Opinion Magazine
Number of visits: 9882472
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહાશ્વેતાદેવી: ખાંભી નહીં, મહુડાનું વૃક્ષ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|20 August 2016

નંદિગ્રામમાં ડાબેરી સરકારને તેમણે જે રીતે પડકારી હતી તે સ્વતંત્ર બૌદ્ધિક હોવું એટલે શું તેની મિસાલ છે ને મશાલ પણ

આવતી કાલે, રવિવારે, [21 અૉગસ્ટ 2016] મહાશ્વેતાદેવીનાં અસ્થિનું તેજગઢ સ્થિત આદિવાસી એકેડેમીના પરિસરમાં સ્થાપન થશે તે સાથે કેમ જાણે એક વર્તુળ પૂરું થવા કરશે.

સ્વતંત્રતા પછીના ભારતમાં દલિત અને આદિવાસી તબકાને વિશે કથિત મુખ્ય ધારાને સભાન, સંવેદનશીલ ને સ્વલ્પ પણ સમાવેશી કરનારા પૈકી મહાશ્વેતાદેવી અગ્રયાયી હતાં અને ગણેશ દેવીએ ઉપાડેલી પ્રવૃત્તિ સાથે સંકળાતાં છેલ્લાં કેટલાંક વરસ તો એમના માટે ગુજરાત બંગાળ પછીના બીજા વતનપ્રાન્ત શું બની રહ્યું હતું, અને તેજગઢ જાણે બીજું ઘર.

ગુજરાત વિદ્યાપીઠના દીક્ષાન્ત સમારંભના અભિભાષણમાં તેમ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં મુખ્ય અતિથીપદેથી એમણે એમનો જે હૃદયભાવ પ્રગટ કર્યો હતો એનું, તો 2002 ગ્રસ્ત ગુજરાતમાં સહૃદયતાના દુકાળ વચ્ચે સમસંવેદનાને ઝંકૃત કરવાની એમની કોશિશનું આ ક્ષણે કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ થાય છે. હમણાં તેજગઢના આદિવાસી કેન્દ્રનો ઉલ્લેખ કર્યો અને આવતી કાલે મહાશ્વેતાદેવી એની માટીમાં વિધિવત્ ભળી જશે એ સંદર્ભમાં તે જોગાનુજોગ ઠીક સાંભરી આવે છે કે પ્રભાવક્ષેત્રના વિસ્તરણની શોધમાં (અને લોકશાહી પ્રક્રિયામાં ઇષ્ટ હોઈ શકતી એક ચેષ્ટા તરીકે) વડાપ્રધાને નવમી ઓગસ્ટના બેંતાલીસ ક્રાન્તિ દિને મધ્ય પ્રદેશમાં ચંદ્રશેખર આઝાદની જન્મભૂમિમાં આદિવાસી સંમેલનનું વિશેષ આયોજન કર્યું હતું.

નવમી ઓગસ્ટ આમ પણ મૂળ વતનીઓના દિવસ તરીકે આંતરરાષ્ટ્રીય તખતે ઉજવાય છે, અને ઇરોમ શર્મિલાનાં પારણાં(બલકે નવપ્રસ્થાન)નો દિવસ પણ ઓણ એ સ્તો હતો. થોડાં વરસ પર મહાશ્વેતાદેવીએ પરાણે પ્રાશનઉપવાસી ઇરોમને મળવા ઇચ્છ્યું હતું, પણ તંત્ર અનુકૂળતા કરે તો ને. ગમે તેમ પણ, પંદરમી ઓગસ્ટે લાલ કિલ્લેથી સંબોધન કરતાં વડાપ્રધાને જે વિશેષોલ્લેખ કરવા મુનાસિબ ધાર્યા હતા એમાં આદિવાસીઓનો વિશેષ હતો, એ વાત અન્યથા પણ નોંધપાત્ર એટલા માટે છે કે સાધારણપણે સંઘ પરિવાર જે પારિભાષિક આગ્રહ રાખે છે એનાથી ચાતરીને એમણે (વનવાસી  કે વનબંધુ નહીં પણ) ‘આદિવાસી’ જેવો રૂઢ પ્રયોગ કદાચ પહેલી જ વાર કર્યો હતો.

આદિવાસીઓના હિંદુકરણની (ખ્રિસ્તી મિશનરી પ્રવૃત્તિના જવાબી વિકલ્પરૂપે) વિશ્વ હિંદુ પરિષદ સહિત સંઘ પરિવારની એક કોશિશ રહી છે. 2002ના ગુજરાતમાં આદિવાસી પટ્ટામાં જે કોમી ઉદ્રેક લગભગ પહેલી વાર જોવા મળ્યો એમાં આદિવાસીઓના હિંદુકરણનો હિસ્સો જરૂર કાબિલે તપાસ છે. અહીં જો કે ઇતિહાસવસ્તુ તરીકે આજને તબક્કે એ પણ નોંધ લેવી જોઇએ કે ધર્માંતર અગર વટાળ હવે દેશનાં મુખ્ય ચર્ચો અને મિશનરી વર્તુળોની પ્રવૃત્તિમાં એટલાં નથી જેટલાં થોડાંએક કોર પરનાં (ફ્રિન્જલાઇન ખ્રિસ્તીઓમાં) વર્તુળોમાં — અને તે પણ માંડ ટકો બે ટકા હશે તો હશે.

મુદ્દે, દેશના આદિવાસીઓને ન તો ધર્માંતરની જરૂર છે, ન તો શુદ્ધિની. એમને, એમની ઓળખભેર (અલબત્ત, જેમ સાતત્ય તેમ શોધનભેર) મુખ્ય પ્રવાહમાં ભળવાને સારુ મોકળાશની જરૂર છે. ઠક્કરબાપા, જુગતરામકાકા અને બીજાઓની કામગીરીને સમયાનુરૂપ શોધનવર્ધન સાથે આગળ લઈ જવાપણું છે. વનવાસીને બદલે આદિવાસી એવો પ્રયોગ કિલ્લે ચઢી કરતી વેળાએ વડાપ્રધાને આ બધું વિચાર્યું હશે? ન જાને.

સર્જક મહાશ્વેતાદેવીની એક મોટી સેવા એમણે આપણને આ આદિવાસીઓને ઓળખતા અને ચાહતા કર્યા એ લેખાશે. એકબે અંગત સાંભરણની છૂટ લઉં. બેક દાયકા પર એક વાર, આ કટારલેખકે એ મતલબનું લખવાનું બન્યું હતું કે મેઘાણી હોત તો આપણને બિરસા મુંડાની ખબર પડતાં આટલી વાર ન થઈ હોત. આ વાંચીને એક સાચ્ચા (અને સહૃદય) વિવેચકનો ફોન આવ્યો કે આ મુંડા કોણ ને શું. એમની નિખાલસતાની કદરબૂજ સાથે મેં એમને મહાશ્વેતાદેવીની નવલકથા ‘અરણ્યેર અધિકાર’ની વાત કરી હતી.

જો કે મોટા ભાગના ગુજરાતને મહાશ્વેતાદેવીના સર્જનનો પ્રથમ પરિચય ‘રુદાલી’ ફિલ્મ પછી થયો હોય અને હમણેના ગાળામાં એક આદિવાસી વિષયવસ્તુનાં લેખિકારૂપે દૃઢાયો હોય, પણ આ ઓળખ ખરી અને પૂરી નથી. કંઈ નહીં તો પણ અપૂરતી તો છે જ. મને એમનો જે પહેલો અક્ષર પરિચય સાંભરે છે તે લગભગ પાંત્રીસેક વરસ ઉપર સુરેશ જોષીએ જનસત્તા-લોકસત્તાની તેમની કોલમકારીમાં ‘હઝાર ચોરાસીર મા’ને વિશે એકથી વધુ લેખ કરેલા એ છે. (અશ્વિન અને કર્દમ જેવા એમએલ મિત્રો પાસેથી ત્યારે જ જાણવા મળેલું કે નિ:સ્પૃહા દેસાઈએ આ કૃતિ ગુજરાતીમાં ઉતારી છે.)

ફિલ્મ તો તે પછી, જયા ભાદુરીના અભિનયમાં મોડેથી આવી, પણ આરંભે નાટિકા ને પછી નવલકથા રૂપે મુકાયેલું આ વસ્તુ મહાશ્વેતાદેવીએ પૂરા કદની નવલકથારૂપે મૂક્યું તે વરસ (1974) પણ નવનિર્માણ-જેપી આંદોલનોનો જોગાનુજોગ જોતાં અનાયાસે સૂચક બની રહ્યું હતું. આ જોગાનુજોગ હું કેમ સંભારું છું? ભાઈ, આ વાર્તાનું વસ્તુ નક્સલ ચળવળની પૃષ્ઠભૂ પર, એમાં સામેલ પુત્રને પગલે નિર્ભ્રાન્ત-મુક્ત-પ્રવૃત્ત થતી માતાનું છે, માટે. નક્સલ પુત્ર માર્યો ગયો છે અને અણઓળખી લાશ નંબર એક હજાર ચોરાસીરૂપે પડ્યો છે. દકિયાનુસી બાપ એને ઓળખવા બાબતે ચહીને આઘા રહેવાનું પસંદ કરે છે. પણ સુજાતા (મા) એમ પાછી પડતી નથી. બુર્ઝવા (ભદ્રવર્ગી) ગિન્ની (ગૃહિણી) તે સાથે જાણે કે પિતૃસત્તાક, પુરુષપ્રધાન ને સામન્તી એવી સમાજ-અને-શાસનપ્રથાની ઊંચે ઉઠે છે.

સુજાતાનું પાત્ર, વાંચતે વાંચતે ઉઘડતું આવતું હતું ત્યારે મને સાથોસાથ થઈ આવતું સ્મરણ મેક્સિમ ગોર્કીની ‘અમ્મા’નું અને ઇબ્સનના ‘ડોલહાઉસ’ની નોરાનું હતું. સુજાતા આમ તો મધ્યમ વર્ગની ગૃહિણી છે, અને સત્યજીત રાયની ‘મહાનગર’માં પહેલા પગારની કડકડતી નોટોના સંસ્પર્શે રોમેરોમ ઝંકૃત થઈ ઉઠતી બાંગલા ગિન્ની(માધવી મુખર્જી)ની હરોળમાં એને ય મુક્ત થતી કલ્પી પણ શકાય. પણ નોરા ઘરની બહાર નીકળે છે તે એક મધ્યમવર્ગીય નારીની મધ્યમવર્ગબદ્ધમુક્તિ છે. મહાનગરની માધવી પણ બહુધા કુટુંબસાપેક્ષ અર્થમાં મુક્ત જ છે. ગોર્કીની અમ્મા કામદાર પુત્રને પગલે કામદાર આંદોલન અને સમાજ પરિવર્તન બાબતે સભાન અને સક્રિય બને છે, જ્યારે એક હજાર ચોર્યાસીની મા સુજાતા એક મધ્યમવર્ગીય ગૃહિણી તરીકે નોરા-માધવી-અમ્મા ત્રણેને વટી જવા કરે છે. કામદાર પરિવારની નહીં પણ ભદ્ર વર્ગની એ છે એમાં મહાશ્વેતાદેવીનો સમાજપરિવર્તનસંસ્પર્શ નોંધ્યો તમે?

એક કર્મશીલ લેખિકા તરીકે મહાશ્વેતાદેવીનું દીર્ઘકાલીન અર્પણ એમણે પહેલી બીજી સ્વરાજકથામાં નિબદ્ધ નહીં રહેતાં બાકી અને અનિરુદ્ધ સ્વરાજલડાઈમાં ઇંધણ અને ઊંજણની જે અક્ષર કામગીરી કરી એને કારણે રહેશે. ડાબેરી લેખાતાં આ લેખિકાએ નંદિગ્રામમાં પશ્ચિમ બંગાળની ડાબેરી સરકારને જે રીતે પડકારી હતી તે હર, રિપીટ, હર સત્તાપ્રતિષ્ઠાન સંદર્ભે આપણા સમયમાં એક સ્વતંત્ર બૌદ્ધિક હોવું તે શું એની મિસાલ છે, અને મશાલ પણ.

એમનાં અસ્થિ તેજગઢમાં સમાધિસ્થ થશે એવા હેવાલ છે. ખરું જોતાં ખાંભી નહીં પણ વૃક્ષ — અને  એ પણ મહુડો — બનીને એ આપણી વચ્ચે હોવાં જોઇએ.

સૌજન્ય : ‘સ્વરાજલડાઈ’, “દિવ્ય ભાસ્કર”, 20 અૉગસ્ટ 2016

Loading

ઉનાથી રણટંકાર — ‘ગાય કી દુમ તુમ રખો, હમકો હમારી જમીન દો’

સંજય શ્રીપાદ ભાવે|Samantar Gujarat - Samantar|19 August 2016

‘ગાય કી દુમ તુમ રખો, હમકો હમારી જમીન દો’, ‘જય ભીમ, જય ભીમ’, ‘દલિત-મુસ્લિમ એકતા જિંદાબાદ’, ‘ગૌરક્ષક મુર્દાબાદ’ જેવા નારાઓથી સ્વાતંત્ર્ય દિને સૌરાષ્ટ્રના ઉના ગામની શાહ એચ.ડી. હાઇસ્કૂલનો વિસ્તાર ધણધણી ઊઠ્યો હતો. દરિયાકાંઠાના આ ગામે હજુ હમણાં, અગિયારમી જુલાઈએ ચાર દલિતોની ચીસો સાંભળી હતી. તેમને ઉપલા વર્ગના પાશવી ગૌરક્ષકોનો બેરહમ માર ખાતાં આખા દેશે જોયા હતા. એ જ ગામમાં આઝાદી દિવસે દસ હજાર કરતાં ય વધુ દલિતોની શક્તિશાળી ‘અસ્મિતા મહાસભા’ પણ આખા દેશે જોઈ. દલિત વર્ગોનાં આવાં જમીર અને જુસ્સાવાળી જાહેર સભા ગયા ત્રણેક દાયકામાં ગુજરાતમાં ઓછી થઈ હશે. આ સભા ઉનાના અત્યાચાર સામે એક મહિના દરમિયાન જગાવવામાં આવેલા લોકજુવાળની સાચા અર્થમાં પરાકાષ્ટા હતી. તેના મંડાણ તો ઉના દલિત અત્યાચાર લડત સમિતિના નેજા હેઠળ પાંચમી ઑગસ્ટે અમદાવાદથી ઉના તરફ ચાલેલી દલિત અસ્મિતા પદયાત્રાથી થઈ ચૂક્યા હતાં.

પદયાત્રા દરમિયાન થયેલી માગણીઓ ઉનાની જંગી સભામાં લડાયક અંદાજમાં રજૂ કરવામાં આવી હતી. ગુજરાતના ખૂણેખૂણેથી અને કેટલાં ય રાજ્યોમાંથી આવેલા દલિતો, સંગઠનોનાં કાર્યકરો તેમ જ સો કરતાં વધુ મીડિયાકર્મીઓ સભામાં હાજર હતા. ચળવળની ઓળખ સમા તેજસ્વી યુવા નેતા જિજ્ઞેશ મેવાણીએ તેના ટૂંકા છતાં જોશપૂર્ણ ભાષણમાં રણટંકાર કર્યો કે જો ગુજરાત સરકાર દરેક દલિત પરિવારને પાંચ એકર જમીન આપવાની માગણી પૂરી નહીં કરે તો બરાબર એક મહિના પછી ‘રેલ રોકો’ આંદોલન કરવામાં આવશે. જિજ્ઞેશની હાકલ મુજબ હજારો લોકોએ  ઢોર અને મેલું નહીં ઉપાડવાના તેમ જ ગટરમાં નહીં ઊતરવાના  સોગંદ ડૉ. બાબાસાહેબ આંબેડકરના નામે લીધા હતા. જિજ્ઞેશે હિંદુત્વવાદી સરકારના સીધા જ વિરોધમાં હિંદીમાં કરેલા તેજાબી ભાષણમાં પૂછ્યું : ‘દલિતોને બદલે મારી છાતી પર ગોળીઓ વરસાવો કહેનારા વડાપ્રધાન મોદી થાનગઢમાં ત્રણ નિર્દોષ યુવાનો પર પોલીસે ગોળીઓ વરસાવી ત્યારે શા માટે ચૂપ હતા ?’ ગુજરાતના વિકાસના ‘ઘટિયા મોડેલ’ની સામે તેમણે દલિત ચળવળને વિકાસવંચિત કિસાન, મજૂર અને આદિવાસી આંદોલન સાથે જોડવાની વાત પણ કરી હતી. જમીન સંપાદન કાયદામાંથી ગુજરાત સરકારે ખેડૂતની સંમતિ અને સોશ્યલ અને એનવાયર્નમેન્ટલ ઇમ્પૅક્ટ અ‍ૅસેસમેન્ટની કલમો કાઢી નાખી હોવા સામે પણ તેમણે વિરોધ નોંધાવ્યો. ગાયની પૂંછડી મોદી સરકાર માટે ફાંસીનો ફંદો બની શકે એવો ઇશારો પણ પાંત્રીસ વર્ષના નેતાએ આપ્યો.

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી આગેવાન કનૈયા કુમારનું ઉનામાં હોવું એ બધા માટે આશ્ચર્ય હતું. તેમણે ત્રણેક મિનિટના સંબોધનમાં કહ્યું કે લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાતમાંથી કાઢેલી રથયાત્રા દેશને તોડવા માટે હતી, જ્યારે મેવાણી અને સાથીઓએ કાઢેલી અસ્મિતા પદયાત્રા લોકોને જોડવા માટેની તેમ જ જમીન અને સ્વમાન માટેની યાત્રા છે. હાજર જનતાને બિરદાવતા તેમણે કહ્યું કે તમે બધાએ ગુજરાત મૉડેલની હવા કાઢી નાખી છે. હૈદરાબાદની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ભેદભાવનો ભોગ બની આપઘાત કરનાર દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાનાં માતુશ્રી રાધિકાએ દેશના બંધારણના રક્ષણ માટે હાકલ કરી હતી. સભાના આરંભે રાધિકાબહેનના હાથે ધ્વજવંદન કરાવવામાં આવ્યું. તેમની સાથે, ઉનામાં અત્યાચારનો ભોગ બનનાર બાલુભાઈ સરવૈયા પણ હતા. ન્યાય ન મળે ત્યાં સુધી, ભાગલા પડવા દીધા વિના, લડત ચાલુ રાખવાની અપીલ તેમણે કરી હતી. ધ્વજવંદન દરમિયાન ‘લોકનાદ’ના જનવાદી કલાકાર યુગલ ચારુલ-વિનયે રાષ્ટ્રગીત ગવડાવ્યું હતું. અજોડ ડૉક્યુમેન્ટરિ ફિલ્મ મેકર આનંદ પટવર્ધન ખુદ શૂટિંગ કરી રહ્યા હતા. આ પૂર્વે તેમણે રંગકર્મી દક્ષિણ છારા થકી આખી પદયાત્રા કૅમેરામાં સાચવી લીધી છે. અત્યાચારના વિરોધમાં ગુજરાત સરકારનું સન્માન પાછું આપનાર એકમાત્ર સાહિત્યકાર અમૃત મકવાણાને દલિત સાથીઓએ ભેગા કરેલા પચીસ હજાર રૂપિયાનો ચેક આનંદને હાથે આપવામાં આવ્યો. અભિયાનમાં મહત્ત્વની જવાબદારીઓ નિભાવનાર યુવા કાર્યકર જયેશ સોલંકીએ ત્રણ દલિત કવિઓએ ભેદભાવ વિશે લખેલી તેજાબી રચનાઓ રજૂ કરી. તે પહેલાં મુંબઈના રિપબ્લિકન પૅન્થરના સાંસ્કૃિતક જૂથના યુવાઓએ  રજૂ કરેલા સામાજિક ક્રાન્તિના  ગીતોથી સભાનો  વિદ્રોહી માહોલ વધુ સઘન બન્યો. અમદાવાદના એન.પી.જી. ગ્રુપે મહારાષ્ટ્રના જાણીતા જનવાદી લોકશાયર સંભાજી ભગતનું કટાક્ષગીત ‘ઇનકી સૂરત કો પહેચાનો ભાઈ’  રજૂ કર્યું.

ઉપર્યુક્ત વ્યક્તિઓ, વક્તવ્યો અને બનાવો ઉપરાંત સ્વાતંત્ર્ય-સમતા-બંધુતાભર્યા ભારતીય સમાજની આશા જગવનાર સભામાં અનેક નોંધપાત્ર બાબતો હતી. ગોધરાકાંડ પછીના કોમી રમખાણો દરમિયાન ગુજરાત સરકારની ધર્મઝનૂની ભૂમિકા સામે સક્રિય રીતે શિંગડાં માંડનાર પૂર્વ આઇ.પી.એસ. અધિકારી રાહુલ શર્માએ અસ્મિતા યાત્રાના આરંભમાં બીજરૂપ ભૂમિકા ભજવી હતી. ધારાશાસ્ત્રી મુકુલ સિંહાને માનવઅધિકાર માટે સરકાર સામેની લડતમાં આજીવન સાથ આપનાર તેમનાં પત્ની નિર્ઝરી અને પુત્ર પ્રતીક અસ્મિતા યાત્રાની સાથે પૂરો સમય હતા. દલિત ઉત્થાન માટેની સંસ્થા ‘નવસર્જન’ના સ્થાપક અને દુનિયાભરમાં જાણીતા માર્ટીન મૅકવાન, માહિતી અધિકાર કર્મશીલ ભરતસિંહ ઝાલા, અંબરનાથના કામદારનેતા શ્યામ ગાયકવાડ, ડાબેરી મહિલા અગ્રણી  કવિતા કૃષ્ણન, ચિત્રકાર-ફિલ્મમેકર પ્રવીણ મિશ્રા જેવા સમર્પિત કર્મશીલ સમર્થકોની યાદી બહુ લાંબી થઈ શકે છે. આખું મેદાન દલિત ચળવળને લગતા ઝંડા, બૅનરો અને સૂત્રોથી છવાઈ ગયું હતું. જુદી જુદી ઉંમરના દરેક સ્ત્રી-પુરુષની આંખોમાં એક સારા સમાજનું સ્વપ્ન હતું.

કેટલીક અવ્યવસ્થા વચ્ચે મહાસભા પૂરી થયા બાદ પાછા ફરી રહેલા દલિતો પર હુમલા થવા લાગ્યા હતા. પદયાત્રા દરમિયાન પણ હુમલા થયા હતા.  સભા ન થાય તે માટેની કોશિશ સ્થાપિત હિતોએ કરી હતી. સભા પછીના હુમલામાં ઉનાની નજીકના સામતેર ગામના કેટલાક માથાભારે લોકોનો મોટો ફાળો હતો. અત્યાચાર માટે પકડાયેલા સહુથી વધુ આરોપી આ ગામના છે. જુલમનો  ભોગ બનેલા સરવૈયા પરિવારના સભ્યોને હુમલાની શક્યતાને કારણે લાંબો સમય દીવ પોલીસ સ્ટેશનમાં રોકાઈ જવું પડ્યું હતું. કેટલાક કિસ્સામાં પોલીસ પણ નિષ્ક્રિય અને દલિતવિરોધી હોવાનું નોંધયું  છે. જિજ્ઞેશ સહિત અન્ય આગેવાનો લોકોને એમના હાલ પર છોડીને નીકળી ગયા હોવાની વાતો પણ વહેતી કરવામાં આવી હતી. તપાસને અંતે તે ગેરસમજભરી અને પ્રેરિત હોવાનું જાણવા મળ્યું.

આખા ય અભૂતપૂર્વ અભિયાને ગુજરાતની દલિત ચળવળમાં નવાં પ્રાણ પૂર્યાં છે. આ વિરોધ ચળવળ કોઈ બિનસરકારી સંગઠન અર્થાત એન.જી.ઓ. કે રાજકીય પક્ષ પ્રેરિત નથી. ઉના અત્યાચાર પછીના આક્રોશને  સક્રિય બનાવવા માટે નિસબત ધરાવતા દલિતોના જૂથે રચેલી ઉના દલિત અત્યાચાર લડત સમિતિની મહેનત અને મક્કમતાનું આ પરિણામ છે. તેણે દલિતેતર વર્ગોના તેમ જ માધ્યમોના એક હિસ્સાનો પણ સારો ટેકો મેળવ્યો છે. અભિયાનની દેખિતી તેમ જ લાંબા ગાળાની અસરવાળી મર્યાદાઓ તરફ પણ અભ્યાસીઓ ધ્યાન દોરી રહ્યા છે. જો કે તેઓ એ સ્વીકારશે છે કે ગુજરાત જેવા પાકા ભાજપ તરફી રાજ્યમાં, આર્થિક રીતે અનિવાર્યપણે નબળા દલિતોને અત્યાચાર સામે સંગઠિત કરીને રૅડિકલ અભિગમથી સરકારને પડકારવાનું, આ પહેલાં જવલ્લે જ થયું હોય તેવું કામ ઉના દલિત અત્યાચાર લડત સમિતિએ કર્યું છે. તેની ઈતિહાસ નોંધ લેશે.

18 ઑગસ્ટ 2016

++++++

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “ક્ષિતિજ” નામક લેખકની કોલમ, “નવગુજરાત સમય”, 19 અૉગસ્ટ 2016

Loading

આધુનિક ગુલામી પ્રથા

આશા બૂચ|Opinion - Opinion|18 August 2016

માનવતાવાદી દ્રષ્ટિકોણ ધરાવનાર માન્ચેસ્ટર કેથિડ્રલના ડીન Rogers Govenderના આમંત્રણથી, એક પ્રકલ્પમાં ભાગીદાર બનવાની તક મળી. ગ્રેટર માન્ચેસ્ટર પોલિસ દળે ચારેક વર્ષ પહેલાં આધુનિક ગુલામીના પ્રશ્નને કેન્દ્રમાં રાખીને તેનો હલ શોધવા એક ખાસ એકમ ઊભું કર્યું છે. માનનીય ગવન્ડરનાં સૂચનથી વિવિધ ધર્મને અનુસરતા કેટલાક નાગરિકોને આ સમસ્યા વિશે જાણકારી આપીને તેમના સમાજનાં વલણો જાણવા અને તેનો હલ શોધવા માટે તેમનો સહકાર મેળવવા એક મિટિંગ યોજવામાં આવેલી. તે વિશે આગળ ઉપર જે પગલાં ભરવામાં આવશે તેનો અહેવાલ યથા સમયે આપીશ, પરંતુ આજે વાત કરવી છે આધુનિક ગુલામી પ્રથાની અને ખાસ કરીને ભારત આ સમસ્યામાં દુનિયામાં કયા સ્થાને છે તે જોવાની.

‘ગુલામી પ્રથા’ શબ્દ કાને પડતાં અશ્વેત સ્ત્રી-પુરુષ અને બાળકોને બજારમાં ઊભાં રાખીને તેમનું વેચાણ થતું હોય, તેમને લોઢાની સાંકળે બાંધીને ઘસડવામાં આવતાં હોય કે તેમની પાસે શેરડી તથા તમાકુની ખેતી કરાવવામાં આવતી હોય, તેવા કારમા જુલમનાં દ્રશ્યો નજર સામે તરી આવે. સામાન્ય માન્યતા એવી છે કે યુરોપિયન મૂળના શ્વેત લોકો આફ્રિકા ખંડમાં વસતી અશ્વેત પ્રજાને પોતાનાથી ઉતરતી માનવીય ગુણવત્તા ધરાવનારા, નીચા બુદ્ધિ આંક વાળા, જેમને કોઈ ધર્મ કે ભાષાનું જ્ઞાન ન હોય તેવા પશુ સમાન અર્ધ માનવ તરીકે ઓળખાવવા લાગ્યા અને શ્યામ રંગધારી હોવાને કારણે તેમનાથી ઉતરતી જાતિના ગણીને તેમનું શોષણ કરવાને પોતાની જાતને અધિકારી માનવા લાગ્યા. રંગ ભેદને આધારે આવું અમાનવીય કૃત્ય આચરવા બદલ સદીઓ સુધી ખુદ બાઇબલનો આધાર પણ લેવાતો રહ્યો. વળી ‘તમારી પાસે કોઈ ધર્મ નથી, શિક્ષણનો અભાવ છે, આરોગ્ય અને સ્વાસ્થ્યની સગવડો નથી, તેથી તમને મદદ કરવા અમને જીસસે મોકલ્યા છે, તમે તેને શરણે આવો તો આ પાપમય જિંદગીમાંથી ઉગારો થશે અને બદલામાં અમે તમને શાળા, દવાખાનાં, રોજગારીની તકો અને આવાસો આપીશું’, તેમ કહીને એમના વતનમાં પગપેસારો કર્યો અને ત્યાર બાદ કરુણા અને પ્રેમના પ્રસારના અંચળા હેઠળ ધર્મ પરિવર્તન તથા સંસ્થાનવાદનો યુગ આવ્યો તે હકીકત જગ જાહેર છે. એકદા ગુલામી પ્રથા કાયદેસર હતી તેમ કહી શકાય. જીવતા જાગતા બે પગાળા માનવીઓનું લીલામ થાય, તેમનાં શરીર સ્વાસ્થ્ય, માનસિક તાકાત, દેખાવ અને કામ કરવાની ક્ષમતાને આધારે બોલી બોલાય અને પતિ-પત્ની-બાળકો જુદાં જુદા ંઘરોમાં વેચાય એ સાવ સામાન્ય બાબત ગણાવા લાગી. ઢોરને પણ કામ કરાવ્યા બાદ કાળજીથી નીરણ અને પાણી અપાય, માંદું પડે તો સારવાર કરાય અને પ્રેમથી પીઠ થાબડવામાં આવે, જ્યારે આ ગુલામો તો એટલી માનવતાના્ ય અધિકારી નહોતા ગણાતા. માનવ ઇતિહાસમાં ગુલામી પ્રથા એ એક બહુ મોટું કાળું ધાબું છે.

છેવટ દરેક યાતનાનો અંત આવે તેમ યુનાઇટેડ કિંગ્ડમની પાર્લામેન્ટે ઈ.સ. 1833માં તેનાં સંસ્થાનોમાં ગુલામી પ્રથા નાબૂદ કરવાનો કાયદો પસાર કર્યો. એમ તો ઈ.સ. પૂર્વે ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે માનવ વ્યાપાર અને ગુલામો પ્રત્યે અમાનવીય વર્તાવ કરવા વિરુદ્ધ કાયદાઓ ઘડેલા. પરંતુ સમગ્ર ભારત કે વિશ્વના અન્ય દેશોમાં એ જુલ્મી પ્રથા ઘણા લાંબા સમય સુધી અસ્તિત્વમાં રહી. યુ.એસ.એ.માં ભારે સંઘર્ષ અને જાનહાનિ બાદ જાન્યુઆરી 1863માં પ્રેસિડન્ટ અબ્રાહમ લિંકને Emancipation Proclamation બિલ પસાર કર્યા બાદ, બે વર્ષે ગુલામી પ્રથાનો કાયદેસર અંત આવ્યો. નોંધ લેવાની વાત એ છે કે યુનાઇટેડ કિંગ્ડમમાં અને કદાચ બીજા દેશોમાં પણ ગુલામોના માલિકોને તેમની માલિકી હેઠળના ગુલામોને મુક્ત કરી દેવા બદલ તેમને પડેલી ખોટનું નાણાકીય વળતર આપવામાં આવેલું! પેઢીઓ સુધી એ ગુલામ પ્રજાના જાન લેવાયા, ઢોરમાર મારેલો, ભૂખે મારેલા, અપહરણ અને બળાત્કાર જેવા ગુનાઓ તેમના પર આચરેલા જેનું વળતર બીજી અનેક પેઢીઓ સુધી વળી શકાય તેમ નથી, તેનો કોઈને વિચાર સુધ્ધાં ન આવ્યો. અરે, આ શોષણ પ્રથાને ખુદ રાજ્ય અને ચર્ચનો પણ સીધો કે આડકતરો ટેકો હતો. સત્તા અને ધર્મ જ્યારે માર્ગ ભૂલે છે ત્યારે કેવો અમાનવીય અત્યાચાર કરાવી શકે છે તેનો આ ગુલામી પ્રથા જીવંત પુરાવો છે. ખેર, આખર કાયદાઓ પસાર થયા અને લાખો ગુલામોની પીડા અને યાતનાઓનો અંત આવ્યો. દુનિયાએ નિરાંતનો દમ લીધો. માનવ જાતને પોતાના પર લાગેલું કલંક ધોવાયાનો અહેસાસ થયો.

પણ એમ કંઈ માણસ શુદ્ધ નિષ્પાપ જીવન જીવીને રહેવા થોડો ટેવાયેલો છે? કાયદા વિરુદ્ધ વર્તન ન થાય પણ નીતિ વિરુદ્ધ વર્તન થાય તો તેને કોણ પકડીને સજા કરવાનું છે? બસ, આવા અનીતિમય વિચારને મૂડીવાદ, વૈશ્ચિક બજાર, ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને આધુનિક જીવન પદ્ધતિના રૂડા મુખવટા પાછળ ઉછેરવાનું સહેલું બન્યું છે અને ‘આધુનિક ગુલામી પ્રથા’ના રૂપમાં એ પુનર્જિવન પામી રહી છે. આજે દુનિયામાં 12થી 29 મિલિયન લોકો આધુનિક ગુલામી પ્રથાના ભોગ બનેલ છે, તેવો અંદાજ છે. તેઓ જે પ્રકારના વ્યવસાયમાં સંકળાયેલા છે તેનાથી લગભગ 35 બિલિયન ડોલર જનરેટ થાય છે તેવો અંદાજ છે. આફ્રિકા ખંડના ઘણા દેશો, નેપાળ, પાકિસ્તાન, કેરેબિયન અને ભારતમાં આવા કામ-ધંધા અને જીવન પ્રથાનું વધુ પ્રમાણ જોવા મળે છે. એનો અર્થ એ કે રંગભેદ નાબૂદ થયો એ એક ભ્રમણા છે, બાકી હજુ પણ મુખ્યત્વે અશ્વેત પ્રજા ધરાવનાર દેશોમાં આંતરિક આર્થિક અને સામાજિક પરિસ્થિતિને પરિણામે ગુલામી પ્રથા નવા વેશ પરિધાન કરીને ગલીએ ગલીએ ફરતી જોવા મળે છે. દુનિયાના કુલ ગુલામોમાંથી 76% ગુલામો માત્ર 10 દેશોમાં રહે છે જેમાં ભારતમાં તેની સહુથી મોટી સંખ્યા – કુલ વસતીના 1% એટલે કે 14 મિલિયન લોકો ગુલામી ભોગવે છે. આ હકીકત વાઇબ્રન્ટ ગુજરાત કે Make in Indiaના નારા લગાવનારને દેખાતી હશે?

સવાલ એ થાય કે આ કહેવાતી આધુનિક ગુલામી પ્રથાના પ્રકારો કયા? જ્ઞાતિ અને વર્ગ વ્યવસ્થા હજુ પણ પ્રચલિત છે જેણે ગુલામી પ્રથાને વારસાગત સ્વરૂપ આપ્યું છે જે શિક્ષણ અને રોજગારીની સુધરેલી તકો છતાં સમાજમાંથી વિદાય નથી લીધી. વધારામાં ભારત, પાકિસ્તાન અને અન્ય જ્ઞાતિ પ્રથામાં ચુસ્તપણે માનનારા દેશોમાં બન્ધુઆ મઝદૂર અને ભૂમિ વિહોણા મઝદૂરો ગુલામો જેવી જ સ્થિતિમાં સબડે છે. રાજકીય સંઘર્ષ, પર્યાવરણીય પરિવર્તન કે કુદરતી આફતોને કારણે થતા ફરજિયાત સ્થળાંતર સ્ત્રી-પુરુષોને ગુલામની દશામાં લાવી મૂકે છે. એવી જ રીતે વેશ્યા વ્યવસાયમાં ફસાયેલી બાળાઓ અને સ્ત્રીઓ, બાળ લગ્નના ભોગ બનેલ બહેનો અને બાળ મજૂરીમાં ફસાયેલ બાળકો આધુનિક ગુલામીના જ એક ભાગ રૂપ છે. તેમાં વળી વકરેલા આતંકવાદને પગલે ચાલેલા માનવ વ્યાપાર અને વિશિષ્ટ વિચારધારાઓના પ્રચારને કારણે માનવ માનવ વચ્ચે સમતા અને આદર અદ્રશ્ય થતાં માલિક અને ગુલામનો રિશ્તો વધુ પ્રબળ બનતો ચાલ્યો છે.

ભારતમાં પ્રવર્તતતી પ્રચ્છન્ન અને દેખીતી ગુલામી અવસ્થાના થોડા આંકડા જોઈએ. સૌ પ્રથમ દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં મોરિટાનિયા, હાઇટી અને પાકિસ્તાન પછી ભારત ગુલામીની પકડમાં જીવતા લોકોમાં ચોથો નંબર ધરાવે છે, એ હકીકત અત્યન્ત દુઃખદ છે.

દુનિયાના કુલ ત્રીસેક મિલિયન ગુલામોમાંથી 14 મિલિયન જેટલા ભારતમાં વસે છે.

તેઓ આવા પ્રકારની ધાતુની ખાણોમાં કામ કરતા હોય છે અથવા બંધુઆ મઝદૂરના વેશે નાના-મોટા ખેત ઉદ્યોગો કે અન્ય મઝદૂરીનાં કામ કરતા જોવા મળે છે.

પશ્ચિમના દેશોમાં કેટલાક સ્ટોર્સને સસ્તાં કપડાં પૂરા પાડનાર કંપનીઓ બાળમજૂરીનો પૂરેપૂરો  ઉઠાવે છે એ આ છબીમાં સાબિત થાય છે.

કૈલાશ સત્યાર્થી જેવા અગણિત કર્મશીલો સદીઓ અને દાયકાઓથી આ ક્રૂર પ્રથાનો અંત લાવવા ઝઝૂમી રહ્યા છે.

પણ જેને રૂંવે રૂંવે ધન લોલુપતા, જ્ઞાતિ પ્રથાનું ઝેર સામંતશાહીનો નશો અને આધુનિક ‘વિકાસ’ના નામે પ્રગતિ કરવાની ઘેલછાનો રોગ પ્રસરી ગયો હોય તેવા દેશ પાસે આધુનિક ગુલામી પ્રથાનો નજીકના ભવિષ્યમાં અંત લાવવાની અપેક્ષા સેવવી કદાચ વધુ પડતી લાગે, પરંતુ જયારે યુનાઇટેડ કિંગ્ડમ અને ખાસ કરીને માન્ચેસ્ટર મહાનગરમાં વસતી તમામ કોમને આ પ્રશ્ન વિષે જાગૃતિ લાવીને પોતપોતાના સમૂહના સામાજિક ધારાધોરણો, સાંસ્કૃિતક માન્યતાઓ અને નીતિમત્તાના ખ્યાલોને બદલી ગુલામીના દૂષણને તડીપાર કરવા આહ્વાન આપવામાં આવે ત્યારે એ દિશામાં અહીંના જવાબદાર નાગરિક હોવાને નાતે જરૂર યથાશક્તિ મદદરૂપ થઈશ પણ મનમાં ભારતમાં પ્રચલિત ગુલામી પ્રથાનો અંત કેવી રીતે અને ક્યારે આવશે એ વિષે સતત વિચાર આવે. અન્ય દેશોની વાત નીકળતાં ભારત આધુનિક ગુલામી પ્રથા અસ્તિત્વ ધરાવે છે એ સ્વીકારવામાં અને તેની નાબૂદી માટે સત્વરે અસરકારક પગલાં લેવાની બાબતમાં અત્યન્ત પાછળ છે્, એ હકીકત છતી થતાં અન્ય સભ્યોની હાજરીમાં શરમથી મસ્તક ઝૂકી ગયું. દિલ કહે છે, ચાલ પહેલાં તારી જનમભોમને આ પાપકર્મથી છોડાવનાર સૈન્યમાં ભરતી થઈ જા. …

… કદાચ મારા જીવનકાળ દરમ્યાન પશ્ચિમના અન્ય દેશોની સાથે જ ભારત પણ આધુનિક ગુલામીનો અંત લાવવા સફળ થઇઈચૂક્યું હશે એવું સ્વપ્ન સેવું છું.

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...3,6213,6223,6233,624...3,6303,6403,650...

Search by

Opinion

  • સહિષ્ણુતા: ભારતની અસલી તાકાત
  • Artificial Intelligence: જવાબો વધી રહ્યા છે, પણ આપણી વિચારશીલતા પર કાટ ચઢી રહ્યો છે?
  • ચલ મન મુંબઈ નગરી—343
  • ઓઈલ કંપનીઓ મગરનાં આંસુ સારે છે …
  • જ્યોતિરાવ ફુલે અને સ્ત્રી શિક્ષણની ક્રાંતિ: એક અર્થશાસ્ત્રીય અર્થઘટન

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved