Opinion Magazine
Number of visits: 9457222
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતમાં અણુશક્તિનો દીવો પ્રગટાવનાર વિજ્ઞાની ડૉ. હોમી ભાભા

સોનલ પરીખ|Opinion - Opinion|8 June 2024

માણસ જેને પ્રાણપણે ચાહતો હોય, જેમાં પોતાની સમસ્ત નિષ્ઠા આરોપી શકતો હોય તે ક્ષેત્રમાં જ તે પોતાનું શ્રેષ્ઠ આપી શકે. હું એન્જિન્યિરંગનો નહીં, ફિઝિક્સનો માણસ છું. મારી અંદર ફિઝિક્સની જ્વલંત જ્યોત જલે છે. મારું જીવન હું તેને જ આપવા માગું છું.

− ડૉ. હોમી ભાભાના તેમના પિતા પરના પત્રનો અંશ

ભારતની અણુશક્તિના જનક ડૉ. હોમી જહાંગીર ભાભા ૧૯૦૯ની ૩૦મી ઑક્ટોબરે મુંબઇમાં જન્મ્યા હતા. ૧૯૬૬માં વિમાની અકસ્માતમાં થયેલા તેમના મૃત્યુને આજે અર્ધી સદી જેટલો સમય થયો છે. જુદાજુદા, ક્યારેક વાહિયાત લાગે તેવા ‘ડે’ મનાવનારા આપણે આપણા આ મહાન વિજ્ઞાનીને ઓળખીએ છીએ ?

ડૉ. હોમી જે. ભાભા

મુંબઇની એલ્ફિન્સ્ટન કૉલેજ અને રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સમાં ભણી આગળ અભ્યાસ માટે ઇંગ્લૅન્ડ ગયેલા શ્રીમંત પારસી યુવાન હોમીને પિતાનું ફરમાન હતું, મિકેનિકલ એન્જિનિયર થવાનું. પણ હોમી સ્પષ્ટ હતો. તેણે પિતાને પત્ર લખ્યો, ‘માણસ જેને પ્રાણપણે ચાહતો હોય, જેમાં પોતાની સમસ્ત નિષ્ઠા આરોપી શકતો હોય તે ક્ષેત્રમાં જ તે પોતાનું શ્રેષ્ઠ આપી શકે. હું એન્જિન્યિરંગનો નહીં, ફિઝિક્સનો માણસ છું. મારી અંદર ફિઝિક્સની જ્વલંત જ્યોત જલે છે. મારું જીવન હું તેને જ આપવા માગું છું.’ પિતા માન્યા, પણ તેમણે શરત મૂકી, ‘પહેલા તું ફર્સ્ટ ક્લાસ સાથે મિકેનિકલ એન્જિનિયર થઇ બતાવ, પછી તારે જે કરવું હોય તે કરજે.’ હોમીએ સ્વીકાર્યું, એન્જિનિયર થયો અને પછી લાગી ગયો પોતાના પ્રિય વિષય ફિઝિક્સના અભ્યાસ અને સંશોધનમાં. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ડૉક્ટરેટ કર્યું, નીલ બોહર જેવા ભૌતિકશાસ્ત્રના મહાન વિજ્ઞાનીઓ સાથે ખૂબ કામ કર્યું, ક્વૉન્ટમ થિયરી, કૉસ્મિક રેડિયેશન જેવાં ક્ષેત્રોમાં મહત્ત્વનાં સંશોધનો કર્યાં અને પ્રતિષ્ઠિત રોયલ સોસાયટીના ફેલો બન્યા. ૩૧ વર્ષની ઉંમરે ૧૯૪૦માં ડૉ. હોમી ભાભા ભારત આવ્યા ત્યારે વિજ્ઞાની તરીકે વિશ્વસ્થાપિત થઇ ચૂક્યા હતા. આ ધનિક, દેખાવડા અને બુદ્ધિમાન પારસી યુવાનને પોતાનો જમાઇ બનાવવા પ્રતિષ્ઠિત પરિવારો આતુર હતા, પણ આ બાબતમાં પણ હોમી સ્પષ્ટ હતો, ‘હું વિજ્ઞાનને વરી ચૂક્યો છું.’ ગુલામ ભારતમાં જન્મેલો કેવો મુક્ત આત્મા !

આ ડૉ. હોમી જહાંગીર ભાભા ૧૯૦૯ની ૩૦મી ઑક્ટોબરે મુંબઇમાં જન્મ્યા હતા. આજે દીપાવલિના શુભ દિવસે તેમનો જન્મદિન આવ્યો છે ત્યારે પ્રશ્ન થાય છે કે જુદા જુદા, ક્યારેક વાહિયાત પણ લાગે તેવા ‘ડે’ મનાવનારા આપણે સાયન્સ ડે કે એટમિક એનર્જી ડે મનાવવાનો વિચાર કદી કરીએ છીએ ? આપણા મહાન વિજ્ઞાનીઓને ઓળખીએ છીએ ? તેમના મહાપ્રદાનને સમજીએ છીએ ? આપણે તો તેમના ઐતિહાસિક બંગલાને પણ સ્મારકમાં ફેરવી શક્યા નથી, તેને તૂટી જવા દીધો છે. અજ્ઞાન, મીંઢાપણું અને મૌન ખૂબ ભારે પડી જાય તેવી ચીજો છે, પણ આપણે તો આંખ આડા કાન કરવામાં પણ નિષ્ણાત છીએ. ખેર, વાત ચાલતી હતી ૧૯૪૦માં ડૉ. હોમી ભાભા ભારત આવ્યા તેની. બેંગલોરની ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સમાં સંશોધન શરૂ કર્યું. યુવાન વિજ્ઞાનીઓ દેશના ખૂણેખૂણે વિખેરાયેલા હતા, તેમને એક મંચ આપતી ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચ મુંબઇમાં શરૂ કરી અને તેના ડિરેક્ટર નીમાયા ને કુશળ વટીવટ કર્યો. ડૉ. ભાભાની નેતૃત્વશક્તિ, નિષ્ઠા, મહેનત, ધન અને જવાહરલાલ નહેરુ સાથેના સંબંધોને કારણે સ્વતંત્રતા મળ્યાનાં થોડાં જ વર્ષોમાં દેશે સંશોધનની દિશામાં વિરાટ અને નક્કર પગલાં ઉઠાવ્યાં.

૧૯૪૮માં તેઓ ભારતના એટમિક એનર્જી કમિશનના પ્રથમ ચેરપર્સન બન્યા. ૧૯૫૬માં તેમના પ્રયત્નોથી ટ્રોમ્બેમાં પ્રથમ એટમિક રિએક્ટન્ટ શરૂ થયું. ૧૯૫૫માં જીનિવામાં અણુશક્તિના શાંતિમય પ્રયોગો માટે પહેલી યુ.એન. કૉન્ફરન્સ ભરાઇ ત્યારે ડૉ. ભાભાએ અણુશક્તિના નિયંત્રણ અને પ્રતિબંધ પર ખૂબ ભાર મૂક્યો હતો. ભારત અણુબૉમ્બ બનાવવાનું સામર્થ્ય કેળવે, પણ બનાવે નહીં – તેનું ધ્યાન અણુઊર્જાના ઉપયોગથી દેશની ગરીબી દૂર કરવા તરફ રહે તે તેમનો આદર્શ હતો. ભાભા એટમિક રિસર્ચ સેન્ટર આજે પણ આ કરી રહ્યું છે. ભારતની પાર્લામેન્ટમાં વારંવારના આમંત્રણ છતાં તેઓ ગયા નહીં, નહેરુ અને શાસ્ત્રીના સાયન્ટિફિક એડવાઇઝર તરીકે સેવા આપતા રહ્યા. તેઓ ભારતની અણુશક્તિના જનક ગણાય છે. અમેરિકાએ યુરેનિયમ આપવામાં ઠાગાઠૈયા કર્યા ત્યારે ડૉ. ભાભાએ અણુઉત્પાદનમાં યુરેનિયમને બદલે થોરિયમ વાપરી શકાય છે તેવું ત્રિસ્તરીય અણુકાર્યક્રમ દ્વારા સાબિત કર્યું. દુનિયા સ્તબ્ધ થઇ ગઇ.

જેઓ ડૉ. હોમી ભાભાનાં સ્વપ્નો અને કાર્યો વિશે જાણે છે તેઓ એ પણ જાણે છે કે તેમનાં સ્વપ્નોને સાકાર કરવામાં ડૉ. હોમી સેઠનાની ભૂમિકા કેટલી અગત્યની હતી. આ બંને દિગ્ગજોની મુલાકાત અનાયાસે સ્વિમિંગ પૂલમાં થઇ હતી. સેઠના, ભાભાથી પંદરેક વર્ષ નાના. તેમનું તેજ અને તરવરાટ જોઇ ભાભાએ તેમને પોતાની ઑફિસમાં બોલાવ્યા અને નાના ઇન્ટરવ્યૂ પછી કામ પર રાખી લીધા. ડૉ. ભાભાના મૃત્યુ પછી તેમનું કામ અટકવા ન દેવામાં ડૉ. સેઠનાનો મોટો હાથ હતો.

અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સન્માનો, અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન સંસ્થાઓનો પ્રારંભ અને સભ્યપદ, અનેક રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય કક્ષાના સંશોધનો – કારકિર્દી ટોચ પર હતી ત્યારે એક વિમાની અકસ્માતમાં ડૉ. ભાભાનું મૃત્યુ થયું. ૧૯૬૬ની સાલ હતી. ડૉ. ભાભા વિયેના કૉન્ફરન્સમાં ભાગ લેવા જઇ રહ્યા હતા. જીનિવાથી તેમનું વિમાન ઉપડ્યું ને આલ્પ્સના પહાડો વચ્ચે તૂટી પડ્યું. આ જ સાલમાં તાશ્કંદમાં વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનું રહસ્યમય મૃત્યુ થયું હતું. એક થિયરી મુજબ ૧૯૬૫ની લડાઇમાં પાકિસ્તાન હાર્યું, ભારત અણુક્ષેત્રે સારી પ્રગતિ કરી રહ્યું હતું ને રશિયા સાથે સારા રાજદ્વારી સંબંધો પણ ધરાવતું હતું. આમ જ ચાલ્યું તો જોતજોતામાં ભારત મહાસત્તા બની જશે – અમેરિકા ખળભળી ઊઠ્યું હતું. ભારતને નબળું બનાવવા માટે આ બંને મૃત્યુમાં સી.આઇ.એ. સંડોવાઇ હોવાનો પુરાવો પણ આ થિયરી આપે છે.

અને બંગલો. મુંબઇના મલબાર હિલ વિસ્તારમાં ડૉ, ભાભાએ પોતાના માતાપિતા મહેરબાઇ અને જહાંગીરના નામ પરથી ૧૭,૦૦૦ ચોરસ ફૂટના પ્લોટ પર એક વિશાળ બંગલો બંધાવેલો : મહેરાંગીર. ડૉ. ભાભાના મૃત્યુ પછી બંગલો તેમના ભાઇ ડૉ. જમશેદ ભાભા સંભાળતા હતા. તેમણે વીલમાં બંગલો એન.સી.પી.એ.ને લખી આપેલો. ૨૦૧૪માં બંગલાનું લિલામ થયું. ૩૭૨ કરોડમાં ગોદરેજ પરિવારે તે ખરીદ્યો તે પછી બે જ વર્ષમાં હાઇરાઇઝ બિલ્ડિંગ બનાવવા માટે તેને તોડી પાડવામાં આવ્યો. સેવ મહેરાંગીર કેમ્પેન દ્વારા તેને તૂટી પડતો અટકાવવાના, વિજ્ઞાન સંસ્થાઓ દ્વારા તેને ડૉ. ભાભાનું સ્મારક બનાવવાના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા. એક અહેવાલ મુજબ સુપ્રિમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારનો સંપર્ક કરી જાણવા માગ્યું હતું કે મહેરાંગીરને હેરિટેજ લિસ્ટમાં મૂક્યો છે કે કેમ. સરકારે મૌન સેવ્યું, સ્ટે ઑર્ડર પણ ન આપ્યો અને આ જ વર્ષે – થોડા મહિનાઓ પહેલા જ તેને તોડી પાડવામાં આવ્યો. આ જ વર્ષે ઇંગ્લૅન્ડમાં આવેલો બાબા આંબેડકરનો બંગલો બત્રીસ કરોડમાં ખરીદીને બચાવી લેવામાં આવ્યો, કારણ ત્યાં મતપેટીનું રાજકારણ હતું.

આ દેશમાં જ નહીં, દુનિયામાં પણ દરેક બાબતમાં રાજકારણ છે શું ? રાજકારણના ગાઢ અંધકારમાં પ્રતિભાનાં કોડિયાંને ટમટમતાં રાખવાની જવાબદારી કોની છે ? આવતી કાલથી શરૂ થતા નવા વર્ષે મનુષ્ય તરીકે, નાગરિક તરીકે સાચા અર્થમાં જાગૃત થવાનો સંકલ્પ આપણે પણ લઇએ તો ?

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 30 ઑક્ટોબર  2023

Loading

‘મૈં ઍક્ટિંગ નહીં કર સકતી’ – વહીદા રહેમાનની ‘ખામોશી’

સોનલ પરીખ|Opinion - Opinion|7 June 2024

‘ખામોશી’ની વાર્તા મનની ગહન ગતિવિધિઓ આસપાસ ઘૂમે છે. હૉસ્પિટલના મુખ્ય ડૉક્ટર સાબિત કરવા માગે છે કે એક્યુટ મેનિયાના દર્દીઓ અતિભારે દવાઓ કે ઈલેક્ટ્રિક શૉક વગર સાજા થઈ શકે – જો એમને વિશ્વાસ, હૂંફ, પ્રેમ અને રક્ષણ આપવામાં આવે. નર્સ રાધાએ પ્રેમમાં છેતરાઈને એક્યુટ મેનિયાનો ભોગ બનેલા દેવને માની કાળજી અને પ્રિયતમાનો પ્રેમ આપીને સાજો કર્યો છે. દેવ સહિત બધા એમ સમજે છે કે રાધાએ જે કર્યું તે ટ્રીટમેન્ટનો એક ભાગ છે. પણ રાધા? એ તો સાચે જ દેવને ચાહી બેઠી છે …

‘યુદ્ધના દિવસો હતા. હૉસ્પિટલોમાં ન પૂરતા બેડ હતા, ન પૂરતી સાધનસામગ્રી હતી. કડકડતી ઠંડીમાં એક નર્સ પોતાનો કામળો એક ઘાયલ સૈનિકને ઓઢાડી એને વળગીને બેઠી હતી. બીજે દિવસે એ મરી ગયો. મેં આંસુ લૂછતી નર્સને પૂછ્યું, “તુમ્હારા અપના કોઈ થા?” એણે કહ્યું, “નહીં ડૉક્ટર, હમારે હી જવાનો મેં સે એક થા” આ જવાબ સાંભળીને મને ખાતરી થઈ કે સ્ત્રીમાં એવી શક્તિ છે કે એ પોતાનાં દુ:ખો ભૂલીને બીજાની તકલીફ દૂર કરી શકે છે. રાધા, તને જોઈ મને એ સ્ત્રી, એ નર્સ યાદ આવી જાય છે. દેવને તેં સાજો કર્યો, અરુણનો કેસ કેમ નથી લેતી?’ મેન્ટલ હૉસ્પિટલના મુખ્ય ડૉક્ટર નર્સને પૂછે છે.

આ નર્સ રાધા એટલે વહીદા રહેમાન. ફિલ્મ 1969ની ‘ખામોશી.’ દિગ્દર્શક અસિત સેન, નિર્માતા-સંગીતકાર હેમંતકુમાર, ગીતકાર-સંવાદલેખક ગુલઝાર, કલાકારો રાજેશ ખન્ના, વહીદા રહેમાન, નાસીર હુસેન અને સુંદર સહાયક ટીમ. સાથે અતિથિ કલાકાર ધર્મેન્દ્ર. આપણી રાષ્ટ્રીય આદત મુજબ આપણે આ ક્લાસિક ફિલ્મને અવગણી કાઢી હતી. આજે એની જ વાત કરવી છે કેમ કે ‘ખામોશી’ની ખામોશ વહીદા મળવા જેવી વ્યક્તિ છે.

‘ખામોશી’ની વાર્તા મનની ગહન ગતિવિધિઓ આસપાસ ઘૂમે છે. હૉસ્પિટલના મુખ્ય ડૉક્ટર (નસીર હુસેન) સાબિત કરવા માગે છે કે એક્યુટ મેનિયા(તીવ્ર ઉન્માદ)ના દર્દીઓ અતિ ભારે દવાઓ કે ઈલેક્ટ્રિક શૉક વગર સાજા થઈ શકે – જો એમને વિશ્વાસ, હૂંફ, પ્રેમ અને રક્ષણ આપવામાં આવે. નર્સ રાધા(વહીદા)એ પ્રેમમાં છેતરાઈને એક્યુટ મેનિયાનો ભોગ બનેલા દેવ(ધર્મેન્દ્ર)ને માની કાળજી અને પ્રિયતમાનો પ્રેમ આપીને સાજો કર્યો છે. સાજો થયેલો દેવ ખૂબ આભાર માનીને ઘેર ગયો છે અને એનાં લગ્ન થવાનાં છે.

દેવ સહિત બધા એમ સમજે છે કે રાધાએ જે કર્યું તે ટ્રીટમેન્ટનો એક ભાગ છે. પણ રાધા? એ તો સાચે જ દેવને ચાહી બેઠી છે. પણ એ એવું કોને કહે? કેવી રીતે કહે? એની ખામોશ વેદના માત્ર એની ડાયરીમાં વ્યક્ત થાય છે – અપની આગ મેં જલના હોગા, મુઝે અકેલે ચલના હોગા …

હવે બીજો એવો જ કેસ આવ્યો છે. ડૉક્ટર કહે છે કે એક કેસનું ઠીક થવું યોગાનુયોગ હોઈ શકે. માટે આપણે આ કેસ અને બીજા આવા કેસ પણ સાજા કરીશું, તો જ મારી થિયરી સાબિત કરવી છે. રાધા કારણ જણાવી શકતી નથી, પણ કેસ લેવાની ચોખ્ખી ના પાડે છે.

આ કેસ એટલે અરુણ (રાજેશ ખન્ના). કવિતા લખતો તેથી ઘરના નારાજ હતા. અરુણ ઘર, જમીનજાયદાદ બધું છોડી શહેરમાં આવ્યો. સુલેખા(સ્નેહલતા)ના પ્રેમમાં પડ્યો. પણ સુલેખા તરત એનાથી ધરાઈ ગઈ ને એને છોડી ગઈ. અરુણ એક્યુટ મેનિયાનો શિકાર બન્યો. હૉસ્પિટલમાં એ કોઈના કાબૂમાં નથી આવતો એ જોઈ રાધા કેસ લે છે. એના સંબંધીને મળી સુલેખાના પત્રો મેળવે છે. સુલેખાને પણ મળે છે. સુલેખાને અરુણની પરવા નથી, પણ અરુણે લખેલું ગીત ‘હમને દેખી હૈ ઉન આંખોં કી મહેકતી ખુશબૂ’ એ ગાય છે કેમ કે એ પ્રોફેશનલી હીટ છે. ગુલઝારની આ સુંદર કવિતામાં બે વાર ખામોશી શબ્દ આવે છે, આ ખામોશી અવ્યક્ત પ્રેમની મધુર સ્થિતિ છે. એની સમાંતરે રાધાના અવ્યક્ત વિયોગની પીડા સચોટ રીતે દર્શાવાઈ છે.

રાધા સુલેખાને કહે છે, ‘કિસી કો ઝહર દેના ઔર કિસી કી ઝિંદગી મેં ઝહર ઘોલના એક હી બાત હૈ’ અને સુલેખા પર દબાણ લાવી એને અરુણ પાસે લઈ આવે છે કે અરુણ પોતાનો ગુસ્સો એના પર કાઢી લઈ હળવો થાય – પણ અરુણ સુલેખા પર હિંસક હુમલો કરે છે, ડૉક્ટરો એને શૉક આપવા લઈ જાય છે પણ રાધા એમ કરવા નથી દેતી. તે દિવસે એ ડૉક્ટરને કહે છે, ‘તમારો પ્રયોગ ફરી સફળ થશે, અરુણનો વિશ્વાસ મેં જીતી લીધો છે.’

હવે અરુણ ઝડપથી સારો થતો જાય છે, રાધા થાકતી જાય છે. અરુણ રાધાને ચાહવા લાગ્યો છે, રાધા પોતાનાથી, અરુણથી, પ્રેમથી ભાગતી જાય છે. દેવે આપેલો જખમ દૂઝવા લાગ્યો છે. વિફળ પ્રેમની તીવ્ર પીડા એને ઘેરી વળી છે – ‘અરુણનો કેસ કેમ નથી લેવો એ મારે ડૉક્ટરને કહેવું જોઈતું હતું. મૈં અપની હી ખામોશી મેં ઘુટકર મર ન જાઉં …’

… અને રાધા માનસિક સંતુલન ખોઈ બેસે છે. એનું બેફામ હાસ્ય અને કરુણ રુદન સાંભળીને ડૉક્ટર કહે છે, ‘હું એને નર્સ જ સમજતો રહ્યો, એનામાં રહેલી સ્ત્રીને જોઈ ન શક્યો.’ રાધા ડૉક્ટરના પગ પકડી ભાંગી પડે છે, ‘મૈંને કભી ઍક્ટિંગ નહીં કી. મૈં ઍક્ટિંગ નહીં કર સકતી …’ દેવ ગાતો એ ગીત તેના કાનમાં ગુંજવા લાગે છે, ‘તુમ્હારા ઈન્તઝાર હૈ’ ખામોશ ઈન્તઝાર જેવું અસ્તિત્વ લઈ રાધા ચાલવા લાગે છે, કોણ જાણે ક્યાં જવા. પાછળ અરુણ બૂમ પાડે છે, ‘રાધા, મૈં ઝિંદગીભર તુમ્હારા ઈન્તઝાર કરુંગા’ અને ફિલ્મ પૂરી થાય છે.

મેલોડ્રામાની પૂરી તક છતાં પૂરા સંયમથી વહીદા રાધાના પાત્રને તન્મયતાથી જીવી છે. આ ફિલ્મ દસ વર્ષ પહેલા અસિત સેને જ બનાવેલી બંગાળી ફિલ્મ ‘દીપ જ્વલે જાઈ’ પરથી બની હતી. એમાં નર્સનો રોલ સુચિત્રા સેને કર્યો હતો. એ વહીદા કરતાં ઘણી વધારે સુંદર લાગે છે, પણ અભિનયમાં વહીદા મેદાન મારે છે.

10 ઑક્ટોબરે મેન્ટલ હેલ્થ ડે ગયો. પોતાના કે અન્યના મનને આપણે કેટલું ઓછું સમજીએ છીએ! મનોવિજ્ઞાન કહે છે કે એક્યુટ મેનિયા બાયપોલાર ડિસઓર્ડરનો એક પ્રકાર છે. એમાં દર્દી અત્યંત આનંદ, અતિશય સ્ફૂર્તિ, તીવ્ર વેદના જેવા આત્યંતિક આવેગો વચ્ચે ફંગોળાય છે. અકારણ હસવું, રડવું, કોઈ કામ સરખી રીતે ન થવું, ઝઘડવું, ખૂબ બોલવું કે ચૂપ થઈ જવું, સૂઈ ન શકવું – વિચારો, વર્તન, ઊંઘ-ભૂખ કશું એના કાબૂમાં નથી રહેતું. એ કોઈને મારી નાખી શકે, પોતે આત્મહત્યા કરી શકે. યોગ્ય ઉપચાર ન થાય તો રોગ વધતો જાય, ઊથલો મારે.

વર્ષો પહેલા આવા ઉન્માદનું કારણ ભૂતપ્રેત મનાતું અને ભૂવા-ડાકલાથી એનો ઈલાજ થતો, પણ આનું ખરું કારણ મગજમાં થતું રાસાયણિક અસંતુલન, જીવન પર ઊંડી અસર કરનારી ઘટના કે માનસિક તાણ છે. દર્દીને સમજાવવાની કોશિશ નકામી જાય છે, કેમ કે એ કશું સમજવાની સ્થિતિમાં હોતો નથી. એનું સાંભળો, એનું ધ્યાન રાખો, એને પ્રેમ, માન, કાળજી આપો તો એ શાંત થાય છે. જાણકારોની સલાહ જરૂર લેવી જોઈએ.

‘ધ અનક્વાયેટ માઈન્ડ: અ મૅમ્વાર ઑફ મૂડ એન્ડ મેડનેસ’ નામના પુસ્તકમાં લેખિકા કે રેડફિલ્ડ જેમિસને પોતાના બાયપોલાર ડિસઓર્ડરનું વર્ણન કર્યું છે. કેવી રીતે એ તેના પર હાવી થતો ગયો, કેવી રીતે એના પારિવારિક, રોમેન્ટિક, વ્યાવસાયિક વિશ્વને ખતમ કરતો ગયો અને કેવી રીતે મહામહેનતે એ તેમાંથી બહાર નીકળી એ વાંચીને મનની અજાણ અને અજાયબ દુનિયાની ઝાંખી થાય. જેમિસન પોતે અમેરિકન ક્લિનિકલ સાયકોલોજિસ્ટ અને બાયપોલાર ડિસઓર્ડર રિસર્ચર છે. આ પુસ્તક 1995માં પ્રગટ થયેલું, બેસ્ટસેલર છે. તેના પરથી ફિલ્મ અને વીડિયોઝ બન્યાં છે.

વહીદા રહેમાન એટલે સમયાતીત, ગરિમાપૂર્ણ સૌંદર્ય અને ‘ખામોશી’ એટલે એ સૌંદર્યનો આગવો, ઊંડો આવિષ્કાર. નિદા ફાજલી લખે છે, ‘હમ લબોં સે કહ ન પાયેં ઉનસે હાલ-એ-દિલ કભી; ઔર વો સમજે નહીં યે ખામોશી ક્યા ચીજ હૈ …’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 22 ઑક્ટોબર  2023

Loading

પહેરવેશ, પરિવર્તન, પ્રતિરોધ, પ્રતિબંધ અને પર્યાવરણ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|7 June 2024

ચંદુ મહેરિયા

‘દેશ તેવો વેશ’ અને ‘એક નૂર આદમી હજાર નૂર કપડાં’ જેવી કહેવતોથી બદન ઢાંકવા માટેનાં કપડાંની સફર ક્યાં પહોંચી છે તે જણાય છે. કપડાં, વસ્ત્ર, લૂંગડાં, ચીથરાં, પોશાક, પહેરવેશ,ગણવેશ જેવા શબ્દોથી ઓળખાતા શરીરની સલામતી, ઈજ્જત, વિનમ્રતા, સુંદરતા, આકર્ષણના ઉદ્દેશે પહેરાતાં કપડાં હવે તો તેના સ્વીકૃત સ્વરૂપમાં બદલાવ અર્થાત નિતનવી ફેશન સાથે સાંસ્કૃતિક પરંપરાથી ઘણા આગળ નીકળી ગયાં છે. સુખની પરિભાષામાં ખાધે-પીધેની સાથે જ લૂગડે-લત્તે સુખીનો પણ સમાવેશ થાય છે. તેના પરથી પણ તેની મહત્તા જણાય છે. હવે તો માત્ર ફેશનેબલ જ નહીં બ્રાન્ડેડ અને ફાસ્ટ ફેશનનો પણ જમાનો આવી ગયો છે.

સંસ્કૃતિ અને ઇતિહાસ સાથે જોડાયેલા માનવીના પોશાકમાં સતત પરિવર્તન થતા રહ્યાં છે. પ્રાચીનકાળમાં માણસ શરીર ઢાંકવા ઝાડની છાલ કે જાનવરોનાં ચામડાનો ઉપયોગ કરતો હતો. પહેલા લંગોટ અને કાપડની શોધ પછી તે લાંબુ કપડું વીંટતો હતો. કાળક્રમે સાડી અને ધોતી વાપરતો થયો. સિલાઈની શોધે તેનાં કપડાંમાં પ્રાણ પૂર્યા અને જાતભાતના કપડાં પહેરતો થયો. સ્ત્રીઓના બ્લાઉઝની શોધ કદાચ બંગાળમાં પહેલીવાર થઈ હતી. મહિલા મુક્તિની દિશામાં રૂઢિવાદી પિતૃસત્તાત્મક સમાજમાં સાડીથી ગાઉન કે ડ્રેસ સુધીની મહિલાઓની વસ્ત્ર પરિધાન યાત્રા સાચે જ કઠિન હશે. ભારતની સઘળી વિવિધતા લોકોના પહેરવેશમાં જોવા મળે છે. શહેરોમાં પશ્ચિમી વેશભૂષાનું ચલણ છે. પરંતુ ગામડાઓમાં ખેડૂતો, કારીગરો અને શ્રમિકો તેમનાં કામને અનુરૂપ કપડાં પહેરે છે.

જેમ પરિવર્તન તેમ પ્રતિબંધ પણ પહેરવેશ સાથે જોડાયેલો છે. કપડાં ઓળખની સાથે માનવીના સામાજિક-આર્થિક દરજ્જાનું પણ પ્રતીક છે. બ્રિટિશકાળમાં કેટલાક ભારતીયો અંગ્રેજો જેવો પોશાક પહેરતા અને અન્ય ભારતીયોથી પોતાને વેંત ઊંચા માનતા. આપણા ધાર્મિક સ્થળોએ અમુક કપડાં પ્રતિબંધિત છે જ ને ? તેથી આ વરસના આરંભે ઇન્ડિયન નેવીની મેસમાં નેવી ઓફિસર્સ અને સોલ્જર્સને કુર્તા-પાયજામા પરિધાન કરવાની છૂટ મળી તે ગુલામીના અવશેષોમાંથી મુક્તિ અને ભારતીય પરંપરાના અમલની દિશાનુ કદમ છે. આજે ભારતીયોના રોજ બ રોજના પોશાકમાં ધોતી-સાડી અને કુર્તા-પાયજામાનું ચલણ વધ્યું છે તે ઔપનિવેશિક માનસિકતાથી દૂરી અને સાંસ્કૃતિક સ્વરાજનું દ્યોતક છે.

ગાંધીજીએ ગરીબ મહિલાની સ્થિતિ જોઈને શરીર પરનાં ઘણાં વસ્ત્રો છોડી જિંદગીભર પોતડી પહેરી હતી. એ તો ખરું પણ અંગ્રેજોએ ભારતના કાપડ ઉદ્યોગને તબાહ કરી તેમના દેશનું કાપડ આપણા માથે માર્યું ત્યારે ગાંધીજીએ તેના વિરોધમાં વિદેશી કાપડ અને વસ્ત્રોના બહિષ્કારનું એલાન આપ્યું હતું. દેશમાં ઠેરઠેર વિદેશી કાપડની હોળી થઈ હતી. ઘણીવાર મહિલાઓએ નગ્ન કે અર્ધનગ્ન થઈને વિરોધ કર્યો છે. નારીવાદનો આરંભ નારીઓનાં આંતરવસ્ત્રો સળગાવીને થયો હતો. એટલે કપડું પ્રતિબંધની જેમ પ્રતિરોધનું પણ સાધન છે. વિદેશી કાપડના બદલે દેશી કાપડ, હાથવણાટનું કાપડ અને ખાદી તેનો વિકલ્પ જ નહીં આઝાદી આંદોલનનું પણ પ્રતીક હતું. ગાંધી ટોપી આજે ભાગ્યે જ જોવા મળે છે, પણ તે સ્વતંત્રતા આંદોલનનું મજબૂત પ્રતીક હતું.

ચીન, રશિયા અને જાપાન જેવા દેશોના નેતાઓ પશ્ચિમી શૈલીના કપડાં પહેરે છે ત્યારે ભારતના રાજનેતાઓ ભારતીય પોશાક જ પહેરે છે. તેમાં પણ તેમની વિશિષ્ટતા જોવા મળે છે. પ્રથમ વડા પ્રધાન નહેરુનું નહેરુ જેકેટ તો હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો અડધી બાંયનો મોદી કુર્તા જાણીતા છે. ઇંદિરા ગાંધીથી સોનિયા ગાંધી સુધીનાં મહિલા નેતાઓ ખાદીની સાડીને મહત્ત્વ આપે છે. ગાંધીની ટોપી વિલુપ્ત થઈ ગઈ છે તો પછી બાપુ પહેરતા હતા તે પોતડી તો તેમની હયાતીમાં જ ભાગ્યે જ કોઈ પહેરતા. જો કે મોદી કુર્તા અને મોદી લુક માટે ઓન લાઈન બિઝનેસ વેબસાઈટ્નું હોવું કે પૂર્વ અમેરિકી પ્રમુખ બરાક ઓબામાના પત્ની મિશેલ ઓબામાના પહેરવેશ વિશે બ્લોગ હોવો તે દર્શાવે છે કે લોકો રાજનેતાઓનાં વસ્ત્ર પરિધાનને કેટલા અનુસરે છે.

ફેશનનો જે ટ્રેન્ડ ચાલે છે તે આશરે વીસ વરસે બદલાઈ જાય છે. વરસે ૮૦ ટકા કરતાં વધુ કપડાં ડમ્પ થઈ જાય છે. કપડાંનું અર્થકારણ પણ મહત્ત્વનું છે. ૮૦ ટકા કપડાં બનાવનાર ૧૮થી ૨૪ વરસની મહિલાઓ હોય છે. એટલે કપડામાં આવતું પરિવર્તન જનહિતમાં હોવું જોઈએ. વ્યક્તિની સામાજિક-આર્થિક ઓળખ કપડાં પરથી પરખાય છે એટલે પણ સૌને પોસાય અને જચે તેવા કપડાં જરૂરી છે. ઘણી વાર લોકો ફેશનનાં નામે એવાં કપડાં પહેરે છે જે મજાકનું સાધન બને છે. એટલે વ્યક્તિએ તેના કદ-કાઠીને શોભે તેવાં વસ્ત્રો પહેરવા ઘટે. શરીર અને ઉમ્મરને અનુરૂપ તથા શરીરને માફક આવે તેવાં કપડાં પહેરવાં જોઈએ. જીન્સ પહેરવું કે માત્ર સ્કીનટાઈટ જીન્સ પણ વિચારવું પડશે. જુવાન મહિલાઓનાં કપડાંની પણ આલોચના થાય છે. તે સંદર્ભે યુવતીઓએ ટૂંકાં કપડાં ન પહેરવાં કે પુરુષોએ રૂઢિવાદી માનસિકતા બદલવી તે સવાલ છે.

પહેરવેશનો પર્યાવરણ સાથે ગાઢ સંબંધ છે. એ મુદ્દે હવે જાગ્રતિ આવી રહી છે. જળવાયુ પરિવર્તન સામે લડવા અને પર્યાવરણના સંરક્ષણ માટે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) તથા સેન્ટ્રલ લેધર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ચેન્નઈએ મળીને એક અભિયાન શરૂ કર્યું છે. સી.એસ.આઈ.આરે. તેના કર્મચારીઓ, વૈજ્ઞાનિકો અને અન્ય તમામને દર સોમવારે ઈસ્ત્રી વગરનાં કપડાં પહેરવા અપીલ કરી છે. એક જોડ કપડાંને ઈસ્ત્રી કરવાથી ૨0૦ ગ્રામ કાર્બનનું ઉત્સર્જન થાય છે તેના કરતાં કરચલીવાળા, ઈસ્ત્રી વગરનાં કપડાં શું ખોટા? તે આ ઝુંબેશનો હેતુ છે. સી.એસ.આઈ.આર.ની ૩૭ લેબોરેટરીઝમાં ૩,૫૨૧ સાયન્ટિસ્ટ અને ૪,૧૬૨ ટેકનિકલ અને બીજો સ્ટાફ કામ કરે છે. જો બધું સમુસૂથરું પાર પડે તો માત્ર આ એક જ સંશોધન સંસ્થાના કર્મચારીઓના અઠવાડિયે એક વખત ઈસ્ત્રી વગરનાં કપડાંથી વરસે ૪,૭૯,૪૧૯ કિલોગ્રામ કાર્બનનું ઉત્સર્જન અટકાવી શકાશે. પર્યાવરણની દૃષ્ટિએ પણ પોશાકને જોવાની જરૂર છે.

આઈ.આઈ.એમ. તેના સ્નાતકોને દીક્ષાંત સમારોહમાં યુવકોને કુર્તા-પાયજામા અને યુવતીઓને સાડીનો ભારતીય પરંપરાનો પોશાક પહેરવા અનુરોધ કરે છે. હવે આઈ.આઈ.એમ.ના દીક્ષાંત સમારોહ લગભગ ભારતીય પોશાકમાં જ યોજાય છે. પરંતુ શાળાઓનો ગણવેશ હોય કે કંપનીઓનો ડ્રેસ કોડ તે દેશની આબોહવાને અનુરૂપ હોય તે વધુ જરૂરી છે.

e.mail :  maheriyachandu@gmail.com

Loading

...102030...546547548549...560570580...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved