદાને પડવું રહ્યું છે. આ સ્થિતિ રાજ્યમાં જ્ઞાતિ સઘર્ષનાં બી વાવી રહી છે એ સમજાય એવું છે. અહીં એ નોંધવું અનિવાર્ય છે કે પાટીદારોના અનામત આંદોલનને દોઢ મહિનો પૂર્ણ થયો ત્યારે રાજ્યના મુખ્યમંત્રી મૌન તોડે છે. અખબારોમાં ઓ.બી.સી. અંગે જાહેરાતો છપાય છે. એટલું જ નહીં છેલ્લા એક મહિનામાં પાટીદારોનાં પ્રદર્શનો, રેલીઓ અને પ્રચાર સામે સરકાર દ્વારા એક શબ્દ સુદ્ધાં ઉચ્ચારાતો નથી.
રાજ્યના પાટીદાર મુખ્યમંત્રીએ એક મહિના બાદ સ્પષ્ટ કર્યું કે પાટીદારોને બંધારણીય રીતે અન્ય પછાત વર્ગમાં સમાવી શકાય નહીં. તેમણે એમ પણ ઉમેર્યું કે સરદાર સાહેબના નામે પાટીદારોએ અનામતની માંગણી ના કરવી જોઈએ. આશ્ચર્યની વાત એ છે કે પાટીદારોએ અન્ય પછાત વર્ગમાં આયોગમાં અરજી સુદ્ધાં નથી કરી અને રસ્તાઓ પર હજારોની સંખ્યામાં અનામતની માંગણી કરી રહ્યા છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ અને તેના દ્વારા ફેલાતા ભ્રમને રોકવા સરકારે એક મહિના બાદ અખબારમાં જાહેરાત આપવાની તસ્દી લીધી. પરિણામે ગુજરાતમાં સામાજિક કટોકટી સપાટી પર આવી છે. અન્ય પછાત વર્ગની જ્ઞાતિઓમાં વિરોધનો વંટોળ શરૂ થયો છે. ભારતીય જનતા પાર્ટીમાં પાટીદાર ભા.જ.પ. મોરચો છે. અને ઓ.બી.સી. ભા.જ.પ. મોરચો પણ છે હવે એ રસપ્રદ બની રહેશે કે આ બંને મોરચા પોતાની પાર્ટીને અથવા પાર્ટી આ બંને મોરચાને કેવી અને કેટલી વફાદાર રહે છે.
ભા.જ.પ.નો સામાજિક આધાર વ્યાપક સ્વરૂપે હિન્દુવાદી રહ્યો અથવા એમ રાખવામાં આવ્યો છે, પરંતુ પાટીદાર અનામત આંદાલને એ સાબિત કર્યું છે કે રાજ્યમાં ધર્મ ઉપરાંત જ્ઞાતિની વાસ્તવિકતા રાજકીય સ્થિરતા માટે જરૂરી છે. સમાજશાસ્ત્રી એમ.એન. શ્રીનિવાસના પ્રભાવી જ્ઞાતિના ખ્યાલને ગુજરાતના સમાજજીવન સાથે જોડીએ તો પાટીદારો એક મોટી પ્રભાવી જ્ઞાતિ તરીકે ઉભરી આવી છે. નરેન્દ્ર મોદીનો ગુજરાત વિકાસ મોડેલ વાસ્તવમાં બે સ્વરૂપે રાજ્યમાં દેખાય છે. એક પાટીદાર વિકાસ મોડેલ અને બીજો વંચિતોનો વિકાસ મોડેલ. રાજ્યમાં શિક્ષણ અને નોકરીના ક્ષેત્રે ફેલાયેલી અંધાધૂંધીના પરિણામે રાજ્યના યુવાનો માટે આજીવિકા અને કારકિર્દીના અનેક પ્રશ્નો સર્જાયા છે. આ પ્રશ્નોના ઉકેલ માટે ગુજરાતના સવર્ણોએ મોદી શાસનમાં ના તો કોઈ વિરોધ કર્યો કે ના તેનું વિશ્લેષણ. પરિણામે વિકાસનો વન ડાયમેન્શન ઢોલ વાગતો રહ્યો. આ ઢોલના અવાજમાં રાજ્યના યુવાનોમાં રહેલો કચવાટ કે હતાશા દબાઈ ગયા. વળી જ્ઞાતિ આધારિત નેતૃત્વ પણ માત્ર પક્ષીય નેતૃત્વ બની જતાં આજે પાટીદાર આંદોલનનો વિરોધ કરવા ના તો જ્ઞાતિ આધારિત નેતૃત્વ ઉભરી શક્યું કે ના તો રાજ્યના બૌદ્ધિકોએ ચર્ચાનો દોર ચલાવ્યો.
પાટીદારો ઉપરાંત બ્રાહ્મણો, ક્ષત્રિયો અને વાણિયાઓના સંગઠનો અનામત માંગવા દોડી આવ્યા છે ત્યારે એ સૌને એક સાદો સવાલ પૂછવો છે કે તમે કેવી રીતે સામાજિક-શૈક્ષણિક પછાત છો?
બક્ષીપંચમાં સામાજિક ૧૪૬ સમૂહોમાંથી લગભગ ૧૨૫ જેટલાં સમૂહો/જ્ઞાતિઓ એવાં હશે કે જેના નામ પણ સવર્ણોએ સાંભળ્યા નહીં હોય. સદીઓ સુધી શું ગામ કે શું શહેર બધે જ જ્ઞાતિ આધારિત પાડોશ વિકસ્યા હોય ત્યાં અન્ય સમાજો માટે સમજ અને સંવેદનશીલતા કેવી રીતે વિકસે ? મકાનો ચણતી વખતે પાણી છાંટતો ભિસ્તી કોણ છે કે અમદાવાદ શહેરમાં વસતો ‘છારા’ સમુદાય કેવા પ્રશ્નોનો સામનો કરે છે તે અંગે સાવ અજાણ સવર્ગોને સામાજિક પછાતપણું કેવી રીતે સમજાય?
અમદાવાદ સિવાય ગુજરાતના સાહિત્યકારોએ બહુજન સમાજને કદીયે સાહિત્યનું દર્પણ બનવા ના દીધુ. તેના પરિણામે શાળામાં ભાષાનાં પાઠ્યપુસ્તકો અને સમાજ વિજ્ઞાનનાં પાઠ્યપુસ્તકોમાં માત્રને માત્ર ખાસ ગુજરાતનું ચિત્રણ થયું. ભલું થજો અનામત વ્યવસ્થાનું કે તેના પરિણામે શાળા-કૉલેજના વર્ગખંડમાં વિવિધ જ્ઞાતિ સમૂહોના વિદ્યાર્થીઓ સાથે ભણતા થયા. પરંતુ આજે શિક્ષણના વ્યાપારી કરણને પરિણામે શ્રીમંતોને શાળાઓ અને મહાશાળાઓની હાટડીઓમાં સામાજિક વૈવિધ્ય અદૃશ્ય થવા માંડ્યું. વર્ષ ૧૯૮૫માં અન્ય પછાત વર્ગની અનામતનો વિરોધ રાજ્યના સવર્ણોએ કર્યો ત્યારે એન્જિનિયરીંગ અને મેડિકલમાં અનામત શ્રેણીના વિદ્યાર્થીઓ માત્ર ૧૧થી ૧૬ ટકા જેટલા અને બાકીના ૮૫ ટકાથી વધુ બિન અનામત શ્રેણીના વિદ્યાર્થીઓ હતા. અનામતનું મર્યાદિત પ્રમાણ હોવા છતાં અનામત વિરોધી આંદોલન આરંભાયું. આજે અનામત શ્રેણીના વિદ્યાર્થીઓમાં અંદરોઅંદરની હરીફાઈને પરિણામે પરીક્ષાની ટકાવારી વધતી જાય છે અને ક્યારેક અન્યોને બરોબર પહોંચી છે. આ પ્રક્રિયા એક તંદુરસ્ત વાતાવરણ સર્જે છે. સવાલ છે નોકરીની તકોનો. રાજ્યમાં સરકારી નોકરી માંડ આઠ ટકા જ છે. ૯૦ ટકા નોકરી ખાનગી ક્ષેત્રમાં હોય તો અનામતનો શો અર્થ!
e.mail : gaurang_jani@hotmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2015; પૃ. -14-15