Opinion Magazine
Number of visits: 9736166
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતીય સંવિધાનના અમલના લેખા-જોખા 

આશા બૂચ|Opinion - Opinion|24 January 2026

ભારતનું સંવિધાન 

આમુખ 

અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ,

સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો

 તથા તેના સર્વ નાગરિકોને :

સામાજિક, આર્થિક તથા રાજનૈતિક ન્યાય,

વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ, તથા ઉપાસનાની સ્વતંત્રતા,

દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં

વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદ્રઢ કરે

એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતા પૂર્વક સંકલ્પ કરીને

 અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949ના

રોજ આ સંવિધાન અપનાવી, તેને અધિનિયમિત કરી 

અમને પોતાને સમર્પિત કરીએ છીએ.

ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું તેની આજ 76મી વર્ષગાંઠ.

બે વર્ષ જેટલા ટૂંકા ગાળામાં ભારતનું સંવિધાન ઘડાઈ ગયું એ એક અનોખી સિદ્ધિ ગણી શકાય. સ્વતંત્ર ભારતના નાગરિકો પોતે તેની સંરચના કરીને પોતાને સમર્પિત કરે છે એ શબ્દો અત્યંત સૂચક છે. પ્રજા પોતાને કયા અધિકારો મળશે તેની જાહેરાત કરે છે અને તેમાં સર્વની ફરજો પણ નિહિત છે. આવો, આજે એ સંવિધાનમાં ભારતીય નાગરિકોને આપેલા કોલનો અમલ કેટલે અંશે પાળવામાં આવ્યો છે તેની છણાવટ કરીએ. (મહત્ત્વના શબ્દો હાઈલાઈટ કરેલ છે.)

ભારત વિદેશી શાસનમાંથી મુક્તિ મેળવીને સાર્વભૌમ દેશ બને એ ધ્યેય હતું. એટલે કે દેશને પોતાની નિશ્ચિત સીમારેખા હોય, પ્રજાએ ચૂંટેલી પોતાની સરકાર હોય અને અન્ય દેશો સાથે સુમેળભર્યા સંબંધો જાળવવા મુખત્યાર હોય તે સાર્વભૌમ લોકતંત્ર કહી શકાય. દેશની સીમાની અંદર વસતા બધા નાગરિકો પર સરકારનું આધિપત્ય હોય એ સ્વીકાર્ય હતું, પરંતુ લોકતાંત્રિક રાજ્ય વ્યવસ્થા હોવાને કારણે શાસકો સરમુખત્યારી ન અપનાવી શકે એવું તેમાં અભિપ્રેત જરૂર હતું. ભારતની સીમા ખરેખર સુરક્ષિત છે? અન્ય દેશ ભારત પર ચડાઈ કરીને વહીવટ હાથમાં લઈ લે તેને જ ગુલામી ગણાવી શકાય એ ખરું, પરંતુ પડોશી દેશો સાથે સતત સશસ્ત્ર સંઘર્ષ ચાલુ રહે, પોતાના કબજાના પ્રદેશો ધીમે ધીમે બીજા દેશના હાથમાં સરતા જાય અને એ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની અસમર્થતાને કારણે છેવટ એ પ્રદેશની પ્રજાને દાયકાઓ સુધી અસલામતી અને અવગણનાનો ભોગ બનવું પડે તો ભારતની સરકાર સ્વતંત્ર કહી શકાય, પણ તેની સરહદ પર વસતી પ્રજા સાર્વભૌમ હોવાનો દાવો માંડી શકે ખરી?

આઝાદી મળ્યા બાદ દેશનું સામાજિક બંધારણ સમાજવાદી સમાજ રચના ધરાવતું હોય એ દેશના ઘડવૈયાઓની નેમ હતી. ભારત લશ્કરી શાસન, સરમુખત્યારી કે સામ્યવાદી રાજ્યવ્યવસ્થાને નથી અનુસર્યું એ માટે જરૂર ગૌરવ લઇ શકે. આપણે આઝાદી મેળવતાં જ સમાજવાદી સમાજ રચના રચવાના શપથ લીધેલા. એનો અર્થ એ કે દેશના તમામ ઉત્પાદન અને વેચાણ પર પ્રજાની માલિકી રહે જેથી મિલકતની સમાન વહેંચણી થાય અને તો જ સમાજવાદી સમાજ રચનાનું સ્વપ્ન સાકાર થાય. આપણે સંવિધાનમાં એ કલમ લખી ખરી, પણ ‘90ના દાયકા પછી મુક્ત બજારની નીતિ અપનાવી એની સાથે જ મોટા ભાગના ઉદ્યોગો અને વ્યાપાર મુઠ્ઠીભર ધનપતિઓના હાથમાં કેન્દ્રિત થઇ ગયા, પ્રજા તેમની હમાલી કરનાર બની ગઈ અને ગરીબ-તવંગરની ખાઈ કદી નહોતી એટલી પહોળી અને ઊંડી થઈ ગઈ. એટલું જ નહીં, ‘ગ્લોબલ ટ્રેડ’ના ઓઠા હેઠળ આજે તો વિદેશી કંપનીઓ ભારતના ખૂણે ખૂણે અડ્ડો જમાવી બેઠી છે. આજનું ભારત મૂડીવાદી અર્થવ્યવસ્થા અને સરમુખત્યારી શાસનવ્યવસ્થા ધરાવનારો દેશ છે એમ કહેવું વધુ ઉચિત થશે.

વિદેશી શાસન આવ્યું તે પહેલાં ભારતવર્ષ બિનસાંપ્રદાયિક હતું તેમાં જરા પણ શક નથી. સ્વતંત્રતા મળી ત્યારે વિભાજન થયું. પાકિસ્તાને ધર્મને પ્રાધાન્ય આપીને પોતાની ઓળખ ઊભી કરી. જ્યારે ભારત પહેલેથી જ પોતાને બિનસાંપ્રદાયિક વિચારધારા અપનાવનાર રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું. સંવિધાનના આમુખમાં બિનસાંપ્રદાયિક શબ્દ તેની રચના સમયે હતો તેનાથી વધુ આજે અનેકગણો ચર્ચાસ્પદ થઈ ગયો જણાય છે. બિનસાંપ્રદાયિક દેશની સરકાર તો પોતાના દેશમાં અસ્તિત્વ ધરાવતા કોઈ પણ ધર્મની ન તો તરફદારી કરે કે ન તો તેનો વિરોધ કરે. સરકારને કોઈ ધર્મ ન હોય, દરેક ધર્મના અનુયાયીઓ પ્રત્યે સમાન વલણ દાખવે અને સરકારી સંગઠનો ધાર્મિક ગઠબંધનોથી અલગ રહીને વહીવટ કરે તેને જ બિનસાંપ્રદાયિક તંત્ર વાળો દેશ કહી શકાય. છેલ્લા ત્રણેક દાયકાથી સંવિધાનની આ કલમનું પદ્ધતિસર અવમૂલ્યન થતું રહ્યું અને આજે દુનિયા ભારતને હિંદુત્વવાદી, જમણેરી વિચારધારા ધરાવતા દેશ તરીકે ઓળખવા લાગી છે. રાજ્ય અને કેન્દ્રના ઉચ્ચ પદાધિકારીઓ ધાર્મિક અનુષ્ઠાનોમાં એટલા વ્યસ્ત રહે છે કે અનુશાસન અને વહીવટ પાતાળમાં દટાઈ ગયા જણાય છે. કાયદો અને ન્યાય વ્યવસ્થા જ જો સંપ્રદાયિકતાથી ગ્રસ્ત હોય તો નાગરિકોને તટસ્થ ન્યાય મળે એવી સંભાવના જ ક્યાં રહી? આપણે સંવિધાનમાંથી બિનસાંપ્રદાયિક શબ્દ હઠાવી લઈએ તો કમ સે કમ સાચું બોલવાનું શ્રેય તો મળે.

બ્રિટિશ સામ્રાજ્ય આમ તો લોકશાહી શાસન પદ્ધતિને અનુસરતું હતું. પરંતુ ભારતના નાગરિકોને બ્રિટિશ પ્રજા જેવા અધિકારો નહોતા. આથી જ આઝાદી મળતાની સાથે કઈ રાજ્ય પદ્ધતિ સ્વીકારવી છે એ નિર્ણય લેવો અત્યંત આવશ્યક હતો. પ્રથમ મંત્રીમંડળની પસંદગી સહેજે ભારતને લોકતંત્રાત્મક/પ્રજાસત્તાક રાજનીતિ અપનાવવા તરફ દોરી ગઈ. લોકતંત્રને તથા પ્રજાસત્તાક શાસકીય પદ્ધતિને વરેલ દેશની સરકાર તેના નાગરિકો દ્વારા નિષ્પક્ષ અને ન્યાયી રીતે ચૂંટાઈને રાજ્ય કરે છે. પ્રજાને કેવી શાસન નીતિ હિતકારક લાગે છે એ વ્યક્ત કરવાનો સંપૂર્ણ અધિકાર હોય. શરૂઆતના પાંચેક દાયકા આપણે એ દિશામાં ધીમા, પણ મક્કમ પગલે ડગ ભર્યા. છેલ્લા દોઢેક દાયકાથી ચૂંટણી એક ફારસ બની ગઈ છે. રસ્તો વાળનાર કર્મચારી અને રીક્ષા ચાલક પણ કહે છે કે અમે હવે મત નથી આપતા, કેમ કે કાઁગ્રેસને કે આમ આદમી પાર્ટીને મત આપો તો પણ એ મત તો ભા.જ.પ.ના થેલામાં જ જાય છે. હાલમાં એવી સ્થિતિ થઇ ગઈ છે કે દરેક જાગૃત નાગરિક પ્રવર્તમાન સરકારી તંત્રથી વાજ આવી ગઈ છે, પણ તેમની પાસે બીજા પક્ષને પસંદ કરવાનો વિકલ્પ નથી રહ્યો. લોકતંત્રને નામે સરમુખત્યારી શાસનમાં જીવનાર પ્રજા ક્યાં સુધી પોતાનું હીર જાળવી શકશે?

સામાજિક, આર્થિક તથા રાજનૈતિક ન્યાય કોઈ પણ દેશના નાગરિકોની સુખાકારી અને પ્રગતિનો માપદંડ છે. દરેક નાગરિકના માનવ અધિકારની સુરક્ષાની જાળવણીનો કોલ આપણા સંવિધાનમાં અપાયો છે. એનો અર્થ એ કે આઝાદ ભારતમાં દરેક નાગરિકને જીવન જીવવા માટે જરૂરી તમામ તકો અને અધિકારોની સમાન વહેંચણી થાય, જે સામાજિક ન્યાય સુરક્ષિત કરે. આર્થિક ન્યાય અંતર્ગત આજીવિકા માટેના હરેક સ્રોત કોઈ પણ પ્રકારના ભેદ વિના સહુને પ્રાપ્ત હોય અને દરેક સાથે વ્યાજબી વ્યવહાર કરવામાં આવે. એ જ રીતે દરેક નાગરિકને તેની ગુણવત્તા અને વિશેષજ્ઞતાને આધારે રાજકારણમાં ભાગીદાર થવાની તક મળે તેવી જોગવાઈ કરવામાં આવી હતી. થયું એવું કે રાજાશાહીની માફક વંશ પરંપરાગત સત્તા ભોગવવાનું ચાલુ રહ્યું અને એ યુગ ખતમ થતાં જેનો દલ્લો ભારે હોય અથવા જેને કરોડાધિપતિઓ સાથે દિલી ભાઈબંધી હોય એ રાજકારણમાં પ્રવેશી શકે એવો ખેલ શરૂ થયો. ગ્રામ પંચાયતથી માંડીને કેન્દ્ર સરકારના મંત્રી મંડળના પદાધિકારી થવા માટે કુશળ વહીવટકર્તા હોવાની કે અર્થકારણ, કાયદાશાસ્ત્ર, ઇતિહાસ કે અન્ય કોઈ ક્ષેત્રમાં પારંગત હોવાની આવશ્યકતા નથી. બસ, ચૂંટણી પ્રચાર માટે કોઈ ઉદ્યોગપતિની ઉદાર સખાવત હોય અને જીત્યા પછી હા એ હા કરનારની ફોજ હોય, તો પાંચ વર્ષમાં લૂંટાય તેટલી મિલકત લૂંટીને માલામાલ થઈ જઈએ એટલે દેશ સેવા કરી કહેવાય! સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પરસ્પર સાથે સંકળાયેલા છે. એ ત્રણેય પ્રકારના ન્યાય જો પ્રજાને ઉપલબ્ધ ન હોય તો સમાજમાં સપ્રમાણ ન્યાય વિતરણ થાય છે એવો દાવો કેમ કરી શકાય? અને તે વિના સામાજિક સમાનતા ક્યાંથી સ્થાપી શકાય? જો કે રાજકારણીઓ દાવો કરે છે કે તેઓ ન્યાયી અને સમાન સમાજ સ્થાપવા સતત પ્રયત્નશીલ છે અને આજે ભારતને દુનિયામાં આર્થિક મહાસત્તાનું પદ મળ્યું છે તેથી પ્રજા સુખી જ હોવી જોઈએ. જો આ નેતાઓ જેને પાંચ કિલો અનાજ કે ગેસનું સિલિન્ડર આપવામાં આવે છે તેની પાસે પગપાળા ચાલીને જાય અને તેના ઘરમાં મહિનો માસ રહે તો વાસ્તવિકતાનો ખ્યાલ આવે.

વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ, તથા ઉપાસનાની સ્વતંત્રતા ભોગવવાનો હક દરેક નાગરિકને રહેશે તે પણ આપણા સંવિધાનમાં નિવેદિત હતું. બિનસાંપ્રદાયિક હોવાનો દાવો કરવાની માફક ભારતીય નાગરિકને પોતાના વિચારો અને માન્યતાઓ વ્યક્ત કરવાનો, પોતાના ધર્મને અનુસરવાનો, ઉપાસના અને તહેવારોની ઉજવણી કરવાની સ્વતંત્રતા છે એમ કહેવું તે વિધાન પણ પોકળ જ ગણાશે. જે રાજસત્તા પ્રજાહિત વિરુદ્ધ શાસન કરે તેને પ્રજા તરફથી વિરોધ થવાનો ભય બહુ સતાવે, અને તેથી જ એવી સરકાર આ તમામ પ્રકારની સ્વતંત્રતા ઉપર સજ્જડ પાબંદી મૂકતી હોય છે. ભારતની પ્રજાને તો આવો અનુભવ ઓગણીસમી અને વીસમી સદીમાં થઇ જ ગયેલો. ફરક એ છે કે પેલી વિદેશી સત્તા હતી, હવે ‘પોતાના નેતાઓની સરકાર’ તરફથી લાદવામાં આવતા પ્રતિબંધો પણ લોકશાહીનું ગળું ટૂંપવા બેઠા છે. જો લોકો મૌન રહીને સહન કરશે તો ગુલામી વેઠવા જ વારો આવશે. આ તમામ પ્રકારની સ્વતંત્રતા ભારતના સંવિધાન તેમ જ ‘યુનિવર્સલ ડેક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ’ દ્વારા સુરક્ષિત કરવામાં આવી છે. સવાલ એ છે કે સાંપ્રત સરકાર આ કલમને કેટલે અંશે અનુસરે છે.

એ જ રીતે દરેક નાગરિકને દરજ્જા અને વિકાસની તકની સમાનતા જાતિ, લિંગ, જ્ઞાતિ કે ધર્મના ભેદ વગર મળે તેવી જોગવાઈ બંધારણમાં કરવામાં આવી છે. આજે ભારતનો સમાજ આ તમામ પાસાઓમાં વિભાજીત થયેલો છે જે હિંસાત્મક વાતાવરણને પોષે છે.

  • દેશમાં એકતા અને અખંડિતતા સંગઠિત કરે તેવી બંધુતા સ્થાપવી અને જાળવવી એ આપણું અંતિમ ધ્યેય હતું. હવે ભાતૃભાવ અને એકત્વની ભાવનાની પહેલી શરત જ એ છે કે માનવ માનવ વચ્ચે માત્ર સહાનુભૂતિ નહીં પરંતુ તાદાત્મ્ય સધાયું હોય, સમાન ધ્યેયને સાધવા સહકાર અને એકબીજાને મદદરૂપ થવાનું ચલણ હોય. આજે સામાન્ય પ્રજાજન હજુ એટલો જ સહકારથી હળીમળીને રહે છે. મુશ્કેલી ઊભી થાય છે, રાજકારણીઓ દ્વારા ઉશ્કેરાઈને તોફાની તત્ત્વો દ્વારા ઊભી કરાતી દીવાલોથી. દેશના સમગ્ર પ્રજા સમૂહો વચ્ચે આવી ભાવના પ્રવર્તતી હોય તો જ એકતા જળવાઈ રહે. આજે પોણી સદી વટાવ્યા પછી આપણે કહી શકીશું કે ભારત એક, અખંડિત રાષ્ટ્ર છે અને તેના દરેક નાગરિકો વચ્ચે સમાનતા, બંધુતા અને અને બિનશરતી પ્રેમની લાગણી પ્રવર્તે છે?
  • ભારતના સંવિધાનનું આમુખ વાંચીને આજની સ્થિતિનું પરીક્ષણ કરવાથી પ્રતીત થાય છે કે જાણે એ બંધારણના આગલા પાછલા પૃષ્ઠોને જાળવીને તેની અંદરના પાનાઓમાં લખેલી મહત્ત્વની કલમોને મારી મચડીને પાંગળી બનાવી દેવામાં આવી છે. એટલે જ હવે ભારત નામનું લોકશાહી રાષ્ટ્ર બની રહ્યું છે. કેટલાક લોકો આ દશા માટે માત્ર એક વ્યક્તિની સત્તા લાલસા કે શાસક પક્ષની વહીવટી બેજવાબદારીને જ કારણભૂત માને છે. જ્યારે મારુ માનવું એ છે કે એ જ સંવિધાનના છેલ્લા શબ્દોને ધ્યાનમાં લઈએ તો ભારતની પ્રજાએ જ સંવિધાનને અપનાવી, તેને અધિનિયમિત કરીને પોતાને સમર્પિત કરી છે. આથી હવે આમ પ્રજાએ જ સંવિધાનની દરેક કલમને અમલમાં મૂકે તેવા નાગરિકો ઘડવાનું અને તેમાંથી નિષ્ઠાવાન પ્રામાણિક વહીવટકર્તાઓ પેદા કરવાનું ભગીરથ કામ કરવાનું રહે છે. સમય ઓછો છે. ટૂંક સમયમાં આ લક્ષ્ય સિદ્ધ નહીં થાય તો શતમુખ વિનિપાત નિશ્ચિત સમજવો.
e.mail : 71abuch@gmail.com

Loading

મતદાર યાદી સુધારણા : માંગે છે ફેરવિચારણા !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|23 January 2026

રવીન્દ્ર પારેખ

સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR)ની કામગીરીમાં BLOને BLOW પડતો હોય તેવી સ્થિતિ છે. બૂથ લેવલ ઓફિસર(BLO)ની કામગીરીમાં શિક્ષકોનો ઉપયોગ થયો છે, ત્યાં મહિનાઓથી તેઓ શાળાઓમાં જઈ શક્યા નથી, એટલું જ નહીં, શિક્ષકો શાળામાં ન જાય એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. શિક્ષકને ઈરાદાપૂર્વક શાળાથી દૂર રાખવાનું દબાણ કદાચ પહેલીવાર આટલાં પ્રમાણમાં તંત્રો દ્વારા થયું હશે. વારુ, ચૂંટણી પંચ દ્વારા જે કામગીરી મતદાર યાદીની સુધારણા માટે થઈ છે, તેમાં મોટે ભાગે તો બગાડો જ બહાર આવ્યો છે. ઉત્તર પ્રદેશમાં SIRની ડ્રાફ્ટ યાદી જાહેર થઈ, તેમાં જૂની મતદાર યાદીમાંથી 2.89 કરોડ નામો કાપી નાખવામાં આવ્યાં છે. આ નામ પહેલાં 15.44 કરોડ હતાં જે હવે 12.55 કરોડ રહ્યાં છે. એમાં જે ગુજરી ગયાં કે બહાર ગયાં તેમનાં નામ કપાય, તે સમજી શકાય એમ છે. એવાં નામો 46.23 લાખની આસપાસ છે. પણ, બીજા નકલી કે ડુપ્લિકેટ 25.47 લાખ હતા. એ સિવાય બીજા 2.17 કરોડ મતદારોનો કોઈ ટાળો જ નથી મળતો. સવાલ તો એ છે કે આટલી મોટી સંખ્યામાં બોગસ મતદારો ઘૂસી ગયા ત્યાં સુધી ચૂંટણી પંચ ક્યાં હતું? કોની સેવામાં હતું? એ ખરું કે બીજા કેટલાંક નામો નીકળ્યાં તેમાં વિધર્મીઓ મુખ્ય છે.

ગુજરાતની વાત કરીએ તો 5.08 કરોડ ફોર્મ વહેંચાયાં છે, જેમાંથી 4.32 કરોડની ચકાસણી થઇ ગઈ છે. એમાં પણ 67.98 લાખનું મેપિંગ થઈ શક્યું નથી. 2025ની યાદીમાં નામ છે, પણ 2002ની યાદીમાં નામ મેચ થતું નથી. મતદારો બંનેમાં હોય એવાં નામો 1,61,55,411 છે. બાકીનાઓએ ચૂંટણી પંચ સમક્ષ પુરાવાઓ રજૂ કરવા પડશે. 11 રાજ્યોની SIRની કામગીરી પૂરી થઈ ગઈ છે. ફાઈનલ ડ્રાફ્ટ રોલમાંથી ૩.69 કરોડ મતદારોનાં નામ દૂર થયાં છે.  મધ્ય પ્રદેશમાં 42.74 લાખ, છત્તીસગઢમાં 27.34 લાખ, કેરળમાં 24.08 લાખ, અંદામાન અને નિકોબાર દ્વીપમાં ૩.10 લાખ, પશ્ચિમ બગાળમાં 58.20 લાખ, રાજસ્થાનમાં 41.85 લાખ, ગોવામાં 11.85 લાખ, પુડુચેરીમાં 1.૦૩ લાખ, લક્ષદ્વીપમાં 1616, તમિલનાડુમાં 97 લાખ, અને ગુજરાતમાં 73 લાખ મતદારોનાં નામ કપાયાં છે.

આમાં BLOની કામગીરી ટેન્શનથી મુક્ત નથી. દેશમાં કેટલા ય BLOએ કામગીરીનાં દબાણમાં આત્મહત્યા કરી છે. દેશમાં અત્યાર સુધીમાં ૩૩ BLOએ આત્મહત્યા કરી છે. એમાં સૌથી વધુ 9 મધ્ય પ્રદેશમાં છે. યુ.પી.-ગુજરાતમાં એ સંખ્યા 4-4 છે. આ આત્મહત્યાઓ પાછળ જવાબદારીને નક્કી સમય મર્યાદામાં પૂરું કરવાનું દબાણ તો હતું જ, પણ BLO પર રાજકીય દબાણ પણ ઊભું કરવામાં આવ્યું ને એ પણ આત્મહત્યામાં પરિણમ્યું. ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં BLO અને શિક્ષક વિપિન યાદવે ઝેર ખાઈને આપઘાત કરેલો, ત્યારે તેના પિતા સુરેશ યાદવે જણાવેલું કે દીકરાએ મરતા પહેલાં ફોન પર કહ્યું હતું કે SDM અને BDM મતદાર યાદીમાંથી OBC મતદારોનાં નામ હટાવવા અને સામાન્ય વર્ગના નામ વધારવા માટે દબાણ કરી રહ્યા છે. BLOએ તેમ કરવાની ના પાડી તો તેને સસ્પેન્શનની ને ધરપકડની ધમકીઓ આપવામાં આવી. વિપિનની પત્નીએ પણ જણાવેલું કે અધિકારીઓ ‘આધાર’ ન આપનારાઓનાં નામ પણ જોડવાનું દબાણ કરતા હતા. એ બધાંને લીધે વિપિન ખૂબ દબાણમાં આવતાં તેણે આત્મહત્યા કરી હતી.

આવું દબાણ જયપુરના એક BLOએ પણ અનુભવ્યું છે. BLO કીર્તિકુમાર શર્માનું કહેવું છે કે જયપુરના પૂર્વ કાઉન્સેલર સુરેશ સૈનીનો ફોન આવ્યો, જેમાં તેમણે કહ્યું કે જયસિંહપુરા વિસ્તારના વોર્ડ નમ્બર 13નાં 467 નામ સામે જે વાંધો લેવામાં આવ્યો છે, તેના પર વિચારણા કરો. આ નામોને ભા.જ.પ. રદfd કરવા માંગે છે, એવું પણ સૈનીએ કહ્યું. BLOનું માનવું છે કે મુસ્લિમ મતદારોને હટાવવા આવું કરાવાઈ રહ્યું છે. આનો વીડિયો વાઈરલ થયો છે, જેમાં સૈની કહે છે કે જો BLO આ ‘વસ્તી’નાં તમામ નામો હટાવી દે તો ભા.જ.પ.ના ધારાસભ્ય, બાલમુકુન્દ આચાર્ય થઈ શકે એમ છે. કીર્તિકુમાર શર્મા પાસે મતદાર યાદી વેરિફિકેશનનું કામ હતું એટલે સૈનીએ આ વાત શર્માને કહી ને ધમકી પણ આપી કે આ ન થાય તો સસ્પેન્શન માટે તૈયાર રહેવું. જવાબમાં કીર્તિકુમાર શર્માએ રોકડું પરખાવ્યું કે ફાંસીએ લટકાવી દો તો પણ નામ રદ્દ નહીં કરું.

આ મામલે વિપક્ષોનું માનવું છે કે ચૂંટણી પંચ ભા.જ.પ.ના વફાદાર તરીકે વર્તી રહ્યું છે. કાઁગ્રેસ સહિતના વિપક્ષો તો SIRને શંકાથી જ જોઈ રહ્યા છે. SIRની કામગીરીમાં લાખો નામ નીકળી ગયાં છે. વિપક્ષી નેતા રાહુલ ગાંધી તો સ્પષ્ટ કહે છે કે ભા.જ.પ. SIRને નામે પછાત, દલિત, ગરીબ મતદારોને હટાવીને પોતાને અનુકૂળ આવે એવી મતદાર યાદી તૈયાર કરાવવા માંગે છે. જો કે ભા.જ.પ.ના સાંસદ સુધાંશુ ત્રિવેદી રદિયો આપતા જણાવે છે કે વિપક્ષે પહેલાં EVM પર આરોપો લગાવ્યા ને હવે મતદાર યાદી પર આરોપો લગાવે છે.

ગુજરાતમાં પણ ખોટી રીતે મતદાર યાદીમાં મતદારોના નામ રદ્દ કરવાને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે મતદાર યાદીની ચકાસણી બાદ, છેલ્લા બેત્રણ દિવસમાં ભા.જ.પે. 9,58,000થી વધુ અરજીઓ મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે દાખલ કરી છે. (બાપુનગર, ખંભાળિયા, રાજકોટ, કચ્છ વગેરે વિસ્તારોમાંથી હજારો અરજીઓ એક સાથે દાખલ કરવાનું પણ શંકાસ્પદ છે) 73.73 લાખ મતદારો હટાવ્યા પછી પણ 9.58 લાખ મતદારો રદ્દ કરવાનું ભા.જ.પ.ના ઈશારે થઈ રહ્યું હોવાનું ઇસુદાન ગઢવીનું માનવું છે. તેમણે અધિકારીઓને ચેતવ્યા છે કે રાજકીય દબાણ હેઠળ ગેરકાયદેસર રીતે મતદાર યાદીમાં ફેરફાર થશે તો આમ આદમી પાર્ટી કાનૂની કાર્યવાહી કરશે. કચ્છમાં પણ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા SIRની કામગીરીમાં 13,000 મુસ્લિમ મતદારોનાં નામ કમી કરવાનો ખેલ શરુ થતાં કાઁગ્રેસ અને મતદારો ચોંકી ગયાં છે. આ અંગે ફરિયાદ થતાં કચ્છ જિલ્લા ભા.જ.પ. અને ચૂંટણી અધિકારી એવા કચ્છ કલેકટરે કોઈ જાહેર ખુલાસો ન કરતાં કામગીરીની તટસ્થતા સંદર્ભે પ્રશ્નો ઊઠ્યા છે.

હાલ 11 રાજ્યોમાં ચૂંટણી પંચ મતદારોનું વેરિફિકેશન કરે છે, ત્યારે પશ્ચિમ બંગાળ દ્વારા આ વેરિફિકેશનને સુપ્રીમમાં પડકારવામાં આવ્યું છે, જેની સુનાવણી દરમિયાન સુપ્રીમે ચૂંટણી પંચને ફટકાર લગાવતા કહ્યું કે તમે વેરિફિકેશન દરમિયાન એક કરોડથી વધુ મતદારોને બહાર કર્યા છે અને ખરાઈ માટે નોટિસો મોકલી છે. એને લીધે લોકો કેવા તનાવ અને મુશ્કેલીમાં છે તે સમજાવું જોઈએ. સુપ્રીમે આદેશ આપ્યો છે કે સવા કરોડ લોકોની યાદી તાલુકા ઓફિસ, ગ્રામપંચાયત અને વોર્ડ ઓફિસમાં નોટિસ બોર્ડ પર મૂકવામાં આવે, તે સાથે જ જેમને નોટિસો મોકલવામાં આવી છે, તેમને જવાબ રજૂ કરવા પૂરતો સમય આપવામાં આવે. સુપ્રીમમાં તૃણમૂલ તરફથી હાજર રહેલ વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે સરનેમની સ્પેલિંગ મિસ્ટેક જેવાં કારણે પણ, લોકોને નોટિસ આપવામાં આવી છે. ચૂંટણી પંચના વકીલે એક કિસ્સો ટાંકતાં કહ્યું કે એક દીકરા અને તેની માતા વચ્ચે 15 વર્ષનું જ અંતર છે. આ મુદ્દે સુપ્રીમના ન્યાયાધીશ જોયમાલ્યા બાગચીએ ઝાટકણી કાઢતાં કહ્યું કે માતા-પુત્ર વચ્ચે 15 વર્ષનું અંતર હોય તેમાં વાંધો શો છે? ભારતમાં બાળલગ્નો થતાં હોય એ સંજોગોમાં 15 વર્ષનો તફાવત અશક્ય નથી. બાલવિવાહ પણ કડવી વાસ્તવિકતા છે ને તેને તે રીતે જ મૂલવવી જોઈએ. એક કરોડથી વધુ લોકોને નોટિસ મોકલવી, નાની વાત નથી. સુપ્રીમના આદેશમાં તૃણમૂલને પોતાની જીત દેખાઈ ને તેમના સાંસદ અભિષેક બેનર્જીએ કહ્યું કે ભા.જ.પ.નો SIRનો પશ્ચિમ બંગાળનો ખેલ ખતમ થઇ ગયો છે.

મતદાર યાદી સુધારણાનું લક્ષ્ય તો યાદી સ્વચ્છ અને અધિકૃત કરવાનું છે. તેને બદલે જે ચાલી રહ્યું છે તે તો ગંદકી વધારનારું જ છે. આ બધા તાયફા પરથી એવું લાગે છે કે SIRની કામગીરી વેરિફિકેશન કરતાં પણ, વધારે તો સત્તાધારી પક્ષને જે જે નડતર રૂપ છે તેવાં જાતિ-કોમને મતદાર યાદીમાંથી રદ્દ કરાવીને પક્ષની જીત પાકી કરી લેવાની છે. આમ તો અત્ર તત્ર સર્વત્ર ભા.જ.પ.ની જ બોલબાલા છે, તો  આવાં કાવતરાં કરીને તે પોતાની છાપ બગાડવા કેમ મથે છે, તે સમજાતું નથી. ભા.જ.પ. પાસે શક્તિશાળી ને સંપીલા નેતાઓ છે જ ને વિપક્ષમાં એવા વફાદારોનો દુકાળ છે, પછી મતદાર યાદી જોડે ચેડાં કરાવવાનો મતલબ પ્રતિષ્ઠાને દાવ પર લગાવવાથી વિશેષ શું છે?  આનાથી બચવું જોઈએ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 જાન્યુઆરી 2026

Loading

ગઝલ

પરેશ દવે 'નિર્મન'|Poetry|22 January 2026

તું હજી ડૂસકાય છે, ડૂમાય છે?
શબ્દ કે શાહી તળે સંતાય છે?

માછલી જેવું જ તું પણ તરફડ્યો,
શીદને ધીવર બની ચર્ચાય છે?

એક ખોબો જીવતી તરસે કહ્યું,
જીવ અપરંપાર બસ છલકાય છે.

આ સમયને ખંડમાં તોડ્યા પછી,
ક્યાં કશું પણ કોઈથી જોડાય છે.

એવું તે શું થૈ ગયું ‘નિર્મન’ કહે,
તૂટતાં પહેલાં ત…ડડ તરડાય છે.

તા.22.1.26
વૃન્દાવન બંગલોઝ,15, શિવ બંગલો, બળિયાદેવ મંદિર નજીક, ગાના-કરમસદ રોડ, મુ. કરમસદ. તા.જિ. આણંદ.
ઈ-મેલ: 1959pareshdave@gmail.com

Loading

...102030...41424344...506070...

Search by

Opinion

  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved