Opinion Magazine
Number of visits: 9843702
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણે જ આપણા વિરોધમાં છીએ … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|10 March 2025

રવીન્દ્ર પારેખ

મહિલા દિવસ આવ્યો અને ગયો. એમ જ આવશે અને જશે. આ દિવસ મહિલા જાગૃતિનું જ નહીં, સામાજિક જાગૃતિનું કામ પણ કરે તે અપેક્ષિત છે. એવું થશે તો અંગત ગણતરીએ થતાં કામ ઘટશે. મહિલા દિનની ઉજવણીનો ઇતિહાસ, સ્ત્રી સશક્તીકરણ, સ્ત્રીને પુરુષ સમોવડી કરવાની વાત, થોડી મહિલાનું અર્પણ ને થોડીનું તર્પણ, થોડીનું સન્માન ને થોડીનું (છાનું) અપમાન કરીને દિવસ પૂરો કરવાની નવાઈ નથી, પણ હકીકત એ છે કે સંતુલન બધે જ ખૂટે છે ને તે થાય એવું લાગતું નથી. બાર સાંધો ને તેર તૂટે – જેવી સ્થિતિ છે. ખરેખર તો આ ફૂલેલા ફૂગ્ગા જેવું છે. આ છેડેથી દબાવો તો બીજે છેડે ફૂલે ને બીજે છેડેથી દબાવો તો આ છેડે ફૂલે ને બંને છેડેથી દબાવો તો સંતુલન ફૂગ્ગાનાં ફૂટવામાં સધાય.

સ્ત્રી ઘરની બહાર નીકળી તો તેની મોકળાશ વધી. તે શિક્ષિત-દીક્ષિત થઈ, આર્થિક રીતે પગભર થઈ, છતાં તેનાં શોષણમાં બહુ ફરક ન પડ્યો. છૂટ વધી, તો છેડતી પણ વધી. શોષણ ઘર પૂરતું હતું, તે વ્યાપક થયું. એવું ન હતું કે મુક્તિનો અનુભવ ન હતો. હતો, પણ શિક્ષણે, સૂક્ષ્મ શોષણની દિશા પણ ખોલી આપી. શોષણ થઈ રહ્યું છે, એની ખબર પડે એ પહેલાં શોષણ થઈ ચૂક્યું હોય, એવી સ્થિતિનું નિર્માણ વધુ થયું. સ્ત્રીને પુરુષ સમોવડી કરવાનો પ્રયત્ન પણ થયો, પણ એમાં સ્ત્રી ઘટતી ગઈ અને પુરુષોના દુર્ગુણોનું ઉમેરણ વધતું ગયું. પુરુષ જેવા થવામાં ક્યાંક બાવાના બે ય બગડ્યા જેવું પણ થયું. પુરુષ સમોવડી થવામાં સ્ત્રીએ સ્ત્રી તો રહેવાનું જ હતું, તે ઘટ્યું. તે જાણે નાનમની કોઈ વાત હોય તેમ પુરુષપણું પ્રગટ કરવામાં જ ગૌરવ લેવાતું રહ્યું. એટલે સિદ્ધ તો એ જ થયું કે પુરુષ હોવામાં જ કશુંક વિશેષ છે ને એ વિશેષતા સ્ત્રી હોવામાં નથી. એમાં એટલું થયું કે સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું અને એ રીતે તે વિકસી પણ ખરી. સ્ત્રી વિકસી તે સાથે હકો વિષે સભાન થઈ અને ફરજ વિષે બેધ્યાન થઈ.

સ્ત્રી શોષિત હતી, તે તક મળતાં શોષણખોર પણ થઈ.

એક સમય હતો જ્યારે દહેજને નામે સ્ત્રીનું અને તેનાં પિયરિયાંનું શોષણ થતું હતું, તે સ્થિતિ બૂમરેંગ પુરવાર થઈ. પત્ની જ દહેજ માંગ્યાની વાત આગળ કરી સાસરિયાંને જેલની હવા ખવડાવતી થઈ. કેટલા ય કિસ્સાઓમાં એવું પણ થયું કે પત્નીને, સાસરામાં પતિ અને સંતાનો સિવાય, બીજું બધું કઠવા લાગ્યું. સંજોગો પણ એવા બદલાયા કે નોકરી, ધંધાને નિમિત્તે ઘરથી દૂર જવાનું પણ થયું. આ દૂરીએ વહુની સાસરિયાં પ્રત્યેની માયા ઘટાડી. ઘણી વહુને સાસરું જ કઠવા લાગ્યું. તેનો સંસાર પતિ અને એક બે બાળક પૂરતો જ સીમિત થઈ ગયો. ઘણી વહુને પતિ ખપતો હતો, પણ તેના પિતા કે માતા ખપતાં ન હતાં કે ન તો ખપતા હતા પતિના અન્ય સગાંસંબંધીઓ ! પત્ની, પતિનું એ રીતે બ્રેઇન-વોશ કરતી રહી કે તે પણ કુટુંબથી દૂર રહે ને માત્ર તેનો જ થઈને રહે. આવી સંકુચિતતાનાં પણ કારણો હતાં, સ્ત્રીઓ સમય જતાં વધુ અનુદાર થઈ, એટલું જ નહીં, કેટલાંક ઘરોમાં તો વહુને તેનાં સાસરિયાં શત્રુ હોય એ હદે અળખામણાં થઈ પડ્યાં ને આવું સ્ત્રીઓ જ્યાં શિક્ષિત હતી, ત્યાં વધુ થયું.

જો કે, આ બધું તેનાં પિયરમાં થાય તે તેને અસહ્ય હતું. તેની ભાભીએ તો તેનાં સાસુ-સસરાને, તેનાં દિયર, દેરાણી, જેઠ, જેઠાણી, કુંવારી નણંદ કે અન્ય સંબંધીઓને સાચવવાનાં જ હતાં. પોતે જે સાસરામાં કરતી હતી, એવું પિયરમાં ભાભી વર્તે તો તે તેને જરા પણ મંજૂર ન હતું. ભાભી પોતાનાં પિયરિયાં જોડે સુમેળ રાખી શકતી ન હતી એ વાતે તે દુ:ખી હતી, પણ એ જ કામ તે તેનાં સાસરામાં કરતી હતી તેનો તેને અફસોસ ન હતો. આ વિરોધાભાસ એવી સ્ત્રીઓમાં જોવા મળતો હતો, જેની સાસરા અને પિયરને જોવાની દૃષ્ટિમાં આસમાન જમીનનું અંતર હતું.

હક વિષેની સભાનતાએ સ્ત્રીને હક ઉપરાંતનું માંગતી પણ કરી. આ બધી જ સ્ત્રીઓમાં ન હતું, પણ હતું ત્યાં શરમાવનારું હતું. સ્ત્રી પર દુષ્કર્મ થાય એ મોટે ભાગે ક્ષોભ જન્માવનારી ઘટના તરીકે જોવાય છે, પણ સ્ત્રી પોતે જ આઠ લોકો સામે એક સમાન રેપના કેસ કરે તો એ સમજવાનું મુશ્કેલ બને છે. સુપ્રીમ કોર્ટ એ વાતે આશ્ચર્યમાં પડી કે ફરિયાદી મહિલાએ તપાસમાં સાથ ન આપ્યો, એટલું જ નહીં, કોર્ટમાં હાજર થવાની નોટિસ મોકલવામાં આવી, તો ફરિયાદી મહિલા હાજર પણ ન થઈ. 2014થી 2022 સુધીમાં જુદાં જુદા જુદા આઠ પોલીસ સ્ટેશનમાં એક સમાન રેપના આરોપો મૂકી મહિલાએ ફરિયાદ નોંધાવી ને સુપ્રીમે એ મામલે ચિંતા પણ પ્રગટ કરી. તેમાં એક આરોપ તો સેનાના પૂર્વ કેપ્ટન પર લગાવાયો હતો. કેપ્ટને ફરિયાદ રદ્દ કરાવવા સુપ્રીમ સુધી ખેંચાવું પડ્યું. સુપ્રીમે વજૂદ ન જણાતાં ફરિયાદ રદ્દ કરી ને તમામ આરોપોમાંથી મુક્ત કરી તેમને નિર્દોષ ઠેરવ્યા. રેપની ફરિયાદ કરવાનું ઘણુંખરું મુશ્કેલ થતું હોય ત્યાં આઠ આઠ વ્યક્તિઓ પર આરોપ મૂકવાનું ગંભીર છે ને તે પણ સુપ્રીમ સુધી વાત પહોંચી હોય ત્યારે તો ખાસ ! અહીં પણ સ્ત્રી જ સ્ત્રીની વિરુદ્ધમાં પડી હોય તેમ સુપ્રીમને સહકાર નથી આપતી, એટલું જ નહીં, કોર્ટમાં હાજર પણ નથી થતી.

બીજો એક કિસ્સો ગુજરાત હાઇકોર્ટનો છે, જેમાં મુંબઇમાં રહેતાં સંતાનોએ અમદાવાદમાં રહેતી સગી માને મિલ્કત માટે કોર્ટમાં ઢસડી છે. સંતાનો જે મિલ્કત માટે દાવો કરી રહ્યાં છે તે સંદર્ભે કોર્ટમાં માતાએ જણાવ્યું કે એ મિલ્કત પિતૃપક્ષ-પિયર તરફથી પોતાને મળી છે. એ મિલ્કત સાસરાપક્ષ તરફથી મળી નથી, એટલે તે પૈતૃક સંપત્તિ ગણાય નહીં. ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપતાં જણાવ્યું કે માતાને પિયર તરફથી મળેલી મિલ્કત તે ઈચ્છે તો જ સંતાનોને આપી શકે.

વિગતો એવી છે કે મૂળ મુંબઈની માતા છેલ્લાં 10 વર્ષથી અમદાવાદમાં રહે છે. સંતાનોમાં પુત્ર અને પુત્રી છે ને તેઓ મુંબઈમાં અભ્યાસ કરે છે. સંતાનોના પિતા અમેરિકા રહે છે ને તબીબી સાધનોનો ધંધો કરે છે ને વારંવાર ભારત આવતા રહે છે. થોડા સમયથી સંતાનો મુંબઇમાં એક એપાર્ટમેન્ટ લેવા માતાને આગ્રહ કરતાં હતાં ને તેને માટે મિલ્કત વેચવાનું કહેતાં હતાં. માતાએ મિલ્કત વેચવાની સ્પષ્ટ ના પાડી, એટલે દીકરા-દીકરીએ માતાને મિલકતમાં ભાગ આપવાની માંગ કરી. માતાએ તેની પણ ના પાડતાં સંતાનો હાઇકોર્ટ પહોંચ્યાં. કોર્ટમાં સંતાનોએ એવી રજૂઆત કરી કે થોડાં વર્ષ પહેલાં કરેલું વિલ માતાએ બદલી કાઢ્યું હતું. એ વિલમાં બંને સંતાનોનાં નામ ઉપરાંત તેમની મામીનું નામ પણ હતું. પછી વિલ નવું થયું તો તેમાં સંતાનોનાં નામ ન હતાં.

પિયરની વાત એવી હતી કે નાનાં ભાઇનું મૃત્યુ થતાં પિતાએ તમામ મિલ્કત, દરદાગીના, ડિપોઝિટ્સ વગેરે દીકરીને આપી, જેના પર તેનાં જ સંતાનો હકદાવો કરતાં હતાં. સંતાનોની માતાએ તેનું વિલ બદલીને સંતાનોને મિલ્કતમાંથી બેદખલ કર્યાં. નવાં વિલમાં માત્ર ભાભીનું જ નામ હતું. બે મકાનમાંથી એક મકાનમાં તેને અડધો હિસ્સો આપ્યો હતો. આ હિસ્સો આપવા સામે સંતાનોએ કોર્ટમાં વાંધો ઉઠાવ્યો હતો. તેથી માતા બગડી હતી ને તેણે સંતાનોને બેદખલ કર્યાં હતાં.

માતા એક સ્ત્રી છે, મામી એક સ્ત્રી છે ને દીકરી ને દીકરો સંતાનો છે. આમ જોઈએ તો બધાં એક બીજાની સાથે નથી. કદાચ વિરોધમાં છે. આ બધી જ ઘટનાઓ એક જ અઠવાડિયામાં સામે આવી છે. એ કેવું વિચિત્ર છે કે મહિલાઓ અધિકારનો ઉપયોગ કરવા કરતાં દુરુપયોગ વધારે કરે છે. છેલ્લાં ઉદાહરણમાં સંતાનોની ભૂમિકા આ ઘટના પૂરતી જ સાચી છે એવું નથી. કદાચ ઘણાખરાં સંતાનોની આ જ માનસિકતા છે. સંતાનો હવે ફરજ વિષે ઓછું ને અધિકાર વિષે વધારે જાણે છે. એમાં પણ વડીલોને ટેકો કરવાની વાત તો દૂર રહી, સંતાનો વડીલોને ટેકે આગળ વધવાની ઈચ્છા રાખતાં થયાં છે. કમાતાં સંતાનો પણ વડીલોને શું આપવું એની ચિંતા ઓછી કરે છે, પણ એમની પાસેથી શું મળશે એના દાખલા વધારે ગણે છે. હવે અધિકાર માંગવા કરતાં પણ, પડાવવાની દાનત વધુ હોય છે. આ સંતાનો એવાં ગરીબ પણ નથી, પણ વારસાઈ કોઈ પણ જતી કરવા કે તેમાં બાંધછોડ કરવા તૈયાર નથી. કોઇની પણ આશા રાખ્યા વગર, પોતાનાં કૌવતથી આગળ વધવાનું આત્મતેજ સંતાનોમાં ઉત્તરોત્તર ક્ષીણ થતું આવે છે ને એ વધારે દુ:ખદ છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 09 માર્ચ  2025

Loading

100 વર્ષ પહેલાં ઝેલેન્સ્કીનાં કપડાં જેવો વિવાદ; અને એમાંથી ભારતને ‘અર્ધ-નગ્ન ફકીર’ મળ્યા!

રાજ ગોસ્વામી|Opinion - Opinion|10 March 2025

રાજ ગોસ્વામી

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કી વચ્ચે જે વરવી લડાઈ થઇ તે આખી દુનિયાએ જોઈ. આમ તો ટ્રમ્પ અને તેમના ડેપ્યુટી જે.ડી. વેંસ બંનેએ ભેગા મળીને ઝેલેન્સ્કીને ધધડાવ્યા હતા, પરંતુ એમાં મીડિયા ય પાછળ રહ્યું નહોતું. 

વ્હાઈટ હાઉસના આ અસાધારણ ‘મહાભારત’માં શકુની બનેલા એક પત્રકારે તો ઝેલેન્સ્કીને ક્ષોભનો અહેસાસ કરાવવા માટે એવું પૂછી નાખ્યું હતું કે, “તમે સૂટ કેમ નથી પહેરતા? તમે આ દેશની સૌથી મોટી ઓફિસમાં આવ્યા છો. તમારી પાસે સૂટ નથી?”

આપણે ત્યાં ગામડામાં પણ લોકો ઘરે આવેલા મહેમાનનાં કપડાં પર ટિપ્પણી કરતા નથી અને અહીં મહાસત્તાનું મીડિયા રશિયન તાનાશાહી સામે ઝીંક ઝીલી રહેલા એક ટચુકડા દેશના વડાને લાઇવ ટેલિવિઝન પર મેનર્સ શીખવાડતું હતું. 

અને તે પણ એ જ વ્હાઈટ હાઉસમાં, જ્યાં પંદર દિવસ પહેલાં ટ્રમ્પના આજકાલ જેના પર ચાર હાથ છે તે અમેરિકન અબજપતિ ઈલોન મસ્ક માથે ટોપી અને ખભે તેના છોકરાને બેસાડીને રાષ્ટ્રપતિની હાજરીમાં મીડિયાને સંબોધતો હતો. 

પાછળથી એવા સમાચાર પણ આવ્યા હતા કે છોકરાએ તેના નાકમાંથી ગુંગા કાઢીને રાષ્ટ્રપતિના જે ટેબલની ધાર પર લૂછ્યાં હતાં તે 150 વર્ષ જૂના ટેબલને બદલી કાઢવામાં આવ્યું હતું. તે વખતે તો કોઈને મેનર્સ નજર આવ્યા નહોતા.

અને અહીં તો ઝેલેન્સ્કી રશિયા સામે યુદ્ધના ભાગ રૂપે કેઝ્યુલ ડ્રેસમાં હતા. પ્રશ્નથી આઘાત પામેલા ઝેલેન્સ્કીએ પત્રકારને વળતું પૂછ્યું હતું – “તમને શું પરેશાની છે?” 

પત્રકારે કહ્યું હતું, “ઓવલ ઓફિસના ડ્રેસ કોડનું પાલન ના થાય તો ઘણા અમેરિકનોને માઠું લાગે છે.”

ઝેલેન્સ્કીનો જવાબ વિચારપૂર્વકનો હતો, “જ્યારે યુદ્ધ પૂરું થશે, ત્યારે હું સૂટ પહેરીશ. કદાચ તમારા જેવા, કદાચ એથી પણ સારો … મને નથી ખબર. જોઈશું. કદાચ કોઈક સસ્તો.”

જ્યારથી રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું છે ત્યારથી, ઝેલેન્સ્કી દેશને બચાવવામાં વ્યસ્ત હોય તેવી વ્યક્તિ જેવાં સામાન્ય મિલીટરી કપડાં પહેરે છે. બરાબર છે કે ઓવલ ઓફિસનો ડ્રેસ કોડ હશે, પણ એક યુદ્ધગ્રસ્ત દેશનો વડો સાધારણ પણ સુઘડ કપડાંમાં મિટિંગ માટે આવે, તો આવી રીતે નાકનાં ટીચકાં ચઢાવાનું અમેરિકાને જરા ય શોભા દેતું નથી. ઝેલેન્સ્કીનાં કપડાં તો ઠીક, મોટો ગેરવ્યવહાર તો તેને લઈને પત્રકારનો પ્રશ્ન છે.

એ પત્રકારને કદાચ ખબર નહીં હોય કે આજથી 100 વર્ષ પહેલાં, આવી જ રીતે ત્રસ્ત એક દેશના નેતાએ, તે વખતની મહાસત્તા સાથે આવી જ રીતે સામાન્ય (કદાચ એથી ય ઉતરતાં) કપડાં પહેરીને વાટાઘાટો કરી હતી. એ દેશનું નામ હતું ભારત, એ નેતાનું નામ હતું મહાત્મા ગાંધી, એ મહાસત્તાનું નામ હતું ગ્રેટ બ્રિટન અને કપડાંના નામે હતી એક સાદી ધોતી!

એ ઇતિહાસ ફરીથી યાદ કરવા જેવો છે. ભારતની સ્વતંત્રતા માટે યોજાયેલી બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે ગાંધીજી સપ્ટેમ્બર 1931માં બ્રિટન ગયા હતા. તેઓ તેમની ટેવ મુજબ, કમર પર એક સફેદ ધોતી અને બદન પર એવી જ સફેદ શાલ લપેટીને ગયા હતા. અને તે પણ લંડનની કાતિલ ઠંડીમાં!

તેઓ પૂર્વ લંડનના કોમ્યુનિટી સેન્ટર કિંગ્સલી હોલમાં રોકાયા હતા. તેમનું એક પ્રવચન લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં પણ યોજાયું હતું. ગોળમેજી પરિષદમાં ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસ તરફથી માત્ર તેઓ જ હાજર હતા. એલ.એસ.ઈ.ના ગ્રેજ્યુએટ ડૉ. આંબેડકર દલિત લોકોના પ્રતિનિધિ તરીકે  ઉપસ્થિત હતા. 

મજાની વાત એ છે કે કિંગ્સલી હોલમાં રોકાણ દરમિયાન ગાંધીજીએ યુક્રેનમાં જન્મેલા ચિત્રકાર જેકોબ ક્રેમરને તેમનું એક બ્લેક એન્ડ વ્હાઈટ ચોકથી ચિત્ર દોરવા દીધું હતું. લગભગ એ જ સમયે, વેસ્ટ એસેક્સ યુનિયનિસ્ટ એસોસિએશનની કાઉન્સિલમાં બ્રિટનના ભાવિ વડા પ્રધાન ચર્ચિલનું એક સંબોધન યોજાયું હતું. 

ચર્ચિલ ગોળમેજી પરિષદના અને ખાસ તો ભારતને આઝાદી આપવાના પ્રખર વિરોધી હતા અને એ અકળામણમાં તેમણે કહ્યું હતું; “મિડલ ટેમ્પલમાં વકીલાત કરીને હવે વિદ્રોહી બનેલા મિ. ગાંધી રાજા સમ્રાટના પ્રતિનિધિ સાથે સમાન શરતો પર વાટાઘાટો કરવા માટે અર્ધ-નગ્ન ફકીરની અવસ્થામાં વાઇસરિગલ મહેલનાં પગથિયાં ચઢીને આવે તે જોવું ચિંતાજનક અને ઘૃણાસ્પદ પણ છે.”

સ્વતંત્રતા સંગ્રામ માટે દેશના તમામ ભાગોમાંથી આપણા લોકોના સમર્થન મેળવી રહેલા ગાંધીજી પેન્ટ અને શર્ટમાં મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે તેઓ તમિલનાડુમાં ફરતા હતા, ત્યારે એક દિવસ તેમણે ત્યાંના ખેડૂતોને અર્ધ નગ્ન ધોતી અથવા ટુવાલ લપેટીને જમીન ખેડતા જોયા હતા. 

ત્યારે તેમને પહેલીવાર અહેસાસ થયો હતો કે તેમના દેશવાસીઓ પાસે શરીર ઢાંકવાનાં પૂરતાં કપડાં નથી અને તેઓ ઇંગ્લિશ પેન્ટ-શર્ટ-ટાઈમાં સજ્જ છે. તે દિવસે તેમણે નક્કી કર્યું હતું કે તેઓ તેમના દેશવાસીઓની જેમ જ કપડાં પહેરશે. જે નિર્ણય તેમણે 30 જાન્યુઆરી, 1948ના રોજ અંતિમ શ્વાસ સુધી જાળવી રાખ્યો હતો!

લંડનમાં એ જ સંબોધનમાં ચર્ચિલે મહાત્માને ‘દુષ્ટ વિનાશક દુરાગ્રહી’ પણ ગણાવ્યા હતા, પરંતુ બીજા દિવસનાં સમાચારપત્રોએ પોતડી પહેરેલા ગાંધીના ચિત્ર સાથે ‘અર્ધ-નગ્ન ફકીર’વાળી ટિપ્પણીને ઉછાળી હતી. ગોળમેજી પરિષદમાં કોઈ ફલશ્રુતિ વગર, તેઓ 5મી ડિસેમ્બર 1931ના રોજ બ્રિટનથી રવાના થયા હતા. બ્રિટનને તે તેમની અંતિમ યાત્રા હતી.

ચર્ચિલ સાથે તેમના મુશ્કેલ સંબંધની પણ તે શરૂઆત હતી. ચર્ચિલ આજીવન ગાંધી અને ભારતની આઝાદીના વિરોધી રહ્યા હતા. ભારતનાં રાષ્ટ્રપ્રેમી સમાચારપત્રોએ ‘અર્ધ-નગ્ન ફકીર’ શબ્દ પકડી લીધો હતો અને તેને ભારતનું અપમાન ગણાવ્યું હતું. 

ગાંધીજીએ જો કે તે અપમાનને ગૌરવ તરીકે લીધું હતું. 13 વર્ષ પછી, ચર્ચિલ વડા પ્રધાન બન્યા ત્યારે 1944માં મહાત્માએ તેમને એક પત્રમાં તેમની ટિપ્પણી આ રીતે યાદ કરાવી હતી;

“ડીયર પ્રાઈમ મિનિસ્ટર,

તમે મારા જેવા એક સાધારણ ‘નગ્ન ફકીર’ને નષ્ટ કરવાની ઈચ્છા સેવી છે એવું કહેવાય છે. હું લાંબા સમયથી ફકીર, અને તે પણ નગ્ન, બનવાનો પ્રયત્ન કરી રહ્યો છું – જે ઘણું મુશ્કેલ કામ છે. એટલે, તમારી એ અનાયાસ ટિપ્પણીને હું મારી પ્રશંસા ગણું છું. એટલે, હું એ એ જ રીતે તમારો સંપર્ક કરી રહ્યો છું. મારી વિનંતી છે કે તમે મારા પર ભરોસો મુકજો અને તમારા લોકો, મારા લોકો અને તે સૌ મારફતે દુનિયાના લોકોની ભલાઈ માટે મારો ઉપયોગ કરજો.

તમારો વિશ્વાસુ મિત્ર

એમ.કે. ગાંધી”

(પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 09 માર્ચ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગુજરાતમાં દારૂબંધી નામની જ છે … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|10 March 2025

રવીન્દ્ર પારેખ

આમ તો ગાંધીજી વિશ્વના છે, પણ તેમનો એકડો કાઢવામાં તેઓ ગુજરાતના જ રહી ગયા હોય ને દારૂબંધી પણ નામની જ રહી ગઈ હોય એમ બને. જો કે, હવે ગાંધી ગુજરાતના ય કેટલા રહ્યા હશે તે સવાલ જ છે. વળી વિકાસ પણ હવે એટલો થયો છે કે ગુજરાતનાં મુગટમાં ડ્રગ્સનું નવું છોગું પણ ઉમેરાયું છે. ગુજરાતનો દરિયા કાંઠો ડ્રગ્સ ઉતારવા માટે જ બન્યો હોય તેમ છાશવારે અહીં ડ્રગ્સ ઊતરે છે ને ધીમે ધીમે ખતરનાક રીતે તે ગલી-મહોલ્લાઓમાં પહોંચે પણ છે. 

રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દારૂબંધી જાળવવા ને ડ્રગ્સ માફિયાઓને જેર કરવા બોલે છે તો ઘણું, પણ પરિણામ વધુ દારૂ પકડાવામાં ને દરિયે વધુ ડ્રગ્સ ઉતારવામાં આવે છે. દારૂબંધી હોય એવું જરા પણ યાદ ન આવે એ રીતે, દારૂની હેરફેર, રેલવે દ્વારા ઘણાં શહેરોમાં વિના રોકટોક ચાલે છે. બુટલેગરો ‘બૂટ’ અને ‘લેગ’ દોડતા રાખીને દારૂની હેરફેર, ટ્રેનમાં સરળતાથી કરી શકે છે. તેમની સત્તા એટલી છે કે ગમે ત્યાં ટ્રેનનું ચેઇન પુલિંગ કરીને, વચ્ચે જ ટ્રેન થોભાવીને દારૂનાં પોટલાં ઉતારી લે છે. આવાં તત્ત્વોને જેર કરવાને બદલે પોલીસ તેમની મદદમાં હોય તેવો નવસારીનો વીડિયો સામે આવ્યો છે. ગયે અઠવાડિયે બુટલેગરોએ નવસારી સ્ટેશને ચેન પુલિંગ કરીને ટ્રેન રોકી હતી અને તેમનો માલ ઉતાર્યો હતો. એ અંગે લોકોએ ઊહાપોહ કરતાં પોલીસ હાજર તો થઈ હતી, પણ તે બુટલેગરોને પકડવાને બદલે, તેમના સહાયકની ભૂમિકામાં હોય તેમ વર્તતી હતી. એથી સ્ટેશન પર હાજર પબ્લિક એટલી ઉશ્કેરાઈ હતી કે તેમણે પોલીસની હાજરીમાં જ રાજ્યના ગૃહ મંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા, તો કેટલાંક લોકો એવું પણ ચર્ચતા હતા કે હર્ષ સંઘવી હેલ્મેટ ફરજિયાત કરવા જીવ પર આવ્યા છે, પણ દારૂની હેરફેર રોકવાનું તેમને સૂઝતું નથી. છે ને કમાલ, બુટલેગરો પકડવા નથી ને હેલ્મેટ વગરનાને પકડીને સરકાર પોરસાયા કરે છે. તો, કેટલાક એમ પણ બોલતા હતા કે વર્ષોની મહેનત પછી ઊભાં કરેલાં મોદીના ગુજરાતને આ લોકો ડુબાડશે. 

મહિના પહેલાં જ એ.ટી.એસ.એ ખંભાતના સોખડામાં 100 કરોડનું 107 કિલો ડ્રગ્સ પકડાયાની માહિતી ગૃહ મંત્રી સંઘવીએ આપી અને ટીમને બિરદાવી પણ ખરી. એક તરફ બિરદાવવાનું ચાલે છે તો બીજી તરફ દારૂ-ડ્રગ્સની રેલમછેલ હોય તેમ ઠેર ઠેર પકડાપકડી ચાલે છે. ડભોઈ જેવામાં એક્ટિવા સવાર વિદેશી દારૂનો 3,69,560ની કિંમતનો જથ્થો લઈ જતો પકડાયો હતો. 28 ફેબ્રુઆરીના રોજ નડિયાદમાં દેશી દારૂ પીવાને કારણે ત્રણ જણાનાં મોત થયાં હતાં. જાન્યુઆરી 9, 2025ના સમાચારમાં 6 વર્ષ પર ઝડપાયેલા ડ્રગ્સના આરોપીને સુરત કોર્ટે 15 વર્ષની સજા ફટકારી હતી. વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી અને વિદેશી દારૂ અને પ્રતાપગંજ વિસ્તારમાં ડ્રગ્સનાં ખુલ્લેઆમ વેચાણના સમાચાર 18 ફેબ્રુઆરીએ આવ્યા હતા. વરસેક પર 4,160 કરોડના નશીલા પદાર્થો કચ્છમાંથી પકડાયાની વાત પણ છે. 21 ઓકટોબર, 2024 ને રોજ સુરતના મગદલ્લા વિસ્તારમાં ચાલતી પાર્ટીમાં દરોડા પાડીને ડ્રગ્સ, ગાંજો, દારૂને ઝડપી પાડવા ઉપરાંત 14 લોકોની ધરપકડ સી.આઇ.ડી. ક્રાઇમ બ્રાન્ચે કરી હતી. 

હોળી-ધૂળેટી આમ તો ધાર્મિક તહેવારો છે, પણ ઘણા દારૂ પી-પાઈને તેની ઉજવણી કરવામાં જ ધર્મ માનતા હોય છે. સુરતના કાપોદ્રા વિસ્તારની સોસાયટીઓ નજીક એક તબેલામાં દૂધને બદલે દારૂ ઝડપાયો હતો. ખેતીની જમીનમાં આવેલા તબેલામાં સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરતાં બે રૂમમાંથી 33.11 લાખની કિંમતની દારૂની 17,421 બોટલો ઝડપાઈ હતી. એ સાથે જ ટેમ્પોમાં વગે કરાતી 4.26 લાખની બીજી 2015 બોટલો પણ હાથ લાગી હતી. એ જ રીતે 1 ફેબ્રુઆરી, 2024ને રોજ રાજકોટમાં દૂધની જેમ દેશી દારૂ, ગાંજો, ડ્રગ્સ અને ચરસ વગેરે 25 જગ્યાએ વેચાઈ રહ્યાના સમાચાર હતા. 22 જૂન, 2024ને રોજ અમદાવાદથી 3.50 કરોડ અને કચ્છથી 5 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. 

કેટલાક નબીરાઓ દારૂની જેમ જ કાયદો પણ ઘોળીને પી જતાં હોય છે. આજના જ સમાચારમાં અમદાવાદના ઇસ્કોન પોલીસ ચોકી જેવા પોશ વિસ્તારમાં, જાહેરમાં, સાતેક નબીરાઓ દારૂ ઢીંચીને મ્યુઝિકના તાલે ઝૂમી રહ્યાનો વીડિયો વાઇરલ થયો છે. પોલીસે ત્રણેકની ધરપકડ તો કરી જ છે ને બાકીનાની તપાસ ચાલે છે. એનું પરમ આશ્ચર્ય છે કે પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકી નજીકમાં જ હોવા છતાં આ નબીરાઓ કાયદાની ઐસી તૈસી કરીને પૂરી બેશરમીથી દારૂની મહેફિલ માણી રહ્યા હતા. સવાલ તો એ પણ છે કે પોલીસ રાતભર ચેકિંગ કરતી હોવાનો દાવો કરે છે, છતાં નબીરાઓને મોજથી મહેફિલ માણવાનું મુશ્કેલ બન્યું ન હતું. ક્યાં તો પોલીસનું પેટ્રોલિંગ શંકાસ્પદ છે અથવા તો નબીરાઓને પોતાના પર એવો વિશ્વાસ છે કે પોલીસ તેમનું કૈં બગાડી શકે એમ નથી. 

આ જાણ્યા પછી એમ લાગે છે કે ગુજરાતમાં દારૂબંધી છે? લાગે છે તો એવું કે ગાંધી જેટલો જ દારૂબંધીનો પ્રભાવ ગુજરાતમાં રહી ગયો છે. સરકાર દાવાઓ તો ઘણા કરે છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પણ પકડવાનું ઓછું ને છોડવાનું વધુ ચાલતું હોય એમ બને. ગુજરાત વિધાનસભામાં સરકાર જ બે દિવસ પર માહિતી આપે છે કે અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના 8 જિલ્લાઓમાંથી એક જ વર્ષમાં 2 લાખથી વધુ લિટરની દેશી દારૂની અને 30 લાખથી વધુની વિદેશી દારૂની બોટલો પકડાઈ છે. વાત કરોડો રૂપિયાનો દારૂ પકડવા પૂરતી સીમિત નથી રહી, પણ ચરસ અને અફીણનો કરોડોનો જથ્થો પણ પકડાયો છે તે ચિંત્ય છે. માત્ર નવસારી જિલ્લામાં જ એક વર્ષમાં 9.22 લાખની કિંમતની વિદેશી દારૂની બોટલો ઝડપાઈ છે. નવસારીમાં જ 60 કિલોથી વધુ ચરસનો જથ્થો તથા 21.5 કિલોથી વધુ ગાંજાનો જથ્થો પકડાયો છે. દાહોદ તાલુકામાંથી 1,002 કિલો અફીણ, ઝાલોદમાં 2,286 કિલો અફીણ ને 1,135 કિલો ગાંજો ઝડપાયો છે. પાટણથી 2થી વધુ કિલો અફીણ અને 177 કિલોથી વધુ ગાંજો, મહેસાણાથી 225થી વધુ કિલો અફીણ, આણંદથી 720 કિલો ગાંજો તથા વડોદરાથી 6 કિલો અફીણ, 10 ગ્રામ ચરસ, 600 કિલો એમ.ડી. ડ્રગ્સ, અને 136 કિલો ગાંજો પકડાયો હતો. 

ટૂંકમાં, ગુજરાત હવે દારૂ ઉપરાંત ડ્રગ્સ, ગાંજા, ચરસનું મુખ્ય મથક બની ગયું છે. અહીં એવો બચાવ જરૂર થઈ શકે કે પોલીસ તંત્રની સક્રિયતાને લીધે જ દારૂ, ડ્રગ્સ પકડાય છે. એ સાચું જ છે, પણ આટલો માલ ગુજરાતમાં ઊતરે છે તે પણ ખરું કે કેમ? એ આવે છે કોની મહેરબાનીથી તે પ્રશ્ન પણ સત્તાધીશોને થવો જોઈએ. વળી જે માલ આવે છે, તે બધો જ પકડાય છે એવું ક્યાં છે? અનેક ગણો દારૂ કે ડ્રગ્સ નથી પણ પકડાતું તે ય ખરુંને ! એ ઝાલોદ, દાહોદ, મહેસાણા, આણંદ … વગેરે નગરોમાં પહોંચે છે ને ત્યાંની પ્રજાને બરબાદ કરે છે તે જોખમ અંગે વિચારવાનું ખરું કે કેમ? આનો સૌથી વધુ ભોગ એ યુવા પેઢી બને છે જે આવતીકાલનું ભવિષ્ય છે. એ અંગે સરકારે કૈં કરવાનું રહે છે કે પછી આ પેઢીઓને બરબાદ થતી સાક્ષી ભાવે જોયા કરવાની છે? 

ગુજરાતનાં અનેક શહેરોમાં જીવલેણ અક્સ્માતોનું પ્રમાણ અનેકગણું વધ્યું છે. માત્ર અમદાવાદની જ વાત કરીએ તો ગયા વર્ષે અમદાવાદમાં 1,314 અકસ્માતમાં 406 લોકોનાં મોત થયાં હતાં. ગયે વર્ષે જ ગંભીર ઇજાઓની 718 ઘટનાઓ સામે આવી હતી. છેલ્લા બે મહિનામાં 166 અકસ્માતો થયા, જેમાં 40નાં મોત થયાં ને 82ને ગંભીર ઇજાઓ થઈ. અમદાવાદની જ વાત કરીએ તો અકસ્માતના જ રોજના 4 બનાવો બને છે. હેલ્મેટ ફરજિયાત થવા છતાં, અકસ્માતોનું પ્રમાણ ઘટતું નથી. એમાં મોબાઈલ પર ચાલુ વાતે વાહન ચલાવવાનું દુસ્સાહસ, અત્યંત ઝડપથી વાહન ચલાવવાની ઉતાવળ ને બીજા કારણો હશે, પણ નશાની હાલતમાં વાહન ચલાવવાની ઉતાવળ ને બેદરકારી ભયંકર પરિણામોનાં કેન્દ્રમાં છે. 

એમ લાગે છે કે દારૂબંધી નથી એવા રાજ્યમાં, દારૂ અને ડ્રગ્સથી થતાં નુકસાન કરતાં, દારૂબંધીવાળા  ગુજરાતમાં થતું નુકસાન વધારે હોય તો નવાઈ નહીં !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 માર્ચ 2025

Loading

...102030...409410411412...420430440...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved