
ચંદુ મહેરિયા
બંધારણના અનુચ્છેદ એકવીસ અનુસાર ભારતીય નાગરિકનો પ્રદૂષણમુક્ત વાતાવરણમાં રહેવાનો અધિકાર, તેના જીવન જીવવાના અધિકારનો, મહત્ત્વનો હિસ્સો છે. પરંતુ દેશ આખામાં, સવિશેષ શહેરોમાં, મોટા પાયે પ્રદૂષિત વાતાવરણમાં આપણે જીવવું પડે છે. હવા, પાણી, અવાજ અને જમીનનાં પ્રદૂષણની સમસ્યા બહુ ગંભીર છે. વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત દસ દેશોમાં આપણી ગણના થાય છે.
વૈશ્વિક જળ ગુણવત્તા સૂચકાંકમાં ૧૨૨ દેશોમાં ભારતનો ક્રમ ૧૨૦મો હોવાનું નીતિ આયોગના અહેવાલમાં સ્વીકારવામાં આવ્યું છે. પીવાનું શુદ્ધ પાણી માનવ જીવન માટે અતિ આવશ્યક છે. પરંતુ આપણા દેશનાં પાણીના સિત્તેર ટકા સ્રોત પ્રદૂષિત છે. ગંગા અને બીજી નદીઓને મા ગણતા નદીપ્રધાન દેશમાં પીવાનું ચોખ્ખું પાણી જાણે કે દોહ્યલું છે.
વાયુ ગુણવત્તા અહેવાલ ૨૦૨૪માં આપણે ત્રીજા ક્રમે છીએ અગાઉ આપણે પાંચમા નંબરે હતા. એટલે વાયુ ગુણવત્તામાં આપણું સ્થાન સુધર્યું છે. પણ એથી બહુ હરખપદૂડા થવાની જરૂર નથી. કેમ કે જે દેશો આપણા કરતાં વધુ ગંદી હવામાં જીવે છે તેમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચાડ અને કોન્ગો છે. એટલે આ સુધારાથી વિશ્વગુરુએ હરખાવાનું ન હોય. દુનિયાના મોખરાના પ્રદૂષિત શહેરોમાં ભારતના તેર શહેરો છે. તેમાં રાજધાની દિલ્હી બીજા નંબરે છે. પ્રતિ વર્ષ દિવાળી પછીના દિવસોમાં દિલ્હીની હવામાં શ્વાસ લેવો મુશ્કેલ બની જાય છે. દિલ્હીના પાડોશી રાજ્યો પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો ખેતરોમાં પરાળ સળગાવે તેનો ધૂમાડો અને પ્રતિબંધ છતાં દિલ્હીવાસીઓના પોતાના દિવાળીના ફટાકડાના પ્રદૂષણે માઝા મૂકી છે. દર વરસે આ વિકરાળ સમસ્યાથી પાટનગર દિલ્હી પીડાય છે. વાહનો માટે ઓડ ઈવન, ભારે વાહનો પર પ્રતિબંધ, શાળાઓમાં રજાઓ, સરકારી અને ખાનગી કંપનીઓમાં વર્કફ્રોમ હોમ કે કામના કલાકોમાં ફેરફાર, વૃક્ષો પર પાણીનો છંટકાવ જેવા પગલાં છતાં સમસ્યા કાયમી બની ગઈ છે.
ધ્વનિ પ્રદૂષણની જિકર થાય કે તરત મસ્જિદોના લાઉડ સ્પીકર યાદ આવે છે. પરંતુ જન્મ, લગ્ન અને મરણ જેવા સામાજિક પ્રસંગો કે તમામ ધાર્મિક પ્રસંગો આપણે અવાજ કર્યા વિના ઉજવી શકતા નથી, તે સહેલાઈથી ભૂલી જઈએ છીએ. હવે તેમાં ડી.જે.નું દૂષણ ઉમેરાયું છે. તે કેટલું ખતરનાક ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે તેનો અનુભવ હજુ હમણાંનો તાજો છે. ગુજરાતના મહીસાગર જિલ્લાના કડાણા ગામે લગ્નના વરઘોડામાં ડબલ ડી.જે.નો અવાજ એટલો ઘાતક બન્યો કે ઘોડે બેઠેલા વરરાજાની મગજની નસ ફાટી ગઈ હતી!
પ્રદૂષણની સૌથી માઠી અસર માનવીના આરોગ્ય પર થાય છે. ફેફસાં, હ્રદય, મગજ અને લોહીને વાયુ પ્રદૂષણ અસર કરે છે. અસ્થમા, સ્ટ્રોક, હ્રદય રોગ અને માનસિક તણાવ જેવા રોગોના દર્દીઓને તે સવિશેષ અસર કરે છે. અકાળે મોત, ગર્ભપાત, જન્મ સમયે બાળકનું ઓછું વજન અને મૃત બાળકનો જન્મ પણ વાયુ પ્રદૂષણને કારણે થાય છે. વિશ્વમાં ૮ મિલિયન લોકોના અકાળે મોતનું કારણ વાયુ પ્રદૂષણ છે. ૨૦૧૯માં ભારતની અર્થવ્યવસ્થામાં વાયુ પ્રદૂષણે જી.ડી.પી.ના ત્રણ ટકા નુકસાન કર્યું હતું. દુનિયામાં ૧.૨ લાખ કરોડ કામના દિવસો તેના લીધે ઘટ્યા હતા.
પર્યાવરણ, પ્રદૂષણ અને જળ વાયુ પરિવર્તન વૈશ્વિક સમસ્યાઓ છે. સરકારો અને સમાજે મળીને તેનું નિવારણ કરવાનું છે. નાગરિકોની જાગૃતિ અને ભાગીદારી મહત્ત્વની છે જ પરંતુ સરકારોની પ્રાથમિકતા આ મુદ્દે કેટલી છે તે પણ અગત્યનું છે. ભારતમાં રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને યોજનાઓ છે છતાં સમસ્યા વકરી રહી છે. ૨૦૧૮માં ભારત સરકારે પ્રદૂષણ નિયંત્રણ યોજના શરૂ કરી હતી. સંપૂર્ણપણે કેન્દ્રપોષિત આ યોજનાનો મહત્ત્વનો હિસ્સો નેશનલ ક્લીન એર પ્રોગ્રામ(N CAP) છે. યોજનાના ઊંચા લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા હતા. દેશના ૧૩૧ શહેરોમાં ૨૦૧૯-૨૦માં અસ્વચ્છ હવાનું જે સ્તર હતું તેને ૨૦૨૬ સુધીમાં ૪૦ ટકા સુધારવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. પરંતુ ગમે તેવી સારી યોજના પણ અમલદારશાહીનો ભોગ બનતી હોય છે.
ભારતીય જનતા પક્ષના રાજ્યસભા સભ્ય ભુવનેશ્વર કલિતાના અધ્યક્ષપણા હેઠળની સંસદની સ્થાયી સમિતિનો સંસદના ગત સત્રમાં રજૂ થયેલા અહેવાલની કેટલીક વિગતો ચોંકાવનારી અને ચિંતાજનક છે. વરસ ૨૦૨૪-૨૫ માટે કેન્દ્ર સરકારે રૂ. ૮૫૮ કરોડ પ્રદૂષણ નિયંત્રણ યોજના માટે ફાળવ્યા હતા. પરંતુ સમિતિના જણાવ્યા મુજબ વર્ષાંતે તેમાંથી માત્ર રૂ.૭.૨૨ કરોડ અર્થાત એક ટકા કરતાં ઓછો ખર્ચ થયો હતો. આ નાણાં કેન્દ્ર સરકારે રાજ્યોને પ્રદૂષણ નિયંત્રણ માટે આપવાના હતા. પરંતુ નાણાકીય વરસ પૂરું થયું ત્યાં સુધી બાબુશાહીએ યોજનાને મંજૂરી જ ન આપી એટલે ચોપાસ બેફામ ફેલાઈ રહેલાં પ્રદૂષણને અટકાવવા માટે કરોડો રૂપિયા વણવપરાયેલા રહ્યા હતા.
હવે દિલ્હીની નવી રાજ્ય સરકારે ચાલુ વરસના બજેટમાં રૂ.૫૦૬ કરોડની જોગવાઈ વન અને પર્યાવરણ માટે કરી છે. દિલ્હી સરકાર તેનો પૂર્ણ ક્ષમતા અને રાજકીય ઈચ્છાશક્તિથી ઉપયોગ કરે છે કે કેમ તેની કસોટી આ વરસની દિવાળીએ જ થશે. કેન્દ્રે નિયંત્રણ માટે જે રૂ.૮૫૮ કરોડ ફાળવ્યા હતા તે કેન્દ્રના વન અને પર્યાવરણ મંત્રાલયના કુલ બજેટનો ૨૭ ટકા જેટલો મોટો હિસ્સો હતો. તે તો વણ વપરાયેલો રહ્યો જ છે, પરંતુ સંસદીય સમિતિએ નોંધ્યું છે તેમ ૨૦૨૪-૨૫માં મંત્રાલયે તેને ફાળવેલ નાણાંનો ૫૭ ટકા જ ખર્ચ કર્યો છે. દેવભૂમિ ઉત્તરાખંડની રાજ્ય સરકારે તો તેના પર્યાવરણ ફંડનો ગેરઉપયોગ કર્યો હોવાનું સી.એ.જી.ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. પર્યાવરણ માટેનું રાજ્ય સરકારનું ફંડ રાજ્યના ચીફ સેક્રેટરીના બંગલાના રંગરોગાન, તેમના માટે એકાધિક લેપટોપ અને આઈ ફોન ખરીદવામા વાપર્યું છે. ઉત્તરાખંડને પ્રકૃતિએ કેટલું બધું આપ્યું છે. પરંતુ માનવીય ભૂલો અને જાગૃતિના અભાવે ઉત્તરાખંડનું પ્રાકૃતિક સોંદર્ય નષ્ટ થઈ રહ્યું હોય ત્યારે પર્યાવરણ ફંડનો ગેર ઉપયોગ ભારે ચિંતાનો વિષય બનવો જોઈએ.
૧૯૪૪થી ૧૯૫૫ના ગાળામાં પ્રગટ થયેલ ભગવદ્ગોમંડળમાં અને ૧૯૨૯માં પ્રગટ સાર્થ ગુજરાતી જોડણી કોશમાં પર્યાવરણ શબ્દ નથી. પરંતુ પ્રદૂષણ શબ્દ છે! ભગવદ્ગોમંડળમાં પ્રદૂષણનો અર્થ નષ્ટ થવું તે અને સાર્થ ગુજરાતી જોડણી કોશમાં હાનિકારક કે ઝેરી તત્ત્વોથી વાતાવરણનું દૂષિત થવું કે બગડવું તે જણાવેલ છે. એટલે પ્રદૂષણ અને પર્યાવરણની સમસ્યા વીસમી-એકવીસમી સદીની છે. ખરાબ પર્યાવરણ અને અને પ્રદૂષણને કારણે અનેક હાનિકારક અસરો થઈ રહી છે. તેને નાથવાના સરકાર અને સમાજના પ્રયત્નો બહુ પાંખા જણાય છે. તેમાં સરકારી નાણાં વણવપરાયેલાં રહેવા કે બીજો ઉપયોગ થવો તે ગંભીર સમસ્યા છે. પ્રદૂષણના સ્રોત કે કારકો ઓછા કરવા એ પ્રદૂષણ નિવારણની સૌથી કારગર રણનીતિ છે. જો પ્રદૂષણ નિયંત્રણ કે નિવારણ માટે સર્વસંમતિ છે, પૂરતી કાયદાકીય જોગવાઈ છે તો હવે તેના નિયંત્રણ અને અંતે નિવારણ માટે ભગીરથ પ્રયાસો થવા જોઈએ. તો જ આપણી આવતીકાલ પ્રદૂષણમુક્ત હશે.
e.mail : maheriyachandu@gmail.com