ઇસ્લામમાં ‘ઉમ્મા’ (અરેબિક Ummaah) નામની એક કલ્પના છે જે મુસલમાનો માટે બેધારી તલવાર સાબિત થઈ રહી છે અને ક્વચિત શરમનો વિષય પણ બનતી આવી છે. ઉમ્મા એટલે અલ્લાહે પસંદ કરેલી અને અલ્લાહના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત વિશેષ કોમ જેણે અલ્લાહના આખરી અને ક્યારે ય અપ્રાસંગિક નહીં બનનારા નિત્યનૂતન પેગામ(સંદેશ)નો સ્વીકાર કર્યો છે. જે કોમે અલ્લાહનો અંતિમ અને નિત્યનૂતન પેગામ સ્વીકાર્યો હોય એ કોમ અલ્લાહને વિશેષ પ્યારી હોય એ તો સ્વાભાવિક છે. અહીં સુધી તો ઠીક છે પણ આગળ કહેવામાં આવ્યું છે કે કોઈ કોમની આનાથી વિશેષ ઓળખાણ કઈ હોઈ શકે અને આવી પરમ ઓળખ પ્રાપ્ત કર્યા પછી બીજી ઓળખોની જરૂર પણ શું છે?
આમાંથી વૈશ્વિક મુસ્લિમ બંધુત્વ (ઇસ્લામિક બ્રધરહુડ) અને વૈશ્વિક મુસ્લિમ સરોકાર(પેન ઇસ્લામિઝમ)ની કલ્પના વિકસી. તુર્કીના મુસલમાનની પીડા ભારતનાં અને જગતભરના મુસલમાને એટલા જ પ્રમાણમાં અનુભવવી જોઈએ જેટલી એ તુર્કીના મુસલમાન અનુભવે છે. તુર્કીમાં મુસલમાન જો રાજકીય, સામાજિક કે બીજા કોઈ પણ પ્રકારના સંકટમાં હોય તો ભારતનાં અને જગતભરના મુસલમાનોએ તેને પોતાનાં પરનું સંકટ સમજવું જોઈએ અને તેને પહોંચી વળવા જરૂરી પ્રયાસ કરવા જોઈએ. ટૂંકમાં મુસલમાનોની એક વૈશ્વિક બિરાદરી જેને ઇસ્લામ સિવાયની અન્ય કોઇ ઓળખ પ્રભાવી ન કરી શકે અને રાજ્યોની સીમાઓ અવરોધી ન શકે.
જગતમાં ઇસ્લામનો જે ઝડપથી પ્રસાર થયો એ એટલો તલવારના જોરે નથી થયો જેટલો મુસલમાન મુસલમાન વચ્ચે સમાનતા અને બંધુભાવને કારણે થયો છે. ઇસ્લામ જગતમાં પહેલો સંગઠિત ધર્મ હતો જેણે સમાનતા અને બંધુતાને માન્યતા આપી હતી અને ખુદા અને બંદા વચ્ચે કોઈ પુરોહિત કે પાદરીની આવશ્યકતા નકારી હતી. આ ઉપરાંત વૈશ્વિક મુસ્લિમ બિરાદરીની કલ્પના પણ રોમાંચક હતી. ઇસ્લામની આ માન્યતાને સામાજિક અને રાજકીય સ્વીકૃતિ મળી હતી. કોઇને પણ ઇસ્લામ માટે આકર્ષિત થવા માટે આ પૂરતું હતું. ઇસ્લામ માત્ર તલવારના જોરે જગતમાં પ્રસર્યો છે એમ કહેવું એ સંપૂર્ણ સત્ય નથી.
પણ હંમેશાં બનતું આવ્યું છે એમ ધર્મવચન એક જગ્યાએ અને વ્યવહારજગત એક જગ્યાએ. એમાં મુસ્લિમ હોવાની એક માત્ર ઓળખ શ્રેષ્ટ અને અંતિમ ઓળખ છે એ, મુસ્લિમ બંધુત્વ (ઇસ્લામિક બ્રધરહૂડ) અને વૈશ્વિક મુસ્લિમ સરોકાર(પેન ઇસ્લામિઝમ)એ ત્રણ રોમાંચક કલ્પના છે પણ એ વ્યવહારુ નથી. શરૂઆતનાં આકર્ષણ પછી મુસલમાનો જ્યાં રહેતા હતા ત્યાં સહિયારાપણાના અને સહઅસ્તિત્વના પ્રશ્નો પેદા થવા લાગ્યા. આને કારણે ઈસ્લામ આગ્રહી (ડિમાન્ડગ) ધર્મ તરીકે ઓળખાવા લાગ્યો.
પ્રત્યેક મુસલમાને પોતાની ઈસ્લામ સિવાયની બીજી ઓળખ ખંખેરી નાખવાની. ભૂલી જવાની. જે તે દેશમાં ઇસ્લામ પહેલાંના વારસાનો અસ્વીકાર થવા લાગ્યો અથવા અસ્વીકાર કરવો જોઈએ એવી માગણી થવા લાગી. પાકિસ્તાન તેની સ્થાપના પછી ૭૫ વરસે પણ નક્કી કરી શક્યું નથી કે પાકિસ્તાનના ઇતિહાસની શરૂઆત સિંધુ સભ્યતાથી સ્વીકારવી કે પાકિસ્તાનમાં ઇસ્લામનું આગમન થયું એ પછીથી. કેટલાક કટ્ટરપંથી મુસલમાનો પોતાને ભારતીય મુસલમાન તરીકે નથી ઓળખાવતા પણ મુસ્લીમ ભારતીય તરીકે ઓળખાવે છે. તે મુસ્લિમ છે અને ભારતનો વતની છે. મુસ્લિમ હોવું એ મુખ્ય ઓળખ છે, ભારતનો વતની હોવું એ ગૌણ છે. એક નિમિત્ત માત્ર છે. આને કારણે મુસલમાનોની વતનપરસ્તી અને રાષ્ટ્રભાવના વિષે શંકા કરવામાં આવે છે. મુસ્લિમ વિરોધીઓને આમાં ઇસ્લામને તેમ જ મુસલમાનોને બદનામ કરાવાનો મોકો મળે છે.
મુસલમાનોનું વૈશ્વીક બંધુત્વ વૈશ્વીક સરોકારમાં પરિણામે એ તો દેખીતું છે. ખિલાફત આંદોલન આનું ઉદાહરણ છે. પહેલાં વિશ્વયુદ્ધમાં વિજય મેળવ્યા પછી અંગ્રેજોએ વચનભંગ કરીને તુર્કીના ખલીફાનું રાજ અમાન્ય કર્યું તેની સામે ભારતનાં મુસલમાનોએ ખિલાફત બચાવવા આંદોલન કર્યું હતું. તુર્કીનો ખલીફા જગતભરના મુસલમાનોનો ખલીફા છે એમ મુસલમાનો માનતા હતા. ભારતીય મુસલમાનોની ભાવનાનો આદર કરીને જો હિંદુઓ મુસલમાનોને ટેકો આપે તો હિન્દુ અને મુસ્લિમો વચ્ચે એકતા સાધી શકાશે એમ માનીને ગાંધીજીએ ખિલાફતના આંદોલનને ટેકો આપ્યો હતો. મારી દૃષ્ટિએ ગાંધીજીની આ ભૂલ હતી.
આંદોલન નિષ્ફળ નીવડ્યું હતું. મુસ્તફા કમાલ આતાતુર્કના નેતૃત્વમાં તુર્કીના મુસલમાનોએ જ ખિલાફતનો વિરોધ કર્યો હતો અને ખલીફાને ભગાડી મૂક્યો હતો. તો પછી ભારતીય મુસલમાન તુર્કીના કયા મુસલમાનોની પીડામાં ભાગીદાર બન્યા હતા? વળી ખિલાફત બચાવવા માટે માત્ર ભારતનાં મુસલમાનોએ આંદોલન કર્યું હતું, જગતના બીજા મુસ્લિમ દેશોના મુસલમાનો ખલીફાની વહારે નહોતા આવ્યા.
ટૂંકમાં વૈશ્વિક મુસ્લિમ બંધુત્વ અને વૈશ્વિક મુસ્લિમ સરોકાર મુસલમાનો માટે જેટલાં રોમાંચક છે એટલાં પરિણામકારી નથી, ઊલટું નુકસાનકારક છે, પણ કોઈ ધાર્મિક મુસલમાન આ હકીકતનો સ્વીકાર નહીં કરે. કેટલાક લોકો મનોમન આનો સ્વીકાર કરશે પણ ખરા, પણ જાહેરમાં આ નહીં કબૂલે. પ્રત્યેક માણસ સમય અને સ્થળ નિર્મિત સંજોગો વચ્ચે જીવતો હોય છે. બે સ્થળ અને બે સમય એક સરખાં હોતાં નથી. સમય અને સ્થળની એક વિશિષ્ટ જરૂરિયાત હોય છે. આ સિવાય જે માટીમાં જન્મ થયો હોય એ માટીની હજારો વરસની સાંસ્કૃતિક સુગંધ હોય છે જે માણસને ઘડે છે. ભારતીય મુસલમાન અને તુર્કીના મુસલમાન વચ્ચે એટલું સામ્ય નહીં મળે જેટલું ભારતીય મુસલમાન અને ભારતીય હિંદુ વચ્ચે જોવા મળશે. આ હકીકત છે, પણ મુસલમાન આને કબૂલ કરતા નથી અને વિમાસણમાં મૂકાય છે. જેમ કે મુસ્લિમ હોવું એ પોતે જ એક અલગ રાષ્ટ્રીયતા છે અને તે ભારતીય રાષ્ટ્રીયતા કરતાં અલગ છે અને સર્વોપરી છે એમ કહીને ભારતના કેટલાક મુસલમાનોએ પાકિસ્તાનની માગણી કરી અને મેળવ્યું પણ ખરું. જો આ વાત સાચી હતી તો મોટી સંખ્યામાં મુસલમાનો ભારત છોડીને પાકિસ્તાન કેમ ન ગયા? જવું જોઈતું હતું. જો આ વાત સાચી હતી તો પાકિસ્તાનની સ્થાપના પછી માત્ર ૨૫ વરસમાં પૂર્વ પાકિસ્તાન (બંગલાદેશ) અલગ કેમ થઈ ગયું?
હવે અત્યારે જે બની રહ્યું છે એના તરફ એક નજર કરીએ. ઇઝરાયેલ પોંડીચેરીથી થોડોક જ મોટો એવો ખોબા જેવડો દેશ છે. તેની વસ્તી એક કરોડ પણ નથી. જગતમાં મુસલમાનોની વસ્તી એક અબજ ૮૦ કરોડની છે અને તે જગતની કુલ વસ્તીમાં ૨૪.૧ % નો હિસ્સો ધરાવે છે. આની સામે જગતમાં યહૂદીઓની કુલ વસ્તી એક કરોડ બાવન લાખ છે અને વૈશ્વિક વસ્તીમાં તેનો હિસ્સો માત્ર ૦.૨ ટકા છે. જગતમાં ૨૫ દેશોમાં મુસલમાનો બહુમતી ધરાવે છે અને બહોળી વસ્તી ધરાવતા હોય એવા દેશો ઉમેરીએ તો ૫૦ જેટલા દેશો છે. વૈશ્વિક વ્યાપારમાં મુસલમાનોનો હિસ્સો તેની વસ્તી જેટલો જ અંદાજે ૨૩ ટકા છે જ્યારે યહૂદીઓનો એક જ બચુકલો દેશ હોવાથી કોઈ ગણનાપાત્ર હિસ્સો નથી. આ ઉપરાંત કેટલાક આરબ દેશો પાસે ખનીજ તેલ છે. અને છતાં ય આપણે જોઈએ છીએ કે ૧૯૪૮થી આજ સુધી મુસ્લિમ દેશો ઇઝરાયેલને પરાજીત નથી કરી શકતા.
આ ‘ઉમા’ની કલ્પનાને અર્થાત્ વૈશ્વિક મુસ્લિમ બંધુત્વ તેમ જ વૈશ્વિક મુસ્લિમ સરોકારની વ્યવહારુતા સામે પ્રશ્ન ઉપસ્થિત કરે છે. એક વાત ગાંઠે બાંધી લો, કોઈ ધર્મે કહેલી દરેક વાત ચિરંતન હોતી નથી કે નિત્યનૂતન હોતી નથી. એને સ્થળ અને કાળની જરૂરિયાત પ્રભાવિત કરે જ છે. કોઈ ધર્મ આમાં અપવાદ નથી. એટલે નિત્યનૂતન ચિત્તાવસ્થા હોવી જોઈએ, ધર્મવચન નહીં. ચિત્ત સદૈવ જાગૃત રહે, ખુલ્લું રહે, નવું નવું ગ્રહણ કરતું રહે, વિકસતું રહે.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 03 ડિસેમ્બર 2023