Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9335293
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોણ હતી ‘રાજમોહન્સ વાઈફ?’ – પૂછીએ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયને …

સોનલ પરીખ|Opinion - Opinion|12 July 2021

સર્જકોએ ઘણું લખ્યું હોય, પણ એમનું નામ એમના કોઈ એક સર્જન સાથે વિશેષ જોડાઈ જાય. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું નામ આવે એટલે યાદ આવે ‘વંદે માતરમ્‌’ અને એની ઊર્જા બીજું બધું પાછળ ધકેલી દે. મહાન લેખક, કવિ અને પત્રકાર, ભારતને માતા કહી વંદન કરનાર અને દેશને રાષ્ટ્રગાન (રાષ્ટ્રગીત નહીં) આપનાર બંગાળી વિભૂતિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનો જન્મદિન 27 જૂને હતો.

1770 આસપાસ બંગાળ(ત્યારે બંગાળ, બિહાર અને ઓરિસ્સા એક હતાં)ના સન્યાસીઓએ સ્થાનિક મુસ્લિમ શાસક અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વિરુદ્ધ બળવો કર્યો હતો. અમુક ઇતિહાસકારો તેને ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય યુદ્ધનો દરજ્જો આપે છે. આ ઐતિહાસિક ઘટના પરથી 1882માં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે ‘આનંદમઠ’ નવલકથા લખી, જેમાં ‘વંદે માતરમ્‌’ ગીત સમાવિષ્ટ હતું. 1952માં પૃથ્વીરાજ કપૂર, ગીતા બાલી, ભારત ભૂષણ અને પ્રદીપકુમાર જેવાં કલાકારોને લઈ ‘આનંદમઠ’ ફિલ્મ બની, તેમાં ‘વંદે માતરમ્‌’ ગીત રૂપે મુકાયું અને ખૂબ પ્રખ્યાત થયું. ગાયક-સંગીતકાર હેમંતકુમારની આ પ્રથમ હિન્દી ફિલ્મ હતી.

‘આનંદમઠ’ ઉપરાંત આપણને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની ‘દુર્ગેશનંદિની’, ‘કપાલકુંડલા’ કે ‘વિષવૃક્ષ’ જેવી નવલકથાઓનાં નામ તો ખબર હોય, પણ એમની પહેલી નવલકથા ‘રાજમોહન્સ વાઈફ’ હતી અને એ અંગ્રેજીમાં લખાયેલી હતી, એ કદાચ જલદી યાદ ન આવે. હા, એના વિશે જાણીએ પછી એ નામ જલદી ભુલાય પણ નહીં. 1864માં આ નવલકથા ‘ઇન્ડિયન ફિલ્ડ’ સાપ્તાહિકમાં હપ્તાવાર પ્રગટ થતી હતી ત્યારે 26 વર્ષના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય કલકત્તાની પ્રેસિડન્સી કૉલેજમાંથી ગ્રેજ્યુએટ થઈ બ્રિટિશ ઇન્ડિયાની સિવિલ સર્વિસના ડૅપ્યુટી મૅજિસ્ટ્રેટ બની ચૂક્યા હતા. ‘રાજમોહન્સ વાઈફ’નું પુસ્તકરૂપે પ્રકાશન છેક 1994માં એમના મૃત્યુ પછી થયું. આ પછીની બધી નવલકથાઓ તેમણે બંગાળીમાં લખી હતી.

સર્જકોએ ઘણું લખ્યું હોય, પણ એમનું નામ કોઈ એક સાથે વિશેષ જોડાઈ જાય. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું નામ આવે એટલે યાદ આવે ‘આનંદમઠ’ અને ‘વંદે માતરમ્‌’. આ બે શબ્દોની ઊર્જા પછી બીજું બધું પાછળ ધકેલી દે. વાત કરીએ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની, 26 વર્ષની ઉંમરે એમણે અંગ્રેજી ભાષામાં લખેલી પહેલી નવલકથા ‘રાજમોહન્સ વાઈફ’ની અને એનાં બળકટ, પ્રતીકાત્મક પાત્રોની.

શું છે ‘રાજમોહન્સ વાઈફ’નું કથાનક? – પ્રૌઢ રાજમોહનની 18 વર્ષની પત્નીનું નામ માતંગિની છે. લેખક કહે છે કે તેનાં ગૌરવ અને આત્મવિશ્વાસ જોઈને ખબર પડી જાય કે તેનો ઉછેર કલકત્તા બાજુ થયો છે. તેની આંખો મોટે ભાગે ઢળેલી હોય છે, પણ ખૂલે છે ત્યારે મેઘમંડિત આકાશમાં ચમકતા વીજલિસોટા સમી લાગે છે. ઈર્ષાળુ ને માલિકીભાવ ધરાવતા પતિએ તેને નદીએ પાણી ભરવા જવાની કે બહેનબનેવીને મળવાની મનાઈ કરી છે. એક રાત્રે એ માતંગિનીના બનેવી માધવને લૂંટવાનું કાવતરું કરતો હોય છે, ત્યારે માતંગિની એ સાંભળી જાય છે અને રાતના અંધારામાં એકલી નીકળી માધવને ચેતવી દે છે અને કહે છે કે પોતે તેને ચાહે છે.

માતંગિની ઘેર પાછી ફરે છે ત્યારે રાતોપીળો રાજમોહન તેને મારી નાખવા તૈયાર થાય છે. માંડ ભાગી છૂટેલી માતંગિનીને તેની એક માત્ર સહેલી કનક મથુરને ત્યાં છુપાવે છે. કદાવર ક્રૂર મથુરની દાનત માતંગિનીને કબજે કરવાની છે. માતંગિનીને ખબર નથી કે માધવ પણ મથુરના મકાનમાં જ કેદ છે અને મથુર જ માધવનો પિતરાઈ અને લૂંટ પાછળનું માસ્ટરમાઈન્ડ છે. થોડી ઘટનાઓ પછી કાવતરું ફૂટી જાય છે, માધવ બચી જાય છે, મથુર આત્મહત્યા કરે છે, રાજમોહનને દેશનિકાલની સજા થાય છે ને માતંગિનીને પિયર મોકલી દેવાય છે. ત્યાં ટૂંક સમયમાં તેનું મૃત્યુ થાય છે.

ખરી મઝા વાર્તાનાં પ્રતીકો સમજવાની છે. માતંગિની ભારતના આત્માનું પ્રતીક છે – રાષ્ટ્ર તરીકે ઊગતું, સંકોચશીલ છતાં શક્યતાઓથી ભરપૂર, સંકલ્પબદ્ધ અને આકર્ષક. પણ તેના પર દુ:ખ અને ચિંતાઓનો બોજ છે, તે બંધનમાં છે. પહેલા જ પ્રકરણમાં માતંગિની પતિના હુકમને અવગણી નદીકાંઠે પાણી ભરવાં જાય છે અને ત્યાં તેને માધવ મળે છે. માતંગિની હવે સળિયામાં પુરાવા નથી માગતી, તેના સાચા ઘેર જવા ઈચ્છે છે. ભારતની ત્યારે આ જ સ્થિતિ હતી – ઊર્જા, સાહસ, પરંપરાઓમાં બંધાઈ રહેવાની અનિચ્છા અને સ્વાતંત્ર્યની ઝંખના.

મથુર અસંસ્કારી, જડ, સિદ્ધાંતવિહોણો, અત્યાચારી અને વાસનાથી ખદબદતો છે. માધવ સુંદર, યુવાન, શિક્ષિત, શ્રીમંત, પ્રગતિશીલ પણ માતંગિનીની તેજસ્વી ઊર્જા પાસે તે દિશાહીન અને મંદ જણાય છે. માધવ અને મથુર બંને અલગ અલગ પ્રકારના સામાજિક વર્ગોના પ્રતિનિધિઓ છે, પોતપોતાની નબળાઈઓને પોષવામાં જ એમની જિંદગી બરબાદ થાય છે. પણ બંનેને માતંગિનીની એષણા છે. ભારત કોનું થશે – આસુરી બળોનું કે દૈવી બળોનું?

રાજમોહનમાં પત્ની પ્રત્યે પ્રેમ-કાળજીનો સદંતર અભાવ અને અંકુશ-અધિકારનો સંપૂર્ણ પ્રભાવ છે. એથી માતંગિની તેનાથી દૂર થઈ છે. સમાજે જેને કાબૂમાં રાખવાની સત્તા આપી છે તેને કેમે કરી કાબૂમાં રાખી શકાતી નથી એથી ઝનૂને ચડેલો રાજમોહન પોતાનાઓથી જ વિખૂટા પડી ગયેલા સામ્રાજ્યવાદી માનસનું પ્રતિનિધિત્વ કરે છે. કોઈક એમાં ભારતના એ શિક્ષિત વર્ગનું પ્રતીક પણ જુએ છે, જે બહોળા શ્રમજીવી વર્ગથી અલગ થઈ ગયો છે.

માતંગિની જેનું પ્રતીક છે તે ભારતની નવશક્તિ, નવલકથામાં કોઈ પરિણામ લાવ્યા વિના અંત પામે છે. ભારતની પ્રાણશક્તિ એના જ શિક્ષિત બુદ્ધિજીવી વર્ગના હાથે હણાય છે. પણ સૂચક એ છે કે નવલકથામાં મહત્ત્વ હણાવાનું નથી, નવશક્તિના જાગરણનું છે. એ સમયના પ્રશિષ્ટ, મધ્યકાલીન કે યુરોપીય સાહિત્યસ્રોતો જોતાં માતંગિની જેવાં પાત્રનું સર્જન એ કલ્પનાનો મોટો ‘જમ્પ’ કહેવાય.

તો, અંગ્રેજો આમાં ક્યાં છે? મેજિસ્ટ્રેટનું પાત્ર અંગ્રેજોનું પ્રતીક છે. મુત્સદી, અતિ સક્રિય, શક્તિમાન. છટકવા ન દે. એનો ન્યાય નિર્દોષનું ગળું રુંધી નાખે તો ભલે. બ્રિટિશ શાસન ન્યાય, શાંતિ, નિષ્પક્ષતા લાવ્યું છે, પણ તે ભારતની ઊભરાતી પ્રાણશક્તિને રૂંધી નાખી રહ્યું છે આ સૂર આખી કથામાં ઝીણો ઝીણો વાગતો આવે છે. સીધી આલોચના નથી, પણ તેમાં માતંગિની ક્યાં ય પોતાની જગ્યા કે પોતાના અંતરને ભરવાની કોઈ શક્યતા શોધી શકતી નથી. તેનાં પ્રેમ, સૌંદર્ય, આશા, સ્વપ્નો, હિંમત, સ્વાતંત્ર્યપ્રેમ અને નિર્ભયતા વેડફાઈ જાય છે. તેને કેદ થવું પડે છે, અત્યાચારો સહેવા પડે છે. તે ટકી શકે છે એ જ ચમત્કાર છે. જો કે એ તેની જીત નથી, કેમ કે તેને એ તો મળ્યું જ નથી જે તેને મળવું જોઈતું હતું, જેને તે ‘ડીઝર્વ’ કરતી હતી. ઊગીને ઊભા થવા મથતા ભારતની આ કરુણ નિયતિ છે. માતંગિની જેવાં લોકો પસંદગીના સાથી સાથે જીવી શકે એવો નવો સમાજ રચાવાને હજી વાર છે. એ ન થાય ત્યાં સુધી સંઘર્ષ કરવાનો છે, બલિદાન આપવાનું છે. પણ એ વ્યર્થ નહીં જાય, એક છાપ છોડીને જશે.

આમ આખી કોશિશ નવલકથાની જ નહીં, નવા ભારતની રચનાની છે. આ કોશિશ ટાગોરની નવલકથા ‘ગોરા’(1909)માં પણ છે. એમાં નવી પેઢી, જૂની પેઢીના આશીર્વાદથી નવું ભારત રચવા કાર્યાન્વિત થાય છે. ‘રાજમોહન્સ વાઈફ’ની માતંગિની એમ કરી શકતી નથી, પણ એક આશા આપીને જાય છે કે જે મશાલ પ્રગટાવી છે, તેના તેજમાં નવાં પાત્રો નવી રીતે આગળ વધશે. 1935માં એ ફરી પ્રગટ થઈ. જો કે તેનાં પહેલા ત્રણ પ્રકરણ મળી શક્યાં નહીં તેથી એ પ્રકરણો તેના બંગાળી અનુવાદનું અંગ્રેજી કરી મુકાયાં. બાકીનાં પ્રકરણો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે લખેલાં તે જ છે. ‘રાજમોહન્સ વાઈફ’ એમ.એ.માં પાઠ્યપુસ્તક તરીકે ભણાવાતી હતી. 

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનો જન્મ 1838માં. ટાગોર 1861માં જન્મેલા અને મહાત્મા ગાંધી 1869માં. 1857નો વિપ્લવ થયો ત્યારે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય હયાત હતા. 1896માં કલકત્તામાં કૉંગ્રેસનું અધિવેશન હતું તેમાં પહેલી વાર વંદે માતરમ્‌ ગવાયું. તેની ધૂન ટાગોરે બનાવી હતી.

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે કહ્યું છે કે સ્ત્રી, ઈશ્વરની ઊર્જસ્વી નિપુણતાનું સર્જન છે. સ્ત્રી પ્રકાશ છે, પુરુષ પડછાયો છે. દેશને માતારૂપે કલ્પવા પાછળ આ જ વિચાર હશે? એ વિચારની જ પ્રબળતાથી દેશવાસીઓ ભારતમાતા માટે મરી ફીટવા તૈયાર થયા હશે?

e.mail : sonalparikh1000@gmail.com

Loading

12 July 2021 સોનલ પરીખ
← જ્યાંથી અમેરિકન સૈન્ય રાતોરાત ખસી ગયું છે, તેવા અફઘાનિસ્તા પાસે હવે શું વિકલ્પ છે?
અષાઢી બીજ … →

Search by

Opinion

  • ‘શેતરંજ’ પર પ્રતિબંધનું પ્રતિગામી પગલું
  • જેઇન ઑસ્ટિન અમર રહો !
  • જેઇન ઑસ્ટિન : ‘એમા’
  • ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’: એક વિહંગાવલોકન
  • ગ્રામસમાજની જરૂરત અને હોંશમાંથી જન્મેલી નિશાળનો નવતર પ્રયોગ

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • નિર્મમ પ્રેમી
  • મારી અહિંસા-યાત્રા
  • ગાંધીનો હિટલરને પત્ર 
  • ઈશુનું ગિરિ-પ્રવચન અને ગાંધીજી
  • ગાંધી : ભારતની પ્રતિમા અને પ્રતીક

Poetry

  • વિમાન લઇને બેઠા …
  • તારવણ
  • હે કૃષ્ણ ! કોણ છે તું?
  • આ યુદ્ધ છે !
  • હાલો…

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved