Opinion Magazine
Number of visits: 9663186
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની

રાજ ગોસ્વામી|Opinion - Opinion|14 December 2025

રાજ ગોસ્વામી

ટાટા પરિવારની જાણીતી હસ્તી સિમોન ટાટાનું 5મી ડિસેમ્બરે 95 વર્ષની વયે અવસાન થઈ ગયું. સિમોન ટાટા ટ્રેન્ટનાં ચેરપર્સન એમેરિટસ અને ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટાનાં માતા તેમ જ ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન ટાટાનાં સાવકાં માતા હતાં. મોટાભાગના આમ લોકોને સિમોનનું નામ સ્મૃતિમાં ન હોય તે શક્ય છે, પરંતુ લેક્મે બ્યુટી બ્રાન્ડ સૌની જીભે હશે. આ લેક્મેને (અને પાછળથી વેસ્ટસાઈડને) એક સફળ પ્રોડક્ટ બનાવવા પાછળ સિમોનનું દિલ અને દિમાગ હતું. લેક્મેની એ કહાનીમાં ભારતના વિકાસની પણ એક ગાથા છે. 

કહાનીની શરૂઆત 1953માં થઇ હતી. જીનીવામાં જન્મેલી 23 વર્ષીય સિમોન દૂનોયેર તે વર્ષે ફરવા માટે ભારત આવી હતી. તે જીનીવામાં (ટાટા જૂથની) એર ઇન્ડિયા માટે કામ કરતી હતી. મુંબઈમાં તે રતનજી ટાટાના દીકરા નવલ ટાટાને ભટકાઈ. નવલ 26 વર્ષના હતા અને ડિવોર્સ લીધેલા હતા, જેમાંથી તેમને બે સંતાનો હતાં; રતન અને જિમી. 

1955માં નવલ સાથે લગ્ન કરીને સિમોન કાયમ માટે મુંબઈ આવી ગઈ. તે સમયે સ્વતંત્રતા પછીનું ભારત નવા સપનાંઓ, નવી આશાઓ અને આત્મનિર્ભરતાની તાજી હવામાં થનગનતું હતું. પંડિત નહેરુના નેતૃત્વમાં 1950નો દાયકો દેશના આર્થિક પુનનિર્માણનો સમય હતો. ટાટા જૂથ એમાં મોખરાની ભૂમિકા નિભાવી રહ્યું હતું.

નહેરુ ત્યારે ‘બોમ્બે ક્લબ’ તરીકે ઓળખાતા મુંબઈના ઉદ્યોગપતિઓને નિયમિત મળતા હતા અને આર્થિક નીતિઓમાં માર્ગદર્શન મેળવતા/આપતા હતા. એવી જ કોઈ એક ચર્ચામાં તેમણે સહજ ચિંતા વ્યક્ત કરી હતી કે ભારતીય મહિલાઓ યુરોપિયન અને અમેરિકી કોસ્મેટિક્સ પર નિર્ભર છે, જેના કારણે મોટી માત્રામાં વિદેશી ચલણ દેશમાંથી બહાર જઈ રહ્યું છે. એટલું જ નહીં, નાણાં મંત્રાલયે વિદેશી કોસ્મેટિક્સની આયાત પર પાબંધી મૂકી દીધી. એટલે અકળાયેલી મહિલાઓએ નહેરુ પર કાગળો લખ્યા.

તે સમયે ભારતમાં કોસ્મેટિક ઉત્પાદન ગુણવત્તાની દૃષ્ટિએ નબળું હતું. નહેરુએ આ મુદ્દે જે.આર.ડી. ટાટા સાથે ચર્ચા કરી હતી (જે બોમ્બે ક્લબના આગેવાન હતા). ટાટાએ તે વાતને માત્ર આર્થિક સમસ્યા નહીં, બલકે ભારત માટે સૌંદર્ય અને સ્વદેશીના ગૌરવનો નવો અધ્યાય લખી શકાય તેવા અવસર તરીકે જોઈ હતી. તે પછી ટાટા ગ્રુપની કંપની TOMCO મારફતે એક એવી ભારતીય કોસ્મેટિક બ્રાન્ડ શરૂ કરવાની યોજના બનાવાઈ, જે માત્ર ભારતીય ત્વચા અને હવામાન માટે જ અનુકૂળ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય ગુણવત્તા સાથે પણ મેળ ખાતી હોય.

જ્યારે પ્રોડક્ટ તૈયાર થઇ, ત્યારે તેનું નામ રાખવાનો પ્રશ્ન આવ્યો – એવું નામ જે આધુનિક પણ હોય અને ભારતીય પણ. એની મથામણમાં એક ફ્રેન્ચ ઓપેરા પર ધ્યાન ગયું. સંગીતકાર લિઓ ડિલિબે આ ઓપેરાની રચના કરી હતી. તે થિયોડોર પાવી નામના લેખકની વાર્તાઓ અને અને પિયરે લોતી નામના લેખકની નવલકથા ‘લે મેરેજ’ પર આધારિત હતું. 

એમાં એક બ્રાહ્મણ છોકરી અને બ્રિટિશ સૈનિક વચ્ચેના પ્રેમની વાર્તા હતી. 1883માં પેરિસમાં તેનું પરફોર્મન્સ થયું હતું. ઓપેરાનું નામ હતું ‘લેક્મે,’ જે છોકરીનું પણ નામ હતું. તે સંસ્કૃત ‘લક્ષ્મી’નું અપભ્રંશ હતું. નામમાં ભારતીય ઓળખ પણ હતી અને યુરોપિયન આકર્ષણ પણ. આ સંયોગ ટાટા ગ્રુપને ઘણો પસંદ આવ્યો અને બ્રાન્ડનું નામ લેક્મે રાખવાનો નિર્ણય લીધો. આ તે સમયની ભારત-ફ્રાન્સ સાંસ્કૃતિક અંતર્ધારાનું પણ પ્રતિક હતું – એક આંતરરાષ્ટ્રીય વિચારથી ઊભરેલી સ્વદેશી ઓળખ.

મુંબઈના પેડર રોડ પર એક નાનકડી ઓફિસમાં લેક્મેની શરૂઆત થઇ હતી. શરૂઆતમાં ઉત્પાદન ઓછું હતું, પરંતુ તેની લોકપ્રિયતા ઝડપથી વધી અને માંગ પણ. તે પછી તેનું ઉત્પાદન સિવરી સ્થિત TOMCOની ફેક્ટરીમાં ફેરવવામાં આવ્યું. 1961માં સિમોન ટાટા એમાં જોડાયાં, અને તે પછી લેક્મેની અસલી ઉડાન શરૂ થઇ. આગામી બે દાયકાઓમાં તેમણે આ બ્રાન્ડને આગળ વધારી અને લોકોને તેમના વિચારો બદલાવીને તેમને વધુ આત્મવિશ્વાસભર્યા અને આધુનિક બનાવ્યા. 1970 અને 1980ના દાયકામાં તેમના નેતૃત્વ હેઠળ લેક્મેએ માત્ર ગ્લેમરથી જ નહીં, પરંતુ ભારતીય મહિલાઓની ઇચ્છાઓ અને તેમના બજેટને અનુકૂળ પ્રોડક્ટ બનીને  પ્રગતિ કરી. 

સિમોને તેને યાદ કરીને કહ્યું હતું, “અમારી પાસે એક કોસ્મેટિક કંપની હોવા છતાં, કોઈ પ્રોડક્ટ નહોતી – કોલ્ડ ક્રીમ પણ નહીં. ટાટાના ડિનર પર મને બોર્ડમાં સામેલ થવાની ઓફર થઇ હતી. ત્રણ દિવસ પછી મેં જાતને કહ્યું હતું – કેમ નહીં? મને ખબર નહોતી તે ઓફર મને ક્યાં લઇ જશે.”

સિમોન ટાટાએ ફક્ત બ્રાન્ડને વ્યવસાયિક રીતે સંગઠિત જ નહોતી કરી, પરંતુ તેની ઓળખને આધુનિક રૂપ પણ આપ્યું. તેમના નેતૃત્વ શૈલીમાં યુરોપીય નમ્રતા અને ભારતીય બજારની સમજનો અનોખું સંમિશ્રણ હતું. ઉત્પાદનોની ગુણવત્તા, પેકેજિંગ, જાહેરાત અને બ્રાન્ડિંગ – આ તમામ પાસાઓમાં નિયમિત સુધારાએ લેક્મેને ભારતીય સ્ત્રી-સૌંદર્યની સમાનાર્થી બનાવી દીધી.

ધીરે-ધીરે લેક્મે કેવળ એક કોસ્મેટિક બ્રાન્ડ ન રહેતાં, ભારતમાં સુંદરતા અને આત્મવિશ્વાસનું સાંસ્કૃતિક પ્રતિક બની ગઈ. તેની વધતી લોકપ્રિયતા અને બદલતા બજારમાં સાથે 1996માં ટાટા ગ્રૂપે તેને હિન્દુસ્તાન યુનિલિવરને વેચી દીધી, જેણે આ બ્રાન્ડને વધુ વિસ્તૃત બ્રાન્ડમાં ફેરવી દીધી. આજે લેક્મે માત્ર ભારતીય બજારની જ અગ્રગણ્ય કોસ્મેટિક બ્રાન્ડ નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની ઓળખ બનાવી ચૂકી છે.

એક જૂના ઈન્ટરવ્યુના સિમોને કહ્યું હતું, “60ના દાયકામાં, દેશમાં સુંદરતાનો અર્થ નિશ્ચિત રૂપે કોઈ કોસ્મેટિક્સ સાથે નહોતો. બધું જૂનવાણી હતું – એક તરફ પ્રાકૃતિક, હર્બલ પ્રોડક્ટ્સ હતી અને બીજી તરફ ટેલ્કમ પાવડર. બસ, એમાં જ બધું આવી ગયું. મેકઅપ વર્જિત હતો. તમે મેકઅપ કરીને બહાર ન જઈ શકો, લિપસ્ટિક સુદ્ધાં નહીં. સિવાય તમારે બેડ-ગર્લ કહેડાવવું હોય.”

એક અર્થમાં, લેક્મેની કહાની ભારતના વિકાસની કહાની પણ છે – જેમાં એક નાની આર્થિક ચિંતા, એક ઉદ્યોગપતિની દૃષ્ટિ, એક વિદેશી ઓપેરાની પ્રેરણા, અને એક મહિલાના નેતૃત્વએ મળીને એવી બ્રાન્ડ બનાવી જે હવે લાખો ભારતીય મહિલાઓની દૈનિક જીવનનો હિસ્સો બની ગઈ છે. આ કહાની બતાવે છે કે પ્રેરણા ક્યારે ય કોઈપણ દિશાથી આવી શકે છે – ક્યારેક રાષ્ટ્રની જરૂરિયાતમાંથી, ક્યારેક સંસ્કૃતિમાંથી, અને ક્યારેક કોઈ જૂની ફ્રાંસીસી ધૂનમાંથી. લેક્મે એ વાતની જીવંત સાબિતી છે કે જ્યારે સ્વદેશી વિચાર વૈશ્વિક દૃષ્ટિ સાથે મળે, ત્યારે પરિણામ ફક્ત એક બ્રાન્ડ નહીં, પણ એક વિરાસત બને છે. 

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’, ‘સંસ્કાર’ પૂર્તિ, સંદેશ; 14 ડિસેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|14 December 2025

હેમન્તકુમાર શાહ

‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અખબારમાં ગઈ કાલે આવેલા એક સમાચાર અહેવાલ અનુસાર ગામડાંમાં એક વર્ષમાં ૧૦૦ દિવસની રોજગારીની બાંયધરી આપતા દેશના પ્રથમ ‘મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર બાંયધરી ધારા’ (મનરેગા) નામના કાયદાનું નામ હવે મોદી સરકાર બદલી રહી છે! આશ્ચર્ય અને આઘાતજનક છે આ નામ ફેરબદલી કારણ કે ‘મહાત્મા ગાંધી’ને બદલે હવે ‘પૂજ્ય બાપુ’ શબ્દો આવી રહ્યા છે! 

‘મહાત્મા’ અને ‘ગાંધી’ એ બે શબ્દો જ મોહનદાસ કરમચંદ ગાંધી માટે સૌથી જાણીતા છે.  ‘ગાંધીજી’ શબ્દ ‘જી’ લગાડીને માનવાચક શબ્દ બનાવાયો છે. પરંતુ તે પણ દુનિયાભરમાં એટલો ચલણમાં નથી કે જેટલો ‘મહાત્મા’ શબ્દ છે.

ગાંધીને ‘મહાત્મા’ કહેવાનું નરેન્દ્ર મોદીની સરકારને ગમતું નથી. રવીન્દ્રનાથ ટાગોરને ગમતું હતું હોં! અને ‘ગાંધી’ અટકને પણ કાયદાના નામમાં રહેવા દેવાનું મોદી સરકારને ગમતું નથી. ખરેખર તો મોદીને, RSSને, ભા.જ.પ.ને અને આ આખી ગોડસે ગેંગને કે તેમના સમર્થકોને મહાત્મા ગાંધી નામનો માણસ દીઠ્ઠો ગમતો નથી. એનું કારણ એ છે કે એ જમાનાની બંધારણ સભાના, કહીએ તો કહેવાય એવા માર્ગદર્શક મંડળના, એ એકમાત્ર માણસે જ દેશ આઝાદ થયો ત્યારે દેશને હિન્દુ રાષ્ટ્ર બનતાં રોક્યો હતો કારણ કે એમને ખબર હતી કે હિંદુ રાષ્ટ્ર એટલે ધર્મઝનૂની રાષ્ટ્ર, હિટલરના જર્મની જેવું ઘાતકી અને ક્રૂર રાષ્ટ્ર તથા બ્રાહ્મણ પેશવાઓનો જાતિવાદી શોષણખોર અસમાનતાથી ભરપૂર તાનાશાહી સમાજ સ્વીકારતું રાષ્ટ્ર. 

એટલે જ, એક ભળતું જ નામ મોદી સરકાર લઈ આવે છે કે જે મહાત્મા ગાંધી સિવાય કોઈ એરગેરા, કહેવાતા, ફાલતુ, બે બદામડી જેવા સાધુસંતને કે કથાકારને પણ સામાન્ય રીતે લાગુ પડી શકે. મૂળ ઇરાદો તો મહાત્મા ગાંધીનું નામ બધેથી ધીમે ધીમે ભૂંસવાનો છે એ સ્પષ્ટ છે.  

‘પૂજ્ય બાપુ’ એવા બે શબ્દો તો કોને કોને લાગુ પડી શકે એ વિચારો, અને ‘મહાત્મા ગાંધી’ શબ્દ બોલો તો કોણ યાદ આવે એ વિચારો. નાલાયકી અને નફ્ફટાઈની રોજેરોજ મોદી સરકાર દ્વારા નવી હદ બનાવવામાં આવે છે એમાં આ વધુ એકનો ઉમેરો થઈ રહ્યો છે. 

બેશરમ મોદી સરકારને જરા યાદ અપાવું :

(૧) ગાંધીની હત્યા થઈ ત્યારે RSSના બીજા ક્રમના સરસંઘચાલક માધવ સદાશિવ ગોલવલકર મદ્રાસમાં એટલે કે આજના ચેન્નઈમાં હતા. તેમણે RSSના સ્વયંસેવકોને તરત જ ૧૩ દિવસનો શોક પાળવા માટે જે આદેશ આપ્યો હતો તેમાં મોહનદાસ કરમચંદ ગાંધી માટે ‘મહાત્માજી’ શબ્દ વાપર્યો હતો. ગોલવલકર ગાંધીને ભયંકર ધિક્કારતા હતા તેમ છતાં તેમણે કમને પણ ‘મહાત્માજી’ શબ્દ તો વાપર્યો જ હતો.

(૨) ગોલવલકરે એ જ દિવસે જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ અને ગાંધીના એક દીકરા દેવદાસ ગાંધીને જે અંગ્રેજી શોકસંદેશો તાર કરીને પાઠવેલો તેમાં પણ ગોલવલકરે ગાંધી માટે “દિવ્ય આત્મા” (divine soul) એવા બે શબ્દો વાપરેલા. 

(૩) તા.૦૮-૧૨-૧૯૪૭ના રોજ ગોલવલકર દ્વારા દિલ્હીમાં RSSના આશરે ૨,૫૦૦ જેટલા સભ્યોને જે સંબોધન કરવામાં આવ્યું હતું તેમાં પણ તેમણે મોહનદાસ કરમચંદ ગાંધી માટે ‘મહાત્મા ગાંધી’ એમ બે શબ્દો ઓછામાં ઓછું બે વખત વાપર્યા હતા. જો કે, આ સભામાં જ ગોલવલકર દ્વારા ગાંધીને આડકતરી રીતે ગર્ભિત ધમકી આપવામાં આવી હતી કે તેમના જેવાઓને “ચૂપ કરી દઈ શકાય.” આ ઘટના છે ગાંધીની નથુરામ ગોડસેએ હત્યા કરી તેના બરાબર ૫૩ દિવસ પહેલાંની! 

માધવ ગોલવલકર તો નરેન્દ્ર મોદી કરતાં જરા વધારે હર્ષ સંઘવી બ્રાન્ડ સંસ્કારી કહેવાય, નહીં, કારણ કે એમણે તો ‘મહાત્મા ગાંધી’ એવા બે શબ્દો બે વખત વાપર્યા? 

અને હા, ગાંધીએ પોતે જ કહેલું કે :

“જ્યાં સુધી મારામાં શ્રદ્ધા પ્રજ્જવલિત રહેશે, અને મને આશા છે કે હું એકલો પડી ગયો હોઈશ તો પણ તે તેવી રહેશે, હું કબરમાં પણ જીવતો રહીશ અને વળી તેમાંથી પણ બોલતો રહીશ.”

આ પોરબંદરનો “મોનિયો” મહાત્મા બનીને કબરમાંથી પણ ગોડસે બ્રાન્ડ ચડ્ડી ગેંગને કેટલી હેરાનપરેશાન કરે છે! આ મહાત્મા ગાંધીના “દિવ્ય આત્મા”નો સત્યાગ્રહ છે! એમનું ગોડસે ગેંગ સાથેનું અસહકાર આંદોલન દિલ્હીના રાજઘાટ પરથી ચાલુ જ છે, એ પોતડીધારી ડોસો ત્યાં એકલો જ હશે તો પણ એ ચાલુ જ રહેશે.

તા.૧૪-૧૨-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારાત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે

રમેશ ઓઝા|Opinion - Opinion|14 December 2025

રમેશ ઓઝા

જે જાણીબૂજીને ખોટું બોલતા હોય, જે જાણીબૂજીને દુષ્પ્રચાર કરતા હોય, જેમને જૂઠનો સહારો લઈને કોઈને બદનામ કરવામાં શરમ કે સંકોચ ન થતો હોય એવા લોકોને સત્યનાં પ્રમાણો આપીને જ્ઞાન પીરસવાનો કોઈ અર્થ ખરો? જે લોકો જાણે છે કે આપણા નેતા ખોટું બોલીને કોઈને બદનામ કરી રહ્યા છે અને છતાં તેનું સમર્થન કરે અને દુષ્પ્રચાર તેમ જ ચારિત્ર્યહનનમાં ભાગીદાર બને એવા સમર્થકોને પણ જ્ઞાન પીરસવાનો કશો અર્થ ખરો? લોકસભામાં વંદે માતરમ્ ગીતની ૧૫૦મી જયંતી પ્રસંગે બોલતા વડા પ્રધાને હંમેશ મુજબ નેહરુને ગાળો દીધી અને પછી ગૃહમાં સત્યનો સામનો ન કરવો પડે એ માટે ચાલી ગયા. આ પણ કોઈ નવી વાત નથી. બરાડા પાડીને, જાડા અભિનય સાથે ખોટું બોલીને ચાલી જનારાઓને પણ જ્ઞાન પીરસવાનો કોઈ અર્થ ખરો?

વડા પ્રધાન તો ચાલી ગયા, પણ એ પછી લોકસભામાં વંદે માતરમ્ પર ચર્ચા થઈ જેમાં જવાહરલાલ નેહરુનાં જ વંશજ પ્રિયંકા ગાંધી મેદાન મારી ગયાં. તેમણે પ્રમાણો સાથે, મૂળ પત્રો અને મિનિટસ ટાંકીને, વંદે માતરમ્‌ને ટૂંકાવવાનો નિર્ણય લેનારાઓના નામ આપીને અને એ નિર્ણય કોઈ પણ પ્રકારના ભિન્ન સૂર વિના સર્વાનુમતે લેવાયો હતો તેનું પ્રમાણ આપીને કોઈ પ્રગલ્ભ સંસદસભ્યને છાજે એવો જવાબ આપ્યો. પણ એમાં રસ કોને હતો? ન એ બોલનારાને અજ્ઞાન દૂર કરવામાં રસ છે કે નથી તેના સમર્થકોને. તેઓ આ બધું જાણીબૂજીને કરે છે. પાથીએ પાથીએ તેલ રેડો તો પણ તેઓ એ જ કરવાના છે જે કરી રહ્યા છે. 

તેઓ અજ્ઞાની નથી, તેમનો એજન્ડા છે. સમર્થકો પણ ભૂંડભક્તો નથી, એજન્ડાના સમર્થકો છે. જે મોટી મોટી વાતોથી અને કહેવાતા ગુજરાત મોડેલથી ભરમાયા હતા એમનો ભ્રમ ક્યારનો  ભાંગી ગયો છે. 

અહીં એક પ્રશ્ન વિચારવા જેવો છે. ૧૮૮૫માં જ્યારે કાઁગ્રેસની સ્થાપના થઈ ત્યારે દેશના કેવા કેવા દિગ્ગજોએ આગળ આવીને કાઁગ્રેસની સ્થાપના કરી હતી? ૧૯મી સદીના લગભગ તમામ મહાન નેતાઓએ તેમાં ભાગ લીધો હતો. મુસલમાનો, બહુજન સમાજ, સીખો અને બીજા કેટલાક સમાજના નેતાઓના મનમાં થોડીક શંકાકુશંકા હતી તો તે દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાઁગ્રેસની સ્થાપના થઈ એ પછીનાં ત્રણ દાયકામાં દેશના કેવા કેવા મહાપુરુષો તેમાં જોડાયા હતા. એ સમયના કોઈ પણ મહાપુરુષનું નામ બોલો અને તેમનો કાઁગ્રેસ સાથેનો સંબંધ જોવા મળશે. ૧૯૧૫માં ગાંધીજીના આગમન પછી કાઁગ્રેસે કેવા કેવા મહાપુરુષોને પેદા કર્યા એ તરફ પણ નજર કરો. જો ગણવા બેસશો તો ઓછામાં ઓછા દસ હજાર પ્રતાપી પુરુષોનો કાઁગ્રેસનો સંગાથ હતો. દરેક વર્ગના, દરેક સમાજના, દરેક પ્રદેશના, દરેક ભાષાના દિગ્ગજો કાઁગ્રેસમાં હતા. સાહિત્યકારો અને કલાકારો પણ. કાઁગ્રેસ તો રાષ્ટ્રીય સંસ્થા હતી, આપણે પૂર્વ ભારતના એક ખૂણે સ્થપાયેલી શાંતિનિકેતન નામની સંસ્થાની વાત કરીએ. એક વ્યક્તિએ સ્થાપેલી નાનકડી સંસ્થા. એમાં કેવા કેવા દિગ્ગજો જોડાયા અને તેણે કેવા કેવા દિગ્ગજો પેદા કર્યા? ક્ષિતિમોહન સેન, અમર્ત્ય સેન, નંદલાલ બોઝ, હજારી પ્રસાદ દ્વિવેદી, બલરાજ સાહની જેવા સોએક નામ હું વગર પ્રયાસે ગણાવી શકું. 

હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વાત કરીએ જેની શતાબ્દી ઉજવવામાં આવી રહી છે. તેની સ્થાપનામાં કોણ મહાપુરુષો હતા? ૨૦૧૦ સુધી અંદાજે ૮૦ ટકા ભારતીય પ્રજાએ તેમનાં નામ પણ નહોતાં સાંભળ્યાં. સંઘની સ્થાપના પછી એવા કોણ દિગ્ગજ હતા જે તેમાં જોડાયા? અને ત્રીજો સવાલ, સંઘે કેટલા પ્રતાપી પુરુષોને પેદા કર્યા જેનું જે તે ક્ષેત્રમાં અવ્વલ દરજ્જાનું યોગદાન હોય? સો વરસ એ કોઈ નાનોસૂનો સમયગાળો નથી. શાંતિનિકેતન નામની નાનકડી સંસ્થા સો મેધાવી મહાપુરુષને જોડી શકે કે પેદા કરી શકે અને આ ધરતી પરનું સૌથી વિરાટ સંગઠન એક પણ દિગ્ગજને આકર્ષી ન શકે કે ન પેદા કરી શકે ત્યારે વિચારવું જોઈએ કે આ જે ફરક છે એ શેનો ફરક છે. ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસ શરૂઆતના ચાર દાયકા એક લચીલા પ્લેટફોર્મના સ્વરૂપમાં હતી, તેનું સંઘ જેવું ચુસ્ત સંગઠન પણ નહોતું. તેનાં દેશભરમાં સર્વત્ર કાર્યાલય નહોતાં કે પૂર્ણકાલીન કાર્યકર્તા નહોતા. દાયકાઓ સુધી કાઁગ્રેસનું વડું મથક અલ્હાબાદમાં મોતીલાલ નેહરુના મકાન આનંદભવનમાં હતું.

તો સાહેબ, મૂળભૂત ફરક આ છે અને એ ફરક છે સપનાંનો અને એજન્ડાનો. ૧૯મી સદીમાં જે લોકોએ કાઁગ્રેસની સ્થાપના કરી એ લોકો ભારત વિષેનું સપનું જોનારા લોકો હતા. એ સપનું એકંદરે એક સમાન હતું, પણ એક સરખું નહોતું. મતભેદ હતા, થોડીક શંકાઓ હતી, અલગ અલગ બાબતો પર વિશેષ ભાર આપવામાં આવતો હતો, થોડા આગ્રહો પણ હતા. ત્યારે દરેકને એક વાત સમજાતી હતી કે આઝાદ અને આધુનિક ભારતનું સપનું સાકાર કરવું હોય તો સહિયારાપણું જોઈએ અને સહિયારાપણા માટે થોડી બાંધછોડ કરવી જોઈએ, બીજાને સાંભળવા જોઈએ. સહિષ્ણુતા જોઈએ. છેક ૧૯મી સદીમાં, જવાહરલાલ નેહરુ હજુ છ વરસના બાળક હતા ત્યારે વંદે માતરમ્ ગીતના માત્ર પહેલા બે અંતરા ગાવાનો નિર્ણય લેવાયો હતો. એ નિર્ણય ઠરાવ રૂપે નહોતો, વ્યવહારમાં હતો. બીજું બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયએ મૂળમાં બે અંતરા જ લખ્યા હતા જેને પાછળથી વિસ્તારવામાં આવ્યા હતા. માત્ર બે જ અંતરા લેવા પાછળનું કારણ એ હતું કે વિસ્તારવામાં આવેલું ગીત હિંદુ સાંપ્રદાયિક છે, ગાવામાં મુશ્કેલ છે, ઉચ્ચાર કરવામાં તકલીફ પડે અને મોઢું ભરાઈ જાય એવા ભારેખમ સંસ્કૃત શબ્દો તેમાં છે અને શબ્દકોશની સહાય વિના સમજવું અઘરું છે. આખું ગીત લોકપ્રિય થઈ શકે એવું છે જ નહીં. થયું પણ નથી. તેની સાંપ્રદાયિકતાને કારણે મુસલમાનોનો વિરોધ હતો અને તેની સંસ્કૃતપ્રચુરતાને કારણે બહુજન સમાજનો વિરોધ હતો. એ લોકો તો આધુનિક ભારતનું સપનું જોનારા લોકો હતા અને સપનું સાકાર કરવાની પ્રતિબદ્ધતા ધરાવનારા ઈમાનદાર લોકો હતા એટલે દૂરાગ્રહ નહોતો કર્યો. સમાધાનો કરતા હતા, સંમતિ બનાવતા હતા અને આગળ વધતા હતા. 

તેમણે માત્ર વંદે માતરમની બાબતે સમાધાન નથી કર્યું (જો એ સમાધાન લાગતું હોય તો) બીજી અનેક બાબતે સમાધાન કર્યાં છે. છેક ૧૮૮૫થી ૧૯૪૯ના નવેમ્બર મહિનામાં બંધારણ મંજુર રાખવામાં આવ્યું ત્યાં સુધી કાઁગ્રેસના નેતાઓ સમાધાનો કરતા આવ્યા છે. કાઁગ્રેસીઓએ આપસ આપસમાં સમાધાનો કર્યાં છે. ભાષાકીય પ્રાંત-રચના આનું એક ઉદાહરણ છે. ૧૮૮૫થી ૧૯૪૯ સુધી તેમણે કરેલાં સમાધાનોનાં કમ સે કમ સો ઉદાહરણ હું આપી શકું એમ છું જો સંઘને જરૂર હોય તો. ગાળો આપવા માટે, બદનક્ષી કરવા માટે, ચારિત્ર્યહનન કરવા માટે, રાઈનો પર્વત કરવા માટે કામ આવશે. જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે. બાંધછોડ શબ્દ જ સૂચવે છે એમ એમાં બે કે બે કરતાં વધુ પક્ષ હોય છે. એક મેળવે છે (બાંધે છે) અને એક છોડે છે. દરેકની સંતુષ્ટિ અને આગળ વધવા માટે સંમતિ કેન્દ્રમાં છે. 

પોતાના ભાષણમાં પ્રિયંકા ગાંધીએ યોગ્ય કહ્યું છે કે ચાલો, આપણે એક વાર સંસદમાં ચાલીસ-પચાસ કલાક બેસી જઈએ જેમાં તમારે કાઁગ્રેસની, ગાંધીજીની, નેહરુની, ઇન્દિરા ગાંધીની, રાજીવ ગાંધીની, નેહરુ પરિવાર અને પરિવાદવાદની, કાઁગ્રેસીઓની જેટલી નિંદા કરવી હોય, ગાળો દેવી હોય, બદનામી કરવી હોય, ઠઠ્ઠા કરવી હોય એ કરી લો, પેટ ભરીને કરી લો, કશું ન બચે ત્યાં સુધી કરી લો પણ એ પછી માત્ર અને માત્ર વર્તમાનની વાત કરવાની. 

પણ એ લોકો વર્તમાનમાં નહીં આવે, કારણ કે તેમની પાસે ભારત વિશેનું કોઈ સપનું નથી, એજન્ડા છે. સપનામાં અને એજન્ડામાં શું ફરક હોય છે એની વાત હવે પછી.   

 પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 ડિસેમ્બર 2025

Loading

...102030...41424344...506070...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved