મારા માટે આ જગતમાં સૌથી આદરણીય વ્યક્તિ ગાંધીજી છે. જેમને આદર આપવો જોઈએ અને જેમની જિંદગી સમજવી જોઈએ એવા દુનિયાના મહાનુભાવોનો મેં મારાથી બને એટલો અભ્યાસ કર્યો છે અને હું એવા તારણ પર આવ્યો છું કે માનવસભ્યતાના જ્ઞાત ઇતિહાસમાં અખંડ મનુષ્યતાની સૌથી પ્રામાણિક આરાધના ગાંધીજીએ કરી છે. આમ છતાં ય મને એક સવાલ હંમેશાં થતો હોય છે કે જો હું ગાંધીજીનો સમકાલીન હોત તો હું તેમનો અનુયાયી હોત ખરો? મને નથી લાગતું કે હું તેમનો અનુયાયી હોત. શંકા કર્યા વિના, પ્રશ્ન કર્યા વિના અને સમીક્ષા કર્યા વિના હું કોઈ વાત કે વ્યક્તિને સ્વીકારી શકતો નથી. ઈશ્વરના અનન્ય ભક્ત અને શ્રદ્ધાવાન ગાંધીજીએ પોતે જ આ તાવીજ આપ્યું છે. તેમણે તેમના એક ચાહકને સલાહ આપી હતી કે કોઈ વ્યક્તિ માટેની ભક્તિ એ મરે નહીં ત્યાં સુધી અનામત રાખવી. માણસ છે, એ ગમે ત્યારે આઘાત આપી શકે. માટે તો ગાંધીજીએ કોઈને ગુરુ બનાવ્યા નહોતા.
પણ આપણે માણસ છીએ. આપણને આપણી માફક વિચારતા, આપણી ભાષામાં બોલતા, આપણને ગમે એવું કામ કરતા કે કામની કદર કરતા હમસફર વટેમાર્ગુની જરૂર પડે છે. આવો કોઈ માણસ મળે તો આપણે રાજી રાજી થઈ જીઈએ છીએ. એમાં ય ખાસ કરીને તમે માણસાઈનું વાવેતર કરવાનો અને ટકોરાબંધ માણસાઈયુક્ત અખંડ માણસ પેદા કરવાનો અઘરો માર્ગ પસંદ કર્યો હોય ત્યારે તો સૌથી એટલો મીઠો લાગે કે વાત ન પૂછો. હિંદુ, મુસલમાન, બ્રાહ્મણ, ઈસાઈ, ગુજરાતી-મરાઠી પેદા કરવો બહુ સહેલું છે, માણસ પેદા કરવો એ અઘરું કામ છે.
૨૦૦૨નાં આયોજનપૂર્વકના નરસંહાર કરનારા ગુજરાતકાંડ પછીથી મોરારિબાપુને મેં આ રીતે જોયા છે. દૂર રહીને એમ લાગતું હતું કે મોરારિબાપુ મારી જેમ વિચારે છે, મારી ભાષામાં બોલે છે અને માણસાઈનું વાવેતર કરનારા લોકોનું અને કામનું કદર કરે છે. તેમને અખંડ મનુષ્ય પેદા કરવામાં રસ છે અને સંકુચિત ઓળખોના આગ્રહો કેટલા ઘાતક છે એ સમજાઈ ગયું છે. દૂરથી જોતો હતો (અલબત્ત ઝીણી નજરે) અને મનોમન કદર કરતો હતો. શંકા કરનારાઓને કહેતો પણ ખરો કે શંકા ભલે રાખો પણ સાથે શ્રદ્ધા પણ રાખો. મોરારિબાપુ ઘણો મોટો પ્રભાવ ધરાવે છે અને તેઓ જો પ્રામાણિકતાપૂર્વક માણસાઈના પક્ષે ઊભા રહેશે તો ઘણું મોટું કામ થઈ શકે છે. ખાસ કરીને ગુજરાતમાં જે હિન્દુત્વની લેબોરેટરી ગણાય છે. થોડો નજીક જવાનો અને માણસાઈના વાવેતરમાં એક નમ્ર ખેતમજૂર થવાની પણ કેટલોક વખત કોશિશ કરી હતી.
થોડાં વરસો પછી સમજાયું કે મોરારિબાપુને વ્યાસપીઠ પરથી બોલીને માણસાઈનું વાવેતર કરવા પૂરતો જ રસ છે. તેમની ભાષામાં વ્યાસપીઠની મર્યાદામાં રહીને. આની સામે કોઈ ફરિયાદ ન હોઈ શકે. દરેકને પોતાની મર્યાદા બાંધવાનો અધિકાર છે. તેમની વ્યાસપીઠ પણ માનવતાના પક્ષે ઊભી રહેતી હોય તો એટલું પણ ઘણું છે. એ પછી ધ્યાનમાં આવ્યું કે મોરારિબાપુને ઇવેન્ટો યોજવામાં જ રસ છે. આખું કેલેન્ડર ભરચક રહેવું જોઈએ અને ભારતમાં જે માણસ ખ્યાતિ ધરાવતો હોય એ મહુવા આવવો જોઈએ. ગ્રેટ ગુજરાતી ઇવેન્ટ ફિનોમેનનની જન્મભૂમિ ગાંધીનગર નથી, મહુવા છે. છેલ્લો ઝટકો ૨૦૧૪ પછી લાગ્યો જ્યારે વ્યાસપીઠનો સૂર બદલાવા લાગ્યો. માણસાઈનું વાવેતર પારવું થતાં થતાં સાવ ઘટતું ગયું અને ચાસમાં સલામત ભાષામાં સિફતપૂર્વક હિંદુ ઘાસ ઊગવા માંડ્યું. ૨૦૧૯ પછી તો બાપુએ બિયારણ જ બદલવા માંડ્યું.
આપણે ક્યાં આંગળી પકડી હતી! નજર ફેરવી લીધી. નજર તો હંમેશાં ખુલ્લી રાખવાનો સંકલ્પ છે પછી ખુદ ગાંધીજી સદેહે સામે કેમ ન હોય!
હવે હું જોઉં છું કે છેલ્લા છ મહિનામાં બાપુ બીજી વખત વિવાદમાં સપડાયા છે. પહેલાં તેમણે શુદ્ધ સનાતન ધર્મમાં જે ભેળાણ અને ઉમેરણ થાય છે તેની સામે સ્વામિનારાયણ સંપ્રદાયને ધ્યાનમાં રાખીને પ્રકોપ ઠાલવ્યો હતો. ત્યારે મેં આ કોલમમાં લખ્યું હતું કે ભેળાણ અને ઉમેરણ રોકવાના રસ્તા છે, પણ જોખમી છે. બીમારી કરતાં ઈલાજ વસમો પડે એવો છે. મેં ઇસ્લામનું ઉદાહરણ આપીને આ વાત સમજાવી હતી. હવે તેમણે ભગવાન કૃષ્ણના વારસદારો વિલાસી હતા એમ કહ્યું, એનો વિવાદ જાગ્યો છે. બાપુના બચાવમાં કહેવું જોઈએ કે બાપુએ ખોટું કાંઈ જ નથી કહ્યું. ગ્રંથો આમ કહે છે. મહાભારતના યુદ્ધ પછી ગાંધારીએ શાપ આપ્યો હતો તેનું આ પરિણામ હતું. આમ પણ મહાપુરુષને તેમના વારસદારો અને અનુયાયીઓ જ મારતા હોય છે. સોક્રેટીસથી લઈને ગાંધી સુધીનો ઇતિહાસ આમ કહે છે.
બાપુએ ખોટું કાંઈ નથી કહ્યું અને છતાં વિવાદ પેદા થયો. જે અખંડની ઉપાસના કરે છે તેને કોઈનો પણ કાન આમળવાનો અધિકાર છે. ગાંધીજીએ કોનો કાન નથી આમળ્યો? એક અપવાદ બતાવો? સાંભળનાર જાણતો હોય છે કે વક્તા માણસાઈની વિશાળ અને અખંડ ભૂમિકાએથી બોલી રહ્યો છે અને તેના મનમાં કોઈ પક્ષપાત નથી. મનુષ્યતાથી ભરેલો માણસ નામનું એક જ ઓળખબીજ એવું છે જે અખંડ છે, જેનાં ફાડિયાં ન થઈ શકે, પરંતુ જો તમે તેમાં હિંદુ નામની કે મુસ્લિમ નામની નાની ઓળખનાં બીજ ઉમેરીને તેનું સંકર કરો કે તરત તેનાં ફાડિયાં થવા લાગે કારણ કે તે બિયારણની ભાષામાં તે દ્વિદલ છે. એ પછી તમને ચોક્કસ ધર્મના, પેટા-સંપ્રદાયના તરફદાર હોવાના લેબલ લાગવા માંડે. મોરારિબાપુ સાથે આજકાલ આવું બની રહ્યું છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 જૂન 2020