સિંધુ ખીણની સભ્યતા અને હિન્દુ ધર્મનો પ્રાદુર્ભાવ હજારો વર્ષ પુરાણાં. બીજી સભ્યતાઓ ઉદ્ભવી, વિકસી અને લુપ્ત થઇ, પણ ભારતીય સભ્યતા રેતીમાં પણ પગલાં મૂકતી આવી અને હજુ કોઈને કોઈ સ્વરૂપમાં ટકી રહી છે. કારણ? તેનું સર્વસમાવેશીપણું. તેની બદલાતાં વહેણ સાથે વહેવાની ક્ષમતા. જંબુદ્વિપ તરીકે ઓળખાતા ટાપુ અને ત્યાર બાદ હિન્દુસ્તાનની ઓળખ પામનાર વિશાળ ભૂ ખંડમાં સમય સમયે પૃથ્વીના ચારે ખૂણેથી અનેક જાતિઓ આવીને વસી, જે પોતાની ભાષા, પોશાક, ખોરાક અને પોતપોતાની અલગ અલગ ધાર્મિક ભાવનાઓ લઈને આવ્યા. આર્ય જાતિથી માંડીને સદીઓ પર્યંત આવેલ વિદેશીઓ શરૂમાં રાજ્ય વિસ્તાર કરવાના હેતુસર લડાઈ કરતા, પરંતુ પરાભવ પામીને સ્વદેશ પરત થતા હોય તો પણ મૂળ વતનીઓ પાસેથી તેમનું જ્ઞાન, વ્યાપારી કુશળતા અને અન્ય અનેક સાંસ્કૃતિક ખૂબીઓ શીખીને જતા. વિજયી બનતી પ્રજા અને તેના રાજાઓ આક્રમણનો તબક્કો પૂરો થતાં આ ધરતીના અમી ધરાઈને પી લઈને તેના જ સંતાનો બની જતાં. બે સભ્યતાઓ, સંસ્કૃતિઓ અને ધર્મોના મિલનથી એક અનોખી એવી સદા પરિવર્તનશીલ હિન્દુ સંસ્કૃતિ નિર્માણ થતી આવી છે. આ છે આપણો સમન્વયકારી વારસો. એટલે ભારતની સભ્યતા દીર્ઘાયુ બની. પરંતુ છેલ્લા ત્રણેક દાયકાઓથી જાણે ભારતની શિકલ ધીરે ધીરે પણ ચોક્કસ પણે માનવતાથી અવળી દિશામાં ગતિ કરી રહી છે.
આમ તો છેલ્લા કેટલાક દાયકાઓથી લગભગ વિશ્વ આખામાં દેશની સીમા અંગે, ધર્મ અને પંથના વાડાઓ વચ્ચેના ભેદને કારણે, દેશભક્તિ અને રાષ્ટ્રવાદના ઓઠા હેઠળ, વર્ણ, જાતિ (race), જ્ઞાતિ અને વર્ગ વચ્ચેના ભેદભાવના પરિણામે બે દેશો વચ્ચે અને એક દેશમાં અંદરોઅંદર સતત અશાંતિ પ્રસરી રહી છે. જાણે ધરતીની ધરી જમણેરી વિચારધારા તરફ ઝૂકી ગઈ છે.
લાગે છે, માનવ જાત દેશ, ધર્મ-પંથ, દેશભક્તિ-રાષ્ટ્રપ્રેમ, વર્ણ, જાતિ, જ્ઞાતિ અને વર્ગની વ્યાખ્યા સમજી નથી અથવા તેનો અનર્થ કરી બેઠી છે અને તેનું આ પરિણામ છે. ભલે આવા કલહો વિશ્વવ્યાપી હોય, અહીં ભારતની દશા (કે અવદશા?) વિષે ઉલ્લેખ કરવા ધારું છું. સ્વતંત્રતા સમયે ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર તરીકે ઉચ્ચ મસ્તકે ઊભો થયેલ દેશ આજે ઓળખાય તેવો નથી રહ્યો. જે ‘દુશ્મન દેશ’ અને ‘વિધર્મીઓ’ની પેટ ભરીને ટીકા કરીએ છીએ અને તેમના અસ્તિત્વને મિટાવવા ભરચક પ્રયાસ કરીએ છીએ તેમના જેવા જ આપણે બનતા જઈએ છીએ એ જોઈને જીવને ઉચાટ થાય.
ધર્મને આધારે અખંડ ભારતનું વિભાજન થયું. પાકિસ્તાન ઇસ્લામિક દેશ જાહેર થયો, પણ ભારતે સર્વ ધર્મ અને પંથના લોકોને સમાન નાગરિક અધિકારો આપીને દેશને ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર તરીકે જાહેર કરીને દુનિયામાં માનભર્યું સ્થાન મેળવેલું. આજે આપણે હવે ભારતને એક ‘હિન્દુ રાષ્ટ્ર’ બનાવવા મથી રહ્યા છીએ! મધ્ય-પૂર્વ અને એશિયાના કેટલાક દેશોની ઓળખ તેમના ધર્મ પર આધારિત છે અને કટ્ટર પંથી વિચારધારાથી રાજ્ય વહીવટ ચલાવે છે તેવી હાલત ભારતની થવાની. એ દેશોમાં મહિલાઓ, લઘુમતી કોમના સભ્યો અને ધર્મના ચુસ્ત નિયમો વિરુદ્ધ મત દર્શાવનારાઓના માનવ અધિકારો છીનવાઈ જાય છે, તેવી ટીકા કરનાર ભારતમાં આજે તમામ પ્રકારના લઘુમતી સમૂહોના જાહેર અને અંગત જીવન પર તરાપ મરાઈ છે. હિન્દુ ધર્મના સંકુચિત આચારો ન પાળનારાઓ પર હિંસા આચરવામાં આવે છે.
આજકાલ ‘દેશભક્તિ’, ‘રાષ્ટ્રપ્રેમ’ અને ‘રાષ્ટ્રીયતા’ના નામે દમન કરવાનો શિરસ્તો ચાલુ થયો છે. દેશ પ્રત્યેની વફાદારી દર્શાવવા ‘વંદે માતરમ્’ બોલવું ફરજિયાત, નહીં તો ‘દેશભક્તો’નું ટોળું ‘દેશદ્રોહી’નો જાન લઇ લે. એવી સત્તા એ ટોળાંને કોણે આપી હશે? ભગવાન જાણે. એક વખત જવાહરલાલજીની મુલાકાત દરમ્યાન જનતા ‘ભારત માતા કી જય!’-ના પોકારો કરી રહી હતી. નહેરુજીએ એમની પાસે જઈને પૂછ્યું, “તમે કોને ભારત માતા કહો છો? એ કોઈ એક મૂર્તિ છે? કોની માતા છે? આ ધરતીના તમામ નાગરિકો તેના સંતાન સમાં છે, માટે એ ભૂમિને તમે નમન કરો.” જો આ વાત આપણે સમજ્યા હોત તો આજે ભારત માતાની છબીને નમન ન કરનારના સ્વમાનને ધક્કો ન પહોંચાડતા હોત. એક વફાદાર નાગરિક તરીકે દેશના લોકો અને તેની સીમાઓની રક્ષા કરવા તત્પર રહે અને જરૂર પડ્યે દુશ્મનોને દૂર કરે તે વ્યક્તિ દેશભક્ત ગણાય તે વિસરી ગયા. આવી સ્થિતિ બે એક દાયકા પહેલાં હતી શું?
ઓગણીસમી સદીના અંત અને વીસમી સદીના પ્રારંભથી લોકશાહીનાં પગરણ થયાં અને ત્યારથી Nation States એટલે કે રાષ્ટ્રીય અસ્મિતા ધરાવતા દેશો અસ્તિત્વમાં આવ્યા. તેને પગલે રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રવાદ જન્મ્યા. તેનું એક જમા પાસું એ છે કે રાષ્ટ્રપ્રેમ ઉજાગર થવાને પરિણામે ગુલામ થયેલા દેશોને સ્વતંત્ર થવાની પ્રેરણા મળી. પરંતુ હાલમાં રાષ્ટ્રવાદ સંકુચિત થતો જાય છે. મારા દેશ પ્રત્યે ગૌરવ હોય અને તેના હિતની રક્ષા કરવાનું વલણ ઉત્તમ, પણ સમીકરણની સામી બાજુએ બીજા દેશ પ્રત્યે દ્વેષ ભાવ સેવવો અને રાજકીય કાવાદાવા કરી તેના પતનમાં ભાગીદાર થવું એવો અર્થ વર્તમાન સમયના રાષ્ટ્રવાદનો થઇ રહ્યો છે. તેમાં ય પાડોશી દેશો સાથે દુશ્મનાવટ હોવી એ તો જાણે આપણી વીરતાનું લક્ષણ થઇ ગયું છે.
1990ના દાયકાની શરૂઆતથી સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે બનતી ઘટનાઓ જોતાં સવાલ થાય; ભારતીય પ્રજાનું માનસ આટલું બધું વિપરીત દિશામાં કેવી રીતે વળી ગયું? ઉદાહરણ તરીકે જોઈએ, આ ‘મોગલ સામ્રાજ્યની નિશાનીઓ હટાવવાની ઝુંબેશ’. વાડે ચીભડાં ગળવાનું શરૂ કર્યું. બંધારણીય રાહે મળેલા મૂળભૂત અધિકારોનું ગળું રૂંધ્યું, કાશ્મીરની 370મી કલમ હટાવી, મુસ્લિમ પ્રજાને પોતાની જ ધરતી પર પરાયા બનાવ્યા. સિટિઝનશીપ કાયદો પસાર કરીને ભારતની બહુસંખ્યક બહુમતીને હાંસિયામાં ધકેલી. હવે જો સરકાર ખુલ્લે આમ અન્યાયી પગલાં ભરે, તો નાના મોટા સંગઠનો કેમ પાછળ રહે? મુસ્લિમોને તેમના રહેઠાણ વિસ્તારમાં એટલો ત્રાસ આપવો કે તેઓ નાસી જઈને પોતાનો જુદો વિસ્તાર ઊભો કરે એવી નીતિ અપનાવી, કેમ કે તેમનો મઝહબ જ તેમને શંકાસ્પદ બનાવે છે. આમ થવાથી તેમનો એક વાડો રચાય જેના પર જુલ્મ કરવાનું અને તેની સામૂહિક હિંસા કરવાનું સરળ બને. આ યુક્તિ નાઝી સરકાર, ચીનની સરકાર અને સર્બિયન સરકાર પાસેથી શીખ્યા જેઓએ લાખોની સંખ્યામાં યહૂદીઓ અને મુસ્લિમોને મોતને ઘાટ ઉતાર્યા. અને હજુ આજે પણ એની જ પેરવીમાં છે.
ધર્મના ઓઠા નીચે થતી હિંસા જોઈને વિચાર આવે, ધર્મોની 21મી સદીમાં જરૂર છે ખરી? કયા ધર્મના અનુયાયીઓ પોતાના ધર્મને સાચા અર્થમાં સમજે અને અનુસરે છે? એક જ ખ્રિસ્તી ધર્મના ફાંટા રોમન કેથલિક અને પ્રોટેસ્ટન્ટ ધર્મના અનુયાયીઓ આયર્લેન્ડમાં લડે, ઇસ્લામિક દેશોમાં શિયા અને સુન્ની સામસામા ગળા કાપે. લાખોની હત્યા ધર્મને નામે થાય. ધર્મ આખર કોનો, જીવાડે તેનો કે મારે તેનો? આથી જ તો હવે ધર્મને બદલે અધ્યાત્મ અને માનવ સભ્યતાની વિભાવનાનો પ્રસાર કરવો લાભદાયી થશે.
બાયો મેડિકલ એન્જીનિયર અને માનવ અધિકાર માટેના જબરા કર્મશીલ રામ પુન્યાની નોંધે છે તેમ ઇતિહાસનાં પાનાં ઉથલાવતાં જોવા મળશે કે હિંદુ રાજાઓના શાસન દરમ્યાન મુસ્લિમ કોમ અને મુસિલ શહેનશાહોના રાજ્ય દરમ્યાન હિન્દુ પ્રજા અમન ચેનથી રહેતી અને વિકાસ પામતી. જ્યારે ત્રીજી બાહરી સત્તાના નિહિત સ્વાર્થથી તેમનામાં ફુટ પડી, રાજકારણે વાંદરાનો ન્યાય તોળવા માંડ્યો ત્યારથી એ ગંગા- જમની તહઝીબમાં પાણીમાં પણ તિરાડ પડી. સદીઓથી ભારતની સીમામાં વસતા મુસ્લિમો ગો માંસ ખાતા આવ્યા છે, તેમનું કાસળ કાઢવા હિંદુઓ આટલી મોટી સંખ્યામાં ઊમટેલા? આ જેવા સાથે તેવા થવાનું પાગલપન તો જુઓ! અફઘાનિસ્તાનમાં બામિયાન પર્વતની ગુફાઓમાં ભગવાન તથાગતની મહાકાય પ્રતિમાઓ તોડી પાડીને ઇતિહાસ અને શિલ્પ સ્થાપત્યના બેનમૂન વારસાનો નાશ કરવામાં આવ્યો. વર્ષો પહેલાં બાબરે અયોધ્યાના મંદિરનો ધ્વંસ કર્યો, તો આજે મસ્જિદ તોડીને આપણે કાં એના જેવા અધર્મી થઈએ?
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રીને હિન્દુ સંસ્કૃતિના ભવ્ય ભૂતકાળ અને વારસાને પુનર્જીવિત કરવાની પ્રેરણા થઇ છે. જો એમને સનાતન ધર્મના યુગની ભારતીય સંસ્કૃતિ વિષે જ્ઞાન હોત તો અન્ય પ્રજાને આલિંગન આપીને પોતાનામાં સમાવી લેવાની ઉદારતા દાખવવાની તાલીમ મળી હોત; અને તો આપણા તમામ શહેરો, રેલવે સ્ટેશનો અને જોવાલાયક સ્થળોનાં નામ અને તેની પાછળ જોડાયેલ ઇતિહાસને ગૌરવ પૂર્વક સાચવીને દુનિયા સામે ધરતા હોત. એક સમય એવો હતો જ્યારે ભારતે પંચશીલનો સિદ્ધાંત કોમન્વેલ્થના દેશો અને બિનલોકશાહી શાસન ધરાવતા દેશો સમક્ષ ધરીને હિન્દુસ્તાનની ગરિમા વધારી હતી. ત્યારે આપણે દુનિયાને છાતી ઠોકીને કહી શકતા હતા કે અમારા દેશમાં દર છ નાગરિકમાં એક મુસ્લિમ બંદો રહે છે, જે સહુથી મોટી લઘુમતી કોમ છે, તે ઉપરાંત, ખ્રિસ્તી, પારસી, જૈન, યહૂદી એમ દરેક ધર્મના લોક અહીં વસે છે. જે ભારતમાં નથી તે દુનિયામાં ન જોવા મળે તેવો સપ્તરંગી અમારો દેશ, અને એ દેશનું ગૌરવ લઇ શકાય તેમ છે. આજે હવે કપાળ ફૂટીને કહેવા વારો આવ્યો છે કે અમારી કેન્દ્રીય અને રાજ્ય સરકારો ધર્મ, પંથ, જાતિ અને જ્ઞાતિ આધારે પ્રજાનું વિભાજન કરીને દુનિયામાં નાલેશી કરે છે. ભારતમાં ગુંજતા ‘સાલે મુસલમાનો કો મારો’ના સૂત્રો દુનિયાના ઘણા દેશોમાં સંભળાય છે. ન્યાયી કાયદાઓની માંગણી કરતા શીખ કિસાનોને ખાલીસ્તાની અને આતંકવાદી ઠરાવીને સત્તાધારીઓ પોતાનો ડર છતો કરે છે, એ હકીકત સહુ જાણે છે.
આજે ‘મોગલ સામ્રાજ્યની નિશાની હટાઓ’ની ઝુંબેશને વેગ મળે છે. ઇતિહાસને મારી મચડીને ફરી વખત લખવો એ કોઈ પણ દેશના ભૂતકાળને ભૂંસી નાખવાનો પદ્ધતિસરનો પ્રયાસ છે એ નથી જાણતા શું? હકીકતને છુપાવવી એ પોતાના દુષ્કર્મોને ઢાંકવા બરાબર છે એ કોણ નથી જાણતું? બ્રિટિશ સામ્રાજ્યને એ કામ કરવાની ફરજ પડી કેમ કે તેમને પારકી ધરતી પર, પારકા લોકો પર રાજ્ય ટકાવવું હતું. આ તો હવે ‘આપણા લોકોનું રાજ્ય છે’. ભાવિ ઇતિહાસ નોંધશે કે બી.જે.પી. સરકારે ભારતીય પ્રજાની અસ્મિતાને કાલી લગાવી. 1992-1995 દરમ્યાન સ્રેબ્રેનીત્સામાં થયેલ સામૂહિક હત્યાનો સર્બિયન પ્રજા ઇન્કાર કરે છે એટલું જ નહીં માનવ અધિકારની કોર્ટે જેને સજા કરી છે તેવા રેડોવાન કારાદિચ અને સ્લોબોદાન મિલોસોવીચને પોતાના હીરો ગણી તેની પૂજા કરે છે. એવી જ રીતે ભારતમાં નથુરામ ગોડસેના પૂતળાં મુકાય, તેને હારતોરા થાય એ લોકોની ઘાતકી મનોવૃત્તિનું પ્રદર્શન કરે છે. રશિયામાં સેન્ટ પીટર્સબર્ગ નામ બદલી, પેટ્રોગ્રાડ નામ આપ્યું, લેનિનની સ્મૃતિમાં લેનિનગ્રાડ બન્યું (કે જે લગભગ 2,00,000 નિર્ધોષ પ્રજાની હત્યાનું નિમિત્ત બનેલ), આપણે અમદાવાદના મોટેરા સ્ટેડિયમને હવે મોદી સ્ટેડિયમ તરીકે ઓળખવાની ફરજ પડી છે.
કેટલાક આતંકીઓ ઇસ્લામને નામે હિંસા કરે ત્યારે ‘ઇસ્લામ ખતરેમેં હૈ’ એવો બચાવ કરે છે, હવે હિન્દુત્વનો ઝંડો ફરકાવનારાઓ ‘હિન્દુ ધર્મ ખતરેમેં હૈ’ના નારા લગાવે છે. કોનો ભય સતાવે છે? વિધર્મીઓનો? ખરા હિન્દુ ધર્મને પહેચાનનારાઓને આ કહેવાતા હિન્દુત્વવાદીઓથી પોતાનો માનવતા આધારિત ધર્મ જોખમમાં હોય તેવું લાગે છે. આપણી પ્રાંતીય ભાષાઓ અને સાહિત્યમાંથી ઉર્દૂ શબ્દો, કેટલાક પાત્રો હઠાવવા પ્રયત્ન થાય છે. શા માટે? ઇંગ્લિશ શબ્દો કાઢી શકશો? ગુજરાતીમાં તો ફારસી ભાષાના શબ્દો કાઢી નાખો તો ગુર્જરી ગિરા ઊભી ન રહી શકે, તેમ કરવાને બદલે તેને વધુ શણગારીને સમૃદ્ધ કાં ન બનાવીએ?
એવો પ્રચાર ચાલે છે કે મોગલ શાસન સંસ્થાનવાદી હતું. એ સંસ્થાનવાદ વિષે ખોટી સમજ આપે છે માટે માત્ર ઐતિહાસિક દ્રષ્ટિએ અસત્ય છે એટલું જ નહીં, પરંતુ આ પ્રચાર પોતાના જ દેશની પ્રજાને વિભાજીત કરવા થઇ રહ્યો છે. રામ પુનિયાની અને ઈરફાન અહમદ કહે છે તેમ બ્રિટિશ રાજ્યકર્તાઓ ભારતની ધન સંપત્તિ ઘસડીને પોતાના દેશમાં લઇ ગયા, ભારતમાં રહ્યા નહોતા, જ્યારે મોગલો ભારતમાં આવ્યા, ત્યાંના વતની થઈને તેની સંસ્કૃતિનો હિસ્સો થઈને રહ્યા એટલું જ નહીં, ભારતના અર્થકારણ, ભાષા, શિલ્પ-સ્થાપત્ય અને કલા એમ તમામ ક્ષેત્રે અદ્વિતીય પ્રદાન કર્યું. મુસ્લિમ પ્રજા મૂળ ભારતની છે, બહારથી આવેલી નથી એ જાણ્યા બાદ હવે તો તેમની સાથે સમતાભર્યો વ્યવહાર કરવો જ ઉચિત છે. મુસ્લિમ કોમ પર અવિશ્વાસ મુકાઈ રહ્યો છે, તેમને મૂળ આવાસો અને ગામમાંથી ખસેડીને અન્ય સ્થળે ધકેલવામાં આવી રહ્યા છે, રોજ ‘તમારા વતનમાં જતા રહો’ કહીને અપમાનિત કરવામાં આવી રહ્યા છે, છતાં એ લોકો શા માટે વિદ્રોહ નથી કરતા? શું 2002માં થયેલ રમખાણો સમયે હિન્દુ લોકોએ કેટલાકની હત્યા કરીને તેમને ‘પાઠ ભણાવ્યો’ છે માટે? જો ભારતીય મુસ્લિમો ધારે તો પાડોશી દેશ તેમ જ બીજા આતંકી સંગઠનોની મદદ લઈને આખા દેશમાં હિંસાની હોળી સળગાવી શકે. કદાચ એ લોકો આપણને સહિષ્ણુતા અને અહિંસાનો પાઠ ભણાવે છે જેને આપણે ત્રણ ગોળીઓ મારીને શાંત કરવા પ્રયાસ કરેલો.
ભારતીય સંસ્કૃતિ, સભ્યતા અને ધર્મ હજારો વર્ષ સુધી ટક્યા, વિકસ્યા અને દુનિયામાં માનભર્યું સ્થાન મેળવ્યું કેમ કે એ સર્વસમાવેશી છે. શું આપણે એક ઉદાર ધર્મ તરીકે ખુદક્શી કરવા માંગીએ છીએ? અન્ય સાંકડા વિચારો ધરાવતા ધર્મ જેવા થવા માંગીએ છીએ? ભારતનો ઇન્સાન આટલો સંકુચિત વિચારવાળો કેમ બનતો જાય છે? આપણા અદ્વૈતના સિદ્ધાંતો કયા સમુદ્રમાં ડૂબ્યા? વસુધૈવ કુટુંબક્મ્ની ભાવના કોને વેંચી મારી? વિશ્વ એક નીડમ્નો ઘોષ કેમ શાંત થયો?
હાલના ભારતની હાલત બદલાયેલા ઈન્સાનથી થઇ છે, તેને જો ભગવાન મદદ ન કરી શકે તો હવે ગોડ કે અલ્લાહ પાસે ધા નાખીએ.
e.mai : 71abuch@gmail.com