Opinion Magazine
Number of visits: 9552634
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રેમનું નગર

ચૈતન્ય જોષી 'દીપક'|Opinion - Opinion|3 November 2025

નફરતની ગલીમાં પ્રેમનું નગર વસાવ્યું મેં.
વહેતી જ્યાં સ્નેહ સરિતા એવું બનાવ્યું મેં.

શબ્દો ઉચ્ચરતા સૌ સદાય ત્યાં સુંવાળાને,
વૈખરીને આપી વિદાય કેટકેટલું સજાવ્યું મેં.

મધુજબાને‌ હસ્તધૂનન કરી એકમેક ભેટતા,
જાણે કે સ્નેહઝરણ પારસ્પરિક વહાવ્યું મેં.

ખટપટ, પંચાત, કાવાદાવાને પ્રવેશબંધી રાખી,
માનવ થઈને સૌને રહેવાનું એ સમજાવ્યું મેં.

સંપ, એકતા, કરુણા, આસ્થાએ વાસ કીધો
પ્રેમના સામ્રાજ્યે સ્વર્ગ સાકેતને ભૂલાવ્યુ મેં .

પોરબંદર
e.mail : chaitanyajc555@gmail.com

Loading

આપણા શ્રેષ્ઠ યોદ્ધાઓના નાયક

વલ્લભભાઈ પટેલ [પ્રેષક / અનુવાદ : હિદાયત પરમાર]|Opinion - Opinion|2 November 2025

[સરદાર વલ્લભભાઈ પટેલ (૧૮૭૫-૧૯૫૦) ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસના સૌથી મહત્ત્વપૂર્ણ નેતાઓમાંના એક હતા, જેમણે ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં અને પછી એક એકીકૃત તથા સ્વતંત્ર ભારતના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ તેમની કેબિનેટમાં દેશના પ્રથમ ગૃહ મંત્રી અને નાયબ વડા પ્રધાન હતા. બંને શબ્દો—નેહરુ અને પટેલ—ઘણી વખત અનેક મુદ્દાઓ પર અસહમત થઈ જતા હતા. આ મતભેદ વ્યક્તિગત અને જાહેર બંને રીતે વ્યક્ત થતો હતો. તેમ છતાં બંને વ્યક્તિઓ એકબીજાનો ખૂબ આદર કરતા હતા અને ભારતના સામાજિક તથા રાજકીય જીવનમાં એકબીજા દ્વારા કરવામાં આવેલા યોગદાનને ખુલ્લેઆમ વખાણતા-સ્વીકારતા હતા. આ લેખ આ જ બિંદુને દર્શાવે છે.]

સરદાર પટેલ અને પંડિત નેહરુ

જવાહરલાલ અને હું સાથે સાથે કાઁગ્રેસના સભ્ય, આઝાદીના સિપાહી, કાઁગ્રેસની કાર્યકારિણી અને અન્ય વ્યૂહરચનાઓના સહકાર્યકર, મહાત્માજીના—જેઓ આપણા દુર્ભાગ્યથી આપણને મોટી જટિલ સમસ્યાઓ સાથે ઝઝૂમવા માટે છોડી ગયા છે—અનુયાયીઓ, અને આ વિશાળ દેશની શાસન વ્યવસ્થામાં અધિક ભારના વાહક રહ્યા છીએ. આટલા વિવિધ પ્રકારના કર્મક્ષેત્રોમાં સાથે રહીને અને એકબીજાને જાણીને અમારામાં પરસ્પર સ્નેહ હોવો સ્વાભાવિક હતો. સમયની ગતિ સાથે તે સ્નેહ વધતો ગયો છે અને આજે લોકો કલ્પના પણ નથી કરી શકતા કે જ્યારે આપણે અલગ થઈએ છીએ અને પોતાની સમસ્યાઓ અને મુશ્કેલીઓનો ઉકેલ કાઢવા માટે એકબીજા સાથે મળીને વિચાર નથી કરી શકતા, તો આ અંતર અમને ઘણું ખટકે છે. પરિચયની આ ઘનિષ્ઠતા, આત્મીયતા અને ભાઈસમાન સ્નેહને કારણે મારા માટે તેની સમીક્ષા સામાન્ય લોકો માટે રજૂ કરવી મુશ્કેલ બની જાય છે. પરંતુ દેશના આદર્શ, જનતાના નેતા, રાષ્ટ્રના વડા પ્રધાન અને સૌના લાડકા જવાહરલાલને, જેમના મહાન કાર્યોનો ભવ્ય ઇતિહાસ સૌની સામે ખુલ્લી પોથી જેવો છે, મારા અનુમોદનની કોઈ જરૂર નથી.

દૃઢ અને નિષ્કપટ યોદ્ધા તરીકે તેમણે વિદેશી શાસન સામે અવિરત યુદ્ધ કર્યું. યુનાઇટેડ પ્રોવિન્સના ખેડૂત આંદોલનના આયોજક તરીકે પ્રથમ ‘દીક્ષા’ મેળવીને તેઓ અહિંસક યુદ્ધની કળા અને વિજ્ઞાનમાં સંપૂર્ણ નિપુણ બની ગયા. તેમની લાગણીઓની તીવ્રતા અને અન્યાય અથવા ઉત્પીડન સામેના તેમના વિરોધે ટૂંક સમયમાં જ તેમને ગરીબી પર જેહાદ જાહેર કરવા મજબૂર કરી દીધા. દીન પ્રત્યેની સહજ સહાનુભૂતિ સાથે તેમણે નિર્ધન ખેડૂતોની સ્થિતિ સુધારવાના આંદોલનની આગમાં પોતાને ઝોંકી દીધા. ક્રમશઃ ઊંચે થી ઊંચા શિખરો પર પહોંચાડી દીધા છે. પત્નીની બીમારીને કારણે કરવામાં આવેલી વિદેશયાત્રાએ ભારતીય રાષ્ટ્રવાદ સંબંધિત તેમની લાગણીઓને એક આકાશી આંતરરાષ્ટ્રીય સ્તર પર પહોંચાડી દીધી. આ તેમના જીવન અને ચરિત્રના તે આંતરરાષ્ટ્રીય વલણની શરૂઆત હતી જે આંતરરાષ્ટ્રીય અથવા વિશ્વ સમસ્યાઓ પ્રત્યેના તેમના વલણમાં સ્પષ્ટપણે દેખાય છે. તે સમયથી જવાહરલાલે ક્યારે ય પાછળ વળીને નથી જોયું; ભારતમાં પણ અને બહાર પણ તેમનું મહત્ત્વ વધતું જ ગયું છે. તેમની વૈચારિક નિષ્ઠા, ઉદાર વૃત્તિ, તીક્ષ્ણ દૃષ્ટિ અને લાગણીઓની સત્યતા પ્રત્યે દેશ અને વિદેશની લાખો જનતાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

આથી તે યોગ્ય જ હતું કે સ્વતંત્રતાના પ્રભાત પહેલાંના ઘોર અંધકારમાં તેઓ આપણા માર્ગદર્શક જ્યોતિ બન્યા, અને સ્વાધીનતા મળતાં જ જ્યારે ભારતની આગળ સંકટ પર સંકટ આવી રહ્યા હોય ત્યારે આપણા વિશ્વાસનું કેન્દ્ર બન્યા અને આપણી જનતાનું નેતૃત્વ કર્યું. અમારા નવા જીવનના છેલ્લા બે કઠિન વર્ષોમાં તેમણે દેશ માટે જે અથાક પરિશ્રમ કર્યો છે, તેને મારા કરતાં વધુ સારી રીતે કોઈ નથી જાણતું. આ અવધિમાં તેમને પોતાના ઉચ્ચ પદની ચિંતાઓ અને પોતાની ગંભીર જવાબદારીઓના ભારને કારણે ઝડપથી વૃદ્ધ થતા જોયા છે. શરણાર્થીઓની સેવામાં તેમણે કોઈ કસર નથી છોડી, અને તેમાંથી કોઈ શાયદ જ તેમની પાસેથી નિરાશ પાછા ફર્યા હોય. કોમનવેલ્થની પરામર્શોમાં તેમણે નોંધપાત્ર ભાગ લીધો છે, અને વિશ્વના મંચ પર પણ તેમનું કાર્ય અત્યંત મહત્ત્વપૂર્ણ રહ્યું છે. પરંતુ આ બધું છતાં તેમના ચહેરા પર યુવાનીની જૂની ચમક કાયમ છે, અને તે સંતુલન, મર્યાદા-જ્ઞાન અને ધૈર્ય, મિલનસારી, જે આંતરિક સંયમ અને બૌદ્ધિક અનુશાસનનો પરિચય આપે છે, હજુ પણ જેમના તેમ છે. નિ:શંક તેમનો ક્રોધ ક્યારેક ફાટી નીકળે છે, પરંતુ તેમની અધીરાઈ, કારણ કે ન્યાય અને કાર્ય-તત્પરતા માટે હોય છે અને અન્યાયને સહન નથી કરતું, તેથી આ વિસ્ફોટો પ્રેરણાદાયી જ હોય છે અને બાબતોને ઝડપ અને પરિશ્રમ સાથે ઉકેલવામાં મદદ કરે છે. આ માની લો સુરક્ષિત શક્તિ જ છે, જેની મદદથી આળસ, દીર્ઘસૂત્રતા અને લગન અથવા તત્પરતાની ઊણપ પર વિજય મેળવાય છે.

ઉંમરમાં મોટા હોવાને કારણે મને અનેક વખત તેમને શાસન-વ્યવસ્થા અથવા સંગઠનના ક્ષેત્રમાં અમારી સામે આવતી સમસ્યાઓ પર સલાહ આપવાનું સૌભાગ્ય મળ્યું છે. મેં હંમેશાં તેમને સલાહ લેવા તૈયાર અને માનવા તૈયાર જ જોયા છે. કેટલાક સ્વાર્થી લોકોએ અમારા વિશે ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે અને કેટલાક નિર્દોષ વ્યક્તિઓ તેના પર વિશ્વાસ પણ કરી લે છે, પરંતુ વાસ્તવમાં અમે આજીવન સહકારીઓ અને ભાઈઓની જેમ સાથે કામ કર્યું છે, અને એકબીજાના મતામતનો હંમેશાં આદર કર્યો છે જેમ કે ઊંડો વિશ્વાસ હોય ત્યારે જ કરી શકાય. તેમના મનોભાવ યુવાનોના ઉત્સાહથી લઈને પ્રૌઢ ગંભીરતા સુધી સતત બદલાતા રહે છે, અને તેમાં તે માનસિક લચક છે જે બીજાને સહન પણ કરી લે છે અને નિરુત્તર પણ કરી દે છે. રમતા બાળકોમાં અને વિચારમાં ડૂબેલા વૃદ્ધોમાં જવાહરલાલ સમાન ભાવથી ભાગ લઈ લે છે. આ લચક અને બહુમુખીતા જ તેમના અજસ્ર યૌવનનું, તેમની અદ્ભુત ચપળતા અને તાજગીનું રહસ્ય છે.

તેમના મહાન અને ઉજ્જવળ વ્યક્તિત્વ સાથે આ થોડા શબ્દોમાં ન્યાય નથી કરી શકાતો. તેમના ચરિત્ર અને કાર્યોનો બહુમુખી વિસ્તાર વર્ણનથી પર છે. તેમના વિચારોમાં ક્યારેક તે ઊંડાઈ હોય છે જેનું તળ ન મળે, પરંતુ તેમની નીચે હંમેશાં એક નિર્મળ પારદર્શી ખરાપણું, અને યૌવનની તેજસ્વિતા રહે છે, અને આ ગુણોને કારણે સર્વસામાન્ય—જાતિ ધર્મ દેશની સીમાઓ પાર કરીને—તેમની સાથે સ્નેહ કરે છે.

સ્વાધીન ભારતની આ અમૂલ્ય નિધિનું આપણે આજે, તેમની હીરક જયંતીના અવસરે, અભિનંદન કરીએ છીએ. દેશની સેવામાં, અને આદર્શોની સાધનામાં તેઓ સતત નવા વિજય પ્રાપ્ત કરતા રહે.

– વલ્લભભાઈ પટેલ
૧૪ ઓક્ટોબર, ૧૯૪૯
સૌજન્ય : હિદાયતભાઈ પરમારની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પીયૂષ પાંડેઃ જેમણે આપણને આપણી ભાષામાં સપનાં જોતા શીખવ્યું

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|2 November 2025

તેઓ ઇચ્છતા હતા કે ભારતીય જાહેરાત ભારત જેવી લાગે. પાંચ સિતારા હોટેલો અને અંગ્રેજી માધ્યમ શાળાઓનું ભારત નહીં, પણ રેલવે પ્લેટફોર્મ અને લગ્ન સમારોહો અને ગલ્લી ક્રિકેટ અને મસાલા સંઘરવા માટે જૂના ટીનના ડબ્બા સાચવતી મમ્મીઓનું ભારત જાહેરાતમાં દેખાય. 

પીયૂષ પાંડે

શિવાજી પાર્કમાં જે દિવસે પીયૂષ પાંડેને આખરી વિદાય આપવામાં આવી, તે દિવસે ખાસ્સો વરસાદ પડ્યો. જાણે આકાશને પણ ધરતી પર પડેલી ખોટની પીડા હતી. ત્યાં ભેગા થયેલા લોકો “મિલે સુર મેરા તુમ્હારા” ગાઈ રહ્યા હતા. આ ગીત બનાવવામાં તેમણે ત્રણ દાયકા પહેલાં મદદ કરી હતી. ત્યાં હાજર તમામ એ માણસ વગરની દુનિયાનો અર્થ સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા જેણે બ્રાન્ડ ઇન્ડિયા શું છે તે શીખવ્યું.

પીયૂષ પાંડે એટલા માટે લિજેન્ડ નહોતા કારણ કે તેઓએ કાનમાં એવોર્ડ જીત્યા હતા કે ઓગિલ્વીમાં તેમના કેમ્પેઇન્સને મળેલી ટ્રોફીઓથી કેબિનેટ ભર્યા હતા. તેઓ લિજેન્ડ હતા કારણ કે તેમણે ભારત પોતાની સાથે અને પોતાને વિશે કેવી રીતે વાત કરે છે તે ભાષાનું વ્યાકરણ આપ્યું. તેમને લીધે “ચિપકાનેવાલા પદાર્થ’ પણ ભાવનાત્મક અભિવ્યક્તિ બની. તેમણે ચોકલેટને આઝાદીનો પર્યાય બનાવી. તેમણે મોબાઈલ ફોન સેવાને સાથીદારીની લાગણી આપી. એ માત્ર એડમેન નહોતા, આપણી લાગણીને વાચા આપનારા અનુવાદકે એક્ઝિટ લીધી એમ કહેવું યોગ્ય ઠરે.

1987નું વર્ષ હતું, અને અમારે ઘરે ત્યારે જ ટી.વી. આવ્યું હતું. મારા મોટા ભાઈએ કોણ જાણે કેમ પણ નોટબુકમાં જાહેરાતોની યાદી બનાવવાની શરૂ કરી. અહીં ઉત્પાદનો અગત્યના નહોતા પણ તેનાં લખાણ, જિંગલ્સ અગત્યનાં હતાં. એવી વાર્તાઓ જે ગણતરીની ક્ષણો માટે તમને અટકાવે અને ધ્યાન આપવા મજબૂર કરે. મોટાભાઈ કરે એ નાની બહેન પણ કરે, મેં પણ કર્યું.

પરંતુ લાલિતાજી અને લિરિલ લખતાં પછી ફેવિકોલ અને કેડબરીઝની આ જાહેરાતો કોઈ લિસ્ટ નહોતી. એ બાળપણના ટૂકડા હતા. ભારતમાં ઉછરવાની ભાષાનું આર્કાઇવ બની રહ્યું હતું. 30 સેકન્ડનો કમર્શિયલ બ્રેક તમને એવા કેચફ્રેઝ આપી શકે જેનો તમે વર્ષો સુધી ઉપયોગ કરો.

તે સમયે મને પીયૂષ પાંડેનું નામ ખબર નહોતું. મને ખબર નહોતી કે “ક્રિએટિવ ડિરેક્ટર” શું હોય છે કે આ વસ્તુઓ વાસ્તવમાં કોઈ લખે છે. મને ફક્ત એટલી ખબર હતી કે કેટલીક જાહેરાતો તમને હસાવે છે, કંઇ યાદ અપાવે છે, ઇચ્છા જગાડે છે. મારે કેડબરી હાથમાં લઈને ક્રિકેટના મેદાનમાં દોડતી છોકરી બનવું હતું. એ ખાસ સ્વપ્ન—પીયૂષની “કુછ ખાસ હૈ” કેમ્પેઈનથી જન્મેલું—ક્યારે ય સાકાર થયું નહીં. પરંતુ એ ઇચ્છા, એ તેમની ભેટ હતી. 

પીયૂષ પાંડેએ ક્યારે ય જાહેરાતના વિશ્વમાં ડંકો વગાડવાનું નહોતું વિચાર્યું. જયપુરમાં 1955માં જન્મેલા, પીયૂષ પાંડે અંગ્રેજી સાહિત્યના સ્નાતક અને જુસ્સાદાર ક્રિકેટર હતા જેઓ 1982માં ઓગિલ્વી એન્ડ મેથર ઇન્ડિયામાં ગયા—ક્રિએટિવ વિભાગમાં નહીં, પણ ક્લાયન્ટ સર્વિસિંગમાં. તેમની પાસે જાહેરાત બનાવવાની કોઈ ઔપચારિક તાલીમ નહોતી, કોઈ ધાંસુ પોર્ટફોલિયો નહોતો, ભારતની કોમર્શિયલ ભાષાને ફરીથી લખવાની કોઈ મહત્ત્વાકાંક્ષા નહોતી.

તેમની પાસે હતી અણદેખાયેલા પર નજર કરવાની આવડત, જે નથી કહેવાતું તે સાંભળવાના કાન. એક એવી દૃઢ માન્યતા કે જાહેરાતો અંગ્રેજી ચોપડાંમાંથી અનુવાદિત કરવાની જરૂર નથી. એંશી-નેવુંના દાયકામાં ભારત આઝાદ હતો પણ જાહેરાતની દુનિયા પર પશ્ચિમી પકડ હતી. એડ વિશ્વમાં વિઝ્યુઅલ લેંગ્વેજ, ભાષાના તાલ બધાને મામલે પશ્ચિમની નકલ થતી. ભારતીય જાહેરાતો મેડિસન એવન્યૂ માટે બનાવેલી હિન્દીમાં ખરાબ રીતે ડબ કરાયેલી લાગતી. 

પીયૂષ પાંડેએ એ ઉધાર લીધેલી કુશળતા તરફ જોયું અને કહ્યું: યે સબ બકવાસ હૈ.

તેઓ ઇચ્છતા હતા કે ભારતીય જાહેરાત ભારત જેવી લાગે. પાંચ સિતારા હોટેલો અને અંગ્રેજી માધ્યમ શાળાઓનું ભારત નહીં, પણ રેલવે પ્લેટફોર્મ અને લગ્ન સમારોહો અને ગલ્લી ક્રિકેટ અને મસાલા સંઘરવા માટે જૂના ટીનના ડબ્બા સાચવતી મમ્મીઓનું ભારત જાહેરાતમાં દેખાય. તેઓ ફળ વેચનારની વિદ્વત્તા, રિક્ષાચાલકની ફિલસૂફી, દાદીમાનું શાણપણ આ જાહેરાતોમાં સાંભળવા માંગતા હતા. તે કહેતા કે, “જાહેરાત ફેન્સી અંગ્રેજી કે વિદેશી એવોર્ડ વિશે નથી, તે લોકોને સમજવા વિશે છે.”

આ વાત માત્ર ફિલસૂફી નહોતી. તે સ્વતંત્રતાની ઘોષણા હતી.

ફેવિકોલની ઈંડા વાળી જાહેરાતમાં ઇંડાના તૂટેલા કોચલાને જોડી રાખવામાં સંદેશ એ ગતો કે આપણે સરળતા અને આશ્ચર્યથી નાજુક ચીજોને સાથે, જોડેલી રાખવાનો પ્રયાસ કરતા રહીએ છીએ. બસના છાપરે મોટી સંખ્યામાં જોડાયેલા લોકોનું દૃશ્ય પ્રોડક્ટ ફિચરને રમૂજમાં ફેરવી નાખતું. કેડબરીની “કુછ ખાસ હૈ” કેમ્પેઈનએ જિંદગીને ઉજવવાની વાત હતી. ક્રિકેટના મેદાનમાં દોડતી એ છોકરી, એના ચહેરા પરનો આનંદ, આ જાહેરાત ચોકલેટ નહોતી વેચતી પણ નાની જીતને ઉજવવાની અને ખુશી માટે નિયમો તોડવાની લાગણી પણ વેચતી હતી. એશિયન પેઇન્ટ્સની “હર ઘર કુછ કેહતા હૈ” જાહેરાતને પગલે આપણે આપણી દીવાલનો વાર્તા કહેતા પાત્રો તરીકે જોતા શીખ્યા. હચની જાહેરાતમાં પગ નસલનો શ્વાન જે એ છોકરાની પાછળ દરેક જગ્યાએ જાય છે, અદૃશ્ય મોબાઈલ નેટવર્કને સાથીદારી જેવું, વિશ્વાસુ નિષ્ઠા જેવું લાગણીશીલ બનાવી નાખે છે. તે એટલું આઈકોનિક બન્યું કે સમગ્ર પેઢીએ મોબાઈલ કનેક્ટિવિટીને એ નાના શ્વાન સાથે જોડી દીધી. આ માત્ર જાહેરાતો નહોતી. આ સાંસ્કૃતિક કલાકૃતિઓ હતી જે માત્ર બ્રાન્ડની નહીં પણ પ્રેક્ષકોની પણ હતી.

પીયૂષ પાંડે “મેડ મેન”ના આર્કીટાઈપથી અલગ હતા. જ્યારે તેમણે વૈશ્વિક પ્રભાવ, તેમની પર્સનાલિટી પણ ભારતીય જ રહ્યા—મૂછો વાળા, હંમેશાં સ્મિત કરતા, સુલભ અને વિનોદી એવા કે તેની અસર તરત બીજાઓ પર પડે. તેઓ વસ્તુઓને સરળ રાખવામાં માનતા, હંમેશાં તેમની ટીમને “ફ્રન્ટ ફૂટ પર રમો” એમ કહેતા અને દરેક જીત ઉજવતા શીખવતા. 

પીયૂષ પાંડે અને લેખિકા, ચિરંતના ભટ્ટ

2011માં, જ્યારે તેઓ “નૉલેજ સિરીઝ”ના ભાગ રૂપે વક્તૃત્વ આપવા અમદાવાદ ‘દિવ્ય ભાસ્કર’માં આવ્યા હતા, ત્યારે હું તેમને મળી. મારી પાસે તે દિવસે બે જવાબદારીઓ હતી—તેમનો ઇન્ટરવ્યૂ લેવાનો, અને તેમના સાંજના વક્તૃત્વને કવર કરવાનો. ઇન્ટરવ્યૂ સરસ રીતે થયો. તે ઉષ્માભર્યા અને અહમશૂન્ય હતા. તે સાંજે, જ્યારે તેઓ સ્ટેજ પર ગયા, મને વાર્તાઓની અપેક્ષા હતી. પ્રસિદ્ધ કેમ્પેઈન પાછળની મેકિંગ વાર્તાઓ. તેમણે 14 મિનિટ વાત કરી. પછી વાત કરવાનું બંધ કર્યું અને પોતાના કામને બોલવા દીધું. એક પછી એક, તેમની જાહેરાતો સ્ક્રીન પર ચાલી—દાયકાઓનું કામ જેણે ભારત પોતાની જાતને કેવી રીતે જોતું હતું તેને આકાર આપ્યો હતો.

હું ક્યારે ય નહીં ભૂલું: હેન્ડલબાર મૂછો વાળો આ માણસ પોતાની જ રચનાઓ જોતા બેઠેલો, તે હસ્યા તો ખરા જ, પણ રડી પણ પડ્યા. તે પોતાના કામને પણ પહેલીવાર જોતા હોય એવા આશ્ચર્યથી આખા ઑડિયન્સ સાથે જોડાયા. જો કે મને બીજી ચિંતા હતી કે તેમની સ્પીચ ટૂંકી હતી તો હું અડધું પાનું કેવી રીતે ભરીશ? પરંતુ જ્યારે હું લખવા બેઠી, શબ્દો પોતાની મેળે લખાયા, એવા માણસથી પ્રેરિત જેણે આખા દેશને શીખવ્યું કે ભાવના તર્ક કરતાં વધુ સારી રીતે વેચાય છે.

પીયૂષ પાંડેની કેમ્પેઈન અવિસ્મરણીય હતી કારણ કે તે પોતાના પ્રેક્ષકોની અવગણના ન કરતા. તે ભાવનાઓની સસ્તી ચાલાકી કરવામાં નહીં પણ અવલોકન, આંતરદૃષ્ટિ, અને પ્રામાણિકતામાં માનતા હતા.

તે ક્લાયન્ટ બ્રીફને ઊંડાણથી સમજતા, બજારોમાં ફરતા, શેરી બજારના લયને સાંભળતા, અને સમાજના ભાવનાત્મક અંડરકરન્ટને પકડતા. તેમના કામે ભારતીય ઘરોમાં પડઘો પાડ્યો. તેઓ માનતા હતા કે જો કોઈ કેમ્પેઈન કાળજી અને માનવતાની ભાવનાથી આકારવામાં ન આવે તો તે નહીં ટકે. તેમની પ્રતિભા વિશિષ્ટમાં સાર્વત્રિક, સાધારણમાં ઊંડું શોધવામાં હતી.

પીયૂષ પાંડે યુગ પહેલાં, ભારતીય જાહેરાત પોતે જે નહોતી તે બનવાના પ્રયત્નમાં હતી. તેમના થકી તે આખરે જે છે તે બની. તેમણે માત્ર હિન્દી કે પ્રાદેશિક ભાષાઓમાં જાહેરાતો બનાવી એમ નહોતું, ઘણા લોકો એ જ કરતા હતા. તેમણે એવી જાહેરાત બનાવી જે સાંસ્કૃતિક રીતે ભારતીય હતી. આપણા દેશની માટીની મહેક, ભાવનાત્મકતા, અરાજકતા અને ઉષ્માને વણી લેતી જાહેરાતો એટલે પીયૂષ પાંડેનું કામ. સપાટી પર પશ્ચિમી લાગતા વ્યવસાયમાં ગર્વપૂર્વક દેશીપણું ભળ્યું. પશ્ચિમી એસ્થેટિક્સને બદલે આપણી બોલચાલની ભાષા, માટીની મહેકતી રમૂજ, અને ભારતની ગલીઓ અને તમારા-મારા જેવા દેખાતા ચહેરાઓને તેમણે ઓળખ આપી. તેમણે સાબિત કર્યું કે ભારતીય વાર્તાઓ ભારતની પોતાની ભાષાઓ, રંગો અને રૂઢિપ્રયોગો કહી ઉત્પાદનો વેચી શકાય, બ્રાન્ડ બનાવી શકાય, અને એવાં ભાવનાત્મક જોડાણો બને જે દાયકાઓ સુધી ટકે.

પીયૂષ પાંડેએ માત્ર જાહેરાતો જ ન બદલી; તેમણે ભારતમાં જાહેરાતનો અર્થ બદલ્યો. બ્રાન્ડ્સને ઘરોમાં સ્લોટ કરવાથી લઈને ઉત્પાદનોને પ્રેમ, વિશ્વાસ અને નોસ્ટાલ્જિયાના પ્રતીકો બનાવવા સુધી, તેમણે કંપનીઓ અને સમુદાયો વચ્ચે પુલ બાંધ્યા. આજની ભારતીય જાહેરાત તેમણે શરૂ કરેલી સર્જનાત્મક ક્રાંતિ સાથે જોડાયેલી છે.

તેમણે અસંખ્ય કોપીરાઈટર્સ, વ્યૂહરચનાકારો અને માર્કેટર્સને માર્ગદર્શન આપ્યું, બધી પૃષ્ઠભૂમિઓના સર્જનાત્મક પ્રોફેશનલ્સ માટે દરવાજા ખોલ્યા. કોઈ ફોર્મ્યુલા સાથે નહીં, પણ એ બોધપાઠ સાથે કે “સર્જનાત્મકતા એટલે જીવવું, શ્વાસ લેવો અને તમારી આસપાસની દુનિયાને પ્રેમ કરવો છે.”

જ્યારે પીયૂષ પાંડે અવસાન પામ્યા, ત્યારે દેશે માત્ર જાહેરાત ઉદ્યોગના જ નહીં, પણ ભારતીય ઓળખાણને થયેલા નુકસાનનો શોક પાળ્યો. એ આપણાને મળેલા બેસ્ટ કેપ્શન્સના કેપ્ટન રહ્યા છે. ઓગિલ્વી ઇન્ડિયાએ તેમની વિદાયના ફૂલ પેજ ટ્રિબ્યુટને “અમારા જીવનની સૌથી મુશ્કેલ જાહેરાત” ગણાવી. પીયૂષ પાંડેનો વારસો ટ્રોફીઓ કે હેડલાઈન્સમાં નહીં, પણ તેમની સાથે હસેલા, રડેલા અને સપનાં જોયેલાં ભારતમાં લખાયેલો છે.  

બાય ધી વેઃ 

આપણે તાજેતરમાં જ એવા જણ ગુમાવ્યા, જે આગવી રીતે ખાસ હતા: પીયૂષ પાંડે, સતીશ શાહ અને અસરાની. ત્રણ એવી પ્રતિભાઓ હતી જેમણે મધ્યમવર્ગીય ભારત માટે અરીસો પકડી રાખ્યો. એક આખી પેઢી આ ચહેરાઓનાં કામની સાથે ઉછરી છે. સતીશ શાહ એક પેઢી માટે ડિ’ મેલો હતા તો એક પેઢી માટે ઇન્દ્રવદન સારાભાઈ, અસરાની તો અંગ્રેજો કે ઝમાને કે જેલર થે. લોક ચાહના માટે સ્ટાર હોવું જરૂરી નથી. આ ત્રણેય ખોટ અંગત લાગી એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. કેપ્શન્સ પતી ગયા છે પણ કેપ્ટને આપણને ભાષા શીખવી છે. આ સાથે સતીશ શાહ અને અસરાનીને પણ સલામ અને વંદન. 

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02  નવેમ્બર 2025

Loading

...102030...41424344...506070...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved