Opinion Magazine
Number of visits: 9844015
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વૈશ્વિક પર્યાવરણ પરિષદની જળ-વાયુ પરિવર્તન પરની અસરકારકતા

નેહા શાહ|Opinion - Opinion|21 January 2025

નેહા શાહ

૨૦૨૩માં વિશ્વભરમાં કુદરતી હોનારતોના ૩૯૮ કિસ્સા બન્યા. કરોડો લોકો રોજિંદા જીવનમાં જળ-વાયુમાં અતિશય ઝડપથી થઈ રહેલા પરિવર્તનની અસર ભોગવી રહ્યા છે. ક્યાંક તાપમાન માણસની શરીરરચના ખમી શકે એનાથી ઘણું ઊંચું જાય છે. ક્યાંક સમુદ્રની સપાટી ઊંચી આવી રહી છે, જેને કારણે સ્થળાંતરની ફરજ પડી રહી છે. ક્યાંક વંટોળ-વાવાઝોડાને કારણે જીવન બેહાલ છે તો ક્યાંક ચોમાસામાં વરસેલા બેશુમાર વરસાદે તબાહી મચાવી છે. પૃથ્વીનું તાપમાન સામાન્ય કરતાં ૧.૩ ડિગ્રી સેન્ટીગ્રેડ વધી ચૂક્યું છે. ૨૦૨૪માં તો ૧.૫ ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ ઊંચું નોંધાયું છે, જે સાથે ૨૦૨૪નું વર્ષ માનવ ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ બની ચૂક્યું છે. જળ-વાયુ પરિવર્તન (ક્લાઈમેટ ચેન્જ)નો પ્રશ્ન ઘણો ગંભીર છે એ નાના બાળકને પણ હવે સમજાય છે.

આર્થિક ગણતરી માંડી તો દર વર્ષે કુદરતી હોનારતોના પરિણામે થતું આર્થિક નુક્સાન ઉત્તરોત્તર વધી રહ્યું છે. ૨૦૨૨માં ૩૫૫ બિલિયન ડોલર અને ૨૦૨૩માં ૩૮૦ બિલિયન ડોલરનું નુકસાન વિશ્વને થઈ ચૂક્યું છે. જેની સામે વીમાનું વળતર માત્ર ૧૧૮ બિલિયન ડોલરનું જ મળ્યું ! બાકીનું નુકસાન અસરગ્રસ્ત લોકોએ જાતે ભોગવવાનું ! ૨૦૨૪ના આંકડા મળવા હજુ બાકી છે. જો આ સાથે જમીનની ઘટેલી ફળદ્રુપતા, પાણીનાં ઊંડાં ગયેલાં તળ, માંદગીને કારણે ઘટતા કામના કલાકો જેવાં પરિબળોને ધ્યાનમાં લઈએ તો આવનારાં વર્ષોમાં અપેક્ષિત નુકસાનનું સ્તર ઘણું ઊંચું જાય. અહીં, સામાજિક અને ભાવનાત્મક સ્તરે થતાં નુકસાનની ગણતરી તો માંડી જ નથી.

હાલમાં વાત એટલા માટે પ્રસ્તુત છે કેમ કે, અઝરબાઈજાનના બાકુ શહેરમાં યોજાયેલી ૨૯મી આંતરરાષ્ટ્રીય પર્યાવરણ પરિષદ તાજેતરમાં જ એટલે કે ૨૨ નવેમ્બરે સમાપ્ત થઈ. COP-29 (કોન્ફરન્સ ઓફ પાર્ટીસ -૨૯) જે પર્યાવરણ પરિષદ તરીકે જાણીતી છે એ પર્યાવરણ અંગે વિશ્વનું સૌથી મહત્ત્વનું મંચ છે. ૧૯૯૦માં IPCC જળ-વાયુ પરિવર્તન માટે બનેલી બહુરાષ્ટ્રીય સમિતિનો પહેલો રિપોર્ટ આવ્યો. જેના તારણના આધારે ગ્રીન હાઉસ ગેસ – જે વાયુ તત્ત્વો પર્યાવરણને ખતરો ઊભો કરી રહ્યાં છે – એના પર તાત્કાલિક ધોરણે નિયંત્રણ લાવવાની જરૂર જણાઈ. ૧૯૯૨માં બહુપક્ષીય સમજૂતી થઈ, જેના આધારે બધા સભ્ય દેશોએ પોતાના દેશમાં જળ-વાયુ પરિવર્તનને ખતરનાક કક્ષાએ પહોંચતા અટકાવવાના પ્રયત્નો કરવા અંગે સહમતી થઈ. ત્યારબાદ ૧૯૯૪થી બધા સભ્ય દેશ વર્ષમાં એક વાર મળે છે અને જળ-વાયુ પરિવર્તનને નિયંત્રણમાં રાખવા અંગે મહત્ત્વના નિર્ણય લેવાતા હોય છે. જળ-વાયુ પરિવર્તન અંગેના ૨૯ વર્ષના સભાન પ્રયત્નો છતાં યે પ્રદૂષણ સતત વધતું જ રહ્યું છે, સાથે સાથે માનવજીવન પરનું સંકટ પણ વધતું જ રહ્યું છે એ તે કેવી વિડંબના !

સૌ કોઈ સહમત છે કે જળ-વાયુ પ્રદૂષણનો પ્રશ્ન ગંભીર છે. દક્ષિણ ગોળાર્ધમાં વધુ ગંભીર અસર જોવા મળી રહી છે એ વાતમાં પણ કોઈ વિવાદ નથી. સૌ કોઈએ સાથે મળીને કામ કરવું પડશે એ એક સામાન્ય તારણ છે. પણ એનો અમલ કઈ રીતે કરવો ? કોણ કેટલું પ્રદૂષણ ઓછું કરશે ? ક્યાં સુધી ઓછું કરશે ? પ્રદૂષણમુક્ત નવી ટેકનોલોજીના ઉપયોગના પ્રચાર-પ્રસાર માટે કેવાં પગલાં લેવાશે ? આ માટે વિકસિત દેશો વિકાસશીલ દેશોને કેટલી મદદ કરશે ? જરૂરી ખર્ચનો બોજ કોણ કેવી રીતે ઉપાડશે ? આ પ્રશ્ન પર મડાગાંઠ થાય છે. વિશ્વ અનેક હિસ્સામાં વહેંચાઈ જાય છે. વિકસિત દેશો વિરુદ્ધ વિકાસશીલ દેશો, ઉત્તર ગોળાર્ધ વિરુદ્ધ દક્ષિણ ગોળાર્ધ, મૂડીવાદી દેશો વિરુદ્ધ સામ્યવાદી દેશો, નાના દેશો વિરુદ્ધ મોટા દેશો વગેરે.

પર્યાવરણ પરિષદના અલગ અલગ તબક્કે સભ્ય દેશો પ્રદૂષણ ઘટાડવાના લક્ષ્ય અંગે વાયદા કરે છે. વિકસિત દેશો માટે આ વાયદા નિભાવવા સહેલા છે. કારણ કે તેમની પાસે નવી ટેકનોલોજી તેમજ નવી ટેકનોલોજીનાં સંશોધન માટે નાણાં પણ છે. આ ઉપરાંત પ્રદૂષણ ઘટાડવા માટે તેઓ ઉત્પાદન અને વપરાશ ઘટાડવા પર ધ્યાન આપવાને બદલે ઉત્પાદનનું સ્થળ અન્ય ગરીબ દેશની ભૂમિ પર કરાવી એને આયાત કરવાનો રસ્તો તેઓ અપનાવતા રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ અમેરિકા જેવા અગ્રણી દેશ પર્યાવરણના પ્રશ્ને કેટલી ગંભીરતા દાખવશે એ વિષે શંકા ઊઠી રહી છે કારણ કે, આ અંગે એમની ઉદાસીનતા તેઓ પ્રગટપણે વ્યક્ત કરી ચૂક્યા છે. વળી, છેલ્લાં બે વર્ષથી એવા દેશ પરિષદના યજમાન બને છે જેમના અર્થતંત્રનો મુખ્ય આધાર જ પેટ્રોલની નિકાસ છે. તેથી પેટ્રોલના વિકલ્પ પર તેઓ કેટલું ધ્યાન આપશે એ અંગે શંકા ઊભી થાય છે.

ભારત અવારનવાર વિકાસશીલ દેશોના પક્ષે બોલતું રહે છે. આ વર્ષે પણ ભારત તરફથી ચાર મુદ્દા પર ભાર મૂકવાની રજૂઆત થઈ. એક, પ્રદૂષણમુક્ત ટેકનોલોજી વિકસાવવાની ગતિ વધારવી તેમ જ એ ટેકનોલોજી બધાને સહેલાઈથી મળી શકે એ વ્યવસ્થા ઊભી કરવી. બે, પર્યાવરણના પ્રશ્નને જરૂરી નાણાંની જોગવાઈ તાત્કાલિક ધોરણે ગોઠવાય. ત્રણ, વિશ્વનો દરેક દેશ એકબીજાનો સહયોગ કરે અને ચાર, પરસ્પર વિશ્વાસનું વાતાવરણ ઊભું થાય.

જ્યારે વિષમતામાં વહેંચાયેલા દેશોનાં હિત સમાન નથી રહ્યાં ત્યારે પરિષદ દ્વારા પર્યાવરણના પ્રશ્નનો હલ લાવવાનું કામ અઘરું થઈ રહ્યું છે.

(પ્રગટ : epaper.gujaratmitra)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 જાન્યુઆરી 2025; પૃ. 11

Loading

ઓમ શાંતિ

આશા વીરેન્દ્ર|Opinion - Short Stories|21 January 2025

હું, હરીશ, સોનુ તથા મોનુ – એમ અમારું નાનકડું કુટુંબ. આડોશી-પાડોશી કે સગાં-વહાલાં સૌ કોઈ મારા ભાગ્યની ઈર્ષા કરતા. સખીઓ તો અંદર અંદર ગુસપુસ પણ કરતી, “આ નીલી ખરી નસીબદાર છે હં! ગોરમાને પાંચ નહીં પણ દસ આંગળીએ પૂજ્યાં હોય ત્યારે આવો વર મળે.”

“સાચી વાત છે. હરીશભાઈને તો બધી રસોઈ બનાવતાં આવડે, ને મારા વરને એક ગેસ પેટાવતાં ય નથી આવડતું.”

વાત પણ સાચી હતી. કોઈ વાર તબિયત સારી ન હોય કે, બહુ થાકી હોંઉ તો હરીશ કહે, “નીલી, તું આરામ કર. હું હમણાં શાક ને પરાઠા બનાવી કાઢું છું.”

મારે જિંદગી પ્રત્યે ફરિયાદ કરવા જેવું કશું નહોતું, પણ હમણાં હમણાં કોણ જાણે કેમ, હું ચીડકણી થતી જતી હતી. કોઈ મારી આડું ઊતર્યું નથી ને મને બરાડા પાડવાનું બહાનું મળ્યું નથી એવી મારી પ્રકૃતિ થતી જતી હતી. હરીશનો સ્વભાવ અત્યંત શાંત. એ તો એનું જમા પાસું ગણાય પણ મને એમાં પણ એનો વાંક દેખાતો.

“છે તારા પપ્પાને કંઈ ચિંતા? માસ્તર મારે ય નહીં ને ભણાવે ય નહીં. બધા સાથે હસી હસીને વાત કરે, પછી ભૂંડા મારે જ થવાનું ને?”

આવા વખતે હરીશ ભલે સ્મિત કરીને જતું કરે પણ નાનો સોનુ મને છોડે એમ નહોતો. “મમ્મી, પપ્પા તારે માટે, આ ઘર માટે શું નથી કરતા? ને સાંભળ, એ નથી બોલતાને, એ તારે માટે જ સારું છે, નહીંતર રોજ ઊઠીને આપણા ઘરમાં મહાભારત સર્જાત!”

મોનુ એના પપ્પા પર ગયો હતો. હું મોટે મોટે બોલીને ઘરનું વાતાવરણ તંગ બનાવું એ એને જરા ય પસંદ નહીં એટલે એ કહેતો, “જવા દે ને સોનુ, તું શા માટે વચ્ચે બોલે છે?”

મારા વર્તનથી ખૂબ દુ:ખી થાય ત્યારે હરીશ રૂમ બંધ કરીને એકાદ પુસ્તક લઈને બેસી જતા. મારા ધૂંધવાટનો કોઈ પ્રત્યુત્તર ન મળતાં હું વળી વધુ ભડકતી. એવું પણ નહોતું કે, મને મારી ભૂલ દેખાતી નહોતી. એકલી પડું ત્યારે વિચારતી કે, નાની સરખી વાતમાં હું આખું ઘર માથે લઉં છું અને મારો મૂડ ઠેકાણે ન હોય ત્યારે દિવસો સુધી મૌનવ્રત ધારણ કરું છું. એની બધાનાં મન પર કેટલી અસર થાય છે! મારે આમ ન કરવું જોઈએ, પણ ઘણી વખત પરિસ્થિતિ મારા કાબૂ બહાર જતી રહેતી. એક વખત કોઈ સાવ નાની બાબતમાં હું હરીશ પર છેડાઈ પડેલી અને ઉશ્કેરાઈને બોલી ગયેલી,

“નક્કામી જ તમને પરણીને આ ઘરમાં આવી! પચીસ પચીસ વર્ષોમાં આ ઘરે મને શું આપ્યું?”

મારી વાત સાંભળીને હરીશ અત્યંત આઘાત પામ્યા. એમનો ચહેરો કાળોધબ્બ થઈ ગયો. આ વાત સાંભળી રહેલો સોનુ બોલી ઊઠ્યો, “મમ્મી, પહેલાં નક્કી કર કે, તને આ ઘર પાસેથી શું અપેક્ષા હતી અને એમાંથી શું ન મળ્યું? તું આ રીતે બોલ્યા કરશે અને મોનુભાઈ માટે આવેલી છોકરી સાંભળશે તો એને થશે કે, જે ઘરે પચીસ વર્ષમાં મારી સાસુને કંઈ ન આપ્યું એ ઘર મને શું આપવાનું?”

એની આ વાત મારા મર્મસ્થાને ચોટ કરી ગઈ. બે-ત્રણ દિવસ સુધી હું એની પર વિચાર કરતી રહી. મોનુ હવે તેવીસ વર્ષનો થયો હતો. એનાં લગ્ન થશે ને વહુ ઘરમાં આવશે. મારા કચકચિયા સ્વભાવને કારણે હું એ બંને વચ્ચે કલહનું કારણ બની જાઉં તો તો આખો પરિવાર વેરવિખેર થઈ જાય. ઘણી ગડમથલને અંતે હું સોનુને શરણે જ ગઈ.

“બેટા, તું ભલે નાનો હોય પણ તારી સમજણને કારણે તેં મારી આંખ ખોલી દીધી છે. મારે બગડતી બાજીને સુધારવી છે પણ ગુસ્સો આવે ત્યારે હું જાત પર કાબૂ નથી રાખી શકતી. તું જ કંઈ ઉપાય બતાવ.” એ હસી પડ્યો. “મમ્મી, તું વાત એવી રીતે કરે છે કે, મને એવું ફીલ થાય છે કે, જાણે હું કોઈ ગુરુ હોંઉં!”

“હા, મારે માટે તો તું ગુરુ જ છે. તું જેમ કહે એમ હું કરીશ, બસ?”

આશીર્વાદ આપતી મુદ્રામાં એ બેઠો અને કહેવા લાગ્યો, “માતે, તમારી મૂંઝવણનો ઉકેલ એક મંત્રમાં રહેલો છે. જ્યારે પણ ગુસ્સા પર કાબૂ ન રહે તો એ મંત્રનો જાપ કરવો. કબૂલ છે?”

મેં પણ બે હાથ જોડીને કહ્યું, “કબૂલ છે ગુરુદેવ! હવે આપ કૃપા કરીને મંત્ર આપો.”

“જ્યારે પણ લાગે કે, ક્રોધ આવવાની શરૂઆત થઈ રહી છે કે તરત જ મનમાં ‘ઓમ શાંતિ, ઓમ શાંતિ’ મંત્રનું રટણ ચાલુ કરી દેવું. હમણાં આ ઉપચાર ફક્ત બે દિવસ માટે કરવાનો છે. પ્રયોગ સફળ થાય તો પછી આ જ દવા લાંબો સમય માટે લેવી.”

હું હસી પડી. મેં કહ્યું, “જેવી આજ્ઞા ગુરુદેવ, આ ઉપાય તો સાવ સરળ છે. એનું પાલન કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે.”

પહેલે દિવસે તો કોઈ તકલીફ ન પડી. સૌને લાગ્યું કે એક જ દિવસમાં મારું હૃદયપરિવર્તન થઈ ગયું. બીજે દિવસે રવિવાર હતો. જમી પરવારીને મેં બપોરે પથારીમાં લંબાવ્યું. થોડીવારમાં  ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. ત્યાં મને સંભળાયું, “મમ્મી .. થોડીવાર પછી ફરીથી સોનુનો અવાજ સંભળાયો, મમ્મી .. બહુ ભૂખ લાગી છે. જરા મેગી બનાવી આપને!”

મને ભયંકર ગુસ્સો આવ્યો. ‘શરમ નથી આવતી આવડા મોટા છોકરાને, એની માને ઊંઘમાંથી ઉઠાડીને મેગી બનાવવાનું કહે છે? હમણાં એને સીધો કરું.’ આમ વિચારતાં આંખ ખૂલી એ ભેગી મારી પ્રતિજ્ઞા યાદ આવી. વોશ બેસીનનો નળ ખોલીને આંખ પર પાણીની છાલક મારી ને રસોડામાં જઈ, મેગી બનાવી. પ્લેટમાં કાઢીને ડાયનીંગ ટેબલ પર મૂકી. ત્યાં તો સોનુ આવીને મને વળગી પડ્યો અને કહ્યું, “મારે કંઈ મેગી નહોતી ખાવી, પણ આજે બીજો દિવસ છે ને એટલે તારી ચકાસણી કરવી હતી.”

ત્યાં તો બાજુના રૂમમાંથી મોનુ અને હરીશ બોલતાં બોલતાં આવ્યા – ‘ઓમ શાંતિ, ઓમ શાંતિ’ ને અમે ચારે ખડખડાટ હસી પડ્યાં.

(ભગવાન અટલાનીની સિંધી વાર્તાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 જાન્યુઆરી 2025; પૃ. 24 

Loading

બાદશાહ ખાન અને નારાયણભાઈ દેસાઈની મુલાકાત

પ્રેષક : હિદાયત પરમાર|Gandhiana|20 January 2025

‘તમારી તબિયત કેવી છે ?’ – આ સવાલ ત્રણ દિવસની મુલાકાત દરમિયાન જેટલી વાર પૂછ્યો એટલી વાર ઉત્તર ન મળ્યો. પહેલી વાર તો મારો સવાલ પૂરો થાય તે પહેલાં જ તેઓ પૂછી બેઠા – ‘વિનોબા સાહેબની તબિયત કેવી છે ?’

ઉત્તર દેતી વખતે મારે મારું ગળું સાફ કરવું પડ્યું. અને પછી એ દિવસની બેઠક ચાલી પૂરા છ કલાક. બેઠક દરમિયાન આપવીતીનો એક વાર પણ ઉલ્લેખ નહીં. દર્દ વ્યક્ત થઈ રહ્યું હતું, પણ તે વધારે ભારતની સ્થિતિ અંગે, ધર્મના નામે ચાલી રહેલ ઢોંગ અંગે અને રાજનૈતિક અધઃપતન અંગે.

મારા આવતા પહેલાં એક યુવક એમની પાસે બેઠો હતો. તેના વિશે કહ્યું – ‘આ મારો પડોશી છે. મને કહી રહ્યો હતો કે અરબસ્તાન જવું છે. મેં તેને કહ્યું કે અસલી ઘર્મ હજ કરવામાં નથી, પણ ખુદાની સૃષ્ટિની સેવા કરવામાં છે. ઘર્મે તો આજે લોકોને અંધકારમાં નાખી રાખ્યા છે. ધર્મ રહ્યો ક્યાં ? અમેરિકા ખ્રિસ્તી દેશ છે. ઈશુએ તો કહેલું કે એક ગાલ પર કોઈ મારે તો બીજો ગાલ તેની સામે ધરવો. પરંતુ અમેરિકા વિયેતનામ સાથે કેવો વર્તાવ કરી રહ્યું છે ? શું હિંદસ્તાન, શું પાકિસ્તાન, શું અમેરિકા, ક્યાં ય પ્રેમ જોવા નથી મળતો. સર્વત્ર હિંસા છે, દ્વેષ છે. અને જ્યાં દ્વેષ છે, ત્યાં ધર્મ ટકી નથી શકતો. ધર્મ તો સેવા કરવામાં છે. સેવા માટે નિઃસ્વાર્થી માણસો ઊભા થવા જોઈએ.’

ઓક્ટોબર ૧૯૬૯માં ભારત આવતાં સ્વાગત કરતાં પ્રધાન મંત્રી ઇંદિરા ગાંધી અને જયપ્રકાશ નારાયણ.

પોતાના ભારત આવવા અંગે બોલ્યા : ‘હું તો ગાંધી શતાબ્દી છે એટલા માટે ત્યાં આવવાનો છું. મારે ત્યાં કોઈ રાજનીતિ ડહોળવી નથી. મારે ત્યાં કોઈ ઉપદેશ આપવો નથી, કાંઈ શીખવવું નથી. લોકો લખે છે કે તમે આવો અને અમને દોરવણી આપો, અમને બોધ આપો. પરંતુ જ્યારે તમે લોકોએ ગાંધીજીની દોરવણી ન માની અને એમનું માગદર્શન ન સ્વીકાર્યું, ત્યારે મારી તે શી વિસાત ? હું તો ખિદમતગાર છું.’

દેશ-દેશ વચ્ચેની હિંસાની વાત છોડી દઈએ, તોયે દેશની અંદર શું થઈ રહ્યું છે ? તેલંગણામાં કેવી હિંસા થઈ ! એક જ દેશના લોકો, કાંઈ દેશથી જુદા થવાની માગણી તો નથી કરતા, એમને તો કેવળ પોતાનું રાજ જોઈએ છે. પણ તેની પાછળ કેટલી બધી હિંસા થઈ ગઈ ! એક બાજુ ગાંધી શતાબ્દી ઊજવાઈ રહી છે અને બીજી બાજુ દેશમાં આવી હિંસા થઈ રહી છે !’

‘અરે, દારૂની જ વાત લો ને ! તને તો કદાચ ખબર હશે કે અમારા સરહદ પ્રાંતમાં દારૂબંધી કરવા માટે લોકોએ કેટલી બધી કુરબાનીઓ કરેલી ! ચારસદ્દામાં પિકેટિંગ ચાલી રહ્યું હતું. અંગ્રેજ સરકારે યુવક ખિદમતગારોને પકડ્યા. એમને નાગા કરીને એમનાં મર્મસ્થળો પર દોરડાં બાંધી એમને સતાવ્યા. કેટલા ય તો તેમાં પોતાનું પુરુષત્વ ખોઈ બેઠા. આઝાદી પહેલાં કેટલાં કષ્ટ લોકોએ દારૂને કાઢવા માટે સહન કરેલાં ! અને હવે સ્વરાજની સરકારો દારૂને છૂટ દઈ રહી છે, અને તે પણ ગાંધી શતાબ્દી વરસમાં !’

એક લાખના’ એવોર્ડ’ અને એંશી લાખની થેલી બાબતમાં કહ્યું – “તેની મને પરવા નથી. હું તો ફકીર છું. મને પૈસા સાથે શી નિસ્બત ? મને તો કરોડો મળતા હતા, તે મેં છોડી દીધા. મારે તો ગાંધી શતાબ્દી નિમિત્તે દેશમાં આવવું છે. મારા માટે ત્યાં આલીશાન મકાનમાં ઉતારવાની વ્યવસ્થા ન કરતા, મારે રાષ્ટ્રપતિ ભવનમાં નથી ઊતરવું. મારે તો જનતાની વચ્ચે રહેવું છે.’

સરકારમાં સારા લોકોએ આવવું જોઈએ, એમ તેઓને વારંવાર ભારપૂર્વક કહેતા એવા લોકો કઈ રીતે તૈયાર થઈ શકે ?’

એમણે કહ્યું – ‘તે માટે ગામેગામ જઈ લોકોને એમની ભાષામાં સમજાવવું નથી. એમની સામે આપણી વિદ્વત્તા દેખાડવાની જરૂર નથી. મૌલવી લોકો સામાન્ય જનતા સમક્ષ પોતાની વિદ્વત્તા દેખાડવાની કોશિશ કરતા રહે છે. પણ તેનાથી લોકોની સેવા નથી થતી, લોકોની સેવા તો ગામેગામ અને ઘરેઘર જઈને સમજાવવાથી થાય છે, અને એમનામાંથી જ આખરે સાચા લોકો બહાર આવશે, અને એવા સાચા લોકોના હાથમાં સરકાર આવવાથી જ સવાલનો ઉકેલ આવશે.’

અત્યારે અફઘાનિસ્તાનમાં પણ બાદશાહખાં આ જ કામ કરી રહ્યા છે. ગામેગામ એ વાત સરળ ભાષામાં સમજાવે છે. ખાસ કરીને શુક્રવારની નમાજ વખતે તેઓ મસ્જિદોમાં જાય છે. કહેતા હતા કે ‘આ પણ એક પ્રકારની પાર્લમેન્ટ જ છે, લોકસભા જ છે. પહેલાં લોકો અહીં કાંઈ પણ વાત કરતાં ડરતા હતા, હવે ધીરે ધારે નીડરતા આવતી જાય છે. અહીં પણ કેટલાંક એવાં તત્ત્વો છે, જેમને દેશમાં રાજકીય જાગૃતિ આવે તે પસંદ નથી. પરંતુ મારા કામને સરકારનું પૂર્ણ સમર્થન છે.’

કાબૂલની એક નાનકડી સભામાં હુંયે ગયેલો. એક નવા અખબાર ‘અફઘાન જનતા’નો આરંભ થઈ રહ્યો હતો. તેમાં આશીર્વાદ આપવા સારુ બાદશાહ ખાનને બોલાવેલા, પૂશ્તુ ભાષા સમજતો ન હોવા છતાં તેમાં જવા હું ઉત્સુક હતો. એક મકાનમાં વીસ-પચીસ ખુરસી નાખી સભાનું આયોજન કરવામાં આવેલું. બાદશાહખાં ખુરસી પર બેઠા બેઠા જ વાતચીતના ઢબે બોલ્યા. એમના અવાજમાં આરોહ-અવરોહ નહોતો. ભાષણ જેવું તો તે લાગતું જ નહોતું. પરંતુ સાંભળનારાઓની આંખો પરથી એમ લાગતું કે જાણે તેઓ એક એક શબ્દ પી રહ્યા છે. એ વાતચીતમાં એક શબ્દ આવ્યો હતો, अहम तशद्दुद અર્થાત અહિંસા. એટલે બીજે દિવસે મેં એમને પૂછ્યું, ‘તમે અહિંસા વિશે ત્યાં શું કહ્યું હતું?’ 

ત્યારે બોલ્યા -’ ના, એ તો કાંઈ નહીં. એક દાખલો આપી રહ્યો હતો. મેં એ લોકોને કહ્યું કે આઝાદીની લડત દરમિયાન કેટલાક લોકો મારી પાસે આવીને કહેતા કે અમને અહિંસામાં વિશ્વાસ નથી, પણ અમારે આઝાદીની લડત લડવી છે, તો હું એમને કહેતો કે તમે તમારી ઢબે લડો, મારે તમારી સામે કોઈ ફરિયાદ નથી. આ તો મેં એક ઉદાહરણ રૂપે કહ્યું હતું. હું એમને કહી એ રહ્યો હતો કે અખબારનો ઉપયોગ એકબીજા સાથે વાદ-વિવાદ અને તકરાર કરવામાં ન કરવો.વાદવિવાદ કરવાથી જનતાની સેવા નથી થતી. તમે જેમાં માનતા હો, તે ઇમાનદારીથી લખતા રહો. બીજા અલગ વિચારના હશે તો તેઓ પોતાની ઢબે લખશે. પણ તમે એમની સાથે જીભાજોડી કરવામાં ન પડતા.’

છાપાની વાત નીકળી એટલે બોલ્યા -‘છાપાવાળા મારા આવવા વિશે જાતજાતની અટકળો કરીને કાંઈ ને કાંઈ લખે છે. તેનો ઊલટો પ્રચાર પાકિસ્તાનમાં થાય છે. પરંતુ આટલી સરળ વાત એમની સમજમાં કેમ નથી આવતી કે હું ત્યાં કોઈ રાજનીતિની ખટપટ કરવા નથી આવતો, હું તો ગાંધી શતાબ્દી માટે આવી રહ્યો છું. મારો દીકરો વલી અહીં આવ્યો, તો છાપાંવાળાઓએ કહ્યું કે તેને પાકિસ્તાનવાળાઓએ મોકલ્યો છે. પાકિસ્તાનવાળાઓએ કહ્યું કે એ તો ઇન્દિરાને મળવા અહીં આવ્યો હતો. એ બિચારાની આંખો ખરાબ રહે છે, તે દેખાડવા સારુ તેને યુરોપ જવું હતું. છ વરસથી તેને પાકિસ્તાનમાંથી નીકળવાની રજા નહોતી મળતી, હમણાં મળી, એટલે યુરોપ જતી વખતે રસ્તામાં પોતાના બાપને મળવા આવ્યા. તેમાં આટલી બધી અટકળબાજી ?’

મેં કહ્યું, “બધા પોતપોતાનાં ચશ્માંથી દુનિયાને જુએ છે.’

એમની વિદાય લેતી વખતે મેં પણ અહીંના એમના અનુયાયીઓની જેમ એમની તરફ ઝૂકીને હાથ મિલાવી તેના પર ચુંબન કર્યું. એમણે મને બાથમાં લઈને મારા ગાલે ચૂમી કરી. મેં કહ્યું, ‘હવે તો હિંદુસ્તાનમાં મળીશું.’ એમણે કહ્યું, ‘અગર જિન્દગી…..!’

સંદર્ભ : 

સર્વોદય અગ્રણી નારાયણભાઈ દેસાઈ બાદશાહ ખાનને મળવા કાબૂલ ગયા. ત્રણ દિવસ રહ્યા. એમની મુલાકાતની નોંધ (“ભૂમિપુત્ર”; તા. 26 સપ્ટેમ્બર 1969) 
સૌજન્ય : હિદાયતભાઈ પરમારની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...467468469470...480490500...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved