Opinion Magazine
Number of visits: 9846450
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાર્ટૂનકળા વિશે બીરેન કોઠારીનો અનોખો કાર્યક્રમ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|3 December 2023

‘કહત કાર્ટૂન…’ નામનો બિલકુલ અનોખો કાર્યક્રમ ‘સ્ક્રૅપયાર્ડ થિએટર’માં 01 ડિસેમ્બરના શુકવારે સાંજે યોજાયો હતો.

કાર્ટૂનની કળા અને કાર્ટૂનની દુનિયાનો સહજ ઢબે છતાં ઊંડાણથી પરિચય કરાવતો આ કાર્યક્રમ સ્લાઈડશોના માધ્યમથી યોજાયો હતો.

તેના માટેનું સંશોધન અને વિષય પસંદગી, તેની પરિકલ્પના અને રજૂઆત, એમ બધાં પાસાં બીરેન કોઠારીના હતા.

વડોદરાના બીરેનભાઈ પૂરા સમયના લેખક, જીવનચરિત્રકાર, સિનેમા તેમ જ સંગીતના અભ્યાસી, ગુજરાત વિદ્યાપીઠના ઇતિહાસલેખક, સંપાદક, ચિત્રકાર જેવી અનેક વિશિષ્ટ ક્ષમતાઓથી જાણીતા છે.

કાર્ટૂન પરના તેમના કાર્યક્રમ અને તેના માટેનો વ્યાસંગ ગુજરાતમાં ભાગ્યે જ બીજી કોઈ વ્યક્તિ ધરાવતી હશે એમ સલામત રીતે ધારી શકાય.

શુક્રવારનો કાર્યક્રમ આમ તો બીરેનભાઈની સૂચિત શ્રેણીનો બીજો ભાગ હતો. શ્રેણીનું આખું નામ છે कहत Cartoon : Stories from History, Politics and Society told through Cartoons’ અર્થાત ‘ઇતિહાસ, સમાજ અને રાજકારણની વાર્તા કાર્ટૂનની નજરે’.

આ શ્રેણીનો પહેલો ભાગ, નામે From British Raj to Swaraj સ્ક્રૅપયાર્ડમાં જ 27 ઑક્ટોબરે જોવા મળ્યો હતો. તેમાં બીરેનભાઈએ ભારતના ઇતિહાસમાં 1857ના જંગથી લઈને સોએક વર્ષ દરમિયાન થયેલાં નોંધપાત્ર કાર્ટૂન્સને તેના રાજકીય-સામાજિક સંદર્ભ સાથે સમજાવ્યાં હતા.

શુક્રવારનો અનેરો વિષય હતો ‘Metamorphosis’,એટલે કે ‘કાયાપલટની કમાલ’, જે પ્રક્ષકોમાંથી ઘણાં માટે અત્યાર સુધી તો કલ્પના બહારનો હતો. રૂપાંતર અથવા અંગ્રેજીમાં metamorphosis કાર્ટૂનિસ્ટ માટેની એક પ્રયુક્તિ છે.

બેથી આઠની સંખ્યામાં એકબીજાની બાજુ બાજુમાં દોરેલાં ચિત્રો દ્વારા કાર્ટૂનિસ્ટ એક વ્યક્તિને બીજી વ્યક્તિમાં, કે વસ્તુમાં રૂપાંતરિત થયેલી બતાવે છે.

દેખીતી રીતે અજૂગતી આ વાત બીરેનભાઈ પડદા પર કાર્ટૂન બતાવીને સમજાવે ત્યારે મગજમાં ઝબકારો થાય છે.

એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં કાયાપલટ Person to Person Metamorphosisના છ ઉદાહરણો બિરેનભાઈ બતાવે છે.

– તેમાંથી પહેલાં સંપુટના પહેલાં ચિત્રમાં ભારતના પૂર્વ વડા પ્રધાન વિશ્વનાથ પ્રતાપ સિંહ ચોથા કાર્ટૂનમાં રાજીવ ગાંધી બની જાય છે. રાજિન્દર પુરી(1934 થી 2015)નું આ કાર્ટૂન કાશ્મીરને લગતી કલમ 371 અંગેના વલણની છે. 

– બીજા સંપુટના પહેલાં ચિત્રમાં, ભારતના પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ છઠ્ઠા કાર્ટૂનમાં નરસિંહા રાવ બની જાય છે. સુધીર તેલંગ(1960 -2006)નું આ કાર્ટૂન જુલાઈ 2008માં મનમોહનની સરકારની સામે લાવવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્ત વિશેનું છે. 

– ત્રીજામાં પણ મનમોહન-રાવ રૂપાંતર જ છે, જે ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ના અત્યારના ઉન્ની (1955-)ના કાર્ટૂનના ચોથા ચિત્રમાં બને છે. તેનો સંદર્ભ 1991 અને 1994માં રજૂ થયેલાં કેન્દ્રીય અંદાજપત્ર એટલે કે બજેટનો છે. 

– આ જ પ્રમાણે કેશવ કૉન્ગ્રેસના અર્જુનસિંહને દેવીલાલ બનાવે છે અને પી. નરસિંહા (1957-) મોદીને મનમોહન સિંગ બનાવે છે. આ બંને કાર્ટૂન્સનો અર્થાત રાજકીય સંદર્ભ છે જે કાર્ટૂનમાં શબ્દોમાં નિર્દેશિત છે, અને બીરેનભાઈ સમજાવે પણ છે. 

– હેમંત મોરપારિયાએ 2002માં દાઢીવાળા મોદીને ચોથા કાર્ટૂનમાં લાક્ષણિક મૂછ સાથેના હિટલર બનાવે છે. 

રૂપાંતરનો બીજો પ્રકાર from Person to object એટલે કે વ્યક્તિમાંથી વસ્તુ. અમેરિકા સ્થિત શ્રેયસ નવરે 2010ના વર્ષના આરંભના food inflationને લગતાં કાર્ટૂનમાં મનમોહનસિંહની પાઘડીને ચોથા કાર્ટૂનમાં ડુંગળી બનાવી દે છે. 

– શ્રેયસ ઉત્તર પ્રદેશની અરાજકતાના માહોલમાં મુલાયમસિંહ અને અખિલેશ યાદવને બે કેળાં બનાવે છે અને લખે છે banana republic. 

– ‘ગુજરાત સમાચાર’માં પણ જેમના કાર્ટૂન્સ જોવા મળે છે તે મંજુલ (1971-) ઉત્તર પ્રદેશની માર્ચ 2018ની ચૂંટણીને લગતાં કાર્ટૂનમાં યોગી આદિત્યનાથને શૂન્યમાં ફેરવે છે. 

– Alfredo નામના કલાકારના પહેલાં કાર્ટૂનની બુરખાધારી સ્ત્રી પાંચમા ચિત્રમાં રંગીન પતંગિયામાં ફેરવાય છે. કાર્ટૂનમાં એ મતલબનું એક વાક્ય છે કે આ revolution – ક્રાન્તિનો પ્રભાવ છે. 

વસ્તુથી વસ્તુ/વ્યક્તિ object to object/person રૂપાંતરનો દાખલો સુધીર નાથ(1971-)ના કાર્ટૂનમાં મળે છે કે જેમાં તેઓ કોન્ગ્રેસના ચિહ્ન એવા પંજાનું પાંચ તબક્કામાં ભારતીય જનતા પક્ષના કમળમાં રૂપાંતર બતાવે છે. શ્રેયસ નવરે કમળમાંથી ચોથા તબક્કે નરેન્દ્ર મોદી બનાવે છે. 

– શ્રેયસની એક ખૂબી સમજાવતા બીરેન કહે છે કે તે ચિત્રમાં એક ગધેડાને લાવે છે, જેનું નામ Zero છે. તે આર.કે. લક્ષ્મણના કૉમન મૅનની જેમ ઘણાં કાર્ટૂન્સમાં ડોકિયું કરે છે.

કૉમન મૅન બોલતો નથી, પણ આ Zero ‘દોઢડહપણ કરે છે’.

જેમ કે, ઉત્તર પ્રદેશની અરાજકતાવાળા કાર્ટુન્સમાં તે ‘’નિરુત્તર પ્રદેશ’ એમ બોલે છે, અને કમળમાંથી મોદીવાળા કાર્ટૂનમાં તે ‘ Lotus – What about a lot of us ?’ એ મતલબનો સવાલ કરે છે.

અજિત નિનનને બીરેનભાઈ ‘master of metamorphoses’ એટલે કે રૂપાંતરકળાના સ્વામી ગણાવે છે. તેમનું તાજેતરમાં 8 સપ્ટેમ્બરે 68 વર્ષની વયે અવસાન થયું.

નિનનના કસબના અનેક દાખલા બીરેનભાઈ બતાવે છે, જેમાંથી કેટલાક આ મુજબ છે : 

– વ્યક્તિથી પ્રાણી/પક્ષીમાં રૂપાંતર : કરુણાનિધિમાંથી કાચિંડો, બાળ ઠાકરેમાંથી બિલ્લી થઈ ગયેલો વાઘ, અર્જુનસિંહમાંથી સિંહની જેમ ત્રાડ નાખવા મથતું ગલુડિયું.

– પક્ષીમાંથી વ્યક્તિમાં રૂપાંતર : શાંતિદૂત વાજપેયીમાંથી ચાંચમાં ઑલિવની ડાળી પકડીને ઊડતું કબૂતર, અમરસિંહ જે પાર્ટીઓના માણસ હતા તે હાથમાં શરાબનો પ્યાલો પકડેલું ઘુવડ,

જયલલિતામાંથી એવી મરઘી કે જેની નીચે કેટલાંક બચ્ચાં દબાયેલાં હોય, કેજરીવાલ અને નીતિશકુમાર બંનેમાંથી શિયાળ

– વ્યક્તિમાંથી વસ્તુમાં રૂપાંતર : મુલાયમસિંહ યાદવમાંથી સાયકલ, નરેન્દ્ર મોદીમાંથી બુલડોઝર, લાલ કૃષ્ણ અડવાણીમાંથી છત્રી સાથેનો રથ, સંજય દત્તમાંથી એ.કે. 47, મનમોહન સિંહમાંથી મુંબઈ સ્ટૉક એક્સચેન્જનું બિલ્ડિંગ, માયાવતીમાંથી નાણાંકોથળી, મમતામાંથી ફેરવવા માટેની દોરી (જાળ) સાથેનો ભમરડો.

દરેક કાર્ટૂનની સૂક્ષ્મતા બીરેનભાઈ લાજવાબ રીતે બતાવે છે. મમતાનો ચહેરો ભમરડા જેવો અને ચોટલો જાળ જેવો, જે કેસરી રંગની હોય તેમ જ એને છેડે કમળની છાપ હોય. 

પહેલાં ચિત્રના અડવણીની ટાલમાંથી ચોથા ચિત્રમાં રથની છત્રી બનતી હોય. અનેક દાખલા આપી શકાય. જો કે કેટલીક વાર દુરાકૃષ્ટતા પણ લાગે, એટલે કે સામ્ય સહજ રીતે ન ધ્યાનમાં આવતું હોય, પણ સંદર્ભ અને સમજૂતીથી આકલન થતું હોય એમ પણ બને છે. 

વળી બીરેને તાકીદ પણ કરી : ‘કાર્ટૂનિસ્ટ આપણી સામે જુએ તો ચેતી જવું, એ આપણામાં કંઈ પણ જોતો હોય …’ બાય ધ વે, બિરેનભાઈ પોતે પણ કાર્ટૂન બનાવે છે. 

કાર્યક્રમનો અરધા જેવો હિસ્સો The Story of Pear King એવો હતો. તેમાં બિરેને ફ્રાન્સની હંમેશાં સમૃદ્ધ રહેલી કાર્ટૂનપ્રવૃત્તિનો એક ઐતિહાસિક તબક્કો સરસ રીતે સમજાવ્યો. આ તબક્કો તે રાજા લુઇ ફિલિપ Louis Philippe Iના 1830 to 1848ના શાસનકાળ દરમિયાનનો હતો. 

એ રાજાની રીતિનીતિ વિરુદ્ધ La Caricature અને Le Charivari નામના રાજકીય ઠઠ્ઠાચિત્રોનો જેનો વિશેષ હોય તેવા સાપ્તાહિકોએ કાર્ટૂન્સ થકી પાંચેક વર્ષ સુધી ઝુંબેશ ચલાવી. તેમાં તેમના ચિતારાઓએ રાજાને સતત pear એટલે કે જમરૂખ તરીકે દોર્યે રાખ્યો.

એટલું જ નહીં તેની આજુબાજુના માણસો અને માહોલમાં પણ તેમણે જમરૂખનાં કલ્પનો ફેલાવી દીધા. બીરેનભાઈએ આ આખો ય કિસ્સો તેના અનેક સંદર્ભો સાથે ખૂબ રોચક રીતે સમજાવ્યો. પૂરા કાર્યક્રમમાં સ્લાઇડ ઑપરેટ કરનાર બીરેનના જીવનસાથી કામિનીબહેન હતાં.

આ કાર્ટૂન કાર્યક્રમનો બૌદ્ધિક આનંદ અને તેની મહત્તા તેને પ્રત્યક્ષ જોઈને જ સમજી શકાય તેમ છે. બીરેનભાઈ પાસે કાર્ટૂનની કળા અને તેના ઇતિહાસ તેમ જ વર્તમાન અંગે બીજા કેટલાક વિષયો છે. તેમાંથી તેઓ જે વધુ હપ્તા પ્રસ્તુત કરવાના છે તેની પ્રતીક્ષા રહેવાની.

આ કાર્યક્રમથી ફરીથી એક વખત જોવા મળ્યું કે નાટ્યપ્રવૃત્તિ માટે સર્જાયેલું સ્ક્રૅપયાર્ડ થિએટર અમદાવાદમાં વૈકલ્પિક, બિનપરંપરાગત અભિવ્યક્તિ માટેની મહત્વની જગ્યા space બની રહ્યું છે. 

દેખીતી રીતે કોઈ પણ સરકારી કે સંસ્થાકીય ટેકા વિના ઠાકોર પરિવાર તેમ જ કબીર અને નેહા તેમના યુવા સાથીઓની મદદથી શહેરીજનોનું સંવેદન સંકોરવામાં તેમ જ તેમની આંતરસમૃદ્ધિને વધારવામાં નિ:સ્વાર્થ સહયોગ આપી રહ્યાં છે.

[તસવીર સૌજન્ય : સુજાત] 
02 ડિસેમ્બર 2023
[975 શબ્દો]
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

ભોપાલ ગેસ ટ્રેજેડીનો ગુમનામ નાયક : ‘રેલવેમેન’ ગુલામ દસ્તગીર

રાજ ગોસ્વામી|Opinion - Opinion|3 December 2023

રાજ ગોસ્વામી

1984માં, ભોપાલમાં ઘટેલી ગેસ ગળતરની ભયાનક દુર્ઘટના ઉપર, નેટફ્લિકસ પર આવેલી સિરીઝ “ધ રેલવેમેન” જોયા પછી ઘણા લોકોને પહેલીવાર રેલવે કર્મચારીઓની, અને ખાસ કરીને ભોપાલ રેલવે સ્ટેશનના ડેપ્યુટી રેલવે સુપરિન્ટેન્ડન્ટની, એ ટ્રેજેડીમાં આટલી મહત્ત્વની ભૂમિકા હતી તેની જાણ થઇ છે. વાસ્તવમાં પણ બહુ ઓછા લોકોને આ ખબર હતી.

ભોપાલ ગેસ દુર્ઘટનાની કમનસીબ રાત્રે ભોપાલ રેલવે સ્ટેશન પર જે સમયસૂચકતા વાપરવામાં આવી હતી, તેના સમાચાર મૂળ દુર્ઘટનાના સમાચારોમાં દબાઈ ગયા હતા. અને દબાઈ જ જાય ને! કારણ કે જીવતા રહી ગયેલાઓ કરતાં મરી ગયેલાઓની સંખ્યા અને યાતના બહુ મોટી હતી.

ગેસ ગળતરનું કારણ આજે મામૂલી પણ ચોંકાવાનારું લાગે; ભોપાલ શહેરને અડીને આવેલી અમેરિકન કંપની યુનિયન કાર્બાઈડની ફેક્ટરીમાં, મિથાઈલ આઈસોસાઈનેટ ગેસની ટેંકમાં પાણી ભળી ગયું. એમાં ટેંકમાં દબાણ વધી ગયું અને ગેસ હવામાં ફેલાઈ ગયો.

એ એક જ રાતમાં ભોપાલ શહેરના 3,000 લોકોએ જીવ ગુમાવ્યો હતો. એ પછીના દિવસો-મહિનાઓમાં 15થી 20 હાજર લોકોનાં મૃત્યુ થયાં હતાં અને પાંચ લાખથી વધુ લોકોને નાની-મોટી ઈજાઓ, બીમારીઓ, અપંગતાઓનો સામનો કરવો પડ્યો હતો.

2-3 ડિસેમ્બર, 1984ની એ રાત ભોપાલ માટે કતલની રાત હતી. ત્યાંની હવામાં મિથાઈલ આઈસોસાઈનેટ ગેસનું ઝેર ફેલાઈ ગયું હતું. ફેક્ટરીની નજીક એક ઝૂંપડપટ્ટી હતી, જ્યાં દૂરના લોકો કામની શોધમાં રહેતા હતા. અહીં કેટલાક લોકો ઊંઘમાં જ મૃત્યુ પામ્યા હતા. જ્યારે ગેસ ઘરોમાં પ્રવેશવા લાગ્યો, ત્યારે લોકો ગભરાઈને બહાર આવી ગયા, પરંતુ કોઈ રસ્તામાં જ મરી ગયા તો કોઈ હાંફીને મરી ગયા.

આ બધા વચ્ચે, ભોપાલ રેલવે જંકશન પર જે માહોલ હતો, એ તો સાવ જ જુદો હતો. બહારના લોકો ટ્રેનોમાં સવાર થઈને ભોપાલ આવવાના હતા અને ભોપાલના લોકો ટ્રેનોમાં સવાર થઈને બહાર જવાના હતા. સ્વાભાવિક રીતે જ, સ્ટેશનના ડેપ્યુટી રેલવે સુપરિન્ટેન્ડન્ટ ગુલામ દસ્તગીર એક અલગ જ પ્રકારના સંકટને ટાળવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા; આવતી-જતી ટ્રેનોના પ્રવાસીઓ ગેસની ઝપટમાં આવ્યા તો?

તેમનો એ રાતનો સંઘર્ષ બહુ મહિનાઓ સુધી બહાર આવ્યો ન હતો. તેમનું મૃત્યુ થયું તે પછી તેમણે એ રાતે ભજવેલી ભૂમિકાની વાતો ચર્ચામાં આવી. થોડીક વાતો તેમણે તેમના દીકરાને કહી હતી, થોડીક સ્ટેશન પર ફરજ પર તૈનાત કર્મચારીઓ તરફથી આવી હતી. પછી તો મીડિયાનું ધ્યાન પણ ગુલામ ગુલામ દસ્તગીરના પરાક્રમ તરફ ખેંચાયું. હવે તેમને ન્યાય આપતી સિરીઝ બની છે અને કદાચ ફિલ્મ પણ બની રહી છે.

અંગ્રેજીમાં એક શબ્દ છે; અનસંગ હીરો – જેણે સંકટના સમયે પરાક્રમી કૃત્ય કર્યું હોય પણ લોકોના ધ્યાનમાં આવ્યું ન હોય તેવો ગુમનામ નાયક. ગુલામ દસ્તગીર ઇતિહાસનો એવો એક ગુમનામ નાયક છે.

તે રાત્રે, ડેપ્યુટી સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટ ગુલામ તેમની નાઈટ ડ્યુટીમાં ગોરખપુર મુંબઈ-એક્સપ્રેસના આગમનની તપાસ માટે બહાર નીકળ્યા તો, પ્લેટફોર્મ પર પગ મૂકતા જ તેમને ગળામાં ખંજવાળ અને આંખોમાં બળતરા થઇ. અચાનક ગૂંગળામણ અનુભવતા દસ્તગીરને ખબર પણ નહોતી તેમના બોસ, સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટ હરીશ ધુર્વે સહિત 23 સાથીઓએ દમ તોડી દીધો છે. દસ્તગીરને કંઈ સમજાતું નહોતું, પરંતુ વ્યસ્ત રેલવે લાઈન પર વર્ષોની તાલીમ પરથી તેમને લાગ્યું કે કંઈક ખોટું થયું છે. તેમણે સમયસૂચકતા વાપરીને વિદિશા અને ઇટારસી જેવા નજીકના સ્ટેશન માસ્ટરને ભોપાલ તરફ આવતી તમામ ટ્રેનોને સ્થગિત કરવા ચેતવ્યા હતા.

જો કે, પ્રવાસીઓથી ભરચક ગોરખપુર-કાનપુર એક્સપ્રેસ પહેલેથી ભોપાલના પ્લેટફોર્મ પર ઊભી હતી અને તેના છૂટવાના સમયને હજુ 20 મિનિટની વાર હતી. દસ્તગીરે તાત્કાલિક ટ્રેનને રવાના કરવા આદેશ કર્યો. ટ્રેનને 20 મિનિટ વહેલી રવાના કરવા માટે મુખ્ય કાર્યાલય સહિત બહુ બધા સાહેબોને જાણ કરવી પડે, પણ દસ્તગીરે કહ્યું કે મારી પાસે એક પણ મિનિટ નથી અને પૂરી જવાબદારી હું લઉં છું.

એ વખતે દસ્તગીર ખુદ શ્વાસ લઇ શકે તેવી સ્થિતિમાં નહોતા અને તમામ નિયમોનો ભંગ કરીને, કોઈની પણ પરવાગી વગર ગોરખપુર-કાનપુર એકપ્રેસને તાબડતોબ ભોપાલથી રવાના કરી દીધી. કલ્પના કરો કે એ ટ્રેન જો સ્ટેશન પર જ હોત અને તેના ડબ્બાઓમાં ઝેરી ગેસ પ્રવેશી ગયો હોત તો? ટ્રેનોમાં લાશો હોય તેવાં દૃશ્યો છેલ્લે ભારત-પાકિસ્તાનના વિભાજનની હિંસામાં જોવા મળ્યાં હતાં. ગુલામ દસ્તગીરે એ રાતે પોતાનો જીવ બચવવા માટે નાસી જવાને બદલે ટ્રેનના મુસાફરોને એક ભયાનક દુર્ઘટનામાંથી બચાવી લીધા હતા.

એ પછી પણ તેમનું કામ પત્યું નહોતું. તે કંટ્રોલ રૂમમાં દોડી ગયા અને ઉપરી સાહેબોને સ્થિતિની ગંભીરતા સમજાવી. તેમણે સ્ટેશન પર ટ્રેન સેવાઓ બંધ કરી દીધી. ઝેરી ગેસથી બચવા માટે દોડી આવેલા લોકોથી સ્ટેશન ભરાઈ ગયું હતું. લોકો હાંફતા હતા, રડી રહ્યા હતા અને દસ્તગીરે દોડાદોડ કરીને લોકોને બનતી મદદ પહોંચાડવાનું ચાલુ રાખ્યું હતું.

જો કે, ગેસ દુર્ઘટનાએ તેમને અને તેમના પરિવારને બરબાદ કરી દીધો હતો. તેમના એક પુત્રનું એ રાત્રે મૃત્યુ થયું હતું અને બીજાને આજીવન ચામડીનો રોગ થઇ ગયો હતો. દસ્તગીરનાં ખુદનાં અંતિમ 19 વર્ષનો મોટાભાગનો સમય હોસ્પિટલોમાં પસાર થયો હતો. ઝેરી ગેસના કારણે તેમનાં ફેફસાંને અસર થઇ હતી. 2003માં જ્યારે તેમનું અવસાન થયું ત્યારે તેમના મૃત્યુ પ્રમાણપત્રમાં લખવામાં આવ્યું હતું કે તેઓ મિથાઈલ આઇસોસાયનેટ ગેસના સીધા સંપર્કમાં આવવાને કારણે થતી બિમારીઓથી પીડાતા હતા.

કમનસીબે, ભોપાલ ગેસ દુર્ઘટનામાં તે રાતે રેલવે સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓની ભૂમિકા વિશે કોઈ રેકોર્ડ નથી. ખાલી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર એક ઉપેક્ષિત આરસપહાણની તકતી છે, જેમાં તે રાત્રે મૃત્યુ પામેલા 23 કર્મચારીઓનાં નામ કોતરવામાં આવ્યા છે.

2003માં ગુલામ દસ્તગીરના મૃત્યુ પછી, તેમના પુત્રોએ ભારતના રાષ્ટ્રપતિને પત્ર લખીને તેમના પિતાની ભૂમિકાને માન્યતા આપવા માંગ કરી હતી. જો કે, આ પત્ર રેલવે મંત્રાલયને મોકલવામાં આવ્યો હતો, જેણે પરિવારને જવાબ આપ્યો હતો કે આ મધ્ય પ્રદેશ સરકાર સાથે સંબંધિત બાબત છે. પરિવારે એ પછી એ દિશામાં કોઈ પ્રયાસ ન કર્યો, માત્ર અખબારોમાં તે રાતની ઘટનાને લઈને છપાતા નાના-મોટા સમાચારોનાં કટિંગ સાચવી રાખ્યાં.

ભોપાલ સ્ટેશન પર પેલી તખ્તીમાં ગુલામ દસ્તગીરનું નામ નથી, કારણ કે તેમનું મૃત્યુ “એ રાતે” થયું નહોતું. આમ, દસ્તગીર એક ગુમનામ નાયક તરીકે જ રહી ગયા, જેમનું એ જ ઝેરી ગેસની અસરથી 19 વર્ષ પછી મોત થયું હતું, જેમાંથી અનેક લોકોનો જીવ તેમણે એ રાતે બચાવ્યા હતા.

દસ્તગીર સાચા ભારતીય હતા. તે રાતે તે ભૂલી ગયા હતા કે વ્યક્તિ ક્યા ધર્મની છે, તેની જાતિ કઈ છે, કઈ ભાષા બોલે છે. ઉત્તમ ભારતનું નિર્માણ કરવા માટે જે તમામ ભેદભાવને બાજુએ મૂકે છે તે સાચો નાગરિક છે. દસ્તગીરની સાહસિક વાર્તાનો એ પણ એક સાર છે.

(પ્રગટ : ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 03 ડિસેમ્બર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

વાઇરસ અને મહામારીઃ આધુનિકતાની ઝડપે આપેલી આ વૈશ્વિક ભેટ સામે સહિયારી લડત જરૂરી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|3 December 2023

વાઇરસને પાસપોર્ટની જરૂર નથી પડતી. પ્રકૃતિ અને માણસજાત વચ્ચે ઘટતું અંતર ભવિષ્યમાં કોરોનાવાઇરસ જેવા બીજા રોગોને આંગણે લાવીને મૂકી દેશે

ચિરંતના ભટ્ટ

2020ના વર્ષમાં આખી દુનિયાને ભરડામાં લેનાર કોરોના વાઇરસ રોગચાળો એક એવી સ્મૃતિ છે જેનો વિચાર માત્ર પણ રૂંવાડા ખડા કરી દે તેવી છે. દાવાનળની માફક આ વાઇરસ ફેલાયો અને ભલભલાને ઝપેટમાં લઇ લીધા. જાત-ભાતની ભવિષ્યવાણીઓ પણ થઇ અને ભૂતકાળમાં થયેલી ભવિષ્યવાણીઓને પણ ગણતરીમાં લેવાઇ કે આ તો કળિયુગમાં થવાનું જ હતું, વગેરે વગેરે. ગમે કે ન ગમે આ સતત વિકસતા, નવી સિદ્ધિઓ સર કરનારા વિશ્વની એક વાસ્તવિકતા એ છે કે આવા રોગચાળા આપણી છાલ છોડવાના નથી. રોગચાળાનો ઊંડો અભ્યાસ કરનારા સંશોધનકર્તાઓ પછી તે તબીબી ક્ષેત્રે હોય, અર્થશાસ્ત્રીઓ હોય કે નીતિના ઘડનારા હોય – તમામનું કહેવું છે કે આપણે કોરોના વાઇરસ જેવો રોગચાળો ફેલાયો તેને કારણે આઘાત અને આશ્ચર્ય ન અનુભવવા જોઇએ. તેમના મતે વૈશ્વિક સ્તરે, છેલ્લાં 25 વર્ષમાં શહેરીકરણ, વૈશ્વિકરણ, જંગલોના નાશથી માંડીને માંસાહાર કરનારાઓની વધતી સંખ્યા ભલે સમાજની સમૃદ્ધિના સંકેત લાગે પણ આ સમૃદ્ધિ આપણને રોગચાળાના ભોગે મળી છે. માંસાહારનો ઉલ્લેખ ઉપર એટલા માટે કર્યો કારણ કે જે લોકો માંસાહાર કરતા હોય છે તેઓ પશુ-પંખીઓની સાથે ખરીદવાથી માંડીને ખાવા સુધીની પ્રક્રિયાઓમાં વધુ સંપર્કમાં આવે છે અને આમ જ તેઓ જાત-ભાતની બિમારીઓનું ઘર બની શકે છે. વળી જે પશુપાલનના કામમાં છે તેમણે પોતાના જાનવરોને પંખી અને ચામાચીડિયાંથી દૂર રાખવા પડે, પણ એમ કરવું સહેલું નથી હોતું. હજી તો ભવિષ્યમાં દુનિયાએ આવા બીજા રોગચાળાઓ માટે પણ તૈયાર રહેવું પડશે એવું એક કરતાં વધુ આંતરરાષ્ટ્રીય સંશોધનોના તારણમાં કહેવાયું છે. 

દરેક સદીમાં મહામારી કે વાઇરસના હુમલા જેવી ઘટનાઓ ત્રણેકવાર બનતી હોય છે તેવું અમેરિકાની બિઝનેસ કૉલેજમાં કાર્યરત અર્થશાસ્ત્રી ડેવિડ ફિનોફનું કહેવું છે. આ સદીમાં આપણે સાર્સ (SARS – 2002 અને 2003), સ્વાઇન ફ્લુ (H1N1 – 2009), મેર્સ (MERS 2012), ઇબોલા (2014 અને 2016), ઝીકા (2015), અને ડેંગીનો (2016) ભોગ બની ચૂક્યા છીએ. ચાળીસ અને સાંઇઠના દાયકામાં ચેપી વાઇરસોથી થતા રોગોની સંખ્યા જેટલી હતી તેના કરતાં આજે બમણી કરતાં કંઇ ગણી વધારે છે. એંશીના દાયકામાં એચ.આઇ.વી. વાઇરસ ફેલાવાની ઘટનાઓ અચાનક જ વધવા લાગી અને આવા ચેપી વાઇરસના હુમલા અવારનવાર બનવા માંડ્યા.

ચેપી વાઇરસ 21મી સદીની હકીકત છે. આધુનિક યુગમાં જે રીતે જિંદગી જીવાય છે તેમાં માણસો એ તમામ સ્થળોએ પહોંચી શકે છે જ્યાં પહેલાં પહોંચવાની કલ્પના પણ નહોતી કરાતી. પ્રવાસ માત્ર વાઇરસના એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવા માટે વાહક બનતી ઘટના છે. વસ્તી વિસ્ફોટ હોય કે શહેરીકરણ – આ અને આવાં બીજાં અનેક કારણો પર્યાવરણનો દાટ વાળે છે એવા પોકારો ભલે થતા હોય આપણો ગ્રહ, આપણી પૃથ્વી માંદી પડી રહી છે. જળ, જંગલ, જમીન, હવા – આ બધાંની સાથે અન્નથી માંડીને અંગ અને મન સુધ્ધા માંદગીને આકર્ષે એવાં – નબળા પડી રહ્યા છે. સોશ્યલ મીડિયા પણ આ દાટ વાળવામાં ભાગ ભજવે છે કારણ કે કોઇ પણ, કંઇ પણ સોશ્યલ મીડિયા પર માહિતીને નામે વહેતું મૂકે પણ તેનો કોની પર કેવો પ્રભાવ પડી શકે છે તેનો વિચાર કર્યા વગર અને પછી તો કશું પણ થતું રહે છે. વળી વણમાંગેલાં યુદ્ધોનો ભોગ બનનારા પ્રદેશો પોતાના વતન છોડીને રેફ્યુજી તરીકે બીજા દેશોમાં અથવા રાહત છાવણીઓમાં રહેવા ચાલ્યા જાય છે. જમીન બદલાય, ખોરાક બદલાય, રહેવાની રીતો બદલાય અને પછી વાઇરસને મોકળું મેદાન મળે. માઇક્રોબ્ઝ અને માણસજાતની અથડામણ – જે મોટે ભાગે કુદરતી પ્રદેશો પર માણસો અતિક્રમણ કે દબાણ કરે ત્યારે થતી હોય છે – ને કારણે વાઇરસનો ફેલાવો સામાન્ય બની રહ્યો છે. કોરોનાવાઇરસ અને ફ્લુ જે ચામાચીડિયાં અને પંખીઓમાં જોવા મળે છે તે માણસોને ચોંટે છે કારણ કે શહેરીકરણને કારણે આ જીવો પણ માનવવસાહતોમાં પોતાનાં ઠેકાણાં શોધે છે. માણસો સરળતાથી સીમા ઓળંગતા હોય એટલે વાઇરસ માટે પણ એ પ્રવાસ સહેલો બની જાય છે. માણસજાતની જેમ વાઇરસની ઉત્ક્રાંતિ પણ થતી રહે છે અને તે માણસો કરતાં કંઇકગણી ઝડપી હોય છે. વળી વાઇરસ માણસજાત સાથે બહુ જલદી અનુકૂલન સાધે છે. જેમ કે SARS-CoV-2 વાઇરસ અને મંકીપૉક્સ એવા વાઇરસ છે જે માણસથી માણસમાં બહુ ઝડપથી સંક્રમણ થાય એ રીતે વિકસી ચૂક્યા છે. એમાં વળી જો ત્રીજા વિશ્વના દેશોમાં જ્યાં સ્વાસ્થ્યલક્ષી સેવાઓ પાંગળી હોય છે ત્યાં વાઇરસ પહોંચે એટલે ભૂલી જવાનું. 2014માં શહેરીકરણને પગલે શહેરોમાં ગીચતા વધી, પામ ઓઇલ મેળવવા માટે જંગલોનો સફાયો કરાયો, ચામાચીડિયાં આખા પશ્ચિમ આફ્રિકામાં ફેલાયા પરિણામે ઇબોલા વાઇરસે પશ્ચિમ આફ્રિકાને બરાબર સકંજામાં લીધું. વાઇરસને ફેલાવા માટે કોઇ પાસપોર્ટની જરૂર નથી પડતી.

આવામાં પાછા અત્યંત સ્પર્ધાત્મક અભિગમ ધરાવતા ચીન જેવા દેશ. આજે પણ કોરોના વાઇરસનું નામ પડે અને ચીનમાં ખરેખર શું થયું હશેની કોન્સ્પિરસી થિયરીઝ શરૂ થઇ જાય. વુહાન એ ચીનનું વાઇરસ સિટી છે જ્યાં કોવિડ-19એ સૌથી પહેલાં દેખા દીધી. 2000થી 2018ના વર્ષોમાં વુહાનની સંખ્યા 8 મિલિયનથી વધીને 11 મિલિયન થઇ ગઇ. આ કારણે વિકસીત જમીન ત્રણ ગણી થઇ. 2004માં જ્યાં 10 સ્ટેશન વાળી એક સબ-વે લાઇન હતી એ એક વર્ષમાં તો 1.2 બિલિયન ફેરા કરનારી અને 228 સ્ટેશન વાળી, નવ સબ-વે લાઇન ધરાવનાર નેટવર્કમાં ફેલાઇ ગઇ. 2000ની સાલમાં વુહાનમાં 20 મિલિયન પ્રવાસીઓ હતા તો આ આંકડો 2018માં 288 મિલિયન હતો. આ બધાને સમાંતર પાછું વન્ય જીવોનો વેપાર તો ચીનમાં મોટે પાયે થાય છે. આવામાં ચીનમાં રોગચાળો ન ફાટે તો જ નવાઇ.

ચીન જેવા દેશો પોતાને ત્યાં થતી નુકસાની ત્યાં સુધી જાહેર નથી કરતા જ્યાં સુધી તેઓ પોતે લાચાર ન થઇ જાય. અમુક દેશો આવું એટલા માટે કરે છે કારણ કે બીજાં રાષ્ટ્રોને જાણ કરવામાં આર્થિક નુકસાન વેઠવું પડે. યુ.એસ.માં જ્યારે મેડ-કાઉ ડિસીઝ થયો હતો ત્યારે જાપાને યુ.એસ. સાથેની આયાત બંધ કરી દીધી હતી જેના કારણે આર્થિક નુકસાન થયું હતું.

પ્રાણી જન્ય રોગોને ઝૂનોટિક રોગ કહેવાય છે જેમાં વાઇરસ પશુમાંથી માણસમાં પ્રસરે છે. કુદરત અને માણસો વચ્ચેનું ઘટેલું અંતર આવા ઝૂનોટિક રોગોના જોખમને સતત વધારી રહ્યું છે. આપણને હજી પણ પ્રકૃતિ પર રાજ કરવું છે. અત્યારે ફેલાતા રોગોમાંથી 60 ટકા ઝૂનોટિક હોય છે અને નવા રોગોમાંથી 75 ટકા રોગો ઝૂનોટિક હશે.

વર્લ્ડ બેંકે તાજેતરમાં જ 10 બિલિયન ડૉલર્સના વાર્ષિક ફંડની કામગીરી શરૂ કરી છે જે એવા વિકાસશીલ દેશોમાં વપરાશે જ્યાં જુદા પ્રકારનાં ચેપી રોગોના કેસિઝને પારખી લેવામાં કામ લાગે. આ ફંડ કોમ્યુનિટી હેલ્થ વર્કર્સના સંજોગોને બહેતર બનાવવા પણ વપરાશે. WHOનો રોલ પણ સમયાંતર વધુ મોટો થતો જશે. વિવિધ દેશોએ આ માટે ભંડોળ એકઠું કરવાની તૈયાર બતાવી છે જે સાબિતી છે કે ભવિષ્યના વાઇરસી હુમલાઓ સામે લડવા દુનિયા એક થઇ રહી છે. અસરકારક કામગીરી ત્યારે જ થઇ શકે જ્યારે વૈશ્વિક સ્તરે સહિયારા પ્રયત્નોથી આ સમસ્યાના મૂળ સુધી પહોંચી તેને જ દૂર કરવાનું કામ થાય.

વૈજ્ઞાનિકોએ રોગચાળાઓ પ્રત્યેનો અભિગમ બદલવો પડશે. પ્રાણીઓમાં રહેવા વાઇરસ શોધવા અને પછી રોગચાળાની ભવિષ્યવાણી કરવામાં સમય બગાડવા કરતાં વૈજ્ઞાનિકોને એવા સંસાધનો મળે જે માણસમાં રહેલા જોખમી વાઇરસને પારખી શકે તો ચોક્કસ ફેર પડે.

બાય ધી વેઃ

મહાત્મા ગાંધી જ્યારે 1909માં લંડનથી દક્ષિણ આફ્રિકા જતા હતા ત્યારે તેમણે માત્ર 9 દિવસમાં ‘હિંદ સ્વરાજ પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકમાં એક પ્રકરણ રેલવેઝ અંગે છે. ગાંધીજીને રેલવે સેવા સામે વાંધો હતો તેમના માતે રેલવે બુરાઇનો ફેલાવો કરવામાં બહુ મોટો ફાળો આપી શકે છે. તેમણે આ પ્રકરણમાં પ્લેગ, દુકાળ અને ઠગોને ધારી જગ્યાઓએ પહોંચવામાં રેલવેને કારણે સરળતા થઇ જશે એવા અર્થની વાત લખી હતી. ગાંધીજીને વખોડનારાઓએ વિચારવું અને સ્વીકારવું જોઇએ કે એ જમાનામાં એ માણસમાં કેટલી દૂરંદેશી હતી. આજે વૈશ્વિક સ્તરના વૈજ્ઞાનિકો કહે છે કે પ્રવાસની ગતિ વાઇરસને ફેલાવવામા મોટો ફાળો ભજવે છે. વૈશ્વિક સ્તરે જ્યારે બધાં જ રાષ્ટ્રો એક સરખી સમસ્યાનો સામનો કરતા હોય ત્યારે એ જરૂરી છે કે એક સહિયારી લડત, સહિયારી સુરક્ષાની દિશામાં કામ થાય. રોગ મ્હોં દેખાડે ત્યાં સુધી આપણે રાહ જોવાની જરૂર નથી. સતર્કતા હંમેશાં લેખે લાગે એવો ગુણ છે. વાઇરસને ડામવા અત્યારે વૈજ્ઞાનિકો વેક્સિનની રેસમાં પડ્યા છે, ઘણીવાર તો લાખો લોકો મરી જાય પછી વેક્સિન શોધાય છે અને ત્યાં જ આપણે થાપ ખાઇએ છીએ. શક્તિશાળી રાષ્ટ્રો પોતાને ત્યાં થતા ગોટાળા છુપાવવા, પોતાની ફાર્મા કંપનીઓને અર્થતંત્ર મજબૂત કરવામાં વાપરવામાં વ્યસ્ત છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 03 ડિસેમ્બર 2023

Loading

...102030...928929930931...940950960...

Search by

Opinion

  • ઈડલી અમ્મા
  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved