ગુરુમહિમાના અતિરેકમાં ‘ગુરુ’ વિભાવના તરફનાં ક્રિટિકલ કે સમ્યક દૃષ્ટિબિંદુઓ પર ધ્યાન જતું નથી. અખાના છપ્પા અને દ્રોણાચાર્યના પુરાકલ્પનની ટીકા જેવા ભિન્નમત પણ વિચારણીય છે
ગુરુમહિમાના અતિરેકે આપણા સમાજમાં કાળો કેર વર્તાવ્યો છે. તેને પરિણામે પોતાનાં નામ પહેલા સદગુરુ, બાબા, સ્વામી, માતા, સંત, ધ.ધૂ.પ.પૂ. જેવાં લટકણિયાં લગાવનારાંનો રાફડો ફાટી નીકળ્યો છે. તેમાંથી ઘણાંએ આડંબર અને ઐયાષી, સંપત્તિ અને સત્તાનાં તો કોટકિલ્લા ચણી દીધા છે. તેને ભેદવા માટે સુરક્ષા દળો ઊતારવાની અદાલતોએ આ દેશની સરકારોને ફરજ પાડી છે. વૈજ્ઞાનિક અભિગમને બંધારણીય પ્રતિજ્ઞાથી વરેલા ભારતના શાસકો પણ ગૉડમેનોને ગણતરીપૂર્વક શરણે ગયા છે. આઝાદ ભારતનાં રાજકારણીઓના ગુરુઘંટાલો સાથેનાં ગઠબંધનોની લાંબી યાદી છે. તેનાથી બિલકુલ વિપરિત, આપણા બે મનીષીઓના ગુરુઓ કે માર્ગદર્શકો યાદ કરવા જેવા છે. ગાંધીજીના ગુરુઓ રાજચન્દ્ર, ટૉલ્સ્ટૉય, રસ્કિન અને થોરો હતા; આંબેડકરે બુદ્ધ, કબીર અને જોતિરાવ ફુલેને ગુરુ ગણ્યા હતા.
ગોબરી ગુરુબાજીના માહોલમાં ગુરુ સંકલ્પના વિશે ક્રિટિકલ કે સમ્યક દૃષ્ટિથી થયેલી અભિવ્યક્તિઓ નજરઅંદાજ કરવા જેવી નથી. તેમાં સત્તરમી સદીનો કવિ અખો મોખરે છે. આ તત્ત્વદર્શીએ છપ્પામાં તેના સમયના દંભી અને અહંકારી ગુરુઓ પર જે ચાબખા માર્યા છે તે ગુજરાતી સાહિત્યમાં અજોડ છે. છપ્પાના વિષય મુજબ કરેલા વિભાગો ‘અંગ’ તરીકે ઓળખાય છે. એકાવન અંગમાં તેમાં ત્રીજા જ ક્રમે ‘ગુરુ અંગ’ છે. તેનાં પાંચેય છપ્પામાં આ ‘હસતા કવિ’એ ગુરુ વિભાવના પર વ્યંગ કર્યો છે. અખાજી ગુરુને પૂછે છે : ‘ ગુરુ થઈ બેઠો હૂંસે કરી, કંઠે પહાણ શકે ક્યમ તરી?’. સલાહ આપીને સવાલ કરે છે : ‘તું તારું મન નાહનું પીસ, શાને મોહોટમ લે છે શીશ ?’અને ‘તું તારું સલૂઝીને બેસ, કાં ચોળે ડીલ પિયારી મેશ?’ વળી એ સીધું જ કહી દે છે: ‘પહેલે પેર પરમારથ પ્રીછ, પછે ગુરુ થાવાને ઇચ્છ’. આવા વિચાર સાથેના છૂટાછવાયા છપ્પા અન્ય વિભાગોમાં પણ છે. જેમ કે, ‘ફુટકળ અંગ’માં તે લખે છે : ‘દેહાભિમાન હૂતો પાશેર, તે વિદ્યા ભણતા વાધ્યો શેર
ચર્ચા વાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો’.
અખાનો બહુ જાણીતો છપ્પો છે :
‘ગુરુ કર્યા મેં ગોકુળનાથ, ઘરડા બળદને ઘાલી નાથ
ધન હરે ધોકો નવ હરે, એવો ગુરુ કલ્યાણ શું કરે?’
જો કે કેટલાક છપ્પા અને ‘અખેગીતા’ના કડવાંમાં અખાએ સદગુરુનું ભારે ગૌરવ કર્યું છે. એમ કબીરે દોહામાં પણ કર્યું છે. છતાં તેમને પણ એમ કહી રાખવાની જરૂર જણાઈ છે કે :
‘ગુરુ લોભ શિષ લાલચી, દોનોં ખેલે દાવ
દોનો બુઢે બાપુરે,ચઢી પાથર કી નાંવ.’
ગુરુ વિશેની એક સાફ વાત આંતરરાષ્ટ્રીય નામના ધરાવતા ગણિતશાસ્ત્રી પ્ર.ચૂ. વૈદ્યે કરી છે. વૈવિધ્યપૂર્ણ વાચનીય નિબંધિકાઓનાં, ‘પસ્તીનાં પાનાં’ નામનાં સંગ્રહમાં તે નોંધે છે: ‘મને આ ગુરુ-શિષ્ય પરંપરામાં શ્રદ્ધા નથી. ગુરુ વિના જ્ઞાન પ્રાપ્ત થાય જ નહીં, અને જ્યારે જ્યારે તકલીફ પડે ત્યારે ઝટ પહોંચી જવા એક ગુરુ રાખવો એ કાંઈ મને યોગ્ય લાગતું નથી. મારો ગુરુ તો હું પોતે, મારે વળી બીજા ગુરુની શી જરૂર ? અને જો હું પોતે સ્વપ્રયત્ને જ્ઞાન પ્રાપ્ત કરી શકીશ એટલી શ્રદ્ધા ધરાવતો ન હોઉં તો પછી મારે ગુરુની જરૂરત શી રહી ?’ નિબંધિકાને અંતે વૈદ્યસાહેબ કાકા કાલેલકરના ‘વાત્સલ્યની પ્રસાદી’માંથી ટાંકે છે :‘માણસને બધી રીતે ઓળખી શકે તેવો તો તે પોતે જ હોઈ શકે … ગુરુ પોતાની પાસેનું બધું આપવા તૈયાર હોય છતાં અંતિમ આધાર શિષ્યની લેવાની શક્તિ પર જ હોઈ શકે. એથી ગુરુનિષ્ઠા કરતાં શ્રેષ્ઠ છે આત્મનિષ્ઠા.’
જો કે આ ફકરો સૂચવે છે તેટલું, ગુરુ-શિષ્ય-સંબંધ પરનું આ પુસ્તક જલદ નથી. મહારાષ્ટ્રના જાણીતા સમાજસુધારક, સાહિત્યકાર અને મૌલિક ચિંતક સાને ગુરુજી ‘ભારતીય સંસ્કૃિત’ પુસ્તકના ‘ગુરુ-ભક્તિ’ પ્રકરણમાં ગુરુ એટલે જ્ઞાન, ધ્યેય અને આપણો ભૂતકાળ એવો ખ્યાલ રજૂ કરે છે. જ્ઞાનમાર્ગી ગુરુઓ કે તેમને મળતી આવતી વ્યક્તિરેખાઓ મનુભાઈ પંચોળી ‘દર્શક’ની નવલકથાઓમાં મળે છે. વળી માત્ર સાહિત્યની દુનિયામાં નહીં રાચનારા દર્શક આચાર્યને સત્તા અને સંપત્તિ સામે શિક્ષણની સ્વાયત્તતાના પુરસ્કર્તા પણ બનાવે છે. જ્ઞાનપીઠ સન્માનિત મરાઠી કવિ વિંદા કરંદીકરે અભંગ સ્વરૂપે રચેલી એક કવિતામાં ‘સત્યજ્ઞાન વધારનારા’ સદગુરુઓને વંદન કર્યા છે. તેમાં છે : પાયથાગોરસ, ન્યૂટન અને આઇન્સ્ટાઈન જેવા ‘બ્રહ્મવેત્તા’; આત્મજ્ઞાન આપનારા ફ્રૉઇડ અને ડાર્વિન; ‘મૃત્યુંજય ધન્વન્તરી’ પાશ્ચર અને મેરી ક્યુરી; ‘દલિતોના તારણહાર અને ઇતિહાસના મરમી’ કાર્લ માર્ક્સ, ‘ભાવદ્રષ્ટા’ શેક્સપિયર-કાલિદાસ-વ્યાસ-હોમર.આખરે કવિ સદગુરુ પાસે માગે છે કે દાસનું દાસત્વ નાશ પામો.
ખુદ દાસ હોય એવા ગુરુ ખૂબ તેજસ્વી શિષ્યના હીરને હણી નાખે એવું દૃષ્ટાન્ત ગુરુ દ્રોણાચાર્યની કથામાં છે. દ્રોણ યાચક વૃત્તિના અભ્યાસી શસ્ત્રાસ્ત્રવિદ્યાનિપુણ શિક્ષક ઉચ્ચ વર્ણના ભીષ્મનાં આમંત્રણથી કૌરવ પાંડવોના ગુરુ બન્યા. તેમની પાસે આદિવાસી રાજા હિરણ્યધનુનો પુત્ર પણ શીખવા માટે આવ્યો. મહાભારતકાલીન સમાજની વર્ણવ્યવસ્થાના ભેદભાવ દ્રોણનાં પણ લોહીમાં હતા. એટલે એમણે એકલવ્યને વિદ્યા આપવાનો ઇન્કાર કર્યો. ગુરુ વિશે પરંપરાગત આદરના ખ્યાલથી બંધાયેલા વનવાસી વ્યાધપુત્રે ગુરુદ્રોણની મૂર્તિ બનાવીને ધર્નુર્વિદ્યાની સાધના કરી. તેની નિપુણતા જ્યારે દ્રોણે ખુદ જોઈ ત્યારે તેમણે એકલવ્યનો અંગૂઠો ગુરુદક્ષિણા તરીકે માગ્યો (અત્યારના ગુરુઓ તેમની ભૂરકીમાં આવેલી સ્ત્રીઓ પાસેથી તેનો દેહ માગે છે!).
એમને હતું કે નીચી ગણાતી કોમના વિદ્યાર્થી થકી રાજપુત્ર વિદ્યાર્થી અર્જુનનો ઇજારો તૂટવો ન જોઈએ. રાજપુત્રોને યુદ્ધવિદ્યા શીખવતી વખતે દ્રોણનો એક આશય તેને અપમાનિત કરનાર જૂના દુશ્મન દ્રુપદ રાજા પર પોતાના શિષ્યો થકી વેર વાળવાનો પણ હતો. જો કે મહાભયંકર યુદ્ધ દરમિયાન આવેલો દ્રોણનો જે કરુણ અંત આવ્યો એમાં તેમના જ શિષ્યોએ ખેલેલાં કાવતરાંનો પણ ફાળો હતો. તેની પણ એક વક્રતાભરી કથા છે. હિન્દી નાટ્યકાર શંકર શેષે ‘એક ઔર દ્રોણાચાર્ય’ નાટકમાં દ્રોણને ‘રાજકીય અન્નની દાસ્યતા’ સ્વીકારનારા તેમ જ વિદ્યાર્થીઓને ‘યુદ્ધનો ઉન્માદ આપનારા’ શિક્ષક તરીકે નિરૂપ્યાં છે. નાટકના અંત ભાગમાં દ્રોણાચાર્યને યુદ્ધના ભણકારા થાય છે, નજર સામે પોતાના જ વિદ્યાર્થીઓની લાશો આવે છે. આવો ઉદ્વેગ દ્રોણને ધૂમકેતુના ‘એકલવ્ય’ નાટકમાં લોહી નીગળતો અંગૂઠો મળે છે તે ઘડીથી જ થવા લાગે છે.
આવી સાહિત્યકૃતિઓમાં ભલે દ્રોણને અપરાધબોધી બતાવ્યો હોય, આપણા સમાજના એક હિસ્સાને આવું કશું નથી. ભારત સરકાર હજુ પણ રમતગમતમાં ઉત્તમ કોચને 1985 થી ‘દ્રોણાચાર્ય સન્માન’ આપે છે. હરયાણાના ‘ગુડગાવ’, એટલે કે ‘ગોળનું ગામ’, એવાં બિલકુલ સ્થાનિક બોલીમાંથી આવેલાં સરસ મજાનાં નામને બદલીને, ગુરુગ્રામ બનાવે છે. તેના માટે વળી પુરાણોનો હવાલો આપે છે. દલિત વિષયના અભ્યાસી ગેઇલ ઑમવેટ, નબળા જૂથોને પદ્ધતિસર વંચિત રાખવાની યંત્રણા પાછળની માનસિકતા માટે મીરા કુમારે પ્રયોજેલો ‘દ્રોણાચાર્ય માઇન્ડ-સેટ’ શબ્દપ્રયોગ ટાંકે છે. જો કે જૂનાગઢમાં 1939થી વીસેક વર્ષ કન્યાકેળવણીનું પાયાનું કામ કરનાર સરસ્વતી સમાં શિક્ષિકા સરલાતાઈ જોશી એક નોંધપાત્ર વાત કરતાં: ‘આધુનિક સમયમાં શિક્ષકનું કામ એકલવ્યોને અંગૂઠા પાછા આપવાનું છે.’
એકલવ્યની વાત ફરીથી ક્યારેક.
**********
26 જુલાઈ 2018
સૌજન્ય ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 27 જુલાઈ 2018