સિદ્ધ સર્જક-કલાકાર પણ એટલી અપેક્ષા તો રાખે જ છે કે એની કલાને કોઈક માણે પ્રમાણે અને બે શબ્દ પ્રશંસાના પણ લખે.
પરન્તુ જો એને સક્રિય સહૃદય કે સમ્યક સમીક્ષક ન મળે, તો?
કેટલીક વાર એવું બને છે કે સમીક્ષક મળે પણ સર્જકના રસલક્ષી આશયને – ઍસ્થેટિક વોલિશનને – પ્રમાણવામાં નિષ્ફળ જાય બલકે પોતાની માન્યતાઓને જ આગળ કર્યા કરે.
વિશ્વ સમગ્રમાં થયેલી શેક્સપીયરની સમીક્ષાઓએ એના શબ્દને સમજવામાં તેમ જ એની કલાને માણવા-પ્રમાણવામાં ભરપૂર મદદો કરી છે. શેક્સપીયરની કીર્તિના અનર્ગળ પ્રસરણમાં એ સમીક્ષાઓનો પણ મોટો ફાળો છે.
પરન્તુ એના સમકાલીન વિદ્વાનો એને પૂરતો ન્યાય નહીં આપી શકેલા. રૉબર્ટ ગ્રીન એક નૉંધપાત્ર નાટ્યકાર જરૂર હતા પણ પોતાના સાથીઓની કડવી ટીકા કરવામાં એટલા જ પાવરધા હતા. બધાઓએ શેક્સપીયરને ‘અપસ્ટાર્ટ ક્રો’ ગણી કાઢેલા. કાગડો, આપણે જાણીએ છીએ કે કો’કનું ચોરી લેતો હોય છે. પરન્તુ ક્રિયાપદ તરીકે પ્રયોજાય તો એનો અર્થ થાય, બડાશ હાંકે છે. શેક્સપીયરને ‘અપસ્ટાર્ટ ક્રો’ કહીને એની વેગવંત ગતિશીલતાને તો નિશાન બનાવાયેલી પણ ગ્રીને શેક્સપીયરનાં સર્જનોમાં વાગાડમ્બર છે એવો આક્ષેપ મૂકેલો, એટલે લગી કહેલું કે એમની કૃતિઓ સાહિત્યજગતની ઉત્તમ કોટિમાં બેસવાને લાયક નથી.
આજે સાહિત્યજગતની ઉત્તમ કોટિનો પ્રારમ્ભ શેક્સપીયરથી થાય છે !
જોહ્ન ડ્રાયડન અને બેન જોહ્નસન (જોહ્નસન પોતે નાટ્યકાર હતા ને સ્પર્ધાભાવ અનુભવતા’તા) એ બન્ને વિવેચકો શેક્સપીયરની સૃષ્ટિની નવતાને પ્રમાણી શકેલા નહીં. જોહ્નસન જુદા જ પ્રકારના નાટકના હિમાયતી હતા. એમણે કહેલું કે નાટકની ભાષા લોકો વાપરે છે એ સ્તરની હોવી જોઈએ. એ બન્નેની દૃષ્ટિએ નાટકની ચિરકાલીન પરમ્પરાઓનું શેક્સપીયર ઉલ્લંઘન કરતા’તા. મુખ્ય ફરિયાદ એ હતી કે શેક્સપીયર કૉમેડી અને ટ્રેજેડીનું મિશ્રણ કરી નાખે છે તેમ જ સ્થળ અને કાળની એકતાઓની સુ-વ્યાખ્યાયિત શિસ્ત પણ નથી જાળવતા. એ વિવેચકોએ એટલે લગી કહેલું કે શેક્સપીયરે અર્થ વગરનાં નર્મમર્મ શ્લેષ અને સંદિગ્ધતા પ્રયોજીને ભાષાને ભ્રષ્ટ કરી નાખી છે. વગેરે.
સમીક્ષકો સરખા ન મળ્યા હોય, ભલે. પરન્તુ વાચકસમાજની તુષ્ટિને લીધે પણ સર્જકોને કદાચ સારું લાગી શકે, એ તુષ્ટિ પણ એક રીતે આવકાર્ય ગણાય. પણ શેક્સપીયરનો જમાનો રૂઢિચુસ્ત હતો. સ્ત્રીપાત્રો જુવાનિયા છોકરાઓ ભજવતા. દાખલા તરીકે, ડેસ્ડેમોના ભજવતા છોકરાને કલ્પી જુઓ, મલકી પડાશે. પ્રેક્ષકો અભિનેતાઓને ‘જૂઠા’ ગણતા, એટલું જ નહીં, શાન્તિપ્રિય સમાજ માટે ખતરારૂપ સમજતા.
શેક્સપીયર અને એના સમકાલીનો
Pic courtsey : Wikimedia Commons
લોકો ક્રિસ્ટોફર માર્લો કે બેન જોહ્નસન જેવા લોકપ્રિય લેખકોને પસંદ કરતા. ૧૭મી સદીમાં, લગભગ ૮૦ વર્ષ પછી, “હૅમ્લેટ” પહેલી વાર ભજવાયું ત્યારે દૃશ્ય બદલાયું. લોકપ્રિયોની ભૂરકીથી પ્રજા હમેશાં અંજાયેલી રહે છે. એ ભજવાયું પછી વાચકો ‘ટુ બી ઑર નૉટ ટુ બી’ એકમેકને લખતા અને પૂછતા થયેલા.
એલિઝાબેથન પ્રેક્ષકો તાળીઓ પાડે ખરા પણ મોટેથી ‘બૂઉઉ’ કરીને વખોડે પણ ખરા, ક્યારેક સડેલાં ફળો ફૅંકે. નાટક ન ગમ્યું હોય તો હાથે ચડે એ ફર્નિચર પણ ફૅંકે; કરાય એટલું નુક્સાન કરે. કેટલાક પ્રેક્ષકો કૉમેડી નાટક સમાપ્ત થાય એટલે રંગભૂમિ પર પ્હૉંચી જાય અને પાત્રો જોડે નાચવા પણ માંડે !
સમજી શકાય છે કે શેક્સપીયરને પેલા સમીક્ષકોનો અને આવા પ્રેક્ષકોનો સામનો કરતાં કેટલી અને કેવી વીતી હશે.
એવા વિપરીત સંજોગો હોય ત્યારે સર્જક-કલાકારે કરવું શું? મારી દૃષ્ટિએ સાક્ષરની મોટામાં મોટી કસોટી જ એ છે કે ત્યારે એ શું કરશે. વિવેચકોને તાબે થઈને તેઓ ઇચ્છે એવું લખવા માંડશે? પ્રેક્ષક કે વાચકની માગણીઓને વશ થઈને સસ્તું સસ્તું લખવા માંડશે? કહેવાય છે કે પાણી પોતાની સપાટી શોધી લે છે. પણ શું સાક્ષરે સમકાલીનો સૂચવે એ સપાટી શોધી લેવી જોઈશે?
રાજનેતાઓ કહેતા હોય છે : અમે તો પ્રજાના જ છીએ, પ્રજાના સેવક છીએ : છાપાં અને મીડિયા હમેશાં દાવો કરે છે – અમે અદના આદમીની દરકાર કરનારા છીએ : કોઈ કોઈ અધ્યાપકો કહેતા હોય છે : અભ્યાસક્રમમાં અઘરું ન રાખો, વિદ્યાર્થી બચારો બેહાલ થઈ જશે : ઘણા સાહિત્યકારો પણ આ જ માનસિકતા ધરાવતા હોય છે, કહેતા હોય છે – હું તો વાચકોને સમજાય એવું જ લખું છું, વાચક જ મારું સર્વસ્વ છે.
એને વાચકની ખુશામત કહેવાય; વાચકપરસ્તી કહેવાય; સર્જક માટે એ વસ્તુ ખતરનાક છે; સાક્ષરજીવને શોભે નહીં. પ્રેમચંદની જેમ કોઈ સાહિત્યકાર આપોઆપ વાચકપ્રિય થાય તો એવું પરિણામ આવકાર્ય છે, પણ સંકલ્પ કરીને વાચકપ્રિય થવા નીકળેલો સર્જક ભીંત ભૂલે છે. એ અવળે માર્ગે ચડી જશે. સર્જકમાંથી લેખક અને લેખકમાંથી લહિયો થઈ જશે.
કેમ કે સાહિત્ય કે કલામાત્ર એના વાચક શ્રોતા પ્રેક્ષક કે દર્શકની રુચિને, એના ગમાઅણગમાને, એની માગણીઓને, સંતોષવા કે પુષ્ટ કરવા માટે નથી. કલાને નામે વેપાર માંડી બેઠેલાઓનો કિસ્સો જ જુદો છે.
કલા એક વિશિષ્ટ પ્રકારનો અપરિચિત નિત્યનૂતન આલોક છે. કલાકાર એનો સર્જક છે, તેથી એ તત્સમ વૃત્તિનો માણસ ન હોઈ શકે, સ્થિતસ્ય સમર્થનમ્ કરનારો ન હોઈ શકે. એ ‘ના’ પાડનારો છે, અવાજ કાઢનારો છે, બંડ પોકારનારો છે, કેમ કે વિદ્રોહ એનો સ્વ-ભાવ છે.
એનાં સર્જન, વ્યક્તિ કે સમાજના ચિરપરિચિત રૂપોનો ધ્વંસ કરે છે. સામાન્ય જનને ખબર નથી હોતી કે પોતે જેને જીવે છે એ વિચારો અને વિચારસરણીઓ તેમ જ ભાવો ભાવનાઓ લાગણીઓ કે ઊર્મિઓ એનાથી કેટલાં તો ટેવવશ જિવાય છે અને એ કેટલાં જર્જરિત થઈ ગયાં છે. એને એ પણ ખબર નથી હોતી કે પોતે જે ભાષામાં વ્યવહાર કરે છે તેના શબ્દો અતિ અને અક્કલ વગરના વપરાશને કારણે કેવા તો નિષ્પ્રાણ થઈ ગયા છે બલકે પોતે શબ્દો સાથે કેટલો તો યથેચ્છ વિહાર કરે છે, કેટલો તો વ્યભિચાર કરે છે.
એ સઘળાને વિશે સત્ કલા અને કલાકાર મનુષ્યને રસાનન્દસહ જાગ્રત કરે છે, સાવધ કરે છે.
સાક્ષરજીવનું એથી જુદું જીવનકર્મ ન હોઈ શકે.
= = =
(December 22, 2022: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર