‘કહત કાર્ટૂન…’ નામનો બિલકુલ અનોખો કાર્યક્રમ ‘સ્ક્રૅપયાર્ડ થિએટર’માં 01 ડિસેમ્બરના શુકવારે સાંજે યોજાયો હતો.
કાર્ટૂનની કળા અને કાર્ટૂનની દુનિયાનો સહજ ઢબે છતાં ઊંડાણથી પરિચય કરાવતો આ કાર્યક્રમ સ્લાઈડશોના માધ્યમથી યોજાયો હતો.
તેના માટેનું સંશોધન અને વિષય પસંદગી, તેની પરિકલ્પના અને રજૂઆત, એમ બધાં પાસાં બીરેન કોઠારીના હતા.
વડોદરાના બીરેનભાઈ પૂરા સમયના લેખક, જીવનચરિત્રકાર, સિનેમા તેમ જ સંગીતના અભ્યાસી, ગુજરાત વિદ્યાપીઠના ઇતિહાસલેખક, સંપાદક, ચિત્રકાર જેવી અનેક વિશિષ્ટ ક્ષમતાઓથી જાણીતા છે.
કાર્ટૂન પરના તેમના કાર્યક્રમ અને તેના માટેનો વ્યાસંગ ગુજરાતમાં ભાગ્યે જ બીજી કોઈ વ્યક્તિ ધરાવતી હશે એમ સલામત રીતે ધારી શકાય.
શુક્રવારનો કાર્યક્રમ આમ તો બીરેનભાઈની સૂચિત શ્રેણીનો બીજો ભાગ હતો. શ્રેણીનું આખું નામ છે कहत Cartoon : Stories from History, Politics and Society told through Cartoons’ અર્થાત ‘ઇતિહાસ, સમાજ અને રાજકારણની વાર્તા કાર્ટૂનની નજરે’.
આ શ્રેણીનો પહેલો ભાગ, નામે From British Raj to Swaraj સ્ક્રૅપયાર્ડમાં જ 27 ઑક્ટોબરે જોવા મળ્યો હતો. તેમાં બીરેનભાઈએ ભારતના ઇતિહાસમાં 1857ના જંગથી લઈને સોએક વર્ષ દરમિયાન થયેલાં નોંધપાત્ર કાર્ટૂન્સને તેના રાજકીય-સામાજિક સંદર્ભ સાથે સમજાવ્યાં હતા.
શુક્રવારનો અનેરો વિષય હતો ‘Metamorphosis’,એટલે કે ‘કાયાપલટની કમાલ’, જે પ્રક્ષકોમાંથી ઘણાં માટે અત્યાર સુધી તો કલ્પના બહારનો હતો. રૂપાંતર અથવા અંગ્રેજીમાં metamorphosis કાર્ટૂનિસ્ટ માટેની એક પ્રયુક્તિ છે.
બેથી આઠની સંખ્યામાં એકબીજાની બાજુ બાજુમાં દોરેલાં ચિત્રો દ્વારા કાર્ટૂનિસ્ટ એક વ્યક્તિને બીજી વ્યક્તિમાં, કે વસ્તુમાં રૂપાંતરિત થયેલી બતાવે છે.
દેખીતી રીતે અજૂગતી આ વાત બીરેનભાઈ પડદા પર કાર્ટૂન બતાવીને સમજાવે ત્યારે મગજમાં ઝબકારો થાય છે.
એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં કાયાપલટ Person to Person Metamorphosisના છ ઉદાહરણો બિરેનભાઈ બતાવે છે.
– તેમાંથી પહેલાં સંપુટના પહેલાં ચિત્રમાં ભારતના પૂર્વ વડા પ્રધાન વિશ્વનાથ પ્રતાપ સિંહ ચોથા કાર્ટૂનમાં રાજીવ ગાંધી બની જાય છે. રાજિન્દર પુરી(1934 થી 2015)નું આ કાર્ટૂન કાશ્મીરને લગતી કલમ 371 અંગેના વલણની છે.
– બીજા સંપુટના પહેલાં ચિત્રમાં, ભારતના પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ છઠ્ઠા કાર્ટૂનમાં નરસિંહા રાવ બની જાય છે. સુધીર તેલંગ(1960 -2006)નું આ કાર્ટૂન જુલાઈ 2008માં મનમોહનની સરકારની સામે લાવવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્ત વિશેનું છે.
– ત્રીજામાં પણ મનમોહન-રાવ રૂપાંતર જ છે, જે ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ના અત્યારના ઉન્ની (1955-)ના કાર્ટૂનના ચોથા ચિત્રમાં બને છે. તેનો સંદર્ભ 1991 અને 1994માં રજૂ થયેલાં કેન્દ્રીય અંદાજપત્ર એટલે કે બજેટનો છે.
– આ જ પ્રમાણે કેશવ કૉન્ગ્રેસના અર્જુનસિંહને દેવીલાલ બનાવે છે અને પી. નરસિંહા (1957-) મોદીને મનમોહન સિંગ બનાવે છે. આ બંને કાર્ટૂન્સનો અર્થાત રાજકીય સંદર્ભ છે જે કાર્ટૂનમાં શબ્દોમાં નિર્દેશિત છે, અને બીરેનભાઈ સમજાવે પણ છે.
– હેમંત મોરપારિયાએ 2002માં દાઢીવાળા મોદીને ચોથા કાર્ટૂનમાં લાક્ષણિક મૂછ સાથેના હિટલર બનાવે છે.
રૂપાંતરનો બીજો પ્રકાર from Person to object એટલે કે વ્યક્તિમાંથી વસ્તુ. અમેરિકા સ્થિત શ્રેયસ નવરે 2010ના વર્ષના આરંભના food inflationને લગતાં કાર્ટૂનમાં મનમોહનસિંહની પાઘડીને ચોથા કાર્ટૂનમાં ડુંગળી બનાવી દે છે.
– શ્રેયસ ઉત્તર પ્રદેશની અરાજકતાના માહોલમાં મુલાયમસિંહ અને અખિલેશ યાદવને બે કેળાં બનાવે છે અને લખે છે banana republic.
– ‘ગુજરાત સમાચાર’માં પણ જેમના કાર્ટૂન્સ જોવા મળે છે તે મંજુલ (1971-) ઉત્તર પ્રદેશની માર્ચ 2018ની ચૂંટણીને લગતાં કાર્ટૂનમાં યોગી આદિત્યનાથને શૂન્યમાં ફેરવે છે.
– Alfredo નામના કલાકારના પહેલાં કાર્ટૂનની બુરખાધારી સ્ત્રી પાંચમા ચિત્રમાં રંગીન પતંગિયામાં ફેરવાય છે. કાર્ટૂનમાં એ મતલબનું એક વાક્ય છે કે આ revolution – ક્રાન્તિનો પ્રભાવ છે.
વસ્તુથી વસ્તુ/વ્યક્તિ object to object/person રૂપાંતરનો દાખલો સુધીર નાથ(1971-)ના કાર્ટૂનમાં મળે છે કે જેમાં તેઓ કોન્ગ્રેસના ચિહ્ન એવા પંજાનું પાંચ તબક્કામાં ભારતીય જનતા પક્ષના કમળમાં રૂપાંતર બતાવે છે. શ્રેયસ નવરે કમળમાંથી ચોથા તબક્કે નરેન્દ્ર મોદી બનાવે છે.
– શ્રેયસની એક ખૂબી સમજાવતા બીરેન કહે છે કે તે ચિત્રમાં એક ગધેડાને લાવે છે, જેનું નામ Zero છે. તે આર.કે. લક્ષ્મણના કૉમન મૅનની જેમ ઘણાં કાર્ટૂન્સમાં ડોકિયું કરે છે.
કૉમન મૅન બોલતો નથી, પણ આ Zero ‘દોઢડહપણ કરે છે’.
જેમ કે, ઉત્તર પ્રદેશની અરાજકતાવાળા કાર્ટુન્સમાં તે ‘’નિરુત્તર પ્રદેશ’ એમ બોલે છે, અને કમળમાંથી મોદીવાળા કાર્ટૂનમાં તે ‘ Lotus – What about a lot of us ?’ એ મતલબનો સવાલ કરે છે.
અજિત નિનનને બીરેનભાઈ ‘master of metamorphoses’ એટલે કે રૂપાંતરકળાના સ્વામી ગણાવે છે. તેમનું તાજેતરમાં 8 સપ્ટેમ્બરે 68 વર્ષની વયે અવસાન થયું.
નિનનના કસબના અનેક દાખલા બીરેનભાઈ બતાવે છે, જેમાંથી કેટલાક આ મુજબ છે :
– વ્યક્તિથી પ્રાણી/પક્ષીમાં રૂપાંતર : કરુણાનિધિમાંથી કાચિંડો, બાળ ઠાકરેમાંથી બિલ્લી થઈ ગયેલો વાઘ, અર્જુનસિંહમાંથી સિંહની જેમ ત્રાડ નાખવા મથતું ગલુડિયું.
– પક્ષીમાંથી વ્યક્તિમાં રૂપાંતર : શાંતિદૂત વાજપેયીમાંથી ચાંચમાં ઑલિવની ડાળી પકડીને ઊડતું કબૂતર, અમરસિંહ જે પાર્ટીઓના માણસ હતા તે હાથમાં શરાબનો પ્યાલો પકડેલું ઘુવડ,
જયલલિતામાંથી એવી મરઘી કે જેની નીચે કેટલાંક બચ્ચાં દબાયેલાં હોય, કેજરીવાલ અને નીતિશકુમાર બંનેમાંથી શિયાળ
– વ્યક્તિમાંથી વસ્તુમાં રૂપાંતર : મુલાયમસિંહ યાદવમાંથી સાયકલ, નરેન્દ્ર મોદીમાંથી બુલડોઝર, લાલ કૃષ્ણ અડવાણીમાંથી છત્રી સાથેનો રથ, સંજય દત્તમાંથી એ.કે. 47, મનમોહન સિંહમાંથી મુંબઈ સ્ટૉક એક્સચેન્જનું બિલ્ડિંગ, માયાવતીમાંથી નાણાંકોથળી, મમતામાંથી ફેરવવા માટેની દોરી (જાળ) સાથેનો ભમરડો.
દરેક કાર્ટૂનની સૂક્ષ્મતા બીરેનભાઈ લાજવાબ રીતે બતાવે છે. મમતાનો ચહેરો ભમરડા જેવો અને ચોટલો જાળ જેવો, જે કેસરી રંગની હોય તેમ જ એને છેડે કમળની છાપ હોય.
પહેલાં ચિત્રના અડવણીની ટાલમાંથી ચોથા ચિત્રમાં રથની છત્રી બનતી હોય. અનેક દાખલા આપી શકાય. જો કે કેટલીક વાર દુરાકૃષ્ટતા પણ લાગે, એટલે કે સામ્ય સહજ રીતે ન ધ્યાનમાં આવતું હોય, પણ સંદર્ભ અને સમજૂતીથી આકલન થતું હોય એમ પણ બને છે.
વળી બીરેને તાકીદ પણ કરી : ‘કાર્ટૂનિસ્ટ આપણી સામે જુએ તો ચેતી જવું, એ આપણામાં કંઈ પણ જોતો હોય …’ બાય ધ વે, બિરેનભાઈ પોતે પણ કાર્ટૂન બનાવે છે.
કાર્યક્રમનો અરધા જેવો હિસ્સો The Story of Pear King એવો હતો. તેમાં બિરેને ફ્રાન્સની હંમેશાં સમૃદ્ધ રહેલી કાર્ટૂનપ્રવૃત્તિનો એક ઐતિહાસિક તબક્કો સરસ રીતે સમજાવ્યો. આ તબક્કો તે રાજા લુઇ ફિલિપ Louis Philippe Iના 1830 to 1848ના શાસનકાળ દરમિયાનનો હતો.
એ રાજાની રીતિનીતિ વિરુદ્ધ La Caricature અને Le Charivari નામના રાજકીય ઠઠ્ઠાચિત્રોનો જેનો વિશેષ હોય તેવા સાપ્તાહિકોએ કાર્ટૂન્સ થકી પાંચેક વર્ષ સુધી ઝુંબેશ ચલાવી. તેમાં તેમના ચિતારાઓએ રાજાને સતત pear એટલે કે જમરૂખ તરીકે દોર્યે રાખ્યો.
એટલું જ નહીં તેની આજુબાજુના માણસો અને માહોલમાં પણ તેમણે જમરૂખનાં કલ્પનો ફેલાવી દીધા. બીરેનભાઈએ આ આખો ય કિસ્સો તેના અનેક સંદર્ભો સાથે ખૂબ રોચક રીતે સમજાવ્યો. પૂરા કાર્યક્રમમાં સ્લાઇડ ઑપરેટ કરનાર બીરેનના જીવનસાથી કામિનીબહેન હતાં.
આ કાર્ટૂન કાર્યક્રમનો બૌદ્ધિક આનંદ અને તેની મહત્તા તેને પ્રત્યક્ષ જોઈને જ સમજી શકાય તેમ છે. બીરેનભાઈ પાસે કાર્ટૂનની કળા અને તેના ઇતિહાસ તેમ જ વર્તમાન અંગે બીજા કેટલાક વિષયો છે. તેમાંથી તેઓ જે વધુ હપ્તા પ્રસ્તુત કરવાના છે તેની પ્રતીક્ષા રહેવાની.
આ કાર્યક્રમથી ફરીથી એક વખત જોવા મળ્યું કે નાટ્યપ્રવૃત્તિ માટે સર્જાયેલું સ્ક્રૅપયાર્ડ થિએટર અમદાવાદમાં વૈકલ્પિક, બિનપરંપરાગત અભિવ્યક્તિ માટેની મહત્વની જગ્યા space બની રહ્યું છે.
દેખીતી રીતે કોઈ પણ સરકારી કે સંસ્થાકીય ટેકા વિના ઠાકોર પરિવાર તેમ જ કબીર અને નેહા તેમના યુવા સાથીઓની મદદથી શહેરીજનોનું સંવેદન સંકોરવામાં તેમ જ તેમની આંતરસમૃદ્ધિને વધારવામાં નિ:સ્વાર્થ સહયોગ આપી રહ્યાં છે.
[તસવીર સૌજન્ય : સુજાત]
02 ડિસેમ્બર 2023
[975 શબ્દો]
e.mail : sanjaysbhave@yahoo.com