આવતી કાલે જેને સો વરસ થશે તે હત્યાકાંડ આઝાદીની લડતમાં ચાલકબળની મહત્તા અને નાગરિક અધિકારોના સંદર્ભે તે હંમેશની પ્રસ્તુતતા ધરાવે છે
13 એપ્રિલ 1919ની સાંજે, અમૃતસરના જલિયાંવાલા બાગ નામના મેદાનમાં, અંગ્રેજ લશ્કરી અધિકારી જનરલ ડાયરે, પંજાબના મોટા તહેવાર બૈસાખીએ, બ્રિટિશ હકુમતનો વિરોધ કરવા માટે એકઠા થયેલા ભારતીયો પર સતત દસેક મિનિટ ગોળીબાર કર્યો. બધી બાજુથી બંધ એવાં આ મેદાનમાં સપડાયેલાં હ્જારો ભારતીયોમાંથી તેરસો જેટલાં મોતને ભેટ્યાં અને એનાથી ત્રણ ગણાં વધુ ઘવાયાં. જલિયાંવાલા હત્યાકાંડ એકંદરે આ રીતે જાણીતો છે. પણ આઝાદીની લડતમાં તે ચાલકબળની મહત્તા અને નાગરિક અધિકારોના સંદર્ભે હંમેશની પ્રસ્તુતતા ધરાવે છે. હત્યાંકાડની બર્બરતા અને તે કરનારાઓની નિંભરતા તો એની જગ્યાએ છે જ, પણ તેને આઇસોલેશનમાં જોઈ ન શકાય. જનસંહારના ત્રણ દિવસ અગાઉ એટલે કે દસમી એપ્રિલે અને એના પછી એકાદ વર્ષ સુધી પંજાબમાં અસાધારણ અત્યાચારનુ રાજ હતું. તેની વચ્ચે જીવવામાં પંજાબના લોકોનું ખમીર અને અંગ્રેજોનું ખુન્નસ બહાર આવ્યું. દુનિયાભરમાં સિવિલાઇઝ્ડ એટલે કે સુધરેલ અને ઉદારમતવાદી હોવાનો દાવો કરતું ઇન્ગ્લેન્ડ એક અમાનુષ, સામ્રાજ્યવાદી વંશવાદી શાસક તરીકે બહાર આવ્યું.
જલિયાંવાલામાં તેરસોથી વધુ લોકો મોતને ભેટ્યા. પણ આ આંકડો ત્રણસોથી ઓછો બતાવવાનો અંગ્રેજ શાસકોનો ઘૃણાસ્પદ પ્રયાસ અભ્યાસોમાંથી બહાર આવ્યો છે. સૈનિકો ગોળીબાર કરીને જતા રહ્યા પછીની મિનિટોથી લઈને દિવસો સુધી મેદાન પર અને શેરીઓમાં મૃતદેહોની તેમ જ ઘાયલોની જે દુર્દશા થઈ છે, તેની કરુણતા પાછળ સ્થાનિક અંગ્રેજ શાસન તંત્રની લાક્ષણિક ક્રૂરતા હતી. તેના સેંકડો દાખલામાંનો એક : રતન દેવી તેમનાં પતિના મૃતદેહ પાસે શબોના ખડકલા અને જખમીઓનાં પાણી માટેનાં આક્રંદ વચ્ચે આખી રાત, કૂતરાંને દૂર રાખવા હાથમાં લાકડી રાખીને બેસી રહ્યાં. અમાનુષ શાસકોએ પાણી અને વીજળી કાપ્યાં હતાં. દુર્ગંધ મારતાં હત્યા-સ્થળે ગીધ દિવસો સુધી ઘૂમી રહ્યા હતાં. શહેરમાં ‘દેખો ત્યાંથી ઠાર કરો’-ના હુકમ સાથેનો માર્શલ લૉ હતો.
માર્શલ લૉ આખા પંજાબ પર હતો કારણ કે અંગ્રેજોએ લાદેલા રૉલેટ ઍક્ટ નામના ‘કાળા કાયદા’ સામે ગાંધીજીની આગેવાની હેઠળ દેશભરમાં ચાલેલો વિરોધ પંજાબમાં વધુ તીવ્ર હતો. ‘નો વકીલ, નો અપીલ, નો દલીલ’ તરીકે ઓળખાતા આ કાયદામાં પોલીસ પાસે લોકોને જરૂરી કાનૂની કાર્યવાહી વિના પકડવાની અને સજા કરવાની સત્તા આવી હતી. કાયદાનો હેતુ હોમરૂલ અને ખિલાફત ચળવળને પગલે ભારતમાં આઝાદી માટે વેગ પકડી રહેલી ગતિવિધિઓને નિયંત્રણમાં મૂકવાનો હતો. દુનિયાભરમાં સત્તા ગજાવવા ભૂખ્યા થયેલા અંગ્રેજો ભારતીયોને કોઈ પણ પ્રકારની આઝાદી માટે અપાત્ર ગણતા હતા.
પંજાબમાં અંગ્રેજો સામેનો લોકજુવાળ વધુ બળુકો હોવાનાં કારણો હતાં. પહેલાં વિશ્વયુદ્ધમાં અંગ્રેજો માટે લડનાર, મૃત્યુ પામનાર, ઘાયલ થનાર, અને પાછા આવનાર ભારતીય સૈનિકોમાં નાનાં ગામોના પંજાબી રિક્રુટ સહુથી વધારે હતા. તેઓ શાસકો તરફ વફાદારી, કુટુંબ માટે રોજીરોટી માટે અથવા પોલીસે જોરજુલમથી કરેલી ભરતી જેવાં કારણોસર લશ્કરમાં હતા. તેઓ પાછા આવ્યા ત્યારે તેમણે કદરબૂજને બદલે ખુદ માટે બેરોજગારી ઉપરાંત મોંઘવારી, વરસાદની ખેંચથી અછત, ગરીબી જોયાં. વધુમાં દમનકારી રોલેટ ઍક્ટ આવ્યો. તેની સામે મહેનતકશો અને મધ્યમ વર્ગના એકજૂટ શીખ-જાટ-હિન્દુ-મુસ્લિમ લોકોમાં અસાધારણ જુવાળ જાગ્યો. તેની આગેવાની કરનાર ડૉ. સત્ય પાલ અને ડૉ. સૈફુદ્દિન કિચલુ નામના પ્રબુદ્ધ આગેવાનોને અંગ્રેજો ઊપાડી ગયા. તેમને છોડવવાની માગણી સાથે ગયેલા નિ:શસ્ત્ર અમૃતસરવાસીઓના સરઘસ પર પોલીસે કરેલા ગોળીબારમાં ત્રણ-ચાર મોત થયાં. શહેરમાં હિંસા ભડકી. સરકારી મકાનો સળગાવાયાં. બે યુરોપિયન બૅન્ક કર્મચારીઓની હત્યા થઈ, પંદરેક ભારતીયો પોલીસ ગોળીબારમાં મરાયા. બે મહિલાઓ પર હુમલા કરવામાં આવ્યો. આ તોફાનોનો બદલો લેવા અંગ્રેજોએ અમૃતસર, લાહોર, ગુજરાનવાલા અને કસૂરમાં મહિનાઓ સુધી વહીવટ અને માનવતાના તમામ ખ્યાલોને દૂર રાખીને જઘન્ય જુલમકાંડ ચલાવ્યો. તેમાં રેગિનાલ્ડ ડાયર સાથે માઇલ્સ આયર્વિન્ગ, ફ્રૅન્ક જૉન્સન અને માઇકેલ ઑ’ડ્વાયર જેવા અધિકારીઓ સામેલ હતા. ક્રાન્તિકારી ગદ્દર પાર્ટીના ઉધમસિંહે ઑ’ડ્વાયરની 13 માર્ચ 1940ના રોજ લંડનમાં હત્યા કરીને ફાંસીની ફૂલમાળ પહેરી લીધી.
જલિયાંવાલાની સભા દૈત્ય ડાયરે પોતે લાદેલી કડક બંધીની વચ્ચે પણ થવા દીધી તેમાં લોકોને મોટી સંખ્યામાં એક સ્થળે એકઠા કરીને મારવાનો પેંતરો હતો એવું પણ નોંધાયું છે. સરકારના સર્જેલાં યુદ્ધ જેવા માહોલમાં લોકો સાવ નિર્દોષ ભાવે બૈસાખી માટે નહીં, પણ આગેવાનો દ્વારા ઠીક મોબિલાઇઝેશન પછી, પોતાના અધિકારો માટેની સભાનતા સાથે હિમ્મતપૂર્વક આવ્યા હતા. રગેરગ અંગ્રેજ સામ્રાજ્યવાદી ડાયરે હત્યાકાડ તીવ્ર નૈતિક ફરજપરસ્તી, ગૌરવ અને અચૂક આયોજનથી કર્યો હતો (જરૂર પડે તો મશીનગનો પણ તૈયાર રાખી હતી) .મૃતદેહોના નિકાલ અને ઘાયલોની સારવાર માટેની કોઈ જ દરકાર તંત્રએ કરી નહીં, એટલું જ નહીં તેમાં અમાનુષ આડખીલીઓ ઊભી કરી. આવું તેણે દસમી એપ્રિલના મૃતકો માટે ય કર્યું હતું. તે દિવસથી મહિનાઓ સુધી ડાયર અને તેના સાગરિતોએ અમૃતસર જાણે યાતના છાવણી જેવું બનાવી દીધું હતું.
અન્યત્ર પણ અંગ્રેજ આતંક છવાયેલો હતો. હજારો ધરપકડો, કેદમાં અત્યાચાર અને જબરદસ્તીથી કબૂલાતોનો દોર ચાલ્યો હતો. તેમાં હિન્દુ-મુસ્લિમોની એકતા તૂટી. ડાયરની શેતાની સૂઝથી જે સજાઓ શોધાઈ તેમાં ક્રૉલિન્ગ એટલે કે રસ્તા પર કોણી અને ઢીંચણ પર સરકીને ચાલવાની કઠોર સજા બહુ અપમાનજનક હતી. અમૃતસરમાં અંગ્રેજ મહિલા ઇઝાબેલ એડસન પર જ્યાં હુમલો થયો હતો તે શેરીના પચાસ વાર લાંબા એકમાત્ર રસ્તા પર પંદર દિવસ સુધી ક્રૉલિન્ગ ઑર્ડર હતો. એટલે કે એ શેરીના દરેક રહીશે ત્યાંથી પોલીસની લાતો, ગાળો અને ફટકા વચ્ચે થઈને ઘસડાઈને આવવા-જવાનું. બીજી કેટલીક સજાઓ હતી તેમાં ગોરાઓને ચોક્કસ રીતે સલામી આપવી, તડકામાં કૂચ કરવી, ગટરો સાફ કરવી, ભૂખ્યા-તરસ્યા રાખવા અને જાહેરમાં કોરડા મારવા.
અંગ્રેજ પ્રજાએ જલિયાંવાલા માટે એકમતે સત્તાવાર રીતે માટે ક્ષમાયાચના તો જવા દો, સામૂહિક સંવેદના કે પસ્તાવાનો હરફ પણ વ્યક્ત કર્યો નથી. એક મોટા હિસ્સાને પંજાબનું લશ્કરી રાજ સામ્રાજ્યના કાયદો અને વ્યવસ્થા માટે ન્યાયોચિત પણ લાગ્યું હતું. અંગ્રેજ સંસદના ઉપલા ગૃહે ડાયરનાં કૃત્યને ટેકો આપતો ઠરાવ પસાર કર્યો. ઇંગ્લેન્ડ લોકોએ તેનું સન્માન કર્યું હતું અને તેના માટે ફાળો એકઠો કર્યો.
યાદ રહે કે પંજાબમાં જુલમરાજનાં મૂળમાં નાગરિકોના અધિકાર અને ગૌરવ છિનવનારા કાયદાને દૂર કરવાની માગણી હતી. આઝાદ ભારતમાં આવા કાયદા જે તે સમયે જુદા જુદા પક્ષોની સરકારે લાદ્યા છે અથવા લાદવાની કોશિશ કરી છે. અત્યારે પણ વપરાતો સેડિશનનો એટલે કે રાજદ્રોહનો કાયદો તો રોલેટ ઍક્ટના હિસ્સા તરીકે પણ હતો. તે ઉપરાંત આફસ્પા, ઇમર્જન્સી ઍક્ટ, ડિફેમેશન, ટાડા, પાસા, પોટા, મકોકા, ગુજસીટૉક, યુએપીએ જેવા પણ નોંધી શકાય. આ કાયદાઓ જે ખતરનાક ગુનાઓને અટકાવવા માટે છે તે પ્રકારના ગુનાઓના બચાવ ન જ થઈ શકે. સાથે એ પણ કહેવું રહ્યું કે આ કાયદાઓનો ઉપયોગ સરકારો લોકોની વાજબી માગણીઓને કે પોતાના વિરોધીઓને ડામવા માટે કરતી રહી છે. તેના ભાગ તરીકે કેટલીક વાર આગેવાનોને ઊઠાવી જવા, ગેરકાનૂની અટકાયતો, બળજબરી કબૂલાતો, એનકાઉન્ટર્સ, એક્સ્ટ્રા જ્યુડિશ્યલ કિલિન્ગ્સ, વિરોધ પ્રદર્શનો પર બંધી, ગેરવાજબી બળપ્રયોગ અને ક્યારેક ગોળીબાર જેવા રસ્તા પણ અપનાવાતા રહ્યા છે. આંદોલનકારી સમૂહોએ અને કર્મશીલોએ આ વેઠ્યું છે, વેઠી રહ્યા છે. તેના અનેક દાખલા સમકાલીન ઇતિહાસમાંથી મળી શકે છે.
નાગરિકો પક્ષે જલિયાંવાલાનો ઇતિહાસબોધ દેશભક્તિ હોય તો સરકાર છેડે તે સાથે નાગરિક સ્વાતંત્ર્યની જાળવણીનો પણ છે.
********
10 એપ્રિલ 2019
[‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 12 એપ્રિલ 2019]