આપણી ચૂંટણીનો એક મુદ્દો આતંકવાદ છે, સ્વીડનની ચૂંટણી પર્યાવરણના મુદ્દે લડાઈ છે ત્યારે બંને કિશોરોની પ્રેરક કામગીરી નોંધપાત્ર બને છે…..
પુલવામામાં આતંકવાદી હુમલા બાદ દેશમાં કેટલીક જગ્યાએ કાશ્મીરીઓ પર હુમલા થયા. દેશને નફરત અને હિંસા સિવાય કશું ન આપી શકનારા કેટલાક ‘દેશભક્તો’એ પોતાના ઘૃણાસ્પદ રાષ્ટ્રપ્રેમના કશ લગાવવાનો વધુ એક દોર ચલાવ્યો. તેની ટીકા કરતાં ય આપણા વડાપ્રધાનને છ દિવસ લાગ્યા. કાશ્મીરી વિદ્યાર્થીઓ પરના હુમલાઓની બાબતમાં તો ખુદ સર્વોચ્ચ અદાલતે અગિયાર રાજ્યોને ટકોર કરવી પડી. ‘આતંકવાદીઓને આશરો આપનાર કાશ્મીરીઓ’ને કચડવાનો ઉપરોક્ત ‘રાષ્ટ્રપ્રેમીઓ’નો કેફ હજુ ઊતર્યો નહીં હોય, ત્યાં તો વળી રાષ્ટ્રપતિએ ઇરફાન શેખ નામના કાશ્મીરી કિશોરનું આતંકવાદીઓનો સામનો કરવા બદલ શૌર્યચક્ર આપીને સન્માન કર્યું. સોળ વર્ષના ઇરફાને બે વર્ષ પહેલાં એક આતંકવાદીને મારી નાખ્યો, પણ પોતાના પિતા ગુમાવ્યા. માતા અને ભાંડરાંને તે બચાવી શક્યો, પણ તેનું ઘર નાશ પામ્યું. ઇરફાનનાં સન્માનની નોંધ હોળીના રંગના અને દેશભક્તિભરી ચૂંટણીના જંગના સમાચારોની વચ્ચેથી શોધીને પણ લેવી ઘટે.
ઓગણીસમી માર્ચે શોપિયાનના રહેવાસી ઇરફાન રમઝાન શેખને જે શૌર્યચક્રથી નવાજવામાં આવ્યો, તે અશોક ચક્ર અને કીર્તિ ચક્ર પછીના ક્રમે આવતું શાંતિ સમયનું વીરતા સન્માન છે. ઇરફાનને તે ડિફેન્સ ઇન્વેસ્ટિચર સેરિમની એટલે કે રક્ષા અલંકરણ સમારોહમાં આપવામાં આવ્યું. શહીદ જવાનોનાં માતા કે પત્ની, વિશેષ કામગીરી બતાવનારા સેના અધિકારીઓ અને સૈનિકોનું ગૌરવ કરવા માટે આ વાર્ષિક સમારંભ યોજાતો હોય છે. તેમાં લશ્કરની ત્રણેય પાંખોના વડાઓ ઉપરાંત વડાપ્રધાન સહિત અનેક અગ્રણીઓ હાજર રહેતા હોય છે. તેમાં આ વર્ષનાં પચાસ સન્માનિતોમાં ઇરફાન શેખ એક માત્ર બિનલશ્કરી નાગરિક છે.
ઇરફાનના પિતા કાશ્મીરની પિપલ્સ ડેમૉક્રટિક પાર્ટીના શોપિયાન ખાતેના આગેવાન અને માજી સરપંચ હતા. આતંકવાદીઓએ 16 ઑક્ટોબર 2017ની મધરાતે તેમના ઘરને ઘેરી લીધું. ચૌદ વર્ષના ઇરફાને બારણું ખોલ્યું એટલે ઘરના વાડામાં બંદૂકો અને ગ્રેનેડ લઈને ઊભેલા આતંકવાદીઓ તેને દેખાયા. તેઓ ઘરનાં બારણાં તરફ આવી રહ્યા હતા એટલે ઇરફાને તેમને રોકવાની કોશિશ કરી. એ મૂઠભેડ દરમિયાન ઘરની બહાર નીકળી રહેલા ઇમરાનના પિતા રમઝાન પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા. પિતા લોહીનાં ખાબોચિયામાં તરફડી રહ્યા હતા, છતાં ઇરફાન હિમ્મત ન હાર્યો. હાથમાં જે કંઈ આવ્યું એ લઈને તે ગોળી ચલાવનાર આતંકી પર તૂટી પડ્યો અને તેને ખતમ કરી દીધો. તે જોઈને બાકીના બે આતંકીઓ ભાગી છૂટ્યા. ઇરફાનના પિતા હોસ્પિટલમાં લઈ જતી વખતે મૃત્યુ પામ્યા. પછીની ભયંકર ઘટના તો એ પણ કે હુમલાના બીજા દિવસે આતંકવાદ તરફી જૂથોએ ઇરફાનના ઘરને સળગાવી દીધું.
હવે એનો પરિવાર અન્યત્ર રહે છે. તેના માતા જમ્મુ-કાશ્મીરમાં સરકારી નોકરીમાં છે. ઇરફાન અત્યારે દસમામાં છે અને સનદી અધિકારી બનવા માગે છે. જો કે હમણાં જાન્યુઆરીમાં કાશ્મીરના યુવા સનદી અધિકારી શાહ ફેઝલે કેન્દ્ર સરકારના વિરોધમાં રાજીનામું આપ્યું છે અને તાજેતરમાં તેમણે રાજકીય પક્ષ સ્થાપ્યો છે. કુપવારાના વતની ફેઝલ 2010માં સનદી પરીક્ષામાં આખા ભારતમાં પહેલાં ક્રમે હતા. તેમણે વિરોધના કારણો આ મુજબ જણાવ્યા છે :‘કાશ્મીરમાં સતતની હત્યાઓ, કેન્દ્ર સરકારમાં કાશ્મીરીઓ સુધી પહોંચવામાં નિષ્ઠાનો સદંતર અભાવ, હિન્દુત્વવાદી પરિબળો દ્વારા વીસ કરોડ ભારતીય મુસ્લિમોને હાસિયા બહાર મૂકવાની અને તેમને નજરબહાર કરી દેવાની પ્રક્રિયા.’ ઇરફાન આ જાણતો હોય કે ન હોય, પણ તેણે સનદી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું સપનું સેવ્યું છે.
સ્વીડનની પંદર વર્ષની છોકરી ગ્રેટા થુનબર્ગ પ્રદૂષણમુક્ત દુનિયાનું સ્વપ્ન સેવી રહી છે. ચૌદમી માર્ચે તેના નામની ભલામણ વિશ્વમાં શાંતિકાર્ય માટેનાં નોબલ સન્માન માટે કરવામાં આવી. નવમા ધોરણમાં ભણી રહેલી ગ્રેટાએ પર્યાવરણ બચાવવા માટેની માગણી સાથે ગયાં વર્ષે 20 ઑગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી સ્વીડનનાં પાટનગર સ્ટૉકહોમમાં સંસદના દરવાજે ધરણાં કર્યાં. તેનું પોસ્ટર હતું ‘સ્કૂલ સ્ટ્રાઇક ફૉર ધ ક્લાઇમેટ’. વળી તેણે પોતાની સાથે પર્યાવરણને લગતી પત્રિકાઓ અને ભણવાનાં પુસ્તકો રાખ્યાં હતાં. ગ્રેટા શાળાના સમય દરમિયાન હડતાળ પર બેસતી અને શાળાનો સમય પૂરો થતાં ઘરે જતી. શાળા તેની સામે પગલાં લે તો તેના માટે ગ્રેટા તૈયાર હતી. ગ્રેટાની હડતાળમાં તેના એક શિક્ષક બેન્જામિન વૅગનર પણ ‘કપાતા પગારે અને પરિણામો માટેની તૈયારી સાથે’ જોડાયા હતા. ગ્રેટાનાં માતાપિતા હડતાળના વિરોધમાં હતાં. પણ તેમણે કહ્યું, ‘અમે એના મંતવ્યને માન આપીએ છીએ.’ નોંધવું જોઈએ કે સ્વીડન માત્ર આર્થિક સમૃદ્ધિમાં જ નહીં, પણ એકંદર માનવઅધિકાર તેમ જ સ્ત્રીઓ અને બાળકોના અધિકારોની જાળવણીની બાબતમાં પણ દુનિયામાં અગ્રતાક્રમે છે.
શાંતિપ્રિય સ્વીડને 1814 બાદ યુદ્ધ કર્યું નથી. મબલખ પાણી, ખનિજો અને 65% જેટલો વનવિસ્તાર ધરાવતા આ દેશમાં શસ્ત્રો, મોટરો અને અનેક ઉદ્યોગોને કારણે માથાદીઠ આવક બહુ ઊંચી છે. પણ ગયાં એકાદ દાયકામાં ઐયાશી અને વિનાશકારી વિકાસ વધતાં રહ્યાં છે. તેને પગલે દાવાનળ, પ્રદૂષણ અને ગરમીમાં વધારા જેવી માઠી અસરો દેખાઈ રહી છે. ડિસેમ્બર 2015ની પેરિસ ક્લાઇમેટ ચેઇન્જ કૉન્ફરન્સ બાદ સ્વીડનની સરકારે પર્યાવરણની જાળવણી માટે કડક કાયદા ઘડ્યા, પણ તેની ખાસ અસર દેખાઈ નથી. આ ચિંતાજનક પરિસ્થિતિ તરફ ગ્રેટા દેશના રાજકીય વર્ગોનું ધ્યાન દોરવા માગતી હતી એ વાત તેણે હડતાળ માટે પસંદ કરેલાં વ્યૂહાત્મક સમય પરથી સમજાય છે. તેની હડતાળનો છેલ્લો દિવસ સ્વીડનની સંસદીય ચૂંટણી માટેનો દિવસ હતો ! તે કહે છે : ‘શાળામાં પર્યાવરણ જાળવવા માટે કોશિશ કરવાનું શીખવવામાં આવે છે. પણ એમાંથી કંઈ નક્કર ન થતું હોય તો શાળાએ શા માટે જવું એમ પણ મને થાય છે. એટલા માટે એક વિદ્યાર્થી તરીકે હડતાળ પાડીને આ સમસ્યા તરફ દેશ ચલવનારાઓનું ધ્યાન દોરવું એ મને નૈતિક ફરજ લાગે છે.’
ગયાં કેટલાંક વર્ષોથી દુનિયાભરમાં પર્યાવરણ વિશે ચાલી રહેલાં ઍકેડેમિક- બૌદ્ધિક ઉપક્ર્મો તેમ જ પરિષદો-સંમેલનો અંગે વાત કરતાં ગ્રેટા ‘ટાઇટેનિક’ ફિલ્મનો દાખલો આપે છે. જહાજ હિમશીલા પર અથડાવાની ખબર હોય ત્યારે એમાં બેસીને દુર્ઘટના બાદ પ્રવાસીઓને બચાવવાની ચર્ચા કરવાને બદલે સત્વરે તેનો રસ્તો બદલવાની કોશિશ કરવાની જરૂર હોય છે. સ્વીડનના સાંસદોએ નોબેલ સન્માન માટે ગ્રેટાનાં નામની ભલામણ કરી તેના બીજા દિવસે એટલે કે 15 માર્ચે ‘ક્લાયમેટ સ્ટ્રાઇક’ દિવસ હતો. દુનિયાના કેટલાક દેશોમાં 2015થી શાળાનાં બાળકો થકી યોજવામાં આવતા આ દિવસને ગ્રેટાની હડતાળને પગલે આ વર્ષે જબરદસ્ત પ્રતિભાવ મળ્યો. વિશ્વના 105 દેશોના સોળસોથી વધુ શહેરોની શાળાઓની વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓ તેમાં જોડાયાં.
સ્વીડનની જાણીતી ઓળખ ઓગણીસમી સદીના આલ્ફ્રેડ નોબેલ અને વીસમી સદીની ગ્રેટા ગાર્બો છે. એકવીસમી સદીમાં સ્વીડન કદાચ ગ્રેટા થુનબર્ગના નામે ઓળખાશે.
+++++
26 માર્ચ 2019
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 29 માર્ચ 2019