એક તો BJP અને PDP જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાની ચૂંટણી એકબીજાની આકરી નિંદા કરીને લડ્યાં હતાં.
સાડાત્રણ વરસ પછી કેન્દ્ર સરકારને અને BJPને સમજાયું છે કે જમ્મુ અને કાશ્મીરમાં મેહબૂબા મુફ્તી પોતે, તેમની સરકાર અને પિપલ્સ ડેમોક્રૅટિક પાર્ટી (PDP) આતંકવાદીઓનો સામનો કરવામાં નિષ્ફળ તો નીવડ્યાં છે; ઉપરથી તેઓ આતંકવાદીઓને પ્રોત્સાહન આપે છે. જમ્મુ અને કાશ્મીરને બચાવવા માટે અને દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવા માટે BJPએ PDPને આપેલો ટેકો પાછો ખેંચ્યો છે જેને પરિણામે મુખ્ય પ્રધાન મેહબૂબા મુફ્તીએ મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યું છે.
હવે જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રપતિશાસન લાગુ કરવામાં આવ્યું છે અને અત્યાર સુધીમાં લાગુ કરવામાં આવેલાં આઠ વખતનાં રાષ્ટ્રપતિશાસનનો અનુભવ એવો છે કે રાષ્ટ્રપતિશાસનના પરિણામે દેશ અને કાશ્મીરની વચ્ચે અંતર ઘટવાની જગ્યાએ વધે છે. આમાં બે મુદતનાં જગમોહનવર્ષો તો નેકદિલ ઇન્સાનના હૃદયમાં કંપારી છૂટી જાય એવાં હતાં. જો કે જમ્મુ અને કાશ્મીરના અત્યારના ગર્વનર એન.એન. વોહરા જગમોહન જેવા જલ્લાદ નથી, ઓછામાં ઓછું અત્યાર સુધી તેમની એવી ખ્યાતિ નથી; પરંતુ જો એન.એન. વોહરાને બદલવામાં આવે તો લખી રાખજો કાશ્મીરની ખીણમાં દમનનો દોર શરૂ થવાનો છે.
સાચી વાત તો એ છે કે મેહબૂબા મુફ્તી જમ્મુ અને કાશ્મીરની અત્યારની સ્થિતિ માટે જવાબદાર ઓછાં છે, નવી દિલ્હીની નીતિનાં શિકાર (વિક્ટિમ) વધુ છે. આખી દુનિયા આ જાણતી હતી અને મેહબૂબા મુફ્તી પણ આ વાત જાણતાં હતાં, પરંતુ તેમણે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવાની હિંમત બતાવી નહોતી અને પરિસ્થિતિ વણસતી રહી. આજે કાશ્મીરની ખીણમાં જે વણસેલી સ્થિતિ છે એને માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે.
એક તો BJP અને PDP જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાની ચૂંટણી એકબીજાની આકરી નિંદા કરીને લડ્યાં હતાં. એ પછી ચૂંટણીનાં પરિણામો એવાં આવ્યાં હતાં જેમાં ત્રણ ઊભી-આડી તિરાડો પડી હતી. હિન્દુ બહુમતી જમ્મુમાં BJPને ૩૭માંથી ૨૫ બેઠકો મળી હતી, પરંતુ કાશ્મીરની ખીણ અને લદ્દાખમાં એક પણ બેઠક નહોતી મળી. PDPને કાશ્મીરની ખીણમાં અને જમ્મુ પ્રદેશમાં મળીને ૨૮ બેઠકો મળી હતી, પરંતુ એને પણ લદ્દાખમાં એક પણ બેઠક નહોતી મળી. જમ્મુ BJPનું, ખીણ PDPની અને લદ્દાખ PDP કે BJPમાંથી કોઈનું નહીં એવી સ્થિતિ હતી. એ પછી PDP અને BJPએ મળીને સરકાર રચી હતી. એ આપદ્ધર્મ હતો એમ PDPના નેતા અને મુખ્ય પ્રધાન મરહૂમ મુફ્તી મોહમ્મદ સૈયદે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યારે કહ્યું હતું. એ પછી થોડા દિવસે વળી પોતાની ભૂમિકા સુધારતાં આ બન્ને નેતાઓએ કહ્યું હતું કે PDP-BJP જોડાણ એ ઐતિહાસિક તક (હિસ્ટોરિકલ ઑપોરચ્યુિનટી) છે.
શેની ઐતિહાસિક તક એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. એક પક્ષ ખીણના બહુમતી મુસલમાનોનું પ્રતિનિધિત્વ કરતો હોય અને બીજો જમ્મુના બહુમતી હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરતો હોય અને છતાં ય બન્ને મળીને જમ્મુ અને કાશ્મીરને સ્વર્ગ બનાવવા માગતા હોય ત્યારે બે છેડાનું રાજકારણ કરનારા પક્ષોનું ઉત્તરદાયિત્વ વધી જાય છે, એમ મુફ્તી મોહમ્મદ સઈદ અને PDP સાથે દોસ્તીનો સેતુ બાંધનારા BJPના નેતા રામ માધવે કહ્યું હતું. એટલે તો એકબીજાને ગાળો દઈને અને એકબીજાની સામે લડેલા બે છેડાના પક્ષો વચ્ચે જ્યારે જોડાણ થયું અને જમ્મુ અને કાશ્મીરમાં એક રીતે હિન્દુ-મુસ્લિમ મિશ્ર સરકાર રચાઈ ત્યારે આ લખનાર સહિત અનેક લોકોએ એનું સ્વાગત કર્યું હતું.
એ જો ઐતિહાસિક પળ હતી અને બે છેડાનું રાજકારણ કરનારા પક્ષો ઉત્તરદાયિત્વના સંપૂર્ણ ભાન સાથે ભાગીદાર બન્યા હોય તો એમની નીતિ કેવી હોવી જોઈતી હતી? સાવ સાદી બુદ્ધિથી વિચારો કે તમે હો તો શું કરો? એ કરો જે BJPએ અને કેન્દ્ર સરકારે કાશ્મીરમાં કર્યું છે? જમ્મુને કાશ્મીર સામે મૂકીને વિભાજન કરવાનું, કાશ્મીરને દેશ સામે મૂકીને વિભાજન કરવાનું, કાશ્મીરની હિંસાની ઘટનાઓનો ઉપયોગ કરીને બાકીના ભારતમાં હિન્દુ માનસમાં કોમવાદી ઝેર રેડવાનું, કાશ્મીરનો ઉપયોગ કરીને દેશમાં હિન્દુ અને મુસ્લિમ ધ્રુવીકરણ કરવાનું, આંગળિયાત ચૅનલો પર દેશપ્રેમ અને દેશદ્રોહની ઘાંટાફાડ ચર્ચાઓ કરાવવાની અને સૌથી મોટી વાત : જમ્મુ અને કાશ્મીરમાં તેમ જ દેશમાં સત્તામાં હોવા છતાં અશાંત છોકરાવ સામે નજર પણ નહીં નાખવાની અને ઉપરથી તેમની ઉપેક્ષા કરવાની. આવી હોય ઐતિહાસિક પળ? જો કાશ્મીરનો બાકીના ભારતમાં કોમી રાજકીય ઉપયોગ કરવો હતો તો જમ્મુ અને કાશ્મીરમાં સરકારમાં ભાગીદાર નહોતું થવું જોઈતું. કોઈએ સોગંદ તો આપ્યા નહોતા.
મુફ્તી મોહમ્મદ સઈદ ગુજરી ગયા એ પછી ત્રણ મહિના રાહ જોઈને મેહબૂબા મુફ્તી જમ્મુ અને કાશ્મીરનાં મુખ્ય પ્રધાન બન્યાં હતાં. આ ઘટના એપ્રિલ-૨૦૧૬ની છે. ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેહબૂબાને અભયવચન આપ્યું હતું કે ચિંતા ન કરો, સરકાર રચો, અમે તમને સાથ આપીશું. એ પછી ત્રણ મહિને બુરહાન વાણીનું બૉર્ડર સિક્યૉરિટી ફોર્સના જવાનના હાથે મૃત્યુ થયું હતું અને એ સાથે કાશ્મીરની ખીણ પર કાળાં વાદળો ઘેરાવા લાગ્યાં. કાશ્મીરની ખીણમાં લોકો રણે ચડ્યા હતા અને યુવકો સલામતી-દળો પર પથ્થરમારો કરતા હતા. પ્રારંભમાં એ લોકોને શાંત પાડવામાં આવ્યા હોત તો ત્યારે જ સ્થિતિ થાળે પડી ગઈ હોત; પરંતુ કેન્દ્ર સરકારે વાતચીત કરવાની ના પાડી દીધી હતી અને આંદોલનકારીઓને આતંકવાદી, અલગતાવાદી અને પાકિસ્તાનતરફી તરીકે લેબલ લગાડવાનું શરૂ કર્યું હતું. કેન્દ્ર સરકાર અને BJPને બાકીના ભારતમાં રાજકીય લાભ લેવા માટે કાશ્મીર બળતું રહે એનો ખપ હતો. દેશપ્રેમ અને રાષ્ટ્રવાદનું રાજકારણ હતું.
લાભ તો જેટલો ધાર્યો હતો એટલો મળ્યો નહીં, પરંતુ કેન્દ્ર સરકારનો પગ કૂંડાળામાં પડી ગયો છે. હવે એને કાઢવો કઈ રીતે એ પ્રશ્ન છે. કાશ્મીરની ખીણમાં વાસ્તવિક સ્થિતિ કેવી છે અને કેન્દ્ર સરકાર પાસે કેટલા વિકલ્પો છે એની વાત નીચે આપ્યા બીજા વિભાગમાં.
– 2 –
કાશ્મીર છે અંજીરનું પાન: દરેક મોરચે નિષ્ફળ નીવડ્યા પછી હવે કાશ્મીરમાં પૌરુષત્વ બતાવવામાં આવશે
પી.ડી.પી. અને બી.જે.પી. મળીને જમ્મુ અને કાશ્મીરમાં સરકાર રચે એને મુફ્તી મહમ્મદ સઈદે અને નરેન્દ્ર મોદીએ બન્નેએ ઐતિહાસિક પળ ગણાવી હતી જે અત્યારે નિષ્ફળતાની પળમાં ફેરવાઈ ગઈ છે. આને માટે જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન મેહબૂબા મુફ્તી જવાબદાર છે એમ કહીને બી.જે.પી.એ હાથ ખંખેરી નાખ્યા છે. આ વાત ખોટી છે. જેટલા જવાબદાર મેહબૂબા મુફ્તી છે, એના કરતાં વધુ જવાબદાર બી.જે.પી. અને કેન્દ્ર સરકાર છે.
પહેલી વાત, મેહબૂબા મુફ્તીની સરકારને બી.જે.પી.એ બહારથી ટેકો નહોતો આપ્યો, બી.જે.પી. સતામાં ભાગીદાર હતી. પ્રધાન મંડળમાં દસ પ્રધાનો પી.ડી.પી.ના હતા તો દસ પ્રધાનો બી.જે.પી.ના હતા. નાયબ મુખ્ય પ્રધાન અને સ્પીકર પણ બી.જે.પી.ના હતા. બીજું, જમ્મુ અને કાશ્મીરની પોલીસને છોડીને તમામ સલામતી દળો કેન્દ્ર સરકારના અંકુશમાં છે. ત્રીજું, જમ્મુ અને કાશ્મીરમાં લશ્કર ‘ધ આર્મ્ડ ફોર્સીસ સ્પેિશયલ પાવર એક્ટ’ (એ.એફ.એસ.પી.એ.) હેઠળ અમર્યાદિત સત્તાઓ ધરાવે છે અને તેમાં તે રાજ્ય સરકારની ઉપેક્ષા કરી શકે છે. જમ્મુ અને કાશ્મીર તેમ જ ઇશાન ભારતની સરકારો એ.એફ.એસ.પી.એ.નો વિરોધ કરે છે, એનું કારણ લશ્કરને આપવામાં આવેલી અમર્યાદિત સત્તા છે. ચોથું, ભારતના અન્ય નાગરિકોની તુલનામાં જમ્મુ અને કાશ્મીરના નાગરિકો પ્રમાણમાં ઓછા નાગરિક અધિકારો ધરાવે છે, અને નાગરિક અધિકારોના સંકોચનને દેશહિતમાં ઉચિત ઠરાવવામાં આવે છે. પાંચમું દેશપ્રેમ અને રાષ્ટ્રવાદનો એવો ઊભાર પેદા કરવામાં આવ્યો હતો કે સરવાળે જમ્મુ અને કાશ્મીરની સરકાર કરતાં કેન્દ્ર સરકાર લોકોની વધુ સહાનુભુતિ ધરાવતી હતી. એ જે કરે તેને દેશહિતમાં ઉચિત ઠરાવવામાં આવતું હતું.
અને છેલ્લે ૮મી જૂન ૨૦૧૬ની રાતે વડા પ્રધાને નોટબંધી કરી તેની પાછળના ત્રણ મુખ્ય ઉદ્દેશોમાં એક ઉદ્દેશ ત્રાસવાદીઓના હાથમાંનું ફંડ સૂકવી નાખવાનું હતું. ત્રાસવાદીઓના હાથમાં જે પૈસા છે એ એક ઝટકામાં ખોટા થઈ જાય તો બેટા ત્રાસવાદીઓ ત્રાસવાદી પ્રવૃત્તિ કરશે કેવી રીતે? કાળું ધન એકઠું કરનારાઓ અને ત્રાસવાદીઓ ખતમ થઈ જશે એવી આશાએ લોકોએ ત્રણ ત્રણ મહિના સુધી નોટબંધીની હાડમારી સહન કરી લીધી હતી. રિઝર્વ બેંક દોઢ વરસ પછી પણ કુલ કેટલા રૂપિયા પાછા આવ્યા, એના આંકડા જાહેર કરતી નથી એનું કારણ એ છે કે કાળું નાણું તો ઠીક, નકલી નાણું પણ અસલી બની ગયું છે. ટૂંકમાં જેટલી નોટો હતી એના કરતાં વધુ પાછી આવી છે એટલે રિઝર્વ બેંક અને ભારત સરકાર શરમાય છે.
રાજ્ય સરકાર કરતાં કેન્દ્ર સરકાર પાસે વધુ સત્તા હોવા છતાં, રાજ્ય સરકારમાં બી.જે.પી. બરાબરની ભાગીદાર હોવા છતાં અને નોટબંધી દ્વારા ત્રાસવાદીઓને ખંખેરી નાખ્યા હોવાનો દાવો કરાતો હોવા છતાં, જમ્મુ અને કાશ્મીરમાં હિંસક ઘટનાઓમાં ઘટાડો થવાની જગ્યાએ વધારો થયો છે એમ કેન્દ્ર સરકાર કહે છે. પાછો વધારો પણ કેવો? ઇન્ડો-પાક કોન્ફલિક્ટ મોનીટર નામની સંસ્થાના તપાસવા પડે એમ છે.
ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ બાકીના ભારતમાં ચૂંટણી જીતવા જમ્મુ અને કાશ્મીરમાં જે મસ્તી કરી હતી, તેને પરિણામે કાશ્મીર સળગ્યું હતું. માંડ બે દાયકે પરિસ્થિતિ થાળે પડી હતી અને તેનો મુખ્ય શ્રેય અટલ બિહારી વાજપેયીને જાય છે. જમ્મુ અને કશ્મીરના ઇતિહાસમાં પહેલીવાર તેમણે મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજી હતી. જે માણસે બી.જે.પી.માં રહીને આર્ટીકલ ૩૭૦ને રદ્દ કરવાની જપમાળા કરી હતી, એ માણસે ઈન્સાનિયત, જંબુરિયત અને કાશ્મીરિયતના દાયરામાં જમ્મુ અને કાશ્મીરનો પ્રશ્ન ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો. તેમના અને તેમના અનુગામી ડૉ. મનમોહન સિંહના ડહાપણભર્યા પ્રયાસોના પરિણામે ૨૦૦૮ સુધીમાં ત્રાસવાદી ઘટનાઓ ઘટીને ૮૬ સુધી નીચે આવી ગઈ હતી અને ૨૦૦૯માં તો માત્ર ૩૫ ઘટનાઓ બની હતી. એ પછી ૨૦૧૦માં ૭૦, ૨૦૧૧માં ૬૨, ૨૦૧૨માં ૧૧૪ ઘટનાઓ બની હતી.
૨૦૧૩ પછીથી વળી પાછો હિંસક ઘટનાઓમાં વધારો થયો હતો અને ૩૪૭ ઘટનાઓ બની હતી. એ સમયે વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીનો ઉદય થયો હતો અને તેમણે મર્દાનગીના વાયદાઓ કર્યા હતા. ૩૪૭ હિંસાની ઘટનાઓને તેમણે કેન્દ્ર સરકારની નિર્બળતા તરીકે ઓળખાવી હતી. લોકોએ એ વાયદાઓ માની લીધા હતા અને નરેન્દ્ર મોદી સંપૂર્ણ બહુમતી સાથે વડા પ્રધાન બન્યા હતા. પણ પરિણામ? ૨૦૧૪માં આગલા વરસ કરતાં વધીને ૫૮૩ હિંસક ઘટનાઓ બની હતી. ૨૦૧૫માં ઘટીને ૪૦૫, ૨૦૧૬માં ૪૪૯ અને ૨૦૧૭માં લગભગ બે ગણી ૯૭૧ હિંસાની ઘટનાઓ બની હતી. ૨૦૧૮? ૨૮મી મે સુધીમાં ૧,૨૫૨. આવું કેમ બન્યું? રાજ્ય સરકાર કરતાં કેન્દ્ર સરકાર પાસે વધુ સત્તા હોવા છતાં, રાજ્ય સરકારમાં બી.જે.પી. બરાબરની ભાગીદાર હોવા છતાં અને નોટબંધી દ્વારા ત્રાસવાદીઓને ખંખેરી નાખ્યા હોવાનો દાવો કરાતો હોવા છતાં આવું પરિણામ? મેહબૂબા મુફ્તી આ સ્થિતિ માટે જવાબદાર હતાં, એમ જો તમે માનતા હો તો તમે તમારી જાતને છેતરી રહ્યા છો. જમ્મુ અને કાશ્મીરમાં જે ભુંહડિયો વાળ્યો છે એ કેન્દ્ર સરકારે વાળ્યો છે.
૨૦૧૬માં બુરહાન વાણીના બી.એ.સેફ.ના જવાનના હાથે થયેલા મૃત્યુની ઘટના પછી કાશ્મીરની ખીણમાં સ્થિતિ વણસી હતી. જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન મેહબૂબા મુફ્તીએ, વિરોધ પક્ષના નેતા ઓમર અબ્દુલ્લાએ, જમ્મુ અને કાશ્મીરની સ્થિતિના જાણકારોએ, એ.એસ. દુલાત જેવા રૉના નિવૃત્ત વડાએ, જમ્મુ અને કાશ્મીર ગયેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે, તેના અધ્યક્ષ અને હમણાં સુધીના બી.જે.પી.ના નેતા યશવંત સિન્હાએ, પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અખબારોએ, કાશ્મીરના ઉર્દૂ અને અંગ્રેજી અખબારોએ અને વિશ્વભરના કાશ્મીર વોચરોએ ગુહાર લગાવી હતી કે કાશ્મીરની પ્રજાના પ્રાતિનિધિક સંગઠનો સાથે વાત કરવામાં આવે. તેમની પીઠ પર વહાલનો હાથ ફેરવશો તો પરિસ્થિતિ સચવાઈ જશે. માત્ર પ્રેમનો તકાદો છે. તેમણે ચેતવણી પણ આપી હતી કે પ્રજાના રોશની ઉપેક્ષા મોંઘી પડી શકે એમ છે અને દમનનીતિ તો હજુ વધુ મોંઘી પડી શકે એમ છે જે રીતે ૧૯૮૦ અને ૧૯૯૦ના દાયકામાં મોંઘી પડી હતી. કેન્દ્ર સરકારે તેમની એક પણ વાત નહોતી સાંભળી તે ત્યાં સુધી કે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના સભ્યોને અને તેના નેતા યશવંત સિંહાને વડા પ્રધાને મળવાનો સમય પણ નહોતો આપ્યો.
કારણ બે હતા. એક તો સળગતા કાશ્મીરને દેશપ્રેમ અને દેશદ્રોહનું ધ્રુવીકરણ કરીને બાકીના ભારતમાં વટાવવું હતું. ઉત્તર પ્રદેશ, ગુજરાત અને અન્ય રાજ્યોમાં ચૂંટણી જીતવાની હતી. ખેડૂતો આંદોલન કરતા હોય, ત્યારે એ સમાચાર દબાવી દેવા માટે શ્વાન ચેનલો દેશપ્રેમનો દેકારો બોલાવતી હતી. બીજું કારણ અભિમાન હતું. ભારતકેસરી એમ બે બદામના છોકરડાઓ સામે ઝુકી જાય તો ૫૬ ઈંચની છાતી લાજે. માત્ર કાશ્મીર નહીં, અનેક પ્રશ્ને વડા પ્રધાન સહાનુભૂતિના કે મીઠાશના બે બોલ બોલવામાં શરમ અનુભવે છે; પછી એ ખેડૂતો હોય, યુવાનો હોય, દલિતો હોય, નિવૃત્ત લશ્કરી જવાનો હોય કે સ્ત્રીઓ હોય. પ્રેમ અને વાત્સલ્યને તેઓ દુર્બળતા સમજે છે. પૌરુષત્વનું વિકૃત સ્વરૂપ આમાં જોવા મળશે.
સવાલ એ છે કે પ્રત્યક્ષ પરિણામ શું આવ્યું? કેન્દ્રમાં એક હથ્થુ શાસન હોવા છતાં, જમ્મુ અને કાશ્મીરની સરકાર ભાગીદાર હોવા છતાં, લશ્કર પર અંકુશ હોવા છતાં, લશ્કરને છૂટો દોર આપ્યો હોવા છતાં, નોટબંધી કરવા છતાં, આંદોલનકારીઓને ઘાસ નહીં નાખવાની નીતિ અપનાવવા છતાં હાથમાં શું આવ્યું? આ બધું હોવા છતાં ત્રાસવાદી ઘટનાઓમાં ત્રણ ગણો વધારો થયો છે. ભારત કેસરી કરતાં તો કહેવાતા નિર્બળ વડા પ્રધાનો સારા નીવડ્યા.
વાત એમ છે કે વડા પ્રધાને ગુજરાતભરોસે ચાર વરસ વેડફી નાખ્યા છે. ગુજરાતભરોસે એટલે કે ગુજરાતની જેમ ખેલ પાડતા બે મુદત કાઢી નાખશું એવો ભરોસો. આટલું ઓછુ હતું તે એમાં તેમણે નોટબંધીનો અને એક સાથે જી.એસ.ટી. લગાડવાના એમ બે મૌલિક નિર્ણયો લીધા જેના દુષ્પ્રરિણામો નજરે પડી રહ્યા છે. હવે દસ મહિના બચ્યા છે અને લોકસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. દરેક મોરચે નિષ્ફળ નીવડ્યા પછી, હવે કાશ્મીરમાં પૌરુષત્વ બતાવવામાં આવશે. કાશ્મીરને અંજીરનું પાન બનાવવાનું છે. આના સંકેતો પણ મળવા લાગ્યા છે.
સૌજન્ય : ‘કારણ તારણ’ નામે લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 21 તેમ જ 22 જૂન 2018