છેલ્લાં વર્ષોમાં ભારતમાં ઘણાં આંદોલનો થયાં. જેમ કે નિર્ભયા આંદોલન, ભ્રષ્ટાચારવિરોધી આંદોલન, જે.એન.યુ.નું ‘ન્યુ ઇન્ડિયા’ આંદોલન, ટોળાંની હિંસાનો મામલો, સાહિત્યકારો દ્વારા એવોર્ડ-વાપસી, સી.એ.એ. – એન.આર.સી. વિરોધ વગેરે. પરંતુ આ આંદોલનોમાં દલિતો જોડાયા નહીં, કારણ કે દલિત-પછાત વર્ગના કેટલાક બૌદ્ધિક ઠેકેદારોએ સમાજને આ ચળવળોથી દૂર રહેવા કહ્યું હતું. તેમણે કહ્યું કે આ બધા ઉચ્ચ જાતિના ઉદારવાદીઓનાં મહોરાં છે અને આ આંદોલનોમાં જોડાવાથી દલિતોને કોઈ ફાયદો થશે નહીં. તેમની દલીલ હતી કે જ્યારે દલિતોને અન્યાય થાય છે ત્યારે આ કથિત ઉચ્ચ જાતિના ઉદારવાદીઓ તેમના સમર્થનમાં આગળ આવતાં નથી.
જો કે એ હકીકત છે કે હૈદરાબાદ યુનિવર્સિટીના હોનહાર દલિત યુવાન રોહિત વેમુલાની સંસ્થાકીય હત્યાના વિરોધમાં અને બીજી એપ્રિલના ભારત બંધમાં ડાબેરીઓ અને ઉદારવાદીઓ જોડાયા હતા. દલિતો સાથે ખભેખભા મિલાવીને તેમણે 'જય ભીમ-લાલ સલામ'ના નારા લગાવ્યા, ત્યારે દલિત-પછાત સમાજના આ કહેવાતા બૌદ્ધિક ઠેકેદારોને પેટમાં દુખ્યું હતું. કારણ કે તે જાણી ગયા હતા કે આ રીતે કહેવાતા ઉચ્ચ સમાજના ઉદારવાદીઓ દલિતોનાં સમર્થનમાં આવતા રહેશે તો એક દિવસ તેમની બૌદ્ધિક ઠેકેદારી જોખમમાં મૂકાશે. આ વલણનો તાજેતરનો કિસ્સો સુપ્રીમ કૉર્ટના વરિષ્ઠ વકીલ તેમ જ માનવઅધિકાર તથા નાગરિક સમાજના અગ્રણી પ્રશાંત ભૂષણ સાથે સંબધિત છે. તેમને સુપ્રીમ કૉર્ટના ન્યાયાધીશોની ટ્વીટર પર ટીકા કરવા બદલ અદાલતની અવમાનનાના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા. પ્રશાંત ભૂષણ સતત આ સરકારની વિરુદ્ધ, લોકશાહી સંસ્થાઓની અને ખાસ કરીને ન્યાયતંત્રની નબળાઈઓ સામે અવાજ ઉઠાવતા આવ્યા છે. પ્રશાંત ભૂષણે ભા.જ.પ.ના નેતાના પુત્રની મોંઘી મોટરબાઇક પર સવારી કરતા સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ શરદ બોબડેની તસવીર પર સવાલ ઉઠાવ્યા હતા. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના આ જાહેર વર્તન બાબતે તેમણે ઉઠાવેલા સવાલ ચર્ચાનો વિષય બન્યા. પ્રશાંત ભૂષણ સામેનો કેસ તેમની વિરુદ્ધના ખુન્નસ અને તેમને પાઠ શીખવવાના આશયનું પરિણામ છે.
ઑગસ્ટ ૧૪, ૨૦૨૦ન રોજ સુપ્રીમ કૉર્ટની ત્રણ જ્જોની ખંડપીઠે ભૂષણને દોષી ઠેરવ્યા હતા અને તે પછી સજા કરી. આ ચુકાદા વિરુદ્ધ દેશ અને દુનિયાના હજારો ન્યાયવિદો અને લોકશાહી ચાહકોએ અવાજ ઉઠાવ્યો અને ભૂષણના સમર્થન આવ્યા હતા. દેશનાં સામાન્ય લોકોમાં પણ આ મુદ્દે અસંતોષ અને નારાજગી જોવા મળી હતી..
આ તમામની વચ્ચે દલિત અને પછાત સમાજના ઠેકેદારો ફરી આગળ આવ્યા. તેમણે વર્ષ ૨૦૧૭માં દલિત ન્યાયાધીશ કર્ણનને અદાલતના અપમાનના કેસમાં થયેલી સજાની યાદ અપાવી અને દલિતોને પ્રશાંત ભૂષણના કેસથી દૂર રહેવાની શિખામણ આપી. તેના કારણમાં તેમણે જણાવ્યું કે જ્યારે ૨૦૧૭માં જસ્ટિસ કર્ણનની વિરુદ્ધમાં અદાલતના અપમાનની કાર્યવાહી કરવામાં આવી અને તેમને છ માસની સજા કરવામાં આવી ત્યારે પ્રશાંત ભૂષણે ટ્વીટ દ્વારા ખુશી વ્યક્ત કરી હતી.
એવું કહેવામાં આવ્યું કે દલિતોને પ્રશાંત ભૂષણ પ્રત્યે કોઈ સહાનુભૂતિ ન હોવી જોઈએ. કારણ કે તેમણે દલિત જજ કર્ણનના સજાના મામલામાં ખુશી વ્યક્ત કરી હતી. દલિત અને પછાત વર્ગના સ્વયંઘોષિત નેતાઓનું કહેવું હતું કે પ્રશાંત ભૂષણ કથિત ઉચ્ચ જ્ઞાતિના છે અને સત્તાના વાતાવરણમાં રહેતા શક્તિશાળી સમુદાયમાંથી આવે છે. ઠેકેદારોના મતે આ ઉચ્ચ જાતિઓનો અંદરોઅંદરનો મામલો છે, જેની સાથે દલિત અને પછાત વર્ગને કોઈ સંબધ ન હોવો જોઈએ.
આ સંદર્ભે પ્રથમ વાત એ છે કે અહીં પ્રશાંત ભૂષણના વ્યક્તિગત મૂલ્યોનો કે અપમાનનો પ્રશ્ર નથી. પરંતુ બંધારણના આત્માને બચાવવાનો અને ન્યાયતંત્રની સ્વતંત્રતાના રક્ષણનો પ્રશ્ર છે. લોકશાહીમાં આમ આદમી જ પ્રહરીની મુખ્ય ભૂમિકામાં હોય છે અને જો ન્યાયતંત્રની નિષ્પક્ષતા પૂર્ણપણે સમાપ્ત થાય તો તેનો સીધો પ્રભાવ દલિતો-વંચિતો અને ગરીબો પર જ પડશે. આ વર્ગોને જે થોડાઘણા ન્યાયની આશા હોય તે અદાલતો પાસેથી જ રહે છે.
એક પરિપક્વ લોકશાહી અને નિષ્પક્ષ ન્યાયતંત્ર એ કોઈ કોરી કલ્પના નથી. બલકે તેને રોજબરોજના રોજિંદા સંઘર્ષ દ્વારા તેને પ્રાપ્ત કરવાની, બચાવવાની અને મજબૂત કરવાની હોય છે. આ સંઘર્ષમાં વંચિત વર્ગો અને દલિત-પછાતો મોખરે રહેવા જોઈએ. બહાનાં કાઢીને તેનાંથી દૂર ભાગવાનો પ્રયત્ન કરવો ન જોઈએ અને સત્તાધીશોને મોકળું મેદાન આપતા રહીને પાછલા બારણેથી – આડકતરી રીતે સત્તાધીશોને લાભ પહોંચાડવાથી બચવું જોઈએ.
હવે જસ્ટિસ કર્ણનના મામલાને સમજવાની કોશિશ કરીએ. વર્ષ ૨૦૦૯માં જસ્ટિસ કર્ણનની મદ્રાસ હાઈકૉર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક થઈ હતી. તે સમયે કે.જી. બાલકૃષ્ણન્ સર્વોચ્ચ અદાલતના પહેલા દલિત મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યરત હતા. વર્ષ ૨૦૦૯થી ૨૦૧૧ સુધી જસ્ટિસ કર્ણન અસ્થાયી અને વર્ષ ૨૦૧૧માં કાયમી જજ બન્યા હતા. ત્યાર બાદ કર્ણને ન્યાયતંત્રમાં જાતિગત ભેદભાવનાં પ્રશ્નો ઉઠાવવાનું શરૂ કર્યું. તેમણે એક પત્રકાર પરિષદ બોલાવી અને તેમના જ સાથી ન્યાયાધીશો પર જાતિગત ભેદભાવનો આરોપ લગાવ્યો, પરંતું આ માટે તેમણે ન્યાયતંત્રને મળેલા અધિકારોનો ઉપયોગ ન કર્યો. મદ્રાસ હાઈકૉર્ટમાં ન્યાયાધીશ હતા તે દરમિયાન જસ્ટિસ કર્ણને ઘણીબધી વખત પોતાની સાથે આચરાતા જાતિગત ભેદભાવનો સવાલ ઉઠાવ્યો હતો. પરંતુ દરેક વખતે તેઓ ન્યાયપાલિકાના સિદ્ધાંતો અને પોતાના જજ હોવાના ગૌરવને બાજુ પર હડસેલીને ઊડઝૂડ વર્તન કરતા રહ્યા. વર્ષ ૨૦૧૫માં જજોની નિયુક્તિ સંબંધી એક કેસની સુનાવણી દરમિયાન તે અદાલતમાં પહોંચી ગયા અને પોતાને પક્ષકાર બનાવવાની માંગ કરવા માંડ્યા.
મદ્રાસ હાઈકૉર્ટના ૨૧ ન્યાયાધીશોએ સુપ્રીમ કૉર્ટમાં કર્ણન વિરુદ્વ ફરિયાદ કરી હતી. વિવાદોને કારણે વર્ષ ૨૦૧૬માં તેમની કોલકાતા હાઇકૉર્ટમાં બદલી કરવામાં આવી. પરંતુ તેમણે પોતે જ તેમની બદલી પર સ્ટે ઑડર મૂકી દીધો હતો. આ બાબતે જ્યારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે કર્ણનને નોટિસ મોકલી ત્યારે તેમણે તેમના વર્તન બદલ માફી માંગી અને સ્વીકાર્યું કે તેમનું માનસિક સતુંલન ઠીક નથી. તે પછી તેમણે કોલકાતા હાઇકોર્ટમાં ચાર્જ સંભાળી લીધો. પરંતુ ત્યાં પણ તેમણે ૨૦ જજો સામે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો, જેથી તેમની સામે અદાલતી અવમાનની કાર્યવાહી કરવામાં આવી.
કર્ણનને સજા કરવાનો બદલે અને તેમની સામે મહાભિયોગ(ઇમ્પીચમેન્ટ)ની કાર્યવાહી કરવાને બદલે, તેમને સીધા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાની બાબત આજે ય ચર્ચાસ્પદ છે. શક્ય છે કે તેમના વિશેષાધિકારનો ભંગ કરવામાં આવ્યો હોય. પરંતુ તેમના કિસ્સામાં તે દલિત હોવા કરતાં તેમની વર્તણૂકની ભૂમિકા વિશેષ હતી. તેમના આરોપો, એક તરફી નિર્ણયો અને ન્યાયિક પ્રક્રિયાઓના અવમાનનો એ મામલો છે. એક વકીલ તરીકે કે ન્યાયાધીશનો કાર્યકાળ અને છ મહિનાની સજા પૂરી થયા બાદ જાતિવાદ સામે કે દલિત મુદ્દાઓ પર કર્ણન તરફથી કશું સાંભળવા મળ્યું નથી. આ દરમિયાન કે પછી પણ તેઓ કોઈ આંદોલન કે જાહેર ચર્ચાઓમાં જોવા મળ્યા નથી..
આ વિવરણ વાંચીને કોઈને પણ લાગશે કે લેખકે એક તરફી જ માહિતી આપી છે અને જસ્ટિસ કર્ણનના પક્ષને સમજવાનો કોઈ પ્રયત્ન કરવામાં આવ્યો નથી. એ ચોક્કસ શકય છે કે જસ્ટિસ કર્ણને જે સવાલો ઉઠાવ્યાં હતા તે તમામ સાચા પણ હોય. કર્ણનથી પહેલાં પણ ન્યાયતંત્રમાં જાતિવાદ અને ભ્રષ્ટાચારનો પ્રશ્નો ઉઠતો રહ્યો છે. પરંતુ કર્ણને આ પ્રશ્ન માટે જે રીત અપનાવી હતી તેનાં કારણે બધી ચર્ચા ભ્રષ્ટાચાર અને ન્યાયતંત્રમાં જાતિ ભેદભાવથી ફંટાઈને કર્ણનનાં વ્યવહાર, તેમના અસંગત નિર્ણયો અને પ્રક્રિયા પર કેન્દ્રિત થઈ ગઈ. પોતાના વ્યવહાર થકી કર્ણને જ મુખ્ય મુદ્દા બાજુ પર ધકેલી દીધા અને તેમની વ્યક્તિગત ચર્ચા જ કેન્દ્રમાં રહી. આ રીતે તેમણે ન્યાયતંત્રમાં જાતિગત ભેદભાવના મુદ્દાને પણ નુકસાન કર્યું હતું. જો કર્ણનને મદ્રાસ હાઈકૉર્ટમાં જાતિવાદનો સામનો કરવાનો આવ્યો હોય તો તેમણે રાજીનામું આપી દેવું જોઈતું હતું અને લોકો સમક્ષ તેમનો પ્રશ્ન મૂકી, લોકોને જાગ્રત કરી લોકસમર્થન મેળવવું જોઈતું હતું. તેને બદલે તે જજની ખુરશીને ચીટકી પણ રહ્યા અને વિચિત્ર વર્તન કરીને એક ગંભીર મુદ્દાને મજાકરૂપ બનાવી મૂક્યો.
અહીં પાયાનો સવાલ એ પણ ઊભો થાય છે કે દલિતોના મુદ્દાઓને રજૂ કરવાનો અધિકાર કોને છે? શું ચૂંટણી પહેલાં રામદાસ આઠવલે કે ચિરાગ પાસવાનની ભીતર રહેલો દલિત જાગી ઊઠે અને તેઓ કહેવા માંડે કે તેમની સાથે જાતિઆધારિત ભેદભાવ થઈ રહ્યો છે. તો શું દલિતોએ ઊંધું ઘાલીને તેમની વાત માની લેવી જોઈએ?
ભારતમાં જાતિવાદ એ કોઈ સામાન્ય સમસ્યા નથી. આ આપણા સમાજનો મૂળભૂત આંતરિક વિરોધાભાસ છે. તેનો ઉપાય બધાએ શોધવાનો છે. કર્ણન જેવા લોકો તેમની રીતભાતને કારણે જાતિવાદ સામેના સંધર્ષને નબળો પાડવાનું કામ કરે છે. વંચિત વર્ગોમાં જાતિના નામે દરેક ખોટી વ્યક્તિને ટેકો આપવાનો અને દરેક બીજી જાતિની વ્યક્તિનો આંધળો વિરોધ કરવાનું વલણ અંત્યત ઘાતક છે, જે જાતિવાદ સામેની લડતને નબળી પાડે છે.
પ્રશાંત ભૂષણ પરનો અદાલતી અવમાનનો મુદ્દો અભિવ્યક્તિની આઝાદી પર અંકુશનો તો છે જ, પરંતુ તે મૂળભૂત રીતે તો ન્યાયતંત્રની નિષ્પક્ષતા સામે પ્રશ્ન ઊભો કરે છે. દેશની લોકશાહીમાં વિશ્વાસ રાખનાર પ્રત્યેક વ્યક્તિએ પ્રશાંત ભૂષણના સમર્થનમાં ઊભા રહેવું જોઈએ. દલિત-બહુજનનોએ જાતિના નામ પર સત્તાપક્ષના આડકતરા સમર્થક — લાઇફ જેકેટ — બનવાનો જોરદાર ઈન્કાર કરી દેવો જોઈએ.
[સૌજન્ય – ‘જનચૌક’, અનુવાદ : દીપ્તિકા ડોડીઆ]
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 21 સપ્ટેમ્બર 2020; પૃ. 12-14