Opinion Magazine
Number of visits: 9953763
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તૂરો અહેસાસ….                                             

Tooro Ahesaas …|Opinion - Short Stories|1 April 2025

સરયુ મહેતા-પરીખ

“આખરે મેનાને ગમતો વર મળ્યો ખરો,” રેખામાસી જરા ટોણાના રણકાર સાથે બોલી.

“હા, અંતે તો એણે રાજને જ પસંદ કર્યો.” મેનાની મા, દિવ્યા બોલી. “એણે કેટલાએ જોયા અને નકાર્યા.” 

બે વરસથી મેનાને માટે મુરતિયો શોધી રહ્યા હતાં, પણ સ્વતંત્ર મીજાજી મેના કોઈને પસંદ નહોતી કરતી. મા-બાપની સલાહ સૂચના કોઈ વાર હસીને કે કોઈવાર છણકો કરીને અવગણતી. અમેરિકામાં ઉછરેલી મેનામાં આત્મવિશ્વાસ અને આછકલાઈ ભારોભાર ભરેલાં હતાં. ભણવામાં હોશિયાર અને દેખાવમાં સારી તેથી સારો મુરતિયો મળશે તેવી દિવ્યાને આશા હતી … પણ ક્યારે?

દેશના છોકરાઓની વાત આવે તો, “મારે કોઈના અમેરિકા આવવાના એજન્ટ નથી બનવું.”
“તો પછી અહીંથી, ઓળખીતામાંથી પસંદ કર.”

“એ તો મારા મિત્રો છે, મારે તો કોઈ ખાસ … શોધવો છે.” મેના વટથી કહેતી. 

એક દિવસ મેના પોતાનું કમ્પ્યુટર બતાવી બોલી, “જો મમ્મી, આ જાહેરાત મને ઠીક લાગે છે. રાજ નામ છે અને વડોદરાથી ગયા વર્ષે આવીને ડેટ્રોઇટમાં ભણે છે. મેં ઈમેઈલથી વાતો કરી તો બરાબર લાગે છે, તો આજે ફોનથી વાત કરવાની છું.”

“હા, દેખાવડો સારો છે. ગ્રીનકાર્ડ નથી એનો તને વાંધો નથી લાગતો?”

“ના ના, એ તો થઈ પડશે. અત્યારે તો સ્ટુડન્ટ વિઝા હશે .…,” મેના રાજના સોહામણા ચહેરા સામે જોતા બોલી.

“ભલે, હું આવતા મહિને દેશમાં જવાની છું તો તેના કુટુંબની વધારે તપાસ કરું ને?” દિવ્યા ઉત્સાહથી બોલી. હકારાત્મક જવાબ મળતાં દિવ્યાએ ભારતમાં તેની બહેન, બહેનપણી વગેરેને છોકરાના પરિવાર વિષે તપાસ કરવાના ચક્રો ચાલુ કરી દીધાં. રાજના દાદા જાણીતા હતા અને સુખી મા-બાપનો એક જ દીકરો છે, તેટલું જાણ્યા પછી દિવ્યા વડોદરા જઈને તેમનું ઘર અને માત-પિતાને મળી આવી. નજીકના જાણકાર ખાસ કોઈ મળ્યાં નહીં તેથી વધુ ખણખોદ કર્યાં વગર વાત આગળ ચાલવા — અરે દોડવા લાગી. અને છ મહિનામાં લગ્નનો સમારંભ દિવ્યાની બહેનના વડોદરા પાસેના ફાર્મહાઉસ પર ધામધૂમથી ઉજવાયો. સ્વપ્નાનો રાજકુમાર મળી ગયો … મેનાનાં આનંદની સીમા નહોતી.

“હમણાં રાજ અમેરિકા આવશે અને અમારી સાથે રહેશે. મેના વકીલાતનું ભણવાનું પૂરું કરશે અને રાજ નોકરી શોધશે.” દિવ્યા તેની બહેનોને આ સરળ યોજના બતાવી રહી હતી.

નવા કુટુંબમાં જમાઈ રાજ સરસ રીતે ગોઠવાઈ ગયો. મિત્રો, સગાઓ કહેતાં, “વાહ, મેનાને તો સરસ વર મળી ગયો.” અને “શું ભણેલો છે?”ના જવાબમાં દિવ્યા કહેતી ….

“કમ્પ્યુટરમાં ડિગ્રી છે તેમ કહે છે. નોકરી મળતા વાર લાગે છે તો કાર-વોશમાં કામ લઈ લીધું છે. કેટલો નમ્ર છે!” દિવ્યાને બધું સારું જ દેખાતું. સામાન્ય ભણતરવાળા પણ ધંધામાં સફળ થયેલાં સગાંવહાલાં વચ્ચે જમાઈ કાંઈક આગળ ભણેલા છે તેનું ગૌરવ લાગતું. મેનાનો પહેલો પ્યાર, અને માતા-પિતાને દીકરી ગોઠવાયાનો આનંદ થોડા મહિનાઓ સુધી ચાલ્યો. પછી સવાલ ઊઠવા લાગ્યા કે કેમ કોઈ નોકરી નથી મળતી? રાજને ધંધો કરવા લોન લેવી હતી તો સસરા સાથ આપે અને બેન્કમાં અરજી કરે તેવી વાતચીત શરૂ થઈ હતી, જેનાં ફોર્મ્સ લાવીને મૂકયાં હતાં.

પહેલી લગ્નતિથિ ઉજવાઈ ગઈ. રાજના માતા-પિતા મહિનો દિવ્યાને ત્યાં રહીને હમણાં જ ન્યુયોર્ક ગયાં હતાં. એવામાં એક દિવસ દિવ્યાનાં સેલફોન પર ઘંટડી વાગી અને નામ ‘શીલા’ વંચાયું. 

“હેલો, ત્યાં રાજ છે?” શીલા નામની છોકરીએ પૂછ્યું. 

“હા, પણ અત્યારે ઘેર નથી. તમારે શું કામ છે?” 

“હું એની …. ખાસ ફ્રેન્ડ છું. રાજના સમાચાર નહોતા તેથી છ મહિના પહેલાં તેને ઘેર ગઈ હતી. ત્યારે તેના મમ્મી પપ્પાએ કહેલું કે રાજ આવવાનો હશે ત્યારે મને જણાવશે. મહિનાઓ નીકળી ગયા તેથી આજે ફરી એમને ઘેર ગયેલી, પણ નોકરે કહ્યું કે તેઓ અમેરિકા ફરવા ગયા છે અને જ્યારે હું બહુ પાછળ પડી ત્યારે આ નંબર મને આપ્યો. સોરી તમને તકલીફ આપી, પણ સાચું કહું તો, રાજ મને લગ્નનું વચન આપીને ગયો છે…..આપ કોણ?”

દિવ્યા થોડી વાર અવાચક બની ઊભી રહી પછી, “હું તેની સાસુ” એવાં શબ્દો આદત મુજબ સરી પડ્યાં.

હવે બીજે છેડેથી અવાજ આવતો બંધ થયો અને ડૂસકા સંભળાયા, “ઓહ, તમે સાચું કહો છો?”

દિવ્યા, “હા..” કહેતા ધ્રૂજી ગઈ.

તે સાંજે મેના જેવી ઘરમાં દાખલ થઈ કે ચિંતાતુર દિવ્યા તેને અંદરના રૂમમાં લઈ ગઈ અને ફોન પરની વાતચીત જણાવી. “આ રીતે જોઈએ તો રાજના માતા-પિતાએ શીલાથી તમારાં લગ્નની હકીકત કેમ છુપાવી હશે? મેના, રાજને પૂછતાં પહેલાં તું શોધ કે ખરેખર શું વાત છે!”

કમ્પ્યુટરમાં કુશળ મેનાએ તપાસ શરૂ કરી તો રાજના બીજાં સંબંધો યથાવત ચાલુ લાગ્યા. રાજ ઘેર આવીને નહાવા ગયો ત્યારે મેનાએ તેનો ફોન પણ તપાસ્યો અને સખત આંચકો લાગે તેવી વાતો છતી થઈ. કેટલાક અશ્લીલ ફોટા તેનું ખરું સ્વરૂપ દેખાડતાં હતાં … છેલ્લા પાંચ કલાકમાં તો મેના અને તેનાં પરિવાર ઉપર જાણે ઝંઝાવાત આવી ગયો.

હવે મેનાને રાજના ભણતર માટે પણ શંકા થઈ. બધી હકીકત ન મળે તેટલો સમય મેના ચૂપ રહી. તપાસ કરતાં ખબર પડી કે રાજે અમેરિકામાં કાંઈ અભ્યાસ કરેલો જ નહીં. ટુરિસ્ટ વિઝા પર આવીને રહી પડેલો. કુટુંબ પર વીજળી પડી હોય તેમ બધાં ચોંકી ગયાં. તે સાંજે મેના અને પરિવાર રાજની રાહ જોતાં બેઠાં પણ કોઈનું મન માનવા તૈયાર નહોતું. હજુ કોઈ આશાનો દોર પકડીને રાહ જોઈ રહ્યાં હતાં કે રાજ આવીને બધું બરાબર કરી દેશે. એક વરસથી સાથે રહેનાર વ્યક્તિને ઓળખી ન શક્યા! મેનાએ રાજને એક પછી એક સવાલ પૂછવા માંડ્યાં અને દરેક જવાબ સાથે ભયંકર નાલેશીના વાદળાં ઘેરાતાં ગયાં. વાત પરથી ખ્યાલ આવ્યો કે આ કુટુંબને છેતરવામાં રાજ અને તેના માતા પિતા પૂરા મળેલાં હતાં. 

“રાજ, તું અત્યારે જ ઘરની બહાર નીકળી જા.” મેનાના પિતાએ ઊંચા અવાજમાં રાજને બહાર ધકેલ્યો.
“હાં જઉં છું, મારો સામાન લઈને પછી જઉં છું.” ખંધુ હસતો સામાન લઈને નીકળી ગયો. દિવ્યાને થયું કે એ નાલાયકને જરા પણ ચિંતા નથી કે ક્યાં જશે! બે દિવસ પછી મેનાનો ભાઈ ખબર લઈ આવ્યો કે કોઈ મેક્સિકન બાઈના એપાર્ટમેન્ટમાં ગોઠવાઈ ગયો છે. મેનાની સ્થિતિ બહુ ચિંતાજનક હતી. રાજ ફોન કરે અને પાછા આવવા માટે પટાવે તો પોતાના નિર્ણય માટે શંકા થાય અને વ્યાકુળતા સાથે પતિ-પત્ની તરીકે આપેલા વચનો યાદ આવે. તેનાં મનને કેમ મક્કમ બનાવવું તેનો ઉપાય અઠવાડિયાને અંતે મળ્યો. દિવ્યા અને તેનો ભાઈ રાતના મેનાને કારમાં લઈ ગયા અને દૂરથી રાજને કોઈ બાઈ સાથે હાથ ઝુલાવતો એપાર્ટમેન્ટમાં જતો બતાવ્યો … ને એક તિવ્ર ડંખથી મેના રડી પડી. 

“જો, બેટા! એ કોઈ બિચારો નથી,” દિવ્યાએ મેનાને હકીકત સ્વીકારવા સમજાવી.

મેના ડિવોર્સ લેવા તૈયાર થઈ. દિવ્યા કહેતી કે આ વજ્રઘાતમાંથી બહાર આવતા સમય લાગશે પણ બે વાત સારી છે કે વચ્ચે બાળક નથી અને ગ્રીનકાર્ડની અરજી રદ્દ કરાવવાનો સમય છે. બેન્કના ફોર્મ્સ તો ફાડીને ફેંકી દીધાં. અને આમ …જીવનપ્રવાહ મંદ, નિરુત્સાહ ગતિથી વહેતો રહ્યો.

બે વરસમાં તો રાજ એ જ ગામમાં મજાના બંગલામાં રહેવા લાગ્યો. દિવ્યા કહેતી કે,”જે માણસે અમને આટલો મોટો આઘાત આપ્યો તે મજેસથી જીવે છે! આ ક્યાંનો ન્યાય? મારી દીકરીને આવું કેમ થયું?” દિવ્યાને ફરી ફરીને સવાલ ડંખતો હતો કે કેમ અમે કોઈ તેને ઓળખી ન શક્યા? સવાલ નિરાશાની દીવાલ સાથે અફળાઈને વેરાઈ જતો. દિવસો જતાં મેના ખૂબ મહેનત કરી પોતાનું ભવિષ્ય સ્થિર કરવા પ્રયત્ન કરી રહી હતી. 

એક દિવસ દિવ્યાને તેનો દીકરો કહે, “મમ્મી, કોઈ અજાણી ઈમેઈલ આવે તો જવાબ નહીં આપતી.”

“અરે તેના કરતાં પણ વધારે છેતરપીંડી તો ફોન પર થઈ રહી છે. એવી ઘણી ફરિયાદો સાંભળવામાં આવી રહી છે કે ઈન્કમ ટેક્સ કે એવા નામે ફોન કરી ભોળા માણસો પાસે પૈસા પડાવવાના શર્મજનક છળકપટમાં આપણા ગુજરાતીઓ પણ પાવરધા છે,” મેનાએ કહ્યું.

“ફોન પર કેવી રીતે પૈસા પડાવે.” મમ્મીને નવાઈ લાગી.

“આપણા દેશી લોકોની વાત કરીએ તો, દાખલા તરીકે, ગુજરાત અને અહીંના રહેવાસીની વ્યવસ્થિત ટોળકીમાંથી તને ઈન્કમ ટેક્સ ઓફીસમાંથી ફોન આવે. તું કહે મને અંગ્રેજી નથી ફાવતું તો તરત તારો ભાષાભેરુ ફોન પર આવીને કહે કે, ‘ઈન્કમ ટેક્સનો તમારે મોટો પ્રોબ્લેમ છે અને પોલિસ થોડા સમયમાં તમારે બારણે આવશે. આ તો હું તમને મદદ કરવા માટે આગળથી ફોન કરું છું. જરા પણ સમય નથી તેથી આટલા ડોલર વાયરથી કઈ રીતે મોકલવા તે હું તમને સમજાવું. હું અહીં અમેરિકન ઓફીસમાં બધું સંભાળી લઈશ અને મોટાભાગના ડોલર પાછા મોકલાવીશ. અને હા! ફોન બંધ નહીં કરતા, કનેક્શન ચાલુ જ રાખજો.’ આ રીતે કોઈને પૂછવાનો તને સમય ન આપે. અનેક ફોન કરે તેમાં કોઈ ગાભરું વ્યક્તિ ફસાઈ જાય અને રોજ રોજ આવી ફસામણીથી હજારો ડોલર્સ લૂંટે.”

આ વાતચિત ચાલતી હતી ત્યારે મેનાને કલ્પના પણ નહોતી કે તેમાં પકડાયેલાં લુચ્ચાઓમાં રાજનું નામ પણ જોવા મળશે. એક દિવસ તો રાજના કુકર્મો છતાં થઈ ગયા. આ માણસ કેટલી હદ સુધી દુષ્ટતા કરી શકે છે એ સમાચારથી મેનાનું અંતર થથરી ગયું. હવે ખ્યાલ આવ્યો કે રાજને મોટા બંગલામાં રહેવાનું કેમ પરવડતું હતું! 

“એ પકડાઈ ગયો છે અને સાત વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે.” મેના બોલી.

“અરે! જેને આપણે આટલો સમય સાથે રહ્યા પછી પણ ઓળખી ન શક્યા એવા મહા ઉસ્તાદ રાજને અંતે તો તેને યોગ્ય રહેઠાણ મળી ગયું.” પિતાના શબ્દોને મેના શુષ્કભાવ અને સૂકાયેલાં આંસુ સાથે સાંભળી રહી. અને હવે, મેના અને પરિવારવાળા, ઊંડો શ્વાસ લઈ હાશકારો અનુભવી રહ્યા. “દીકરી! વરસની આંધી સહીને આવા માણસથી વહેલો છૂટકારો મળી ગયો …તો હવે પછી, મુક્તિનો આનંદ અને ઊજળું ભવિષ્ય મન ખોલીને વધાવી લે.”

મારી આહની અસર
તારા આપેલા વ્હાલા વચનને વરી, ને થઈ બાવરી,

રૂપ રંગના ગુલાલમાં રોળી તેં લીધી આવરી.

મને ચૂસી મધુરી તેં મનભરી, રે છોડી અવાવરી,
સ્નેહ ચહેરે કાલિમા છુપી’તી, હું બની સાંવરી.

મધ્ય સૈરમાં છેતરી ઉતારી, એ સજા આકરી,
ને સેંથીએથી તારલી સરી, જાણે વીજ આંતરી.

તારી હોડીમાં મારું એક આંસુ ખર્યું….ને
નાવ ડૂબી તારી, તૂટી દોર આખરી.

——

Austin, Texas.  
e.mail : saryuparikh@yahoo.com 
www.saryu.wordpress.com

Loading

દર્દ

વિરાફ કાપડિયા|Poetry|31 March 2025

દર્દે અંદર દોડી જઈને
દરવાજા બંધ કરી દીધા,
જ્યારે ખુશીઓ યાદોના ગુલદસ્તા,
હસતા હસતા
મેંદીનાં મુકુલોથી મહેકતા,
લઈને મળવા આવી
મેહમાં વરસતા.

ખુશીઓ યુગો પછી
દર્દને મળી રહી હતી,
ખુશીથી ખીલી રહી હતી,
પણ દર્દની સિકલ
એટલી બદલાઈ ગઈ હતી,
ખુદ વીસરાઈ ગઈ હતી એને આપવીતી.

ખટખટાવ્યું ખુશીઓએ
મિત્રો, કિશોરીઓએ,
ગવૈયા, કિન્નરીઓએ,
ગોદમાં જેણે પાળ્યું’તું
તે ઘરડી સ્ત્રીઓએ,
પણ દર્દે દુવાર નહીં ખોલ્યું,
કેવલ અંદરથી બોલ્યું —
હું બીજું કંઈ નથી કહેતું,
બસ એટલું જ કે દર્દ હવે અહીં નથી રહેતું.

email: vkapmail@yahoo.com

Loading

સત્ય સામે પક્ષે પણ હોઈ શકે છે … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|31 March 2025

રવીન્દ્ર પારેખ

આ દેશમાં અનેક રાજાઓ હતા ને મોટે ભાગે તો અંદરોઅંદર લડવામાંથી જ ઊંચા આવતા ન હતા. બીજી પ્રજાઓ અહીં વેપાર-ધંધા અર્થે આવી ને તેણે જોયું કે અહીં બધું જ છે, નથી તો કેવળ સંપ ! મોગલો, ફિરંગીઓ ને અંગ્રેજો આક્રમણ અર્થે આવ્યા, ત્યારે પણ અહીંની પ્રજા કરતાં તો તેમની સંખ્યા ઓછી જ હતી, છતાં વિદેશીઓ હજારેક વર્ષ આપણને ગુલામ બનાવવામાં સફળ રહ્યા. એ સ્થિતિ આજે પણ બહુ બદલાઈ નથી. પાકિસ્તાન આતંકી પ્રવૃત્તિઓ વિશ્વભરમાં ફેલાવી શકે છે, પણ તેને ખતમ કરવાનું કોઈને સૂઝતું નથી. ચીન ભારતની સરહદો ભૂંસીને નામચીન થતું રહ્યું છે ને સરકાર છેક હવે સ્વીકારે છે કે ચીને ઘૂસણખોરી કરી છે. POK લઈને રહીશું એવો અવાજ થોડે થોડે વખતે બુલંદ થતો રહે છે, પણ 75થી વધુ વર્ષ થવા છતાં એનું મુહૂર્ત આવતું નથી. થોડા આતંકીઓ ઠાર થતાં હોય, તો પણ યુદ્ધ વગર ભારતીય સૈનિકો શહીદ થતા રહે તે દુ:ખદ છે. 

આજે પણ અલગ રાજ્યોની, દેશની માંગ થતી રહે છે. ભાષાનો વિવાદ પણ ગમે ત્યારે માથું ઊંચકે છે. તે ઓછું હોય તેમ ધાર્મિક વિવાદ પણ ગમે ત્યારે ભડકી ઊઠે છે. નાગપુરમાં થયેલી હિંસા ને તે પછી થતો બુલડોઝર ન્યાય છેક ઉત્તર પ્રદેશથી માંડીને ગુજરાત સુધી આવ્યો છે. શાંતિ કદાચ કોઈને જ ખપતી નથી. કોઈ છે જેને રસ છે કે ભડકો થતો રહે. તે થયા પછી બીજો રસ્તો જડી જાય છે, તે જવાબદારી બીજા પર ઢોળવાનો –

ભારત સર્વ ધર્મ સમભાવમાં માને છે. આટલા ધર્મો ને સંપ્રદાયો એટલે છે, કારણ ભારત બિનસાંપ્રદાયિક છે. આ બધું એક આદર્શ તરીકે ગમે, પણ વાસ્તવિકતા એ છે કે ધર્મ છે, તો અધર્મ પણ છે. આચાર છે, તો અનાચાર પણ છે. ધર્મગુરુ દુરાચારી ન હોવા જોઈએ, પણ હોય છે. 29 માર્ચના જ સમાચાર છે કે સાગર સમુદાયના જૈનાચાર્ય સાગરચંદ્રસાગર મહારાજ અને બે જૈન સાધ્વીઓની બીભત્સ તસ્વીરો વાઇરલ થતાં જૈન સમુદાયમાં ખળભળાટ મચી ગયો છે. મુનિને પદભ્રષ્ટ કરીને ફરી સંસારમાં મોકલી દેવાની સમુદાયે જ હિલચાલ શરૂ કરી છે. ગયા ડિસેમ્બરમાં આ તસ્વીરો વાઇરલ થતાં મહારાજ ભૂગર્ભમાં ઊતરી ગયા છે. મહારાજ તાજેતરમાં પાલિતાણાના જંબુદ્વીપ આરાધના ભવનમાં છે એવી ખબર પડતાં જૈન યુવાનો સંસારી વસ્ત્રો લઈને તેમને પદભ્રષ્ટ કરવા ત્યાં પહોંચતાં ધમાલ મચી ગઈ. પોલીસ પણ હકીકત જાણીને આ મામલાથી દૂર રહેતાં, ગચ્છાધિપતિ નરદેવસાગર સૂરીશ્વર મહારાજે યુવાનોને સમજાવ્યા કે સાગરચંદ્રસાગર મહારાજને દંડ તેમના ગુરુ જૈનાચાર્ય અશોકસાગર મહારાજ જ આપી શકે. અઠવાડિયા પછી આવે તે પછી જ તેઓ નિર્ણય લઈ શકે.

આ સમાચાર અંગે કૈં નક્કી થાય ત્યાં તો ગઈ કાલે જ સમાચાર આવ્યા કે સાગરચંદ્રસાગરની જૈન સાધ્વી સાથેની અશ્લીલ તસવીરો જૈન સાધુઓને બદનામ કરવાનું કાવતરું છે. એ તસ્વીરોની ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ કરાતાં એવું બહાર આવ્યું કે તસ્વીરો કોમ્પ્યુટર અને AIની મદદથી ઊભી કરવામાં આવી છે. એવું સાગર સમુદાયના ગચ્છાધિપતિ અશોકસાગર સૂરિ મહારાજે જણાવ્યું, એ સાથે જ સુરતની ફોરેન્સિક લેબોરેટરીનો 9 માર્ચ, 2025નો રિપોર્ટ પણ પ્રગટ કરવામાં આવ્યો. આવું એટલે કરવામાં આવ્યું કે મિલકતો બાબતે ટ્રસ્ટીઓ વચ્ચે ઝઘડા ચાલે છે ને એ અંગે જૈન મુનિઓ ટ્રસ્ટને માર્ગદર્શન આપે છે, તો જૈન આચાર્યોને ટાર્ગેટ કરવામાં આવે છે. આ અગાઉ પણ પાલિતાણામાં અઢીદ્વીપ તીર્થમાં હાર્દિક રત્ન મહારાજના ફોટા વાઇરલ કરી તેમને બદનામ કરવાનો પ્રયત્ન થયેલો. સવાલ એ થાય કે આ ટ્રસ્ટીઓ અન્ય ધર્મના છે? પેલા યુવાનો મહારાજને સંસારી બનાવવા પહોંચ્યા તે અન્ય ધર્મના છે? એક જ ધર્મના સજ્જનો સામસામે આવીને ધર્મની આ કેવી સેવા કરે છે? આવું કરવાનું ધર્મ કહે છે?

કોઈ પણ ઘટનાની સચ્ચાઈ જ હવે શંકાસ્પદ છે. એક તબક્કે મહારાજ જવાબદાર લાગે ને તેમને વિષે કોઈ મત દૃઢ થાય ત્યાં તો આખી ઘટના ઉપજાવી કાઢેલી છે એવી વાત બીજે જ દિવસે જાહેર થાય છે. કાલે કોઈ જુદી જ વાત બહાર આવે તો તેની તૈયારી પણ રાખવાની. સાચી વાત એ છે કે સાચું કદી હાથમાં જ ન આવે એ રીતે વાતો બહાર આવે છે ને તે પણ એવી રીતે કે બધું જ સાચું લાગે. એક તરફ ધર્મના લોકો મહારાજને બદનામ કરવા બહાર પડે છે, તો એ જ ધર્મના લોકો બચાવમાં પણ આગળ આવે છે. બીજી તરફ સંતો જ પોતાના ભગવાનને ઊંચે સ્થાપવા એ જ ધર્મના અન્ય ભગવાનોને નીચા પાડવા મથે છે. એથી ભગવાનોને તો ફેર નથી પડતો, પણ એક જ ધર્મના લોકો સામસામે આવી જાય છે એ ખરું. દુ:ખદ એ છે કે આવું સંતો કરે છે. એક જ ધર્મના લોકો વચ્ચે સંપ ન હોય તો અન્ય ધર્મીઓ તો તેનો લાભ ઉઠાવવાના જ છે.

ઉત્તર પ્રદેશના છપૈયા ગામે 3 એપ્રિલ, 1781માં હિન્દુ ધર્મી હરિપ્રસાદ પાંડે અને પ્રેમવતી પાંડેને ત્યાં ઘનશ્યામનો જન્મ થાય છે. એ દિવસે યોગાનુયોગે રામનવમી હતી. એટલે કે ઘનશ્યામના જન્મ પહેલાથી જ રામનવમી તો છે જ ! પિતા પાસેથી ઘનશ્યામ વેદ, પુરાણ, રામાયણ, મહાભારત, ભાગવત વગેરે શીખે છે. ગુરુ રામાનંદ સ્વામી તેને મહાદીક્ષા આપે છે ને બે નામ આપે છે – સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ. રામાનંદ સ્વામીએ જ તેમના ઉદ્ધવ સંપ્રદાયનું ગુરુપદ સહજાનંદ સ્વામીને સોંપતાં જેતપુરની ગાદી પણ સોંપી. એ પછી ઉદ્ધવ સંપ્રદાય સ્વામી નારાયણ સંપ્રદાય તરીકે ઓળખાયો ને સહજાનંદ સ્વામી પછીથી ભગવાન સ્વામિનારાયણ તરીકે પૂજાય છે. એ પછી તો સંપ્રદાય દેશ-વિદેશમાં ઘણો વિકસ્યો. અનેક સેવાકાર્યો માટે સંપ્રદાય હરહંમેશ તત્પર હોય છે, પણ અહીં વાત સ્વામીનારાયણી સંતોની કરવી છે. છેલ્લા થોડા સમયમાં આ સંતોએ હિન્દુ દેવી દેવતાઓ સંદર્ભે જે ટિપ્પણીઓ કરી છે એથી હિન્દુધર્મીઓમાં ને સંપ્રદાયમાં પણ, લાગણીઓ દુભાતી રહી છે.

તાજો જ વીડિયો નિત્ય સ્વરૂપદાસજીનો ફરતો થયો છે, જેમાં કહેવાયું છે કે સ્વામિનારાયણે પહેલાં બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ બનાવ્યા. થોડા વખત પર સાળંગપુર મંદિરનાં ભીંતચિત્રોમાં હનુમાનજીને, સ્વામી નારાયણને વંદન કરતા બતાવ્યા હતા. વંદન તો પરસ્પર કોઈ પણ કરે, પણ અહીં જે ભાવ હતો તે વંદન કરતાં, ભક્તિનો વિશેષ હતો. વડતાલ સંસ્થામાં જ વિવાદને કારણે ફાંટા પડ્યા. અત્યારે જે BAPS તરીકે ઓળખાય છે તે સંપ્રદાયનો ત્રીજો ખંડ છે. સ્વામિનારાયણે પોતે તો આ ખંડો પાડ્યા નથી કે નથી તેમણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બનાવવાનો દાવો કર્યો, તો સંતો આવી ટિપ્પણી દ્વારા શું મેળવે છે તે નથી સમજાતું. સ્વામિનારાયણ સંપ્રદાયના એક ધાર્મિક ગ્રંથમાં આવું લખ્યું છે, ‘દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે? ભગવાનનાં દર્શન કરવા હોય તો વડતાલ જાઓ.’ સહજાનંદ પોતે હિન્દુ ધર્મમાં જન્મ્યા હોય ને પોતે કદી ન કરે એવી ટિપ્પણી એમને મોટા કરવા સંતો કરે એમાં ભગવાનની શોભા વધે એવું લાગે છે? 

દેખીતું છે કે હિન્દુ સમાજ દુભાય ને ઉશ્કેરાય. તેણે સંતોને માફી માંગવા જણાવ્યું ને દ્વારકા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી માધવ સ્વરૂપદાસજીએ કહેવું પડ્યું કે અમારા સાધુ દ્વારા દ્વારકાધીશનો દ્રોહ થયો છે, તો દ્વારકાધીશ ભગવાનના ચરણોમાં સ્વામી નારાયણ સંતો વતી કરબદ્ધ પ્રાર્થના કરું છું ને અન્ય જે કોઈ પણ સમાજને દુ:ખ પહોંચ્યું હોય તો તેના માટે ક્ષમાપ્રાર્થી છું. 

થોડા વખત પર જ્ઞાનપ્રકાશ સ્વામીએ સુરતના અમરોલી ખાતે જલારામ બાપા વિષે એવી ટિપ્પણી કરી કે જલારામ બાપાએ સદાવ્રત માટે ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ માંગ્યા હતા કે સ્વામી મારું એક માત્ર લક્ષ્ય છે કે અહીં કાયમ માટે સદાવ્રત ચાલે. આવી ટિપ્પણીથી બાપાને તો કોઈ ફરક પડતો ન હતો, પણ રઘુવંશી સમાજમાં રોષ વ્યાપ્યો. વિવાદ વકરતા જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માંગીને વીડિયો ડિલિટ કરી દીધો. જો કે, વીરપુરવાસીઓને એથી સંતોષ ન થયો. તેમણે આગ્રહ રાખ્યો કે સ્વામી જ્ઞાનપ્રકાશ જલા બાપાની જગ્યામાં માફી માંગે ને સ્વામીએ પાછલે બારણેથી આવીને માફી માંગવી પડી.

હનુમાન, શંકર વગેરે સહજાનંદ સ્વામીની સેવામાં હોય એવું બતાવીને આ સંતો સિદ્ધ શું કરવા માંગે છે? સ્વામી કદી ન માને એવી વાત એમને નામે ચડાવવાનો કોઈ અર્થ ખરો? એથી હિન્દુઓ તો નારાજ થાય જ છે, સ્વામી ભક્તો પણ રાજી નથી થતા. જ્ઞાનવત્સલ સ્વામી મહંત સ્વામી હોંગકોંગમાં હતા ત્યારે સિટીમાં રહેતા એક હરિભક્તને મળવાની વાત કરતાં કહે છે કે ટ્રાફિકથી બચવા એરપોર્ટ પાસેની હોટેલમાં જ રોકાયા. 25-30માં માળેથી મહંત સ્વામી પડદો ખસેડીને ઓફિસો-કંપનીઓમાં ચાલતાં કારભાર સંદર્ભે કહે છે કે આ લોકોને એમ જ છે કે દુનિયા અમે જ ચલાવીએ છીએ. પછી પોતાની તરફ આંગળી કરતાં મહંત સ્વામી કહે છે કે એમને ખબર નથી કે અનંત કોટિ બ્રહ્માંડનું સંચાલન તો અહીંથી થાય છે. જ્ઞાનવત્સલ સ્વામી જેવા ગુરુનો મહિમા કરવા આવું કહે એનું આશ્ચર્ય જ છે. મહંત સ્વામી આવું ન બોલે. બોલ્યા હોય તો ઠીક નથી. બ્રહ્માંડનું સંચાલન તેમના દ્વારા થતું હોય તો ટ્રાફિકથી બચવા એરપોર્ટ પાસે ન રોકાય, સિટીમાં જ જાયને ! 

આવી વાતો ઉપજવાઈ હોય એમ બને, પણ કહેવાનું એ છે કે આપણે સત્ય અને સંપને મરડી રહ્યા છીએ. સંતો શિક્ષિતો પણ છે ને તે અવાસ્તવિક ટિપ્પણીઓથી શું પ્રાપ્ત કરે છે તે અકળ છે. આનાથી ધર્મ કે સંપ્રદાયને શો લાભ થાય છે તે પણ સમજાતું નથી. આ ધર્મપ્રચાર પણ નથી. આવી પરપોટા ફોડવા જેવી પ્રવૃત્તિ અનેક રીતે, અનેક ક્ષેત્રોમાં ચાલે છે ને એમાં નિંદારસનો આનંદ મળતો હશે, પણ સરવાળે એ ધર્મને, સંપ્રદાયને હાનિ કરે છે. આપણો કેટલો બધો સમય આવા મિથ્યા પ્રલાપોમાં જ જાય છે ને છેડો મનદુખમાં કે માફીબાફીમાં જ આવે છે. આ એવું નથી કે એનાથી બચી ન શકાય. કદાચ આપણે માની લીધું છે કે ધર્મને નામે કોઈને પણ મૂર્ખ બનાવી શકાય છે, અથવા તો એવું ધારી લીધું છે કે સત્ય આપણે પક્ષે જ છે ને એ માન્યતા જો અહંકારમાંથી આવી હોય તો એ પણ માની લેવાનું રહે કે સત્ય સામે પક્ષે હોવાની શક્યતાઓ વધુ છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 31 માર્ચ 2025

Loading

...102030...414415416417...420430440...

Search by

Opinion

  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved