તાજેતરમાં અદાલતોએ નવ વર્ષથી ફાંસીની સજા પામેલા છ મજૂરો અને પચીસ વર્ષથી આતંકવાદના આરોપ હેઠળ જીવતા અગિયાર મુસ્લિમ નાગરિકો નિર્દોષ મુક્ત કર્યા
નવ વર્ષથી ફાંસીએ લટકવાની રાહ જોઈ રહેલ છ ખૂબ ગરીબ મજૂરોને સર્વોચ્ચ અદાલતે પાંચમી માર્ચે નિર્દોષ જાહેર કર્યા. વિચરતી જાતિઓના આ છ નાગરિકોને હત્યા, લૂંટ અને બળાત્કારના ગુનાઓના આરોપ હેઠળ જૂન 2003થી એપ્રિલ 2009 દરમિયાન સર્વોચ્ચ અદાલત સહિત ત્રણ અદાલએ ફાંસીની સજા ફરમાવી હતી. સહુથી પહેલાં, મહારાષ્ટ્રના નાસિકની સેશન્સ કોર્ટે તેમને ચાંદવડ તાલુકાના બેલટગવાણ ગામના ત્ર્યંબક સાતોટેના પરિવારમાં જૂન 2003 માં કરેલા ઉપરોક્ત ગુનાઓ માટે જૂન 2006માં ફાંસી ફરમાવી હતી. મુંબઈની વડી અદાલતે ફેબ્રુઆરી 2007માં આ છ ગુનેગારોમાંથી ત્રણની ફાંસીની સજાને જનમટીપમાં બદલી હતી. તેની સામે રાજ્ય સરકારે અપીલ કરતાં સર્વોચ્ચ અદાલતે એપ્રિલ 2009માં વળી પાછી તમામને ફાંસી આપી. પણ સર્વોચ્ચ અદાલતે ઑક્ટોબર 2018માં રિવ્યૂ પીટિશન સ્વીકારીને સૂનાવણીઓ બાદ ગયાં અઠવાડિયે તમામ છ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.
ત્રણ ન્યાયમૂર્તિઓની બેન્ચે આપેલા ચૂકાદામાં એ મતલબનું જણાવવામાં આવ્યું છે કે ‘તપાસ કરનાર અને કારવાઈ કરનારને અમે સખત રીતે વખોડીએ છીએ’, ‘તપાસ ન્યાયપૂર્ણ અને પ્રામાણિક ન હતી’ અને ‘વિચરતી જાતિઓમાંથી આવતા માણસોને તેમાં ખોટી રીતે સંડોવવામાં આવ્યા છે’, તેમણે 16 વર્ષ જેલમાં વીતાવ્યાં છે, સાચા ગુનેગારો ‘કાયદાની પકડમાંથી છૂટી ગયા છે’. અદાલતે રાજ્ય સરકારને આપેલા આદેશમાં દરેક વ્યક્તિને એક મહિનાની અંદર પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાનો અને જે અધિકારીઓની ભારે ભૂલો અને બેદરકારીને કારણે કારવાઈ નિષ્ફળ નીવડી છે, તેમને શોધીને તેમની પર ત્રણ મહિનામાં ખાતાંકીય પગલાં લેવાનો આદેશ આપ્યો છે. અદાલતનું ખૂબ મહત્ત્વનું નિરીક્ષણ આ મતલબનું છે: ‘એ નોંધવું જોઈએ કે તમામ આરોપીઓ વિચરતી જાતિઓના અને ખૂબ ગરીબ મજૂરો છે. એટલા માટે આ કેસમાં હકીકતો અને સંજોગો ધ્યાનમાં લેતાં ખોટી રીતે થયેલી સંડોવણી નકારી શકાય નહીં, કારણ કે એ સામાન્ય બાબત છે કે ક્યારેક નિર્દોષ લોકો ગંભીર ગુનાઓના આરોપોમાં ફસાઈ જતાં હોય છે.’
આ ચૂકાદાથી આપણા સમાજમાં પ્રવર્તતી અસમાનતાના સંદર્ભમાં પોલીસતંત્રની કાર્યપદ્ધતિ અને ન્યાયવ્યવસ્થા ઉપરાંત મૃત્યુદંડની સજાનો મુદ્દો ફરીથી ચર્ચાને એરણે ચડ્યો છે. અભ્યાસો બતાવે છે કે આપણી ક્રિમિનલ જસ્ટીસ સિસ્ટમ પણ વર્ગ અને જાતિભેદને આધારે ચાલે છે, એટલે ફાંસીની સજા પામનારમાં સહુથી વધુ સંખ્યા ગરીબો, દલિતો અને આદિવાસી નાગરિકોની હોય છે. બહુ ગવાયેલા કેસોમાં પ્રોઝિક્યૂશન પર વધુમાં વધુ સજા કરાવવાનું દબાણ હોય છે, નીચલી અદાલતો મોતની સજા ફટકારતી હોય છે. એ અદાલતોએ જાહેર કરેલી આવી સજાઓમાંથી ઘણીને ઉપલી અદાલતો કાચા પૂરાવા અને અયોગ્ય તપાસને કારણે બદલી નાખે છે. 2018માં સર્વોચ્ચ અદાલતે મૃત્યુદંડની બાર સજાઓમાંથી અગિયાર સજાઓને જનમટીપમાં ફેરવી હતી. ‘ડેથ પેનલ્ટી ઇન્ડિયા રિપોર્ટ’ મુજબ 2000થી 2015નાં વર્ષોમાં ટ્રાયલ કોર્ટોએ 1,486 આરોપીઓને આપેલી મૃત્યુદંડની સજામાંથી ફક્ત 73 એટલે કે 4.9% કિસ્સામાં જ વડી અને સર્વોચ્ચ અદાલતોએ બહાલી આપી છે. વળી આ 1,486માંથી 443 એટલે કે 29.8% જેટલા તો નિર્દોષ જાહેર થયા છે.
આવા નિર્દોષોમાં ગુજરાતના ઓછામાં ઓછા છ જણનો સમાવેશ હોઈ શકે. આ છને સપ્ટેમ્બર 2002 અક્ષરધામ પરના હુમલાના આરોપમાંથી સર્વોચ્ચ અદાલતે નિર્દોષ જાહેર કરેલાં. પ્રિવેન્શન ઑફ ટેરરિઝમ ઍક્ટ’(પોટા) કોર્ટે તેમને મોતની સજા ફરમાવી હતી જે પછી ગુજરાતની હાઇકોર્ટે પણ ચાલુ રાખી હતી. સુપ્રીમ કોર્ટના ચૂકાદાથી તેઓ 16 મે 2014 એટલે કે લોકસભાની ગઈ ચૂંટણીનાં પરિણામોના દિવસે મુક્ત થયા. પણ તે પહેલાંનાં અગિયાર વર્ષમાં તેમણે જે વેઠ્યું તેની વાત નિર્દોષ મુક્ત થયેલા મુફ્તિ અબ્દુલ કય્યુમ અહેમદ હુસેન મન્સૂરીએ લખેલાં ‘ગ્યારહ સાલ સલાખોં કે પીછે’ નામના અસ્વસ્થ કરનારાં પુસ્તકમાં વાંચવા મળે છે. તેના કેટલાક એપિસોડસ આ અખબારે પણ એ સમયે સ્થાન આપ્યું હતું.
અગિયાર વર્ષ કેદમાં વીતાવનારા છ નિર્દોષો આતંકવાદ વિરોધી ‘પોટા’ કાનૂનમાં ધકેલાયા હતા. આતંકવાદ વિરોધી ‘ટાડા’ (ટેરરિસ્ટ ઍન્ડ ડિસરપ્ટિવ ઍક્ટિવિટિઝ પ્રિવેન્શન ઍક્ટ) કાનૂન હેઠળના આરોપમાંથી તાજેતરમાં 11 નાગરિકો પચીસ વર્ષની લડત પછી મુક્ત થયા. તેને લગતા સમાચાર સાતમી માર્ચે પ્રસિદ્ધ થયા. તે મુજબ મહારાષ્ટ્રનાં ભુસાવળ શહેરની પોલીસે અગિયાર જણને કાશ્મીરી આતંકવાદી સાથે મળીને કાવતરું કરવાના આરોપસર મે 1994માં ગિરફ્તાર કર્યા હતા. એ દિવસોમાં બાબરી ધ્વંસ (ડિસેમ્બર 1992) અને મુંબઈ બૉમ્બ ધડાકા(માર્ચ 1993)ને પગલે ઊભો થયેલો માહોલ હતો. આ મુસ્લિમ આરોપીઓમાં ત્રણ ડૉક્ટરો, એક એન્જિનિયર, પીએચ.ડી. મેળવનાર એક સંશોધક અને છ વખત ચૂંટાયેલ એક મ્યુનિસિપલ કાઉન્સિલર હતા. તેમાંથી નવ ભુસાવળનાં અને બે મુંબઈનાં છે. નાસિકની સ્પેશ્યલ કોર્ટે તેમને સપ્ટેમ્બર 1994માં ‘ટાડા’નો અયોગ્ય ઉપયોગ થયો હોવા સબબ જામીન આપ્યા. તે પહેલાં તેઓ પીડાકારક કારાવાસ વેઠી ચૂક્યા હતા. પછીનાં પાંચેક વર્ષ દરમિયાન પોલીસની નિષ્ક્રિયતા જોતાં આરોપીઓએ ખુદ વડી અદાલતમાં અરજી કરતાં તેના આદેશ મુજબ પોલીસે ફેબ્રુઆરી 1999માં ઉતાવળે ચાર્જશીટ મૂકી. ‘ટાડા’ 1995માં પડતો મૂકાયો એટલે 2003માં સરકારે કાર્યવાહી પડતી મૂકવાની ભલામણ કરી, પણ કોર્ટે તે સ્વીકારી નહીં. આખરે આરોપીઓએ 2012માં સર્વોચ્ચ અદાલતમાં દાદ માગતાં 2016માં એ અદાલતે એક વર્ષની અંદર કેસ ચલાવવાનો આદેશ આપ્યો, પણ મુકદ્દમો જુલાઈ 2018માં શરૂ થયો અને હમણાં 27 ફેબ્રુઆરી 2019ના રોજ આરોપીઓને નિર્દોષ જાહેર કરતો નાસિક સ્પેશ્યલ કોર્ટનો ચૂકાદો આવ્યો.
ન્યાયની ગતિ ન્યારી હોય છે. પૂના પાસેના હડપસરમાં મોહસિન શેખ નામના યુવાનની હિન્દુ રાષ્ટ્ર સેના નામના સંગઠનના કાર્યકરોએ જૂન 2014માં હત્યા કરી હોવાનો આરોપ છે. તેમાંથી ત્રણ કાર્યકરોને જાન્યુઆરી 2015માં જામીન આપતાં મુંબઈની વડી અદાલતના ન્યાયમૂર્તિએ એ મતલબનું કહ્યું કે ‘મૃતકનો વાંક એટલો જ કે એ બીજા ધર્મનો હતો … અરજદારોનો ગુનાઈત ભૂતકાળ નથી અને એમ લાગે છે કે તેઓ ધર્મને નામે ઉશ્કેરાયા અને તેમણે હત્યા કરી’. હરયાણાના પૂર્વ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ એસ.પી.એસ. રાઠોર અત્યારે 77 વર્ષનો છે. તેણે 48 વર્ષની ઉંમરે ચૌદ વર્ષની એક વિદ્યાર્થીનીની છેડતી કરી. તેની સામે લડત આપતા પોતાના મા-બાપ અને ભાઈની આરોપીએ જે કથિત હાલત કરી તે જોઈને છોકરીએ આત્મહત્યા કરી. દસ વર્ષે રાઠોર પર છેડતીનો કેસ થયો, પણ આત્મહત્યામાં કારણ બનવાનો નહીં. પણ તે પહેલાં તેને પોલીસમાં બઢતીઓ મળતી રહી. નવ વર્ષે ચૂકાદો આવ્યો. તેમાં તેને અઢાર મહિનાની જેલ થઈ. તેમાં પાંચ મહિના વીતાવ્યા બાદ તેને અદાલતે જામીન આપ્યા, છ વર્ષ પછી અદાલતે આ પાંચ મહિનાને પૂરતી સજા ગણી. તેને દોષિત તો ગણ્યો, એ વખતે રાઠોર એ 74 વર્ષનો હતો. તેની ‘બહુ વધારે ઉંમર’, હૃદયની બીમારીથી પીડાતી અપરિણિત દીકરી અને તેની ‘ગુણવત્તાપૂર્ણ નોકરી’ને ધ્યાનમાં રાખીને અદાલતે નક્કી કર્યું કે તેણે જેટલા પાંચ મહિના સજા ભોગવી છે તેટલી પૂરતી ગણીએ તો ન્યાય થયો કહેવાશે. કાનૂની યંત્રણા કેવી હોય છે તે મનોજ મિત્તાએ લખેલાં દિલ્હીમાં શીખો વિરુદ્ધનાં રમખાણો અને ગોધરાકાંડ પરનાં પુસ્તકો, કે મનીષા સેઠીના ‘કાફ્કાલૅન્ડ’ જેવા લેખસંગ્રહ પરથી સમજાય. વળી, કેદખાનાંનાં સળિયા પાછળનો કણસાટ સંભળવા ઝવેરચંદ મેઘાણીનાં ‘જેલ ઑફિસની બારી’ કે ગુનેગારમાંના ઇન્સાનને ઉજાસમાં લાવવા ‘માણસાઈના દીવા’ પુસ્તકો વાંચવા રહ્યાં.
13 માર્ચ 2019, બુધવાર, મધ્યરાત્રિ
**********
(‘ક્ષિતિજ’ નામક સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 15 માર્ચ 2019)