બસ, આડા બે દિવસ છે : આંબેડકર જન્મ કલ્યાણક હમણેનો રાબેતો છે તેમ પૂરતા જોરશોરથી અલગ અલગ છેડેથી મનાવાશે. પણ આ જયંતી માહોલમાં એક ઓર શતાબ્દીનું સ્મરણ કદાચ સવિશેષ લાજિમ બની રહે છે. આટલે સુધી પહોંચ્યા અને જેટલે સુધી જવાનું છે એની સૂધબૂધ જળવાઈ રહે તે માટે જે કેટલીક સીમાઘટનાઓ મીઠી વલૂર પેઠે વાગોળવી રહે છે એમાંની એક એ પણ છે : વાયકોમ સત્યાગ્રહ (માર્ચ 30, 1924 : નવેમ્બર 23, 1925)
દક્ષિણ ભારતના તિરુવનંતપુરમ્ (ત્રિવેન્દ્રમ) રજવાડાનું ગામ વાયકોમ, અને ત્યાંનું પંકાતું શિવ મંદિર. દલિતને સારુ પ્રવેશનો તો પ્રશ્ન જ અપ્રસ્તુત, પણ ફરતે જે રસ્તા, ત્યાં પણ દલિતને સારુ સંચારબંધી. સ્વામી વિવેકાનંદને એમના ભારત ભ્રમણ દરમ્યાન આ પંથકમાં આભડછેટનો જે અનુભવ થયો તેવું ‘ગાંડપણ’ એમણે બીજા કોઈ પ્રદેશમાં નહીં જોયાનું કહ્યું છે … ફૂટના ફૂટનું અંતર જાળવવાનું અને મોટેથી બરાડતા ચેતવણી આપતા ચાલવાનું, એ વળી બાકી રસ્તાની તાસીર. કેવળ સ્પર્શ જ નહીં દૃષ્ટિથી પણ અભડાવાતું એવા દિવસો એ હતા.
અહીં 1924ના માર્ચમાં જે આંદોલન શરૂ થયું એની સ્મૃતિ સોમા વરસમાં પ્રવેશી રહી છે ત્યારે નોંધપાત્ર મુદ્દો એ છે કે મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં કાઁગ્રેસ પક્ષ તો ઊજવણી કરી જ રહ્યો છે, પણ સવિશેષ તો કેરળની ડાબેરી લોકશાહી સરકાર અને તામિલનાડુની ડી.એમ.કે. સરકાર સત્તાવારપણે એકત્ર થયાં છે. કાઁગ્રેસની રસમી કોશિશ સામે, કેમ કે વિજયન અને સ્તાલિન બબ્બે મુખ્યમંત્રીઓ ચિત્રમાં છે, આ ઊજવણીમાં જેમ સહજ શોર તેમ કંઈક આનબાનશાન શો તામઝામ પણ છે. ખાસ તો વિજયન અને સ્તાલિને આખા આયોજનને એમનાં વક્તવ્યોમાં નવજાગરણ ને સુધારાની ચળવળ સાથે સાંકળવાની ભૂમિકા લીધી છે. વાયકોમ સત્યાગ્રહ સાથે સંકળાયેલા એક કાઁગ્રેસમેન રામાસ્વામી નાઈકર (પેરિયાર) પણ હતા તે યાદ કરીએ તો તરત આ વાનું સમજાશે.
પછીનાં વર્ષોમાં બહુ જુદી જ રીતે ઉભરેલી વિદ્રોહી વ્યક્તિતાના માલિક રામાસ્વામી ત્યારે કાઁગ્રેસમાં હતા એવો હમણાં ઉલ્લેખ કર્યો તે સાથે એક વિગત ઇતિહાસવસ્તુ તરીકે સામે આવે છે. કાઁગ્રેસની બદલાતી તાસીર એનાથી માલૂમ પડે છે. ક્યાં ય સુધી કાઁગ્રેસ, સંસાર સુધારાની ચળવળમાં સામેલ થવાથી પરહેજ કરતી. તિલક મહારાજ જહાલ ખરા, પણ એ તો રાજકારણમાં. કાઁગ્રેસ હોય કે હોમરુલ લીગ, એમણે સામાજિક સુધારણામાં પડવાથી અંતર રાખવાનું. આગલા સૈકામાં રાજા રામ મોહન રાયે સતી પ્રથાનો પ્રશ્ન ઉપાડ્યો અને ક્રાંતિકારી સુધારો સરકાર સાથે રહીને પાર પાડ્યો એવું તમે લોકમાન્યના કિસ્સામાં કલ્પી ન શકો. એમને એમ લાગતું કે ‘આપણા મામલા’માં સરકારને દખલ શા માટે કરવા દેવી. ગાંધીજી આવ્યા અને રાજકીય જાગૃતિ તેમ સંસાર સુધારાની ચળવળ સાથેલગાં હોય એ એક નવો ચાલ ઉભરી આવ્યો. મહારાષ્ટ્રના અનન્ય સમાજવાદી એસ.એમ. જોષી (એક તબક્કે તો સંયુક્ત મહારાષ્ટ્ર એટલે એસ.એમ. એવું લોકપ્રિય સમીકરણ હતું) ઘણી વાર કહેતા કે તારુણ્યનાં વર્ષોમાં તિલક ને સાવરકર અમારું કુલદૈવત હતા, પણ ગાંધીજી આવ્યા અને અમને સમજાયું કે સ્વતંત્રતાની લાહ્ય સમતાની ચળવળ વિના અધૂરી છે.
જો કે, વાત આપણે વાયકોમ આંદોલનની કરતા હતા. કથિત નીચલી વરણ અને કથિત ઉપલી વરણના કાઁગ્રેસ કાર્યકરોએ મળીને સત્યાગ્રહની શરૂઆત કરી. સર્વણશાહી મારપીટ ખમી. વરસાદનાં કેડસમાણાં પાણીમાં ઊભા રહી સત્યાગ્રહ જારી રાખ્યો. ગાંધીજી આવ્યા અને સંબંધિતો સાથે વાટાઘાટ હાથ ધરી તો દલિતો એમનાં પૂર્વજન્મનાં કર્મ મુજબ બધું વેઠે છે એવો નઘરોળ જવાબ મળ્યો. આંદોલન જારી રહ્યું એની ઝીણી ઝીણી વિગતોમાં નહીં જતાં એટલું જ નોંધીશું આપણે કે રસ્તા વાપરી શકાય (પણ મંદિર પ્રવેશ નહીં) એ ધોરણ ચાલચલાઉ સમાધાન થયું. ખાસા છસો દિવસની લડતને અંતે આ સમાધાન થયું એ મવાળ લાગતાં રામાસ્વામી નાઈકર કાઁગ્રેસથી ખસ્યા. પણ આ સમાધાન જે પ્રક્રિયામાંથી આવ્યું હતું એ પ્રક્રિયા તો અંતરિયાળ પણ ચાલુ જ હતી અને થોડાં વરસમાં ત્રાવણકોર રાજવીએ મંદિર પ્રવેશ આડે રુકાવટ કાનૂની રાહે દૂર પણ કરી.
નાતજાતકોમથી નિરપેક્ષ સૌ સદ્દભાવી મિત્રોનો સહયોગ આવી લડતોમાં સામાન્યપણે ઈષ્ટ જ હોય. પણ ગાંધીજીએ ખ્રિસ્તી મિત્રોને સત્યાગ્રહથી દૂર રાખ્યા હતા એ પણ સમજવા જેવું છે. ગાંધીજીએ કહ્યું કે અસ્પૃશ્યતા એ અમારો હિંદુઓનો પ્રશ્ન ને જવાબદારી છે અને એની સામે અમારે જ લડી લેવું જોઈએ. નાઈકરને લાગતું કે આ ‘માનવીય’ પ્રશ્ન છે, માનવ અધિકારનો – અને તેથી સૌનો છે. બંનેની વાત પોતપોતાને છેડે ખોટી નથી, પણ ગાંધીજી ધર્મની ભૂમિકાને સ્વીકારીને ચાલતા હોઈ એમનો ચોક્કસ આગ્રહ છે. જો કે, અસ્પૃશ્યતા શાસ્ત્રસમ્મત નથી, જો એ શાસ્ત્રસમ્મત હોય તો તે શાસ્ત્રોની જરૂર નથી – અને ધર્મને તે જરૂરી લાગતા હોય તો ધર્મ પણ તપાસ માગે છે, એવી એમની સમજ છે તે આપણા ખયાલમાં હોવું જોઈએ. રામાસ્વામી નાઈકરથી ઉફરાટે આંબેડકર ધર્મને સ્વીકારીને ચાલનારા છે એટલે હિંદુ ધર્મ વ્યવહાર સાથે અસ્પૃશ્યતાનો અવિનાભાવ સંબંધ જોઈ એમણે ધર્મપલટો ઈચ્છ્યો એ રીતે આંબેડકર-ગાંધી વિલક્ષણપણે મળતા આવે છે એમ કહી શકાય? ધર્મની વાત નીકળી જ છે તો દક્ષિણ પંથકને ધોરણે નારાયણ ગુરુને ખાસ સંભારવા જોઈએ, પણ એ વળી ક્યારેક અહીં માત્ર એ ગાંધીવચનો સંભારીશું કે મંદિર ફરતે માર્ગ પર નારાયણ ગુરુ પણ પગ ન મૂકી શકે એ મારી ધર્મબુદ્ધિને, મારી માનવનિષ્ઠાને અને મારી રાષ્ટ્રપ્રીતિને વલોવી નાખતી બીના છે.
આ ઘટનાક્રમ 1924-25નો છે તે પહેલાં 1919માં ડાયર હસ્તક જલિયાંવાલા બાગમાં નૃશંસ હત્યાકાંડ રચાયો હતો એને ગાંધીજીએ સવર્ણશાહી આકાઓ સાથે ચર્ચા દરમ્યાન જુદી રીતે જ એ સંભાર્યો છે કે દલિતો સાથેનો તમારો વ્યવહાર ડાયરશાહી વ્યવહાર છે. હિંસાની ગાંધી-વ્યાખ્યા આ ઉદ્દગારથી વિશદપણે ઉભરી રહે છે.
કથિત ‘મોદી સમાજ’ને નામે ધ્રુવીકરણ રચવાની જે રમત ચાલે છે એની સામે કેરળ-તામિલનાડુ સરકારો સામાજિક ન્યાયલક્ષી નવજાગરણ અને સુધાર ચળવળને ધોરણે એકત્ર આવવાની કોશિશમાં હોય એ એક અવનવી ચેષ્ટા જરૂર છે અને વાયકોમ સત્યાગ્રહને રૂડી શતાબ્દી વંદના પણ!
સૌજન્ય : ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 12 ઍપ્રિલ 2023