પુસ્તક પરિચય :
સમાજઘડતરને ધ્યાનમાં રાખીને સાડા પાંચ તપથી રસાળ સાહિત્યનું સર્જન કરનાર યશવંત મહેતાએ પંચ્યાશીમાં વર્ષે કરેલાં ઉદ્યમ તરીકે ‘બે તમિળ ક્લાસિક્સ’ પુસ્તક મળે છે.
અહીં તેમણે જે મહાકાવ્યોનો કથાસાર ગુજરાતીમાં આપ્યો છે તેમનાં નામ છે ‘સિલપ્પાદિકારમ્’ અને ‘મણિમેખલૈ’.
આ કૃતિઓનો અનુમાનિત રચનાકાળ ઇસુની પહેલી સદીથી પાંચમી સદી દરમિયાનનો છે. તેમના લેખકો અનુક્રમે રાજકુમાર ઈલંગો આદિગલ અને વ્યાપારી રાજકુમાર શાત્તન છે.
આ કૃતિઓનાં સમય, ભાષા અને સંસ્કૃતિ ઘણાં અલગ છે, છતાં તે ગુજરાતીમાં રસપ્રદ બને છે. તેનું કારણ યશવંતભાઈની વાર્તા કહેવાની અને વર્ણન કરવાની કળા છે, જે દાયકાઓની મહેનતથી સિદ્ધ થઈ છે.
ગુજરાતી વાચકોને ‘પ્રશિષ્ટનો પ્રસાદ’ વહેંચવાનો તેમનો કસબ ગ્રીક મહાકાવ્યો ‘ઇલિયડ’ અને ‘ઓડિસી’નાં પુન:કથન તેમ જ ‘વિશ્વશ્રેષ્ઠ નવલકથાઓ’ પુસ્તકમાં દેખાય છે. તમિળ મહાકાવ્યોનો કથાસાર પણ અંગ્રેજી અનુવાદ પરથી આપ્યો છે.
અંગ્રેજી અનુવાદક Alain Daniélou (1907-1994) ફ્રેન્ચ માતૃભાષા ધરાવનાર ઇતિહાસકાર, ભારતવિદ્યાવિદ્દ (Indologist), સંગીતજ્ઞ અને લેખક હતા. તેઓ શૈવ સંપ્રદાયના ઊંડા અભ્યાસી હતા, એટલું જ નહીં તેમણે ધર્મપરિવર્તન કરીને એ સંપ્રદાય સ્વીકારેલો. તેમને 1991માં સંગીત નાટક અકાદમીની ફેલોશીપથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સાહિત્યકૃતિનાં ભાષા, સ્વરૂપ અને સંસ્કૃતિના માર્ગે થતાં રસપ્રદ પ્રવાસના આપણી ભાષાના ઘણા ઉદાહરણોમાં યશવંત મહેતાના આ કથાકથનનો સમાવેશ થઈ શકે.
યશવંતભાઈએ ‘સિલાપ્પાદિકારમ્’નું પેટાશીર્ષક ‘કન્નકીની શીલકથા’ એવું આપ્યું છે. સમૃદ્ધ નગર પુહારમાં ધનવાન શ્રેષ્ઠીઓનાં રૂપ-ગુણ સંપન્ન સંતાનો કન્નકી અને કોવાલનનું નવદામ્પત્ય જીવન સુખેથી વીતતું હોય છે.
પતિ એક લાવણ્યવતી નગરનર્તકી માધવીના પ્રેમમાં પડે છે. તેની સાથેના વિલાસમાં પોતાની સંપત્તિ ગુમાવી બેસે છે. કન્નકી ભાંગી પડે છે, પણ પતિને વફાદાર રહે છે. પ્રેમીઓની વચ્ચે ભંગાણને પગલે પાછા આવેલા કોવાલનને કન્નકી માફ કરે છે.
બેઘર અને નિર્ધન દંપતી જિંદગીની નવેસરથી શરૂઆત કરવાનું નક્કી કરે છે. તેના માટે તેઓ એક જૈન સાધ્વીની ઓથે લાંબો દુર્ગમ પ્રવાસ ખેડીને વેપારવણજથી ધમધમતા ઇચ્છિત નગર મદુરાઈ પહોંચે છે. અહીં કોવાલનને વ્યવસાય શરૂ કરવા માટેની મૂડી મેળવવા કન્નગી પોતાના પગનો તોડો આપે છે.
નાયક એ વેચવા નીકળે છે. રાજ-સોનીએ નગરની રાણીનું આવું જ ઘરેણું ઓળવ્યું છે. તે ચોરી છુપાવવા સોની કોવલન પાસેનું ઘરેણું રાણીનું ચોરેલું ઘરેણું છે એવું રાજાને ઠસાવે છે. પોતાના ન્યાયીપણા માટે મિથ્યા ગર્વ ધરતો મદુરાનો રાજા કશું ય જાણ્યા-પૂછ્યા વિના કોવાલનને મૃત્યુદંડ આપે છે.
પતિના આવા અન્યાયપૂર્ણ મોતથી અત્યંત દુભાયેલી – પુસ્તકના મુખપૃષ્ઠ પર જોવા મળતી – કન્નકી પોતાના ચારિત્ર્યના બળે મદુરાનગરને ભસ્મીભૂત કરે છે. યશવંતભાઈ નોંધે છે : ‘આ કથા એક શીલવતી નારી દ્વારા અન્યાયના પ્રતિકારની કથા છે.’
બીજા મહાકાવ્ય ‘મણિમેખલૈ’ની નાયિકા પહેલા મહાકાવ્યના નાયક કોવાલનની દીકરી છે, જે તેના નગરનર્તકી સાથેના લગ્નબાહ્ય સંબંધથી જ્ન્મેલી છે. તેના પર મોહિત રાજકુમાર ઉદયકુમાર તેને પામવા મથે છે.
તેનાથી બચવા માટે એક પુષ્પવાટિકામાં છુપાઈ જનાર મણિમેખલૈને એ જ્ગ્યાએ બુદ્ધનાં પગલાં અને ચૈત્યનાં દર્શન થાય છે, જેનાથી તેના આત્મવિકાસનો આરંભ થાય છે. ક્રમશ: તેનું એવું ઊર્ધ્વીકરણ છે કે તે અમરત્વ ભણી ગતિ કરે છે.
આ કાવ્ય બૌદ્ધ ધર્મકેન્દ્રી છે. અનેક ધર્મોના વિચારોની ઝલક આપીને બુદ્ધવિચાર કેવી રીતે શ્રેષ્ઠ છે તેનું એમાં નિરૂપણ છે. બુદ્ધદર્શનમાં ગરીબો-પીડિતો પ્રત્યે અનુકંપા સમાયેલી છે એવું અહીં વારંવાર બતાવવામાં આવ્યું છે. કથામાં મણિમેખલૈને મળેલું ભિક્ષાપાત્ર મહત્ત્વનું પ્રતીક છે. તે ખરેખર તો એક અક્ષયપાત્ર છે જેના વડે નાયિકા અગણિત ભૂખ્યા જનોનો જઠરાગ્નિ ઠારે છે.
‘મણિમેખૈલે’નો અંગ્રેજી અનુવાદ The Dancer with a Magic Bowl અર્થાત ‘ચમત્કારિક ભિક્ષાપાત્રવાળી નર્તકી’ એમ થયો છે. જો કે નાયિકા નર્તકીની પુત્રી છે, પણ ખુદ નર્તકી તરીકે પેશ આવતી નથી. કથાની શરૂઆતથી જ એને બૌદ્ધ વિચારના સંપર્કમાં આવવાનું બને છે. કૃતિ આગળ વધે છે તેમ મણિમેખલૈ લોકોના કલ્યાણ માટે જીવન સમર્પિત કરી દેવા પ્રેરાય છે.
પ્રસ્તુત પુસ્તક માટેની પ્રેરણાની લેખકની કેફિયત રસપ્રદ છે. તેમણે પહેલાં મહાકાવ્યનો અંગ્રેજી મુક્તાનુવાદ The Tale of an Anklet તરીકે ચાળીસેક વર્ષ પૂર્વે વિખ્યાત સામયિક The Illustrated Weekly of Indiaમાં વાંચેલો. પછીના વર્ષોમાં ‘મણિમૈખલે’નું અંગ્રેજી પુસ્તક એક મેળામાં જોયેલું.
‘બન્ને કથાઓનું વારંવાર વાચન કરતાં હું એમના પ્રેમમાં પડી ગયો’, એમ કહીને લેખક ઉમેરે છે કે તેમણે આ બંને કથાઓ 1993-94માં અખબારી કૉલમ તરીકે આપી. પછી એ ‘ફાઇલમાં કેદ થઈ ગઈ’. કોરોના કાળમાં ‘યમરાજાએ બારણે ટકોરા મારવા માંડ્યા’ એટલે ‘અધૂરાં કામ પૂરાં કરવા’ માટે આ પુસ્તક થયું.
તમિળ-ગુજરાતીના સંદર્ભે અહીં એ પણ નોંધવું જોઈએ કે નવનીત મદ્રાસી (1919-2006) છવ્વીસ નવલકથાઓને સીધી તમિળ ભાષામાંથી ગુજરાતીમાં લાવ્યા છે, જે બીરેન કોઠારીએ લખેલાં તેમના જીવનચરિત્રમાંથી જાણવા મળે છે.
તેના ઘણાં વર્ષ બાદ તમિળ સાહિત્ય પરનું યશવંતભાઈનું પ્રસ્તુત પુસ્તક અંગ્રેજીમાંથી મળે છે. તેને ત્રણસો જેટલાં પુસ્તકોના ‘જીવનસમર્પિત લેખક’ પોતાનું ‘ખિસકોલી-કાર્ય’ ગણાવે છે.
—————————————————–
બે તમિળ ક્લાસિક્સ, પ્રકાશક : યશવંત મહેતા, પાનાં 12+172 = 184, રૂ. 250/-
વિતરક : ગૂર્જર સાહિત્ય ભવન, ફોન 079-2214 4663, 92 27 05 57 77
[630 શબ્દો]
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત અને વિસ્તૃત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 10 ડિસેમ્બર 2023
e.mail : sanjaysbhave@yahoo.com