Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9297655
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચોથી જાગીર ખરી, પણ કોની ચોથી જાગીર?

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|30 November 2013

કાશ, મેટ્રોસેક્સ્યુઅલ પ્રજાતિને એ જરી જાતમાં ઝાંખવા સારુ ઝકઝોરી શકે …



ચેનલ ચોવીસામાં તરુણ તેજપાલ ખાસા છવાયેલા રહ્યા શુક્રવારે સાંજે આ લખી રહ્યો છું ત્યારે નાનો પડદો ચીખી ચીખીને કહી રહ્યો છે કે ગોવામાં એમને કોરટ રૂબરૂ શનિવારે કરવાના હોઈ હાલ એમને સારુ જરી રાહતનો દમ ખેંચવાના સંજોગો છે. રાહતનો દમ ખરું તો સમાચાર-ચેનલના બંધાણી એવા મારેતમારે માટે પણ હોઈ શકે, કેમ કે જરી પોતે ખાઈએ ત્યારે સ્તો લગીરે વિચાર કરવા પામીએ ને.

તહેલકાનું કેમેરાડંખી પત્રકારત્વ અનેક રીતે નોંધપાત્ર રહ્યું છે અને વિવાદના ઘેરામાં પણ રહ્યું છે. જો તેજપાલ વિશે એક સ્વતંત્રમતિગતિ પત્રકાર, બૌદ્ધિક (અને નવલકથાકાર) તરીકે વિચારીએ તો આવે વખતે એમણે આસારામ આદિની પેઠે આઘાપાછા થવાની પેરવીને બદલે દેશમાં જામેલી નર્ભિયા આબોહવામાં બળાત્કાર વિરોધી જે નવો કાયદો શક્ય બન્યો છે એને ધોરણે અદાલત રૂ-બ-રૂ થઈ કાનૂનને આધીન ચાલવું જોઈતું હતું. શરૂમાં એમણે છ મહિ‌નાની કાર્યછુટ્ટીની જે પ્રાયશ્ચિત્તમુદ્રા અંગીકાર કરી હતી તેની સાથે મેળમાં હોઈ શકતી આ અપેક્ષા છે.

તહેલકાના, હવે રાજીનામા ગત મેનેજિંગ તંત્રી શોમા ચૌધરી એ રીતે ઊંઘતાં પકડાયાં ગણાય કે આટલું મોટું અને સતત સુરખી સક્રિય એસ્ટાબ્લિશમેન્ટ ચલાવતે છતે મહિ‌લા કર્મી જેની સમક્ષ ધા નાખી શકે એવી કોઈ સેલ રચવાની એમણે જરૂર જ નથી જોઈ, અને ઘોડા છૂટી ગયા પછી (કે એમના છૂટવાની કાળજી લેતે લેતે) એમણે તબેલો વાસવા જેવું કર્યું એ તો બિલકુલ જાગ્રત ઝોકાનો કિસ્સો હતો. તહેલકાની કેમેરાડંખી પત્રકારિતા સામે એ ભાજપવિરોધી હોવાનો આક્ષેપ સતત થતો રહ્યો છે; પણ બાંગારુ લક્ષ્મણનો રુશ્વતકિસ્સો – શસ્ત્રસોદાગરીમાં ભ્રષ્ટાચાર-ઓપરેશન કલંક (ગુજરાત ૨૦૦૨) નિશ્ચે જ પુરાવાબદ્ધ અર્પણો છે અને ગર્જનતર્જનથી માંડીને દલીલને બદલે ઊંચા અવાજની તરજ પર કામ લેતા ભાજપ શ્રેષ્ઠીઓ એનાથી પીછો છોડાવી શકે એમ નથી.

માનો કે ભાજપી પરિકર ગોવામાં તખ્તનશીન ન હોત તો, તરુણ તેજપાલને સહેજસાજ આસાએશને અવકાશ હોઈ શકત એમ પણ તમે કહી શકો. પણ જેમ બીજા કિસ્સામાં તેમ તેજપાલ પ્રકરણમાંયે 'કરણી તેવી ભરણી’નો ન્યાય પ્રવર્તે એ સ્વાભાવિક છે, અને તેજપાલે તે માટે ભાજપને દોષ અગર યશ આપવાનું કારણ નથી. ભાજપ જો આ મોરચે વધુ સક્રિય હોય તો એનો અર્થ એ નથી કે તેજપાલે કશુંક ન કરવાનું કર્યું એમાંથી એમને પરબારી મુક્તિ મળે છે. તેજપાલની કેમેરાડંખી પત્રકારિતાનો કાળ સમજવા જેવો છે. મેટ્રોસેક્સ્યુઅલ એવી જે એક મનુ પ્રજાતિ ચેનલ ચોવીસાની કૃપાએ વાસ્તવમાં નહીં પણ વર્ચુઅઅલ વિશ્વમાં વિહરે છે એનાં નીતિધોરણોને મારીતમારી સામાન્ય સમજ સાથે કોઈ સંબંધ નથી. ટીવીની પછેડી અને ટીવીની ચાખડી તેમ ટીવીની છડી, એવી જે પીઆર પેરવીએ ચાલતી નેતાગીરી છે એનું પણ એમ જ છે.

હમણાં મેં આસારામનું નામ લીધું, તેજપાલની ચર્ચા કીધી પણ જસ્ટિસ ગાંગુલીથી માંડીને અમિત શાહના સાહેબ, આ સૌ પોતાને પારનૈતિક ગૌરવઘટના ગણે છે. રાજકારણમાં નાનામોટા મરોડમાસ્તરો કહેતાં સ્પિનોડીઓની ચિંતા અને ચર્ચામાં હવે સ્પિનોડી અને સ્નૂપોડી એવી એક નવી પ્રજાતિ ઊભરી રહી છે. તેજપાલ પ્રકરણને આ સંદર્ભમાં જોવા તપાસવા જેવું છે. ગમે તેમ પણ, બ્રાન્ડ તહેલકા જ્યારે પત્રકારી શહાદત નહીં પણ ધંધાદારી મોતને વશ વરતતી માલૂમ પડે છે ત્યારે સાથી મીડિયાર્થી સૌએ જાતમાં ઝાંખવાનું ટાણું ચોક્કસ જ છે. નીરા રાડિયા ટેપ્સમાં ર્કોપોરેટ જગત અને રાજકારણીઓની જે છબિ ઊભરી હતી એમાં પત્રકારો પણ અપવાદ નથી.

નાને પડદે સજેલ – સંવારેલ મુદ્રામાં પ્રવર્તતા 'વીર’ એક પીઆરણને લખવ્યે લખતા હોય ત્યારે ચોથી જાગીર કોની જાગીર એવો સવાલ અસ્થાને નહોતો અને નથી. ગોવાની લિફટલીલાના શોર વચ્ચે 'ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શન’ના સરબજીત રોયની શોમા ચૌધરી જોગ એક ઈ-મેલ લગભગ વણગાઈ – વણનોંધી રહી છે. સરબજીતે શોમાને (એ હજુ મેનેજિંગ તંત્રીની પાયરીએ હતાં ત્યારે) લખ્યું છે કે તમે 'પેઈડ ન્યૂઝ’નાં દૂષણથી તમારા રિપોર્ટરોને ક્યારે છોડાવશો? લોકપહેલ અને પ્રજાકીય પ્રતિકારની જે વૃત્તાંતકથાઓ તમારે પાને છપાય છે એને સારુ પૈસાની લેતીદેતીનો વહેવાર થાય છે. જો કે સરબજીતની વાત આટલી જ નથી – એણે અણચિંતવ્યા એકરાર જેવો એક વિગતમુદ્દો એ કીધો છે કે જંતરમંતર વાયા તહરીરના એ વાસંતી દિવસોમાં પણ તમે આઈએએસી પાસે પૈસા લીધા છે, તે હું મારા પુરોગામીઓ વિશે જે જાણું છું તેના પરથી બેધડક કહી શકું છું.

દેશના સ્વૈચ્છિક લોકકર્મીઓ અને નાની-મોટી લોકચળવળના લડાઈવીરો જેમાં પોતાનો ભેરુ જુએ છે એ મીડિયા એમને પણ છોડતું નથી. એ તો સાચું; પણ તેઓ પણ મીડિયાને ખટાવવાની કાળજી સેવે છે એય સાચું. કદાચ નાના પત્રો, ફાઈવસ્ટાર મેડિની આઈડોલ નહીં એવા સીધાસાદા પત્રકારો, કુંદનલાલ સાયગલની પેઠે પોતાનું હાર્મોનિયમ લઈને નીકળી પડનારા અને એ જ ધોરણે યમનિયમપૂર્વક સોશિયલ મીડિયે સંચરતા આપકર્મી – સત્કર્મી વિના આરોઓવારો નથી : એક્સપ્રેસ જેવો અપવાદ બાદ કરતાં કટોકટી સામે લડયા એ તો “ભૂમિપુત્ર” જેવાં તનુકાય પત્રો જ હતા ને … અને હા, મીડિયા માત્રને એનો એશો-અસબાબથી નહીં અંજાતો જાગ્રત દર્શક-વાચક, કહો કે સોક્રેટિક બગાઈ મળી રહે તો એથી રૂડું શું …

ભાઈ તેજપાલ, તારો આભાર, જાતમાં ઝાંખવાની તક આપી જે

 —

પ્રકાશ ન. શાહ લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર 'નિરીક્ષક’ના તંત્રી છે.

સૌજન્ય : "દિવ્ય ભાસ્કર", 30.11.2013

Loading

બચપણ

ચન્દ્રેશ ઠાકોર|Poetry|28 November 2013

 

અાવ ભેરુ અાવ
મારા બચપણને પાછું તું લાવ
દોડતું ને કૂદતું ને ભોળું એ બચપણ ખિસ્સે ભરીને તું અાવ
વીતેલાં વર્ષોના લાગેલા થાકને ઉતારવાનો એ જ છે પડાવ
મારા બચપણને પાછું લઈ અાવ …

અાંબલીની ડાળીએથી કૂદકા ને હિંચકા એમાં થપ્પાના સંતાયા દાવ
માવડી બિચારી તો લગીરે ટેવાઈ નહીં જોઈ કોણી ને ઘૂંટણના ઘાવ
બાળેલું રૂ અને વહાલસોયો હાથ એ ખોવાયો કિંમતી સરપાવ
મારા બચપણને પાછું લઈ અાવ …

મબલખ કોઈ પાકની પરવા નો’તી જ્યાં મળતું એક છબછબ ખાબોચિયું
વીજળીનો વેગ જાણે પગમાં ઊભરતો જેવું તૂટતું’તું પેલું સાતોડિયું*
રમતી ગઈકાલ પર લાગેલી ધૂળને મારી તું ફૂંક એક હટાવ
મારા બચપણને પાછું તું લઈ અાવ …

રંગીન લખોટીઅો ને કોડીઅો ખખડતી સાંજ પડે વિસરાતા દાવ
મીઠ્ઠા એ ઝઘડા અને ઈટ્ટા-કિટ્ટાનો કોઈ કાયમનો નો’તો ઠરાવ
અાંટી અને ઘૂંટીમાં ડૂબ્યા અા જીવને અાટા અને પાટા સમજાવ
મારા બચપણને પાછું લઈ અાવ …

દોડતું ને કૂદતું ને ભોળું એ બચપણ ખિસ્સે ભરીને તું અાવ
અાવ ભેરુ અાવ
મારા બચપણને પાછું તું લઈ અાવ …

* નળિયાના સાત ટુકડાની ઢગલીને બૉલથી તોડવાની અને ફરીથી ગોઠવવાની રમત

(કવિનો તાજાતર કાવ્યસંગ્રહ : ‘મોસમનો મોડો વરસાદ’, પૃ. 127)

Loading

એક શાંતિ પ્રેમીની અલગારી રખડપટ્ટી

અાશા બૂચ|Opinion - Opinion|28 November 2013

૨૦અને ૨૧મી સપ્ટેમ્બરના, માન્ચેસ્ટરને આંગણે, શાંતિમય માર્ગે સંઘર્ષોનો નિકાલ લાવવામાં શ્રદ્ધા  ધરાવનારાં સજ્જનો-સન્નારીઓનું મિલન ગોઠવાયેલું. પહેલા દિવસની બપોરે લગભગ ત્રીસેક જિજ્ઞાસુઓએ સ્ટીવ રોમનની આગેવાની નીચે ઔદ્યોગિક ક્રાંતિના શ્રીગણેશ કરનાર આ શહેરની રાજકીય પ્રવૃત્તિઓ અને શાંતિ તથા સામાજિક ન્યાય ક્ષેત્રે થયેલી ચળવળોનો ઇતિહાસ સંગ્રહી બેઠેલાં પૂતળાં, મકાનો અને ગિરિજાઘરો જોવામાં વિતાવી. એમાંના કેટલાંક સ્થળોની માહિતી રસપ્રદ થઈ પડશે એમ માનું છું.

અમારી અલગારી રખડપટ્ટીની શરૂઆત UMISTને નામે ઓળખાતા વિસ્તારથી થઈ. માન્ચેસ્ટરમાં ઇ.સ.1824માં વિજ્ઞાન અને ટેકનોલોજીના નિષ્ણાતો દ્વારા શરૂ થયેલ મિકેનીક્સ ઇન્સ્ટિટ્યુટનો હેતુ કામદાર વર્ગના લોકોને મિકેનીક્સ અને રસાયણશાસ્ત્ર શીખવવાનો હતો. એ જ મકાનમાં 1868માં ટ્રેડ યુનિયન કોંગ્રેસની સ્થાપના થઈ જેનાથી મજૂર પક્ષના પાયા નખાયા. આજે તે Manchester University’s Institute of Science and Technology તરીકે જાણીતી છે.

બ્રિટનનો અને પશ્ચિમના દેશોનો ઇતિહાસ જાણનારાઓ 1930ની મંદીથી પરિચિત હશે. તે વખતની સરકારે ઉદ્યોગપતિઓ અને વેપારીઓને ટેકો આપ્યો (આજે પણ એમ જ બને છે ને?) જેને કારણે લગભગ અઢી મીલિયન લોકો બેકારીના ખપ્પરમાં હોમાઈ ગયા, જેના વિરોધમાં લોકોએ સરઘસ કાઢ્યું તેને પોલિસે લાઠીમાર અને ફાયર હોઝથી કાબૂમાં લીધા હતા .. પ્રજા પરના આવા દમનનું સ્મૃિત ચિહ્ન પિકાડિલી ટ્રેઈન સ્ટેશન પાસે જોવા મળશે. એ હતો અમારો બીજો પડાવ. ઇ.સ.1930ની મંદીમાંથી બહાર આવવા માટે માન્ચેસ્ટરના તે સમયના મેયર સર જોહન પોટરે એક ગોળાકાર પુસ્તકાલય બંધાવ્યું, જે તમામ નાગરિકોને નિ:શુલ્ક સેવા આપનાર પ્રથમ પુસ્તકાલય હતું. આ કેન્દ્રીય પુસ્તકાલય યુનાઇટેડ કિંગ્ડમના મોટામાં મોટાં પુસ્તકાલયોમાંનું એક છે, જ્યાં થિયેટર કંપની પણ અદ્દભુત શો કરે છે. આ ઈમારત અને તેની અંદરનાં પુસ્તકોનો વૈભવ અચૂક જોવાલાયક છે.

૧૯મી સદીનાં મંડાણ થયાં તેવામાં, બ્રિટન અને આયર્લેન્ડના જમીનદારોને થતા નફાને રક્ષવા વિદેશથી આયાત થતી મકાઈ પર ભારે આયકર લાદવામાં આવ્યો, જેને પરિણામે લોકો અતિશય મોંઘી બ્રેડ ખરીદી ન શકતા અને ભૂખમરો વેઠતા થયા. આ કાયદાના વિરોધ માટેની ચળવળ ચલાવનારાઓ Free Trade Hallમાં એકઠા મળતા, તેથી એ ઈમારત પણ દર્શનીય ખરી કેમ કે ત્યાં ચાર્લ ડિકન્સ, ઓસ્કર વાઈલ્ડ અને બોબ દીલન જેવા માંધાતાઓની પધરામણી થયેલી. જો કે હવે ત્યાં એક ભવ્ય હોટેલ જોવા મળશે જેના પ્રવેશ દ્વાર પાસે માત્ર Free Trade Hallની ટૂંકી માહિતી આપી છે.

આ સ્થળ હજુ એક બીજી ઘટના માટે પણ મહત્ત્વનું છે. ઇંગ્લેન્ડની પ્રજાની યાતનાઓનો અંત હજુ નહોતો આવ્યો. નેપોલિયનની લડાઈ બાદ આ દેશમાં માત્ર ૨% લોકોને જ મતાધિકાર હતો જેનો શાંતિપૂર્ણ વિરોધ દર્શાવવા એકઠા મળેલા 60,000 જેટલાં નિ:શસ્ત્ર સ્ત્રી-પુરુષ-બાળકો પર લાઠી, તલવાર અને પિસ્તોલનો મારો ચલાવી, અઢારનાં જાન લીધા અને સેંકડોને ઘાયલ કરીને ક્રૂર રીતે વિખેર્યાં એ Peterloo Massacre’ તરીકે કુખ્યાત થયેલ સ્થળ Free Trade Hallથી બે ડગલાં જ દૂર છે.

આ ભ્રમણને અર્ધે રસ્તે અમારી સવારી એક બીજા યાદગાર સ્થળે આવી પહોંચી. ધ સોસાઇટી ઓફ ફ્રેન્ડસ અથવા કવેકર તરીકે જાણીતા થયેલ સંગઠન માટે ઇ.સ. 1828માં બંધાયેલ આ મકાનમાં બોઅરની લડાઈ વખતે દુનિયાના સૌ પ્રથમ કોન્સનટ્રેશન કેમ્પ વિષે ચર્ચા કરવા મિટીંગ મળેલી, જેના પ્રકાશન પછી યુદ્ધ દરમ્યાન ઊભા કરાતા કેમ્પની સ્થિતિમાં સુધારા દાખલ કરવામાં આવ્યા. માન્ચેસ્ટરમાં થયેલ પીટરલૂ હત્યાકાંડ સમયે ઘવાયેલાઓ અને જીવ બચાવવા નાસતા લોકો માટે, આ સ્થળ સલામતી આપનારું આશ્રય સ્થાન પુરવાર થયેલું. લગભગ બે સદીના ગાળા દરમ્યાન આ ઇમારત શાંતિ અને સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપતાં અનેક ભાષણો અને ચળવળોનું સાક્ષી રહ્યું છે.

નાગરિકોનાં વ્યક્તિ સ્વાતંત્ર્યની રક્ષા કરનાર અને લોકશાહીને વરેલ આ દેશમાં એકદા સરકાર અને ધાર્મિક વાડાઓએ અહીંના સામાન્ય પ્રજાજનોની જિંદગી દુ:ખદ બનાવેલી, એ માનવું મુશ્કેલ લાગે તેવું છે. આજે માન્ચેસ્ટરમાં સિનેગોગ, ગુરુદ્વારા, મંદિર, મસ્જિદ અને ચર્ચ આરામથી સહઅસ્તિત્વ ધરાવે છે. જાણીને કદાચ નવાઈ લાગશે પરંતુ 1829 પહેલાં રોમન કેથાલિક્સને ચર્ચ બાંધવાનો અધિકાર નહોતો અને છૂપા સ્થળે પ્રાર્થના કરવા ફરજ પડતી, તેવે સમયે શહેરના પછાત ગણાતા વિસ્તારમાં આરસની મૂર્તિઓ અને રંગીન કાચના સુશોભનવાળું સેન્ટ મેરી ચર્ચ (Hidden Gem) બંધાયું, જ્યાં રોમન કેથલિક્સને પ્રાર્થના કરવાની સુવિધા મળી, જે તે વખતના સમાજની સહિષ્ણુતાનું પ્રદર્શન કરે છે, તે ય જોયું.

આજે સ્ત્રીઓને લગભગ દરેક ક્ષેત્રમાં સમાનાધિકાર મળે છે એટલે તે વિનાનું જીવન કેવું હશે તે કલ્પવું મુશ્કેલ છે. 1870માં એલિયટ હાઉસ નામના મકાનમાં બેસતા સ્કૂલ બોર્ડની સૌ પ્રથમ મહિલા સભ્ય લીડિયા બેકરે સ્ત્રીઓના મતાધિકાર માટે પુષ્કળ કામ કરેલું જે છેક 1918માં સફળ થયું. એ જગ્યાએ આ ક્રાંતિકારી મહિલાને અને તેના અનુગામી ભગિની બેલડી સિલ્વિયા અને ક્રીસ્ટાબેલ પેંકહર્સ્ટ કે જેમણે સ્ત્રીઓના મતાધિકાર માટે અગ્ર ભાગ ભજવેલો, તેમને મૂક સલામ કરી આગળ વધ્યાં. 

કવેકરની માફક યુનીટેરિયન ચર્ચના અનુયાયીઓ ધાર્મિક અને સામાજિક સહિષ્ણુતા, શાંતિ અને ન્યાયના ચાહકો હતા. માન્ચેસ્ટરના તદ્દન મધ્યમાં 1694માં બંધાયેલ યુનીટેરિયન ચર્ચ આવેલું છે. ત્યાંના મીનીસ્ટરનાં પત્ની એલિઝાબેથ ગાસ્કલ ઔદ્યોગિક ક્રાંતિના સામાજિક અને આર્થિક પરિણામો આધારિત નવલિકાઓ લખવા માટે જાણીતાં છે. એમના લખાણની અસર ચાર્લ્સ ડાર્વિનના લખાણ જેટલી થયેલી એમ મનાય છે.

વાચકો કદાચ એમ વિચારી શકે કે ઉપર ઉલ્લેખ કર્યો છે એ કર્મશીલો, સંગઠનો અને ચળવળોને શાંતિ સાથે શો સીધો સંબંધ છે? તો હું એટલું જ કહીશ કે તેમાંના એક એક વ્યક્તિ અને સંગઠનોના કાર્યના દૂરગામી પરિણામો આજે આપણે ભોગવીએ છીએ. વાચક વર્ગમાંથી કોઈને ય માન્ચેસ્ટર આવવાનું થાય, તો આ સ્થળોની મુલાકાત લેવાનું મારું હાર્દિક આમંત્રણ છે.

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...3,7703,7713,7723,773...3,7803,7903,800...

Search by

Opinion

  • માથેરાનમાં હાથી અને ઊંટ! 
  • સોક્રેટિસ ઉવાચ-૭ : પ્રખર હિંદુત્વવાદી અને સોક્રેટિસ વચ્ચેનો વધુ એક કાલ્પનિક સંવાદ 
  • ગાંધી પછીનું ભારત’ પુસ્તક અને અવસર : નમ્રતા, વિદ્વત્તા અને સભાનતા 
  • ઋણબદ્ધ
  • વાણી વિલાસ, કરશે ખલાસ !

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • બાપુ અને બાદશાહ 
  • ચિકિત્સક બાપુ
  • બાપુ અને બડેદાદા
  • રાષ્ટ્રપિતા
  • ગાંધીજીનો ઘરડો દોસ્ત

Poetry

  • હાલો…
  • એક ટીપું
  • સાત કાવ્યો
  • એમના પગના તળિયામાં દુનિયાનો નકશો છે
  • બે કાવ્યો

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved