તાર્કિકતાનો વિરોધ દરેક સમયમાં થયો છે. પશ્ચિમના ચર્ચની જેમ સંસાર પ્રત્યે બ્રાહ્મણવાદી દૃષ્ટિકોણ રાખનાર હિન્દુ ધર્મ સામે ચાર્વાક મુનિએ સવાલ ઉઠાવ્યો હતો
પૌરાણિક ઇજિપ્તમાં તે સમયની સંસારની સૌથી મોટી લાઇબ્રેરી, સિકંદરિયાને (જેને અલેક્ઝાંડરિયા પણ કહે છે.) સળગાવી દેવાનો આદેશ આપતી વખતે ઇજિપ્તના નવા શાસક ખલીફ ઉમરે કહ્યું હતું, ‘યાહયા અલ નહવી.’ મતલબ કે ‘અગર આ પુસ્તકો કુરાન સાથે તર્ક કરતાં હોય તો આપણા માટે એની કોઈ જરૂર નથી અને જો કુરાન વિરોધી હોય તો એને નષ્ટ કરી દેવામાં આવે.’ આ કહાનીની સચ્ચાઈ વિવાદાસ્પદ છે, પરંતુ માનવ સભ્યતાના ઇતિહાસમાં રૂઢિવાદ કેવી રીતે તાર્કિકતાને પાછળ ધકેલી દઈને જીવતો રહે છે તે સમજવા માટે આ કિસ્સો એક રૂપક તરીકે રોચક છે.
વિચાર અથવા તર્ક અથવા જ્ઞાન જે સત્તામાં છે, જે શીર્ષસ્થ છે, જે ‘દેવના દીધેલ’ છે તેમને પસંદ નથી આવતું. જ્ઞાન યથાસ્થિતિને તોડે છે એટલે જે લોકોનો સ્થિતિ પર એકાધિકાર છે તેમના માટે જ્ઞાન ખતરો બની જાય છે. એકાધિકાર અને યથાસ્થિતિમાં માનનારા લોકો દૃઢ વિશ્વાસ કે દૃઢ શ્રદ્ધાની અપેક્ષા રાખે છે. જ્ઞાન તર્ક કરે છે, સંશય કરે છે, સવાલ-જવાબ કરે છે. ગેલીલિયો ગેલિલીએ જ્યારે કહ્યું કે બ્રહ્માંડના કેન્દ્રમાં પૃથ્વી નહીં પણ સૂરજ છે અને પૃથ્વી એની આસપાસ ગોળ ઘૂમે છે ત્યારે કેથોલિક ચર્ચને ગેલિલીઓની વાત તૌહીન લાગી અને પરિણામ સ્વરૂપ એની કિતાબોનાં વેચાણ-વાંચન પર પાબંધી મૂકવામાં આવી હતી અને એને આજીવન નજરકેદમાં મૂકી દેવાયો હતો. ચાર્લ્સ ડાર્વિને ઉત્ક્રાંતિનો સિદ્ધાંત રચ્યો ત્યારે ઇશ્વર-સર્જન (ક્રિયેશનિઝમ)માં વિશ્વાસ રાખતા ધર્મને ડાર્વિન નાસ્તિક લાગેલો અને એને એટલો પરેશાન કરેલો કે (આજે જેની ગણના માનવ ઇતિહાસના સૌથી મહાન પુસ્તક તરીકે થાય છે તે) ‘ઓરિજિન ઓફ સ્પિસીઝ’ ગ્રંથ ડાર્વિને 20 વર્ષ સુધી અપ્રગટ રાખેલો.
આગે સે ચલી આતી હૈ, પરંપરા કે ‘ઇશ્વર ઇચ્છા’ સામે આપત્તિ અને ચુનૌતીના અનેક દાખલા છે. ધર્મ હંમેશાં યથાસ્થિતિ બતાવી રાખવાના પક્ષમાં રહ્યો છે. જ્ઞાન હંમેશાં બદલાવની ઇચ્છા રાખે છે. રાજનીતિ અને ધર્મની ભેળસેળ ના થવી જોઈએ એવી આદર્શ સ્થિતિની કલ્પના છતાં હકીકત એ છે કે અધિકાંશ શાસકોએ પોતાનો એકાધિકાર જાળવી રાખવા માટે ધર્મનો (સીધો કે આડકતરો) સહારો લીધો છે. યથાસ્થિતિ બનાવી રાખવા માટે ધર્મ હંમેશાં પ્રભાવશાળી સાધન રહ્યો છે. ગઈ 30મી ઓગસ્ટે કર્ણાટકમાં કન્નડ વિશ્વવિદ્યાલયમાં કુલપતિ રહી ચૂકેલા સાહિત્ય અકાદમી વિજેતા પુરાલેખ વિશેષજ્ઞ પ્રોફેસર મલીશવ્વા માધવીવલબા કુલબુર્ગી હત્યા થઈ ત્યારે એવા તમામ લોકોને આઘાત લાગ્યો જે લોકો ઉદારવાદી અને તર્કવાદી સમાજના પક્ષધર છે. કર્ણાટકના સશક્ત લિંગાયત સમાજ કુલબુર્ગીથી નારાજ હતો. લિંગાયત સમુદાયના જનક મનાતા 12મી સદીના ગુરુ બાસવાની અમુક પ્રથા-માન્યતાની કુલબુર્ગીએ ટીકા કરી હતી. એક વાર લિંગાયત નેતાઓના દબાવમાં આવીને તેમણે અમુક લખાણ પાછું ખેંચવું પડ્યું. તે વખતે તેમણે કહ્યું હતું, ‘પરિવારનો જીવ બચાવવા માટે મેં બૌદ્ધિક આત્મહત્યા કરી છે.’
કુલબુર્ગીની હત્યા થઈ તે પછી ફેડરેશન ઓફ રેશનાલિસ્ટ એસોસિયેશનના અધ્યક્ષ નરેન્દ્ર નાયકે કહ્યું હતું, ‘77 વર્ષના એક માણસને એના વિચારો માટે મારી નાખવો એ બુઝદિલી છે. અમુક બાબતોને વ્યાખ્યાયીત કરવાનો એમનો આગવો વૈજ્ઞાનિક અભિગમ હતો. એમને મારી નાખવાથી એમના વિચારોને પણ મારી શકાય? એ એક સવાલ છે.’ બે વર્ષ પહેલાં રેશનાલિસ્ટ કાર્યકર નરેન્દ્ર દાભોલકરની પૂણેમાં અંધશ્રદ્ધા સામે એમની ઝુંબેશના કારણે હત્યા કરવામાં આવી હતી. એક વર્ષ પહેલાં અન્ય એક સામ્યવાદી કાર્યકર્તા ગોવિંદ પાનસરે અને એમની પત્નીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પાનસરે આંતરજાતિ લગ્નો, પુત્રકામેક્ષી યજ્ઞ અને નથુરામ ગોડસે જેવા વિવાદાસ્પદ મુદ્દાઓ પર ખુલ્લીને બોલતા હતા.
કાલબુર્ગી, દાભોલકર અને પનસારે અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરતા હતા પરંતુ ત્રણેય તર્કવાદી હતા અને અંધશ્રદ્ધા-રૂઢિવાદના વિરોધી હતા. આ ત્રણેની હત્યા પછી સમાજમાં એક નવી જ ચર્ચાએ જન્મ લીધો છે : શું હિન્દુ સમાજ વૈચારિક મતભેદના ક્ષેત્રમાં અસહિષ્ણુ બની રહ્યો છે? ભારત માટે કહેવાય છે કે એ ઉદાર અને ધર્મનિરપેક્ષ એટલા માટે છે કે એ હિન્દુ બહુમતી દેશ છે અને હિન્દુઓની ઉદારતા અને ધર્મનિરપેક્ષતાનો એક લાંબો ઇતિહાસ છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી હિન્દુઓમાં પણ ભિન્ન મત પ્રત્યે એક પ્રકારનો હિંસક અભિગમ વિકસી રહ્યો હોવાનું પ્રતીત થઈ રહ્યું છે. આ પ્રકારના અભિગમવાળા લોકો કે જૂથ જ્યારે સત્તામાં (સરકારમાં) કે શીર્ષમાં (ધર્મમાં) હોય ત્યારે સમાજમાં તર્ક અને જ્ઞાન પ્રત્યે નફરત કે ઘૃણા વધી જાય છે. આ બાબતમાં તમામ ધર્મોના કટ્ટરપંથીઓ એક સરખી જ સોચવાળા છે. એક કહાનીમાં ઇસ્લામનું ઘસાતું લખનાર સલમાન રશ્દીનું માથું કલમ કરવા આદેશ અપાયો હતો. આધુનિક અને પ્રગતિશીલ વિચારોવાળી તસલીમા નસરીને સંકુચિત વિચારોવાળા લોકોના નિશાના પર છે. પાકિસ્તાનમાં પ્રગતિશીલ નેતા સલમાન તાસીરે જીવથી હાથ ધોવા પડ્યા હતા.
તાર્કિકતાનો વિરોધ દરેક સમયમાં થયો છે. પશ્ચિમના ચર્ચની જેમ સંસાર પ્રત્યે બ્રાહ્મણવાદી દૃષ્ટિકોણ રાખનાર હિન્દુ ધર્મ સામે ચાર્વાક મુનિએ સવાલ ઉઠાવ્યો હતો. બ્રાહ્મણો જ્યારે વેદોને દેવી ઉપલબ્ધિ ગણતા હતા ત્યારે ચાર્વકે કહેલું કે વેદ મારા-તમારા જેવા સાધારણ માણસોએ લખ્યા છે અને એ ઇશ્વરીય નહીં પણ સામાજિક ગ્રંથ છે. આ ‘અપમાન’ બદલ ચાર્વાકને પજવવામાંથી કંઈ બાકી રખાયું ન હતું. મહારાષ્ટ્રમાં તુકારામ જેવા સંતને તત્કાલીન શીર્ષસ્થ પુરોહિત સમુદાયે ખાસી યાતના આપી હતી. ભારતમાં આઝાદીના આંદોલન વખતે સામાજિક અને રાજકીય ચિંતન પ્રગતિશીલ અને વૈજ્ઞાનિક અભિગમવાળા ધુંઆધાર નેતાઓના હાથમાં હતું.
તે સમયના સમાજમાં ગરીબી, નિરક્ષરતા, સ્વાસ્થ્ય અને અન્ય બદીઓ એટલી વ્યાપક હતી કે અંગ્રેજોના વૈજ્ઞાનિક અને આધુનિક અભિગમમાં બહુ બધા લોકોને સુખ અને સંપત્તિ દેખાતી હતી. તે વખતે રૂઢિવાદ અને ધર્મને તાર્કિકતાની કસોટી પર કસવાની શરૂઆત થઈ હતી. તે વખતે પણ પુરોહિત સમાજે (બ્રાહ્મણવાદી, શીર્ષસ્થ અભિજાત વર્ગ) પ્રાચીનતા અને પરંપરા જ મહાન છે તેવો રાગ કાઢ્યો હતો. તે વખતે પણ આસ્થા આધારિત સોચ અને વૈજ્ઞાનિક તર્ક-સંદેહ સામસામે આવી ગયા હતા. સ્વતંત્રતા પછી પંડિત નેહરુ જેવા અત્યંત પ્રગતિશીલ નેતા પ્રધાનમંત્રી બન્યા તો સમાજમાં વૈજ્ઞાનિક સોચ અને શિક્ષણને પ્રોત્સાહન મળ્યું.
દેશની આ એક ટ્રેજેડી જ છે કે આઝાદીનાં માત્ર 50 વર્ષમાં જ આપણે પાછા રૂઢિવાદ અને આસ્થાના સહારે જતા રહ્યા છીએ. દેશ કે સમાજ સામે આઝાદી જેવો કોઈ મોટો ઉદ્દેશ નથી અને આપણે ખાધે-પીધે સુખી થઈ રહ્યા છીએ ત્યારે આપસી વૈચારિક વિરોધમાં અંતિમો પર જઈ રહ્યા છીએ. 2015માં આપણે પ્રાચીન ભારતમાં હવાઈ જહાજ ઊડતાં હતાં અને પ્રાચીન ભારતમાં પ્લાસ્ટિક સર્જરી થતી હતી જેવી સરોસર કપોળકથાઓ આધિકારિક મંચો પરથી રજૂ કરતા રહીએ છે ત્યારે એ સાંભળનારા ભોળા અનુયાયીઓ પાસેથી કુલબુર્ગીઓ અને દાભોલકરો અને પાનસરોને ‘નર્ક’માં પહોંચાડવા સિવાયના બીજા કયા કર્મની અપેક્ષા રખાય?
વિચાર કરો કે મૂર્તિપૂજાનો વિરોધ કરનાર અને કર્મકાંડોની ટીકા કરનાર આર્ય સમાજના સ્થાપક દયાનંદ સરસ્વતી આજે જીવતા હોત તો! બંદૂકધારીઓએ એમને છોડી દીધા હોત? તાર્કિકતાની, વિચારની, સંશયની હત્યા એવા સમયે થઈ રહી છે જ્યારે દક્ષિણ એશિયામાં બહુસંખ્યક સમુદાયો પોતપોતાના ઇલાકાઓમાં ક્યાંક ધર્મ તો ક્યાંક સમાજના નામ પર સ્વતંત્ર અને ઉદાર અવાજોને ખામોશ કરી રહ્યા છે. કુલબર્ગીની હત્યા પહેલાં ઢાકામાં નિલય ચક્રવર્તી નામના બ્લોગરની હત્યા કરવામાં આવી હતી. બાંગ્લાદેશમાં છેલ્લાં બે વર્ષમાં પાંચ બ્લોગરોની હત્યા કરાઈ છે.
ટુ બી ફેર, તર્ક કે સંશય સાવ જ દૂધે ધોયેલા નથી. કંઈક અંશે રેશનાલિસ્ટો પણ એમની સોચમાં કટ્ટરવાદી હોય છે. ધર્મ સાથે વિજ્ઞાનનો ઝઘડો આજે પણ યથાવત્ છે એનું કારણ એ છે કે વિજ્ઞાન પોતે ઈશ્વરની જેમ સર્વે સમસ્યાઓનું સમાધાન પૂરું પાડવાનો દાવો કરે છે. ઈશ્વરનું સ્થાન વિજ્ઞાને લીધું છે? એવો પ્રશ્ન પૂછવો અસ્થાને નથી. પ્રકૃતિમાં ઉદ્દેશ અને દિશા અને અર્થની ગેરહાજરીના કારણે ધર્મનો ઉદય થયો હતો. ધર્મોએ સમાજને એવો નકશો બનાવી આપ્યો છે જે લોકોને અર્થહીન, દિશાહીન જીવનને સમુંસૂથરું પાર પાડવામાં સહાયક બન્યો છે. ધર્મએ લોકોને બ્રહ્માંડના અ-વ્યાખ્યાઈત સુપર નકશામાં એક નિશ્ચિત સ્થાન અને ઓળખ પ્રદાન કરી છે. ધર્મની ટીકાથી સીધો પ્રહાર વ્યક્તિની ઓળખ પર થાય છે એવો સાદો તર્ક રેશનાલિઝમ ભૂલી જાય છે. રેશનાલિઝમ પોતે એક જજમેન્ટ પાસ કરે છે અને વૈકલ્પિક વિચારનો ઇન્કાર કરે છે. તર્કવાદી અને પરંપરાવાદી બંને ભિન્નતા કે વિવિધતાનો અસ્વીકાર કરે છે. ઇતિહાસમાં વિચારોનો સંઘર્ષ અંતિમવાદી, નિર્ણયાત્મક અભિગમથી પેદા થયો છે. આપણને જરૂર મધ્ય માર્ગની છે.
e.mail : rj.goswami007@gmail.com
સૌજન્ય : ‘સન્નડે ભાસ્કર’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 27 સપ્ટેમ્બર 2015