Opinion Magazine
Number of visits: 9843963
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પુનશ્ચ હરિઓમ

નારાયણ દેસાઈ|Gandhiana|6 March 2025

લાખો ભારતીયો ગાંધીને એક ‘મહાત્મા’ તરીકે ઓળખતા હતા. મારાં માતા-પિતા સહિતના આશ્રમના અંતેવાસીઓ એમને ‘બાપુ’ કહીને બોલાવતા.

મને એ સમજતાં વાર ન લાગી કે ગાંધી એક રાજકીય નેતા પણ હતા. એમને મળવા અને સન્માનવા આખા દેશના રાજકીય નેતાઓ અવારનવાર આવતા. તોયે આશ્રમનાં અમારા જેવા બાળકોને મન ગાંધી ન તો ‘મહાત્મા’ હતા, ન તો રાજકીય નેતા – ‘બાપુ’ સુદ્ધાં નહીં! જો કે જરા મોટો થતાં હું પણ એમને ‘બાપુ’ કહેતો થયો.

આશ્રમનાં બાળકો માટે ગાંધીજી તો સૌ પહેલાં અમારા સ્નેહાળ ગોઠિયા જ ! તેઓ એક એવા દોસ્ત હતા જેમની સાથે તમે સવારસાંજ ધીંગામસ્તી કરી શકો. અમદાવાદની સેન્ટ્રલ જેલનો દરવાજો અમારી એ પદયાત્રાનો છેલ્લો મુકામ. તેની નજીક પહોંચતાં જ ગાંધીજી એકદમ દોડવા લાગે; અને અમે બે ટાબરિયાં, જે એમને હાથલાકડીની જેમ બન્ને બાજુથી દોરતાં હોઈએ, તેમને એમની સાથે કદમ મિલાવવા ભાગવું જ પડે ! એક એવા દોસ્ત, જેમની સાથે આશ્રમનાં બાળકો સાબરમતીમાં તરવા પણ જાય. કોઈક ઉત્સવ પ્રસંગે જ્યારે અમે કોઈક નાટક ભજવવાનું વિચાર્યું હોય ત્યારે તેઓ સરળતાથી પૂછી પણ શકે કે નાટકમાં એમણે કયો વેશ ભજવવાનો છે ? એક એવા દોસ્ત, જેમની સાથે અમે કોઈ પણ જાતની બીક વગર ઝઘડી પણ શકીએ. જ્યારે કોઈ મુશ્કેલીમાં હોઈએ ત્યારે એમના પર આધાર પણ રાખી શકીએ. અમારે માટે એ તો વિશિષ્ટ મિત્ર જ.

આમાંની છેલ્લી લાગણી અમને બાળકોને જ હતી, એવું નહીં, એવી લાગણી તો આશ્રમની લગભગ દરેક આબાલવૃદ્ધ વ્યક્તિની હતી. બાપુ તો જો કે આશ્રમના દરેક જણને ચાહતા પણ દરેક ચોક્કસ વ્યક્તિ પર તેઓ જે પ્રેમ ઢોળતા, તે તેમને તો વિશિષ્ટ જ લાગતો અને આ જાતનો લાગણીસંબંધ જે દરેકને ફક્ત પોતાને માટે જ છે, એવી ભાવના પેદા કરતો. તે ફક્ત આશ્રમના અંતેવાસી પૂરતો જ હતો એમ નહીં; એ તો દેશના ખૂણેખૂણે વસતાં સેંકડો લોકો સુધી કે સરહદ પાર રહેલા કેટલાં ય લોકો સુધી પણ વિસ્તરેલો હતો.

એવું શું હતું કે અમારામાંથી દરેક જણ અનુભવતું કે ગાંધી માત્ર મારી જ ખૂબ કાળજી લે છે ? જ્યારે જ્યારે તેઓ અમને રૂબરૂ કે અગણિત પત્રો દ્વારા મળતા, ત્યારે અમને જુદી જુદી રીતે જુદા જુદા પ્રસંગે પણ અનોખી રીતે સંબોધતા. જ્યારે અમારી સાથે તેઓ વાત કરતા હોય ત્યારે, તેઓ એમની આંખો દ્વારા અને એમના મૃદુ, મીઠા અવાજ દ્વારા અમારા હૃદયમાં એમની સંપૂર્ણ લાગણીને રેડી દેતા. ગાંધી કુશળ વક્તા કરતાં પણ નિઃશંક રીતે ઉત્તમ શ્રોતા હતા. ઘણીવાર તેઓ એવી સહૃદયતાથી સાંભળતા કે અમને થતું, તેઓ અમે જે શબ્દો નથી બોલ્યા, તે પણ સમજી ગયા છે. સંવાદ કરતાં કરતાં ગાંધી અન્ય વ્યક્તિ સાથે તાદાત્મ્ય અનુભવી શકતા.

સેવાગ્રામમાં કોઈકે ગાંધીની રોજિંદી બેઠકની પાછળ નાનકડું સૂચનાપત્રક મૂકેલું, એમાં બબ્બે શબ્દોનાં ત્રણ વાક્યો લખાયેલાં હતાં. એ ગાંધીનો સમય વેડફાય નહીં એવી કાળજી રાખવાનો જ હતો. મોટા અક્ષરોમાં તેમાં લખાયું હતું :

‘જલદી કરો, ટૂંકમાં પતાવો, ભાગવાનું રાખો.’

આવી સહેજ શુષ્ક સૂચનાઓ વિશે મુલાકાતીઓ શું વિચારતાં હશે? એવી આશંકા સાથે કિશોર હું, ગાંધીની કુટિરમાંથી બહાર આવતી વ્યક્તિની પાછળ પાછળ જતો. એમની ટૂંકી મુલાકાત વિશે હું જ્યારે જ્યારે પૂછતો, ત્યારે નવાઈ પામતો. મને જાણવા મળતું કે એમાંના મોટા ભાગનાં લોકો સંપૂર્ણ સંતોષ અનુભવતાં હતાં. “હા, એ ખરું કે સમય ખૂબ ઓછો મળ્યો. પણ જે મળ્યો, તે અમને પૂરેપૂરો મળ્યો.” સૌનો મોટે ભાગે આવો જ જવાબ હોય.

ગાંધી દરેકને સાંભળતા હોય ત્યારે તેને માનવસહજ ગૌરવ આપતા. એમની અહિંસા પાછળ એ જ મહત્ત્વનો સિદ્ધાંત કહી શકાય. તેઓ દરેક સાથે પૂરતા આદરથી વર્તતા. મુલાકાતીનાં ધન, જ્ઞાન, વય કે જાતિ-લિંગનાં લેબલ જોયા વગર એક માનવી તરીકે જે ગરિમા એને આપવી જોઈએ, તે આપતા. માનવી દ્વારા સર્જાયેલી વાડાબંધીની દુર્ગંધથી અભડાયા વગરના સભ્ય જીવનના ઝરણાંમાંથી પ્રગટતા અસ્તિત્વની ગુણસભરતા ગાંધી સાથે વાત કરતાં દરેક વ્યક્તિ અનુભવતી. ગાંધી સાથે જે કોઈ સંકળાયું હશે, તે દરેક સાથેના ગાંધીના વ્યવહારમાં તેમનાં વિચાર, શબ્દો કે કાર્યોમાંનું સીધી સરળ લીટી જેવું સત્ય હંમેશ પ્રતિબિંબિત થતું.

[‘મારા ગાંધી’]
06 માર્ચ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 246

Loading

પર્સનલ ડેટા પ્રોટેકશનને બહાને માહિતી અધિકાર ભયમાં મુકાશે 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|6 March 2025

માહિતી અધિકાર : કાયદાને લૂલો કરવાની ચાલ

વાત એમ છે કે, સરકાર કોઈ યોજના જાહેર કરે તે પછી તેનો લાભ કોને–કોને મળ્યો એવી પૃચ્છા જો તમે માહિતી અધિકારને અન્વયે કરશો તો સુચિત સુધારા પછી તમને જે–તે લાભાર્થીની ‘પ્રાઈવસી’નું પાવિત્ર્ય જાળવવાને નામે પ્રસ્તુત માહિતીથી વંચિત કરી શકાય. તેઓ બાઈ પ્રાઇવસીના શિયળની ફિકરચિંતાને નામે સરકારની જવાબદેહી  અને વહીવટી પારદર્શિતાનો ધરાર ઉલાળિયો કરવા સારુ તડે પેંગડે છે … સાવધાન!  

પ્રકાશ ન. શાહ

સરકાર જેનું નામ, પછી તે લોકશાહી હોય કે અન્ય કોઈ ‘શાહી’ પ્રકૃતિએ કરીને પ્રજાને સત્તાને ચશ્મે જોતી એટલે કે જોતે છતે નહીં જોતી અવસ્થામાં રાખવા સભાન નહીં તો છેવટે અભાનપણે તો ઇચ્છે જ છે. સદ્ભાગ્યે, મનુષ્યજાતિએ શાસન-પ્રબંધનની પોતાની લોકશાહી મજલ દરમિયાન એવી બંધારણીય જોગવાઈઓ ઉપજાવવાની મહારત હાંસલ કરી છે કે અંકુશ અને સમતુલાના નિયમ થકી સરકાર પર નિગરાની અને નિયમન રાખી શકાય. 

2004-2014નો મનમોહન દસકો ભ્રષ્ટાચારના ખરાખોટા, કેટલાક કિસ્સામાં તો કેવળ નોશનલ ખયાલે ગવાઈ તેમ જ ખરડાઈને ગયો. તે પછીના મોદી દસકાની અને એની તટસ્થ સરખામણી કરવામાં આવે તો, બને કે, ત્યારે થયેલી ટીકાઓ (ટીકા અલબત્ત થવી જ જોઈએ, પણ) માળ બહાર ફુગાવેલી પણ લાગે. ઇતિહાસ પોતાને અંગે ન્યાયકારી રીતે જોશે એવું મનમોહનસિંહે કહ્યું પણ હતું. અહીં મોદી-મનમોહન તુલનામાં ઊંડે ઊતરી કોઈ વિશેષ તપાસ કરવાનો ખયાલ અલબત્ત નથી. માત્ર, આ દિવસોમાં જે એક મુદ્દો, માહિતી અધિકારને અનુલક્ષીને ચર્ચાની એરણે છે એને વિશે બંને શાસનને સાથે રાખીને ચર્ચા કરવાનો ખયાલ જરૂર છે. 

મુદ્દો એ છે કે મનમોહન સરકારની ભેટ તરીકે ઠીક પંકાયેલ માહિતી અધિકાર હાલ ખંડિત ને ખોડંગાતો બને એવા સંજોગો સત્તાવાર ધોરણે સામે આવી ઊભા છે. એ વર્ષોમાં સોનિયા ગાંધીની સલાહકાર સમિતિરૂપે કેટલાક કાર્યરત હતા. એમના આગ્રહી રજૂઆતથી રાઇટ ટુ ઇન્ફર્મેશન કહેતાં માહિતી અધિકાર જેવો કાયદો તેમ જ ‘મનરેગા’ જેવી આછીપાતળી પણ રોજગાર જોગવાઈ શક્ય બની હતી. મોદી સરકારે નોટબંધી દાખલ કરી ત્યારે નાના રોજગાર પર નભતા લોકોએ જે વેઠવું પડ્યું એના એક ઉગાર ઉપાય તરીકે પણ ‘મનરેગા’એ કંઈક ઠીક કામ આપ્યું છે. 

માહિતી અધિકારનો લાભ એ રહ્યો છે કે તે સરકારને પક્ષે ઉત્તરદાયીપણું (જવાબદેહ) તેમ જ પારદર્શિતા સુનિશ્ચિત કરવામાં મદદગાર થઈ શકે છે. મનમોહન સરકારે 2005માં માહિતી અધિકાર કાનૂન કર્યો તે પછી એક તબક્કે એના ક્ષેત્રને સીમિત કરવાની કોશિશ ખુદ સત્તાપક્ષનાં વર્તુળોમાંથી ઊઠી હતી એ વખતે અડવાણી ભા.જ.પે. વાજબી રીતે જ એની સામે વિરોધ અવાજ ઉઠાવ્યો હતો. 

કમનસીબે, હાલ વળી પાછી માહિતી અધિકારને ટુંપાવવાની ચેષ્ટા સરકારી રાહે શરૂ થઈ છે. તે માટે લેવાયેલું ઓઠું 2023ના ડિપીડિપી ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટનું છે. તમે જ્યારે સરકાર પાસે માહિતી માગો છો ત્યારે તે ચોક્કસ માહિતી સાથે સંકળાયેલ વ્યક્તિનો પોતાનો ખાનગીપણાનો અધિકાર (રાઇટ ટુ પ્રાઇવસી) ભયમાં મુકાય છે એવી દલીલ સર ડિજિટલ પર્સનલ ડેટાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ કાયદાની જોગવાઈ અન્વયે માહિતી અધિકારને મર્યાદિત કરવાની કોશિશ છે. 

વાત એમ છે કે સરકાર કોઈ યોજના જાહેર કરે તે પછી એનો લાભ કોને કોને મળ્યો એવી પૃચ્છા જો તમે માહિતી અધિકારને અન્વયે કરો તો સૂચિત સુધારા પછી તમને જે તે લાભાર્થીની ‘પ્રાઇવસી’નું પ્રાવિત્ર્ય જાળવવાની નામે પ્રસ્તુત માહિતીથી વંચિત કરી શકાય. મતલબ, સરકારે પક્ષીય રાજકારણી સગવડની રીતે કે વહીવટી પક્ષપાતના આશયથી જે તે યોજનાનો લાભ ભળતા લોકોને આપ્યો એની જનતાને કશી ખબર ન પડે એ જ રીતે આ યોજનાઓમાં ગરબડ કરનારા તફડંચીબાજો(ફ્રોડસ્ટર્સ)ના નામ પણ બાઈ પ્રાઇવસીના શીલસન્માનને નામે જ ખાનગી રાખી શકાય. ટૂંકમાં, જવાબદેદી અને પારદર્શિતાનો મૂળ ખયાલ બચાડો માર્યો ફરે.

દેખીતી રીતે જ ‘આની સામે એક અવાજ ઉઠાવવાની જરૂર હતી અને છે. સદ્ભાગ્યે ‘રોલ બેક એમેન્ડમેન્ટ્સ મેઇક ટુ ધ આર.ટી.આઈ. એક્ટ થ્રૂ ધ ડિજિટલ પર્સલન ડેટા પ્રોટેક્શન એક્ટ’ એ માંગ સાથે ઓનલાઈન પીટીશન ઝુંબેશ શરૂ થઈ છે. 99240 85000 પર ફોન કરતાં આ સંદર્ભે વિશેષ માહિતી ને માર્ગદર્શન મળી રહે છે. 

કાશ, સરકાર આ નાગરિક પહેલને સરખો કાન આપી શકે!

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 05 માર્ચ 2025

Loading

મધુબાલા, મેરેલીન મનરો, સિલ્વિયા પ્લાથ અને વેલેન્ટાઇન ડે 

સોનલ પરીખ|Opinion - Opinion|6 March 2025

તેનું સ્મિત કરોળિયાના ડંખ જેવું છે. તેને ફરી ભૂખ ન લાગે ત્યાં સુધી હું થીજેલો પડ્યો રહું છું … એકબીજાને બાનમાં રાખ્યા હોય તેવાં અમે સવારે એકબીજાના ચહેરા પહેરી ચાલ્યા જઈએ છીએ.

— ટેડ હ્યુજ (લવસોન્ગ)

‘મને એવું કોઈ મળ્યું નથી જે મારામાં ઉભરાતો આદિમ પ્રેમ ઝીલી શકે અને એટલી જ તીવ્રતાથી મને પાછો પણ આપે. મારી રાખમાંથી ઊભી થઈ હું ફરીવાર પોતાને ખતમ કરીશ …’ આ શબ્દો છે વિશ્વયુદ્ધોત્તરકાળની સૌથી પ્રભાવશાળી કવયિત્રી સિલ્વિયા પ્લાથના. પણ કોઈ એમ કહે કે આ શબ્દો મધુબાલાના છે કે પછી મેરેલિન મનરોના છે તો અનુભૂતિનું જે એક સત્ય હોય છે એ દૃષ્ટિએ એ વાત પણ માનવી પડે. અને તો પછી આવી રહેલા વેલેન્ટાઇન ડે નિમિત્તે આ ત્રણેના અધૂરા રહેલા પ્રેમની અને અકાળે આથમી ગયેલા જીવનની વાત કરવી પડે. યોગાનુયોગ સિલ્વિયા પાથની પુણ્યતિથિ અને મધુબાલાનો જન્મદિન આ જ દિવસોમાં છે.

સિલ્વિયા પ્લાથનો જન્મ 1932માં. મેરેલિન મનરોનો 1926માં અને મધુબાલાનો 1933માં. સિલ્વિયા પ્લાથ અમેરિકન કવયિત્રી, મેરેલિન મનરો હૉલીવૂડ અભિનેત્રી અને મધુબાલા ભારતીય અભિનેત્રી. ત્રણેની લોકપ્રિયતા સ્થળ અને કાળની સરહદો વટાવી ગઈ છે. ત્રણેની આસપાસ ગ્લેમર વીંટળાયેલું હતું. ચાહકોની કમી નહોતી છતાં ત્રણે સાચા પ્રેમને માટે વ્યાકુળ હતી અને ત્રણે વહેલી વયે અકાળ મૃત્યુનો ભોગ બની હતી. મેરેલિન મનરોએ 36 વર્ષે અને અને સિલ્વિયા પ્લાથે 33 વર્ષે આત્મહત્યા કરી હતી. મધુબાલાના હૃદયમાં કાણું હતું, તે 36માં વર્ષે મૃત્યુ પામી હતી. 

જર્મન મૂળની સિલ્વિયા પાથ મેસેચ્યુએટ્સમાં જન્મી, ગ્રેજ્યુએટ થયા પછી ફૂલબ્રાઈટ સ્કોલરશીપ લઈને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણવા માટે ઇંગ્લેન્ડ આવી અને જાણે તેની જ રાહ જોઈ રહ્યો હોય એમ ત્યાં તેને મળ્યો મહત્ત્વાકાંક્ષી બ્રિટિશ કવિ ટેડ હ્યુઝ. બંને મળ્યા અને ચાર મહિનામાં તો પરણી પણ ગયાં. સર્જકો વચ્ચેના પ્રેમનાં ઉદાહરણ અનેક છે, પણ પરિણામ બે જ છે. બંને એકમેકને સમૃદ્ધ કરે છે અથવા તો ખલાસ કરે છે. સિલ્વિયા અને ટેડની કહાણી કઇંક આવી જ હતી. 

સિલ્વિયા આઠ વર્ષની ઉંમરથી કાવ્યો લખતી, જિંદગીને અને મૃત્યુને અત્યંત ઉત્કટતાથી ચાહતી, અંદરના અજબ પ્રકાશથી ચમકચમક થતી, અત્યંત સુંદર અને સંપૂર્ણતાની આગ્રહી. ટેડ પણ તેવો જ હતો. ઊંચો, ચુસ્ત, શાલીન અને સર્જનાત્મકતાથી ધબકતો. 

પણ સિલ્વિયાનો એક બીજો ચહેરો પણ હતો. હતાશા અને સ્ફૂર્તિ બંને તેના તીવ્રતમ સ્વરૂપમાં એકસાથે સિલ્વિયામાં વસતાં અને તે એકથી બીજે છેડે ફંગોળતી રહેતી. અત્યંત સંવેદનશીલ, ઉત્તેજનાભરી અને આદિમ અતિરેકોમાં જીવનારી સિલ્વિયાના જાત સાથેના સંઘર્ષનો અને સાહિત્ય અને પ્રેમની દુનિયામાં વિજય મેળવવાની તેની પાગલ ઝંખનાનો કોઈ છેડો ન હતો. તેને ઇલેક્ટ્રિક શૉક સાથેની માનસિક સારવાર લેવી પડી હતી. ટેડ અને સિલ્વિયા વચ્ચે ઉન્માદભર્યો પ્રેમ હતો, પણ ઊભરો શમ્યા પછી સિલ્વિયાની ઈમોશનલ ઇનસ્ટેબિલિટી અને ટેડના અંતર્મુખીપણા અને પુરુષ તરીકેના અહંકાર વચ્ચે ઘર્ષણ પણ ઓછું ન થતું. તોફાનોથી ભરેલા લગ્નજીવનનો અંત વેદનાભર્યા હૃદયભંગમાં આવ્યો. અનેક વિટંબણાઓ છતાં તે સતત લખતી રહી. અને એક દિવસ તેણે ઓવનમાં માથું મૂકી સ્વિચ ઓન કરી દીધી. સિલ્વિયાના મૃત્યુએ ટેડને એવો તોડી નાખ્યો કે ત્રણ વર્ષ સુધી તે કવિતા લખી શક્યો નહીં. ‘લવસોન્ગ’ નામના કાવ્યમાં હ્યુજે લખ્યું છે, ‘તેનું સ્મિત કરોળિયાના ડંખ જેવું છે. તેને ફરી ભૂખ ન લાગે ત્યાં સુધી હું થીજેલો પડ્યો રહું છું … એકબીજાને બાનમાં રાખ્યા હોય તેવાં અમે સવારે એકબીજાના ચહેરા પહેરી ચાલ્યા જઈએ છીએ.’ સિલ્વિયાના મૃત્યુ પછી તેની અપ્રગટ કાવ્યો શોધી તેના સંગ્રહો પ્રગટ કરનાર બીજું કોઈ નહીં, તેનો પ્રેમી અને પતિ ટેડ હ્યુજ હતો. આ કરુણ પ્રેમકહાણીનું પૂરું રહસ્ય કોઈ પામી શક્યું નથી.

હૉલીવૂડ સ્ટાર મેરેલિન મનરોનું મૂળ નામ નોર્મા જીન બેકર. માત્ર 16 વર્ષની ઉંમરે મેરેલિનને પરણાવી દેવામાં આવી, લગ્ન એકાદ વર્ષ જ ટક્યું. એ પછી એક ફોટોગ્રાફરની નજર નોર્મા પર પડી. તેની કેટલીક તસવીરો છપાઈ પણ ખરી. કેટલીક કંપનીઓએ તેને મોડેલ ગર્લ તરીકે પસંદ કરી. સંઘર્ષના સમયમાં તેણે કોઈ કેલેન્ડર માટે ન્યુડ પોઝ પણ આપ્યા હતા. 1950માં નોર્મા મેરેલિન મનરો તરીકે પહેલી ફિલ્મ ‘ધ આસ્ફાલ્ટ જંગલ’માં દેખાઈ. 

મેરેલિન ખૂબ સુંદર હતી. કોમળ ચહેરો, મીઠો અવાજ અને સંઘેડાઉતાર શરીર. આ સંપત્તિનું તે નિ:સંકોચ પ્રદર્શન પણ કરતી. નિવૃત્ત ફૂટબોલ પ્લેયર દિમીએગો સાથે લગ્ન કરી તેણે બીજા વર્ષે છૂટાછેડા લીધા. એ જ વર્ષે તેને જહોન કેનેડી સાથે પ્રેમ થયો. કેનેડી ત્યારે પ્રમુખની ચૂંટણી લડવાની તૈયારી કરતા હતા અને સંબંધને જાહેરમાં સ્વીકારવા તૈયાર ન હતા. મેરેલિનની સફળ ફિલ્મોની વણઝાર ચાલુ હતી. મેરેલિને પ્લે રાઇટર આર્થર મિલર સાથે લગ્ન કર્યાં. મિલરે મેરેલિન માટે ખાસ લખેલી ફિલ્મ ‘ધ મિસફીટ’ આવી તે વર્ષે જ બંને છૂટાં પડ્યાં. ફિલ્મ રિલિઝ થઈ ત્યારે તે એક ફ્રેંચ અભિનેતાના પ્રેમમાં હતી અને પ્રેગ્નન્ટ હતી. દરમ્યાન જહોન કેનેડી અમેરિકાના પ્રમુખ થયા. એક ભવ્ય સમારંભમાં મેરેલિને કેનેડી માટે ‘હેપી બર્થ ડે પ્રેસિડેન્ટ’ ગીત ગાયું. તેના થોડા મહિના પછી મેરેલિન મોટા પ્રમાણમાં બાર્બીચ્યુરેટ્સ (ઊંઘની ગોળી) લેવાથી મૃત્યુ પામી. તેની આત્મહત્યા હત્યા હતી એવી પણ એક થિયરી છે. 

મેરેલિન મનરોની લોકપ્રિયતા તેના જમાનાના લગભગ બધા સ્ટાર કરતાં વધારે હતી. ત્યારનાં અનેક મોટાં માથાં તેના પ્રેમમાં હતાં. પછીનાં વર્ષોમાં તેનું વ્યક્તિત્વ ખીલ્યું, પણ નાણાંની રેલમછેલ અને ગ્લેમરની ઝળહળ વચ્ચે આડેધડ જિવાઈ રહેલી જિંદગી, પ્રબળ ઊર્મિશીલતા, અસલામતી, એકલતા, બનતા-તૂટતા સંબંધો – સંયોજન કઈંક એવું થયું કે જીવ લઈને ગયું. હોલિવૂડમાં સુંદર અભિનેત્રીઓનો તોટો નથી, પણ મેરેલિનની કક્ષાનું સૌંદર્ય અને તેના જેટલું જટિલ વ્યક્તિત્વ ભાગ્યે જ કોઈનું હશે.

બોલીવૂડની અત્યંત સુંદર અભિનેત્રી મધુબાલાને ‘ઇન્ડિયન મેરેલિન મનરો’નું ઉપનામ મળેલું હતું. મેરેલિન હયાત હતી ત્યારે એક પ્રખ્યાત મેગેઝિનમાં મધુબાલાનો મોટો ફોટો મૂકીને હેડિંગમાં લખ્યું હતું કે ‘ધી બીગેસ્ટ સ્ટાર ઇન ધી વર્લ્ડ – એન્ડ શી ઇઝ નોટ ઇન બેવરલી હિલ્સ’. ‘બેવરલી હિલ્સ’ એ પોશ વિસ્તાર છે જ્યાં હોલિવુડના મોટા મોટા સ્ટાર્સ રહે છે. 

રૂપેરી પડદાની વિનસ ગણાતી મધુબાલાના સૌંદર્યની તોલે આજ સુધી કોઈ અભિનેત્રી આવી શકી નથી. તેનું મૂળ નામ મુમતાઝજહાં બેગમ દેહલવી. હતું. અત્યંત ગરીબ પઠાણ પરિવારનાં 11 ભાઈ-બહેનોમાં તેનું સ્થાન પાંચમું હતું. પિતાની નોકરી જતી રહેતાં નાનકડી મુમતાઝને લઈને તેઓ મુંબઈ આવી ગયા. દેવિકારાણીએ મુમતાઝને ‘બસંત’ ચિત્રમાં કામ અપાવ્યું. ‘મધુબાલા’ નામ પણ તેમણે જ આપ્યું. 14 વર્ષની ઉંમરે તે નાયિકા તરીકે ‘નીલકમલ’માં ચમકી અને ‘મહલ’ પછી તે છવાઈ ગઈ. તેના હૃદયમાં કાણું હતું જેનો એ જમાનામાં કોઈ ઈલાજ ન હતો. મધુબાલાના પ્રેમમાં ઘણા લોકો હતા, તે પણ એમને કોઈક રીતે ચાહતી હશે – જેમાં લતીફ નામના એના બાલવયના સાથીથી માંડી કેદાર શર્મા, કમાલ અમરોહી, પ્રેમનાથ અને અન્ય નામો ઉમેરી શકાય – પણ એ પૂરેપૂરી સમર્પિત થઈ શકી તો દિલીપકુમારને. પણ પ્રેમી અને પિતા આ બે પુરુષોના અહંકારે એ પ્રેમનો ભોગ લીધો. કિશોરકુમાર સાથેના લગ્ન બંને પક્ષે તડજોડ જેવાં હતાં. અંતે તો બીમારી અને મૃત્યુ સામે એ એકલી જ લડી. અકાળ મૃત્યુએ ચાહકોના હૃદયમાં એની સૌન્દર્યમૂર્તિને અખંડ અને અકબંધ રાખી. 

સિલ્વિયા પ્લાથે લખ્યું છે, ‘પરહેપ્સ વ્હેન વી ફાઇન્ડ અવરસેલ્વઝ વોન્ટિંગ એવરીથિંગ, ઈટ ઈઝ બીકોઝ વી આર ડેન્જરસલી ક્લોઝ ટુ વોન્ટિંગ નથિંગ …’ આ ઉક્તિ તેના કે મધુબાલા કે મેરેલિનના જ નહીં, ક્યાંક ક્યાંક આપણા અજંપ ઉધામાઓને પણ સ્પર્શી લેતી નથી?

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 09 ફેબ્રુઆરી  2025

Loading

...102030...414415416417...420430440...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved