Opinion Magazine
Number of visits: 9844052
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દલિત અધિકારોના વિસ્મૃત લડવૈયા : જોગેન્દ્રનાથ  મંડલ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|6 February 2025

ચંદુ મહેરિયા

બાબાસાહેબ ડો. આંબેડકરના સાથી, પકિસ્તાનના પહેલા કાયદા મંત્રી અને દલિતોના અધિકારો માટે આજીવન સંઘર્ષરત જોગેન્દ્રનાથ મંડલ (જન્મ : ૨૯મી જાન્યુઆરી ૧૯૦૪ — અવસાન : ૫મી ઓકટોબર ૧૯૬૮) જીવનના અંતિમ વરસોમાં જ ભૂલાવા માંડેલા. ચોસઠ વરસની વયે તેમણે એક વિસ્મૃત નાયક તરીકે આ દુનિયાની વિદાય લીધી હતી. પૂર્વી બંગાળના દલિતોના હિત માટે મંડલે ભારતના વિભાજન પછી પાકિસ્તાનમાં રહેવાની પસંદગી કરી હતી તે નિર્ણય ખોટો પડ્યો. પાકિસ્તાનની બંધારણસભાના સભ્ય અને બંધારણસભાની પહેલી બેઠકના અધ્યક્ષ રહી ચૂકેલા મંડલ ભારતમાં મહાપ્રાણ (મહાન વ્યક્તિ) મટી ‘ભારતીય પાકિસ્તાની’ નાગરિકની ઓળખ પામ્યા હતા. તો પાકિસ્તાને તેમને વિશ્વાસઘાતી, જુઠ્ઠા અને કાયર કહ્યા હતા. પાકિસ્તાનથી મોહભંગ થતાં તેઓ પાકિસ્તાન છોડી ભારત પરત ફર્યા પણ અહીં લોકોનો વિશ્વાસ પુન: સંપાદિત ન કરી શક્યા તેથી. રાજકીય અસ્પૃશ્ય અને ગુમનામ નાયક બની જીવ્યા.  

વર્તમાન બાંગ્લાદેશ અને તત્કાલીન બ્રિટિશ ભારતના પૂર્વી બંગાળના બારીસાલ જિલ્લાના એક નાના ગામમાં તેમનો જન્મ થયો હતો. દલિતોમાં દલિત એવી નામશૂદ્ર જ્ઞાતિના ખેતમજૂર પરિવારમાં જન્મેલા જોગેન્દ્રનાથ ૧૯૩૨માં જિલ્લા મથક બારીસાલની કોલેજમાંથી સ્નાતક થયા અને પછી કલકત્તાની લો કોલેજમાંથી એલ.એલબી. કર્યું હતું. પરંતુ કોલેજકાળથી જ તેમનો ઝોક જાહેર કાર્યો તરફ હતો. એટલે ના તો એમણે વકીલાત કરી કે ના તો સરકારી નોકરી. મહાદલિત એવા નામશૂદ્રો અને અન્ય શોષિતોના સવાલો ઉકેલવા મથવું એ જ એમનું જાહેર કાર્ય અને વ્યવસાય બન્યા હતા.

જોગેન્દ્રનાથ મંડલ

જોગેન્દ્રનાથ મંડલની સંસદીય કારકીર્દિનો આરંભ બહુ જ શાનદાર હતો. ૧૯૩૫ના ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ અનુસાર દેશમાં પ્રાંતિક સ્વરાજ આવ્યું ત્યારે બંગાળ વિધાનસભાની સામાન્ય બેઠક પર કાઁગ્રેસના ઉમેદવારને હરાવીને તેઓ જીત્યા હતા. ભાગલા પૂર્વેની બંગાળની સરકાર અને વચગાળાની કેન્દ્ર સરકારમાં ૧૯૩૭થી ૪૬ અને પાકિસ્તાનની પહેલી સરકારમાં ૧૯૪૭થી ૫૦ તેઓ મંત્રી હતા. મહંમદ અલી ઝીણાના પ્રીતિપાત્ર હોવાના કારણે ભારતની વચગાળાની સરકારમાં મુસ્લિમ લીગના ક્વોટામાંથી ઝીણાએ મંડલની કેબિનેટ મિનિસ્ટ્રર તરીકે પસંદગી કરી હતી. કાયદો, ન્યાય, સહકાર, શ્રમ અને કશ્મીર જેવા મંત્રાલયોનું કામ તેમના શિરે ભારત અને પાકિસ્તાનની કેન્દ્ર સરકારોમાં અને બંગાળની રાજ્ય સરકારમાં નિભાવવાનું આવ્યું હતું.

ડો. બાબાસાહેબ આંબેડકર, નેતાજી સુભાષચન્દ્ર બોઝ અને કાયદે આઝમ મહંમદ અલી ઝીણા સાથે મંડલના ઘનિષ્ઠ સંબંધો હતા. યુવા વયથી જ તેઓ નેતાજીથી બહુ પ્રભાવિત હતા. નેતાજીને કાઁગ્રેસે પક્ષમાંથી દૂર કર્યા પછી તેઓ મુસ્લિમ લીગ તરફ ખેંચાયા હતા. સુભાષબાબુએ મંડલને “મધુર વ્યવહાર, અડગ દૃઢ સંકલ્પ અને સેવા પ્રત્યેની અન્યય ભક્તિ ધરાવતી વ્યક્તિ”  ગણાવ્યા હતા. ડો. આંબેડકર અને જોગેન્દ્રનાથની મિત્રતા દીર્ઘ અને અતૂટ હતી. ૧૯૪૨માં તેઓ પ્રથમ વખત મળ્યા હતા. ડો. આંબેડકર સ્થાપિત “ઓલ ઇન્ડિયા શેડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશન”ની બંગાળ શાખાના તેઓ પ્રમુખ હતા. ૧૯૪૬માં તેઓ ફેડરેશનના ઉમેદવાર તરીકે બંગાળ વિધાનસભામાં ચૂંટાયા હતા. ડો. આંબેડકરને માટે બંધારણ સભામાં પ્રવેશવું અનિવાર્ય હતું. પણ ચૂંટાવું મુશ્કેલ હતું. ત્યારે મંડલે  બંગાળમાંથી બંધારણસભામાં તેમના પ્રવેશનો કઠિન માર્ગ સરળ કરી આપ્યો હતો. મંડલ અને આંબેડકરના વિચારોમા ભિન્નતા આવી ત્યારે પણ બંનેએ દોસ્તી ટકાવીને એકબીજાના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. 

વિભાજન પછી પાકિસ્તાન સાથે જોડાયેલા જોગેન્દ્રનાથ મંડલ માટે દલિતોનું હિત સર્વોપરી હતું. એટલે જ તેમણે પાકિસ્તાન જવાનો નિર્ણય લીધો હતો કે તે લેવા તેમને મજબૂર કરાયા હતા. બંગાળ વિધાનસભામાં જ્યારે કોઈ એક પક્ષને બહુમતી ન મળી ત્યારે ગઠબંધન સરકાર રચવી પડી હતી. આમ તો મંડલ એકલા જ ચૂંટાયા હતા. પરંતુ તેમણે દલિત ધારાસભ્યોનું જૂથ બનાવ્યું હતું. તેના સમર્થન સિવાય સરકાર રચવી મુશ્કેલ હતી. મંડલે સમર્થન માટે ત્રણ દલિતા ધારાસભ્યોને પ્રધાનપદ, ત્રણને સંસદીય સચિવ પદ, દલિત   વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ અને સ્કોલરશીપ તથા વસ્તી મુજબ અનામતની માંગણી કરી હતી. હિંદુ નેતાઓને તે માંગ સ્વીકાર્ય નહોતી પરંતુ મુસ્લિમ નેતાઓને મંજૂર હતી. એટલે મંડલે મુસ્લિમ લીગને સાથ આપવાનું નક્કી કર્યું હતું. શાયદ આ જ અનુભવે તેઓ પાકિસ્તાન તરફ પણ ખેંચાયા હતા. પાકિસ્તાનની પસંદગી સંદર્ભે તેમણે કહ્યું હતું કે તેમને ગાંધી નહેરુના ભારત કરતાં ઝીણાના પાકિસ્તાનમાં દલિતોના હિતને વધુ મહત્ત્વ મળશે તેમ લાગે છે. વળી, મુસ્લિમોને એક લઘુમતી તરીકે તેમના અધિકારો માટે ભારતમાં જે સંઘર્ષ કરવો પડ્યો છે તે  તેઓ તેમના દેશની દલિત લઘુમતીને નહીં કરવા દે અને તેમનું વલણ વધુ ઉદાર અને ન્યાયી  હશે તેમ માનીને તેમણે દલિત મુસ્લિમ એકતામાં ભરોસો મૂક્યો હતો.

૧૯૪૮માં ઝીણાના અવસાન પછીના પાકિસ્તાનના શાસકોને મંડલની પાકિસ્તાન પ્રત્યેની દેશભક્તિ પર શંકા રહેતી હતી. પ્રધાનમંડળના ઘણાં ગોપનીય નિર્ણયો મંડલથી છુપાવવામાં આવતા હતા. ઘણા નિર્ણયોની તેમને મોડેથી અને બહારથી જાણ થતી હતી. આ બધી બાબતોથી તેમ જ દલિતોની હાલતથી તેમને ચિંતા થઈ હતી. એટલે ૧૯૫૦માં તેઓ ભારત આવતા રહ્યા અને અહીંથી જ તેમણે પ્રધાન પદનું રાજીનામું પાકિસ્તાનના વડા પ્રધાનને મોકલી આપ્યું હતું. રાજીનામાના પત્રમા મંડલે પાકિસ્તાન સરકારની સાંપ્રદાયિક અને દલિત વિરોધી નીતિઓને કારણે તેમણે આ નિર્ણય કર્યાનું સ્પષ્ટ જણાવ્યું હતું. પાકિસ્તાનની સરકાર અને પોલીસના સાથથી લઘુમતી દલિતોને રંજાડવામાં આવતા હોવાનું અને હિંસા થતી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. 

વિભાજન પૂર્વેના બંગાળની કુલ આશરે ૫ કરોડની વસ્તીમાં ૨ કરોડ ૮૦ લાખ મુસ્લિમો અને ૨ કરોડ ૨૦ લાખ હિંદુઓ હતા. હિંદુઓમાં ૮૦ લાખ દલિતો હતા અને ૮૦ લાખ દલિતોમાં ૩૫ લાખ મંડલના જાતભાઈઓ એવા નામશૂદ્રો હતા. મુસ્લિમ બહુલ પૂર્વી બંગાળમાં વસતા નામશૂદ્રોના હિતમાં તેમણે પાકિસ્તાનનો વિકલ્પ પસંદ કર્યો હતો. પરંતુ ઝીણાના અવસાન પછીના શાસકોએ તેમને ખોટા ઠેરવ્યા હતા. આ સંદર્ભમાં ગજલ આસિફના પીએચ.ડી. થીસિસ “મંડલ એન્ડ પોલિટિકસ ઓફ દલિત રેકગ્નિશન ઈન પાકિસ્તાન”નું એક મૂલ્યાંકન પણ નોંધપાત્ર છે કે જોગેન્દ્રનાથ મંડલે પાકિસ્તાનના નિર્માણમાં દલિતોની આઝાદીનું સ્વપ્ન સાકાર થતું જોયું હતું. પરંતુ તેઓ પાકિસ્તાનની લઘુમતી એવા હિંદુઓને એક સમાન માની બેઠા હતા. તેમની વચ્ચેનો ભેદ તેઓ સમજ્યા નહોતા. લઘુમતી હિંદુઓમાં કથિત ઉચ્ચ જ્ઞાતિના હિંદુઓ અને દલિતો વચ્ચેના અંતરને સમજવામાં મંડલે થાપ ખાધી હતી. તેથી તેમનું દલિત મુસ્લિમ ભાઈચારાનું સપનું રોળાઈ ગયું હતું. 

દલિતો માટે ગુણવતાયુક્ત શિક્ષણ અને ન્યાયતંત્ર, અર્થતંત્ર, રાજકારણ, શિક્ષણથી માંડીને સહકારી ક્ષેત્ર એમ તમામમાં દલિતોનું પર્યાપ્ત પ્રતિનિધિત્વ એ મંડલના દલિત અધિકારો માટેના સંઘર્ષના મુખ્ય મુદ્દા હતા. તે માટે તેઓ આજીવન ઝઝૂમ્યા હતા. ભારત પરત આવીને તેઓ શરણાર્થીઓના અધિકારો માટે કાર્યરત રહ્યા. ૧૯૫૦ પછી તેઓ ચાર ચૂંટણીઓ લડ્યા પણ એકેય જીતી શક્યા નહીં કેમ કે તેમનો જનાધાર રહ્યો નહોતો. સત્તા સિવાય તેઓ દલિતોના સવાલો સતત ઉઠાવતા રહ્યા. તેઓ માત્ર પૂર્વી બંગાળના જ દલિત નેતા નહોતા. આખા દેશની દલિત ચળવળ સાથે જોડાયેલા રહેતા હતા. ૧૯૬૪માં અમદાવાદમાં ભરાયેલા આંબેડકરવાદીઓના અધિવેશનમાં પણ તેઓ ઉપસ્થિત રહ્યા હતા. 

જોગેન્દ્રનાથ મંડલના જન્મનાં લગભગ ૧૨૦ વરસો અને નિર્વાણનાં ૫૫ વરસો પછી આજે તેમના જીવનકાર્યોનું મૂલ્યાંકન કરીએ ત્યારે તત્કાલીન સમય સંદર્ભે તેમના નિર્ણયોને તપાસવા જોઈએ, નહીં કે આજના સમય સંદર્ભે. તો જ તેમને ઉચિત ન્યાય કરી શકાશે અને આધુનિક દલિત ઇતિહાસના નિર્માતા તરીકેના તેમના પ્રદાનને સમજી શકાશે. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

ગાંધી એટલે શું ?

આશિષ નંદી|Gandhiana|6 February 2025

આશિષ નંદી

સામે બેઠેલી વિદ્યાર્થિનીઓને અને સૌને શરૂમાં જ કહી દઉં કે કોઈ ડાહી ડાહી સલાહો ને સદુપદેશના ખયાલથી નથી આવ્યો. મારે તો તમારી સાથે સંવાદ સાધવો છે. એટલે એ માટે ઉપયોગી થઈ પડે એ રીતે આપણા સમયમાં મને ગાંધી એટલે શું એનો જે અર્થ સમજાય છે તેની થોડી વાત કરીશ. વળી એ પણ શરૂમાં જ કહી દઉં કે સંવાદની આ કોશિશમાં હું ‘મહાત્મા’ કે ‘ગાંધીજી’ નહીં કહેતા ‘ગાંધી’ કહીને જ વાત કરીશ. કોઈને મહાત્માં બનાવી ઊંચે પધરાવતા (ખરું જોતા અભરાઈએ ચડાવી દેવા) અને આ તો ભૈ આપણું કામ નહીં એમ છડા ને છૂટા રહેવું એ આપણી ભારતીય પરંપરા છે. એમાં નહીં ખેંચાતાં હું તો ‘ગાંધી’ની વાત કરીશ જેથી સલામત અંતરનો સવાલ ન રહે.

આજે 30મી જાન્યુઆરી છે. દેશમાં જો કે બીજી ઑક્ટોબરે જાહેર રજાનો અને ઉત્સવનો માહોલ હોય છે. પણ હું 30મી જાન્યુઆરીને બીજી ઑક્ટોબર કરતાં વધુ મહત્ત્વ આપું છું. મારે મતે એ ઉજવણીનો દિવસ છે તે એટલા માટે નહીં કે ગાંધી મરીને અમર થઈ ગયા. એમ તો આપણાં પુરાણોમાં સાત અમર લોકોની વાત આવે જ છે ને − જેમ કે અશ્વત્થામા વગેરે. પણ 30મી જાન્યુઆરીએ ગાંધીએ મૃત્યુ પર વિજય મેળવ્યો. એ મૃત્યંજય થઈ ગયા. જીવતા રહીને ન કરી શક્યા તે મૃત્યુ દ્વારા કર્યું.

તમે જાણો છો કે ગાંધી ગોડસે થકી ગોળીએ દેવાયા હતા. એક રીતે એમની મૃત્યંજય અપીલમાં ગોડસેનો હિસ્સો પણ છે. 30મી જાન્યુઆરીની ઘટના સાથે ગોડસે જાણે કે મૃત્યુંજય ગાંધીનો સાથી (અકૉમ્પ્લિસ) બને છે. કારણ, બંને બે જુદા ભારતની શક્યતાઓ ને સંભાવનાઓ લઈને આપણી સામે અને આપણામાં આવે છે. બે જુદી જ વિશ્વદૃષ્ટિઓ છે. તમે કેવું ભારત ઈચ્છો છો અને કેવું ભારત નથી ઇચ્છતા, એને લગતા આ બે સંવાદો છે એમ પણ કહી શકાય.

અહીં મને કન્નડ લેખક પ્રસન્નની ગાંધી આસપાસની એક રચનાનું સ્મરણ થાય છે. એમાંનું બીજું દરેકે દરેક પાત્ર થોડી થોડી વાર માટે ગોડસે બની જાય છે. એટલે ગાંધી અને ગોડસે બેઉ આપણી અંદર પડેલી સંભાવનાઓ (પોટેન્શયલ વિધિન) છે. તો, ગાંધીએ એક રીતે જે મૃત્યુ વહોરેલું હતું, પોતે ગોળીએ દેવાતા હોય ત્યારે ય રામનામ લેતા હોય એવો મૃત્યુંજયી અભિગમ એમનો હતો. એમના એ પ્રકારના મૃત્યુએ, કહો કે ઈચ્છામૃત્યુએ, જે સમજસંજોગ અને પડકાર સર્જ્યો તે એ કે બેમાંથી કોને બહાર આવવા દેવું તે આપણા હાથમાં છે.

વારુ, તમે જાણો છો કે ગાંધીએ પહેલો સત્યાગ્રહ અહીં નહીં પણ દક્ષિણ આફ્રિકાની ભૂમિ ઉપર કર્યો હતો − 1906ના સપ્ટેમ્બરની 11મીએ. આ જ તારીખ, નાઈન ઇલેવન, 2001માં અમેરિકાનાં ટ્વિન ટાવર્સ ધ્વસ્ત થયાં તેની પણ તારીખ છે. આ ઘટના જોડે સાંકળવામાં આવતા લોકો પઠાણ છે, જેમણે લાદેનને રક્ષણ આપ્યું છે. હવે તમે જુઓ કે ગાંધીએ કહ્યું છે કે પઠાણો સ્વાતંત્ર્યસંગ્રામમાં મળેલા શ્રેષ્ઠ સત્યાગ્રહીઓ હતા. બ્રિટિશ શાસને આ પઠાણો ઉપર જુલમ કરવામાં પાછું વળીને તો જોયું જ નહોતું, કેમ કે એમને તો હજુ અફઘાન યુદ્ધનાં સંભારણાં તાજાં હતાં. પણ પઠાણોએ સત્યાગ્રહીની મર્યાદા છોડી નહોતી. આ પઠાણોના નેતા, ગાંધીના મિત્ર, બાદશાહ ખાન હતા, ખાન અબ્દુલગફાર ખાન. ગમે તેમ પણ, પઠાણ અને પઠાણની આ સહોપસ્થિતિ વાટે હું દર્શાવવા એ માગું છું કે મૃત્યંજય ગાંધીએ આપણને કહ્યું કે આપણે પસંદગી કરવાની છે કે શું જોઈએ છે − કોઈ વ્યક્તિ, કોઈ સમુદાય એ ‘ક્લોઝ સિસ્ટમ’ નથી.

ગાંધી ઘટનાને આ રીતે જોઈએ ત્યારે ગાંધી એક ઐતિહાસિક વ્યક્તિ ન રહેતાં આપણામાંની સંભાવના રૂપે સમજાય છે અને એક વ્યક્તિને બદલે વધુ તો સામાજિક અને રાજકીય બળ રૂપે સામે આવે છે. મને સાંભરે છે, એક ચર્ચામાં મારા મિત્ર રામુ ગાંધી (મો.ક. ગાંધીના પૌત્ર ફિલસૂફ રામચંદ્ર ગાંધી) એમના દાદાને આ દેશની સંત પરંપરામાં મૂકીને વાત કરતા ત્યારે કવિ ઉમાશંકર તીવ્રતાથી દરમ્યાન થયા હતા અને એમણે કહ્યું હતું કે સંતો તો આપણે ત્યાં જોઈએ એટલા હતા. આ માણસ તો સમાજ અને જગત સાથે સીધું કામ પાડતો સત્યાગ્રહી અને રાજકારણી હતો. આ ચર્ચાના સંદર્ભમાં મારે તમને કહેવું જોઈએ કે બધા આઈન્સ્ટાઈનની એ અંજલિ પર ભલે વારી જતા હોય કે ભવિષ્યમાં  કોઈ માનશે નહીં કે આવો કોઈ હાડચામનો માણસ આપણી વચ્ચે હતો; પણ મને તો ઇતિહાસાચાર્ય ટોયન્બીની એ મતલબની અંજલિ ગમે છે કે હવે ગાંધીપગલે લોકો પીરપયંગંબરોને પૂછશે કે રાજકારણની ગંદી ચાલોમાં તમે જવા-રહેવા તત્પર છો કે કેમ ?

વ્યાપક રાજકીય નિસબતવાળા આ ગાંધીને બથમાં લેવાની, બાથ ભીડવાની, આત્મસાત્‌ કરવાની આપણી અશક્તિને કારણેસ્તો ગુજરાત સહિત ભારત સમસ્તમાં આજે ગાંધીવિચારનો પ્રભાવ વરતાતો નથી. તમે જુઓ, આજની દુનિયાના ત્રણ જે જીવતાજ્યોત ગાંધીજનો છે (તેઓ એ નામથી ઓળખાતા હોય કે નહીં અને ઓળખાવું પસંદ કરતા હોય કે નહીં) એ તો નેલ્સન મંડેલા, દલાઈ લામા અને ઓંગ સાન સૂ ચી છે, ન કોઈ ભારતીય ન કોઈ હિંદુ ન કોઈ ગુજરાતી.

આ માણસને કોઈ માળખામાં કે પાલખામાં બેસાડવામાં માલ નથી. મારે નવું કશું કહેવાનું નથી, સત્ય અને અહિંસા તો પહાડ જેવાં પુરાણાં (as old as the hills) છે એમ કહેતે એ તમને સીધા સવાલો કરતો આવે છે. રોજ બ રોજ જાતને અને સમાજને પ્રશ્નો કરતી આ મૃત્યુંજયી પ્રતિભા તમને આજના કરતાં જુદું જીવન શક્ય છે કે કેમ તે વિચારવા વિવશ કરે છે.

આ તબક્કે મને પાટનગરી નવી દિલ્હીમાં ચાલતો એક વિવાદ સાંભરે છે કે ઇન્ડિયા ગેટના પેડેસ્ટલ (ઊંચી છત્રી) ઉપરથી પંચમ જ્યોર્જની પ્રતિમા હટાવી છે ત્યાં ગાંધીની મૂકવી જોઈએ. રાજાને સ્થાને આ માણસને બેસાડીને એની અવમાનના કરવાનું તો આપણને જ સૂઝે ! જરા તો વિચારો, આ તે ‘ફાધર ઑફ ધ નેશન’ છે કે ‘સ્ટેપ ફાધર’ ? આવો પ્રશ્ન પૂછું છું. કેમ કે આપણા દિલમાં ક્યાંક ગાંધીના ખૂનીના વિશ્વદર્શન માટે, રાજ્ય ને રાજકારણની એની સમજ માટે, સહાનુભૂતિ પડેલી છે. 

આ સહાનુભૂતિએસ્તો આપણને રાષ્ટૃ-રાજ્યવાદની દોટમાં ઉતાર્યા છે. કથિત સલામતીની શોધે આપણને વધુ ને વધુ બિનસલામતીની ભાવનાથી પીડાતા બનાવી દીધા છે. મોટા મોટા લશ્કરદાર દેશો આજે પોતાને અસુરક્ષિત અનુભવે છે, અને જે 14 દેશોએ લશ્કર સમૂળાં વિખેરી નાખ્યાં છે તે આપણા કરતાં ઓછી બિનસલામતી અનુભવતા હોય એવો ઘાટ છે. આ તો જો કે લાંબી ચર્ચાની બાબત છે, પણ સંવાદ સમેટતાં (અને જગવતાં) એટલું જ કહું કે વિશ્વ, સમાજ અને રાજ્ય પરત્વે જોવાની આપણી રીતિ જુદી હોવી જોઈએ એ મુદ્દો પકડાય તો સમજજો કે આપણે ગાંધીનો પડકાર ઝીલ્યો છે.

[ગાંધી આશ્રમ, અમદાવાદ ખાતે 30મી જાન્યુઆરીએ સવારે પ્રાર્થનામાં જે બોલાયું તેની નોંધમાંથી ટુંકાવીને. નોંધ : પ્રકાશ શાહ, “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2002]
સૌજન્ય : “અકાલ પુરુષ”; વર્ષ-3; અંક-5; જાન્યુઆરી 2025; પૃ. 06-07

Loading

આકાશદર્શન 

નવીન ગાંધી|Gandhiana|5 February 2025

નીચેના ૫ત્ર પરથી બાપુજી આકાશદર્શનમાં કેટલો ઊંડો રસ લઈ રહ્યા છે અને બીજાંઓને પણ એ રસમાં ભાગ લેવા કેવા આકર્ષી રહ્યા છે એનો ખ્યાલ આવશે :

ચિ. રમા,

તારાનો નકશો ઘણે ભાગે આ સાથે હશે. તે ઉપરથી ખબર પડશે.

આઠ વાગે સૂતાં સૂતાં માથા ઉપર પણ જરા પશ્ચિમે ને દક્ષિણે ચાર સુંદર તારા ને તેની વચ્ચે ત્રણ એવું નક્ષત્ર દેખાશે. તેનું નામ મૃગ. એની પૂર્વે ને દક્ષિણે બહુ ચળકતો તારો દેખાશે તે વ્યાધ છે. એને મોટો કૂતરો પણ કહે છે. એની જ લીટીમાં પણ ઉત્તરે નાનો કૂતરો છે, તે ઓછો ચળકે છે. મૃગની ઉત્તરે (આકૃતિ) આવું નક્ષત્ર છે તે મિથુન. તેની ઉપર (આકૃતિ) આવું છે. એને વેલનો અગ્ર ભાગ કહે છે. એમાં એક સુંદર લાલ તારો છે. તેની જ પડખે કૃતિકા નક્ષત્ર છે તે લોલક જેવું ઝગમગે છે. લંકા જેવો તેનો ઘાટ છે. વેલના અગ્ર ભાગની પૂર્વે બ્રહ્મહૃદય છે. આટલું ઓળખો પછી બીજું લખીશ આ તો સહેલું છે. તેમાં જેટલો રસ પૂરીએ તેટલો રસ પૂરાય. પણ આજે તો આટલો જ પૂરાય એમ છે.

26-3-33

બાપુના આશીર્વાદ.

અન્યત્ર બાપુ લખે છે :

આકાશનું સામાન્ય જ્ઞાન મેળવવાની ઊંડે ઊંડે ઈચ્છા તો ઘણી વાર થયેલી, પણ પાસે પડેલી પ્રવૃત્તિ મને એમાં ન ખૂંચવા દે એમ માન લીધું. એ માન્યતા વસ્તુત: ભલે ને ખોટી હોય, પણ મારું મન ભૂલ ન જુએ ત્યાં લગી મને તો તે માન્યતા પ્રતિબંધ કરે જ. 

’31ની સાલના જેલના છેલ્લા માસમાં એકાએક ધગશ થઈ. બાહ્યદૃષ્ટિએ જ્યાં સહેજે ઈશ્વર છે તેનું નિરીક્ષણ હું કેમ ન કરું? પશુની જેમ આંખ માત્ર જુએ, પણ જે જુએ તે વિશાળ દૃશ્ય જ્ઞાનતંતુ લગી ન પહોંચે એ કેવું દયાજનક? ઈશ્વરની મહાન લીલા નીરખવાની આ તક કેમ જવા દેવાય ? આમ આકાશની ઓળખ કરવાની જે તરસ લાગી તે હવે છિપાવી રહ્યો છું, અને એટલે લગી આવ્યો છું કે આશ્રમવાસીઓને મારા મનમાં ઊડતાં તરંગોના ભાગીદાર બનાવ્યા વિના ન જ ચાલે.

આપણને બચપણથી શીખવવામાં આવે છે કે આપણાં શરીર પૃથ્વી, પાણી, આકાશ, તેજ અને વાયુ નામનાં પંચમહાભૂતનાં બનેલાં છે. આ બધાં વિશે આપણને કંઈક જ્ઞાન તો હોવું જ જોઈએ. છતાં આ તત્ત્વો વિશે આપણને બહુ ઓછું જ્ઞાન હોય છે. અત્યારે તો આપણે આકાશ વિશે વિચારવાનું છે.

03 ફેબ્રુઆરી 2025

°°°

બાપુ આગળ લખે છે :

આકાશ એટલે અવકાશ. આપણા શરીરમાં અવકાશ ન હોય તો આપણે એક ક્ષણ પણ ન જીવી શકીએ. જેમ શરીરને વિષે તેમ જ જગતને વિષે સમજવું. પૃથ્વી અનંત આકાશથી વીંટળાયેલી છે. પૃથ્વીને છેડા છે. તે નક્કર ગોળો છે. તેની ધરી 7,900 માઈલ લાંબી છે. પણ આકાશ પોલું છે. તેની ધરી માનીએ તો તેને અંત નથી. આ અનંત અવકાશમાં પૃથ્વી એક રજકણસમ છે, ને તે રજકણ ઉપર આપણે તો તે રજકણનું પણ એવું એક તુચ્છ રજકણ છીએ કે તેની ગણતરી જ ન થઈ શકે. આમ શરીરરૂપે આપણે શૂન્ય છીએ એમ કહેવામાં જરા ય અતિશયોક્તિ કે અલ્પોક્તિ નથી. આપણા શરીરની સાથે સરખાવતાં કીડી-શરીર જેટલું તુચ્છ લાગે છે તેથી હજારોગણું પૃથ્વીની સાથે સરખાવતાં આપણું શરીર તુચ્છ છે. તેનો મોહ શો? તે પડે તો શોક શો?

આ શરીર આમ તુચ્છ હોવા છતાં તેની મોટી કિંમત છે; કેમ કે તે આત્માનું, અને સમજીએ તો પરમાત્માનું – સત્યનારાયણનું – નિવાસસ્થાન છે.

આ વિચાર જો આપણા હૃદયમાં ઘર કરે તો આપણે શરીરને વિકારનું ભાજન બનાવવાનુ ભૂલી જઈએ. પણ જો આકાશની સાથે આપણે ઓતપ્રોત થઈએ અને તેનો મહિમા સમજી આપણી અધિકાધિક તુચ્છતા સમજી લઈએ તો આપણો બધો મદ ઊતરી જાય. આકાશમાં જોવામાં આવતા અસંખ્ય દિવ્ય ગણો ન હોય તો આપણે ન હોઈએ.

ખગોળવેત્તાઓએ ઘણી શોધો કરી છે. છતાં આકાશ વિષેનું આપણું જ્ઞાન નહીંવત્ છે. જેટલું છે તે આ૫ણને સ્પષ્ટ રીતે બતાવે છે કે આકાશમાં સૂર્યનારાયણ એક દિવસને સારુ પણ પોતાની અતંદ્રિત તપશ્ચર્યા બંધ કરે તો આપણો નાશ થાય. તેમ જ ચંદ્ર પોતાનાં શીત કિરણો ખેંચી લે તો પણ આપણા એ જ હાલ થાય. અને અનુમાનથી આપણે કહી શકીએ છીએ કે રાત્રિના આકાશમાં જે અસંખ્ય તારાગણ આપણે જોઈએ છીએ તે બધાને આ જગતને નિભાવવામાં સ્થાન છે. એમ આપણો આ વિશ્વમાં બધા જીવોની સાથે, બધા દેખાવો(દૃશ્યો)ની સાથે બહુ ગાઢ સંબંધ છે, ને એકબીજાના આશ્રયે આપણે ટકીએ છીએ. એટલે આપણે આપણું આશ્રયદાતા-આકાશમાં વિચરતા આ દિવ્યગણો-નો થોડોઘણો પરિચય કરવો જ જોઈએ.

04 ફેબ્રુઆરી 2025

°°°

બાપુ આગળ લખે છે :

“આ પરિચયનું એક વિશેષ કારણ પણ છે. આપણામાં કહેવત છેઃ ‘ડુંગરા દૂરથી રળિયામણા.’ આમાં બહુ તથ્ય છે. જે સૂર્ય આપણે દૂર હોઈએ ને આપણું રક્ષણ કરે છે તે જ સૂર્યની પાસે જઈને આપણે બેસીએ તો તે જ ક્ષણે ભસ્મ થઈ જઈએ. તેમ જ આકાશમા વસતા બીજા ગણોનું છે. આપણી પાસે રહેલી અનેક વસ્તુના ગુણદોષ આપણે જાણતા હોવાથી આપણને કોઈ વેળા કંટાળો આવે, દોષોના સ્પર્શથી આપણે દોષિત પણ થઈએ. આકાશસ્થ દેવગણોના આપણે ગુણો જ જાણીએ છીએ. તેમને નિહાળતાં આપણે થાકતા જ નથી; તેમનો પરિચય આપણને હાનિકર થઈ જ ન શકે; અને આ દેવોનું ધ્યાન ધરતાં આપણી કલ્પનાશક્તિને નીતિ-પોષક વિચારો દ્વારા જેટલે દૂર લઈ જવી હોય તેટલે દૂર લઈ જઈ શકીએ છીએ.

એમાં તો શંકા જ નથી કે આકાશ અને આપણી વચ્ચે જેટલા અંતરાય આપણે મૂકીએ છીએ તેટલે અંશે આપણે શરીરને, મનને અને આત્માને હાનિ પહોંચાડીએ છીએ. આપણે સ્વાભાવિક રીતે રહેતા હોઈએ તો ચોવીસે કલાક આકાશ નીચે જ રહીએ. તેમ ન થઈ શકે તો જેટલો સમય તેમ કરી શકાય તેટલો સમય રહીએ. આકાશદર્શન એટલે કે તારાદર્શન તો રાત્રિના જ થાય. અને વધારે સારામાં સારું તે સૂતાં થઈ શકે છે. એટલે આ દર્શનનો જે પૂરો લાભ ઉઠાવવા માગે તેણે તો સીધા આકાશ નીચે જ સૂવું જોઈએ. આસપાસ ઊંચાં મકાનો કે ઝાડ હોય તો તે વિઘ્ન કરે છે.

બાળકોને અને મોટાને પણ નાટકો અને તેમા થતા દેખાવો બહુ ગમે છે. પણ જે નાટક કુદરતે આપણે સારુ આકાશમાં ગોઠવ્યું છે તેને એકે મનુષ્યકૃત નાટક પહોંચે તેમ નથી. વળી નાટકશાળામાં આંખ બગડે, ફેફસાંમાં મલિન હવા જાય, ને નીતિ બગડવાનો પણ ઘણો સંભવ. આ કુદરતી નાટકમાં તો લાભ જ છે આકાશ નિહાળતાં આંખને શાંતિ થાય છે. આકાશ નિહાળવા બહાર રહેવું જ જોઈએ, તેથી ફેફસાંને શુદ્ધ હવા મળે; ને આકાશ નિહાળતાં નીતિ બગડ્યાનું આજ લગી સાંભળ્યુ નથી. જેમ જેમ આ ઈશ્વરી ચમત્કારનું ધ્યાન ધરીએ તેમ તેમ આત્માનો વિકાસ જ થાય. જેને રોજ મેલા વિચારો, સ્વપ્નાં રાત્રિનાં આવતાં હોય તે બહાર સૂઈ આકાશદર્શનમાં લીન થવાનો પ્રયત્ન કરી જુએ. તેને તુરત નિર્દોષ નિદ્રાનો અનુભવ થશે. આકાશમાં રહેલા ગણો કેમ જાણે ઈશ્વરનુ મૂકસ્તવન કરતા ન હોય, એમ આપણે જ્યારે એ મહાદર્શનમાં ઓતપ્રોત થઈએ ત્યારે (તે સ્તવન) આપણે સાંભળતા જણાઈએ છીએ. જેને આંખ હોય તે આ નિત્યનવો નાચ જુએ. જેને કાન છે તે આ અસંખ્ય ગાંધર્વોનું મૂકગાન સાંભળે.”

05 ફેબ્રુઆરી 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 230, 231 તેમ જ 232

Loading

...102030...447448449450...460470480...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved