Opinion Magazine
Number of visits: 9843520
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘આપણે જીવતા છીએ તેની આ સાબિતી છે !’

રમેશ સવાણી|Opinion - Opinion|28 March 2025

23 માર્ચ 2025, ભગતસિંહની શહીદીના દિવસે રાત્રે 9.00થી 10.30 સુધી યૂટ્યૂબર જ્યોત્સના આહિરે ઓનલાઈન સંવાદસભાનું આયોજન કરેલ. વિષય હતો : ‘શું ઔરંગઝેબ બધી સમસ્યાનો ઉકેલ છે?’ આ સંવાદસભામાં ભૂપેન્દ્રસિંહ રાઓલ / જગદીશ બારોટ / ડો. દિનેશ ધાનાણી / રમેશ સવાણી જોડાયા હતા. સમસ્યા અને તેના ઉકેલ અંગે ચર્ચા થઈ.

જ્યોત્સના : ઔરંગઝેબ આપણા મીડિયાનો ફેવરિટ ચહેરો બની ચૂક્યો છે. ધાર્મિક સંગઠનો / સરકાર માટે ઔરંગઝેબ દરેક સમસ્યાનું સમાધાન બની ગયો છે. ‘જો ઔરંગઝેબની કબર હટી જશે તો ભારતની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. આપણા જમીની મુદ્દાઓ છે, ગરીબી / બેરોજગારી / રૂપિયાનું અવમૂલ્યન / સુરક્ષાનો અભાવ / શિક્ષણ-સ્વાસ્થ્યની સમસ્યાનું સોલ્યુશન આવી જશે. દેશ સોને કી ચીડિયા બની જશે !’ આવો માહોલ ઊભો કરવામાં આવ્યો છે. શું ખરેખર સમસ્યાઓ દૂર થઈ જશે?

રમેશ સવાણી : મૂળ વાત એ છે કે શાસક પોતાની નિષ્ફળતાઓ છૂપાવવા માટે ધાર્મિક મુદ્દાઓ ઉછાળતા હોય છે. ભૂતકાળમાં જ્યારે ડોલરના મુકાબલે રૂપિયો ગગડી ગયો ત્યારે હાલના વડા પ્રધાને, તત્કાલીન વડા પ્રધાનની કેવી કેવી આલોચના કરી હતી, આટલી મોંઘવારી, બેરોજગારી છે / લોકોની અસલામતી છે / હેલ્થકેર બિમાર છે. શિક્ષણ ખાડે ગયું છે. આ બધાં મુદ્દાઓ અંગે લોકો વિચારે નહીં, એની કોઈ ચર્ચા ન કરે, તે માટે ઔરંગઝેબ બહુ જરૂરી છે ! ઈરાદાપૂર્વક, સમયાંતરે આવા મુદ્દાઓ ઊભા કરવામાં આવે છે. શાસકની નિષ્ફળતા છુપાઈ જાય, શાસકની વાહવાહી થાય, પરંતુ દેશને, સમાજને અને વ્યક્તિને આનું ભયંકર નુકસાન થાય. ગુજરાતમાં 2002માં જે હિંસા થઈ તેના આરોપીઓ સાબરમતી જેલમાં છે, તેમને કોઈ પૂછતું નથી, અને જેમણે ઉશ્કેરાટ કરાવ્યો તે સત્તાના મેવા ખાય છે. આમાંથી પણ લોકો કોઈ બોધપાઠ લેતા નથી. કેમ નથી લેતા? ધર્મનો નશો જ એવો છે કે તેમાં લોકો કંઈ વિચારતા નથી. લોકો પોતાની વિવેકશક્તિ ગુમાવી બેસે છે. પોતાની સત્તા ટકાવી રાખવા, સમાજને મધ્યયુગમાં લઈ જવાનું કાવતરું છે. 1947 પહેલા પણ ગાંધીજી સામે કોમી દાવાનળનો પ્રશ્ન હતો. પરંતુ ગાંધીજીએ હિંદુ મુસ્લિમ સમુદાયને સમજાવ્યા. જો ગાંધીજી ન હોત તો આઝાદી પહેલાં જ લાખો લોકો અંદરોઅંદર કપાઈ જાત. મુસ્લિમ લીગ અને હિન્દુ મહાસભા ઉશ્કેરવાનું કામ કરતા હતા. હિન્દુ મુસ્લિમ વચ્ચે નફરત જળવાઈ રહે તે તો અંગ્રેજો ઈચ્છતા હતા. એ સમયના રજવાડા પણ ઈચ્છતા હતા કે હિન્દુ મુસ્લિમ અંદરોઅંદર ઝઘડતા રહે તો પોતાની સત્તા જળવાઈ રહે. આ સત્તાની ગંદી રમત છે.

જ્યોત્સના : અવાજ ઊઠી રહ્યો છે, પરંતુ અવાજ ઊઠાવનારને હિન્દુવિરોધી, વામપંથી, એન્ટિનેશનલ ઠરાવે છે. ‘તમને હિંદુ ધર્મ જ દેખાય છે? મુસ્લિમોની આલોચના કેમ કરતા નથી? તમે ઔરંગઝેબ જેવા ક્રૂર શાસકનો બચાવ કરો છો?’ એવી દલીલ કરે છે. 

ભૂપેન્દ્રસિંહ રાઓલ : ઔરંગઝેબની કબર 318 વર્ષથી છે. એ કબર પછી પેશ્વા અને મરાઠા સામ્રાજ્યનો જબરજસ્ત ઉદય થયો હતો. એ લોકોએ કબર કેમ ન હટાવી? શિવાજીએ અફઝલખાનને માર્યો હતો, પણ અફઝલખાનની કબર શિવાજીએ બનાવી હતી. અફઝલખાનની કબર તોડવા પ્રયત્ન થયેલ ત્યારે ખબર પડી કે આ તો શિવાજીએ બનાવેલી છે, એટલે રોકાઈ ગયા. એટલે મોંઘવારી / બેકારી / વિદેશી દેવું વગેરે પ્રશ્નો ભૂલવાડવા કઈ રીતે? એટલે ધાર્મિક લાગણીના મુદ્દાઓ આગળ કરવામાં આવે છે. એવા મૂવી બનાવો, ધૃણા ફેલાવો. જેથી લોકો બીજા માર્ગે વળી જાય. આ સરકાર લોકોને  ઈમોશનલી ગેરમાર્ગે દોરે છે. અકબરના સમયે 20% અધિકારીઓ હિન્દુ હતા અને ઔરંગઝેબના સમયે 32% અધિકારીઓ હિન્દુ હતાં. સુવર્ણમંદિરમાં આર્મી મોકલવી પડી હતી, કેમ કે ત્યાં આતંકવાદી છૂપાયેલ. તેમ કોઈ મંદિર તોડવામાં આવ્યા હોય. ઇતિહાસ કહે છે કે ઔરંગઝેબે 100 મંદિરોને દાન આપેલ. રાજાઓને ધર્મની દૃષ્ટિએ મૂલવો તો લોચો પડે. રાજા હંમેશાં ધન, સંપત્તિ, વિસ્તાર માટે કામ કરતો હોય છે. શિવાજીના સૈન્યમાં મુસ્લિમો હતા. શિવાજીએ સુરત લૂંટ્યું ત્યારે વેપારીઓની આરતી ઊતારી હશે? રાજાઓ ઓલમોસ્ટ ક્રૂર જ હતા. વિરોધી રાજા હારે તેનું અપમાન કરવાની પ્રથા હતી. હિન્દુ રાજાઓએ પણ હિંદુ / જૈન / બૌદ્ધ મંદિરો તોડેલા છે. તેઓ સત્તા માટે લડતા હતા, હિન્દુ-મુસ્લિમ માટે લડતા ન હતા.

જ્યોત્સના : કેન્દ્રના મિનિસ્ટર અને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી પણ કહે છે કે કબર હટાવી દેવી જોઈએ. 

જગદીશ બારોટ : હાલ ઔરંગઝેબ કેમ જીવતો થયો? એમને જીવતા કરવાનું શું કારણ છે? મૂવીવાળા સત્તાપક્ષને ખુશ કરવા અતિશયોક્તિભરી મૂવી બનાવે છે. તે સમયે શાસન કરવાની આ પદ્ધતિ હતી. ઈશુ ખ્રિસ્તને માંચડે જડી દીધા હતા, ત્રણ દિવસ કણસતા રહ્યાં હતાં. એ માટે હુકમ તે વખતના રાજાએ જ કર્યો હતો. ઔરંગઝેબે શિવાજીને, તેના પુત્રને અન્યાય કર્યો હશે, પરંતુ રાજ્યસત્તાના વિસ્તાર માટે દરેક રાજા આવું કરતા હોય. ઔરંગઝેબે પોતાના સગા ભાઈ દારાશિકોહનું માથું કાપીને પોતાના પિતાને મોકલ્યું હતું. પોતાના ભાઈ મુરાદની પણ હત્યા કરી હતી. પોતાના પિતાને 8 વરસ જેલમાં પૂર્યો હતો. એટલે ઔરંગઝેબ હિન્દુઓ પ્રત્યે ક્રૂર હતો એવું નથી, પોતાના પરિવાર પ્રત્યે પણ ક્રૂર હતો. આજે પણ શાસકો તરફથી બુદ્ધિજીવીઓને કોઈ આધાર પુરાવા વિના જેલમાં પૂરવામાં આવે છે. સત્તાધીશો માટે આ સામાન્ય છે, વિરોધીઓની કતલ કરવી કે તેમને યાતનાઓ આપવી. એમ કહેવાય છે કે ઔરંગઝેબે મંદિરો તોડી નાખ્યા હતા. પણ આજે વિકાસના કામે હિન્દુ શાસકો પણ મંદિરો તોડી નાખે છે. અયોધ્યાના કેટલાં મંદિરો તોડી નાખ્યા. ઔરંગઝેબે મસ્જિદો પણ તોડી હતી. ઔરંગઝેબનો સેનાપતિ જ હિન્દુ હતો. તેમની સેનામાં હિન્દુઓ હતા. ઔરંગઝેબે તેમને મુસ્લિમ બનાવ્યા ન હતા.

જ્યોત્સના : હાલ પણ મંદિરો તોડવામાં આવે છે પણ તેનો વિરોધ નથી થતો. પણ મસ્જિદ તોડવામાં આવે ત્યારે બૂમો પાડે છે કે જોયું અમે મુસ્લિમોને કેવા ટાઈટ કર્યા ! 

ડો. દિનેશ ધાનાણી : હું 40 વર્ષ પહેલા અમેરિકા આવ્યો ત્યારે ઇમિગ્રેશન અધિકારીએ પૂછ્યું કે ક્યાંથી આવો છો? મેં કહ્યું કે ઈન્ડિયાથી. તો તેને ઈન્ડિયા વિશે માહિતી ન હતી. માત્ર ગાંધીજી અને તાજમહેલ વિશે તેણે સાંભળ્યું હતું. જે ગાંધીજીએ આઝાદી અપાવી તેમના વિશે દુષ્પ્રચાર થાય છે અને હત્યારા ગોડસેની પૂજા કરવામાં આવે, તે દર્શાવે છે કે દેશ કઈ તરફ જઈ રહ્યો છે. સત્તા ટકાવી રાખવા હિન્દુ-મુસ્લિમ થાય છે. કોઈ પણ ધર્મની કટ્ટરતાનો સામનો હિન્દુ-કટ્ટરતાથી નથી કરવાનો. તેનો વિરોધ સચ્ચાઈથી / આઈડિયોલોજીથી થવો જોઈએ. ખોટું શું છે, તેની સામે વિરોધ છે. આપણને કોઈ માણસ સાથે વિરોધ નથી, કોઈ ધર્મ સાથે વિરોધ નથી. રાજકીય નેતાઓ પોતાની સત્તા ટકાવી રાખવા માટે લોકોને ઉશ્કેરે છે. ડોન્ટ બી ઈમોશનલ, બી રેશનલ. 

જ્યોત્સના : આપણે સમસ્યાઓની ચર્ચા કરી, પણ ઉકેલ શું? 2022ના એક સમાચાર હાલ ટ્રેંડમાં છે કે  છે કે દસમાં ધોરણના પુસ્તકમાંથી ભગતસિંહને કાઢીને હડગેવારને મૂક્યા છે ! આ પેઢી જ્યારે યુવાન થશે ત્યારે હેડગેવારને જ આદર્શ માનશે ! વર્તમાન તો ડામાડોળ છે, ભવિષ્ય તો આના કરતાં ખતરનાક દેખાય છે. શું આપણે આમાંથી નિકળી શકીશું? આનું સોલ્યુશન શું?

જગદીશ બારોટ : ઉપાય સરળ છે, ગેરસમજણ દૂર કરવી. શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. સોશિયલ મીડિયા છે. એટલે ગેરસમજણ દૂર કરવાથી આપણે આ સમસ્યામાંથી બહાર આવી શકીએ. આ જ સંવાદસભા પણ સાચી દિશાનું પગલું છે. ધર્મસત્તા, રાજસત્તા અને અર્થસત્તાએ હાથ મિલાવેલ છે. એમની સાથે ધર્મગુરુઓ છે / પૂંજીપતિઓ છે. ગુંડાઓ છે / તંત્ર છે. સાધુઓ / સ્વામિઓ / ધર્મગુરુઓ બેફામપણે સત્તાપક્ષનો પ્રચાર કરે છે. કોર્પોરેટ મીડિયા હિન્દુ-મુસ્લિમ કર્યા કરે છે. આ મોટો પડકાર છે જ. કેટલાંક બહાદુર લોકો છે. રવિશકુમાર / અજિત અંજુમ / અભિસાર શર્મા / ધ્રુવ રાઠી લોકોને જગાડી રહ્યા છે. જાગૃતિ એ જ ઉપાય છે. સાચો માણસ એકલો હોય તો પણ બહુમતીમાં છે ! હિમ્મત રાખવાની છે. આવનારી પેઢીઓ પૂછશે કે આ બધી ધૃણા-નફરત ચાલતી હતી ત્યારે તમારા બાપદાદા ક્યાં હતા? શું કરતા હતા? ત્યારે આપણા વારસદારો કહેશે કે તેમણે પ્રયત્નો કર્યા હતા. ખિસકોલી જેમ શરીર પર માટી ચોંટાડી દરિયો પૂરવામાં મદદ કરતી હતી, એમ તેમણે પ્રયત્નો કર્યા હતા. સામા પ્રવાહે જીવતી માછલી જ તરે, મરેલી માછલી પ્રવાહ સાથે ખેંચાય ! એટલે આપણે જીવતા છીએ તેની આ સાબિતી છે ! આપણે આ કામને લોકહિત / દેશસેવા માનીએ છીએ. સૈનિકો બોર્ડર પર ગોળી ખાય છે, અમે ગાળો ખાવા તૈયાર છીએ. લોકો આપણી નિષ્ઠા જોઈને કહેશે કે આમને કોઈ સ્વાર્થ નથી, એટલે લોકો જોડાશે.

રમેશ સવાણી : ચારેબાજુ નફરત / ધૃણાનો દાવાનળ સળગ્યો છે તેને આપણે ઠારી શકીએ? આપણે દૃઢતાથી કહેવું પડશે કે આવી રીતે દેશ / સમાજ / વ્યક્તિનો વિકાસ ન થાય. નફરતથી ભરેલો માણસ પોતાનો વિકાસ કરી શકે નહીં. આ આપણે સમજાવવું પડશે. સંવાદસભા કરવી પડશે. માત્ર રેશનલ વિચાર સાથે જોડાયેલ જ્યોત્સ્નાના 36 હજારથી વધુ ફોલોઅર્સ છે. તે સૂચવે છે કે ગુજરાતમાં સમજદાર લોકો છે જ. સંગઠિત પ્રયત્નો કરવા જોઈએ. તાર્કિક વિચારસરણીને વળગી રહીએ. ભગતસિંહનો પાઠ કાઢી નાખ્યો તે અંગે અવાજ ઊઠાવવો જોઈએ. વિચાર જ પરિવર્તન લાવી શકે. વિચારોનું આદાનપ્રદાન થાય તો તેને બળ મળે. 

ભૂપેન્દ્રસિંહ રાઓલ : આપણી પાસે સાચી માહિતી હોતી નથી. WhatsApp યુનિવર્સિટીના જૂઠાણાં જ હોય છે. સાચી માહિતી ફેલાવો. તેની અસર પડતી હોય છે. મને એક ભૂવાજીને ફોન આવેલ કે તમારી રેશનલ સભા સાંભળીને મેં ધૂણવાનું બંધ કરી દીધુ છે ! અટક્યા વિના કામ કરતા રહેવાનું છે.

ડો. દિનેશ ધાનાણી : આપણે ચાર વસ્તુઓ પર ભાર મૂકવો જોઈએ : 1. ફિઝિકલ હેલ્થ. 2. મેન્ટલ હેલ્થ. 3. સ્પિરિચ્યુઅલ હેલ્થ. 4. એનવાયરમેન્ટલ હેલ્થ. હું હેલ્ધી હોઈશ તો હોસ્પિટલમાં મારો બેડ બીજાને આપી શકીશ. મેન્ટલ હેલ્થમાં એ આવે કે આ બધા ધર્મો રોગ છે.  તમને એ રોગ તરીકે દેખાતો નથી. તેણે માણસની વિચારશક્તિને ખતમ કરી નાખી છે. ધર્મ ઈરેશનલ છે. મુસ્લિમની વાત છોડો, આપણે હિન્દુઓની અંદર અમુક હિન્દુઓને દૂર રાખીએ છીએ. સ્પિરિચ્યુઅલ હેલ્થ એટલે Consciously વિયારવું. એનવાયરમેન્ટલ હેલ્થ એટલે આપણે પર્યાવરણને શુદ્ધ રાખવું પડશે. નહીંતર આપણા બધાનો નાશ થશે. હકારાત્મક વલણ પ્રત્યે જ આપણે લક્ષ્ય આપવાનું છે. માણસ બનીએ. સાહિર લુધિયાનવી કહે છે : ‘તું હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા, ઈન્સાન કી ઔલાદ હૈ ઈન્સાન બનેગા.’ નીરજ કહે છે : ‘મૈં બસાના ચાહતા હૂં સ્વર્ગ ધરતી પર, આદમી જિસ મેં રહે બસ આદમી બનકર.’ અંધારુ દૂર કરો, અંધારું દૂર કરો એવી બાંગ પોકારવાની જરૂર નથી, દીપક પ્રગટાવો અંધારું દૂર થઈ જશે. આપણે ભૂતકાળમાં જવું શા માટે છે? અત્યારે સાયન્સ / ટેકનોલોજીમાં શું ચાલે છે એની ચર્ચા થવી જોઈએ. આપણું જીવન જ એવું હોવું જોઈએ જે સંદેશ આપે ! 

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પહેલા સાહિત્યકાર : રમેશ આચાર્ય (૧૯૪૧-૨૦૨૫)

અભિમન્યુ આચાર્ય|Opinion - Opinion|28 March 2025

રમેશચંદ્ર આચાર્ય

પહેલીવાર મારા જીવનમાં હું કોઈ સાહિત્યકારને મળ્યો હોય તો તે મારા નાના બાપુજી : રમેશચંદ્ર આચાર્ય. ગુજરાતી કવિ. તાન્કા અને મોનો-ઈમેજ જેવા ઓછા ખેડાયેલા કાવ્યપ્રકારોમાં તેમના પ્રદાન બદલ જાણીતા. સુરેન્દ્રનગરમાં વર્ષો સુધી સાહિત્યિક વાતાવરણ તેમણે ન્હાનાલાલ સાહિત્ય સભા જેવી સંસ્થા ચલાવીને ઊભું કર્યું અને જાળવી પણ રાખ્યું.

અમે સૌ તેમને નાના બાપુજી કહેતા. કારણ કે તે મારા દાદાના સગા નાના ભાઈ. 

નાનો હતો ત્યારે અવનવા લેખકોને વાંચી મને થતું કે આ લોકો કેવા હશે! સમજણો થયો ત્યારે ખબર પડી કે સાહિત્યકાર સામાન્ય માણસો જેવો જ હોય છે. જવાબદારીઓ ઉપાડતો, ઘર પરિવારને સંભાળતો, વચ્ચે વચ્ચે સમય મળે ત્યારે વાર્તા-કવિતા લખી નાખતો. સંવેદનશીલ. સાહિત્યકાર એટલે એવો માણસ જેને કળા-સાહિત્ય તરફ ઝુકાવ હોય, પ્રીતિ હોય, છતાં જે જીવનને પ્રાધાન્ય આપે. જે જીવનના પડકારો દરવાજે ટકોરા મારે ત્યારે વાર્તા-કવિતાની આડમાં છુપાઈ ન જાય. 

સારું થયું કે બહુ નાની ઉંમરે આ સમજ આવી ગઈ. આ સમજ આવવાનું કારણ નાના બાપુજી. 

નાના બાપુજી સાથે મારે ઝાઝી વાતો ક્યારે ય થઈ નથી. અમે બંને ઓછાબોલા, અંતર્મુખી, બે શબ્દોથી કામ ચાલે તો ત્રણ ન વાપરીએ એવા. પણ મને અંદર અંદર એમ થતું કે વાર્તા કવિતામાં પડવું હશે તો મને આંગળી ચીંધી રસ્તો બતાવનાર માણસ મારા પરિવારમાં જ છે. એ વાતની એક ધરપત રહેતી, એક હાશકારો. 

મને હજી એક પ્રસંગ યાદ છે. હું તેર-ચૌદ વર્ષનો હોઈશ. એ સમયે મને વાર્તા લખવાનો એવો ચસકો હતો કે રોજની એક લખતો. મને હતું કે જલદી જલદી વાર્તાઓ લખી નાખું, એ છપાઈ જાય, એના પૈસા મળે, મારું નામ બને—તો કેવી મજા પડે!

એવી એક અધકચરી વાર્તા લખીને હું નાના બાપુજી પાસે ગયેલો. તેમને સંભળાવેલી. છાપામાં આવતી કોલમોમાં જે ચીલા-ચાલુ કચરો હોય છે એવી જ એ વાર્તા હતી. તેમણે ખૂબ અણગમા સાથે મને કહેલું કે આવું જ લખવું હોય તો ન લખવું જોઈએ. આનો કોઈ અર્થ નથી. અને હું આ રસ્તે ચડીશ તો મારી પ્રતિભા ઊગે એ પહેલા જ કરમાઈ જશે. 

તેમણે કહેલું કે જો લખવું જ હોય તો એવું લખવું કે વાચકને યાદ રહે. ચાલીસ ભૂલી જવાય એવી વાર્તાઓ લખવા કરતા એક યાદ રહી જાય એવી વાર્તા લખવી સારી. તે દિવસ પછી મારી રોજની એક વાર્તા લખવાની પ્રેક્ટિસ મેં બંધ કરી. જલદી જલદી છપાઈને નામ કરી લેવાની ઘેલછા છોડી દીધી. 

એ વાતને પંદર-સોળ વર્ષ વીતી ગયા છે, અને મેં ઘણું લખ્યું છે. સારું પણ લખાયું છે, ખરાબ પણ લખાયું છે, પણ એ દિવસ પછી ક્યારે ય લખવામાં દિલચોરી નથી કરી. લેખન પ્રત્યેનો મારો અભિગમ ધરમૂળથી બદલાયો એનું કારણ મારા નાના બાપુજી.

મારી વાંચનયાત્રામાં પણ તેમનો ફાળો હતો. ચંદ્રકાંત બક્ષીનો ફેન હોવાને કારણે એ સમયે હું બીજા લેખકોને નહોતો વાંચતો. મને થતું કે બક્ષી જેવું તો કોઈ લખી જ ન શકે. તેમણે મને કહેલું : તું સુરેશ જોષીને વાંચ. તું મધુ રાયને વાંચ. તું જયંત ખત્રીને વાંચ. 

જેમ વાંચતો ગયો એમ સમજાયું કે સાહિત્ય તો દરિયો છે. ઘણીબધી અલગ અલગ નદીઓનું પાણી એમાં છે. તેનાથી એક નવી સમજ આવી. કોઈ એકલ-દોકલ લેખકને દરિયો માનવાની ભૂલ ન કરાય. દરિયો થવાની મથામણ ય ન કરાય. નાનકડી, સરસ નદી થઈ શકીએ, અને દરિયા જેવા સાહિત્યમાં સ્વસ્થતાથી, સરળતાથી, ગૌરવભેર ભળી શકીએ તો પણ ઘણું. એનું મૂલ્ય જરા ય ઓછું નથી. 

સુરેન્દ્રનગર છોડ્યું પછી નાના બાપુજીને પ્રસંગોપાત મળવાનું થતું. ગયા વર્ષે મારા લગ્ન પછી મારી પત્નીને લઈને તેમને મળવા ગયેલો. છેલ્લે છેલ્લે મળી શક્યો એ વાતનો એક સંતોષ છે.      

ત્રણ દિવસ પહેલા તેમનું મૃત્યુ થયું. આજે બેસણું હતું. દેશથી દૂર હોવાને કારણે ઘણા સારા-ખરાબ પ્રસંગો ચૂકી જવાય છે મારાથી. સારા પ્રસંગોમાં એવું થયા કરે કે હું પરિવારની સાથે હોત તો સારું હોત. માઠા પ્રસંગોમાં એવું થયા કરે કે પરિવાર મારી સાથે હોત તો સારું હોત.

મારો પહેલો વાર્તાસંગ્રહ “પડછાયાઓ વચ્ચે” મેં મારા માતા-પિતાની સાથે મારા નાના બાપુજીને પણ અર્પણ કરેલો. 

અમદાવાદ રહેવા આવ્યા ત્યારે અવનવા સાહિત્યકારોને મળતો, મારું નામ કહેતો. પછી સામેથી જ જણાવતો : “શું તમે રમેશ આચાર્યને ઓળખો છો?” 

“હા, ઓળખુંને. પેલા કવિ જ ને? એ તમારા શું થાય? દાદા?”

હું કહેતો : “ના, એ મારા નાના બાપુજી”.

આજે સમજાય છે કે નાના બાપુજી મારી ઓળખ બની એ પહેલાંની મારી ઓળખ હતા.

સૌજન્ય : અભિમન્યુભાઈ આચાર્યની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મોંઘવારી : પ્રજાને નડી ને સાંસદોને ફળી !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|28 March 2025

રવીન્દ્ર પારેખ

મોંઘવારીની બૂમ કાયમ પ્રજામાંથી જ ઊઠે છે. એ બૂમ કોર્પોરેટરથી માંડીને સાંસદોમાંથી ઊઠતી નથી, કારણ ભાવ વધે તેમ પ્રજાને પૈસાની ટાંચ પડે છે, જ્યારે સત્તાધીશોને, હોજરી ભરવાની આગોતરી વ્યવસ્થા થઈ જાય છે. પગાર વધારા માટે હડતાળ પ્રજા પાડે છે. એ સાંસદોએ પાડવી પડતી નથી. એમને પગાર કે ભથ્થાં વધારા માટે કારણો હાથવગાં હોય છે. ઘણી વાર તો પગાર કે ભથ્થાંમાં થતો માસિક વધારો કોઈ નોકરિયાતના માસિક પગાર કરતાં પણ વધારે હોય છે. આ વધારા માટે કોઈ સાંસદ કે ધારાસભ્ય કે કોર્પોરેટરને વાંધો નથી હોતો, એટલું જ નહીં, ઢગલો વાંધાઓ પાડનાર વિપક્ષો પણ આ મામલે એક થઈ જાય છે. કોઈને આ વધારો ક્યારે ય વધારે લાગતો નથી. હજી તો સાંસદોનો 24 ટકા પગાર વધારો 24મીએ જાહેર જ થયો છે, ત્યાં ગુજરાત વિધાનસભા ગૃહમાં આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તથા કાઁગ્રેસના ધારાસભ્ય ડૉ. તુષાર ચૌધરીએ તમામ ધારાસભ્યોની ઇચ્છાનો પડઘો પાડતા હોય તેમ પગારમાં તથા ગ્રાન્ટમાં વધારો કરવાની માંગ કરી છે, તે સાથે જ પૂર્વ ધારાસભ્યોને અન્ય રાજ્યોને અપાતાં પેન્શનની સમકક્ષ પેન્શન આપવાની માંગ પણ દોહરાવાઈ છે. સરકારે પેન્શનને મામલે ફોડ પાડ્યો નથી, પણ ગ્રાન્ટ દોઢ કરોડથી સીધી વધીને પાંચ કરોડ થઈ જાય તો નવાઈ નહીં ! 

આમ તો સાંસદો કે ધારાસભ્યોના પગાર-ભથ્થાંમાં વધારો થઈને જ રહે છે, પણ અન્ય નોકરિયાતોને વધારો આપવામાં સરકારનો હાથ કાયમ તંગ રહે છે. મોટે ભાગે તો હડતાળ કે વિરોધ વગર પ્રજાની ગાડી પાટે ચડતી જ નથી. જેમનો વિરોધ વાંઝિયો છે એ બેન્ક પેન્શનર્સ, પત્રકારો કે નાના પેન્શનર્સનું પેન્શન અપડેટ થતું જ નથી. સરકાર જાણે છે કે એવા વિરોધીઓથી તેને કૈં નુકસાન નથી, એટલે એ લોકો તો લેખામાં જ નથી. બેન્ક પેન્શન અપડેટ કરવાને મામલે કે મેડિક્લેમમાં પ્રીમિયમ ઘટાડવાને મામલે યુનિયન લીડર્સ કેન્દ્રીય નાણાં મંત્રી સાથે બેઠકો કરતાં રહે છે ને પરિણામ બીજી નવી બેઠકમાં આવે છે. બેઠકો થતી રહે છે, પણ પરિણામ મળતું નથી.

એક સમય હતો જ્યારે 1960ની આસપાસ સ્કૂલના વિદ્યાર્થીઓને, વાલીની વાર્ષિક આવક 900 હોય તો EBC માફી મળતી. છે ને કમાલ, કે 900 જેવી આવક માફીને પાત્ર હતી ! એ પછીના વર્ષોમાં પણ શિક્ષકનો કે પત્રકારનો કે ઇવન બેંક ક્લાર્કનો પગાર શરૂઆતમાં 500 રૂપિયા માંડ હતો. ઘણાને તો એથી ય ઓછો પગાર મળતો. એ રિટાયર થાય ત્યારે જે પેન્શન બંધાતું તેમાં ચીંથરાં ય ન આવતાં. એ પછી પગાર વધ્યા, પેન્શન પણ વધ્યું, પણ હજી સિનિયર્સને મોંઘવારીના પ્રમાણમાં પેન્શન અપડેશનનો લાભ મળ્યો નથી તે દુ:ખદ છે. સાંસદોનું પેન્શન સીધું 6,000 વધીને, 25,000નું 31,000 થયું, તો કેટલાકને આજની તારીખમાં પગાર જ 6,000 ન હોય તો તેનું પેન્શન કેટલુંક હોય તે સમજી શકાય એવું છે.

દેશભરના 75 લાખથી વધુ, વિવિધ વર્ગના પેન્શનરોને EPF-95માં 417, 541, 1250 જેવું પેન્શન મળે છે, તે કેવી રીતે જીવતા હશે તે તેઓ જ જાણે, તેઓ 65-70ની ઉંમરે ‘આત્મનિર્ભર’ હોવા જોઈએ, પણ  લાચાર છે, દયાપાત્ર છે, અપમાનિત છે. સંતાનો, ઓછાં પેન્શનિયાં માબાપને સાચવી લે તો નસીબ, બાકી, એટલાં પેન્શનમાં તો મરવાનું ય મોંઘું પડે એ સ્થિતિ છે. જો કે, નિવૃત્ત કર્મચારી મંડળે વડા પ્રધાનને આવેદન આપી માસિક પેન્શન 7,500 કરવા રજૂઆત કરી છે. સરકાર પેન્શનમાં જ 6,000નો વધારો જરા ય સંકોચ વગર કરી શકે, તો આ 75 લાખથી વધુ વૃદ્ધોની ચામડી ઢંકાઈ રહે એટલું થાય તો ય ઉપકાર જ થશે. 

સરકારને એ વાતનો પણ સંકોચ નથી કે પૂર્વ સાંસદોની ટર્મ પૂરી થતાં પેન્શન ઉપરાંત વધારાનું પેન્શન 2,000થી વધારીને 2,500 કર્યું, તો બીજી તરફ ઘણાં ક્ષેત્રોમાં પેન્શન નકારીને પેન્શનરોનું ભવિષ્ય જ રૂંધી નાખ્યું છે. એ તો ઠીક, નિવૃત્તિ પછી પેન્શન વગેરે લાભો ન આપવા પડે એટલે સરકાર કાયમી શિક્ષકોની ભરતી કરવાને બદલે જ્ઞાન સહાયકોથી ચલાવે છે. સરકાર સાંસદોને કે ધારાસભ્યોને ભલે આપે, પણ તે સાથે જ જેમણે જિંદગી ખર્ચી છે એમને નિવૃત્તિ પછીનાં લાભો આપવામાં કંજૂસાઈ કરે એ શરમજનક છે. ફુગાવો સાંસદોને લાગતો હોય તો સામાન્ય માણસ પણ એનો ભોગ બને એવું, નહીં? સાંસદોનો 1 લાખનો પગાર 1.24 લાખ થઈ જતો હોય ને તેનું એરિયર્સ એપ્રિલ, 2023થી અપાવાનું હોય, તો બીજા લાખો વંચિતોનો વિચાર કરવાનો કે કેમ? 

2006માં સાંસદોનો પગાર 12,000 હતો, તે 2025 સુધીમાં 933 ટકા વધીને 1,24,000 થઈ જતો હોય, તો એ વાજબી છે એવું ન પુછાય, પણ એવું જરૂર પુછાય કે બીજા કોના પગારમાં 19 વર્ષમાં 933 ટકાનો વધારો થયો છે? પગાર ઉપરાંત દૈનિક ભથ્થું 2,000 હતું, તે પણ 500 વધીને 2,500 થયું છે. આ વખતના પગાર વધારાની ખૂબી એ છે કે તે ફુગાવાને અનુરૂપ છે. જો કે, ફુગાવો ઘટે, તો પગાર પણ ઘટે કે કેમ તેની કોઈ ચોખવટ નથી. પડે છે ત્યારે સઘળું પડે છે એ ન્યાયે, સંસદમાં પગાર વધે છે તો બધું જ વધે છે. ટૂંકમાં, લોકસભા અને રાજ્યસભાના 788 સાંસદોને બે વર્ષનું એરિયર્સ જ 45 કરોડ 38 લાખ ચૂકવવાનું થશે. સાંસદોને એ ઉપરાંત 34 મફત હવાઈ મુસાફરી મળે છે. તેમાં 8 મુસાફરી તો તે અન્ય સંબંધી કે સ્ટાફને ટ્રાન્સફર પણ કરી શકે છે. મફતનું 81.5 કરોડ લોકો જ ખાય છે એવું નથી. સાંસદો પણ, મફત રેલવે મુસાફરી કરી શકે છે. રોડ મુસાફરીમાં 16 રૂપિયા પ્રતિ કિ.મી.નો લાભ, હવાઈ કે રેલ મુસાફરી શક્ય ન હોય ત્યારે લઈ શકે છે. અમુક મર્યાદામાં એ લાભ નિવૃત્ત સાંસદોને પણ મળે છે. દિલ્હી નિવાસ દરમિયાન 50,000 યુનિટ મફત વીજળી, 4 લાખ લિટર પાણી, લોકસભાના સાંસદને 1,50,000 અને રાજ્યસભાના સાંસદને 50,000 મફત કોલનો લાભ … મળે છે. તેમને દેશમાં ને અમુક સંજોગોમાં વિદેશમાં સારવાર મફત મળે છે. સાંસદોને મતવિસ્તાર ભથ્થું દર મહિને 70 હજાર મળતું હતું તે 87 હજાર થઈ ગયું છે. એ જ રીતે ઓફિસ ખર્ચ 60,000 મળતો હતો તે 75,000 થઈ ગયો છે. વળી ટકાઉ અને બિનટકાઉ ફર્નિચર ખરીદવા માટે કાર્યકાળ દરમિયાન અનુક્રમે 1 લાખ અને 25 હજાર મળે છે. (એ ખરું કે 2020ના કોરોના કાળમાં એક વર્ષ માટે મંત્રીઓ અને સાંસદોએ 30 ટકા પગાર કાપ વેઠેલો) આ ઉપરાંત સંસદ કેન્ટિનમાં મફતના ભાવે ભોજનનો લાભ પણ સાંસદોને મળે છે. એ જોતાં સોંસરું પૂછવાનું એ થાય કે આમ ધરાયેલાની ભૂખ 933 ટકા વધતી હોય, તો જન્મજાત ભૂખ્યાની ભૂખ કેટલા ટકા વધી હોય ને તેને કેટલું આપવું જોઈએ ને ખરેખર તેને કેટલું અપાય છે? નોકરીઓ લાખોમાં આપવાની વાતો થાય છે, પણ શિક્ષિત બેકારી ઘટતી નથી. બે છેડા ભેગા કરતાં ઘણી વાર છેડો મુકાઈ જતો હોય, ત્યાં વિના વિરોધ બધા છેડા સંસદમાં પગારને મામલે ભેગા થઈ જતા હોય, એ કેવું? 

એક તબક્કે સંસદમાં પગાર વધારા માટે ભલામણો કરવી પડતી હતી. એ સ્થિતિ 2018માં બદલાઈ. તે વખતના નાણાં મંત્રી અરુણ જેટલીએ સાંસદોનો પગાર 50,000થી વધારીને 1,00,000 કર્યો. તે પછી ફુગાવાને અનુરૂપ દર પાંચ વર્ષે આપોઆપ પગાર-ભથ્થાં વધે તેવી વ્યવસ્થા પણ તેમણે કરી, એટલે ભલામણો કરવાનું ટળ્યું. કોઈ વાર દેશ કેટલો દેવાદાર છે એના આંકડા બહાર પડે છે, ત્યારે સવાલ થાય કે એ દેવા જોડે સરકારને લેવાદેવા હશે કે એ બોજ જનતાનો જ છે? જો દેવાની ખબર હોય તો આવા ભવ્ય પગાર-ભથ્થાં, સાંસદો કે ધારાસભ્યોને પુનર્વિચાર કરવા પ્રેરે છે ખરા? એની સામે ઓછી આવકને કારણે આર્થિક અસમાનતાના પ્રશ્નો ઉદ્દભવે છે તે ખરું કે કેમ? એક તરફ 100 રૂપિયે નજીકનું લિટર પેટ્રોલ ઠલવાતું હોય ને શહેરી આવક દૈનિક 550 પણ ન હોય કે ગ્રામીણમાં તો એ 450થી ય ઓછી હોય ને તેમાં ય મહિલાઓને તો તેથી ય ઓછું મળતું હોય ને બીજી તરફ દૈનિક ભથ્થું 2,000નું 2,500 રમતમાં થઈ જતું હોય, તો એટલું નક્કી છે કે આ અસમાનતા અહિંસક રીતે સરભર થાય એ અશક્યવત્ છે. પ્રજા જુએ છે. જોઈ રહે છે. વેઠે છે. વેઠી રહે છે. પછી તેની આંખો ફરે તો પૃથ્વી પણ ફરવાનું ચૂકી જાય એમ બને. અમથું નથી કહ્યું, ચેતતો નર સદા સુખી. ન ચેતે તો પછી ઘણું ‘ચેતે’ છે ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 28 માર્ચ 2025

Loading

...102030...391392393394...400410420...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved